Aatmmanthan - 8 books and stories free download online pdf in Gujarati

આત્મમંથન - 8 - માઁ – મારો શું વાંક?

માઁ – મારો શું વાંક?

વાત હાલ ની છે. જે કિસ્સો સામે આવ્યો તે જોઇને હદય દ્રવી ઉઠયું. મગજ ૯ દિવસ સુધી સુન થઇ ગયું. શું સાભળ્યું? શું જોયું? કાંઇ ખબર નથી પડતી. બસ એટલું સમજાયું કે યુગ પરિવર્તિત થઇ ગયો છે. આજે ઘટના બને ૬ મહિના ઉપર થઇ ગયા છે, પરંતુ હાલ બની હોય, એમ તે બધુ તાજુ છે. સમાજ માં આવા કિસ્સા પણ બને છે તે માન્યામાં ના આવે. તે પણ એક જનેતા દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું તે તો માન્યામાં આવે જ નહી. બહુ મનોમંથન અને આત્મમંથન કર્યા પછી આ લખાઇ રહ્યું છે.

શબ્દોમાં એટ્લે કંડારું છું કે સમાજ માં બીજા લોકો પણ આ જાણી શકે. કે આવી ઘટનાઓ પણ બને છે. જેમાં એક ફૂલ નો શો વાંક હોય છે ? કે તે પૂર્ણ રીતે ખીલતા પહેલા જ સંપૂર્ણ કરમાઇ જઇ, પોતાનું અસ્તિત્વ જ નામશેષ થઇ જાય.

વાત એમ બની કે એક સમાજીક સંસ્થા ની મુલાકાત લીધી. આમ તો ત્યાં એક કલાક જ રોકાઇ હતી, પરંતુ ત્યાં નું વાતાવરણ. ભૂલકાઓ, સંસ્થા નું સંચાલન ખરેખર આહલાદાયક હતું. ભૂલકાં ખૂબ પ્રેમાળ અને વ્હાલા, પ્રેમ ઉપજે તેવા. કાર્યક્ર્મ માં હાજરી આપવા ગઇ હતી, આથી બહુ તો જાણવા – સમજવાનો સમય ના મળ્યો, પરંતુ મન ને શાંતિ નો અનુભવ થયો. કાર્યક્ર્મ માં સ્ટૅજ પર બઠક હતી, આથી સમગ્ર સંસ્થાના ટ્ર્સ્ટીઓ, કર્મચારીઓ,બાળકો.. બધા ઉપસ્થિત હતાં. સ્ટેજ પરથી હું બધા ને વારાફરતી જોઇ રહી હતી. ત્યાં મારી નજર ખૂણામાં ખૂરશી પર બેઠેલા એક બાળક ઉપર ગઇ, તે મને ધ્યાન થી જોઇ રહ્યું હતું મેં પણ તેની સામે જોઇ હાસ્ય કર્યું, મારી સામે આંખ મળી, અને મને જોઇ તેનો ચહેરો ફૂલ માફક ખીલી ઉઠ્યો. મને પણ સારું લાગ્યું. પછી તો એકબીજા ની સામે ઘણી વખત આંખ મળી અને હાસ્ય ની આપ-લે થઇ.

કાર્યક્ર્મ પૂરો થતાં, હું ઊભી થઇ નીકળી ગઇ, પરંતુ એ બાળક નું હાસ્ય અને તેનો ચહેરો મારી નજર સામે થી ખસતો ન્હોતો. પછી નો મહિનો તો કામ માં ખૂબ વ્યસ્ત હોવાથી ક્યાંય પસાર થઇ ગયો તેની ખબર જ ના પડી, આજે સાંજે ફરી પાછી એક વાર સંસ્થા માં જઇ ચડી, એ બાળક ને જોવાની, જાણવાની લાલચે. મારા નસીબ સારા હતાં કે સ્કુલ છૂટી હતી, અને બધાં બાળકો સાથે તે બહાર મેદાન માં રમી રહ્યો હતો. મને જોઇ તેના મોઢા પર હાસ્ય આવી ગયું, હું પણ ખુશ થઇ ગઇ અને તેની પાસે જઇ જમીન ઉપર બેસી ગઇ. ખૂબ વ્હાલ ઉપજે તેવું બાળક હતું. મને તેને મળી પ્રસન્નતા થઇ, હું તેને માટે ચોકલેટ અને બિસ્કીટ લઇ ગઇ હતી, તેણે તરત જ ખાઇ લીધા અને પાછો પોતાના મિત્રો સાથે રમવામાં મશગૂલ બની ગયો. હું પણ પાંચ મિનિટ તેને રમતો જોઇ નીકળી ગઇ. આમ ને આમ દિવસો વિતતા ગયાં. મારે પણ સંસ્થા બાજુ નીકળવાનું ના બન્યું, પણ કોઇ વાર તેની યાદ આવતી તો મોબાઇલ માં તેનો ફોટો પાડેલ તે જોઇ લેતી.

