Our Excellencies - Part 5 - Ramanarayana Pathak books and stories free download online pdf in Gujarati

આપણાં મહાનુભાવો - ભાગ 5 - રામનારાયણ પાઠક

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


તો ચાલો, મહાનુભાવોની ઓળખ આગળ વધારીએ. આપ સૌનાં પ્રતિસાદ થકી જ મને લખવાની પ્રેરણા મળે છે. તો વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો.

દેશને પ્રસિધ્ધ બનાવવામાં માત્ર વેપારીઓ કે કલાકારોનો જ ફાળો નથી હોતો. કેટલાંક લેખકો અને કવિઓ પણ આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કોઈ પણ દેશને આઝાદ કરાવવામાં એનાં શહીદો મહત્ત્વનો ભાગ ગણાય છે તેમ દેશની સંસ્કૃતિને ઓળખ અપાવવામાં કવિઓ અને લેખકનો ફાળો અમૂલ્ય હોય છે. દેશની સંસ્કૃતિ ખૂબ જ ઓછાં શબ્દોમાં યોગ્ય રીતે સમજાવવી એ કામ એક લેખક કે કવિ જ કરી શકે.

આજે જાણીએ આવા જ એક સુપ્રસિદ્ધ કવિ, લેખક, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર અને પીન્ગળશાસ્ત્રી એવા શ્રી રામનારાયણ પાઠક વિશે.

તેમનું પૂરું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતું. તેમનો જન્મ 8 એપ્રિલ 1887નાં રોજ અમદાવાદ જીલ્લાનાં ધોળકા તાલુકાનાં ગણોલ ગામે થયો હતો. શિક્ષક પિતાના ઘરે જન્મેલ આ બાળક મેટ્રીક પાસ કરી વધુ અભ્યાસ બાદ વકીલ બન્યા. તેમ છતાં પણ વકીલાત કરવાને બદલે તેમણે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રમાં ઝંપલાવ્યું. 'પ્રસ્થાન માસિક' દ્વારા તેમણે સાહિત્યના વિવિધ પાસાઓ વિશેની માહિતી મેળવી.

તેમનાં પર ગાંધીવાદી વિચારોનો ઊંડો પ્રભાવ હતો. ઉમાશંકર જોશી તો તેમને ગાંધીયુગના સાહિત્યગુરુ ન કહેતા હતા, તો યશવંત શુકલ તેમને ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે નવજતા હતા.

તેમનાં પ્રથમ લગ્ન વિશેની માહિતી મળી નથી, પરંતુ બીજા લગ્ન હીરા પાઠક સાથે થયાં હતાં. હીરાબેન કવયિત્રી અને વિવેચક હતાં. તેઓને કોઈ સંતાન ન હતું. તેમણે પોતાનાં પતિ રામનારાયણને શ્રદ્ધાંજલિ આપવા એક કાવ્યસંગ્રહ 'પરલોકે પત્ર' 1978માં બહાર પાડ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં અત્યંત પ્રશસ્તિ પામેલા ગ્રંથો 'આપણું વિવેચનસાહિત્ય' અને 'કાવ્યાનુભવ' એ હીરાબેનની રચનાઓ છે.

1946માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના 16માં પ્રમુખ રહ્યા હતા.

ઇ. સ. 1940માં તેમણે લખેલ ટૂંકી વાર્તા 'ઉત્તર માર્ગનો લોપ' માટે તેમને 1943માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક મળ્યો હતો.

ઈ. સ. 1949માં પ્રાચીન ગુજરાતી છંદો માટે તેમને હરગોવિંદદાસ પારિતોષિક મળ્યો હતો.

ઈ. સ. 1956માં બૃહદ પીન્ગળ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

21 ઓગસ્ટ 1955નાં રોજ હ્રદયરોગના હુમલાથી રામનારાયણજી અનંતયાત્રાએ ચાલી નીકળ્યા.

તેમણે વાર્તાઓ, કાવ્યો અને હળવી શૈલીના નિબંધો અનુક્રમે દ્વિરેફ, શેષ અને સ્વૈરવિહારી ઉપનામથી પ્રસિધ્ધ કર્યા હતા. તેમનાં નામમાં બે વાર 'ર' આવતો હોવાથી તેમણે પોતાનુ નામ દ્વિરેફ રાખ્યું હતું.

સ્વૈરવિહાર 1(1931) અને સ્વૈરવિહાર 2(1937) તેમનાં હળવા નિબંધસંગ્રહો છે, જ્યારે મનોવિહાર (1956) એ એમનો ગંભીર નિબંધોનો સંગ્રહ છે.

પ્રાચીન ગુજરાતી છંદો અને બૃહદ પીન્ગળ એ એમનાં પીન્ગળ ગ્રંથો છે. મધ્યમ પીન્ગળ ગ્રંથ એમનું મૃત્યુ થવાને કારણે અધુરો રહી ગયો.

ફૂલાંગાર એ એમનો નાટ્યસંગ્રહ છે.

શેષનાં કાવ્યો(1938) અને વિશેષ કાવ્યો(1959) એ એમનાં કાવ્યસંગ્રહો છે. વિશેષ કાવ્યો એ એમનો મરણોપરાંત કાવ્યસંગ્રહ છે.

1921માં લખેલું 'રાણકદેવી' એ એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે જે એમણે 'જાત્રાળુ' ઉપનામથી લખ્યો છે.

રજનુ ગજ, મુકુંદરાય, જમનાનું પૂર, કમાલ જમાલની વાર્તા, સૌભાગ્યવતી, ખેમી અને બુદ્ધિવિજય એમની વાર્તાઓ છે.

દ્વિરેફની વાતો ભાગ 1(1928), 2(1935), 3(1942) એ તેમનાં વાર્તાસંગ્રહો છે.

1924માં નગીનદાસ પારેખ સાથે મળીને એમણે વાર્તાસંગ્રહ 'ચુંબન અને બીજી વાતો' રજુ કર્યો હતો, જે યુરોપિયન વાર્તાઓનો સંગ્રહ છે.

તેમનાં વિવેચનગ્રંથો નીચે મુજબ છે:-

1. અર્વાચીન ગુજરાતી કાવ્યસંહિતા 1933
2. નર્મદાશંકર કવિ 1936
3. અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો 1938
4. કાવ્યની શક્તિ 1939
5. સાહિત્યવિમર્શ 1939
6. નર્મદ - અર્વાચીન ગદ્યપદ્યનો આઘ્ય પ્રણેતા 1945
7. સાહિત્યલોક 1954
8. નભોવિહાર 1961
9. આકલન 1964
10. કાવ્યપરિશીલન 1965 (નગીનદાસ પારેખ સાથે)
11. શરદસમીક્ષા 1980.
(અંતિમ ચાર મરણ પછી રજુ થયેલ છે.)



આપ સૌ વાચક મિત્રોનો આભાર માની અહીં વિરમું છું.

સ્નેહલ જાની.