Charitya Mahima - 7 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ચારિત્ર્ય મહિમા - 7

Featured Books
Categories
Share

ચારિત્ર્ય મહિમા - 7

(7)

૧૯ : માનવતાને સાદ

આજે સંસારમાં કોઇના સહારા વગર એકાકી જીવન વ્યતિત કરવું એ મનુષ્ય માટે ખૂબ કઠિન વાત છે. સામાન્ય રીતે એકલી વ્યક્તિ કશું જ કરી શકતી નથી. કહેવત છે કે “એકથી બે ભલા, ઝાઝા હાથ રળિયામણાં, એક હાથે તાળી ના પડે, જંગલમાં ઝાડવું ય એકલું ના હજો.” આ બધાં સૂત્રો સંઘબળ, સમૂહબળ, મિત્રબળ વગેરેની સાક્ષી પૂરે છે.

વાત સાચી છે. બાળપણથી લઇને તે વૃદ્ધાવસ્થા સુધીમાં માણસને કેટલાય માણસોની સાથે વિવિધ પ્રકારના કામ અંગે અને અનેક પ્રસંગોમાં એકબીજાની જરૂર પડે છે. અને એકબીજાના સંપર્કમાં પણ આવવું પડે છે. તે સમયે માણસનું વર્તન વ્યવહાર ઉચિત હોય, સુમેળભર્યું હોય તો તેનું કામ, પ્રસંગ, વટ વહેવાર સારી રીતે પાર પડી શકે.

માનવ, માનવને મદદ નહિ કરે તો તે કોને મદદ કરશે? અન્ય વ્યક્તિના કોઇ કામમાં કે મુશ્કેલીમાં કે અગવડમાં કે કોઇ પ્રસંગમાં મદદ કરવી એ માણસની ફરજ બની રહે છે. અને તેમાંય જરાય મોટપ કે અભિમાન લાવ્યા સિવાય હસતે વદને મદદ કરશો તો તે તમારી સંસ્કારિતા, સભ્યતા શોભી ઉઠશે એમ સર્વેએ સમજવું જોઇએ અને તે પ્રમાણેનું આચરણ કરવું વધુ ઉચિત છે. કઠોર કે કર્કશભરી માણસની વાણી, તેનું કામ પાર પાડવામાં અવરોધરૂપ બની રહે છે. તેથી પ્રિય અને મધુર વાણીથી કેટલાય અશક્ય કામો શક્યતામાં પરિણમતાં જોઇ શકીએ છીએ. પોતાની વાતનો કક્કો જ ખરો કરવો બરાબર નથી. પોતે જે વાત કરી તે સાચી છે એવો દુરાગ્રહ પણ ન રાખવો. સામા માણસની વાતને સમજીને જરૂર પડે તેને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કરવો તેમાં જ ડહાપણ અને ચારિત્ર્યશીલતા છે.

કોઇપણ વ્યક્તિના અંતરમન હૃદયને ઠેસ પહોંચાડી, કોઇ પણ કામ, ધન દોલત, માલ મિલકત પડાવી લેવાથી ઇશ્વરના ગુનેગાર બની, કષ્ટ, દુઃખ જરૂર ભોગવવું પડે છે.

એકબીજા સાથે હળી મળી, શુદ્ધ અને સાત્વિક વિચારપૂર્વકનાં કરેલાં કાર્યો સુલભરીતે પરિપૂર્ણ થાય છે અને તે કામ દીપી ઉઠે છે. દરેક નાના મોટા જીવો આ દુનિયાની નાટકશાળામાંના વિવિધપાત્રો છે. સર્વ પાત્રો મળીને જ સારા નાટકનું નિર્માણ થઇ શકે છે. અહંભાવના દેખાડવી એ ઐક્યથી વિરોધી છે. ચારિત્ર્યશીલતાની ક્ષતિ છે. સમૂહબળ જ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મનભેદ, મતભેદ તો એકબીજાની સાથે રહેવાના પણ તેમાંથી સરળતાથી કામ પાર પડે તે ખાસ અગત્યનું છે. જીવન પ્રવાસમાં ક્યારે, કોની જરૂર પડશે તે કહેવું ખૂબ કઠિન છે. તેથી મનુષ્યે જીવન સરળ અને સુલભ રીતે સુખપૂર્વક પસાર થાય તે માટે તેણે પ્રેમ સ્નેહથી, મેળથી, ઐક્યથી, હેતપૂર્વક શા માટે કામ ના લેવું?

