dariyana petma angar - 18 books and stories free download online pdf in Gujarati

દરિયાના પેટમાં અંગાર - 18

...અને મહાનગર પાલિકામાં ઉમેદવારો નિર્વાચિત થઈ ગયા. લોકશાહીના પર્વનો એક ભાગ પૂરો થયો છે. શહેરીજનોએ પોતાના ભાગ્યવિધાતાની પસંદગી કરી લીધી છે. તો પ્રથમ સર્વે નિર્વાચિત થયેલ નેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છા....

છ મહાનગરમાં ભાજપનું કમલ ખીલી ગયું. અને કોંગ્રેસનું રાજકીય તેમજ સૈદ્ધાંતિક ધોવાણ થઈ ગયું છે. મારા રાજકીય ગુરુ એવમ કવિકુળના દિપક દિવંગત અટલજીએ સંસદમાં કોંગ્રેસને કહ્યું હતું, " હારમાં આત્મચિંતન હોવું જોઈએ..." પણ આ શબ્દ કદાચ કોંગ્રેસના ગળે ઉતરી શક્યા ન હતા કારણ કે પરિવારવાદનો પટ્ટો ગળામાં બાંધેલો હતો...

છ મહાનગરમાં કારમી હાર જોઈને જેતે મહાનગરના કોંગ્રેસના પ્રમુખો રાજીનામાંના ઘા કરવા લાગ્યા છે. જેમ ભૂતકાળની ચૂંટણીમાં ઘા કરતા હતા તેમ જ... 2017ની ધારાસભાની ચૂંટણી સમયે મેં કહ્યું હતું, કોંગ્રેસે મા, દીકરા, દીકરી અને જમાઈના ચંગુલ માંથી મુક્ત થઈ સરદાર પટેલ, નરસિમ્હા રાવ, લાલ બહાદુર શાસ્ત્રી, મોરાજી દેસાઈ જેવા બાહોશ નેતાઓના વિચારોને જાણવા પડશે. એમને અનુસરવા પડશે. જેમ ભાજપે શ્યામાપ્રસાદ મુખર્જીના સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે. જનસંઘ તૂટી ગયું પણ એ વિચાર કાયમ રહ્યા....

હાલ ભાજપ પાસે ઉપરથી લઈ નીચે સુધી સત્તા છે, એનું કારણ evm નહિ પણ એમનું માઇક્રો પ્લાનિંગ છે, તમે જેની હાંસી ઉડાવી એ પન્ના પ્રમુખ થકી જ ભાજપ છ મહાનગરમાં બહુમતીથી નિર્વાચિત થઈ છે. કોંગ્રેસ પાસે હાલમાં કોઈ કુમાર સ્વામી કામરાજ ખરા...? જે પક્ષના ત્રણ વડાપ્રધાનનું ચયન કરી એમને સર્વોચ્ચ સત્તા પર બિરાજમાન કરી શકે...!

માત્ર સોસિયલ મીડિયા પર ગાળો લખવાથી કે તમામ બાબતનો વિરોધ કરી ચૂંટણી નથી જીતી શકાતી. તમારી જમીન પર કાર્ય કરે એવા કાર્યકર્તા અને નેતાઓ જોઈએ, પણ કોંગ્રેસ પાસે એવું કંઈ છે જ નહીં... ચૂંટણી આવે ત્યારે પોતાની ગુફા માંથી બહાર આવી હાર થાય એટલે evmને ગાળો આપી ફરી ગુફામાં જતા રહે. કોંગ્રેસ પક્ષ જ્યારે મૂળ માંથી ફેરફાર કરશે ત્યારે જ એ આગક વધી શકે એમ છે... રાજીનામું આપવું એનો કોઈ મતલબ નથી, હાર પછી રાજીનામુ આપવું એ કાયરતા છે, એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ કરે કોણ....???

સુરતમાં 27 આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના વિઝન સાથે લોકપ્રતિનિધિ બન્યા છે. તેની સાથે જ ગુજરાતમાં કેજરીવાલની પાર્ટીનું આગમન થઈ ચૂક્યું છે. એ 27 પ્રતિનિધિઓને ખૂબ ખૂબ અભિનંદન અને અનેક શુભેચ્છા પહોંચે... સુરતમાં મજબૂત વિપક્ષ તરીકે બેસવાનો મોકો aapને પહેલી ચૂંટણીમાં મળ્યો છે તો એક ઉત્તમ વિપક્ષ સાબિત થાય એવી આશા રાખું છું. અને લોકોના પાયામાં પ્રશ્નો માટે લડજો, સત્તાપક્ષ સામે બેબાક બની રજૂ કરજો. અને જે જીત મળી છે એ જીત આગળ વધે એવા પ્રયત્ન કરજો.

ઘણા લોકો મફત મફત મફત... આ શબ્દ બોલી ગુજરાતમાં પગરવ કરેલ પક્ષને વખોડી કાઢે છે. મિત્રો કોઈપણ સરકાર હોઈ એ કશું મફતમાં આપતી જ નથી, જે રકમ આવે છે એ આપણા ટેક્સની રકમ છે. અને ફ્રી શિક્ષણ, ફ્રી પાણી, મહોલા ક્લિનિક. આ પ્રાથમિક જરૂરિયાત છે. જે ફ્રી જ હોવું જોઈએ. જેમને આ બાબત ફ્રીમાં મળે એને વાંધો હોઈ તો એમને મારો પ્રશ્ન છે કે, સરકાર દ્વારા મળતા ફ્રી લાભો ને લેવા કેમ લાંબી લાઈનો કરો છો...? જ્યારે 4g લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ફ્રી જીઓનું સિમ લેવા માટે બે બે દિવસ સુધી લાઈનમાં ઉભા હતા. કેજરીવાલે જે સર્જીકલ ટ્રાઈક વિશે નિવેદન આપ્યું એ નિવેદનને એ સમયે પણ મેં વખોડયું હતું અને આજે પણ વખોડું છું, તો એનો અર્થ એ નથી કે એના તમામ કામનો વિરોધ કરતો રહું. શ્યામાપ્રસાદ મુખર્જીએ જે ધરતી માટે બલિદાન આપ્યું એ ધરતી પર ઠોપી બેસાડેલ કલમ 370 જ્યારે નાબૂદ થઈ ત્યારે સરકાર સાથે જ હતો, જ્યારે નોટબંધી ની જાહેરાત થઈ ત્યારે પણ સરકાર સાથે હતો, પણ પછી પરિણામ ન આવ્યું તો એ નિર્ણયની આલોચના પણ કરી છે.

તો એ વાત પણ તમામ નિર્વાચિત નેતાઓ પોતાના દિલ-ઓર- દિમાગમાં બેસાડી દેજો કે સત્તા જ્યારે મળે ત્યારે સંયમ, શિસ્ત અને સમાનતાના ગુણ પણ સાથે આવે છે. સત્તાના નશામાં તાનાશાહ બની જનાર મુસોલિનને ઇટલીની જનતાએ નોચિ ખાધો હતો, અને રુસના નિકોલસ ઝારને રુસની જનતાએ લટકાવી દીધો હતો. તો સત્તાનો સદુપયોગ રાષ્ટ્ર કલ્યાણ માટે થાય એ બાબત મગજની શિલા પર કોતરી નાખજો....

(બાકી જે વિચારધારાને હું વરેલો છું એના માટે ક્યારેય બાંધછોડ તાઉમ્ર નહિ કરું. અને આ પરિણામનું પોસ્ટમોર્ટમ છે.)

✍️મનોજ સંતોકી માનસ✍️

(ક્રમશ:)