Sorthi Barvatiya - Part 2 (Jogidar Khuman) books and stories free download online pdf in Gujarati

Sorthi Barvatiya - Part 2 (Jogidar Khuman)

સોરઠી બહારવટીયા

ભાગ -૨

જોગીદાસ ખુમાણ

(ઇ. સ. ૧૮૧૬-૧૮૨૯)


©COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

નિવેદન

(પહેલી આવૃત્તિ)

મને સાંપડેલાં આ વૃત્તાંતો ઐતિહાસિક છે, અર્ધઐતિહાસિક છે કે અનૈતિહાસિક છે, તે નિર્ણય ઉપર પહોંચવા માટે કોઈ સરકારી, દરબારી અથવા પ્રજાકીય દફતરો નથી; તેમ જ એ બધાં કેવળ ચારણ-ભાટનાં જ કહેલાં નથી; બહારવટિયાનાં સગાંસંબંધીઓ, અધિકારીઓ, ગ્રામ્ય પ્રજાજનો, ખુદ બહારવટામાં શામિલ થયેલાઓ, નજરોનજરના સાક્ષીઓ વગેરે બન્યા તેટલા જૂજવા જૂજવા જાણકારોમાં ફરીને આ દોહન કર્યું છે. તેથી ઇતિહાસના અંધકારમાં અમુક અંશે પણ હું આ સામગ્રીને માર્ગદર્શક માનું છું અને તેનો આધાર લઈને હું બહારવટિયાનાં કૃત્યોની સાંગોપાંગ છણાવટ કરવા માગું છું. એ છણાવટના મુદ્દા આ પ્રકારના રહેશે :

૧.ઇતર દેશોના તેમ જ ઇતર પ્રાંતોના બહારવટિયા : તેની પ્રત્યે દેશવાસીઓનાં દિલસોજ વલણ : એ દિલસોજીનાં કારણો : બહારવટિયાનાં જીવનવૃત્તાંતોનું યુરોપી સાહિત્યમાં ગૂંથણ.

૨.આપણે ત્યાં બહારવટિયાનાં ઐતિહાસિક પુસ્તકો : કિનકેઈડ અને કૅપ્ટન બેલનાં લખાણો પર સમાલોચનઃ રા. સા. ભગવાનલાલ સંપતરામનો વાઘેરોના બળવાનો સંગીત ઇતિહાસ.

૩.સોરઠી બહારવટિયાઓના વિભાગો. બહારવટે નીકળવાનાં કારણો : સત્તાના જુલમો : નિરાશા : પોતે માનેલા અન્યાય સામે મરણિયો પડકાર.

૪.તેમનાં સંકટો : એકલા હાથે અન્યાય સામે ઝૂઝવામાં કેટકેટલાં વર્ષોનું અડગ ધૈર્ય ! બાળબચ્ચાંથી અને ઘરબારથી વંચિત બનીને નોતરેલાં પીડનો : ભૂખમરા ને દગલબાજીયુક્ત કરુણ મૃત્યુઓ.

૫.તેઓનાં ઠામઠેકાણાં : લશ્કરો : હથિયારો : સાલસંવત : રાજસત્તાનાં સૈન્યો મોટી સંખ્યામાં તેમ જ વિપુલ સામગ્રીવાળાં હોવા છતાં ધરપકડમાં વિલંબ થવાનાં કારણો : બહારવટિયાને આશરો આપનારાં સ્થાનો : સૈન્યોની કુનીતિ : પ્રજાપીડિત તપાસનીતિ : બહારવટિયાને જતો કરવામાં સિપાઈઓની બદદાનત.

૬.બહારવટિયાના વહેમો : ઇષ્ટ દેવતાઓની ઉપાસના : ગેબી મદદગારો પર વિશ્વાસ : અમુક જાતનાં તાવીજો અને અમરત્વ આપનારી વસ્તુઓ : દેવોપાસનાનાં સારાં-માઠાં તત્ત્વો.

૭.નારી-સન્માન : ચારિત્ર્યની નિર્મલતા : વીરધર્મ : શત્રુ પ્રત્યેનો ધર્મ : નેકી : એકવચનીપણું : ‘કોડ ઓફ ઑનર’ : પરંતુ તે બધાંની વિચિત્ર ગતિ.

