Hindu Dharmnu Hard - 7 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 7

Featured Books
Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 7

(7)

૨૦. ઈશ્વર શું છે ?

(સ્વિટ્‌ઝર્લેન્ડના વિલેનૉવમાં ‘કૉન્સેન્‌શિયસ ઑબ્જેક્ટર્સ’ ના સંમેલન સમક્ષ ગાંધીજીએ આપેલા ભાષણમાંથી નીચેના ફકરાઓ આપવામાં આવ્યા છે. આ ભાષણ શ્રી મહાદેવભાઈ દેસાઈના ‘યુરોપના પત્રો’ માં પ્રગટ થયું હતું.)

એક ચર્ચમાં કૉન્સેન્‌શિયસ ઑબ્જેક્ટર્સની મીટિંગ હતી જ્યાં સેરેઝોલ(સ્વિટ્‌ઝરલેન્ડના એન્જિનિયર અને ગણિતજ્ઞ પિયરા સેરેઝોલ એ ‘આતરરાષ્ટ્રીય નાગરિક સભા’ અથવા ‘આંતરરાષ્ટ્રીય શાંતિની ઐચ્છિક સભા’ નામની સંસ્થાના પ્રણેતા હતા.) અને એના મિત્રોએ ગાંધીજીનું અદ્‌ભૂત સ્વાગત કર્યું હતું. હાથમાં હાત રાખીને સ્વિટ્‌ઝર્લેન્ડની મિત્રતાનું સમૂહગીત ગાયું હતું. અને પ્રેસિડેન્ટે લાગણીભર્યું પ્રવચન કર્યું હતું. અમે અજ્ઞાન, જેલ, જવાબદારી, મૃત્યુથી ડરીએ છીએ. તમે ભયને જાણતા નથી. અમારા હોઠ પર ‘ગિરિપ્રવચનો’ હોય છે. તમારા હૃદયમાં એ હોય છે અને તમે એ જીવી જાણો છો. તમને અમારી વચ્ચે આવકારું છું અને સ્વાર્પણની જિંદગી કેમ જીવવી તે અમને શીખવવા જણાવું છું. વગેરે વગેરે જેવા પ્રશ્નો પૂછાયા તે ઈશ્વર, સત્ય, અપ્રતિકાર જેવા વિષયોને સ્પર્શતા હતા. મિ. પ્રિયા જેમણે આ સવાલજવાબના અનુવાજ કર્યા હતા. તેમને કેટલાક જવાબો પોતાની શક્તિ બહારના લાગ્યા અને સ્વિટ્‌ઝર્લેન્ડના ફિલૉસૉફર, પ્રો. બોવેએ તેમનું સ્થાન સંભાળ્યું. આ પત્રમાં હું ફક્ત એક જ પ્રશ્ન લઈશ : ‘તમે ઈશ્વરને સત્‌-સત્ય શા માટે માનો છો ?’