મનુષ્ય પાસે જે છે કે જે તેને મળવાનું છે તે બધુંય થોડું જ તેનું પોતાનું હોય છે? એમાં બીજાના ભાગ્યનું કે ભાગનું પણ હોય છે એમ માનીને જેને જરૂર પડે તે વસ્તુ આપવાથી, મદદરૂપ બની રહેવાતી ચારિત્ર્યને ઉન્નત બનાવી શકાય છે. કોઇપણ કામ એકમતથી અને સહકારથી કરો તો સર્વે કામ થઇ શકે છે. સહકારમાં સિદ્ધિ છે. જો મનુષ્ય પોતાના મનમાંથી ઇર્ષા, વેરઝેર, શત્રુતા ત્યાગી ઉદાત્ત અને ઉદાર ભાવના રાખે તો કોઇ પણ મુશ્કેલ કામ સુંદર રીતે પાર પાડી શકે છે.

સૂતરનો એક તાંતણો તૂટી જાય છે. પણ જ્યારે ઘણા તાંતણા ભેગા થઇને દોરી કે દોરડું બને છે ત્યારે તેને ઘોડાબળ કે હાથીબળ પણ તોડી શકતા નથી. તેમ સમજી, હળીમળીને કાર્યો કરવા જોઇએ. ગામના, શહેરના કે દેશના કામો હૂંસા તૂંસીથી થતા નથી પણ એક મતાનુસાર, સંગઠનપૂર્વક કરવામાં આવે તો જ પરિપૂર્ણ બની રહી, સર્વને લાભકર્તા બની રહે છે.

મનુષ્યે ક્રોધને શમાવી, શાંતિપૂર્વક, જૂની અદાવત ભૂલી, એકબીજાને મદદ કરવાની ભાવના કેળવી રહેવાથી સંસારમાં જરૂર સ્વર્ગ લાવી, માનવી સુખ, શાંતિથી અને આનંદ ઉલ્લાસપૂર્વક જીવન પસાર કરી શકે છે.

 

૨૦ : કેવો મિત્ર બનાવશો

મિત્રો તો ઘણા મળી રહે, થઇ રહે પણ સદ્‌ગુણી, સારા આચાર વિચારવાળાં મિત્રોની સોબત સંગ પામવો મુશ્કેલ છે. આજના પશ્ચિમી પવનમાં ઢસડાતા જતા યુવાનો. ટી.વી., મોબાઇલ, અને ઇન્ટરનેટ જેવા સાધનોએ યુવાન માનસમાં અશ્લિલતા, કામુક્તા, વિલાસિતાનું ઝેર ભેળવ્યું હોઇ એના ચસકે ચઢી, અનેક કુટેવો, વ્યસનોના બંધાણી થઇ જવાથી સારા મિત્રોની પહેચાન થઇ શકતી નથી. કે સાચો મિત્ર બનાવી શકતા નથી.

“જેવો સંગ તેવો રંગ” સારા મિત્રની સોબત હશે તો યુવાન પોતે સદ્‌ગુણી બનશે. માણસ તેની મિત્ર મંડળોથી ઓળખાય છે. જેવા મિત્રો હશે તેવો માનવ બનશે, તેવા જ લોકો તેને ગણશે. મિત્રોએ એકબીજાની કુટેવો, વ્યસનોને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવો જોઇએ. એમાં શિષ્ટાચાર છે. આપત્તિ સમયે મદદ કરે તો સાચો મિત્ર, એ જ સાચો ધર્મ અને સાચો આચાર. મિત્રોએ એકબીજાનું કાર્ય કર્યા પછી, આભાર વ્યક્ત કરવો એ પણ સદાચાર છે. એકબીજાની ફરજ છે. મિત્રને મદદ કરેલી કોઇને કહેવી નહીં. એમાં તો ચોખ્ખી અશિષ્ટતા છે. મિત્રનું ગુણ દર્શન કરવામાં પોતાનું ચારિત્ર્ય દેખાઇ આવે છે. તેના દોષોને ખુલ્લા પાડવા ના જોઇએ. મિત્રોએ એકબીજામાં ભેદભાવ રાખીને વર્તવામાં જ સદાચાર છે. મિત્રની છાની વાતને છાની રાખવામાં જ ડહાપણ ભર્યો શિષ્ટાચાર છે.

