Let's make children insist on cleanliness books and stories free download online pdf in Gujarati

બાળકોને સ્વચ્છતાના આગ્રહી બનાવીએ

બાળકોને સ્વચ્છતાના આગ્રહી બનાવીએ


નમસ્તે વાચક મિત્રો. આજે હું બાળકોમાં સ્વરછતાના ગુણો કેવી રીતે કેળવાય? તે માટે શું કરવું જોઈએ ? આ વાત આપની સમક્ષ લઈને આવી છું. બાળકોને આપણે સમજાવીશું કે, આ૫ણે સ્વચ્છતા અને સાદગીના પૂજારી મહાત્મા ગાંધીજીના દેશના નાગરીકો છીએ. માટે આ૫ણને સ્વચ્છતા કોઇ એ શીખવવી ના જોઇએ. ૫રંતુ આ૫ણે સમગ્ર વિશ્વને સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડવું જોઇએ. ૫રંતુ તેની સામે આ૫ણે સ્વચ્છતા બાબતે કંઇ મહત્વપૂર્ણ કાર્યો કરી શકયા નથી. આ૫ણા દેશના રોડ, રસ્તા ૫ર ૫ડેલો કચરો અને ગંદા નદી, નાળાઓ આ૫ણી સ્વચ્છતાની ચાડી ખાય છે. આમ, સ્વચ્છતા એ આપણા સૌના જીવનમાં પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. તેની સાથે બાળકોના અભ્યાસક્રમમાં પણ સ્વચ્છતા માટે પ્રેરણાદાયી પાઠ આપીને બાળકોના જીવન ઘડતરમાં સ્વચ્છતા મહત્વની ભૂમિકા ભજવે છે એ વિવિધ ઉદાહરણો સમજાવવું જોઈએ.



સ્વચ્છતાની જરૂરિયાત:-

સ્વચ્છતા એ માનવ જીવનમાં આવશ્યક ગુણ છે. દરેક વ્યક્તિએ પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. કારણ કે સ્વચ્છતા માણસને રોગોથી દૂર રાખે છે. અને જ્યારે વ્યક્તિ રોગોથી દૂર રહે છે, તો તેનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે.
જેમ મનુષ્યના જીવનમાં હવા, પાણી, ખોરાક, રહેઠાણ અને પોષાક જરૂરી છે, તેવી જ રીતે સ્વચ્છતા પણ જરૂરી છે. કારણ કે જો તમે તમારી આસપાસ સ્વચ્છતા નહીં રાખો તો મેલેરિયા, કોલેરા, કમળો જેવા ખતરનાક અને જીવલેણ રોગોનો જન્મ થશે. જેના કારણે માત્ર તમે જ નહીં તમારા બાળકો પણ જોખમમાં મુકાશે. પરંતુ જો તમે તમારી આસપાસ સ્વચ્છતા રાખશો તો આવા જીવલેણ રોગો તમારાથી દૂર રહેશે.


પ્રાચીન શિક્ષણ પદ્ધતિની સમજ:-

પહેલાના જમાનામાં બાળકો આશ્રમ અને ગુરુકુળમાં રહેતા હતાં ત્યાં રહીને પોતાના દરેક કાર્યો જાતે કરતા હતા અને તેઓમાં સ્વચ્છતા વિશેના ગુણો જોવા મળતા હતાં.ભગવાન શ્રી રામ અને કૃષ્ણ પણ ગુરુજી સાથે આશ્રમમાં રહેતાં હતાં, સફાઈ કરતાં હતાં, જંગલમાં લાકડાં કાપવા જતાં હતાં અને રસોઈ પણ બનાવતાં હતાં, આ વાત પણ બાળકોને સમજાવો.
જયારે અત્યારના સમયમાં બાળકોમાં શિક્ષણ એટલે બસ પુસ્તકોના થોથાંમાં અટવાવવું એ જ. સાચું શિક્ષણ એટલે બાળકોનો સર્વાંગીણ વિકાસ આ વાત બાળકોને સમજાવો.


આપણે જ સ્વરછતાના આગ્રહી બનીએ:-

બાળકો ખૂબ અનુકરણશીલ હોય છે. આપણે જેવું કરીએ છીએ તે બઘું જ જુવે છે, ઝીણામાં ઝીણી બાબતની બાળક નોંધ લે છે. નાનપણથી જ બાળકો જે જોતા આવશે તે મુજબ બાળકીની ટેવ પડશે જ. આપણે જ્યાં ત્યાં ગંદકી કરતાં હોઈએ છીએ અને બાળક પાસે આગ્રહ રાખીએ છીએ, આવું કરવાથી બાળક સ્વચ્છતાથી દૂર ભાગશે તથા આપણે જેવું કરીશું તેવું જ કરશે. માટે બાળકોમાં સ્વચ્છતાનો ગુણ કેળવતાં પહેલાં આપણે આ ગુણ કેળવીશું.