“ઈશ્વર સત્ય છે એમ હું શાથી માનું છું એવું તમે મને પૂછ્યું. મારા બચપણમાં હિંદુ ધર્મશાસ્ત્રોમાંથી થી ઓળખાતા એક ગ્રંથમાંનાં ઈશ્વરમાંના ંહજાર નામોનો પાઠ કરવાનું મને શીખવવામાં આવ્યું હતું. પણ એ હજાર નામોમાં તેનાં બધાં નામો આવી જતાં નહોતાં, બીજાં કેટલાંયે બાકી રહેતાં હતાં. આપણે માનીએ છીએ અને મને લાગે છે આ સાચી વાત છે કે જેટલા જીવ છે તેટલાં ઈશ્વરનાં નામ છે અને તેથી આપણે એમ પણ કહીએ છીએ કે ઈશ્વર નામરહિત છે. અને ઈશ્વરનાં અનેક રૂપો છે તેથી તે રૂપરહિત છે એમ પણ આપણે કહીએ છીએ. વળી, તે અનેક બોલીમાં આપણી સાથે વાત કરે છે, તેથી આપણે તેને બોલી વગરનો કહીને ઓળખાવીએ છીએ. એ જ પ્રકારે તેનાં બીજાં વર્ણનો પણ થાય છે. આથી ઈસ્લામનો અભ્યાસ કર્યો તય્યારે મેં જોયું કે ઈસ્લામ પણ તેને પાર વગરના નામો વડે ઓળખાવે છે. પણ મારા પોતાના સંતોષ ખાતર હું ઈશ્વરને સત્ય તરીકે ઓળખતો થયો નહોતો. જે લોકો ઈશ્વર પ્રેમ છે એમ કહે છે તેમની સાથે હું પણ કહીશ કે ઈશ્વર પ્રેમ છે, પણ મારા અંતરના ઊંડામાં ઊંડા ખૂણામાં હું કહેતો કે ઈશ્વર પ્રેમ ભલે હોય પણ સૌથી વિશેષ તો તે સત્ય છે. માણસની બોલીમાં ઈશ્વરનું પૂરેપુરું વર્ણન થઈ શકતું હોય તો હું મારી જાત પૂરતો એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઈશ્વર સત્ય છે. પણ બે વરસ ઉપર હું એથીયે એક ડગલું આગળ જઈ કહેવા લાગ્યો કે સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે એ બંને વિધાનો અથવા વર્ણનો વચ્ચે રહેલો સૂક્ષ્મ ભેદ તમે જોઈ શકશો. અને આજથી લગભગ પચાસ વરસ ઉપર શરૂ થયેલી સત્યની એકધારી કઠોર ખોજને અંતે હું એ નિર્ણય પર પહોંચ્યો છું. એ ખોજ કરતાં હું સમજ્યો કે સત્યની પાસેમાં પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમને માટે કાંઈ નહીં તો અંગ્રેજીમાં વપરાતા ૐ શબ્દના અનેક અર્થો થાય છે અને કામને નામે ઓળખાતો માણસ માણસ વચ્ચેનો ખેંચતાણનો તીવ્ર આવેગ માણસનું અધ-પતન કરનારો પણ નીવડે છે. વળી, મેં એમ પણ જોયું કે અહિંસા અર્થમાં પ્રેમને ઓળખનારા પ્રેમના ભક્તોની સંખ્યા દુનિયામાં ઝાઝી નથી. પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં કદી આવ્યો નથી. અને ઈશ્વરનો ઈનકાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની જરૂર અથવા તેનું સામર્થ્ય સ્વીકારવામાં સંકોચ બતાવ્યો નથી. પણ સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઈશ્વરનો ઈનકાર કરતા અચકાયા નથી. અને મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીય નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઈ શક્યો કે ઈશ્વર સત્ય છે, એમ કહેવાને બદલે મારે સત્ય એજ ઈશ્વર છે એમ કહેવું જોઈએ. અહીં મને ચાર્લ્સ બ્રૅડલૉનું નામ યાદ આવે છે. તે પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવામાં આનંદ માનતા. પણ હું તેમને વિશે થોડું જાણું છું તે પરથી તેમને કદી નાસ્તિક ન કહું, હું તેમને ઈશ્વરથી ડરીને ચાલનારા માણસ તરીકે ઓળખાવું, મારા આવા દાવાનો તે ઈનકાર કર્યા વગર ન રહે એ હું જાણું છું. હું તેમને કહું કે, “મિ. બ્રૅડલૉ, તમે સત્યથી ડરીને ચાલનારા માણસ છો, અને તેથી ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ છો.” તો તેમનું મોં લાલચોળ થઈ જાય. તે છતાં સત્ય ઈશ્વર છે એમ કહીને હું સહેજમાં તેમની ટીકાને રોકી શકું. કેમ કે એવી જ રીતે કેયલાયે ટીકા કરવાવાળા જુવાનિયાઓને મેં નિરુત્તર કર્યો છે. આ ઉપરાંત લાખો લોકોએ ઈશ્વરનું નામ લઈને તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી. માણસો પ્રાણીશરીરની રચના સમજવાને કે સમાજાવવાને પ્રાણીઓનું દેહછેદન કરે છે ત્યારે સત્ય અને વિજ્ઞાનને નામેતેમના પર કેવી અમાનુષી ક્રૂરતા કરે છે તે હું જાણું છું. આમ ઈશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી.