મુસાફરી કે પ્રવાસમાં મિત્ર ધર્મ બજાવવો જોઇએ. એકબીજાના સંપર્કમાં અવાય. એકબીજાની ફરજનું ભાન થતાં તેવું આચરણ પણ થાય. અંતઃકરણને પૂછીને કામ કરવાથી, અંતરનો અવાજ માનવનો સાચો મિત્ર છે. હૃદય શુદ્ધિ વિના સાચી મિત્રતા બંધાશે નહીં. મિત્રોના કુટુંબીજનો પ્રત્યે પણ મિત્રોએ સદ્‌વર્તનનું રાખવું એમાં મૈત્રીનું સાફલ્ય સમાએલું છે. મિત્રોએ એકબીજાની ખુશામત ન કરવી. તે અધઃપતનને પંથે લઇ જાય છે. સારા વિચારોની આપ લે કે ચર્ચા કરવી. અને તદ્‌નુસાર વર્તવું એ મિત્ર ધર્મ બની રહે છે. કાયોને સંપૂર્ણ પણે સુંદર બનાવવામાં મિત્રનો ફાળો એ જ ચારિત્ર્યશીલતા, આપત્તિ, ભીડ, શોક, મરણ, ચિંતા, મુશ્કેલી વગેરે પ્રસંગોએ મિત્રોએ એકબીજાની પડખે ઊભા રહી સંકટ દૂર કરી, સાંત્વન દઇ, મિત્રના મનને શાંત પાડવું એ સદાચાર છે. મૈત્રી નિભાવવામાં ચારિત્ર્યની કસોટી રહેલી છે. સારા મિત્રોની સોબત સંગથી પોતાના જીવનનું ઘડતર કરી, કોઇ પણ ક્ષેત્રમાં ઉન્નતિ, વિકાસ સાધી શકી જીવન સુખ શાંતિભર્યું જીવી, ધન્ય બનાવી શકાય.

આજે સ્કૂલ કોલેજમાં કેવા કેવા મિત્ર વર્તુળો ભેગા મળી, ભણવાની વાત બાજુ પર રાખી, ટોળટપ્પાં, છોકરીઓની છેડતી, તે ઓની સાથે મસ્તી કરી, સાથે હોટલમાં બીડી સિગારેટ, હોકો પીતાં કે પાન ગુટખા ખાઇ, આનંદ, મોજમજા માણી રહેતાં, નિહાળીએ છીએ. ત્યાં ભણતર અને ગણતરનું શું? સ્વચ્છંદતા સાથે વ્યભિચાર ત્યાં ચારિત્ર્યશીલતા રહે ખરી? સદ્‌ગુણોનો લોપ થતો જઇ અધઃપતન કરફ યુવાન ધન વળી રહ્યાનું શું લાગતું નથી? ત્યાં સાચી અને સદાચાર ભરી મિત્રતા ઉદ્‌ભવી શકે ખરી?

ઋષિ મુનિઓના આશ્રમમાં ભણતા કૃષ્ણ સુદામાની મિત્રાચારીની વાત જગજાહેર છે. કેવી ઉમદા મિત્રાચારી, સંપ સુલેહ, અને અનોખી સહકારની ભાવનાના દર્શન કરી શકીએ છીએ. જ્યારે તેનાથી ઉલટું થઇ રહ્યું છે તે ક્યાં જઇને અટકશે?

