Kalmsh - 12 books and stories free download online pdf in Gujarati

કલ્મષ - 12

આખરે પ્રોફેસર શ્રીવાસ્તવ સાથે શું સંબંધ હતો ? કોઈ નહીં.

લોહીનો સંબંધ નહોતો તે છતાં વિવાન પ્રોફેસરનો અસ્થિકુંભ લઈને ઋષિકેશ ગયો હતો. અસ્થિને ગંગાજીમાં વહાવવા..

પ્રોફેસર શ્રીવાસ્તવનો આ ફેવરિટ વિષય હતો. મૃત્યુ પછીનું જીવન. વિવાન સાથે આ વિષય પર કલાકો વાતો થતી રહેતી . એ અકલ્ટ સાયન્સના અચ્છા જાણકાર હતા. આખું જીવન મનોગત વિજ્ઞાનની સાધનામાં ગયું હતું અને વિવાનના આવ્યા પછી એની સાથે થતી ચર્ચામાં વિવાન એટલું તો તારવી શક્યો હતો કે પ્રોફેસર ભલે હોય નાસ્તિક પણ આ બધામાં ઊંડો રસ ધરાવે છે.

કોઈએ કહ્યું નહોતું છતાં વિવાન પોતે અસ્થિકુંભ લઈને નીકળી પડ્યો હતો. એ ત્યાં હતો ત્યારે જ ત્યારે દિનકર ત્રિપાઠીએ જાણ કરી હતી સોલિસિટરની મિટિંગની.

'હલો વિવાન. ક્યારે પાછો આવે છે ?' વિવાન ઋષિકેશ હતો ત્યારે જ ત્રિપાઠીનો ફોન આવ્યો હતો.

'કોઈ ખાસ કામ ? ' વિવાને પૂછ્યું હતું. પ્રોફેસરના જવાથી દિલ અસાધારણપણે ઉદાસ હતું. રિક્તતાથી ભરેલું.જાણે કોઈ પોતાનું સદાકાળ માટે ગુમાવ્યું હોય તેવો ચચરાટ દિવસરાત થતો રહેતો. ખાલી થઈ ગયો હતો. મન તો ચાહતું હતું કે મન મૂકીને રડે. પાસે ન તો કોઈ દોસ્ત હતો કે ભાઈ જેની પાસે દિલ ખોલી રડી શકાય. મોડી સાંજે ગંગાજીના ઘાટ પર વિવાન છૂટ્ટે મોઢે રડી પડતો એ પછી એને કૈંક રાહત વળતી. છતાં મનમાં જામી રહેલો ચચરાટ કેમેય કરીને શમવાનું નામ જ નહોતો લેતો . ઉપર આભ અને નીચે ગંગાજી એ સિવાય પોતાનું આખી દુનિયામાં કોઈ જ ન હોવાની લાગણી બળવત્તર થતી જતી હતી. ત્યારે જ આ ત્રિપાઠીનો ફોન આવ્યો હતો.

'વિવાન, તું ક્યારે પાછો આવે છે? સોલિસિટરની મિટિંગ રાખી છે.'

'એમાં મારુ શું કામ છે ? ' વિવાને સ્વાભાવિકપણે પૂછ્યું હતું. '

એ મને નથી ખબર , પણ મને સોલિસિટરનો ફોન આવ્યો હતો. એટલે તને જાણ કરવી જરૂરી લાગી.' પ્રકાશક ત્રિપાઠી જ હવે એક વ્યક્તિ બચી હતી જેને વિવાનના સગડ હોય.

વિવાનનું ચાલતે તો હજી બીજા પંદર દિવસનું રોકાણ ઋષિકેશમાં કરી નાંખત.વિવાનને યાદ આવતી રહેતી પ્રોફેસર સાથેના વાર્તાલાપ, જે કલાકોના કલાકો દિવસોના દિવસો ચાલતા રહેતા.

