Dil Ni Kataar - Prem Samarpan books and stories free download online pdf in Gujarati

દીલ ની કટાર - પ્રેમ સમર્પણ

દીલની કટાર
પ્રેમ સમર્પણ
પ્રેમ સમર્પણ માંગે છે. બીજું કંઇજ નહીં. પ્રેમ એ ઇશ્વરનું સ્વરૃપ જ છે જે ભાવ સ્વરૂપે છે. ઇશ્વર એજ કહે છે મને સમર્પણ કર તું તને મારામાં સમાવી મારાંમય કરી દઇશ.
પ્રેમમાં પણ એકબીજામય, થવાનું હોય છે. એકબીજાને સંપૂર્ણ સમર્પિત થવાનું હોય છે. પ્રેમમાં પોતાની આગવી કોઇ લાલસા, ઇચ્છા, મનોરથ, અસ્તિત્વ, અનિચ્છા કંઇ જ આગવું નથી હોતું નથી રહેતું... પ્રેમ એ વાસના સુધી સિમિત નથી. પ્રેમમાં વાસના જરૂરી નથી... વાસનાનું આધિપત્ય પ્રેમ નહીં મોહમાં છે.
મોહ અને પ્રેમ વચ્ચે પાતળી લકીર એક રેખા છે જે ઓળંગ્યા પછી સાચું જ્ઞાન થાય છે. મોહ નાશવંત છે પ્રેમ અમર છે. પ્રેમમાં સંપૂર્ણ સમર્પિત થયાં પછી કંઇ કરવાનું જ રહેતુ નથી સમર્પિત પ્રેમમાં ફરિયાદ નથી પણ વિરહની પીડા જરૂર છે. અને પ્રેમ છે તો વિરહ છે. વિરહ પણ પ્રેમનો એક ભાગ છે.
એક નાનું કામ હોય તોય એમાં એક્રાગ્રતા રાખીને સમર્પિત થઇએ પછી જ સફળતા મળે છે ચોક્કસ સાચું કામ થાય છે આંતો પ્રેમ છે...પ્રેમનો આ એકજ અદભૂત ભાવ ભગવાને આપ્યો છે જે અમર કરી શકાય છે.
કૃષ્ણને સમર્પિત મીરાં... તન,મન,જીવથી સમર્પિત હતી સદાય એનાં ગાન ભજન ગાતી અંતે ઇશ્વરે એનું આ સંપૂર્ણ સમર્પણ સ્વીકારને પોતાનામાં સમાવી લીધી.. વેલી સંપૂર્ણ સમર્પિત થઇને વૃક્ષને વીંટળાઇ જાય છે. વૃક્ષનાં અડગ પ્રેમ આધારે એને વળગી જાય છે પ્રેમ કરે છે એ પ્રેમ આધારે એ ફૂલે ફાલે છે સુંદર ફૂલો આપે છે કોઇ પણ પવનમાં તોફાનો કે વરસાદની હેલીમાં વૃક્ષ એનો આધાર બની રહે છે અને વ્હાલથી વળગેલી વેલીને આધાર સાથે અપાર પ્રેમ આપે છે.
સમપર્ણમાં સર્વસ્વ આવી જાય છે. એમાં કાંઇ જ બાકી નથી રહેતું અલગ અલગ ગણાવવું નથી પડતું સમર્પિત થવાનો અર્થ સમર્પણનો સ્વીકાર અને અપાર પ્રેમ. એ પછી સ્ત્રી હોય કે પુરુષ બંન્ને જણાંએ સંપૂર્ણ સમર્પિત થવાનું હોય છે.
આપણે ઇશ્વરની પ્રેમલક્ષણા ભક્તિમાં પણ તન-મન-ધન-જીવ સાથે સમર્પિત થઇએ અને ઇશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આમ જ પ્રેમમાં સંપૂર્ણ સમર્પિત થયાં પછી પ્રેમનો સાક્ષાત્કાર થાય છે.
પ્રેમ એ બે આત્માનું સમર્પિત મિલન છે. આત્માની આત્માનું જોડાણ અમર હોય છે. આત્મા જો પ્રેમ કરે પછી એની ક્ષુલ્લક કોઇ ઇચ્છાઓ નથી હોતી પરંતુ....
સમર્પિત મિલનમાં બાકીનાં પ્રેમનાં ભાવ ખૂબ જ સરસ રીતે અનુભવી શકાય છે. દેહથી દેહનું થતું મિલન એમાં ફક્ત વાસના નથી હોતી પરંતુ એ "પ્રેમ ઇચ્છા" તનની પરીતૃપ્તિને પરાકાષ્ઠાએ લઇ જાય છે એમાં કોઇ ભય, સંકોચ કે મર્યાદા રહેતી નથી અનુકૂળ અને નિશ્ચિંત માહોલનો સંતોષ એ પરિતૃપ્તિ બધીજ સીમાઓ પાર કરી જાય છે.
એ મૈથુનનાં સંભોગની પરિતૃપ્તિમાં સમાધી અનુભવાય છે પ્રેમની પરાકાષ્ઠાની પરિતૃપ્તિ સ્વર્ગીય અનુભવ કરાવે છે બે પરોવાયેલાં તન આત્માની તૃપ્તિ સુધી ઊંચે જાય છે કયાંય કોઇ ચિંતા, ભય, સંકોચ મર્યાદા રહેતી નથી એ સ્વર્ગીય ઉભો થયેલો માહોલ સ્વર્ગનો એહસાસ કરાવે છે.
આ સીમાવિહિન તનનું સમર્પણ આત્મા સાથે જોડાય છે એ સમયે મનમાં વિચારો એકમેકનાં મનમાં એક સરખા પરોવાય છે બંન્ને જીવ તન થી તન રોપીને એક થઇ જાય છે એ સમય વિચાર વિનિમય સરખો જ થઇ જાય છે... અંગથી અંગની પરોવણી અદભૂત રચાય છે. શ્વાસથી શ્વાસની દોર એક સરખી જોડાય છે એક થઇ જાય છે.
આમ સંપૂર્ણ સમર્પણ દેહથી આત્મા સુધીનું એક સ્વર્ગીય આનંદ અને અનુભવ છે. આ દેહ નશ્વર થાય છે તો પણ પ્રેમ અને આત્માનું મિલન અમર જ રહે છે.
પરોવી લે જીવ તારો મારાં જીવ સાથે સખી...
દેહ તો એમ પણ પરોવાઇને શ્વાસ લે છે સખી...
કોઇ જુદાના કરી શકે સમર્પિત "દીલને સખી"

દક્ષેશ ઇનામદાર "દીલ"