svarachit karavas books and stories free download online pdf in Gujarati

સ્વરચિત કારાવાસ

મીરા રોડમાં રહેતું એક મધ્યમવર્ગીય કુટુંબ , ખાધે પીધે સુખી કહી શકાય એવું , પરિવારમાં પતિ પત્નીને બે દીકરીઓ, કલ્યાણી ને હર્ષિણી.
કિલ્લોલ કરતુ નાનું કુટુંબ, બંને દીકરીઓ ભણીને જીવનમાં કઈંક કરી બતાડે એવા આશયથી માબાપે તમામ ખુશી ને મોજશોખને મનથી તિલાંજલિ આપી હતી. શાંત નદીની જેમ જિંદગી વહી રહી હતી.


યુવાની ટકોરા દઈ રહી હતી ને મોટી દીકરી કલ્યાણીને. માત્ર શારીરિક જ નહીં માનસિક ભાવાત્મક પરિવર્તન સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું .
અચાનક જિદ્દી , માબાપ પાસે નાની નાની વાતોમાં જીદ કરતી , સ્કુલ ન જવાના બહાના શોધતી કલ્યાણી અચાનક એકદમ ડાહીડમરી દીકરી થઇ ગઈ હતી. રોજ મિત્રો સાથે રખડપટ્ટી માટે માબાપ સાથે ઝગડા કરતી , ઘરમાં હોય તો વર્તાયા વિના ન રહે એ કલ્યાણી પોતાના રૂમમાં કલાકો સુધી વાંચતી રહેતી કે પછી , મ્યુઝિક સાંભળતી બેઠી હોય એ સીન સામાન્ય થઇ ગયો હતો .

મમ્મી મનીષા તો એકદમ ખુશ. એને તો આ વાત કોઈ સ્વપ્નથી ઓછી નહોતી લાગી રહી. પપ્પા રાકેશભાઈ તો ઘરમાં હોય તો જુએ ને. અકાઉન્ટન્ટની નોકરી તે પણ પૂરા બે કલાક આવવામાં ને બે કલાક જવામાં ટ્રેનમાં વીતતા , ઓફિસ પહોંચવાનું , સાંજે ઘેટાંબકરાંની જેમ ભરાઈને ઘર સુધી પહોંચ્યા ત્યાં તો રાત પડી ગઈ હોય. લૂસપૂસ ખાઈને પથારીભેળા થવાનું , બીજી સવારે ધક્કા ખાવા માટે . આ હકીકત છે , જેની પ્રતીતિ મુંબઈ બહાર રહેનારને કદી ન થાય. મુંબઈમાં મધ્યમવર્ગ માટે બાળકોને ઉગીને ઉભા થતા જોવા એ વાત સામાન્ય ખુશી નહીં અણમોલ લક્ઝરી છે.
જો કોઈને મુંબઈમાં વસતાં લોઅર મિડલક્લાસની સ્થિતિ ન ખબર હોય તેઓ જાણી લો કે પશ્ચિમી પરામાં ખારાપાટ પર કાચી ઝૂગી ઝૂંપડી કરતા થોડી બહેતર કહી શકાય એવી 8 ફૂટ બાય 8 ફુટના રૂમને લોકો ઘર કહે છે.

આપણી કલ્યાણી પણ આવા જ ઘરમાં રહેતી હતી પણ અન્ય લોકો કરતા થોડી બહેતર સ્થિતિમાં. રાકેશભાઈની નોકરી કાયમી હતી અને પગાર પણ સારો એટલે તેમને ત્રણ ચાર રૂમ ભેગા કરી એક બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ બનાવી દીધો હતો.
કલ્યાણી ને એની નાની બેન હર્ષિણી , બે દીકરીના સમજુ માતા પિતા દીકરાની હોંશ રાખવાને બદલે દીકરીઓને જ દીકરાઓ જેવું શિક્ષણ આપવા માટે કસી કસીને બચત કરતા રહ્યા હતા તેનાથી અવગત હતા એટલે મન દઈને અભ્યાસ કરતા . બંને દીકરીઓ તેજસ્વી હતી , નામ ઉજાળે એવી.