'કહેવાય છે કે મરણના બાર દિવસ સુધી આત્મા આ વિશ્વ છોડતો નથી. અને એટલે જ પોતાની પાછળ થતી રોકકળ, સંતાપ, શોક, વિધિ વિધાન તમામનો સાક્ષી બની રહે છે. ' પ્રોફેસર શ્રીવાસ્તવ આ અગમનિગમ નિયમોમાં ખૂબ માનતા હતા. : કહેવાય છે કે મૃત્યુના બાર દિવસ સુધી જો મૃતકના નામે ભિક્ષુઓને જમાડે તો તેનાથી મૃતકના આગલા ભવનું શરીર બને છે. એટલે કે અન્નદાન જીવને એક તંદુરસ્ત શરીર આપે છે.

વિવાન માટે આ તમામ વાતો રોચક કથા સિવાય વધુ નહોતી પણ પ્રોફેસર શ્રીવાસ્તવ પાસે આ તમામના ઠોસ કારણો હતા. જે જાણ્યા પછી વિવાનને પોતાને રસ પડતો ગયો અને એ રિસર્ચમાં વધુ ઊંડો ઉતરતો. એક સમય એવો આવ્યો હતો કે વિવાન આ તમામ વાતોમાં વિશ્વાસ કરવા લાગ્યો હતો એટલે જ એણે પ્રોફેસરના અસ્થિ ગંગામાં વહાવ્યા પછી બાર દિવસ ભિક્ષુઓને ભોજન કરાવવા માટે નક્કી રાખ્યા હતા. એ વિધિ છોડીને તો હરગીઝ નહીં આવું તેમ ત્રિપાઠીને સ્પષ્ટ જણાવી દીધું હતું તેથી વિવાનના આગમન પછી સોલિસિટર સાથે મિટિંગ રાખવી એમ નક્કી થયું હતું.


ત્રિપાઠી સાથે નિયત કરેલા સમય પ્રમાણે વિવાન સોલિસિટર શાહ એન્ડ સાંધીની ઓફિસે પહોંચ્યો ત્યારે સુમન અને ઇરા ત્યાં બેઠાં જ હતા.વિવાન , ઇરા, સુમન ઉપરાંત ત્રણ વ્યક્તિઓ ત્યાં હાજર હતી એમાં એક હતા પ્રકાશક ત્રિપાઠી , એ ઉપરાંત બીજી બે વ્યક્તિઓ હતી જે કદાચ પ્રોફેસરના મિત્રો હોય શકે તેવું અનુમાન વિવાન કરી શક્યો. સોલિસિટરને ત્યાં વિવાનને આવેલો જોઈને સુમનના ચહેરા પર અણગમાની લાગણી તરી આવી એ ન તો વિવાનથી છાનું રહ્યું ન ઈરાથી. પણ, હવે કોઈએ કોઈને સહેવાના નહોતા. વચ્ચે જોડતી કડી , પ્રોફેસર જ હવે અસ્તિત્વમાં નહોતા.

સુમનનો ચહેરો જોયા પછી પણ વિવાન શિષ્ટાચાર નહોતો ચૂક્યો. એ પ્રણામ કરવા ઝૂક્યો પણ ખરો ને સુમને પોતાના પગ ખેસવી મોઢું વિરુદ્ધ દિશામાં કરી લીધું, જાણે વિવાનનું મોઢું સુધ્ધાં ન જોવું હોય તેમ. માનું આવું વર્તન જોઈને ઇરા પણ સહેમી ગઈ હતી. પણ, વિવાનની સામે માને કશું કહી શકવા અસમર્થ હતી. ઈરાને ખબર હતી કે વિવાન સાથેની વાતચીત માનું મગજ ઓર વિફરાવાશે છતાં ઇરાએ વિવાન સાથે વાતચીત કરવી યોગ્ય સમજી હતી. એ વધુ ન ચાલી ત્યાં પ્યુને અંદર સોલિસિટર શાહ બોલાવે છે તે જાણ કરી. સહુ સોલિસિટરની કેબિનમાં પ્રવેશ્યા.


