Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - માનવડ્રેસ


શીર્ષક:- માનવ ડ્રેસ
©લેખક:- કમલેશ જોષી

મારા ભાણીયાએ પૂછ્યું : મામા કેજ્યુઅલ અને ફોર્મલ કપડા એટલે? મેં ગુગલ કરેલો જવાબ આપ્યો: જે રોજબરોજ પહેરવામાં આવે એ કપડા એટલે કેજ્યુઅલ અને કોઈ ખાસ પ્રસંગ, પાર્ટી વખતે સ્પેશીયલ પહેરવામાં આવે એ ફોર્મલ કપડા. એને થોડું ઘણું સમજાયું અને થોડું ઘણું ઉપરથી ગયું, પણ મને કપડા વિષે થોડા વિચારોએ ઘેરી લીધો. ડ્રેસિંગ સેન્સ પણ આજના જમનામાં એક ક્વોલીટી માનવામાં આવે છે. આપણા સમાજમાં કપડાનું-રંગોનું કેટલું બધું મહત્વ છે નહીં? લગ્ન જેવા શુભ પ્રસંગોમાં લાલ-લીલા-પીળા વસ્ત્રો પહેરી શોભતો વ્યક્તિ, સ્મશાનયાત્રા કે ઉઠમણાંમાં કેવો સફેદ શાંત રંગનાં સીધા સાદા વસ્ત્રો પહેરી બે હાથ જોડતો ઉભો હોય છે. નાનપણમાં નિશાળે જતા બાળકનો યુનિફોર્મ જોઇને એ કઈ સ્કૂલનો વિદ્યાર્થી છે એ ખબર પડી જતી.

ખાખી કપડા પરથી પોલીસને કે એપ્રોન પરથી ડોક્ટર કે ધોતિયું-ખેસ પરથી પુજારીને ઓળખતા આપણને વાર નથી લાગતી. પોલીસ એટલે કાયદાનો રક્ષક, ડોક્ટર એટલે આપણી તંદુરસ્તીનો રક્ષક અને પુજારી એટલે ધર્મનો રક્ષક એવું આપણે તરત જ સમજી જઈએ છીએ. એક વડીલે કહ્યું : આજકાલ તો લોકો ટોપી પહેરતા થઇ ગયા છે, જુના જમાનામાં પાઘડીનું બહુ મહત્વ હતું. આજકાલ તો મોટાભાગના લોકો ઉઘાડા માથે ફરતા હોય છે જુના જમાનામાં પાઘડી ઉતારવી એ જાણે આબરૂ ઉતારવા જેટલી ગંભીર બાબત હતી.

આબરૂ એટલે શું? આબરૂ એટલે જીવનનું-જીવન પદ્ધતિનું એક આદર્શ લેવલ. દરેક યુનિફોર્મ સાથે એક આદર્શ જીવન પદ્ધતિ જોડાયેલી હોય છે. યુનિફોર્મ ઉપરથી તમને જોનાર વ્યક્તિ ધારી લે છે કે તમે તમારા જીવનમાં આમુક ચોક્કસ આદર્શો આત્મસાત કર્યા હશે. વ્યક્તિના ખાખી કે ફૌજી કપડા જોઈ દેશ પ્રેમ, સુરક્ષા અને ખાદીના વસ્ત્રો જોઈ લોકસેવા માટે સમર્પિત હોવાનું ધારી લેવામાં આવે છે. આવા ઉચ્ચ આદર્શોવાળા વ્યક્તિને સમાજ વિશેષ માન સન્માન આપતો હોય છે.

જીવનનું એક આદર્શ લેવલ છોડનાર વ્યક્તિને માટે લોકો નિર્વસ્ત્ર (નો રફ) વર્ડ વાપરતા હોય છે. કોઈની વ્યક્તિની સાથે જયારે ‘આ’ વિશેષણ જોડાય છે ત્યારે એણે વસ્ત્રો તો ટનાટન પહેરેલા હોય છે, પરંતુ કેટલીક સામાજિક આચાર સંહિતાઓ એ ચુકી ગયો હોય છે. માણસ કદાચ ટનાટન વસ્ત્રોને બદલે સાડા-સીધા-સસ્તા વસ્ત્રો પહેરે તો ચાલે, પરંતુ સામાજિક આચારસહિતાઓ બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ બહુ મોંઘી પડતી હોય છે.
રઘુકુળે ‘પ્રાણ જાય, પણ વચન ન જાય’ ની આચાર સંહિતા આત્મસાત કરી હતી. રામે રાજકુમાર હોવા છતાં કોઈ દલીલ કર્યા વિના, નાકનું ટીંચકુ ચઢાવ્યા વિના, એ પરંપરા નિભાવી એટલે જ તો સમાજે રામને ‘અવતાર’ તરીકે પૂજ્યા. કોઈ રીક્ષા વાળો જયારે પેસેન્જરની દોઢલાખ રૂપિયા કે દાગીના ભરેલી થેલી ઈમાનદારીથી પરત કરે છે ત્યારે એના વસ્ત્રો ભલે કદાચ થીગડા વાળા હોય પરંતુ એ દિવસ પુરતો તો એની ભીતરે બેઠેલો કનૈયો પ્રસન્નતાથી વાંસળી વગાડતો એ ‘ઈમાનદાર ક્ષણો’ની નોંધ એની ‘કર્મ ફળ ડાયરીમાં’ લખતો હોય છે. શું સુદામાના પેલા તાંદુલનો અર્થ માનવ જીવનની ‘ઈમાનદાર ક્ષણો’ થતો હશે? શું તે દિવસે કાનુડાએ સુદામાની એ ‘તેજસ્વી ક્ષણો’નો હિસાબ ‘ગાડી બંગલા અને નોકર ચાકર’થી વાળ્યો હશે?

