Vijayrajni saahsikta books and stories free download online pdf in Gujarati

વિજયરાજની સાહસિકતા

ઈન્દ્રાલોકમાં વિજયરાજની સાહસિકતા, નીડરતા અને સેવાની પ્રશંસા થઈ રહી હતી. આ વાત રાજા ઇન્દ્ર સુધી પહોચે છે તેને મળવાની ઈચ્છા રાજા ઈન્દ્ર ને થઈ અને વિજયરાજની સાહસિકતા, નીડરતા અને સેવા જેવા ગુણો તપાસવા ધરતી પર જવા માટે તૈયાર થઇ ગયા છે.

વિજયરાજએ કુસસ્થલી રાજયના સેનાપતિ હતા અને કુસસ્થલી રાજયના રાજા દિગ્વિજયરાજ અને તેની પત્નિનુ નામ મીનળદેવી હતું. આ બંન્ને પતિ-પત્નીની ઉંમર અંદાજે લગભગ ચાલીસથી પિસ્તાલિસ ની વચ્ચે હશે તેમને એક પુત્ર અને પુત્રી હતા જેમા પુત્રી તેનુ પહેલું સંતાન હતું.

કુસસ્થલીએ સમૃધ્ધિવાન અને મોટુ રાજય હતુ તેનો રાજા બુધ્ધિમાન, પરાક્રમી અને વિદ્વાન હતા. કુસસ્થલીની પ્રજા પોતાના રાજાથી સંતુષ્ટ છે અને આનંદ ઉલ્લાસથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

વિજયરાજએ રાજાના પુત્ર સમાન હતો, રાજાને તેનુ મુખ જોઈને દિવસ ઉગતો અને વિજયરાજને પણ રાજા સિવાય થોડીવાર ચાલતું નહીં. વિજયરાજ રાજાની સાથે ઘણા યુદ્ધ ખેલી ચુક્યા હતા. વિજયરાજની ઉંમર જાઝી થઈ ન હતી, લગભગ પચીસેક વર્ષની હશે.

એકવાર વિજયરાજ સવારમાં સુર્ય દેવના ઉગવાની સાથે ઘોડા ઉપર સવાર થઈ રાજયમાં ટહેલવા નિકળી પડ્યા છે. સવાર સવારમાં ઘોડો જાણે રસ્તા પર નાચતો ચાલી રહ્યો હોય તેવુ લાગતુ હતું. સૂર્ય દેવનો મીઠો તડકો વિજયરાજનુ મુખ ઝીલી રહ્યુ હતુ અને તેના મુખનુ તેજ છલકાઈ રહ્યુ હતું.

વિજયરાજ નગરમાં ફરી રહ્યા છે એટલી વાર તેની નજર એક સુંદર કન્યા પર પડી. તે કન્યા આગળ ચાલી જાય છે અને વિજયરાજ ધીમે ધીમે ઘોડો તેની પાછળ ચલાવ્યા જાય છે. પેલી કન્યા માથા પર બેડુ રાખી પાણી ભરવા જઈ રહી હતી. કાળો ભમર જેવો તેનો ચોટલો કમરને સ્પર્શ કરી રહ્યો હતો. તેણે કાનમાં પહેરેલ સોનાના ઝુમખા ચાલની સાથે ઝૂલી રહ્યા હતા. તેનું ગોળ મોઢુ અને ઘઉં વર્ણો વાન હતો, તેના ઝાંઝરનો મીઠો અવાજ સવારમાં આખા વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. વિજયરાજના મનમાં એવું થતુ હતુ કે સ્વયં સ્વર્ગની અપ્સરા ધરતી પર ઉતરી હોય.

વિજયરાજ ધીમે ધીમે ઘોડો પાછળ ચલાવ્યા જાય છે, પેલી કન્યા કુવા કાઠે પાણી ભરી રહી છે. વિજયરાજે વડના થડ નીચે ઓટલા પર બેઠેલા એક યુવક પાસે ઘોડાને ઉભો રાખ્યો અને આંગળી ચીંધી અને પેલી કન્યા વિશે પુછવા લાગ્યા.

યુવક વિજયરાજને કહેવા લાગ્યો, હે મહાશય આ આપણા રાજયના નીચા કુળની દીકરી છે અને તેનુ નામ ચંદ્રમુખી છે, પણ મહાશય તમે આમા ના પડો આ નીચી જાતીની કન્યા છે, મહાશય આ કન્યા કરતા પણ વધારે સુંદર કન્યા મળી રહેશે.