ધાર્યું હતું એમ જ કાર્ય વિધિવત થતું હતું. એક કલાકમાં તો પતી પણ ગયું હતું. પ્રોફેસર શ્રીવાસ્તવનું વીલ એમના સ્વભાવ જેવું જ હતું , ટૂંકું અને સ્પષ્ટ. ઈરાના વધુ અભ્યાસ માટે મોટી રકમ મૂકી ગયા હતા. જેનો હાશકારો ઈરાના ચહેરા પર દેખાયો. ઘર હતું એ સુમનના નામે ગયું હતું. સુમન જ્યાં સુધી ચાહે ત્યાં સુધી આ ઘરમાં રહી શકે છે પણ જે દિવસે એ ઘર વેચે તો તેમાંથી 25 ટકા ભાગ વિવાનને મળે તેવી જોગવાઈ હતી. એ ભાગમાંથી પ્રોફેસર શ્રીવાસ્તવ દ્વારા અધૂરી મુકાયેલી રિસર્ચ પૂરી કરવાનું કામ વિવાનને ભાગે આવ્યું હતું. જો વિવાનની મરજી ન હોય તો એ રકમ પ્રોફેસરે બનાવેલા ટ્રસ્ટમાં આપી દેવી તેવો સ્પષ્ટ નિર્દેશ હતો. ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પ્રોફેસરે પ્રકાશક ત્રિપાઠી ઉપરાંત પોતાના બે મિત્રોને પણ શામેલ કર્યા હતા.


પ્રોફેસરના વીલથી સૌથી વધુ ખુશી થઇ હોય તો એ સુમનને થઇ હતી. એનો સૌથી મોટો ઉચાટ હવે દૂર થઇ ગયો હતો. વિવાનને પ્રોફેસર શ્રીવાસ્તવ પાસે કોઈ અપેક્ષા નહોતી પણ ન જાણે કોઈક ઉદાસી મનને ઘેરી વળી હતી. જોવાની વાત એ હતી કે મન શા માટે આટલું ઉદાસ છે તેનો જવાબ મળતો નહોતો. પ્રોફેસરના અવસાનથી મન ભારે તો હતું જ પણ વિલના વંચાયા પછી કશુંક ખૂંચી રહ્યું હતું એનું કારણ ક્યાંય સુધી સમજાયું નહીં. ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેવાથી મનને શાંતિ વળતી હોય એમ લાગ્યું. મનમાં કાચની જેમ ચૂભાઈ રહેલી કરચ પણ જડી ગઈ. એનું કારણ હતું ઇરા અભ્યાસ માટે વિદેશ જતી રહેશે તે. એ સિવાય મનમાં કોઈ અજંપો નહોતો.

આ બધામાં સૌથી સારી એક વાત બની હતી તે હતી કામનું ભારણ. પ્રકાશક ત્રિપાઠીએ એક સાથે જબરદસ્ત કામનો બોજ વિવાનને માથે નાખી દીધો હતો.

વિવાનને માથું ઊંચું કરવાની ફુરસદ નહોતી. ક્યારેક વચ્ચે વચ્ચે ઈરાની યાદ આવી જતી. પોતે પણ ઇરાને યાદ આવતો હશે ? એ પ્રશ્ન પણ મનમાં ઉઠતો એવો જ શમી પણ જતો. જાણતો હતો કે ઇરા પરીક્ષાની તૈયારીમાં હશે. ન એને ખાવાનું ધ્યાન હશે કે પીવાનું. ઇરા કારકિર્દી માટે કંઈપણ કરી શકે એવી સ્ટ્રોંગ માઇન્ડેડ છોકરી હતી. એનું એક માત્ર ધ્યેય હતું વિદેશ ભણવા જવું. સારી યુનિવર્સિટીમાં દાખલો લેવો હોય તો માર્ક્સ પણ એવા જ હોવા રહ્યા. વિવાન એવું વિચારી ફોન કરવાનો વિચાર માંડી વાળતો . ક્યારેક માસ્તરસાહેબને ફોન કરી લેતો. સહુ પોતાની જિંદગીમાં ખુશ હતા. ગ્રેજ્યુએશન પૂરું ન કરી શકેલા પ્રકાશે તો ગામમાં કમ્પ્યુટરના ક્લાસ ખોલી નાખ્યા હતા. સુધા પરણીને મુંબઈવાસી થઇ ગઈ હતી. ઉમા તાઈ હવે વિવાન પર ભારે ખુશ હતી. ફોન પર માસ્તરસાહેબની સાથે એ પણ આશીર્વાદ આપતી રહેતી. સહુ કોઈ પોતાની દુનિયામાં ખુશ હતા. ને પોતે ?