મુંબઈ મહાનગરી ખરી એ વાતમાં નામ નહીં પણ નિમ્ન મધ્યમવર્ગ અને એમાં પણ અલ્પશિક્ષિત , ન્યાત જાતમાં માનનાર લોકોની વસ્તી પણ વિશાળ છે. દીકરી કાઠું કાઢે એટલે પરણાવવી જ રહી તેવી રોગિષ્ટ માનસિકતા આજે પણ છે. એવા એક પાડોશી સરોજ બેન કલ્યાણી માટે માંગુ લઈને આવ્યા .
સરોજબેનની વાત સાંભળીને મનીષાનું તો માથું ફરી ગયું. એને સરોજબેનને રીતસરના ઝૂડી નાખ્યા : મારી દીકરી હજી બારમાની પરીક્ષા આપવાની છે. કોલેજના પગથિયાં પણ ન જુએ ? અરે મેં ને એના પપ્પાએ તો વિચાર્યું છે કે એને સીએ થવું હોય તો એ કરે કે લૉ કરવું હોય તો પણ વાંધો નહીં. મારી દીકરીઓ મારા દીકરા છે. બીજીવાર આવી વાત કરતા નહીં , બીજા પાંચ છ વર્ષ તો અમને વિચારવું પણ નથી.

સરોજબેન મનીષાનો ચહેરો તાકતા રહ્યા. વધુ બોલવાને બદલે વાત તો ત્યાં પતી પણ ઘરમાં ચર્ચા તો થઇ જ હતી. લગ્નની વાત સાંભળતા કલ્યાણીનો ચહેરો પડી ગયો. મનીષા ને રાકેશને થયું કે કલ્યાણી સમજી કે એને વહેલી પરણાવી દેશે એ ચિંતામાં ઉદાસ થઇ ગઈ પણ ત્યારે કોઈને સાચી વાતની ખબર જ ક્યાં હતી ?

આ વાતને થોડાં દિવસ માંડ થયા હશે. એક દિવસ કલ્યાણી મોડી સાંજ સુધી ઘરે ન આવી. મોબાઈલ સ્વિચ ઑફ હતો. પહેલા તો થયું બેટરી ઉતરી ગઈ હશે. કે પછી કોચિંગ ક્લાસમાં એક્સ્ટ્રા ક્લાસ હશે , ફ્રેન્ડને ત્યાં ગઈ હશે પણ રાકેશભાઈ ઘરે આવી ગયા ને કલ્યાણીનો પત્તો નહીં. ડર લાગ્યો કે કોઈ અકસ્માત તો નડ્યો નહીં હોય ને ? પાડોશીને લઈને રાકેશભાઈ પહોંચ્યા પોલીસ સ્ટેશન , ત્યાંથી જવાબ મળ્યો 24 કલાક રાહ તો જુવો , મોટેભાગે એવું જ બને છે કે આ ઉંમરના બાળકો પાછા આવી જ જાય છે.

પોલીસનો પહેલો પ્રશ્ન હતો કે મામલો પ્રેમ પ્રકરણનો હતો?
જવાબમાં ના સિવાય કોઈ જવાબ નહોતો , ઘરમાં વાતાવરણ સ્વચ્છન્દ નહીં પણ સ્વતંત્રતાની મોકળાશ આપતું તો હતું જ. ન તો એની મરજી વિરુદ્ધના કોઈ ફેંસલા હતા. તો પછી ?

દિવસો વીત્યા તો પણ કલ્યાણી ન આવી. પોલીસ સંપૂર્ણરીતે કાર્યરત થઇ. સામાજિક સંસ્થા પણ મદદે આવી પણ કલ્યાણીનો કોઈ પત્તો જ નહીં . એ આભમાં ઓગળી ગઈ કે ધરતી ગળી ગઈ. રાકેશભાઈ ને મનીષાની હાલત તો જોવા જેવી, બંને ચિંતામાં પાગલ જેવા થઇ ગયા. દિવસો વીતતા ગયા , પોલીસ તપાસમાં પણ ભાળ ન મળી પણ માત્ર એટલું જાણી શકાયું કે કલ્યાણીનો ફોનની લોકેશન છેલ્લે ઘર જ હતી. મનીષાએ ખૂણે ખૂણો ફેંદી નાખ્યો ત્યારે તકિયાના કવરમાં સ્વીચ ઑફ કરેલો ફોન મળ્યો. એટલે એક અર્થ એ પણ થતો હતો કે કલ્યાણી પોતે જ ઘર છોડીને ભાગી ગઈ હતી ?