વિજયરાજે વળતો જવાબ આપ્યો, હે યુવક હું જાતિમાં વિશ્વાસ રાખતો નથી પરંતુ માત્ર પ્રેમને માન્ય રાખુ છું અને હા તમારો સમય લેવા બદલ આપનો આભાર.

પેલી કન્યા માથા પર બેડું રાખી પોતાના ઘર તરફ જઈ રહી છે અને વિજયરાજ તેની પાછળ ઘોડાને ચલાવી રહ્યા છે. કન્યાનુ ઘર આવ્યુ અને તે બેડું લઈ ઘરમાં જતી રહી તેણે જોયુ કે તેનુ ઘર ગાર માટી માંથી બનેલુ હતુ અને બહારથી દિવાલ પરની માટીની પોપડી ઉખડી ગઇ હતી. તેના ઘરની પરિસ્થિતિ તો આમ નબળી હતી. આ જોઈ વિજયરાજ રાજમહેલ તરફ વળ્યા.

બીજા દિવસે વિજયરાજ રાજા દિગ્વિજયરાજને મળવા જાય છે. રાજા ખુરશી પર બેઠા બેઠા કસુંબાનો કૈફ ચડાવી રહ્યા છે અને મહારાણી તેની થોડે દુરની ખુરશી પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા એટલી વારમાં વિજયરાજ આવી રાજા અને મહારાણીને પ્રણામ કર્યાં.

વિજયરાજ રાજાની પરવાનગી લઈ ખુરશી પર બેઠા અને થોડા અચકાતા પેલી કન્યા વિશે વાત કરી અને તેના ઘરનુ સરનામુ બતાવ્યુ. આ વાત સાંભળી રાજા અને રાણીને મનમાં ન બેસી, તે બંન્ને વિજયરાજને સમજાવવા લાગ્યા પણ તે એકના બે ન થયા. લાંબી ચર્ચા વિચારણા બાદ રાજાએ પેલી કન્યાના ઘરે જવાનુ નક્કી કર્યું.

વિજયરાજના પિતા યુદ્ધમાં વિરગતિ પામ્યા હતા જેથી રાજા અને રાણી તેના માતા પિતા સમાન હતા. વિજયરાજની માતા જીવીત હતા અને તે વિજયરાજ સાથે ચન્દ્રમુખીના વિવાહથી સહમત હતા.

રાજા પોતે ચંન્દ્રામુખીના ઘરે જાય છે અને તેના પિતા સાથે વિજયરાજના વિવાહની માગણી કરી. આ સાંભળી ચંન્દ્રામુખીના પિતા તો આચર્ય ચકિત થઇ ગયા કે આવુ તે ભાગ્ય અમારા ભાગમાં ક્યાથી, આમ ચંન્દ્રામુખીના પિતાએ માથુ હલાવી હા પાડી. આ બધુ ચંન્દ્રામુખી ઘરમાં બેઠી બેઠી સાંભળી રહી હતી અને તેનુ દિલ જોર જોરથી ધબકતું હતું અને મનનો મોર આનંદથી નાચી રહ્યો હતો.

લગ્નની તારીખો નક્કી થઈ અને રાજમહેલમાં લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચંન્દ્રામુખીના પિતા ગરીબ હોવાથી બધો લગ્નનો ખર્ચો રાજાએ ઉપાડવાનુ નક્કી કર્યુ. પછી બંન્નેના લગ્ન ધામ ધુમથી કર્યા અને બંન્ને સુખેથી રાજમહેલમાં રહેવા લાગ્યા.

ધીમે ધીમે સમય જવા લાગ્યો અને કુસસ્થલીમાં પાણીની અછત ઉભી થઈ. દુર દુર સુધી કોઈ વાદળ પણ દેખાતુ ન હતુ અને એકદમ આકરો તડકો પડી રહ્યો હતો. લોકોને પીવા માટેના પાણીના ફાફા પડવા લાગ્યા.

થોડા સમય પછી પરિસ્થિતિ બહુ આકરી બની ગઇ પક્ષીઓ અને પ્રાણીઓ પાણી ન મળવાને લીધે તેઓ તડફી તડફી મરતા હતા એટલુ જ નહી પરંતુ કેટલાક માનવીઓ પણ મૃત્યુનો ભોગ બની ગયા. જયાં જુઓ ત્યાં મરેલા પક્ષીઓ અને પ્રાણીઓ દેખાતા હતા. કુસસ્થલીની પ્રજા અને રાજા બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા તેના મનમાં કોઈ ઉપાય સુજતો ન હતો.