સોમવાર નો દિવસ હતો, મને એકદમ પેલા બાળક ની યાદ આવી ગઇ, અરે હા એનું નામ રેહાન, મેં સંસ્થામાં ફોન કર્યો અને રેહાન વિશે પૂછ્યું, તો સંસ્થાના ગૃહપિતા એ જણાવ્યું કે રેહાન બિમાર છે અને હોસ્પિટ્લ માં છે, શરદી અને ખાંસી વધી ગયા હતાં, એટલે દાખલ કરેલ છે, ચિતા નો જેવી કોઇ વાત નથી. અમે એને કહીશું કે તમારો ફોન હતો. મેં પણ રાહતનો દમ લીધો, પણ મને કાંઇ ચૈન પડ્તું ન્હોતું. મને લાગતું કે કોઇ મને સતત યાદ કરે છે. ભગવાન ને રેહાન માટે પ્રાર્થના કરી અને થયું એ હોસ્પિટલ માં થી પાછો આવશે, એટલે સંસ્થા એ જઇ મળી આવીશ, તેને માટૅ બે જોડી કપડાં, બિસ્કીટ, ચોકલેટ, રમકડાં લઇને જઇશ, કે જેથી તે ખુશ થઇ જાય. આજે શુક્ર્વાર હતો, સવાર થી જ વિચાર્યુ હતું કે સંસ્થામાં જઇ રેહાન ને મળી તેના વસ્તુઓ આપી આવીશ, અને બધુ લઇ ઓફિસ જવા નીકળી, સવાર થી જ વિચાર્યુ હતું કે સાંજે ઓફિસ થી ઘરે જતાં પહેલાં રેહાન ને મળવા જવું, સાંજે પાંચ વાગ્યાં ઓફિસ થી એક કલાક વહેલી નીકળી અને ગાડી સંસ્થા તરફ મારી મૂકી, ખૂબ ઉતાવળ હતી તેને જોવાની.

ગાડી પર્ક કરી અને સંસ્થા ના મેદાન માં એક નજર ફેરવી, મને એમ હતું કે રેહાન બહાર તેના મિત્રો સાથે રમતો હશે, પરંતુ તે ત્યાં ન્હોતો. અને જલ્દીથી હું ગૄહપિતાની ઓફિસમાં ગઇ, મને ખૂબ ઇચ્છા હતી, રેહાન ને મળવાની. પણ ત્યાંનું વાતાવરણ ઉદાસ અને ગમગીન હતું. ગૃહપિતા એ મને ખુરશીમાં બેસવા કહ્યું, અને એકદમ શાંતિ થી જણાવ્યું કે બેન તમે દુઃખી ના થતાં, પણ રેહાન આજે સવારે જ હોસ્પિટલ માં અવસાન પામ્યો છે. અને તેણે તમને યાદ કર્યા હતાં, નાનું બાળક હતું અને છાતીમાં કફ બહુ ભરાઇ ગયો હતો, એટ્લે ડોકટર તેને બચાવી શક્યામ નહી. હું સુનમુન થઇ ગઇ, પાંચ મિનિટ મારા ગળામાંથી અવાજ જ ના નીકળ્યો, અને મારી આંખમાંથી આંસુ ની ધારા વહેવા માંડી. ગૄહપિતા એ પરિસ્થિતિ માપી લીધી. મને પાણી આપ્યું અને શાત્વના આપી. હું રેહાન માટે જે વસ્તુઓ લઇ ગઇ હતી તે ત્યાં જ ટેબલ ઉપર મૂકી ઓફિસ ની બહાર નીકળી ગઇ અને ગાડી મંદિર તરફ લીધી, ભગવાન ને પ્રાર્થના કરવા, તેના આત્માને શાંતિ મળે.