ઈરાને ફોન કરવાની ઈચ્છા બળવત્તર બનતી ચાલી. વિવાને ફોન હાથમાં લીધો અને કશુંક વિચારીને પાછો નીચે મૂકી દીધો. જાણે કોઈ ટેલિપથી થઇ હોય તેમ સામેથી રિંગ વાગી. ઈરાનું નામ ડિસ્પ્લે થઇ રહ્યું હતું. દિવસોથી ઉદાસ ચહેરા પર અચાનક જ હર્ષની એક સુરખી આવી ગઈ.

'હેલો વિવાન, તને તો ક્યારેય એમ ન થાય ને કે ફોન કરું ?' સામે ઇરા હતી. જેવો ફોન ઓન કર્યો કે હલો સાંભળવા પણ ન રોકાઈ અને ચાલુ થઇ ગઈ.

એનો આ વાવાઝોડા જેવો સ્વભાવ જ તો વિવાનને ગમતો હતો. મનમાં કશું ન રાખવાનું. બસ, જે આવે બોલી દેવાનું. નિર્મળ પાણી જેવો સ્વભાવ.

'કેમ છે તું , એ કહે ...' વિવાન કદીય ઇરા જેવી નિર્મળતાથી બોલી જ નહોતો શકતો .

'હું એકદમ મજામાં , એક ગુડ ન્યુઝ આપવા ફોન કર્યો છે .....' ઇરાના સ્વરમાં ઉત્તેજના છુપાતી નહોતી.

'હા, તારા અવાજ પરથી જ લાગે છે ....'

' રાઈટ , યુ ગેસ્ડ સો , હું તો તારા માટે પેસ્ટ્રી લઈને આવવાની હતી ન્યુઝ આપવા માટે પણ હવે ટાઈમ જ નથી. તો હું કહી દઉં , મારુ એડમિશન થઇ ગયું છે , પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એન્ડ આઈ એમ ફ્લાયિંગ ટુમોરો નાઈટ ......'

'શું.............?' વિવાનના ગળામાંથી અવાજ મહા મહેનતે નીકળ્યો.

'હા, તે બરાબર જ સાંભળ્યું વિવાન. કાલે હું યુ એસ જાઉં છું ... કીપ ઈન ટચ '

ઇરા એટલી નિસ્પૃહતાથી બોલી કે જાણે એને વિવાનના જવાબની કોઈ ચિંતા જ નહોતી


વિવાનના કાન પાસે કોઈ બૉમ્બ ફૂટ્યો હતો અને એની કરચ એના શરીરના કણકણમાં પેસી ગઈ હતી.

************************************************************************

વિવાને પુસ્તક બંધ કર્યું . પોતાની આત્મકથા ધ કલર્સ ઓફ લાઈફનો પૂર્વાર્ધ અહીં સમાપ્ત થતો હતો. નીચે લેખકની નોંધ હતી કે આ આત્મકથાનો પૂર્વાર્ધ છે જે અહીં સમાપ્ત થાય છે , હવે પછી આવનાર પુસ્તક ઉત્તરાર્ધ હશે. આજના વિવાન શ્રીવાસ્તવને બનાવનાર સંઘર્ષકથા.