આપણે જે ‘માનવડ્રેસ’ પહેર્યો છે એ જ ડ્રેસ રામે, કૃષ્ણે પહેર્યો હતો. રામ-કૃષ્ણ જેવું બેસ્ટ પરફોર્મન્સ ન આપી શકીએ તો સ્વામી-વિવેકાનંદ, નરસિંહ મહેતા, મીરાબાઈ પણ આપણી સામે હાથ લંબાવી ઉભા છે. જો એમની આંગળી ન પકડી શકીએ તો શેરી-સોસાયટી-ઓફીસમાં કોઈ સજ્જન ને ફોલો કરીએ. એટલું પણ ન થઇ શકે તો જે ‘આડોશી-પાડોશી-સ્નેહી-સ્વજન’ એમના રસ્તે જઈ ‘જીવન ખીલવવા’ મથી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરીએ. એટલીસ્ટ કંસ-જરાસંઘ કે દુર્યોધનની જેમ એમની ‘આડે’ તો ન જ આવીએ. કેમ કે આખરે તો કંસ-દુર્યોધન-જરાસંઘ ટાઈપના લોકો પણ ‘માનવડ્રેસ’માં જ હતા ને?

કૃષ્ણ કહે છે કે જન્મ અને મરણ એ વસ્ત્રો બદલવાની પ્રક્રિયા છે. આ જન્મે આપણે માનવ વસ્ત્રો પહેર્યા છે. જેમ ખાખી કપડા સાથે કેટલીક વિશિષ્ટ સતા અને જવાબદારી જોડાયેલી છે એમ જ માનવ વસ્ત્ર સાથે પણ કેટલીક આચાર સંહિતાઓ જોડાયેલી છે. જયારે આપણે ‘પશુ’ વસ્ત્રમાં હોઈશું ત્યારે આપણને ‘ભસતા કે કરડતા કે રખડતા કે ઝઘડતા’ કોઈ નહિ રોકે, પણ આ જન્મે આપણે ‘માનવ’ વસ્ત્રમાં છીએ. વી આર અપોઈન્ટટેડ એઝ હુમન બીઈંગ. શાસ્ત્રોમાં કહ્યું છે
‘આહાર, નિંદ્રા, ભય, મૈથુનં ચ, સામાન્ય એતત પશુભીર્નરાણામ,
ધર્મો હિ તેષામધિકો વિશેષ: ધર્મેણ હીના: પશુભિ: સમાના’.

હું અને તમે એવું શું ક્રિએટીવ કરીએ છીએ જે કુતરું, ગાય કે સિંહ, હાથી કે આંબા અને વડલાથી આપણને જુદા પાડે છે. તમે વૈજ્ઞાનિકો એ કરેલી શોધ ન ગણાવતા એ એમણે કરેલી છે, આ વાત મારી અને તમારી છે. (જો તમે વૈજ્ઞાનિક હો તો તમને સેલ્યુટ). જેમ એક પોલીસ ઇન્સ્પેકટર અને એક વેપારીના રોજીંદા જીવનમાં ફર્ક હોય છે એમ જ ‘માનવ’ અને ‘માનવેતર’ સજીવો વચ્ચે કૈંક તો ફર્ક હોવો જોઈએ ને? આ ફર્ક જેટલો વધુ અને પોઝીટીવ એટલો આપણો ‘માનવડ્રેસ’ રૂડો, રૂપાળો અને ટનાટન અને જો આ ફર્ક ઝીરો તો આપણે પણ ‘નિર્વસ્ત્ર’.

રામે તો વચન પાલનની ‘મોંઘામાં મોંધી’ કીમત ચૂકવી ‘માનવડ્રેસ’ની ટોપ ક્વોલીટી એટલે કે ‘ઈશ્વરત્વ’ ખરીદ્યું. હું કે તમે આપણા ‘બિહેવિયર’માં ‘ઈશ્વરત્વ’ નહિ તો ‘સંતત્વ’, અને એ નહિ તો ‘સજ્જનત્વ’ પણ જો આજના રવિવારે પહેરીએ તો પણ આપણી સાત પેઢી ખુશ થશે. શું લાગે છે? ટ્રાય કરીશું?

- kamlesh _joshi_sir@yahoo.co.in