પણ માણસનું મન એક અધૂરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા પરમતત્ત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડ્યા વગર રહેતી નથી.

આ ઉપરાંત અમારી હિંદુ ફિલસૂફીમાં બીજી એક વાત છે કે એક ઈશ્વર જ છે અને બીજું કશું નથી. ઈસ્લામના કલમામાં પણ એ સત્ય ભાર દઈને જણાવવામાં આવેલું જોવાનું મળશે. તેમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે એક ઈશ્વર જ છે અને બીજું કશુંયે નથી હકીકતમાં સત્યને માટે વપરાતો સંસ્કૃત સત્‌ શબ્દનો શબ્દાર્થ જ જે છે તે અથવા તેની હયાતી છે તે એવો થાય છે.

આ અને આ અને બીજાં તમને બતાવી શકું એવાં ઘણાં કારણોસર હું એવી નિર્ણય પર આવ્યો છું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ વ્યાખ્યા વડે વધારેમાં વધારે સમાધાન મળે છે. અને સત્યને તમે ઈશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એકમાત્ર અનિવાર્ય સાધન પ્રેમ એટલે કે અહિંસા છે. અને વળી હું એવું માનનારો છું કે આખરે સાધન અને સાધ્ય, એક જ અર્થના બે શબ્દો છે, બલકે બંને એક જ વસ્તુ છે તેથી ઈશ્વર પ્રેમ છે એવું કહેતાં પણ હું અચકાતો નથી.

‘ત્યારે હવે સત્ય શું છે ?’

‘સવાલ સાચે જ અઘરો છે’, ગાંધીજીએ કહ્યું. પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય, એવો જવાબ આપી એ સવાલનો ઉકેલ મેં કાઢ્યો છે, તો પછી તમે પૂછશો કે જુદા જુદા લોકો જુદાં જુદાં અને એકબીજાથી વિરોધી સત્યો કેમ વિચારતા હશે ? પણ વધારે વિચાર કરતાં સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે, અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક પ્રકારનો થયો નથી; તેથી આપોઆપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય હોય તે બીજાને માટે અસત્ય હોય; અને તે જ કારણસર સત્યને માટે આ જાતના પ્રયોગો કરનારાઓએ નિર્ણય આપ્યો છે કે એવા પ્રયોગો કરતાં પહેલાં કેટલીક શરતોનું પાલન અનિવાર્ય છે. વિજ્ઞાનના પ્રયોગો કરવાને માટે વિજ્ઞાનની તાલીમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે. તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને યમનિયમોનું કડક પાલન આવશ્યક છે, એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ. એટલે અનુભવને આધારે અમારે ત્યાં એવી દૃઢ માન્યતા થયેલી છે કે જે લોકો પોતાની જાતને અંગત રીતે સત્યને ઈશ્વર તરીકે શોધીને પામવા માગતા હોય તેમણે કેટલાંક વ્રતો પાળીને સિદ્ધ કરવાં જોઈએ. દાખલા તરીકે તેમણે સત્ય વ્રતનું, સત્ય અને ઈશ્વર માટેનો આપણો પ્રેમ બીજી કોઈ વસ્તુને માટે આપણે વહેંચી શકતા નથી તેથી બ્રહ્મચર્ય અથવા શુદ્ધિના વ્રતનું, અહિંસાવ્રતનું, અને અપરિગ્રહ અને ગરીબીના વ્રતનું પાલન કરવું જોઈએ.

આટલાં પાંચ વ્રતો અંગીકાર કર્યા વગર સત્યની શોધના પ્રયોગમાં ન પડવું વધારે સારું થાય. બીજી પણ કેટલીક શરતો આને અંગે મૂકવામાં આવી છે, પણ તે બધી અહીં તમારી આગળ ગણાવી જવાની જરૂર નથી. આ પ્રયોગો કરનારા લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે એ વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે. વળી, કોઈ પણ જાતની યમનિયમની તાલીમમાંથી પસાર થયા વગર આજે હરેક જણ પોતાના અંત-કરણના અવાજ મુજબ ચાલવાનો હક આગળ ધરે છે અને આજની મૂંઝવણમાં પડેલી દુનિયાને એટલું બધું અસત્ય વહેંચવામાં આવે છે કે સાચી નમ્રતાથી હું તમને એટલું જ સૂચન કરી શકું કે જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઈથી સત્યની શોધ થઈ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળપણે તરવું હોય

તો તમારે શૂન્ય બની જવું જોઈએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું તેમ નથી.