એટલે કે જેને વિવાનના નામે લખી હતી તે વ્યક્તિએ આવી જાહેરાત કરી હતી. જે વાંચીને વિવાનના શરીરમાંથી એક ઠંડી ધ્રુજારી ફરી વળી.

ત્રણ દિવસ થઇ ગયા હતા વિવાનના હાથમાં પોતાની આત્મકથા આવ્યાને. રાતદિવસ અન્ય કોઈ કામ ન કરતાં એક બેઠકે વાંચી નાખવાની જ શરૂઆત કરી હતી. વિવાને તમામ મીટિંગ્સ , એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દીધી હતી. એને માટે સહુથી મહત્વની વાત હતી પુસ્તકમાં શું છપાયું છે ? એક રાહતની વાત એ હતી કે પુસ્તકમાં તમામ સાચી વાતો છપાઈ હતી પણ કોઈ બદનક્ષી કરતી વાતો નહોતી.

વિવાને પુસ્તક વાંચીને સહુથી પહેલું કામ પોતાના પ્રકાશક રાજેન ગોસ્વામીને ફોન કરવાનું કર્યું.

'ગોસ્વામી, આ પુસ્તકની મેટર તને મોકલી કોને ?'

'વિવાન સર , બસ ને ? આવી ફાલતુ મજાક ? ગોસ્વામી હસ્યો.

'ના , આ ફાલતુ વાત નથી. હું સિરિયસ છું , મારી વાત ધ્યાનથી સાંભળો ગોસ્વામી, આ પુસ્તકનું મેટર તમને મોકલ્યું કોને ?'

'એટલે ? કોઈ પ્રોબ્લેમ છે ?' ગોસ્વામી ગંભીર થઈને બોલ્યો।

'પ્રોબ્લેમ એટલે ...' વિવાન બોલવા જતો હતો અને ગોસ્વામીએ વાત કાપી.

'એટલે, કોઈએ તમારા નામે પુસ્તક લખી કોઈ નીચ વાતો છાપી એમ ?' ગોસ્વામી વાતની ગંભીરતા સમજવા માંથી રહ્યો હતો.

'ના. વાત જૂદી છે. વાત એમ છે કે આ પૂર્વાર્ધ છે , હજી ઉત્તરાર્ધ તો બાકી છે.. '

'તમે શું કહો છો એ સમજાતું નથી વિવાન।'ગોસ્વામી હવે ગુંચવાયો હતો.

'પ્રોબ્લેમ એ છે ગોસ્વામી કે કોઈએ મારી જિંદગીનો પૂર્વાર્ધ લખ્યો છે. મેં તમને આ મેટર મોકલી જ નથી.'

'હેં ?' ગોસ્વામી વધુ હેરતમાં પડ્યો.

'હા, ને જોવાની ખૂબી એ છે કે એમાં અક્ષરસઃ વાતો સાચી છે. વાંચતા મને લાગ્યું કે જાણે મેં જ લખી છે. એમાં કોઈ સંદેહ નથી. પણ વાસ્તવિકતા એ છે કે મેં આ લખી નથી. '

ગોસ્વામી વધુને વધુ ગૂંચવાતો જતો હતો.

'એક કામ કરું છું , મારા સ્ટાફને પૂછું છું કે આ મેટર કઈ રીતે આવી. ' ગોસ્વામીએ કહ્યું.

'પણ , ગોસ્વામી તમને એમ ન થયું કે મારી આવી મેટર હોય તો તમે મને એક ફોન કરો ? એમ જ મેટર છાપી દીધી ?' વિવાનને ગોસ્વામી પર ગુસ્સો ભયંકર આવી રહ્યો હતો પરંતુ એને કાબૂમાં રાખવો જરૂરી હતો.