૮.શારીરિક તપશ્ચર્યા.

૯. મોજીલી પ્રકૃતિ : પરોપકારવૃત્તિ : ધનસંચયની વાંછનાનો અભાવ.

૧૦.લૂંટફાટનાં કારણો : શાહુકારો પ્રતિ દાઝ : ચોપડા શા માટે બાળે ? પ્રજા જાલિમ રાજા સાથે શા માટે સહકાર કરે ? એ એની રીસ : મૂડીદારની ચૂસણનીતિનો કિન્નો.

૧૧.ખેડૂતો પ્રતિ રોષ : સાંતી શા માટે છોડાવે ? જમીન પર કોનો હક્ક ? અન્યાયથી ઝૂંટાવી લીધેલી પોતાની ધરતીમાંથી એક કણ પણ શત્રુરાજસત્તાના કોઠારમાં ન જવા દેવાનો નિરધાર.

૧૨.અંગ્રેજો પ્રત્યેની દાઝ : ગોરાઓની કતલ : તેનાં ઊંડાં કારણો : એનાં યશોગીતો : અંગ્રેજ રાજસત્તા સામે નિર્ભર બની હથિયાર ધરવાનો પોરસ : પ્રજાને નિઃશસ્ત્ર બનાવી દઈ નિવીર્યતામાં ઉતારવા માટે કંપનીના કારોબારનું આગમન હોવાનો તેઓનો સંદેહ.

૧૩.લોકોનો સહકાર : પ્રજાની દિલસોજી કેટલી હદે સાંપડી શકે ? પૂરેપૂરી કેમ ન પ્રાપ્ત થઈ ? થઈ હોત તો તેઓને અન્ય જલદી મળી શકત કે નહિ ? બહારવટિયો લોકસત્તાને કેમ ન અપનાવી શક્યો?

૧૪.ઘાતકી આચરણો : કેટલે અંશે બચાવ કરવા યોગ્ય ? કેટલે અંશે ધિક્કારપાત્ર ? યુગનાં તત્ત્વોનો રંગ કેટલો, ને કેટલી આત્મગત ક્રૂરતા ? યુદ્ધનીતિની આવશ્યકતાને લીધે કેટલું આસુરીપણું અને અંતઃકરણમાં ઊતરેલી અધમતા કેટલી ?

૧૫.યુગ-સંસ્કારોનો અભાવ : ન રાષ્ટ્રભાવ, ન ધર્મભાવ, ન માલિકીહક્કની પવિત્રતાનો ખ્યાલ : ન કોઈ ન્યાય તોળનાર મધ્યસ્થ સત્તા વા સંસ્થાનું અસ્તિત્વ : ન કોઈ વિશ્વાસપાત્ર વગદાર પક્ષ સમાધાની કરાવનારા : અહિંસાવાદનો યુગ વર્ત્યો નહોતો : ન શિક્ષણ : ન વીરત્વના અન્ય આદર્શોની હાજરી : બહુમાં બહુ તો રામાયણ-મહાભારતનું જ શ્રવણ અને તેમાંથી નીપજતું યુગ-સંસ્કારોનું સિંચન : શરીરે ને આત્માએ કરી બલવંત : આત્મૌદાર્યના ચમકાર : શિયળના વ્રતધારી : શત્રુશૌર્યનેય વંદના દેનારા : ભોળા : મરણોન્મુખ : અડગ ને અણનમ : મહાપ્રાણ : પરંતુ મધ્યયુગની પરિમિતતાના પીંજરામાં પુરાયેલા : જ્ઞાનની જ્યોત પહોંચેલી નહિ : અણઘડ્યું રહી ગયેલું વીરત્વ : પાસા પાડીને તેજસ્વી બનાવનારું કોઈ પડખે ન મળે.

૧૬.તેઓના પ્રશસ્તિ-ગીતો : રણ-કાવ્યો : નાના દોહાથી લઈ મોટાં ‘એપિક’નાં અનુકારી કાવ્યો : એ કાવ્યના રચનારા કોણ કોણ ? લૂંટારા પાસેથી ઇનામો લેવાની અધમ લોલુપતામાંથી જ અવતરેલાં ? કે વીરપૂજા અને શૌર્યપ્રેરણાની ભાવનામાંથી જન્મેલાં ?

