Temple in the witch-Kungher, Patan books and stories free download online pdf in Gujarati

ચૂડેલમાં મંદિર-કુણઘેર તા.પાટણ

"કુણઘેર ચૂડેલમા મંદિર"
🙏🌹🙏
ઉત્તર ગુજરાતમાં અમદાવાદથી ૧૬૦ કિલોમીટર દૂર પાટણ જિલ્લાના મથકથી "કુણઘેર" નામે ગામ આજે માતા ચૂડેલનું નાનકડું મંદિર છે.અત્યાર સુધી તમે ઘણા માતાના મંદિર અને માતાજી વિશે સાંભળ્યું હશે.ચૂડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે.શ્રીચુડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક ખુબ જ રમણીય તીર્થધામ છે.ચૂડેલ માતાજીનું મંદિર પાટણથી ૧૦ અને અમદાવાદથી ૧૬૦ કિલોમીટર હારીજ પાટણ હાઇવે પર આવેલું જૂનું પુરાણું ગામ આવેલું છે.
જે દરેક લોકો માટે જાણવા જેવી વાત છે.કેમ કે પહેલા આપણને એ પ્રશ્ન થાય કે આખરે કોઈ ચૂડેલ માતાજી કઈ રીતે બને!તો આશરે એક દાયકા પહેલાની વાત છે.ચૂડેલ માતાજીનું મૂળ વતન જૂના જામપર હતું અને તેઓ વાઘેલા કુળની દીકરી હતાં.જામપર ગામથી લોક બોલીમાં મળતી માહિતી મુજબ તેમની માતાનું નામ પન્નાશા હતું અને તેઓ ઉત્તર ગુજરાતના રાજપૂત હતાં.
શ્રી ચૂડેલ માતાજીનું મૂળ નામ દેવલબા હતું.દેવલબા તેમના પિતાની એકને એક દીકરી હતાં.
તેઓ બનાસ નદીના તટ પર રહેતા હતાં.દેવલબા જ્યારે સોળ વરસના થયાં ત્યારે જામપર ગામમાં વરસાદ ન પડવાથી દુકાળ જેવી સ્થિતિ આવી પડી.ત્યારે જલોત્રા કરવાનો સમય થઇ ગયો હતો અને દેવલબાને કંકુ ચોખા લાવવાનું કહ્યું હતું પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા.તેમને બુમ સંભળાઈ અને તેઓ ઊંઘમાંથી બેઠાં થતાંની સાથે ખાટલા નીચે પગ મુકે છે ત્યાં નીચે કાળો નાગ આવીને ઉભો રહે છે.દેવલબા કંકુ ચોખા લેવા ન જઈ શક્યા અને એ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો.આટલી નાની ઉમરે તેમના પિતાને થયું કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી.દૈવી અવતાર છે.
તેમના બીજા પરચાની વાત કરીએ તો એક વાર ગામના પાદરે દેવલબા રમતાં હતાં ત્યારે બે આખલા લડતા લડતા દેવલબા પાસે આવી પહોંચે છે.લોકો આમ તેમ ભાગવા લાગે છે,દેવલબા નિર્ભય ત્યાં જ ઉભા રહે છે.આખલામાંથી એક આખલો પાછા પગલે દેવલબા પાસે આવ્યો ત્યાં દેવલબાએ આખલાના શીંગડા પકડીને તેને ભગાડી મુક્યો.આ દ્રશ્ય જોઈ ગામના લોકો હેરાન રહી ગયા.
મિત્રો આ રીતે ચૂડેલ માતાના અનેક પરચાઓ થઇ ચુક્યા છે.આજે આપણે એ જાણવાનું છે કે આખરે તેઓ દેવલબા માંથી ચુડેલ માતાજી કઈ રીતે બન્યાં.
