Kharo anand books and stories free download online pdf in Gujarati

ખરો આનંદ

ખરો આનંદ

'માઈન્ડ એન્ડ મેનેજમેન્ટ' માં મેરેલીન જોન્સ લખે છે કે બધું જ પ્લાનીંગ ઉપર નિર્ભર છે, જિંદગી માં એક માત્ર મુર્ખામી માટે જ પ્લાનિંગ ની જરૂર પડતી નથી. દ્રષ્ટિને ૧૮૦ ડીગ્રી બદલવામાં આવે તો જ દ્રશ્યો બદલાય બાકી તો 'વોહી રફતાર'...

દિવાળી આવે, ફટાકડા ફૂટે, શુભકામના અને ફરી એ જ સ્ટીરીયોટાઇપ ઘટમાળ.. કશાક ધ્યેય ને સાર્થક કરવાની જેમ જ જીવનશૈલી ને બદલવા માટે પણ નવા વર્ષે સંકલ્પો થઇ શકે છે.. વધુ પડતી નિરાશા થી વ્યથા ઘેરી વળતી હોય તો આવા લોકો નવા વર્ષે આશાવાદી થવાનું મન બનાવી શકે છે. હાં, સારા પુસ્તકો વાંચો, નિરાશા આવે તો તેને ઈરાદાપૂર્વક ભગાડો... ડર લાગતો હોય તો ફિયરલેસ બનો.. દુનિયા ને કોન્ફીડેન્સ થી જવાબો આપતા શીખો.

આપણી નબળાઈ ઓ બીજાથી કદાચ છુપાવી શકાય પરંતુ ખુદ ને તો ખબર જ હોય કે પોતે કેટલા પાણીમાં છે ? વર્ષો થી આપણે કોઈની નિંદા કરતા હોઈએ કે ઈર્ષા થી જલતા હોઈએ તો આ વર્ષે રહેમનજર કેળવીએ... સમાજ ની ટીકા ક્યાં સુધી કરશો. લોકો તો એવા જ રહેવાના, ખુદને બદલી બતાવો.

'નાઝિશ' રિઝવી લખે છે.. હર લમ્હા તુઝ સે છૂટને કાં ડર લગા રહા/ જીને કાં ફિર ભી મુઝ મેં બડા હૌસલા રહા/ વો અજનબી કી તરહ મિલા મુઝ કો રાહ મેં/ બરસો જો એક શખ્સ મેરા આશના રહા/ મૈ સર ઉઠા કે મિલતા રહા ફર્દ ફર્દ સે/ પત્થર હર એક મેરી તરહ ફેકતા રહા.

લોકો પાસે કોઈ અપેક્ષા જ ન રાખો દર્દ તો રૂકને કાં નામ નહી લેતા હી.. સબ્ર સે દિલ ભી તેરા કામ નહી લેતા હૈ... એ મુજબ દર્દ નો વાંક નથી, દિલ નો વાંક છે તેણે ધીરજ થી કામ લેવાની આદત કેળવવી પડશે.

ગુજરાતી સર્જક બાબુભાઈ પટેલ નો સરસ શેર છે: પગમાં પડી રહે તો કોઈ પૂછતું નથી / અહીના લોક કાપે છે ઉડતા પતંગ ને..

દ્વેષભાવ થી બીજાને દુઃખી જોવાની જે પરપીડનવૃતિ આપણા માં ઘર કરી જાય છે તેણે દૂર કરવી હોય તો પહેલી શરત છે ક્ષમાપન... બીજા પ્રત્યે નાં અણગમાને મનમાં સંઘરી ને માનવી સૌથી વધુ હાની ખુદને જ પહોંચાડતો હોય છે. એક માણસને એક સાથે વિવિધ અંગોમાં બીમારી લાગુ પડેલી.. ખ્યાતનામ ડોક્ટરે તેનું ચેકઅપ કર્યુ અને તેણે તેની જિંદગી વિશે સંપૂર્ણ પણે ખુલીને બોલવા કહ્યું પેલા દર્દીએ કબુલ્યું કે તેના એક નજીક નાં સગા પ્રત્યે તેના મનમાં એટલી ધૃણા છે કે વર્ષો થી પોતે અંદર થી એક આગમાં સળગે છે. તબીબે તેણે કોઈ જ દવા આપવાને બદલે મેડીટેશન થકી નકારાત્મક ઉર્જા દૂર કરવા કહ્યું, અને થોડા જ મહિના માં બધી બીમારી જતી રહી. શરીર એ મનનું પ્રતિબિંબ છે.

નિખાલસ અને નિષ્કપટ મન સ્વસ્થતા ની મોટી નિશાની છે. નવા વસ્ત્રો ખરીદવા સહેલા છે પરંતુ જુના વસ્ત્રો ઉતારવા બહુ અઘરા છે. વિજ્ઞાને સાબિત કર્યુ છે કે સતત ટીકા કરવાથી રુમેટીઝમ સંધિવા થાય છે.

મોટા સપના માટે જરૂરી હોય છે નાના પગલા.. યુસેન બોલ્ટે કહેલું કે મને બચપણ થી એમ જ શીખવાતું કે તારા સૌથી નજીક નાં હરીફ કરતા તારે માત્ર એક ડગલું આગળ રહેવાનું છે.

એક રાત્રે થોડા વણઝારાઓ સુવાની તૈયારી માં હતા ત્યાં તેમણે એક દિવ્ય પ્રકાશ જોયો. તેમણે લાગ્યું કે જરૂર કોઈ દૈવી તત્વ આસપાસ માં છે. તેઓ આતુરતાથી કોઈ દિવ્ય સંદેશ ની રાહ જોવા લાગ્યા. તેમણે એક અવાજ સાંભળ્યો, 'ફરતા રહો અને જેટલા મળે તેટલા પથ્થર એકઠા કરી, તમારા થેલામાં ભરો... સવારે થેલો જોશો ત્યારે તમે સુખી પણ હશો ને દુઃખી પણ.'