આવા સમયે ભગવાન ઈન્દ્ર સ્વંય ઋષિનું રૂપ ધારણ કરી કુસસ્થલીમાં પ્રવેશ કર્યો. આ ઋષિને જોઈ તેને રાજમહેલમાં તેડી લાવ્યા મહારાજે ઋષિમુનિ ને પ્રણામ કરી અને પોતાના રાજયની આ પરિસ્થિતિની વાત કહી સંભળાવી.

ઋષિએ મહારાજને કહ્યુ, મહારાજ આ ભગવાનનો પ્રકોપ છે એક રાક્ષસ જંગલના પશુઓ ભક્ષી રહ્યો છે. જયાં સુધી તેનો ઉકેલ નહી થાય ત્યાં સુધી વરસાદની ક્યાય પણ આશા રહેશે નહી.

ઋષીએ ઉમેરતાં કહ્યુ કે તે રાક્ષસ જંગલની પેલી પાર ડુંગર પર ગુફા રહે છે અને હા, આ રાક્ષસ માયાવી છે એટલે ફક્ત એક વ્યક્તિને હરાવી શકે છે અને વધારે લોકોને જોઈ તે વધારે ગુસ્સે થશે જેથી કોઇ એક જ વ્યક્તિએ જવુ પડશે, આમ કહી ઋષિ ચાલતા થયા.

આ વાત સાંભળી રાજા વધારે સંકટમાં મુકાઈ ગયા. કોઈ પણ વ્યક્તિ ત્યાં જવા માટે તૈયાર ન હતુ બધા રાક્ષસનુ નામ સાંભળી ડરતા હતા.

આ વાતની ખબર પડતા વિજયરાજ ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા કારણ કે તેના રાજયના લોકો મુશ્કેલીમાં હતા અને તે આ બધુ જોઈ શકતા ન હતા. વિજયરાજ રાજા પાસે પેલા ડુંગર પર જવાની પરવાનગી લેવા જાય છે અને રાજા તેને જવા માટેની પરવાનગી આપી.

આજે પૂનમનો દિવસ હતો જેથી બધે જ ચંન્દ્ર અજવાળું પાથરતો હતો. વિજયરાજ રાજમહેલના ચોકમાં ઉભા છે અને ચંન્દ્રામુખી તેની આરતી ઉતારી કપાળે ચાંદલો કર્યો. રાજા સહીત બધા ચોકમાં ઉભા વિજયરાજને બધાઈ આપી રહ્યા છે.

વિજયરાજ ઘોડા ઉપર સવાર થઈ ગયા અને ઘોડાને જંગલ તરફ વેતો મુક્યો. વિજયરાજને જતા જોઈ રાક્ષસના ડરથી ભયભીત થયેલી ચંન્દ્રમુખીની આંખના ખુણા ભીના થઇ ગયા છે દુર દુર સુધી તેને જતા જોઈ રહી છે.

ભગવાન ઈન્દ્રએ માયા રચી છે ગુફા અને કદાવર અને ખુખાર રાક્ષસ બનાવ્યા છે અને તેનો મારગ કપરો કરી દીધો. બધા દેવો અને દેવીઓ આકાશમાંથી નિહાળી રહ્યા છે.

વિજયરાજ રાત્રિના સમયે ચંન્દ્રાના અજવાળા સાથે ઘોડાને રસ્તા પર દોડાવી રહ્યા છે. વિજયરાજના કમરે તલવાર લટકાવી છે તેના પાછળના ભાગ પર ભાલો અને ઢાલ લટકાવેલ છે. આકાશમાંથી ઝાકળ વર્ષી રહ્યો છે જેથી વૃક્ષો પરના પાન પર રહેલા ઝાકળના ટીપા ચંન્દ્રના અજવાળાથી ચમકી રહ્યા છે. વરૂ અને બીજા પ્રાણીના અવાજથી આખુ જંગલ ગાજી રહ્યુ હતુ.

પ્રાણીના અવાજથી ડરેલો ઘોડો હણ હણાતો પીછે હઠ કરી રહ્યો હતો પરંતુ વિજયરાજ તેના ગળા પર હાથ રગડતા તેનો આત્મવિશ્વાસ વધારતા તેને આગળ ચલાવી રહ્યા હતા.