'અરે, રોહિત મારો ખાસ માણસ છે ને એ કોઈ ચૂક જવા જ ન દે. એ અહીં જ ઉભો છે તે કહે છે કે આ મેટર તમારી મંજૂરી સાથે જ મળી હતી. જેમ દર વખતે મળે છે તેમ. વી ટ્રાન્સફરથી જ આવેલી. ને તમારી મેટર તો હું રોહિતને જ હેન્ડલ કરવા આપું છું , બીજા કોઈનું કામ પણ નહીં. ગોસ્વામીએ તો ઓફિસમાં પૂછપરછનો દોર ચાલુ કરી દીધો હતો.

'અરે ભલા માણસ પણ મને પૂછવું તો જોઈએ ને !! '

'બોસ, તમને શું પૂછવાનું ? આપણે તમારા આટલાં પુસ્તકો કર્યા , દરેક પુસ્તકની વીસ પચીસ આવૃત્તિ કરી , કોઈ દિવસ તમારા કામમાં ગરબડ થઇ છે?'

'સૌથી મોટી ગરબડ એ છે કે આ મારી આત્મકથા છે તો ત્યારે મારા તરફથી કોઈ સૂચના ન આવી ત્યારે કેમ ન પૂછ્યું?'વિવાનનું માથું તપી ગયું હતું.

'વિવાન સર , ત્યારે તમે ત્રાવણકોર હતા. આપણી ત્રાવણકોર ટ્રેઝરના કામ માટે. મને થયું તમને ડિસ્ટર્બ ન કરું ....ને સર, સૌથી સારી વાત તો તમને કહેવાની રહી ગઈ. આપણી આ કલર્સ ઓફ લાઈફ પણ ગરમાગરમ ભજિયાંની જેમ ઉપડી છે.

'એ જ સૌથી મોટી સમસ્યા છે ગોસ્વામી. .....પણ હવે એક વાત ધ્યાનથી સાંભળો , જ્યાં સુધી હું ન કહું મારું એક પણ પુસ્તક છાપવા હાથમાં ન લેતા. એટલું જ નહીં આ કલર્સ ઓફ લાઈફની એડિશન પણ પછી ખેંચો.. તાત્કાલિક.. ' વિવાનનો અવાજ ન ચાહતા પણ ઊંચો થઈ ગયો.

'પણ વિવાન, એ તો વિધિવત લોન્ચ થઇ છે ને !! ' ગોસ્વામી સમજવા મથી રહ્યો હતો કે વિવાનને વાંધો શું પડ્યો છે.

'અરે ગોસ્વામી, સેલના ચક્કરમાંથી બહાર નીકળો. હું તમને કહી રહ્યો છું તે જરા સમજો. મારે મારા વકીલ સાથે તાત્કાલિક વાત કરવી પડશે. ' વિવાનનું મગજ બહેર મારી ગયું હતું.

વિવાન ફોન પટકીને ક્યાંય સુધી વિચારતો બેસી રહ્યો.

'સર, આવતા અઠવાડિયે તમારું લેક્ચર છે ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીમાં , એ લોકોનો ફોન છે , આગળ બે વાર ફોન કરી ચુક્યા છે. શું જવાબ આપું ? વિવાનનો સેક્રેટરી ઉદય પૂછી રહ્યો હતો.

ઉદયને સમજ નહોતી પડતી કે સર બે દિવસથી બધી એપોઇન્ટમેન્ટ કેમ કેન્સલ કરી રહ્યા છે !

'ઉદય મારી આ અઠવાડિયાની અને આવતાં અઠવાડિયાની તમામ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખ. અને હા. નો ફોનકોલ્સ. અત્યંત જરૂરી હોય તો જ જણાવજે. અને વાચકોના ઇમેઇલના જવાબ પણ તું જ આપી દેજે.

ઉદય જોઈ રહ્યો હતો કે ધ કલર્સ ઓફ લાઈફ પુસ્તકના આગમને વિવાન સરને પરેશાન કરી નાખ્યા છે , બાકી વાચકોના ફોન અને ઇમેઇલ્સ માટે તો ચોક્કસ સમય ફાળવતાં લેખક આવી વાત કેમ કરે ?

ક્રમશ :