The Secrets Of Nazargadh - 1 books and stories free download online pdf in Gujarati

The Secrets Of નઝરગઢ part 1

એક લાંબા વિરામ બાદ હવે સમય આવી ગયો છે કે બધી સમસ્યા ઓને થોડીક ક્ષણો માટે ભૂલી ને પુનઃ એ અવિસ્મરણીય યાત્રા માં જોડાઈ જઈએ,

કઈ યાત્રા ?

પૃથ્વી અને તેની પ્રેમ કહાની .એક એવી અદ્ભુત વાર્તા જેણે હજારો વાચકો ના હદય માં એક સ્થાન બનાવ્યું અને અમીટ છાપ છોડી છે.

જેમ મેં આગળ આપ મિત્રો ને વચન આપ્યું હતું એમ હવે એક નવી પરંતુ આપ સૌ માટે પોતાની એવી દુનિયા એટેલે નઝરગઢ.

જે લોકો પૃથ્વી નવલકથા થી અજાણ છે, જે લોકો નઝરગઢ નામના એ સ્થળ થી અજાણ છે એ લોકો ને ત્યાની એક ઝલક દેખાડવી તો આવશ્યક છે.

તો ચાલો થોડાક flashback માં જઈએ

ચારેય બાજુ ઘટાદાર વૃક્ષો અને ઘનઘોર જંગલ થી ઘેરાયેલું એક નગર ,જ્યાં હમેશ માટે બરફ ની એક સુંદર ચાદર છવાયેલી રહે છે,આ નગર માં ગીચ વસ્તી નું સ્થાન નથી,છુટા છવાયા ઘરો અને અનેક નાની મોટી નદિયોં જે કાયમ પાણી થી છલો છલ રહે છે .આ જંગલ માં સૂર્ય નો પ્રકાશ મંદ મંદ અને ખુબ જ થોડા સમય માટે પહોચે છે.આ નગર એટલે નઝર ગઢ.

પરંતુ આ નગર ની સુંદરતા ના કારણે નઝર ગઢ પ્રચલિત નથી,એ વિખ્યાત છે એના માં છુપાયેલા અચંભિત કરી દે એવા રહસ્યો ના કારણે . એના આ રહસ્યો માંથી એક એમાં વસવાટ કરતા શક્તિશાળી જીવો.એમાં ના કેટલાક vampires,werewolves,witches અને warlocks છે.

Vampire માં સૌથી શકિતશાળી એટલે પૃથ્વી, જેના પર આખી નવલકથા નિર્મિત છે, અને જેના કારણે નઝર ગઢ પ્રચલિત છે.

પરંતુ આ નગર ના રહસ્યો ફક્ત પૃથ્વી અને તેના પરિવાર પૂરતા સીમિત નથી.

નઝર ગઢ નું આ જંગલ પોતાના અંદર હજુ પણ અનેક રહસ્યો ને છુપાવીને બેઠું છે.જેના પર થી ધીમે ધીમે કરી ને પરદો હટશે.

નઝર ગઢ ની યાત્રા માં પૃથ્વી નવલકથા ના અનેક જુના પાત્રો જોવા મળશે જેથી કરી ને એક આગ્રહ છે કે આ નવલકથા ને વાંચતા પહેલા પૃથ્વી નવલકથા નું રસપાન અવશ્ય કરવું.જેથી આપ ની યાત્રા માં કોઈ પણ અવરોધ ના ઉત્પન્ન થાય .

તો જોડાઈ જાવ મારી સાથે આ યાત્રા માં ......................................

..કહાની શરુ થાય છે પૃથ્વી ના જન્મ પહેલા આશરે ૫૦૦ વર્ષ પહેલા થી.

એ સમયે નઝર ગઢ માં મનુષ્ય નામ માત્ર જ હતા,સંપૂર્ણ નગર અને જંગલો માં માત્ર શક્તિશાળી જીવો અને નર ભક્ષિયો ઓનું શાસન હતું.