૧૭.બહારવટિયાને શૂરવીર કહેવા કે નહિ ? જગતે વીરત્વનાં બિરદે કોને કોને નવાજેલા છે ? વિશ્વની તવારીખના મહાવીરોથી લઈ નાના મોટા યુદ્ધવીરો, ત્યાગવીરો, દાનવીરો, કલાવીરો, સુધારાવીરો, સ્ત્રી-સન્માનના વીરો નક્કી કરવામાં દુનિયાએ કઈ તુલા ને ક્યાં તોલાં વાપરેલાં છે ? એ તુલા પર બહારવટિયો જોખમાય તો તેનું વજન કેટલું? આદર્શ વીરનરો ઇતિહાસના આરંભથી માંડીને આજ સુધી કેટલા ? ઘણાખબા ‘હીરોઝ ઇન મેકિંગ’ વત્તેઓછે અંશે.

૧૮.આજનાં તોલાં-ત્રાજવાં : મૂડીવાદના હત્યાકાંડો : યુદ્ધવેપાર, જાહેર જીવન, કલા-સાહિત્ય, પત્રકારત્વ, સમાજસુધારણા, પાંડિત્ય, વિદ્વત્તાવગેરેમાં દાતા-પદે અને નેતા-પદે રાજ કરતાં દંભ, દુરાચાર, સંહાર-નીતિ, પ્રજાના હ્રાસ : સરખામણીમાં બહારવટિયો કેટલો પાપી ઠરવો ઘટે?

૧૯.૧૯. રાજસત્તાઓની મદાંધતા ને સ્વાર્થાંધતા : રાજ્યવિસ્તારની લોલુપતા તેમ જ આવશ્યકતા : વીરનરો પ્રતિનો અનાદર : ઇન્સાફની અદાલતોમાં ન્યાયનાં નાટકો : અંગ્રેજ લશ્કરી સહાય પર અવલંબન : અંગ્રેજ સત્તાએ એ અવલંબન આપવામાં ધારણ કરેલી મનાતી પક્ષકાર નીતિ : નાનાઓને પોતાની રાવબૂમ સાંભળનાર કોઈ નહિ હોવાના નિરાશાજનક ખ્યાલો : એજન્સીની મોટી જવાબદારી.

૨૦.બહારવટું તો સદાકાળ ચાલ્યું છે; રાજસત્તાના અન્યાયો હશે ત્યાં સુધી ચાલશે : દરેક યુગનું બહારવટું જુદી ભાતનું, પણ સિદ્ધાંત તો એક : રાજસત્તા, ધર્મસત્તા, હરકોઈ સત્તાના અધર્મ સામે મરણિયો હુંકાર : મધ્યયુગી બહારવટિયાનું મક્કમપણું, મરણિયાપણું, ત્યાગ, સહનશક્તિ, પ્રભુશ્રદ્ધા, આત્મશ્રદ્ધા, ઔદાર્ય ને વીરનીતિ, એ નવા યુગને આરે અવતારવા લાયક : એનું મૃત્યુંજયત્વ આદરને યોગ્ય : એનાં ઘાતકીપણાં, નિર્દયતા વગેરે ત્યજવા ને તિરસ્કારવા લાયક.

૨૧.સોરઠની લડાયક જાતિઓનું ભાવિ : એની ખાસિયતો : નેકી, નીતિ, ભોળપ વગેરે કુલપરંપરા, એના ભાવિનો આંટી-ઉકેલ : એની અત્યારની ગુનાહિત દશા : એને માટે કોણ જવાબદાર ? એના નાશ થકી સમાજને લાભ-હાનિ : એનું અસ્તિત્વ ઇષ્ટ કે અનિષ્ટ ? ઇષ્ટ હોય તો તે કેવે સ્વરૂપે? ને સાહિત્યની શી શી સેવાઓ આ વૃત્તાંતો વડે સંભવિત છે ?