૨૧. સત્ય એ જ ઈશ્વર છે

(ગાંધીજીનો આશ્રમનાં બાળકો પરનો પત્ર ‘સિલેક્ટેડ લેટર્સ’ ૧ માં તા. ૨૧-૩-૧૯૩૨ના પત્ર નં. ૩ તરીકે લેવાયો છે.) ચિ.,

ઈશ્વરની મારી વ્યાખ્યાનું સ્મરણ છે કે ? ઈશ્વર સત્ય છે એમ કહેવાને બદલે હું સત્ય ઈશ્વર છે એમ કહું છું. આમ હમેશાં મને સૂઝ્‌યું નથી. સૂઝ તો ચારેક વર્શ પહેલાં જ પડી. પણ મારું વર્તન અજાણપણે એવી રીતે થયેલું છે. ઈશ્વરને મેં તો સત્યરૂપે જ ઓળખ્યો છે. એક સમય એવો હતો જ્યારે ઈશ્વરની હસ્તી વિશે શંકા હતી. પણ સત્યની હસ્તી વિશે તો નહોતી જ. આ સત્ય કેવળ જડ ગુણ નહીં, પણ શુદ્ધ ચૈતન્યમય છે. તે જ રાજ્ય ચલાવે છે.

તથી ઈશ્વર છે. આ વિચારની ગડ બેઠી હોય તો તમારા બીજા પ્રશ્નનો જવાબ એમાં જ આવી જાય છે. પણ ગૂંચવણ હોય તો પૂછજો. મારે સારુ તો આ અનુભવગમ્ય જેવું છે ! ‘જેવું’ કહું છું કેમ કે સત્યદેવનો સાક્ષાત્કાર નથી કર્યો.

ઝાંખી માત્ર થઈ છે. શ્રદ્ધા અડગ છે.

(સિલેક્ટેડ લેટર્સ ૧, કાગળ નં. ૩૮માંથી)

‘ઈશ્વરને સાક્ષાત્‌ જોવા’ વાક્યમાં ‘સાક્ષાત’ નો શબ્દાર્થ નથી

લેવાનો. એ તો ચોક્કસ એક લાગણી છે. ઈશ્વર નિરાકાર છે. તેથી તેને તો ફક્ત ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિથી જ જોવો જોઈએ.

૨૨. અલભ્ય તત્ત્વ

(‘ઈશ્વર અને મહાસભા’માંથી)

એક મિત્ર લખે છે :

એક વાત એવી છે જેના ખુલાસા માટે હું ઘણા સમયથી તમને

મળવા ઈચ્છું છું, જે ‘ઈશ્વર’ શબ્દના સંબંધમાં છે. રાષ્ટ્રીય કાર્યકર્તાને હિસાબે

માં તાજેતરમાં આવેલા ફકરા વિશે હું વિરોધમાં કાંઈ કહી શકું નહીં :

આપે થોડા વખત ઉપર ‘રામનામ’નો મહિમા ગાતાં લખેલું કે,

“જેમની દૃષ્ટિ વધુ પડતી વિદ્યાના રંગથી રંગાઈને શ્રદ્ધા ખોઈ બેઠી નથી તેમને હું ‘રામનામ’ની ભેટ ધરું છું. વિદ્યા જીવનમાં બહુ ખપની છે, પણ ભય અને લાલચની ક્ષણે તે માણસને છેહ આપે છે. એક શ્રદ્ધા જ તે વખતે તેને ઉગારે છે.” મને લાગે છે આ આપની અંગત શ્રદ્ધાનો ઉદ્‌ગાર છે, કારણ અંતર્નાદને જ એકમાત્ર દેવાધિદેવ માનનારા નાસ્તિકોનાં તમે અન્ય પ્રસંગે ઘટતાં વખાણ કરવાનું ચૂક્યા નથી આપના ‘નીતિધર્મ’માં આપે દંભી ધાર્મિકોને તેમ જ મરહૂમ બ્રેડલો જેવા ગુણી અને નીતિમાન નાસ્તિકોને ગણાવ્યા છે. વળી ‘ભય