 

૨૧ : વાણીની મહત્તા

આજના માણસની વાણીમાં કટુતા, કડવાશ, કર્કશતા સાથે ગંદી ગલોચતા આવી ગઇ છે. તોછડાઇ ભરી વાણી ઉચ્ચારવામાં આવે છે. આજની વાણીમાં ગાળોનું સ્થાન વધુ રહ્યું છે. વાણીમાં કોઇ સંયમ જ રહ્યો નથી. એવી અવળવાણી મનુષ્યને માટે શોભાસ્પદ છે ખરી? આજની મનુષ્યની વાણી સત્યથી પર છે. ક્યાં ઋષિ મુનિયો જેવી દેવવાણી અને ક્યાં આજની અધમતા ભરી બરછટ વાણી? તુલના થઇ શકે ખરી? વાણીમાં તો સરસ્વતીનો વાસ છે. હંમેશ મીઠી મધુરીવાણી ઉચ્ચારવી જોઇએ વાણીમાં જ સુખ અને વાણીથી જ દુઃખના ભોક્તા થવાય છે. સર્વની સાથે પ્રેમ ભરી, મધૂરતા સાથે આનંદથી વાત કરવાની રાખવી જોઇએ, મુખમાંથી શબ્દ કાઢતાં પહેલાં તેને વાગોળો, ખુબ જ વિચાર કર્યા પછી, ઘટતા શબ્દોથી મીઠી પ્રિય તેમજ હિતકર વાણી બોલવાની રાખવી જોઇએ.

હંમેશા સત્યવાણી બોલવાનો આગ્રહ રાખવો. વાણીમાં સત્ય હશે તો ઇશ્વર પરમાત્મા, મનુષ્ય સાથે જ રહેશે. પરમાત્મા સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ સ્વરૂપ છે. મનુષ્યની વાણીમાં સત્ય, મનમાં કલ્યાણ ભાવના અને આંખથી સઘળું સુંદર જોવાનું રાખો તો સંસાર સાગરમાં બેડો પાર થાય. દુઃખી માણસને સાત્વનાભર્યાં મીઠા બે બોલ કહેવા એ વાણીનું ચારીત્ર્ય છે. ઓછું બોલો પણ સાચું બોલો, જરૂરી બોલો અન્યમાં સ્નેહનો સંચાર થાય એવી વાણી બોલો સર્વ જનને આને કે આતો અમારા પોતીકા છે એવું સર્વ ગ્રાહી મીઠું મધુરું બોલો, બોલેલું પાળવું એ વાણીનું ચારિત્ર્ય જ છે.

જીભને કર્કશતા કરતાં પ્રેમ અને માધુર્ય આપો. જીભેથી ગાળો કે અપશબ્દ ના બોલો. જીભથી તો હરીનામ સ્મરણ, હરીકથા કે મંત્રના જપ જાપાદી જ થાય. ખરાબ શબ્દોથી મોંને અને જીભને અપવિત્ર ના બનાવસો. ઉમદા શબ્દોથી જ વાતાવરણને ભરી દો. કૃત્યકૃત્ય થઇ જવાશે. તમારી મીઠી વાણી અન્યને આશીર્વાદરૂપ થઇ પડશે. તેમ થતાં તમને પણ તેની દુઆ મળશે. આશિષ મળતાં તમારામાં નવું બળ કે ચેતના આવશે. ક્રોધ કે આવેશના શબ્દો તો કદીય મુખમાંથી નીકળવા ના દેશો. કોય તો અશુદ્ધ ચાંડાળ છે તેનાથી દૂર રહેવામાં જ મનુષ્યનું જીવન સુખ શાન્તિભર્યું બની રહેશે.

નાના નાના ભૂલકાઓને તુચ્છકારશો નહીં. તે ભલાં ભોળાં છે પરમાત્માના અંશરૂપ છે. એમને ધમકાવ્યા વગર હેત પ્રેમભાવથી અને લાડ પ્યારથી બોલાવજો. મધુરતાનું એમને દાન કરજો. એ મધુર્યદાન ભવિષ્યમાં બહુ ઉપયોગી બને આનંદદાયી બની રહેશે.