યુરોપીય સાહિત્ય એનો ઉત્તર આપશે. વીરશ્રીનો આરાધક સર વૉલ્ટર સ્કૉટ એ વાત બોલશે. યુરોપ-અમેરિકાનાં રોમાંચક અને શૌર્યપ્રેરક ચિત્રપટો ‘ગોશો’ અને ‘રૉબિનહૂડ’ એ બોલશે. ગોવર્ધનરામભાઈનું ‘સરસ્વતીચંદ્ર’ બોલી રહ્યું છે. આપણા આધુનિક નવલ-સાહિત્ય અને નાટ્ય-સાહિત્યમાં પણ ‘બહારવટિયા’નું તત્ત્વ ગૂંથાતું થયું છે. તેવે સમયે બહારવટિયાને નામે રચાતી કૃતિઓ અસંભવિત અથવા અસંગત કલ્પનાઓએ કરીને વિકૃત અથવા ભ્રામક ન બને, એ નેકી અને નેકટેકનાં જૂનાં દૃષ્ટાંતોમાંથી પ્રેરણા મેળવીને નવાં સર્જનો વધુ સ્વાભાવિક તેમ જ ઓછાં નાટકીય બને, એ ઉદ્દેશની સફળતા માટે જૂનાં વૃત્તાંતો સંઘરવાનો ઉપયોગ છે.

રાણપુર : ૪-૮-’૨૮ ઝવેરચંદ મેઘાણી

(બીજી આવૃત્તિના નિવેદનમાંથી)

આ આવૃત્તિમાં ઉમેરેલાં શોભનચિત્રો, મનુષ્યોનાં અને સ્થળોનાં કાલ્પનિક જ છે. સંગ્રહની અંદર સહાય આપવા માટે શ્રી રાણાભાઈ આલા મલેકનો બેટવાળા શ્રી રતનશી લધુભાઈનો, ચિરોડાવાળા શ્રી દેવસિંગજીભાઈ સરવૈયાનો, શ્રી ધીરસિંહજી વેરાભાઈનો તથા મિત્ર હાથીભાઈ વાંકનો આભાર માનું છું. ‘ઓખામંડળના શૂરવીર વાઘેરો’ નામના પુસ્તકના સંપાદકોનો પણ ઋણી છું. આંસોદરના ગઢવી દાદાભાઈને પણ કેમ ભુલાય ?

રાણપુર : ૧૩-૪-’૨૯

ઝવેરચંદ મેઘાણી

(ચોથી આવૃત્તિ)

ત્રીજી આવૃત્તિ વેળાએ મારી હાજરી આંહીં ન હોવાથી જે કેટલુંક મઠારકામ બાકી રહી ગયું હતું, તે આ વખતે કર્યું છે. પેટામથાળાં નવેસરથી મૂક્યાં છે.

વાઘેરોના બહારવટાની પ્રત્યક્ષ અનુભવેલી અને જોયેલી હકીકતો એના મિત્રોના જ મુખબોલમાં મને કહેનાર બેટ-નિવાસી રતનશી શેઠ ગઈ સાલ ગુજરી ગયા. પંદરેક વર્ષ પર મારી અને તેમની મુલાકાત થઈ હતી ત્યારે એમનું વય ચુંમોતેર હતું, એવી નોંધ મારી નોંધપોથીમાંથી નીકળે છે. તેમની તસવીર મૂકીને આ પુસ્તક જોડે તેમનું સ્મરણ જોડું છું.

વાઘેર-બહારવટાની સાથે સીધા સ્વાનુભવમાં મુકાયેલી એક બીજી વયોવૃદ્ધ વ્યક્તિનો નોંધ પણ જૂની પોથીમાંથી જડે છે. એ હતાં આરંભડા ગામનાં વાઢેલ-કુળનાં ઠકરાણી. એ ઓઝલવંતાં દાદીમા જોડે મારી મુલાકાત ગોઠવનારા હતા મારા સાથી શ્રી ભૂપતસિંહ વાઢેલ (ભાવનગર રેલવેના ભૂતપૂર્વ ગાર્ડ).