નઝર ગઢ નું કેન્દ્ર હતું જંગલ ના વચોવચ આવેલું દીપ સાગર નામનું જળાશય આ જળાશય ના વચોવચ એક નાનકડા ટાપુ જેવો ભાગ હતો

જેમાં એક હવેલી જેવી રચના કરવામાં આવી હતી.

એ હવેલી માં વસવાટ કરે છે આનવ વેલા નામનો પિશાચ.આ આનવ વેલા નું આખા નઝર ગઢ પર રાજ છે,એને પોતાની શક્તિ ઓનો ઉપયોગથી એ માનવ ના રક્ત પાન કરી ને સર્વ શક્તિશાળી થઇ ગયો.અને બની ગયો નઝર ગઢ નો શક્તિમાન જીવ.

Vampires અને werewolves ની દુશ્મની તો સદીયો થી ચાલતી આવી છે.

પરંતુ આનવ વેલા ના શાસન માં werewolves નું ટકી રહેવું લગભગ અશક્ય થઇ ગયું.જેથી પોતાનો જીવ બચાવવા માટે નર ભેડિયા ઓ એ પોતાના વંશ ને ટકાવી રાખવા માટે નઝર ગઢ થી દુર વસવાટ કરવો જ હિતાવહ સમજ્યું.

એમાં નર ભેડિયા માં એમનો આગેવાન હતો વિદ્યુત.

વિદ્યુત થી કોઈ અજાણ નહિ જ હોય.

વિદ્યુત એ વિચાર્યું કે ભવિષ્ય માં સંગઠિત થઇ ને શક્તિ થી આનવ વેલા પર આક્રમણ કરી એને પરાસ્ત કરી ને નઝર ગઢ ને પુનઃ પ્રાપ્ત કરી લઈશું

જેથી વિદ્યુત પોતાના પરિવાર જનો અને બાકી ભેડિયા સાથે નગર ના સીમાંતે આવેલા એક પહાડી વિસ્તાર માં ગુફાઓ માં પોતાનો વસવાટ કર્યો.

વિદ્યુત નો એક વિશ્વાસ પાત્ર મિત્ર અને તેનો સાથી એટલે ભીષણ ,ભીષણ એનો ખાસ સલાહકાર પણ હતો.

ભીષણ : વિદ્યુત ....આપ જાણો છો કે આપણે કોઈ પણ સંજોગો માં આનવ વેલા ને હરાવવા માટે સક્ષમ નથી.

વિદ્યુત : હા ભીષણ ...પરંતુ ... હું દુનિયા ના ખૂણે ખૂણે ફરી ને એવી શક્તિ અને વિશાલ સેના એકત્ર કરીશ કે આનવ વેલા કોઈ દિવસ સ્વપ્ન માં પણ વિચારી નહિ શકે

ભીષણ : આનવ વેલા ખુબ જ શક્તિશાળી છે વિદ્યુત ... એને સમગ્ર શક્તિ મનુષ્ય ના રક્ત માંથી પ્રાપ્ત થઇ છે.

વિદ્યુત : આનવ વેલા પહેલા આપણો મિત્ર હતો ..પરંતુ શક્તિ ની લાલસા અને મનુષ્ય રક્ત ની તલપ એ એને પોતાના મિત્રો નો જ શત્રુ બનાવી લીધો

મને એમ હતું કે હું અને આનવ ભેગા થઇ વર્ષો થી ચાલી આવતી આ દુશ્મની નો અંત લાવીશું પરંતુ ....

હું ભૂલી ગયો કે vampires ના સ્વભાવ માં જ દગો છે ,એમનું રૂપ જ એક દંભ છે.

ભીષણ : એને એની ભૂલ નું ભાન અવશ્ય કરાવવું પડશે ,એ એમ સમજી બેઠો છે કે ભેડિયા કમજોર જીવ છે ,પરંતુ એને આપણી શક્તિ નું ભાન નથી ,એ ભૂલી ગયો છે એકતા આપણા માં એ લોકો કરતા વધારે છે.