અને લાલચની ક્ષણે એકમાત્ર શ્રદ્ધા જ માણસને ઉગારે છે’ એ પણ શું સર્વયૈવ સાચું છે ? મધ્યયુગનાં ધર્મયુદ્ધોમાં અને હજુ હમણાં પંદર વર્ષ પર સ્પેનમાં ફ્રાન્સિસ્કો ફેરર જેવા કેટલાયે નાસ્તિકો ‘ઈશ્વરના મહિમાનો પ્રચાર કરનારા’ઓને હાથે હસતે ચહેરે તેમને જીવતા સળગાવી મેલવાની ચિતાઓ પર બળી મૂઆ છે, કતલ થયા છે, અને જીવતાં ચામડીઓ ઉતરાયા છતાં તે સાણસે માંસ તોડાયા છતાં પોતાની માન્યતાઓમાં દૃઢ રહ્યા છે.

“એક પ્રજાસેવક તરીકે હું આપને યાદ દેવડાવું છું કે આપે અગાઉ

ખાતરી આપેલી કે પ્રજાકીય કાર્યોમાં કોઈ વ્યક્તિને પોતાની ધર્મમાન્યતા જાહેર કરવાની ફરજ પાડવામાં એવશે નહીં. હવે જોઉં છું કે સ્વયંસેવકોના પ્રતિજ્ઞાપત્ર જેવી વસ્તુઓનો આરંભ ‘ઈશ્વરને દરમિયાન સમજીને’ એવા શબ્દોની થાય છે. આપ જાણો છો કે બૌદ્ધો, જૈનો તેમ જ ઘણા હિંદીઓ નિરીશ્વરવાદી અગર તો કેવળ પ્રજ્ઞાવાદી છે. આપણે ઉપલી પ્રતિજ્ઞાઓ કઈ રીતે લેવી ? જો ન લેવી હોય તો તેમને તેમની ધર્મમાન્યતાઓને કારણે આમ મહાસભા સેવકદળની બહાર રાખવા એ શું ન્યાય છે ? મને લાગે છે કે આ બાબતમાં ઈશ્વરની જગ્યાએ માત્ર ‘હું પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું.’ એવો વિકલ્પ રાખવામાં આવે. અથવા એથીયે સરસ તો એ કે ‘ઈશ્વર’ શબ્દ જ ન રાખતાં ‘અંતઃકરણ’ કે એ શબ્દ વગર પણ ચલાવીને સૌને માટે એક સામાન્ય એવી પ્રતિજ્ઞા રાખવી. આપે આ પ્રતિજ્ઞાપત્રો ઘડેલાં તેથૂ આપને લખું છું, મેં પહેલાં પણ લખ્યું હતું પરંતુ મને ડર છે કે તમે તેને જોઈ શક્યા નહીં હોં, કારણ કે સપ્ટેમ્બર ૧૯૨૨માં સાબરમતીમાં તમારી ઐતિહાસિક ધરપકડ થયેલી.”

અંતઃકરણના વાંધાને કારણે કોઈ માગણી કરે તો મહાસભાની પ્રતિજ્ઞા, જે ઘડવામાં મરો ફાળો હોવાનું મને અભિમાન છે, તેમાંથી ઈશ્વરનો ઉલ્લેખ ભલે કાઢી નખાય. તે સમયે એવો વાંધો ઊઠ્યો હોત તો હું એકદમ નમતું આપત. હિંદુસ્તાન જેવા દેશમાં એવો વાંધો ઊઠે એમ મેં ધારેલ નહીં.