બીજા બે દિવસ કામમાં વ્યસ્તતા ને લીધે સંસ્થામાં ફોન ના થયો. આજે સોમવાર હતો. ઓફિસ જતાં પહેલા મંદિર દર્શને ગઇ, ત્યાં જ રેહાન ની યાદ આવી ગઇ, એ વખતે વિચારી લીધું બપોરે ત્રણ વાગે સંસ્થાએ જઇ તેના વિશે જાણી લાવીશ. ધાર્યા મુજબ ૩ વાગે સંસ્થાએ પહોચી ગઇ, ત્યાં તો ગૃહ્પિતા બહાર જ મળી ગયાં. તેમના મોઢા પર ઉદાસી છવાયેલી હતી અને ગમગીન હતાં. હું બહાર ના બાકડા પર બેસી ગઇ. ગૄહપિતા એ ઇશારાથી પાંચ મિનિટ બેસવાનું કહ્યું અને પોતે અંદર ગયાં. લગભગ ૧૦ મિનિટ રહીને બહાર આયા, ત્યારે થોડા ફેશ દેખાતા હતાં. તેઓ બોલ્યાં”સોરી બેન. બેસવું પડ્યું”. આતો અમે તે જ વખતે કબ્રસ્તાનમાંથી આવ્યાં હતાં, હું અંદર જરા પાણી પીવા ગયો હતો. બોલો કેમ આવવું થયું.

મારાથી બોલાઇ ગયું”રેહાન ના સમાચાર જાણવા હતાં”.

ગૃહપિતાએ એક લાંબો શ્વાસ લઇ નિસાસો નાખ્યો અને બોલ્યા જવાદો બેન, જાણીને શું કરશો?. બાળક છુટ્યું, “બિચારા નું દુનિયા માં કોઇ ન્હોતું”.

મારી આંખમાં આંસુ આવી ગયાં. ગૃહપિતા એ બોલવા લાગ્યાં. શું વાત કરું એની?. અહી બે વર્ષ પહેલા તે આયો હતો ત્યારે તે ૬ વર્ષનો હતો. વિરમગામ ના અનાથ આશ્રમ માંથી આયો હતો. તે નબળો ખૂબ હતો એટલે અમદાવાદ મોકલ્યો હતો. અહી આયો ત્યારે ખૂબ માંદો રહેતો, પરંતુ સંસ્થામાં બધાએ તેની કાળજી રાખી અને સારા ડોકટર ની સલાહ થી તે સાજો થયો હતો. ભણવામાં પણ હોશિયાર હતો. એક વાર શીખવાડવાથી તેને ભણવામાં સમજણ પડી જતી હતી અને સંસ્થામાં તે બધાનો ખૂબ વ્હાલો હતો. ૮ દિવસ પહેલા તે માંદો પડ્યો ત્યારે તે ખૂબ નબળો પડી ગયો હતો. તેની આ<ખો માં વેદના હતી. એક પ્રશ્ન હતો”માઁ –મારો શું વાંક? ” . બસ આ પશ્ન નો જવાબ મારી પાસે ન્હોતો.

મેં કૂતુહલતા થી પૂ્છયું કેમ આ પ્રશ્ન?. ગૄહપિતાએ ફરી લાંબો શ્વાસ લઇ બોલવા લાગ્યાં. “એને દફનાવતાં પહેલાં અમે વિરમગામ અનાથઆશ્રમમાં જાણ કરી તો તેઓ એ અમને જણાવ્યું કે હમણાં અંતિમવિધિ ના કરતાં. અમારે ત્યાં તે મસ્જિદમાથી મોકલવામાં આવ્યો હતો, એટલે અમારે એમને જાણ કરવી પડે અને પોલીસને પણ જાણ કરવી પડે. પોલીસ માં ખબર આપતાં જ તેઓ એ તેના માતા-પિતા ને શોધવાનો પ્રયત્ન ચાલુ કરી દીધાં. આમ પોલીસ, અનાથાઅશ્રમ ના સંચાલકો, મસ્જિદ ના મૌલવી બધાએ પોત પોતાની રીતે તેના માતાપિતા ને શોધવાના પ્રતત્ન ચાલુ કરી દીધાં. પોલીસે બીજે દિવસે અમદાવાદ અને વિરમગામ માંથી નીકળતા બધા જ સમા્ચાર પત્રોમાં રેહાન ના ફોટા સહિત જાહેરખબર આપી દીધી કે- આ બાળક ની તબિયત અતિ નાજુક છે લાગતા વળગતા એ નીચે ના મોબાઇલ નંબર પર સંપર્ક કરવો.”.