વિદ્યુત : એને મનુષ્યો માંથી શક્તિ મળે છે ,તો એ મનુષ્યો ને જ હું અહી થી યોજનો દુર પલાયન કરવા પર મજબુર કરી દઈશ ,બસ તું એક કામ કર ,આપણા પાસે જેટલા પણ પરિવાર જનો છે એમને આ પર્વતો ની ગુફા માં સુરક્ષિત રહેવા માટે સુચના આપ ,ત્યારબાદ આપણે પણ એ રાહ અપનાવીશું જે આનવ વેલા એ અપનાવી.

ભીષણ : મતલબ ?

વિદ્યુત : આપણે પણ માનવ રક્ત નું પાન કરવું પડશે.

ભીષણ : પરન્ન્તું વાત તો માનવો ને અહી થી દુર ભગાડવાની હતી ....

વિદ્યુત : એમનું ભક્ષણ કરીશું ત્યારેજ તો બાકીના અહી થી ભય થી પલાયન કરશે.

ભીષણ : ઠીક છે પરંતુ ...એમનું ભક્ષણ ફક્ત ભય પમાડવા સુધી રહેવું જોઈએ વિદ્યુત.....લાલચ તારું ભક્ષણ નાં કરી જાય એનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

વિદ્યુત : તું ચિંતા ના કરીશ ભીષણ ....... મને મારા પર પૂર્ણત: કાબુ છે

ભીષણ : ઠીક છે તો હું બાકી ના સભ્યો ને ઉચિત સ્થાન પર લઇ જાવ છું.

વિદ્યુત : ઠીક છે

(ભીષણ ના ત્યાં થી ગયા બાદ)

વિદ્યુત : હું માનવ નું ભક્ષણ ત્યાં સુધી કરીશ જ્યાં સુધી આનવ વેલા ને પરાજિત કરવા શક્તિશાળી ના થઇ જાવ .

અહી આ બાજુ દીપ સાગર માં

આનવ વેલા : વિકર્ણ ....શું એ દુષ્ટ ભેડિયા નઝર ગઢ ની સરહદ માંથી બહાર નીકળી ગયા ?

વિકર્ણ : હા ...એ લોકો અહી થી પલાયન કરી ચુક્યા છે ,મેં મારી પોતાની દ્રષ્ટિ થી જોયું છે.

પરંતુ એક વાત સમજ માં નથી આવી આનવ

આનવ : શું ?

વિકર્ણ : વિદ્યુત તો તમારો મિત્ર હતો સહસા એને નઝર ગઢ છોડવા પર મજબુર કેમ કરવો પડ્યો ?

આનવ : હા વિદ્યુત મારો મિત્ર હતો ... પરંતુ જ્યાં સુધી એ પોતાની હદ માં હતો ... થોડાક સમય થી એ આ નગર પર પોતાનો હક જતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો .

એ એવું સમજી બેઠો કે આનવ વેલા મિત્રતા માં નઝર ગઢ એને દાન માં આપી દેશે ,એને મને નઝર ગઢ નો સંપૂર્ણ પશ્ચિમ છેડો ભેડિયા ઓ માટે આપવાની કરવાની માંગ કરી .

વિકર્ણ : ત્યારબાદ ?

આનવ વેલા : ત્યારબાદ ... મેં એને કહ્યું કે જેમ વર્ષો થી ચાલતું આવ્યું છે .... આ નગર પર ભેડિયા ઓ નો કોઈ દિવસ હક હતો જ નહિ ,સદી ઓથી આ નઝર ગઢ vampires નું જ છે અને રહેશે. મેં એને મિત્ર સમજી એના પરિવાર ને આ જંગલ માં રહેવાની છૂટ આપી તો એ લોકો એ ધીમે ધીમે આ નગર ને પોતાનો અધિકાર સમજી બેઠા .

એ ભેડિયા તો રખડતા જીવ છે ,એમને પોતાના અસ્તિત્વ નું ભાન નહોતું ,એટલે મારે એમને એમની અસલિયત જણાવવી પડી ,અને એમના પર હુમલો કરવામાં આવ્યો ,અને વિદ્યુત ને ચેતવણી આપી કે નઝર ગઢ છોડી ને હમેશા માટે ચાલ્યો જાય ,અન્યથા પોતાના પ્રાણ ની અહુતી આપવી પડશે.