તે વખતે ૯૦ વર્ષનાં આ રજપૂતાણીએ મને નજરોનજર નિહાળેલી વાતો કહેલી, એ કેમ વણપ્રસિદ્ધ રહી ગઈ તેનું મને જ વિસ્મય છે. એના શબ્દોનું ત્રુટક ટાંચણ મારી નોંધમાં છે :

આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી... પછી અમને એક ભાંગેલ વહાણમાં બેેસાડી કચ્છમાં નાગરેચી લઈ ગયા હતા. તે પહેલાં તો ટાંકાની અંદર પડીને મરી જવાનું સૌ બાઈઓએ નક્કી પણ કર્યું હતું. પણ નાગરેચીથી ચાંદોભાઈ, જાલમસંગના સસરા, દીકરીના સમાચાર પરથી આવ્યા. સરકારને ખબર દીધી; કહ્યું કે વાવટો ચડાવી જાઓ... ભાંગલ વહાણ માંડવીનું સમું થાવા આવેલ. એમાં અમને સૌને બેસાર્યાં. વચ્ચે વહાણમાં પાણી ભરાણું. તોફાન જાગ્યું. ખારવાએ બચાવ્યાં. બે છોકરાં મરી ગયાં.

આ સાહેદી દેનાર દાદીમા પણ પરલોકવાસી થયાં છે. મને ઓરતો તો આ વાતનો રહી ગયો છે કે આવી વ્યક્તિઓની પાસે નિરાંતે બેસીને, બેત્રણ વાર પહોંચીને, તેમની જૂની યાદદાસ્તનાં વધુ પડો કેમ ઉખેળ્યાં નહિ !

રાણપુર : ૨૫-૧૨-’૪૧

ઝવેરચંદ મેઘાણી

(નવમી આવૃત્તિ)

લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલું. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.

‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’ અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.

તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.

૧૯૮૧

જયંત મેઘાણી

ક્રમ નિવેદન

જોગીદાસ ખુમાણ (ઇ. સ. ૧૮૧૬-૧૮૨૯)

૧.નાવલીને જુહાર

૨.મુજાવર મુરાદશા

૩.મગિયા જાળ

૪.સાદ વરત્યો

૫.બાપુને પરણાવ્યા

૬.ફૂલધારે ઊતર્યા

૭.પહેરામણી બગડી

૮.દુશ્મનનું કારજ

૯.ભીમ પાંચાળિયો

૧૦.શત્રુની સ્ત્રી

૧૧.મહાપાપ

૧૨.ચારણે છેતર્યો

૧૩.રખાતની દીકરી

૧૪.ગરીબી

૧૫.તુલસીશ્યામમાં

૧૬.ગાંગો બારોટ

૧૭.બાનને માર્યો

૧૮.કાઠિયાણીનો સંદેશો

૧૯.ગાયોના નિસાપા

૨૦.પતાવટ

૨૧.ઐતિહાસિક કથાગીત : બૅલડ

૨૨.ઇતિહાસમાં સ્થાન

જોગીદાસ ખુમાણ

(ઇ. સ. ૧૮૧૬-૧૮૨૯)

કવિશ્રી ન્હાનાલાલે ‘સોરઠી તવારીખના થરો’ ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે ‘જોગી બહારવટિયો’ કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું ‘રૉબરૉય’ લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની ભાવના છે.

ભાવનગર રાજ્યને જોગીદાસે દુશ્મનાવટથી પણ શોભા ચડાવી. વજેસંગ-જોગીદાસની શત્રુ-જોડલી તો અપૂર્વ બની ગઈ છે. બન્ને જાણે કે પરસ્પર વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી.

છતાં જોગીદાસને ભાવનગરના ઇતિહાસમાં સ્થાન નથી. ‘ધ ભાવનગર સ્ટૅટિસ્ટિક્સ’ નામનું એક રાજ્યમાન્ય તેમ જ સરકારમાન્ય ઇતિહાસ-પુસ્તક વજા-જોગાની અન્યોન્ય નેકીનો શબ્દ સરખોયે નોંધતું નથી, અને કૅપ્ટન બેલનો ઇતિહાસ તો ઉક્ત પુસ્તકમાંથી જ ઉતાોર કરે છે ! વાર્તાને છેડે બેલનું કથન મેં ટાંક્યું છે. વૉટસન, ભગવાનલાલ સંપતરામ અથવા અન્ય કોઈના ઇતિહાસમાં આ પુરુષનો ઉલ્લેખ નથી.

જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયનાં ગામ ભાંગ્યાં ક્યાંયે સાંભળવામાં નથી. લૂંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને, એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એવો પાકો માહિતગાર હતો, માટે જ અમરેલી-ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેંસલા માટે એને સોંપાઈ હતી એમ કહેવાય છે.