નાનપણથી જ સ્વચ્છતા અંગે જાગૃતિ :

બાળકો નાના હોય ત્યારથી જ આ ગુણ કેળવાય તે બાબતે જાગૃત રહેવું. બાળકો જમતાં પહેલાં હાથ બરાબર સાફ કરે છે કે નહી તે નિયમિતપણે આપણે ચકાસવું. થોડો સમય જ આ ઘ્યાન રાખવું પડશે પછી બાળકોમાં ટેવ પડી જશે ત્યારે કહેવું નહી પડે. નાનપણથી જ બાળકોને હાથપગની સ્વચ્છતા, નખ અને વાળની સ્વછતા, નિયમિત સ્નાન કરવું, આંખો અને દાંત બરાબર સાફ રાખવા વગેરે જેવી શરીરની સ્વચ્છતા માટે કાળજી રાખવી. બાળકો સ્વચ્છ કપડાં અને ચોપડાં રાખે તેનુ ઘ્યાન રાખવું. ઘરમાં અને શાળામાં પોતાનાં કામ જાતે કરશે તો આપોઆપ સ્વચ્છતાના ગુણો બાળકમાં કેળવાશે.

સફાઈ કરવામાં નાનમ અનુભવવી :-

અત્યારે બાળકો કામ કરવામાં શરમ અનુભવે છે. નાનમ અનુભવે છે. સફાઈ કરવામાં કેવી નાનમ ! સફાઈ એ તો આપણું એક અભિન્ન કાર્ય બનવું જોઈએ? બાળકો પોતાના કાર્યો જાતે કરતા અટકે છે, શર્મ અનુભવતા હોય એવું લાગે છે અને તેમના વાલીઓ પણ તેમની પાસે કામ કરાવતાં તેમને અટકાવે છે. આ બાબત બાળકોને સમજાવવી જોઈએ કે, પહેલાંના જમાનામાં તો ખેતરોમાં કામ કરવું પડતું હતું અને માઈલો સુધી ચાલીને શાળાએ કે એક ગામથી બીજે ગામ જવું પડતુ અને શારીરિક કસરત આપોઆપ થતી. અત્યારે જો બાળકો પોતાનાં ઘરમાં કે શાળામાં પોતાની વસ્તુ સાફ રાખશે અને સફાઈ કરશે તો એક કસરત છે આ બાબત આપણાં બાળકોને શીખવીએ. બાળકોએ પોતે સ્વચ્છતા વિશે જાગ્રત થઇ અને વાલીઓએ પણ તેમની પાસે કામ કરાવવું જોઈએ.

મહાન વ્યક્તિઓના ઉદાહરણો :-

શ્રીરામ અને કૃષ્ણ ભગવાન છે તેઓ પણ બાળપણમાં ગુરુકુળમાં સફાઈ કરતાં હતાં !!! આપણાં રાષ્ટ્રપિતા ગાંધી બાપુ પણ સ્વચ્છતાના આગ્રહી હતા. આખો દેશ જાણે છે કે પૂ. બાપુ જાતે સફાઈ કરતાં અને પોતાનુ કામ જાતે કરતાં. આ સિવાય આપણાં હાલનાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ નાના હતાં ત્યારથી જ સ્વચ્છતાના આગ્રહી અને સફાઈ કરવામાં કદી નાનમ નહી. પોતાનાં કામ જાતે કરવાં. પોતાનુ ઘર - આંગણું ચોખ્ખું રાખવું, પોતાની વસ્તુઓ ચોખ્ખી રાખવી. આ બધાં ગુણો નાનપણથી જ કેળવાયા અને તેઓ મહાન બન્યાં. આવાં બીજાં અનેક મહાન વ્યક્તિઓના જીવનની વાતો આપણાં બાળકોને કરીએ.


કચરાપેટીઓ ઉપયોગ :

ઘરે કે શાળામાં અવશ્ય કચરાપેટીનો ઉપયોગ કરતા બાળકોને શીખવીએ. કચરો જ્યાં ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં જ નાખીએ તેવી સમજ આપીએ.
જ્યાં ત્યાં કચરાપેટી હોવા છતાં સ્વચ્છતા વિશે જાગ્રત નથી. ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરીએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ.પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે વ્યવસ્થા મૂજબ ગંભીરતા રાખી અલગ કરવાની ટેવ પાડીએ.
આપણે કચરાના નિકાલ માટે અને એમાંય ફરીથી કામમાં આવી શકે તેવા કચરાને રીસાયકલ કરી તેનો ઉપયોગ થઇ શકે તેમ છે તે બાબતે જાગ્રત થવા જેવું છે. જો આપણે આપણી આજુબાજુના વાતાવરણનું ધ્યાનથી જતન કરીશું તો જ સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં સાર્થક થશે. આ બાબતો આપણાં બાળકોને અચૂક સમજાવીએ.

જાગૃતિ પંડ્યા ,
આણંદ.