રાકેશ ને મનીષા બંનેની વાચા હરાઈ ગઈ હતી. મન ઊંડે ઊંડેથી પોકારતું હતું કે પોતાની દીકરી આવી છેતરપિંડી હરગીઝ ન કરી શકે. એની સાથે કશુંક તો અઘટિત તો થયું જ હતું .

મનીષા માટે સૌથી મોટી આપત્તિ હતી લોકોનો બદલાઈ ગયેલો વ્યવહાર , જેને સગાંથી વિશેષ માન્યા હતા એ પાડોશીએ હળવા મળવાનું ઓછું કરી નાખ્યું. હર્ષિણી સાથે સ્કૂલમાં છોકરીઓ બોલતી પણ નહીં. કમને કપરો નિર્ણય લેવો પડ્યો ઘર બદલવાનો.
રાકેશ મનીષાએ એક વાત નક્કી કરી , માત્ર ઘર નહિ જગ્યા જ બદલી નાખવી, હર્ષિણીની સ્કૂલ પણ બદલવી રહી.
આખી વાત વિસારે પાડવાની હતી જે દુષ્કર નહીં અશક્ય હતી.

દિવસો વીતતા રહ્યા. જીવન થાળે પડતું જતું હતું જાણે એક અંગ કપાઈને છૂટું પડી ગયું હતું જેનો બોજ ઉઠાવવાનો હતો નાની હર્ષિણીએ.અજાણતાં જ માબાપનો પહેરો વધી ગયો. એક એક મિનિટનો હિસાબ આપવો પડતો.

અઢી વર્ષ વીતી ગયા , કલ્યાણીની કોઈ ભાળ ન મળી. કદાચ કોઈએ એની સાથે અઘટિત કૃત્ય કરી મારી નાખી હશે ? રાકેશને એ વિચાર આવી જતો ને શરીરમાં ધ્રુજારી ફરી વળતી .

મરનારની સાથે કોઈ મરતું નથી એવું સાંભળ્યું હતું હવે એવું જીવન જીવવાનું હતું .

એક બપોરે ઓફિસમાં કામ કરી રહેલા રાકેશભાઈના મોબાઈલ પર એક મેસેજ ઝબક્યો : પપ્પા, મને બચાવી લો પ્લીઝ, મેસેજ મોકલનારનું નામ નહોતું પણ પપ્પાનું સંબોધન બીજું કોણ કરી શકે ?
સેન્ડરનો નંબર અજાણ્યો હતો.

રાકેશભાઈએ સીધો સંપર્ક પોલીસ સ્ટેશનમાં કર્યો. ફોન નંબર પરથી ટ્રેસ કરતા વાર ન લાગી . મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસની સાથે મળીને કામ કર્યું .
પોલીસ પાર્ટી સાથે રાકેશ ભાઈ પહોંચ્યા ઉત્તર પ્રદેશના એક ગામમાં. કાચા રસ્તા, ઇલેક્ટ્રિકસીટી ને પાણીના ઠેકાણાં નહીં . રાકેશભાઈને વિશ્વાસ નહોતો બેસી રહ્યો કે આ ગામમાં કલ્યાણી અઢી વર્ષ રહી હોય.

આખરે કોઈ કાચા બિસમાર મકાન પાસે પોલીસ જીપ ઉભી રહી. ઘરના આંગણમાં પડેલા કાથીવાળા ખાટલામાં બેઠી બેઠી એક વૃદ્ધ સ્ત્રી નાના બાળક સાથે રમી રહી હતી. પહેરવેશ પરથી સાફ દેખાઈ આવતું હતું કે મુસ્લિમ હશે. ઘરમાં કોઈ પુરુષ નહોતા. પોલીસ આવવાથી લોકો ભેગું થઇ ગયું. ઘરમાં અન્ય એક યુવતી હતી જે કદાચ એ બાળકની મા હતી. રાકેશભાઈની નજર તો કલ્યાણીને શોધી રહી હતી. એ કદાચ એ પામી ગઈ હોય તેમ એને ઈશારો કર્યો.
રુકૈયા , અંદર જા, વૃદ્ધાએ આદેશ કર્યો ને પોલીસને રોકવા માટે વચ્ચે આવી પણ પોલીસે હડસેલીને ઘરમાં એન્ટ્રી કરી જ લીધી .
રુકૈયા ઈશારો કરી રહી હતી.