દેવલબા યુવાનીના ઉંબરે પહોંચ્યા ત્યારે ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ભજન ગાવા માટે ભજન મંડળી આવી હતી.કલાકાર વિક્રમસિંહ કરીને એક યુવક તેમાં મુખ્ય કલાકાર હતો. ભજન ગવાતાં હતાં દેવલબા વિક્રમસિંહને મનોમન પરણી બેસવાના મનસુબા સેવતાં હતાં.દેવલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગે છે.અને વિક્રમસિંહ પણ તેમની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે.માધ્યરાત્રી બાદ ભજન કાર્યક્રમ સંપન્ન થતાં દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે "ગામના પાદરે વડની વડવાઈઓ પકડીને ઘોડા સાથે હીંચકો ખાઈ બતાવે તો જ હું તમને પરણું."
વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે.
અમુક દિવસો બાદ દેવલબાએ જે વચન આપ્યું હતું તે સમયે વિક્રમ સિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થાય છે.વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયને ચોરી લઇ જતા હતા.વિક્રમસિંહ તે ગાયને બચાવવા વ્હારે કસાઈ સાથે લડે છે.કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારી ભગાડી ગાયને તો છોડાવી મૂળ માલિકને પાછી આપવા જાય છે.પરંતુ ચોર સાથે ઘર્ષણ થતાં તલવારના ઘા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા હોય છે..તેમ છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દેવલબાના ગામે આવે છે.અને શરત પ્રમાણે ગામના વડની વડવાઈએ ઘોડી સાથે હીંચકો ખાઈને દેવલબા પાસે આવે છે.ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે.તેમને પાટા પિંડી દવા કરી આરામ કરવાનું કહે છે. માર્ગમાં મોડા આવ્યાની તમામ ઘટના દેવલબાને જણાવે છે.દેવલબા વિક્રમસિંહના પરાક્રમ અને શૌર્યથી પ્રભાવિત થયાં છે અને ઘડિયાં લગ્ન કરવાની મનશા જાહેર કરે છે. અંતે સર્વ સંમતિથી વિક્રમસિંહ દેવલબાને લગ્નસૂત્ર વડે બંધાય છે.દેવલબા જોડે લગ્ન કરી વિક્રમસિંહના ગામ તરફ જવા નીકળી જાય છે.ત્યારે રસ્તામાં એક અંધારિયો કુવો આવે છે.કૂઈ પાસે બન્ને વિશ્રામ કરે છે. વિચાર કરે છે કે મારું દેવતાઈપણું જાહેર થઇ ગયું છે અને સામે પક્ષે દેવલબાને પણ મનમાં થાય છે કે મારું સતિત્વપણું જગજાહેર થઇ ગયું છે. કુદરતનો નિયમ તોડીને અમેં બેઉ લગ્ન ગ્રંથિથી જોડાયાં છીએ ન કરે નારાયણ અને કાલે અમારો વંશ પણ આ રીતે લગ્ન કરશે તો સમાજ જીવન ખલાસ થઇ જશે. બન્ને વિચાર મગ્ન અવસ્થામાં પ્રથમ વિક્રમસિંહ કુવામાં પડીને આપઘાત કરે છે અને તે જ ઘડીએ દેવલબા પણ આ કુવામાં પોતાનો પ્રાણ ત્યાગ કરે છે.જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે.તેમની પાછળ દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે.આ રીતે બંને મૃત્યું પામે છે.
કહેવાય છે કે ત્યાર બાદ વિક્રમસિંહ "ભૂત"(અવગતિયો જીવ) બન્યા અને દેવલબા "ચુડેલ"(કોઈ પણ મનની નબળી બાઈમાં પોતાનો આત્મા પ્રવેશ કરાવી ઈચ્છાઓ સંતોષવી) કુવામાં બેઉના શરીરમાંથી પ્રાણ નીકળીને અવગતિયા બને છે.
