Are you angry or your child?? books and stories free download online pdf in Gujarati

તમે ગુસ્સો કરો છો કે તમારુ બાળક ??

તમે ગુસ્સો કરો છો કે તમારુ બાળક ???

નમસ્તે વાચક મિત્રો. શું તમારું બાળક ગુસ્સો કરે છે ? બાળકોમાં વધુ પડતી ચંચળતા, ઝંપીને એક જગ્યાએ ન બેસવું, એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું વધી રહ્યું છે. ચીડિયા સ્વભાવના કારણે બાળકો નાની-નાની વાત પર ગુસ્સે થવા લાગે છે. જ્યારે બાળક ગુસ્સે થાય છે, ત્યારે કેટલાક માતા-પિતા બાળકને મારે છે, મારવાથી બાળકનો સ્વભાવ વધારે ચીડિયો થતો જાય છે. તો ચાલો જાણીએ કે શા માટે બાળક ગુસ્સો કરે છે ? તમે આ ટિપ્સ અપનાવીને બાળકના સ્વભાવને સુધારી શકો છે.

કારણ શું છે તે જાણો :

એવું કયું કારણ છે જે બાળકને ગુસ્સો કરાવે છે ! વારંવાર બાળક ગુસ્સે થાય છે? તો સૌથી પહેલા તમે એ વાતને જાણવાનો પ્રયત્ન કરો કે બાળકો કયા કારણોસર ઇરિટેડ થઈ રહ્યા છે. જો તેઓ કોઈ મુશ્કેલીમાં ફસાયેલ છે અથવા તેમની પરિસ્થિતિને નથી સમજી શકતા તો તમે તેમની મદદ કરો. સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરો કે આખરે એવી કઈ વાત છે જે તેમને પરેશાન કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે માતા-પિતાએ બાળકને સમય આપવો જ જોઈએ. તેનાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે અને ચીડિયાપણું દૂર થાય છે. આવી સ્થિતિમાં તમે બાળકની સાથે વધુમાં વધુ સમય વિતાવો. 5થી 8 વર્ષના બાળકોમાં ચીડીયાપણું થવાના કારણો માં પહેલું છે કે, એમને લાગે છે કે એમને એના ભાઇ-બહેનને વધારે પ્રેમ મળે છે. બીજુ કે તેમની ડીમાન્ડ પૂરી નથી થતી ત્યારે, તથા વારંવાર મારવામાં આવે છે . આપણે આ બાબતોને સમજવી પડશે અને તેમના ગુસ્સાનું કારણ દુર કરવું પડશે. 14થી 25 વર્ષના ઉંમરના બાળકોમાં સામાન્યપણે ગુસ્સો પેરેન્ટ્સના બિહેવને કારણે આવે છે. વારંવાર ટોકવું, ભૂલ પર ખુબ જ ઠપકો આપવો, જાહેરમાં અપમાન કરવું, કરીયરને લઇને ઠપકો આપવો વગેરે હોય શકે છે.


સમસ્યાનો શાંતિથી ઉકેલ મેળવો :

મોટેભાગે કેવું બને છે, બાળક ગુસ્સે થાય એટલી આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. બાળક ચીસો પાડે, રડે કે ધમપછાડા કરે ત્યારે બમણાં જોરથી આપણે તેના ગુસ્સાને શાંત રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.ઘણા માતા-પિતા બાળકોને ગુસ્સામાં મારવાનું શરુ કરી દે છે પરંતુ તેના કારણે બાળકો ચીડિયા સ્વભાવના થવા લાગે છે. ખાસ કરીને જો શરૂઆતમાં જ બાળકોમાં તમને ચીડિયા સ્વભાવ દેખાઈ રહ્યો છે તો તમે તેમને શાંત કરવાની કોઈ તક શોધો. શાંત રીતે તેમની સમસ્યાઓનો ઉકેલ સરળતાથી મળી જશે.તમે બાળકને ઇરિટેડ થવાથી બચાવવા માટે તમે તમારી જાતને શાંત રાખો. જો તમે પોતે શાંત રહેશો તો જ બાળકો પણ શાંત રહી શકશે. બાળકને શીખવો કે તેમને તેમનો ગુસ્સાને શાંત કરતા પણ આવડવું જોઈએ. ઘણી વખત બાળકો પોતે એ વાત નથી સમજી શકતા કે તેઓ કેવી રીતે પોતાના ગુસ્સા પર નિયંત્રિત કરી શકે છે જેના કારણે તેઓ ચીડિયા થવા લાગે છે. બાળકો ચીડચીડયા બનવા ઘણીવાર સામાન્ય બાબત છે. પરંતુ વાત-વાત પર જ્યારે બાળક ગુસ્સો કરવા લાગે અને ગુસ્સામાં ઘણીવાર સામાન ફેંકવો અને વસ્તુઓ તોડી નાંખવી જેવા લક્ષણ જો જોવા મળે છે તો આપે સાવધાન થઇ જવાની જરૂર છે.