માં ચાર્વાકમત છે પણ તેના એકેય અનુયાયી હોય એમ મારા જાણ્યામાં નથી. બૌદ્ધ તથા જૈન નાસ્તિક અથવા અજ્ઞેયવાદી છે એમ હું માનતો નથી. અજ્ઞેયવાદી તો તેઓ કદાપિ ન હોઈ શકે. દેહથી સ્વતંત્ર અનેદહાવસાન પછીયે વિદ્યમાન એવા આત્મામાં જેની શ્રદ્ધા છે તેને નાસ્તિક ન કહી શકાય.

ઈશ્વરનું લક્ષણ આપણે સર્વે નોખું નોખું બાંધીએ છીએ. આપણે બધા પોતપોતાનું ઈશ્વરનું લક્ષણ આપવા બેસીએ તો જેટલાં સ્ત્રીપુરુષ છે, એટલાં ઈશ્વરનાં લક્ષણ મળે, પણ આ વિવિધ લક્ષણોની ભિન્નતાના અંતરમાં ભુલાય નહીં એવી અમુક સમાનતા પણ હોય જ. કારણ, મૂળ એક જ છે. ઈશ્વર એ અલક્ષ્ય તત્ત્વ છે. જેનું આપણને ભાન થાય છે પણ જ્ઞાન નથી હોતું. ચાર્લ્સ બ્રૅડલો પોતાને નાસ્તિક કહેવડાવતા એ ખરું, પણ ઘણા ખ્રિસ્તી તેને નાસ્તિક ગણવાની ના પાડતા; અને ઘણા નામધારી ખ્રિસ્તી કરતાં બ્રૅડલો પોતાને વધારે નિકટ છે એમ અનુભવતા. હિંદુસ્તાનના તે સન્મિત્રના છેલ્લા સંસ્કાર વખતે હું સદ્‌ભાગ્યે હાજર હતો. તે ક્રિયામાં કેટલાક પાદરીઓને પણ મેં જોયા હતા. હિંદુ અને મુસલમાન તો ઘણા હતા. તે બધા આસ્તિક હતા. બ્રૅડલો ઈશ્વરનો ઈનકાર કરતા, તે જે સ્વરૂપે ઈશ્વરનું નિરૂપણ બ્રૅડલોના જાણ્યામાં હતું, તે સ્વરૂપે જ તેનો ઈનકાર હતો. તેની સમયમાં પ્રચલિત ધર્મશાસ્ત્ર અને ઉપદેશ તથા આચાર વચ્ચે જે ભયંકર વિષમતા રહેતી તેના વિરુદ્ધ બ્રૅડલો છટા તથા પુણ્યપ્રકોપ સાથે પોકાર કરતા. મારે મન ઈશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે, ઈશ્વર પ્રકાશ તથા આનંદનું ધામ છે. અને છતાં આ સર્વથી ઊંચે તથા પર છે. ઈશ્વર અંતઃકરણની પ્રવૃત્તિ છે, નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે. કારણ પરમ પ્રેમસ્વરૂપે હોઈ ભગવાન નાસ્તિકને પણ જીવવા દે છે. તે અંતર્યામી છે.

વાણી તથા બુદ્ધિ તેને પામી શકતી નથી. આપણે આપણને તથા આપણા હૃદયને જાણીએ છીએ તે કરતાં તે વધારે સારી રીતે જાણે છે. તે આપણા બોલ્યા સામું જોતો નથી, કારણ તે જાણે છે કે આપણે જાણીને અથવા અજાણતાં જેમ આવે તેમ બોલી નાખીએ છીએ. જેને મૂર્તસ્વરૂપે ભગવાનની હાજરી જોઈએ તેની આગળ તે મૂર્તસ્વરૂપે દર્શન દે છે. જેને તેનો ચરણસ્પર્શ જોઈએ તેને અર્થે તે દેહ ધારણ કરે છે. ભગવાન શુદ્ધ સત્‌સ્વરૂપ છે. શ્રદ્ધાળુંને તે કેવળ સત્‌સ્વરૂપ છે. માણસ જેમ તેને પ્રસન્ન થાય તેમ તે તેને ફળ આપે છે.