૧. નાવલીને જુહાર

“મારા દાદા સામત ખુમાણે ભાઈ-બેટાઓનાં લીલાં માથાં વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘરે કરી; રાવણ જેવા ખસિયાઓનું જડાબીડ કાઢી મીતિયાળા સરખા કિલ્લા હાથ કર્યા અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારાં ચોરાશી પાદર આંચકી લેશે ? ના, ના, તો તો

સામત ખુમાણના નવેય પોતરા, બાપ આલા ખુમાણના અમે નવેય બેટડા બા’રવટાં ખેડશું.”

“આપા હાદા ! તમારા આઠ ભાઈઓની આશા તો હવે મેલી દ્યો,” ખબર દેનારે કહ્યું.

“કાં ?”

“એને તો ઠાકોર વજેસંગે પાળેલાં પશુડાં બનાવી દીધાં. ઈ તો એ પૂંછડિયું પટપટાવે !”

“એટલે ?”

“એટલે શું ? સહુ પોતપોતાનાં છ-છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહિ માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ અને ખુમાણોને ફૂંકી દઈશ.”

“શી શરત ?”

“અકેક ગામ ડુંગરી (સુવાંગ) અને પાંચ-પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ : ફક્ત ચોથ જ ખાવા દેશું. નીકર ભીંસીને ભાંગી નાખશું.”

“વાહ ઠાકોર ! કરામત સારી કરી. પછી ? કોણે કોણે કરાર કબૂલ

કર્યો ?”

“પીઠાએ, વીરાએ, સૂરાએ, લૂણાએ, તમામે !”

“તમામે ? ડાડા સામત ખુમાણના પોતરાએ ? ખોરડું વેચી નાંખ્યું ?

બંદૂકડીથી બીના ?”

“મરવું દોયલું છે, આપા ! ભાવનગરને પોગાય એમ નથી. સૂરજ સામી ધૂળ ઉડાડવી છે ? તમે પણ બેસી જાવ. ઠાકોર કે’વારે છે -”

“કે ?”

“કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ, ને બાકીનાં પાંચમાં ચોથ.”

“નીકર ?”

“નીકર તોપખાનાને મોઢે બાંધશે. ભાઈયુંનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોનાં બાવડાં માથે ઝૂઝશો, આપા હાદા ?”

“મારા ત્રણેય વીરભદરનાં બાવડાં માથે ! મારા ગેલા, ભાણ ને જોગીદાસનાં બાવડાં માથે. ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈયું બેસી ગયા. ભગવાને દીકરા શીદ દીધા છે ? શોભા સાટુ નહિ, મરવા-મારવા સાટુ. અમે મરશું, પણ ભાવનગરનાં અઢારસેંય ઉજ્જડ કરશું. ઠાકોર દૂધચોખાની તાંસળીમાં રોજ ખુમાણોનાં ભાલાં ભાળશે. ઊઠો, બાપ ગેલા ! ઊઠો, ભાણ ! ઊઠો, આપા !”

ત્રણ દીકરા ને ચોથો બુઢ્‌્‌ઢો બાપ : ઘોડે ચડી ચાલી નીકળ્યા.

“આપા ! શું કરછ, બાપ !” હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઊભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ ‘આપો’ કહીને બોલાવતા.

“કાંઈ નહિ, બાપુ !” કહીને આપો ચાલતો થયો. કુંડલા ન લેવાય ત્યાં સુધી નાવલીનું પાણી આપો અગરાજ કરતો હતો.

નાવલીમાં અખંડ ધારા નીર : નીલો ઘટાદાર કિનારો : કાંઠે ચરતી ભેંસો : અને કાંબીકડલાં પહેરીને ત્રાંબા-બેડે પાણી ભરતી કણબણો : એને માથે મીટ માંડીને બાપ-બેટા ચાલી નીકળ્યા :

સંવત અઢાર પંચોતરે

ફરહરિયા ફરંગાણ,

ધર સોરઠ જોગો ધણી

ખોભળતલ ખુમાણ.

(સંવત ૧૯૭પમાં જે વખતે ફિરંગીઓ (અંગ્રેજો) સોરઠ ધરામાં ઊતર્યા તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઊભો રહ્યો હતો.)