ભૂત યોનિમાં દેવલબા તેમના હાથનો ચૂડલો તોડી નાખે છે.ભૂત સ્વરૂપે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપણો આ સંસાર બગડી ગયો હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે.થોડો સમય પસાર થયો અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવોદાર થાળા આવે છે.તે સમયે કન્યાના ખોળામાં ચૂડેલ થઈને દેવલબા અડીયાની બાજુના તળાવમાં બેસી જાય છે.હવે બને છે.એવું કે અડીયાના તળાવની(ચાર કિલોમીટરે અડિયા ગામ છે)બાજુમાં બારોટ પસાર થાય છે.ત્યારે દેવલબાએ અજાણ્યા માર્ગ પર ઘોડેસવારના ઘોડાની લગામ પકડે છે.તેઓ ઘોડીની લગામ પકડી રાખે છે અને કહે છે કે, “હું તમારી સાથે આવું છું.”
ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બન્ને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને ગમે તેને વળગો તે શોભે નહિ.અમે તમને વિધિ પૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તમારી વિધિવત્ત પૂજા થાય.અને તમારું બેસણું કાયમ અમર થાય.
એ બારોટજીએ કુણઘેરથી થોડે દુર વરખડીની નીચે માતાજીને સ્થાપિત કરે છે.જે વરખડીનું ઝાડ સાતસો વર્ષ જૂનું હતું અને હાલ પણ એ ઝાડ અસ્તિત્વમાં છે.અને જે કુવામાં આપઘાત કર્યો તે કૂઈ પણ મોજુદ છે.આઈ દેવલબા શ્રીચુડેલ માતાજી તરીકે ઓળખાયાં.આજે પણ ચુડેલ માતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે.ચૂડેલમાં સૌનું ભલું કરે.
આ તીર્થ નું દર્શન કરવા હારીજ થી ૨૦ કિલોમીટર,થરાથી ૩૦ કિલોમીટર, પાટણથી ૧૦ કિલોમીટર અને ચાણસ્માથી ૧૫ કિલોમીટર અંતરે આવેલું છે.રાજ્યના સ્ટેટ હાઇવે સાથે જોડાયેલું આ નગર પાટણની સ્થાપના પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. આ કુણઘેર એટલે કે પાટણના તમામ રાજાઓના યુદ્ધ માટે હાથીઓનો ઉછેર અને ટ્રેનિંગ કેન્દ્ર હતું.સંસ્કૃત્ત ભાષામાં "કુંજળ" શબ્દનું રૂપાંતર છે.કુણઘેર! હાથી નું ઉછેર કેન્દ્ર એટલે "કુંજળઘેર" શબ્દના કાળક્રમે ઉચ્ચાર બદલાતાં "કુણઘેર" નામથી ઉત્તર ગુજરાતનું આ મહત્વનું તીર્થ છે.અહીં દર રવિવારે માનવ મહેરામણ પોતાની માનતાઓ અને દર્શન માટે ઉમટી પડે છે. દૂરથી પ્રવાસીઓ માટે પણ અદ્ભૂત વ્યવસ્થા છે.વીવીઆઈપી પ્રવાસીઓ માટે પણ ગેસ્ટ હાઉસ તેમજ રૂમ અને જમવાનું રસોડું પણ છે.નજીવા દર લઇ ભોજન ઈચ્છુકને ભાવથી જમાડે છે.અને રહેવા માટે પણ નજીવા દરથી ગમે તેટલા પ્રવાસી માટે વ્યવસ્થા છે.પાટણની હોટલો જેવી સુવિધાઓ તેમજ સુંદર ફૂલોથી મહેકતો વાગીચો તેમજ જોડે એક બીજી શિવજીની જગ્યાનું પણ લોકાર્પણ થઇ ગયું છે.બાળકોને રમવા જોવા અને સમજવાનું આ કુણઘેર આસ્થાનું કેન્દ્ર છે.માતાજીનો પ્રસાદ અને ચૂંદડીઓ પણ મળે છે.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)