લગભગ બપોરે ૪ વાગે સમાચાર પત્રો માં છપાયેલ મોબાઇલ પર રીંગ વાગી અને રેહાન વિષે જાણકારી માંગી. મોબાઇલ નંબર પોલીસ નો જ હતો. તેમણે ફોન કરનાર નું નામ અને સંબંધ પૂછ્યો, તરત જ સામે ના છેડૅથી ફોન કટ કરી દેવામાં આવ્યો. પોલીસ ને આ જ જોયતું હતું. જેણે ફોન કરેલ તેને પોતાના મોબાઇલ પરથી કરેલ. પોલીસ ને તે નંબર પરથી વ્યક્તિનું નામ, સ્થળ વગેરે ની જાણ થઇ ગઇ. જે સરનામું તેમને મળ્યું હતું

ત્યાં પોલીસ પહોચી ગઇ. અને ઘર નો દરવાજો ખખડાયો. પાંચ મિનિટ બાદ દરવાજો ખૂલ્યો, એક આડેધ મહિલાએ દરવાજો ખોલ્યો. પોલીસ ને વ્યલ્તિનું નામ પણ જાણ થઇ ગઇ હતી તેમણૅ તે મહિલા ને પૂછયું રહેમાન છે ઘરમાં, મહિલા એ જવાબ માં ના પાડી અને જણાવ્યું કે તે ટૅક્ષી ડ્રાઇવર છે અને ફેરી કરવા ગયાં છે. પોલીસે કડકાઇ થી પૂછ્યું કેટલા વાગે આવશે?

મહિલા બોલી મને ખબર નથી,પણ આ દરમ્યાન રહેંમાને પોલીસ ને [પોતાના ઘરમાં પ્રવેશતા જોઇ લીધી હતી એટ્લે તે ત્યાં થી ભાગી ગયો.

પોલીસ રેહાન નો ફોટો તે મહિલા ને બતાવ્યો અને પૂછ્યું “આ તમારું બાળક છે?” મહિલા એ માથું ધુણાવી ના પાડી. તેઓએ ૧૦ વખત ફેરવી ફેરવી ને પૂછ્યું, પરંતુ તેને ચોખ્ખી ના પાડી આ મારું બાળક નથી. અને અમારા લગ્ન ને ૧૨ વર્ષ થઇ ગયાં છે અને મને કયારેય બાળક થઇ શકે તેમ નથી, તેનો પુરાવો તેણે પોલીસ ને બતાવ્યો. પોલીસ થોડી થંડી પડી અને તેમણે તે મહિલાને રેહાન ની પૂરી વિગત આપી અને જણાવ્યું કે રેહાન તારા પતિ નું જ બાળક છે. તેઓ એ પોતાનો મોબાઇલ નંબર આપી રવાના થયાં. પોલીસ ના ગયાં પછી બે કલાકે રહેમાન ઘરે આયો. અને તરત સૂઇ ગયો. પોલીસ સાથે વાત થયા મુજબ તે મહિલાએ પોલીસ ને પોતાના પતિ ઘરે હોવાનો મેસેજ કરી દીધો. ગણતરી ની મિનિટો માં પોલીસે રહેમાન ને પકડી પોલીસ સ્ટેશન લઇ ગઇ સાથે તેની પત્નિ પણ પોલીસ સ્ટેશને ગઇ હતી. તેને પણ વાત ની સચ્ચાઇ જાણવી હતી.