વિકર્ણ : તમને શું લાગે છે ? એ પુનઃ પાછો નહિ આવે ?

આનવ : એ ચોક્કસ આવશે ... હું આ ભેડિયા ને સારી રીતે જાણું છું ,એમનો સ્વભાવ જીદ્દી છે ,હું એ દિવસ ની રાહ જોઈશ જયારે વિદ્યુત મારી સમક્ષ આવે .... એ દિવસ કદાચ એનો અંતિમ દિવસ હશે.

અહી આ તરફ વિદ્યુત અને ભીષણ માનવ વસ્તી માં ઘુસી ગયા અને અનેક માનવ ના હનન કરવા લાગ્યા.

વિદ્યુત ની ક્રુરતા જોઈ ભીષણ એ એને રોક્યો .

ભીષણ : વિદ્યુત તું પોતાનો કાબુ ગુમાંવી રહ્યો છે

વિદ્યુત : તું સત્ય કહી રહ્યો છે ભીષણ ...મારા અંદર નું જાનવર હવે જાગી ગયું છે ,અને કદાચ હવે એની જ જરૂર છે

એટલું કહી ને વિદ્યુત એ ભયંકર નરસંહાર રચી દીધો.

ભીષણ સર્વ જાણતા હોવા છતાં પણ વિદ્યુત ને રોકવામાં અસમર્થ હતો.

આમ દિવસો પસાર થતા ગયા અને વિદ્યુત પણ આનવ વેલા ની જેમ શક્તિશાળી થતો ગયો.

અહી આનવ વેલા ના કાન સુધી બધી વાત પહોચી

વિકર્ણ : આનવ ...સાંભળવા માં આવ્યું છે કે વિદ્યુત પણ મનુષ્ય ના રક્ત નું પાન કરી ને શક્તિ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યો છે.

આનવ : મને શંકા તો હતી જ કે આવી કોઈ હરકત અવશ્ય કરશે ,એને રોકવો આવશ્યક છે ,જો માનવો અહી થી નામ શેષ થઇ જશે તો આપણું જીવન ટકાવવું મુશ્કેલ બની જશે.

વિકર્ણ : પરંતુ એને રોકશે કોણ ?

આનવ : અનિરુદ્ધ .......

વિકર્ણ : શું એ એટલો સક્ષમ છે કે વિદ્યુત ને રોકી શકે ?

આનવ : અનિરુદ્ધ .... વાયુ થી પણ તેજ અને ગજ કરતા પણ શક્તિશાળી છે.એની તીવ્રતા અને ચપળતા એની શક્તિ છે.

વિકર્ણ : મને એની કુશળતા પર કોઈ સંદેહ નથી પરંતુ ,વિદ્યુત ખુબ જ કપટી અને ચાલાક છે ,તથા અત્યારે માનવ રક્ત થી એ અત્યંત શક્તિશાળી પણ થઇ ચુક્યો છે

અને હું જાણું છું કે અનિરુદ્ધ આપના પુત્ર સમાન છે ,એટલે એની સાથે મને પણ જવાની આજ્ઞા આપો.

આનવ : પરંતુ વિકર્ણ .....

વિકર્ણ : તમે મારા પર વિશ્વાસ રાખી શકો છો.હું મારા પ્રાણ આપી ને પણ અનિરુદ્ધ ની રક્ષા કરીશ.

આનવ : ઠીક છે વિકર્ણ .. તું આપણા વિશ્વસનીય vampires ની ટુકડી લઇ અનિરુદ્ધ સાથે જા ,

પરત ફરતી વખતે વિદ્યુત ને જીવિત મારી સામે લાવજે ,જેથી કરી ને હું ખુદ એનું શીશ ધડ થી અલગ કરી શકું.

વિકર્ણ : એમ જ થશે.

વિકર્ણ તુરંત જ અમુક લોકો સાથે અનિરુદ્ધ નાં નિવાસ પાસે પહોચ્યો.

