Teach children good manners. books and stories free download online pdf in Gujarati

બાળકોને સારી રીતભાત શીખવીએ.

બાળકોને સારી રીતભાત શીખવીએ.

નમસ્તે વાચક મિત્રો. આપણું બાળક આદર્શ હોય, સંસ્કારી હોય તે સૌને ગમે છે. દરેક માતા પિતા તેમના બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. તેઓ હંમેશા ઈચ્છતા હોય છે કે તેમના બાળકો સ્વસ્થ અને સુખી રહે. બાળકોની ખુશીઓ માટે તેઓ તેમની તમામ માગોને પૂરી કરવા ઈચ્છતા હોય છે. આ ઉપરાંત તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને સારું શિક્ષણ મળે તે દિશામાં સતત પ્રયત્નશીલ હોય છે. જોકે ઘણા માતાપિતા બાળકોના પ્રેમમાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે, કે જે બાળકોના વ્યવહાર પર વિપરીત અસર કરે છે. બાળકોના પાલન-પોષણ દરમિયાન તમામ જરૂરિયાત પૂરી કરવા સાથે તેમની કેટલીક ભૂલોને નજર-અંદાજ કરવી, તેમની જિદ્દ તથા ગુસ્સાભર્યા વલણને ટોક્યાં વગર પોષણ આપે છે. જેને લીધે બાળકો પર તેની ધીમે ધીમે વિપરીત અસર સર્જાવા લાગે છે અને ભવિષ્ય પણ ખરાબ થવા લાગે છે. આ સંજોગોમાં માતા-પિતા બાળકોને સંસ્કાર તથા અનુશાસન શીખવે. જેથી બાળકો એક આદર્શ વ્યક્તિ, આદર્શ દીકરા-દીકરી અને સફળ નાગરિક બની શકે છે.


આજ્ઞાંકિતતા અને નમ્રતા :

આ બંન્ને ગુણો આપણાં બાળકમાં કેળવાય તે ખૂબ જ જરૂરી છે. વડીલો, માતા પિતા અને ગુરૂજનોની આજ્ઞાપાલન કરે તે માટે આપણાં શાસ્ત્રોમાં વર્ણવેલા આદર્શ બાળકો જેવાંકે, ઉપમન્યુ, ધૃવ, પ્રહલાદ અને ભગવાન શ્રી રામ અને કૃષ્ણનાં બાળપણની વાતો કરવી. બાળકોને ખૂબ જ વાર્તાઓ કહેવી. આજ્ઞાપાલનનું મહત્ત્વ અને તેનાં ફાયદાઓ બાળકોને જણાવો. જે બાળકો આજ્ઞાંકિત નથી તેઓને કેટલું નુકશાન થાય છે તે બતાવવું. એ જ રીતે નમ્રતાનો ગુણ પણ ખૂબ જ મહત્વનો છે. 'નમતાથી તો સૌ કોઈ રીઝે' ઉદાહરણ સાથે સમજાવવું.



વડીલો પાસેથી મંજૂરી મેળવતા શીખવવું :

બાળકો તેમના મન પ્રમાણે કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેમા કંઈ ખોટું નથી. પણ નાની ઉંમરમાં તેમને ખરુ શું-ખોટું શું તે અંગે વાકેફ હોતા નથી. આ સંજોગોમાં મનની ઈચ્છાથી કરેલા કાર્ય ખોટા માર્ગે પણ લઈ જઈ શકે છે. માટે માતાપિતાએ બાળકોમાં શરૂઆતથી જ પૂછીને કાર્ય કરવાની આદત પાડવી જોઈએ. ભોજન કરતા પહેલા માતાપિતાની મંજૂરી લે, બહાર રમવા જવા માતાપિતાની મંજૂરી લેવી જોઈએ. વડીલોને પૂછવાની આદત બાળકોને સંસ્કારી બનાવે છે.