તે આપણા અંતરમાં છે છતાં આપણાથી પર છે. મહાસભામાંથી ઈશ્વર શબ્દનો ભલે કોઈ બહિષ્કાર કરે પણ કોઈનો ભાર નથી કે એ પરમ પદાર્થને દૂર કરી શકે. ‘પ્રતિજ્ઞાપૂર્વક’ કહેવું એ ‘ઈશ્વરને સાક્ષી રાખીને’ કહેવાની બરાબર જ નથી તો શું છે ? એને ‘અંતર્નાદ’ એ ત્રણ અક્ષરના સાદા સમુદાય ‘ઈશ્વર’નું દીન તથા સીદીભાઈના ડાબા કામ જેવું વિવરણ જ છે. ઈશ્વરને નામે હળાહળ અનાચાર અથવા પશુ જેવાં કામ થાય તેથી ઈશ્વરને કંઈ બાધ આવતો નથી.

તે અત્યંત ક્ષમાવાન છે. તે સહનશીલ છે. પણ તે ભયંકર છે. આ લોકમાં તથા પરલોકમાં પાઈે પાઈનો હિસાબ લેનાર એના જેવો કોઈ નથી. આપણા સંબંધી મનુષ્ય તથા પશુને જેમ આપણે રાખીએ તેમ તે આપણને રાખે છે. અજ્ઞાનનો બચાવ એની પાસે ચાલતો નથી. પણ સાથે સાથે તે સદાય ક્ષમાવાન છે, કારણ તે સદાય આપણને પશ્ચાતાપ કરવાની તક આપે છે. સ્વતંત્રતાનો પક્ષપાતી એના જેવો એકે નથી. કારણ, સત્‌ તથા અસત્‌ના વિવેક વિશે તે આપણને પૂરેપૂરી સ્વતંત્રતા આપે છે. જુલ્મી પણ એના જેવો કોઈ નથી, કારણ તે વારંવાર આપણી કરી કમાણી ક્ષણમાં ધૂળમાં મેળવે છે. અને આપણને સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપવાને મિપે એટલી અલ્પ શક્તિ આપે છે કે આપણે ભોગે તે જાણે રમત રમે છે. એટલે જગતને આપણે ભગવાનની લીલા અથવા માયા કહીએ છીએ. આપણે મિથ્યા છીએ, તે જ કેવળ સત્ય છે. અને આપણે સત્યરૂપ બનવું હોય તો અહર્નિશ આપણે તેનું ભજનકીર્તન કરીએ અને એની આજ્ઞાનું પાલન કરીએ. એની વાંસળીના સૂર પ્રમાણે આપણે નૃત્ય કરીએ એટલે બધાં સારાં વાનાં થાય.

પત્રલેખકે મારી એક

નામની પુસ્તિકાનો પણ ઉલ્લેખ કર્યો છે. મારે વાચકનું આ વાત ઉપર ધ્યાન દોરવું જોઈએ કે પત્રલેખકે જેનો ઉલ્લેખ કર્યો છે એ મૂળ ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી અનુવાદ છે. પણ ગુજરાતી પુસ્તકની પ્રસ્તાવનામાં જ એ વાત સ્પષ્ટ કરી છે કે એ મૌલિક પુસ્તક નથી પણ અમેરિકામાં પ્રસિદ્ધ થયેલા મિ.

સૅલ્ટરના

નામના પુસ્તકને આધારે લખાયું છે. આ અનુવાદ યરવડા જેલમાં મારા ધ્યાનમાં આવ્યો. મને એ જોઈને અફસોસ થયો કે એમાં મેં જેના ઉપરથી લખ્યું છે તે મૂળ પુસ્તકનો કોઈ ઉલ્લેખ નથી. અનુવાદકે પોતે પણ મૂળ ગુજરાતી નહીં પણ એના હિંદી અનુવાદનો આધાર લીધો છે. આમ એનો અંગ્રેજી અનુવાદ એક ‘દ્રાવિડી

પ્રાણાયામ’ જ કહી શકાય. અમેરિકન પુસ્તકને લેખક પ્રત્યે આવો ખુલાસો કરવો જરૂરી હતો. એ આનંદની વાત છે કે પત્રલેખકે એની યાદ આપીને મને એનું ઋણ અદા કરવાનો અવસર આપ્યો.