એના ઈશારાની કોઈ અસર પડતી ન જણાતી જોઈ દૂબળી પાતળી યુવતી પાસે આવી .
'પપ્પા, હું કલ્યાણી'
રાકેશ ભાઈ તો અવાચક થઇ તાકી રહ્યા . એ પોતાની દીકરીને ઓળખવામાં અક્ષમ હતા. ક્યાં ગોરી , ઊંચી , ભરાવદાર કલ્યાણી? ને આ કોઈ અચાનક અકાળે વૃદ્ધ થઇ રહી હોય એવી યુવતી ?
શરીરના કોઈ અંગમાં માંસ નહોતું , આંખો નિસ્તેજ, ઊંડી ઉતરી ગઈ હતી , આંખોની નીચે કાળાં કુંડાળા ને બેસી ગયેલા ગાલમાંથી ઉપસી આવેલા હાડકા કેટલી હદે કુપોષિત હશે તેનો ચિતાર આપવા પૂરતા હતા. ભૂખરા વાળમાં લગાવેલી મહેંદીને કારણે કલ્યાણી કદરૂપી કરતાં બિહામણી વધુ લગતી હતી. શરીર પરના વસ્ત્રો પરથી લાગતું હતું કે કદાચ દિવસોથી એ ધોવાયા નહીં હોય.

પોલીસ વૃદ્ધાને પૂછપરછ કરી રહી હતી જેમાં એ સહયોગ આપવાને બદલે મોબાઈલ પરથી કોઈને નંબર લગાવવામાં વ્યસ્ત હતી.
'પપ્પા, મને અહીંથી કાઢો, જલ્દી કરો , એ આવી જશે તો મુશ્કેલી થઇ જશે.' કલ્યાણીના ભયભીત હતી.
પોલીસ સરંક્ષણ સાથે લેડી પોલીસ કોન્સ્ટેબલ સાથે બાપ દીકરીને રવાના કર્યા પછી પોલીસ તો પોતાના કામે લાગી પણ કલ્યાણીની આપવીતી સાંભળીને સ્તબ્ધ થઇ જવાનો વારો રાકેશભાઈની હતો.

ન તો કલ્યાણીનું અપહરણ થયું હતું ન એને કોઈ પ્રેશર હેઠળ ઉઠાવી જવાઈ હતી.
એ પોતાની મેળે ભાગી હતી આરીફ સાથે . જેની શોધમાં પોલીસે શરુ કરી ને નહિવત સમયમાં પકડી પડ્યો એની બીજી પત્ની સાથે . કલ્યાણી તો કેટલામાં શિકાર હતી એ પણ એને પોતાને યાદ નહોતું . એનું માત્ર કામ હતું છોકરીઓને પ્રેમમાં પાડવાનું , ઘરેથી હાથફેરો કરીને ભગાવી જવાનું , હિન્દૂ છોકરી હોય તો વધુ સારું ,ધર્મપરિવર્તન કરાવી ને રોકડા કરવાનું .

કલ્યાણી જયારે પ્રેમમાં પડી ત્યારે અબુધને આ કોઈ ખ્યાલ નહોતો .જયારે ખ્યાલ આવ્યો ત્યારે તો મોડું થઇ ચૂક્યું હતું .

પાંચ અગિયાર ઊંચાઈ, ગોરો વાન ને સોહામણો ચહેરો , પાડોશી હતો એ , આ વાતની રાકેશભાઈને ખબર સુધ્ધાં નહોતી . પાંચ છ બિલ્ડીંગ છોડી ને રહેતો આરીફ કહેતો સિરિયલોમાં નસીબ અજમાવવા આવ્યો હતો એમ કહીને ફ્ક્ક્ડધારી બની બાઈક પર ઘૂમતો ને કલ્યાણી જેવી કેટલીયને ફસાવતો હતો.