બાળક ભૂલ કરે તો તરત અટકાવો:

બાળકની ભૂલોને નજરઅંદાજ ન કરો. ભૂલોને પ્રોત્સાહન ન આપો. સામાન્ય રીતે બાળકો ભૂલ કરવાના સંજોગોમાં અટકાવવામાં આવતા નથી. ઠપકો આપવામાં આવતો નથી અને વધારે પડતા પ્રેમને લીધે બાળકો બગડવા લાગે છે. નાની ઉંમરમાં જ્યારે બાળકો વડીલોને નામથી બોલાવે છે તો સૌને સારું લાગે છે. પણ તે ઉંમરવામાં વડીલોને સંબંધના નાતે સંબોધન કરી બોલાવવા શિખવી શકાય છે. બાળકોની ભૂલ પર હસવા અથવા તેને નજર-અંદાજ કરવા ને બદલે માતાપિતાએ તેમને ટોકવા જોઈએ અને ફરી વખત ભૂલ ન કરે તે માટે ધ્યાન રાખવું જોઈએ.

સૌનું - વડીલોનું સન્માન કરતાં શીખવો :

આપણાં બાળકોને શીખવો કે, " બીજાને સન્માન આપવાથી આપણું સન્માન વધે છે. બાળકોને સંસ્કાર શિખવવા માટે સૌથી પહેલા જરૂરી છે કે તે વડીલો અને મોટા લોકોનું સન્માન કરતા શિખવવામાં આવે. જો બાળક સન્માનપૂર્વક કોઈ વાત ન પૂછે, રડે, બુમો પાડે અને હાથ-પગ પછાડી વાત કરે તો તમારો નિર્ણય બદલશો નહીં. પણ તેને સમજાવો કે આ રીતે તેમની કોઈ વાત માનવામાં આવશે નહીં. કોઈ પણ કાર્યને યોગ્ય રીતે કરવા માટે તેને સૌને સન્માન આપવું જોઈએ. તેને પોતાના અયોગ્ય વ્યવહારને બદલવા માટે યોગ્ય રાહ શીખવો.

દરેક સાથે શાંતિથી વાત કરે :

કેટલાંક બાળકો પોતાની માંગણી પૂરી કરવા માટે બૂમ બરાડા પાડે છે. સામાન્ય રીતે બાળકો પોતાન વાત મનાવવા માટે ગુસ્સો પણ કરે છે. વાતો કરે છે. લાડ પ્રેમને લીધે ક્રોધ કરતા પણ શીખી જાય છે અને કોઈપણ વ્યક્તિ સાથે ક્રોધમાં આવીને વાત કરવા લાગે છે. જો તેના નારાજ થવાના અથવા ગુસ્સે થવાના સંજોગોમાં તમે તેની વાત માની લેશો તો દરેક વખતે તે આ પ્રકારનો વ્યવહાર કરતો રહેશે. બાળપણમાં તે આ પ્રકારના વ્યવહારને સહન કરી શકાય પણ મોટા થવાના સંજોગોમાં આ એક કુટેવ થઈ જશે અને તે તમારા નિયંત્રણની બહાર જઈ શકે છે. માટે તેને ગુસ્સા પર નિયંત્રણ કરતા શિખવો.

વહેંચીને ખાતાં - રહેતા શીખવવું :

નાની ઉંમરવામાં જ્યારે બાળકને નાના અથવા મોટા ભાઈ-બહેન અથવા અન્ય બાળકો સાથે રાખવામાં આવે છે તો તે પોતાના માતાપિતાને અન્ય બાળકો પાસે લાડ પ્રેમ કરતા જોઈ ચિડવે છે. આ ઉપરાંત ઘર પર બે અથવા બે કરતા વધારે બાળકોની લડાઈની પાછળ એક કારણ એવું પણ હોય છે કે તે એક બીજાને પોતાની ચીજવસ્તુ શેર કરવા ઈચ્છતા નથી. આ સંજોગોમાં બાળકોને શેયરિંગ કરતા શિખવું જોઈએ. અન્યોને ચીજવસ્તુ, ખાવા-પીવાને લગતી વસ્તુઓ શેર કરતા શીખવું જોઈએ. જેથી તે સ્વાર્થી બને નહીં અને બાળકોમાં સારા સંસ્કાર કેળવાય.