આમ, ધીમે ધીમે કરી ઘોડાએ જંગલ પસાર કર્યું અને ઉચો ડુંગર દેખાતો હતો. વિજયરાજ ઘોડા સાથે ડુંગર ચડવા લાગ્યા અડધો ડુંગર તો ઘોડો ચડી ગયો પણ હવે ડુંગરનો ઢાળ વધી ગયો જેથી ઘોડાની ખરીયુ માટી અને કાંકરા હોવાથી લપસવા લાગી. ઘોડાએ એટલુ અંતર કાપ્યુ હોવાથી ઘોડાના મો માંથી ફિણા નિકળતા હતા જેથી વિજયરાજ ઘોડા પરથી નીચે ઉતરી ઘોડાના માથા પર હાથ ફેરવી આશ્વાસન આપ્યુ અને બાજુમાં રહેલ પીપળા થડે બાંધી દીધો.

પરંતુ વિજયરાજના ચાલતાની સાથે ઘોડો હણ હણાવા લાગ્યો તે ગાઢ જંગલ જોઈ ડરી રહ્યો હોય તેવુ વિજયરાજને લાગ્યું. પછી વિજયરાજે તેના માથા પર હાથ ફેરવી ચાલતા થયા.

ધીમે ધીમે વિજયરાજ ડુંગરની ભેખડો પસાર કરતા ગુફા સુધી પહોચ્યા. ગુફામાંથી કંઇક અવાજ આવતો હતો જેથી વિજયરાજને ખબર પડી કે રાક્ષસ સુતો છે એટલે વિજયરાજ સંતાતા સંતાતા આગળ વધી રહ્યા હતા આજુબાજુ નજર કરી બધુ જોઈ રહ્યા હતા. બધે જ પ્રાણીઓના કંકાલ પડ્યા હતા જેથી તે કાળજી પુર્વક આગળ વધી રહ્યા હતા.

પરંતુ બાજી પલટાતા વાર ન લાગી, વિજયરાજ રાક્ષસથી થોડાક જ દુર હશે અને તેનો પગ કોઈ પ્રાણીની કંકાલ પર પગ પડતા કડાક કરતો અવાજ આવ્યો. અવાજથી પેલો રાક્ષસ નિંદર માંથી જાગી ગયો અને આમ તેમ જોવા લાગ્યો અને વિજયરાજ તેની નજરે ચડી ગયા.

રાક્ષસ આળસ મરડી ઉભો થયો, રાક્ષસનુ સ્વરૂપ જોઇ મનમાં થોડા ડર અનુભવ્યો, પહાડ જેવુ તેનુ શરીર અને આખા શરીર પર વાળ હતા, માથાના વાળ લાંબા અને કાળા વાકુડીયા હતા. મો માંથી લાંબા દાંત બહાર નીકળેલા અને લાંબા નખ હતા.

વિજયરાજે ડર ભગાવી કમરમાંથી તલવાર ખેચી અને પાછળથી ઢાલ ઉતારી એક હાથમાં પરોવી. રાક્ષસે તેનો ચહેરો થોડો નાનો કરી ગર્જના કરી તેના લીધે વિજયરાજના વાળ ઉડવા લાગ્યા પરંતુ વિજયરાજે હિંમત ન હારી અને તેની સામે અડીખમ ઊભા રહ્યા.

રાક્ષસ વિજયરાજ તરફ આગળ વધ્યો, પોતાના હાથ વડે વિજયરાજ પર પ્રહાર કર્યો પણ વિજયરાજ ઢાલ વડે પ્રહાર અટકાવવા જતા દીવાલમાં ભટકાયા. વિજયરાજ ઉભા થઈ રાક્ષસ તરફ દોડ્યા અને તલવાર વડે પ્રહાર કર્યો અને રાક્ષસના જમણા હાથનો અંગુઠો ઉડાવી દીધો.

રાક્ષસ લોહી દેખાતા વધારે ઉશ્કેરાયો અને ગર્જના કરતો વિજયરાજ તરફ દોડ્યો અને હાથ વડે ફંગોળી દીધા અને ટકરાવવાથી માથા માંથી લોહી નીકળવા લાગ્યુ.

વિજયરાજ પથ્થરના ટેકરાની મદદથી ઉભા થઇ પીઠ પરથી ભાલો ઉતાર્યો અને રાક્ષસ તરફ ફેંક્યો, ભાલો સીધો રાક્ષસના પેટમાં ખુપી ગયો પરંતુ તેને કોઇ પણ જાતની અસર ન થઈ અને પોતાના હાથ વડે ભાલો ખેંચી કાઢ્યો અને વિજયરાજ તરફ ફેંક્યો અને ભાલો તેને આરપાર નીકળી ગયો અને જમીન પર પટકાયા.