સૌથી મહત્વની વાત તો એ હતી કે કલ્યાણી અઢી વર્ષ સુધી ચૂપ કેમ રહી ને વાસ્તવિકતાની જાણ થયા પછી તરત જ માબાપને જાણ ન કરી?

કલ્યાણીનો જવાબ સાંભળીને તો રાકેશભાઈના પગ તળેની જમીન ખસકી ગઈ.
કલ્યાણી પ્રેગનેન્ટ હતી એટલે ભાગી હતી. થયું હતું કે મઝહબ ભલે જૂદા હોય પણ પ્રેમ નહીં . એક દિવસે માબાપને જરૂર સમજાવી શકશે અને પતિને બાળક સાથે પિયર જવાના સ્વપ્ન પર થોડા સમયમાં જ પાણી ફરી વળ્યું . મુંબઈ જેવા શહેરમાં વસતી એક ચુસ્ત હિન્દુ છોકરીએ લાઈટ ને પાણીના નળ સુધ્ધાં ન હોય તેવા ગામમાં નોન વેજ રાંધવાથી માંડી બુરખામાં રહેવાની જેલ તો સહન કરી પણ છેલ્લે છેલ્લે ખબર પડી કે આરીફની એ એકમાત્ર પત્ની નહોતી , આ તો એનો ધંધો હતો. ધર્મપરિવર્તન કરાવી પૈસા કમાવવાનો . એ જ ધર્મની છોકરી હોય તો એને ઠગવાનો .

બાળક તો આવી ગયું હતું , જાય તો જાય ક્યાં ? પણ છેલ્લે છેલ્લે હદ થઇ ગઈ , વારંવાર અસહ્ય મારપીટ , પ્રેમને નામે રોજેરોજ શરાબી જુગારી પતિના હાથે સિગરેટના ડામ સહેવા શક્ય નહોતા . કલ્યાણીનું માતૃત્વ પણ જવાબ દઈ ગયું ને એણે પોતે જ પતિના મોબાઈલથી પિતાને મેસેજ મોકલ્યો હતો.

રાકેશભાઈ કલ્યાણી લઈને મુંબઈ તો આવ્યા છે પણ માત્ર કલ્યાણીની જ નહીં સમગ્ર કુટુંબની વાચા હરાઈ ગઈ છે. કલ્યાણીમાં રહેલી મા મરી પરવારી છે. ન તો એને પોતાનું બાળક જોઈએ છે ન એ સમયની યાદ .

સમય વીતવાની સાથે કદાચ દુઃખ ને યાદ હળવી થઇ શકશે એવી સંભાવના સહુ રાખે છે પણ એ આશ્વાસન કેટલું પોકળ છે તે સૌ જાણે છે, કદાચ બાળક ન થયું હોત તો એ શક્યતા રહેતે પણ ખરી. હાલ તો શક્યતા ઓછી લાગે છે.

રાકેશ અને મનીષાએ માતાપિતાનું કર્તવ્ય નિભાવ્યું છે. આજે કલ્યાણી કાયદાનો અભ્યાસ કરી રહી છે.

દિલથી લીધેલા ફેંસલાએ કલ્યાણીને કેવી યાતના આપી છે એ બયાન કરવાની હિમંત આજે પણ એનામાં નથી. એ ભૂલી જવા માંગે છે એ ભૂલને , જાણે આવું કંઈ ઘટ્યું જ નથી છતાં ક્યારેક એક નિર્દોષ ચહેરો એની આંખ સામે આવી જાય ને પૂછે છે : મા, મારો જન્મ તે કરેલા ભૂલની સજા માટે છે ?

કલ્યાણી પાસે તો કોઈ ઉત્તર નથી , તમારી પાસે છે ?

પોતાની જાતને બિનસાંપ્રદાયિક માનતા મિત્રોને અનુરોધ છે કે આ સત્ય હકીકત છે. કલ્યાણી , નામ બદલ્યું છે અને તેનું ફેમિલી આજે પણ મુંબઈમાં જ વસે છે. માત્ર તેમની ઓળખ છતી ન થાય તેથી વિગતોમાં થોડા ફેરફાર કર્યા છે.