Dil Ni Kataar..- Maa Ganga books and stories free download online pdf in Gujarati

“દિલ”ની કટાર.. “માઁ ગંગા”...

“દિલ”ની કટાર..
“માઁ ગંગા”...
ગંગા..માઁ ગંગા..સ્વર્ગથી પૃથ્વી પર અવતરણ થઈ આ પવિત્ર નદી. માનવજાતનો ઉદ્ધાર કર્યો.
પૌરાણિક કથા પ્રમાણે માઁ ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આવી. એમાં રાજા ભાગીરથનો પ્રયાસ હતો. રામચંદ્ર ભગવાન જેમનાં વંશજ એવાં રાજા ભગીરથે માઁ ગંગાને પૃથ્વી પર લાવવા માટે આકરું તપ કરેલું. સગર પુત્રોનાં જીવની સદગતિ અને મુક્તિ માટે એકજ ઉપાય હતો કે એમનાં એ પૂર્વજનાં અસ્થિ ગંગા નદીમાં વહાવી શકાય તો સદગતિ પામે.
માઁ ગંગાનું જળ કેટલું પવિત્ર કે જીવની સદગતિ..મુક્તિ એમાં અસ્થિ પધરાવવાથી થઈ જાય..અને આ સનાતન સત્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી આ માન્યતા અને શ્રદ્ધા ચાલતી આવે છે. સનાતન ધર્મમાં આવી રીતે જ પિતૃતર્પણ કરવામાં આવે છે.
માઁ ગંગાનાં તટ પર પિતૃઓની તર્પણ વિધિ અને અસ્થિ જળમાં પધરાવવાથી મૃત્યુ પામેલ માનવનો આત્મા સદગતિ અને મુક્તિ પામે છે.
આગળ જોયું એમ સગર પુત્રોની મુક્તિ માટે રાજા ભગીરથ આકરું તપ કરીને માઁ ગંગાને પૃથ્વી પર લાવવા સફળ તો થાય છે પણ યક્ષ પ્રશ્ન એ થાય છે કે માઁ ગંગાનાં પ્રવાહની ગતિ ખૂબ તેજ છે તો સ્વર્ગથી ઉતરી સીધી પાતાળમાં ચાલી જાય પૃથ્વી પર ના રહે તો એનાં માટે ભગવાન શિવજીની વિનંતી કરવામાં આવે છે કે પ્રભુ તમે ગંગાને ઝીલી ગ્રહણ કરો પછી પૃથ્વી પર મોકલો.
માત્ર ભગવાન શિવ જ આ માટે સમર્થ હતાં. ભગવાન શિવ માઁ ગંગાને પોતાને શિર પર કેશમાં ઝીલીને એક પ્રવાહ ગંગોત્રીથી પૃથ્વી પર અવતરણ કરાવે છે. ભગવાન શિવ જ માઁ ગંગાનો તેજ પ્રવાહ, ગતિ રોકી કાબૂ કરી શકે એમ હતાં. અને આમ યક્ષ પ્રશ્નનો ઉકેલ મળી ગયો.
માઁ ગંગા મહાદેવને વશ થયાં એમને સમર્પિત થઈને એમનાં જ થઈ ગયાં. નથી વિધિસર લગ્ન થયાં કે કોઈ ઉલ્લેખ બીજો છે પરંતુ માઁ ગંગા અને શિવજી માનવ કલ્યાણ માટે પરિણયમાં બંધાયા અને એક ગંગાની પ્રવાહની સેર પૃથ્વી પર આવી.
માઁ ગંગાનું એ રૂપ કેવું હશે કલ્પના કરો એક નાની પ્રવાહિત કરેલી પાણીની લહેર જે પૃથ્વી પર આવી વિશાળ નદીનું રૂપ લીધું એનું અસલ સ્વરૂપ કેવું હશે?
માઁ ગંગાએ પૃથ્વી પર આવીને ભારત દેશની ભૂમિ પવિત્ર કરી કરોડો માનવ અને જીવોનું પોષણ કરી સમૃદ્ધિ વધારી..આખા જીવનકાળ દરમ્યાન માઁ ની જેમ સંવર્ધન કરી જળ અનાજ બધુંજ આપીને મૃત્યુ પછી પણ એનાં જળમાં અસ્થિ અને ભસ્મ વહાવવાથી મુક્તિ કરાવે અને જીવને સદગતિ આપે.
માઁ છે જે જન્મથી મૃત્યુ સુધી અને મૃત્યું પછી પણ મુક્તિ આપી નિર્વાણ કરે કેટલી મમતા અને ઉપકાર છે એનાં...
સદાય ઉપકાર કરતી માઁ પૂજનીય છે એનાં ચરણોમાં કોટી કોટી વંદન. એનાં તટ પર ખુદ શિવજી વસ્યા છે. સદાય માઁ ગંગા સાથે રહયાં છે. ગંગોત્રીથી હિમાલયથી નીકળી છેક બંગાળ સુધી વહે છે અને પછી સાગરમાં સમાય છે.
માઁ ગંગાનું આધ્યાત્મિક ,ભૌગોલિક , અને ઐતિહાસિક રીતે ખૂબ મહત્વ છે. મારી દ્રષ્ટિએ માનવ કલ્યાણ માટે ભલા માટે રાજા ભગીરથ પૃથ્વી પર લાવવા તપ કરી સફળ થયાં એમને પણ કોટી કોટી વંદન છે .પણ મને એમાંય શિવજી અને માઁ ગંગાની પ્રણય કથા દેખાય છે.
માઁ ગંગા અને શિવજીનો સબંધ ...એક પ્રણય કથા છે..માઁ ગંગાને શિરે ધરી વશ કર્યા. માઁ સમર્પિત થયાં. શિવજી ખૂબ પ્રેમપૂર્વક કાળજી લે છે એક સેર પૃથ્વી પર વસાવી બાકી પોતાની પાસે રાખે છે..
જયાં જ્યાં માઁ ગંગા વહે છે તે દરેક તટ પર સ્થાન પર શિવજીનાં ડેરા સ્થાનક છે. સદાય સાથે રહયાં છે. ગંગોત્રીથી શરું કરી માઁ કાશી વારાણસી , હરિદ્વાર ,પ્રયાગરાજ ,પટના , કાનપુર ,કલકત્તા , ચંદનપુર સુધી વહે છે.
માઁ ગંગા ભાગીરથી પણ કહેવાયાં છે. ભગીરથ રાજાના આકરાં તપ અને પ્રયાસથી એમનું પૃથ્વી પર અવતરણ શક્ય બન્યું છે.
માઁ ગંગાને કોટી કોટી નમસ્કાર...
“માઁ ગંગા તું સર્વનો તન મનનો મેલ દૂર કરે.
જીવતાં જીવત માનવ અને જીવોનું પેટ ભરે.
મૃત્યું પછી સદગતિ અને મુક્તિનાં દ્વાર ખોલે”.
જય જય માઁ ગંગે..
હર હર માઁ.. ગંગે..
દક્ષેશ ઇનામદાર “દિલ”..