વિકર્ણ એ અનિરુદ્ધ ને અવાજ નાખ્યો.

પરંતુ એ પોતાના નિવાસ પર નહોતો.

વિકર્ણ : અત્યારે એ ક્યાં ગયો હશે ? એને કેમ કરી ને શોધીશું ?

બાજુ માં ઉભેલા એક vampire એ જણાવ્યું , “ એને તો રાત્રી ના સમયે જંગલ માં વિચરણ કરવું અતિ પ્રિય છે.

મોટાભાગે મંદાર પર્વત પાસે વહેતા ઝરણા પાસે જ હોય છે.”

વિકર્ણ : ઠીક છે ...આપ સૌ અહી રોકાવ ... હું એની ખોજ કરી ને આવું છું.

એટલું કહી વિકર્ણ ...મંદાર પર્વત તરફ નીકળી ગયા.

થોડાક સમય માં એ પર્વત ની તળેટી પર પહોચ્યા.ચારે બાજુ રાત્રી ના ઘોર અંધકાર માં જંગલી જાનવર ના ગુંજતા અવાજ અને પર્વત માં થી ખળ ખળ વહેતા ઝરણા ના સ્વર સિવાય કઈ સંભળાતું નહતું.

વિકર્ણ એ ચારેય બાજુ નજર દોડાવી ...અંતે મોટા સ્વરે અવાજ નાખ્યો “અનિરુદ્ધ “...........

આ સ્વર પહાડો પર ટકરાઈ ને ગુંજી રહ્યો હતો.

થોડીક ક્ષણો માં વિકર્ણ ની નજર જંગલ માં એક તરફ પડી ,રાત્રી ના અંધકાર વચ્ચે ,ચંદ્ર ના મંદ મંદ પ્રકાશ માં ,હિમ વર્ષા પશ્ચાત છવાયેલા આછા ધુમ્મસ વચ્ચે એક આકૃતિ એમના તરફ આવતી જણાઈ ,એક ક્ષણ માટે જાણે એ સાવ વિકર્ણ ની સમક્ષ આવી સ્પષ્ટ થઇ ગઈ.

ખડતલ ,મજબુત બાંધા વાળું શરીર ,મધ્યમ લંબાઈ નું કદ,કાળા લાંબા ખભા સુધી પહોચે એટલા વાળ ,આરસ પથ્થર ના ચોસલા જેવી મજબુત છાતી ,નવગ્રહ જેવો તેજસ્વી ચેહરો,પ્રકૃતિ એ પુરુષત્વ નું જાણે બધું જ રૂપ અહી જ સમાવી દીધું હોય એમ લાગતું હતું.

અનિરુદ્ધ વિકર્ણ ના સમક્ષ આવી ઉભો રહ્યો.

વિકર્ણ એને જોઈ ને આનંદિત થઇ ગયા.

અનિરુદ્ધ : આપે મને આ સમયે યાદ કર્યો અવશ્ય કોઈ આવશ્યક કામ હશે ?

વિકર્ણ : હા ....વાત જ કઈક એવી છે .

અનિરુદ્ધ :આપ મને બેજીજક જણાવો.

વિકર્ણ : હકીકત માં આનવ વેલા નો આદેશ છે કે તને અમારી સાથે એક યુદ્ધ માં શામેલ કરવો .

અનિરુદ્ધ : પિતાજી નો આદેશ છે .....તો હજુ સુધી આપણે અહી કેમ ઉભા છીએ કાકા વિકર્ણ .... તુરંત એમના આદેશ નું પાલન થવું જોઈએ.

વિકર્ણ : હા પરંતુ એ પહેલા તારે પૂરી વાત જાણવી આવશ્યક છે .... કે આપણે ક્યાં અને કેમ જઈ રહ્યા છીએ.

અનિરુદ્ધ : થીક છે ...તો આપ જણાવો.

વિકર્ણ એ વિદ્યુત ના વિદ્રોહ ની સર્વ કથા અનિરુદ્ધ ને જણાવી.