સ્હેજ કથોલી વાણી સતી દ્રોપદી બોલ્યાં હતાં. “આંધળાના આંધળા જેવા જ હોય” તેથી મહાભારતનું યુદ્ધ ખેલાયું. કૌરવો પાંડવો લઢ્યા અને સર્વનો વિનાશ થઇ રહ્યો. વાણીથી તો રાજ્ય ગયાં છે ને નવા રાજ્યના મંડાણ પણ થયાં છે. ઇતિહાસમાં એવા તો અને દ્રષ્ટાંતો મળી આવશે. જીભના જાદૂનો કંઇ પાર નથી?

વાણીથી માનવી પર અસર થાય છે. સાથે સાથે પશુ અને પ્રાણીઓ પર તેની ખૂબ જ અસર પડે છે. સારી વાણીનો પડઘો સારો પડશે. મીઠી વાણીનો મધુર અને કર્કશવાણી કટુતા અને વેર ઝેર બંધાવશે. એટલે પાડોશી સાથે પણ મીઠી વાણીમાં જ વાતચીત કરવી જોઇએ કે જેથી મુશ્કેલીમાં મદદરૂપ થઇ શકે. કોઇપણની જોડે વાતચીત કરો ત્યારે શાંતીપૂર્વક, પ્રેમપૂર્વક અને આનંદપૂર્વક બોલો, તો તમો સર્વના પ્રિય થઇ રહેશો આતો છે વાણીનો જાદુ! કોયલ અને કાગડાનો દાખલો લો. કોયલનો ટહુંકો સર્વને પ્રિય બની રહે છે જ્યારે કાગડાની કા...કા? વાણીની મીઠાશ મેળવો તો સૌને ગમી રહેશો.

 

૨૨ : ચારિત્ર્યને ચોતરે

આજના સમાજમાં રહેતા માનવીને ચારિત્ર્ય શું છે? તેની સમજ ખબર જ નથી. માનવજીવનની કોઇ પણ બાબત જોવા જઇએ ત્યાં ઉઘાડી લૂંટ અને દગાબાજીના જ દર્શન થાય છે. સચ્ચાઇને બદલે જૂઠના આશરે જ માનવી આજે પોતાના દરેક કામો કરતો થઇ ગયો છે. નર્યો સ્વાર્થ ત્યાં ભલા અન્ય વ્યક્તિને સહાયરૂપ કે મદદરૂપ થવાની શી વાત? ત્યાં કોઇપણ જાતની સેવાની આશા ખરી? આ તો ચારિત્ર્યશીલતાની નિશાની છે. જવલ્લે જ માણસાઇના દીવા પ્રગટી રહે છે, જોઇ શકીએ છીએ.

કોઇપણ ખોવાયેલ ચીજવસ્તુઓને જેની છે તે વસ્તુઓને તેના માલિકને પહોંચાડવી એ સાચા ચારિત્ર્યનું સાક્ષીરૂપ છે. કોઇએ આપણને મદદ કે સહાય કરી હોય તો તેનો આભાર માનવાનું ચૂકશો નહીં. રસ્તે ચાલતા કોઇ પણ વૃદ્ધ કે અપંગ કે અશક્તને સહાય કરવી એ ચારિત્ર્યનું અંગ છે. મનુષ્યની પ્રિય, મીઠી, મધુર અને સત્યવાણી એ ચારિત્ર્યશીલના શણગાર રૂપ છે.

આજે જાહેર સ્થળે સભા કે પ્રવચન થાય છે. ત્યારે ઘણા મનુષ્યો તે સાંભળતા નથી. અને બીજાને ખલેલ કરે તેવી હરકતો કરે છે. વચમાંથી ઉભા થઇ ચાલતી પકડે છે. ત્યાં તેની ચારિત્ર્યશીથિલતા છે. કોઇ પણ વ્યક્તિએ પ્રવચન પૂરું થાય પછી જ ઉઠવું કે જેથી પ્રવચનકારને માઠું ન લાગે અને શ્રોતાઓને પણ સાંભળવામાં અગવડ ન પડે.

આજના માનવીના હૃદયમાંથી દયા ઝરણું વહી રહે છે. ખરું? કોઇ પણ એવા માનવી પ્રત્યે કરુણા દયા દાખવવી, દુઃખીઓને દિલાસો આપવો કે તેને તન મન ધનથી મદદ કરી, તેના દુઃખને, દર્દને, યાતનાને દૂર કરવી એ પણ ચારિત્ર્યનું અંગ છે.