પોઝિટીવ રીતે કરો કંટ્રોલ

બાળકોને કંટ્રોલ કરવા હકારાત્મક વલણ અપનાવો. જો તમે જ એવું વિચારશો કે, " મારું બાળક ગુસ્સો કરે છે, મારું બાળક સારુ નથી " તો આ બાબતની બાળ માનસ પર ખૂબ અસર થશે. તમે જેવું વિચારશો તેવું જ તમારુ બાળક બનશે. બાળ સહજ વૃત્તિ છે તો પ્રેમથી અપનાવી લઇને શાંતિથી કામ લેવું જોઈએ. બાળકો જ્યારે ગુસ્સો કરે છે તો માતા પિતાને પણ ગુસ્સો આવે તે જાહેર છે. પરંતુ તેઓએ કંટ્રોલ કરવું જોઇએ. જો બાળકો પર ગુસ્સો કરવામાં આવશે તો પરિસ્થિતિ વધુ બગડી શકે છે. જ્યારે તે શાંત થાય ત્યારે તેને સમજાવવા જોઇએ. હોર્મોન્સમાં અસંતુલન થવું પણ ગુસ્સો અને ચીડીયાપણુંનું મોટું કારણ હોય છે. ટીનએજર્સમાં ઘણી હાઇ લેવલની એનર્જી હોય છે. જ્યારે આ એનર્જી યોગ્ય જગ્યાએ યૂટિલાઇઝ કરવામાં આવતી નથી તો ગુસ્સા રૂપે બહાર આવે છે તો આવા સમયે બાળકોને કોઈ મનપસંદ પ્રવૃત્તિ તરફ વાળો.

એકાગ્રતા વધે તેવી રમતો રમો :

બાળકો સાથે ખૂબ રમો. તેઓનો આત્મવિશ્વાસ વધશે. બાળક જ્યારે ગુસ્સો કરે ત્યારે એકાગ્રતા વધે તેવી કોઈ પ્રવૃત્તિ કરાવો જેમકે,,, શ્વાસ ગણવાં, શ્વાસ જોવા, એક થી સો ની ગણતરી કરાવવી. શાંતિથી બાળકને એકાગ્રતાની પ્રવૃત્તિ વધે તેમ પ્રયત્ન ચાલુ કરી દો. જરુર ફરક પડશે. બાળકોને પણ તમારી સાથે નિયમીત ધ્યાન કરવા બેસાડો.

હિંસક મીડિયાથી દૂર રહો :

આજકાલ બાળકોને ફોન અને ટીવીનો લગાવ દિવસે દિવસે વધતો જાય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ જાણવું જોઈએ કે તેમનું બાળક શું જોઈ રહ્યું છે. ઘણા એવા વિડિયો, સિરિયલો અને ગેમ્સ ઇન્ટરનેટ પર છે જે જોઈને બાળકમાં આક્રમકતા વધી શકે છે અને તે બાળકને હિંસક બનાવી શકે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે હિંસક મીડિયા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બાળકને મોબાઈલથી દૂર રાખવા માટે, કોઈ પુસ્તકનું વાંચન ઉપરાંત કેટલીક રચનાત્મક પ્રવૃત્તિ કરવા અથવા બહાર રમવા માટે પ્રોત્સાહિત કરો. ફોન કે ટી. વી. માં આવતી સારી બાબતો જોવા પ્રત્યે ઘ્યાન દોરવું.