પોલીસ સ્ટેશનમાં રહેમાનને સવાલો પર સવાલો પૂછવા માંડ્યાં, પરંતુ તે સ્વીકારવા તૈયાર જ ન્હોતો કે રેહાન તેનું બાળક છે. બરાબર ૧૦ મિનિટ ના ટોર્ચર પછી તેણે- રહેમાને કબલ્યું કે રેહાન તેનું જ બાળક છે. આ સાંભળી તેની પત્નિ ચક્કર ખાઇ જમીન પર પડી ગઇ. મહિલા પોલીસે તેને સંભાળી લીધી અને પાણી પાયું. પોલીસ ના દબાણ થી રહેમાને બોલવાનું ચાલુ કર્યુ. ૧૦ વર્ષ પહેલા એ ફાતિમા નામની છોકરી ને મળ્યો હતો અને અમે બે એકબીજા ને પ્રેમ કરવા માંડ્યાં હતાં. પ્રેમ મામ કયારેય આગળ વધી ગયાં એની અમને જાણ પણ ના થઇ અને ૬ મહિનામાં ફાતિમા પ્રેગન્ટ થઇ. અમે બે ઘબરાઇ ગયાં. પણ મારે તો આ બાળક જોયતું હતું એટલે મેં બાળક ને જન્મ આપવા માટે ફાતિમા પર દબાણ કર્યુ. પરંતુ કુદરતે અમને સજા આપી અને બાળક ૭ મહિનામાં જન્મી ગયું અને તે ખૂબ જ કમજોર હતું ફાતિમા પણ ડરી ગઇ અને કહ્યું કે તમે આ બાળક ને તમારા ઘરે લઇ જઇ તમારી બીબી ના ખોળામાં મૂકી દેજો. પરંતુ મેં ના પાડી દીધી મને બરાબર જાણ હતી કે મારી બીબી આ બાળક સ્વીકારશે નહી. અને હું હોસ્પિટલમાં ફાતિમાને એકલી મૂકી નાસી ગયો. આમેય ફાતિમા પાસે મારા મોબાઇલ નંબર સિવાય બીજી કોઇ માહિતી ન્હોતી.

ફાતિમા એ મને સંપર્ક કરવા ના ઘણાં પ્રયત્ન કર્યાં, પણ મેં દાદ આપી નહી. છેલ્લે તેણૅ મને મેસેજ માં જણાવ્યું હતું કે વિરમગામ ની બહાર ની મસ્જિદ ના ઓટલે રેહાન ને મૂકી આવી છું કારણકે તેની તબિયત વધારે બગડી હતી અને મારી પાસે રૂપિયા ન્હોતા દવાના. મેં આ મેસેજ ને ગણકાર્યો નહી. અને મારું જીવન સામાન્ય રીતે જીવવા લાગ્યો. પોલીસ ની જાહેર ખબર વાંચી અને મારું પિતાનું હદય મને કોસવા લાગ્યું અને ફોન થઇ ગયો અને આજે હું અહીયાં છું . સાહેબ મને માફ કરો હું મારી પત્નિનો, ફાતિમાનો અને રેહાન નો ગુનેહગાર છું. પણ હું કમજોર અને ડરપોક છું.

પોલીસ આ સાંભળીને તેને લાફો મારી દીધો અને જણાવ્યું કે રેહાન ના અવસાન ને બે દિવસ થઇ ગયા છે. આ સાંભળી રહેમાન કહે છે મારે તેનું મોઢું પણ જોવું નથી અને હું એની દફન વિધિ પણ નહી કરું. પોલીસે તેને ઘણો માર્યો, તેની પત્નિએ પોલીસ ની લાકડી થી સખત માર માર્યો પણ તે એક નો બે ના થયો. આખરે પોલીસે રહેમાન પાસે કાગળ લખાયો કે “રેહાન ની દફનવિધિ કોઇ પણ કરી શકશે અને ભવિષ્ય માં તે રેહાન માટે કોઇ ને જવાબદાર નહી ઠેરવે.”

આ કાગળ ની નકલ પોલીસે મસ્જિદ, અનાથાઅશ્રમ અને રેહાન જે સંસ્થામાં રહેતો હતો ત્યાં મોક્લી આપી. અને સર્વાનુમતે નક્કી થયું કે રેહાન ની દફનવિધિ અમદાવાદ ના કબ્રસ્તાન માં સંસ્થા દ્વારા કરવામાં આવશે. અને સંસ્થા ના કર્મચારીઓ. સંચાલકો વગેરે … દ્વારા તેની અંતિમવિધિ થઇ, અને તેના રૂપિયા પણ સંસ્થાના કર્મચારીઓ એ ભેગા મળી ને ચૂકવ્યાં. જીવતે જીવ તો માતા-પિતા નો પ્રેમ-વ્હાલ, રેહાન ના નસીબ ન્હોતુમ પણ તેનું અંતિમ વખત જનેતા એ મોઢું ના જોયું. વાત સાંભળતા સાંજે સાત વાગી ગયાં. મારી અને ગૄહપિતા ની આંખો વરસી રહી હતી બન્ને એકબીજા ને સાંત્વના આપી શકે તે સ્થિતિ માં ન્હોતાં.

મને ગૃહપિતાનું એક વાક્ય મારા દિલો-દિમાગ માં ઘૂમતું હતું.

“માઁ – મારો શું વાંક?”