વિજયરાજ મૃત્યુના પારણે ઝુલી રહ્યા હતા જીવ તેનુ શરીર છોડવાનુ નામ જ ન લેતું હતું. વિજયરાજ હજી પણ હાર માનતા નથી તે તલવારના સહારે ઊભા થવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેના મો માંથી લોહી જેમ નદી વહે તેમ વહેતુ હતુ જેથી કમજોરીના લીધે ઊભા થઇ શકતા ન હતા.

રાક્ષસ ફરી પ્રહાર કરવા વિજયરાજ તરફ જાય છે અને પ્રહાર કરવાની તૈયારી કરે એટલી વારમાં ભગવાન ઈન્દ્ર સ્વયંમ પ્રગટ થાય છે. તેમણે રચેલી માયાજાળ સંકેલી લઇ, વિજયરાજનો હાથ ઝાલી ઊભો કર્યો એટલી વારમાં તો તેના ઘાવ ભરાઇ ગયા અને પહેલા જેવા તંદુરસ્ત થઇ ગયા.

વિજયરાજે ઈન્દ્રદેવને પ્રણામ કર્યાં, ઈન્દ્રદેવ તેના સાહસથી પ્રસન્ન થઈ વરદાન માંગવાનુ કહ્યુ. ત્યારે વિજયરાજે કહ્યુ: હે પ્રભુ! મારા રાજયના માનવીઓ, પ્રાણીઓ અને પક્ષીઓ પાણી ન મળવાથી બધા બહુ દુખી દુખી થઇ ગયા છે. માટે મારી ઈચ્છા એ છે, પ્રભુ કૃપા કરી અમારા રાજયમાં પાણીની નદીઓ વહે તેવુ કરો, આ સાંભળી ઈન્દ્રદેવ ખુશ થઈ ગયા. ઈન્દ્રદેવ વિજયરાજને કહેવા લાગ્યા, હે માનવ! તારા જેવો ઉદારવાદી પહેલી વાર જોયો કે જે બીજા બધાના ભવિષ્યનુ વિચારે, ધન્ય છે તારી ભુમી ને, ધન્ય છે તારી જનતાને, આમ કહી ઈન્દ્રદેવ અદ્રશ્ય થઈ ગયા.

વિજયરાજ ગુફાની બહાર નીકળીને જુવે તો આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ ગયા અને સવાર થઈ ગયુ હતું. થોડીવારમાં સુપડાધાર વરસાદ વરસવા લાગ્યો, વિજયરાજ વરસાદમાં ભિંજાતા ઘોડા પાસે પહોચે છે. પીપળના થડથી ઘોડાને છોડી તેના પર સવાર થઈ ઘોડાને કુસસ્થલી તરફ દોડતો કર્યો.

ઘોડાએ બે વર્ષ પછી વરસાદ જોયો હોવાથી તે ખુશ થઈ પુરા જોશથી દોડી રહ્યો હતો. રસ્તા પર ભરેલા ખાબોચિયામાંથી પાણી ઉડાડતો દોડી રહ્યો હતો.

ચંન્દ્રમુખી દરવાજો પકડી વિજયરાજની રાહ જોઇ રહી છે. આખી રાત વિજયરાજની રાહ જોતી હોવાથી આંખો લાલ થઈ ગઈ હતી. થોડીવાર પછી ચંન્દ્રમુખીના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાવવા લાગ્યો અને ચંન્દ્રમુખીનુ હ્યદય જોર જોરથી ધડકવા લાગ્યુ. ધીમે ધીમે ઘોડો નજીક આવતો દેખાયો અને વરસાદના ધુધળા વાતાવરણમાં પોતાના વિજયરાજનુ મોં જોતા હરખઘેલી ચંન્દ્રમુખી ચોકમાં દોડીને પહોચી ગઈ.

વિજયરાજે ઘોડાને રાજમહેલના ચોકમાં ઠેરવ્યો અને ઘોડા પરથી નીચે ઉતર્યા એટલી વારમાં ચંન્દ્રમુખીએ દોટ મુકી વિજયરાજને ભેટી પડી અને હરખના બે-ત્રસ આંસુ તેની આંખમાંથી સરી પડ્યા.

રાજાને વિજયરાજના આવવાની જાણ થતા તેનુ સ્વાગત કરવા માટે દોડી આવ્યા અને ઉત્સાહભેર વિજયરાજનુ સ્વાગત કર્યુ અને ફરી એકવાર રાજયના સુખના દિવસો ચાલુ થઈ અને વિજયરાજ ઈતિહાસના પાનામાં છપાઈ ગયા.