બાળકોને ખૂબ પ્રેમ કરો :

નાના બાળકોને પ્રેમ આપો-વાત કરો. 3થી 10 વર્ષના બાળકોને માતાપિતાનો પ્રેમ જરૂરી હોય છે. જ્યારે એ નથીં મળતો તો બાળકમાં ચીડીયાપણું આવવા લાગે છે. તેથી જ્યારે પણ બાળક અચાનક ચીડચીડીયું નજરે પડે છે તો તેને ખુબ જ પ્રેમ આપો. તેના મનની વાત જાણવા પ્રયત્ન કરવો જોઇએ. પ્રેમ એ ગુસ્સો ઓછો કરવા માટેનું અમોધ શસ્ત્ર છે. આમ પણ પ્રેમથી સર્વે કંઈ હાંસલ કરી શકાય છે. નાના મોટાં સર્વે માટેની ઉત્તમ ઔષધિ એટલે પ્રેમ. જ્યાં કોઈ શસ્ત્ર કામે ન લાગે ત્યાં પ્રેમથી જીતી શકાય છે. પ્રેમનો અભાવ પણ બાળકોને બગાડી શકે છે.

ઘરનું વાતાવરણ સુધારવું :

ઘર એ જ બાળકોની મુખ્ય યુનિવર્સિટી છે. જો ઘરમાં લડાઇ-ઝગડા અથવા તો તણાવનો માહોલ છે તો એક સ્વસ્થ્ય બાળક પણ માનસિક રૂપે બીમાર થઇ શકે છે. તેના બાળ મન પર તેનો ઘણો પ્રભાવ પડે છે. તેથી ઘરનું વાતાવરણ હંમેશા પોઝિટીવ રાખવું જોઇએ.બાળકોની હાજરીમાં લડાઈ ઝગડા કરવાં નહી. બાળકોની હાજરીમાં ગુસ્સો પણ કરવો નહીં. બાળકને શીખવો કે મારપીટ ખોટી વાત છે. જો બાળક ગુસ્સામાં ધક્કો મારે તો તેને સમજાવો કે ગુસ્સે થવું ઠીક છે પણ ગુસ્સામાં કોઈને મારવું કે નુકસાન કરવું ખોટું છે. આ સકારાત્મક અભિગમ અને પ્રયત્નોથી તમે બાળકના ગુસ્સાને નિયંત્રિત કરી શકશો. જે તેના જીવનકાળ માટે ઉપયોગી થશે.

સાઇકોલોજિસ્ટની હેલ્પ લો :

ખૂબ પ્રયત્નોના અંતે પણ બાળક કાયમ આક્રમક રહેતુ હોય તો સાયકોલોજિસ્ટની સલાહ લો. આપણાં દેશમાં બધાં ડોક્ટરો પાસે જવામાં કોઈ સંકોચ નથી રાખતું પણ જ્યારે સાઈકોલોજિસ્ટ પાસે જવાનું થાય ત્યારે ખૂબ પાછા પડીએ છીએ. જો આપને લાગે છે કે આપના બાળકમાં તમામ પ્રયાસ કરવા છતા કોઇ બદલાવ નથી આવી રહ્યો તો સાઇકોલોજિસ્ટની મદદ લેવી જોઇેએ. વાત-વાત પર જ્યારે બાળક ગુસ્સો કરવા લાગે અને ગુસ્સામાં ઘણીવાર સામાન ફેંકવો અને વસ્તુઓ તોડી નાંખવી જેવા લક્ષણ જો જોવા મળે છે તો આપે સાવધાન થઇ જવાની જરૂર છે. સામાન્ય ગુસ્સો જ્યારે અસામાન્ય બની જાય ત્યારે બાળકોને આપની સાથે સાઇકોલોજિસ્ટ પાસે લઇ જવાની જરૂરી છે. ક્લિનીકલ સાઇકોલોજિસ્ટ આપના બાળકની સમસ્યાને સમજીને તેનો ઇલાજ કરશે. જે બાળકના ભવિષ્યને બગડવાથી બચાવી શકે છે.