અનિરુદ્ધ : જ્યાં વાત નઝરગઢ ની રક્ષા ની છે ,ત્યાં અનિરુદ્ધ પોતાના પ્રાણ પણ ત્યાગી દેશે.

વિકર્ણ : તને કઈ પણ થાય એ પહેલા આ વિકર્ણ પ્રાણ ત્યાગશે એ વચન આપ્યું છે મેં , આનવ ને.

અનિરુદ્ધ અને વિકર્ણ બીજા લોકો પાસે પહોચ્યા અને બીજી ટુકડી સાથે ... નઝર ગઢ ના દક્ષીણ ભાગ તરફ જવા માટે રવાના થયા.

આશરે એકાદ દિવસ ની યાત્રા બાદ શોધખોળ કરતા એ સીમાંતે આવેલા એક વેરાન ગામ તરફ આગળ વધ્યા.

આજુબાજુ ના નજારા જોઈ ને અનિરુદ્ધ ને અત્યંત દુ:ખ થયું.

અનિરુદ્ધ : વિદ્યુત ... પોતાની ક્રુરતા ની સીમા પાર કરી ચુક્યો છે.

વિકર્ણ : એને એની આ ઉદ્દંડતા નો દંડ અવશ્ય મળશે.

જ્યાં જ્યાં એના પગ પડ્યા છે ...એને ત્યાં ફક્ત વિનાશ જ વેર્યો છે.સંપૂર્ણ ભૂમિ જાણે રક્ત થી લાલ થઇ ચુકી છે.

અને એના આ જ કૃત્ય એના ગમન ની દિશા નું સુચન કરે છે.

અનિરુદ્ધ ચાલતા ચાલતા અટકી ગયો

વિકર્ણ : શું થયું ?

તું આમ કેમ અચાનક થોભી ગયો ?

અનિરુદ્ધ : અહી આપણે એકલા નથી ........

વિકર્ણ : મતલબ ?

અનિરુદ્ધ : મતલબ આપણી ખોજ પૂર્ણ થઇ ...... વિદ્યુત અહી જ્ છે ..... હું એની ગંધ મેહસૂસ કરી શકું છું.

વિકર્ણ : ઓહ... તો...એ દુષ્ટ અહી છુપાયો છે.

અનિરુદ્ધ એ ચારેય બાજુ જોયું .... અને આંખો બંધ કરી મહસૂસ કરવા લાગ્યો.

અનિરુદ્ધ : .... કાકા વિકર્ણ ...આપ અહી થી તુરંત નઝર ગઢ પહોચો .

વિકર્ણ : પરંતુ કેમ ?

અનિરુદ્ધ બેબાકળો બની ગયો , “આપ મારી વાત માનો ....આ એક જાળ છે .... એ લોકો એક બે નહિ પરંતુ અસંખ્ય સંખ્યા માં અહી ઉપસ્થિત છે .....

ક્રમશ: ....................................................

નમસ્કાર વાચક મિત્રો ....

નઝરગઢ નવલકથા ની આજ થી શરૂઆત થાય છે ,આશા છે ...આપ ને પ્રથમ ભાગ માં થોડો ઘણો રસ અવશ્ય પડ્યો હશે .

આ નવલકથા માં નવા પાત્રો સાથે ,પૃથ્વી નવલકથા ના ઘણા પાત્રો પણ જોવા મળશે.

આ નવલકથા પણ પૃથ્વી જેટલી જ રોચક અને રસપ્રદ બની રહેશે.જેમાં અનેક રહસ્યો ઉજાગર થશે.આપ લોકો ના સલાહ સૂચનો મને યાત્રા વધારવામાં મદદરૂપ થશે.

જેથી આપના અમુલ્ય સૂચનો અવશ્ય આપવા.

સમય ના અભાવ ના કારણે ભાગ ૨ ની કોઈ નિશ્ચિત તારીખ જણાવવામાં અસમર્થ છું ,પરંતુ આવનાર નવા ભાગ વિષે ની જાણકારી આપને મારા Instagram account -dr.kaushal.nayak.94 પર મળી રહેશે.

આભાર.