આટલું કહી દિવ્ય પ્રકાશ અદ્રશ્ય થઇ ગયો. વણઝારા ઓ હતાશ હતા અને ગુસ્સે પણ થયા હતા. તેમને હતું કે દૈવી તત્વ અદભુત મંત્ર આપશે જે તેની તકદીર બદલાવી નાખશે પરંતુ આ તો કઈ મળ્યું નહી ! ખેર આદેશ નું મન રાખવા દરેકે થોડા થોડા પથ્થરો ભેગા કર્યા. સવારે બધા ફરતા ફરતા ઘણા આગળ પહોચી ગયા હતા, એક સ્થળે બેસીને બધાએ પોતાનાં થેલામાં જોયું તો પથ્થર ને બદલે હીરા હતા. ખુશ થઇ ગયા પરંતુ પછીથી દુઃખ નો પાર ન રહ્યો કે આપણે માત્ર આટલા જ હીરા ભેગા કર્યા ?

નાની નાની વસ્તુઓ નું મુલ્ય આંકો.. 'આવું નકામું અમારે શા માટે શીખવાનું ? આવા પ્રશ્નો ને ફગાવી દો. કોઈને અકારણ પ્રેમ કરવામાં દેખીતી રીતે કશું મળતું નથી પરંતુ આત્માને સ્પર્શ તી હોય તેવી અનુભૂતિ એ જ હોય છે એક હજાર ની કડકડતી નોટથી કોઈ બાળક ને હસાવી શકાતું નથી, તેના માટે તેઓ એક વ્હાલ ભરી હથેળી જ કાફી હોય છે. આપણી આસપાસ નાં વર્તુળ સાથે અંતર ની ઊર્મિથી આત્મીયતા બંધો, આ વર્તુળ ને વિસ્તરતા જાઓ, બદલામાં ધોખાબાજી થશે, કોઈ છેતરી જશે, દગા ફટકા થતા રહેશે પરંતુ જાતને સાફ રાખીને બીજાને ચાહવાથી જે મળે છે તે જિંદગી ને સભર કરવા પૂરતું હોય છે.

સરકારી ખાતાઓ દરેક વર્ષ ને અવનવા મિશન તરીકે નામો આપે છે, સ્વચ્છતા વર્ષ, શોધ, સંશોધન વર્ષ, વગેરે વગેરે.. તો આપણે પણ ઈર્ષા નાબુદી વર્ષ, કપટત્યાગ વર્ષ, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વર્ષ.. એમ ન મનાવી શકીએ ?

જેક કેન્ફીલ્ડ નું એક અદભુત ઉદાહરણ...

એક દિવસ હું કામ પરથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક જગ્યા એ બેઝબોલ ની રમત રમાતી હતી. તે જોવા હું ઉભો રહ્યો. પહેલી હરોળ છોડી બીજી હરોળ ની એક ખુરશી પર બેસી મેં રમત જોવા માંડી બાજુવાળા ને પુછ્યું... 'સ્કોર શું છે?'

એ છોકરો બોલ્યો, 'અમે ૧૪ પોઈન્ટ પાછળ છીએ.' તેમાં મો ઉપર સ્મિત હતું,

મેં કહ્યું, 'એમ? તો પછી મારે કહેવું જોઈએ કે તમે નિરાશ નથી લાગતા.'

'નિરાશ?' તેના મો પર આશ્ચર્ય આવ્યું.

'નિરાશ શા માટે? અમે તો હજી બેટિંગ જ કરી નથી.'

માણસો જેમ કાલ્પનિક ભય રાખે છે તો કાલ્પનિક વિશ્વાસ કે શ્રદ્ધા કેમ નથી રાખતા ?!

સુભાષચંદ્ર બોઝ કહેતા "ધોરીમાર્ગ થી દૂર એક સાહસ ની જિંદગી અને અજ્ઞાત ની તલાશ, બસ. આનાથી વિશેષ આકર્ષક મને બીજું કઈ જ લાગ્યું નથી." ઇંગ્લેન્ડ ની આઈસીએસ ની પરીક્ષામાં એ ચોથા ક્રમે ઉતીર્ણ થયા હતા રોમાંચ નો રોમાન્સ એમની ૪૮ વર્ષ ની જિંદગી ની ક્ષણે ક્ષણ માં જોવા મળે છે. આવા લોકો.. ઉર્જાથી છલોછલ એક જોશ મશીન એક એક ક્ષણ ને જુસ્સા થી જીવી ગયા, અને આપણે ?

જીવન ની ઘટમાળ માં દિન, મહિને... સાલ વીતી જાય અને ધર્યા મુજબ નો એક પ્રવાસ પણ ક્યારેક બાકી રહી જાય છે. સમય મળે તો ડાકોર જવું છે, ગીરનાર ને ચડવાની ઈચ્છા આ વર્ષે પૂરી થશે.. પણ ક્યારેક નથી થઇ શકતું. માણસ હોય અને તેણે ઈચ્છા ઓનું ફૂમકું ન લાગેલું હોય એવું બને જ નહી.!

અને અંત માં બસ જીવતા શીખવું.. અને, મન ખળ ખળ વહેતા જળ જેવું છે, એ બહુ જ સાફ છે, આપણે તેમાં ઈર્ષ્યા, અદેખાઈ, આવેગ, અપેક્ષા અને અભિમાન નો કચરો નાખતા રહીએ છીએ.

થોડો સમય મનને સાફ રાખી જીવવાનો આનંદ લેવો ખુબ મજા પડશે...

If you never chase your dream

You will never catch them