મહાન પુરુષના સદ્‌ગુણોને આવકારવા અને તેમના દુષણોને ઢાંકી રાખીને અન્ય આગળ તેની સારી કામગીરીની રજુઆત કરવી જોઇએ. નાનામાં નાના માણસ પાસેથી સદ્‌ગુણ ચાતુરી કે જ્ઞાન ગ્રહણ કરવું એ ચારિત્ર્યનું લક્ષણ છે.

જ્યાં સ્ત્રીઓ માટે મુકરર સ્થળ નક્કી કરેલ હોય ત્યાં પુરુષે ન જવું. કોઇ પણ વાહનમાં, ટ્રેનમાં કે બસમાં ભીડ હોય અને કોઇ સ્ત્રી પાસે બાળક હોય અથવા તો વૃદ્ધા હોય તો પોતે ઉભા રહી, તેઓને બેસવાની જગ્યા કરી આપવી એ સાચું ચારિત્ર્યશીલતા છે.

કોઇ પણ ભૂલા પડેલા માનવીને કે અંધ, અપંગને મદદ, સહાય કે માર્ગદર્શક બની રહેવું પ્રાણીમાત્ર માટે કે કોઇના હિત માટે પરમાત્માને પ્રાર્થના કરવી જોઇએ. વગર વિચાર્યે કોઇ પણ જાતનો વાયદો કરશો નહીં. કોઇનું હાથમાં લીધેલું કામ પૂરું કરવું જોઇએ. કોઇ પણ બાબતમાં શાંતિથી વિચારી, તે પૂર્ણ કરવામાં જ સંસ્કારિતા ને શિષ્ટાચાર છે.

આજે ધર્મક્ષેત્રમાં પડેલા સાધુ સંત, મહંત, આચાર્યો ઘણા માનવીને ગેરરસ્તે દોરે છે. એ ચારિત્ર્યશીથિલતા છે. એરણની ચોરી કરીને સોયનું દાન કરવામાં ચારિત્ર્ય ક્યાંથી સંભવે? સ્વાર્થને ખાતર ઘણાને નુકસાન કરવાની કાર્ય પદ્ધતિમાં સંસ્કાર કે ચારિત્ર્ય ભળાય ખરું?

આજે બસમાં, ગાડીમાં ઘણા મનુષ્યો બીડી સિગારેટ પી, ધૂમાડા કાઢીને બીજાને અગવડરૂપ બની રહે છે. તેઓને સ્વાસ્થ્ય હાનિ થાય છે સાથે બીજાના પણ સ્વાસ્થ્યને બગાડે છે. ઘણા લોકો મોટેથી વાતચીત કરી, બીજાની શાંતિનો ભંગ કરે છે. પડોશમાં કોઇને ન રૂચે તેમ મોટા અવાજમાં ટી.વી. રેડીયો અને ટેપરેકોર્ડર બજાવી અન્યને ખલેલ પહોંચાડે છે ત્યાં ચારિત્ર્ય ભળાય ખરું?

ઘણા લોકો અસત્યનો આશરો લઇ જૂઠી જૂઠી વાતો જ કરી, અન્યની સામે પોતાની મોટાઇ બતાવે છે. ત્યાં વાત વાતમાં આત્મશ્લાધા જ હોય છે. પોતાની વડાઇ માન પ્રતિષ્ઠા માટે દાન પુણ્ય કે ધાર્મિક કાર્યમાં પોતાનું યોગદાન આપવામાં ચારિત્ર્યશીલતા નથી. કોઇ પણને પ્રેમથી બોલાવવા, સાંભળવા, કોઇની મુશ્કેલીમાં દુઃખમાં તન મન ધનથી સહાય કરી, ઉચ્ચ ચારિત્ર્યશીલતાના દર્શન કરાવવા જોઇએ. પ્રેમથી સૌ સાથે હળી મળી રહેવાથી પોતાનો સંસ્કાર પરિમલ ચોમેર પ્રસરી પ્રગટી રહેશે તો તમને પ્રભુ દર્શન પણ કરાવી શકે છે.