ર. મુજાવર મુરાદશા

ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે અને એ ઝાડીની અંદર ત્રણ-ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર-સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે.

એક દિવસ સાંજ નમે છે. બુઢ્‌ઢો મુજાવર મુરાદશા એક નળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે. ગામમાંથી હિંદુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે.

એવામાં ઓચિંતો એ ઝાડીમાં એક બંદૂકનો ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો ! કીયો ! એવી કારમી કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઊડ્યો. ઊડતો ઊડતો - ઊડવાની તાકાત નહોતી તેથી અરધોપરધો હવાની ઉપર જ તરતો તરતો - મોરલો નીચે ઊતર્યો. અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્‌ઢા મુજાવર મુરાદશાના પહોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો.

ધોળી દાઢી ને માથે સેંથો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફનીવાળો સાંઈ મૌલા ચમકી ઊઠે છે. મોરલાના મસ્ત શરીરમાંથી ધખધખતા લોહી વડે એની લીલી કફની લાલચોળ બનવા લાગે છે ને પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે ચાંપી લઈ, એની મખમલશી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે, અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીને બેબાકળો બની પૂછે છે કે “અરે ! અરે બચ્ચા મોતિયા ! તીજે ક્યા હુવા ! ઓ મેરા પ્યારા ! કોન શયતાનકા બચ્ચાને તીજે ઝખમી કિયા ! મોતિયા ! મોતિયા ! મોતિયા !”

ત્યાં તો ઝાડીમાં ખખડાટ થયો; “મેલી દે, એય સાંઈ !” એવી ત્રાડ પડી : ને હાથમાં સળગતી જામગરીવાળી લાંબી બંદૂક હીંડોળતો એક મદોન્મત્ત સંધી પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસભર્યો આવ્યો. આવીને એણે ફરી વાર હાકલ દીધી કે “મેલી દે મોરલાને !”

“અરે કમબખ્ત ! તીને યે મોરલા પર ગોલી ચલાયા ! તીને ઇસ જગામેં શિકાર કિયા, હેવાન ?”

“હવે મેલ મેલ, હેવાનના દીકરા ! ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ.”

“અરે જાલિમ ! યે પીરકા મોરલા !”

“હવે પીરનો મોરલો કેવો, ઉલ્લુ ? ઝાડીનો વગડાઉ મોરલો હતો ને આજ રોજાં ખોલવાં છે તે શાક કરવા સારુ શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે ? મેલી દે !”

એટલું બોલીને સંધીએ જોરાવરીથી મોરલાને મુજાવરના ખોળાની બહાર ખેંચ્યો. મોરલાની છેલ્લી તગતગતી આંખો મુજાવરના મોં સામે જોઈ રહી. પોચે પોચે હાથે એ જખમી પક્ષીને ઝાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી, પણ શિકારીએ મોરલાીન ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો.

“ધનંતરશા ! પીર ધનંતરશા ! ઓલિયા ધનંતરશા !” એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુજાવર પીરની દરગાહ સામે ઘૂંટણિયે પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધૂપ ગોટેગોટ ધુમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાંને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુજાવરના અવાજથી થરથરી ઊઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડ નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઊઠ્યું. અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુજાવરે ત્રાડ દીધી કે “ઓ પીર ! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલદુલ મોતિયાનું શાક કરીને ખાનાર નાપાક ઈન્સાન ઉપર મારી કકળતી આંતરડીની કદુવા પોકારું છું, ઓ બાપ, કે મોરલો એના પેટમાં હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય, તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લાહ નહિ!”

એવા શાપ ઉચ્ચારીને મુજાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં જર્જરિત આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસેફ આંગળીના ટેરવાંમાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ ! દડ ! દડ ! દડ ! પડવા લાગી. પચાસ સંધી સિપાહીઓ, ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂમસામ બનીને ઘૂંટણભર બેઠો જ રહ્યો. થોડી વારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવ-સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતં કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે તે ધનંતરશા પીરની જ એ સવારી નીકળે છે.

“હવે એવા ફકીરડા તો બચારા કૈંક રખડે છે. એવાને તો રોવાકૂટવાની ટેવ પડી. એવાની કદુવાયું તે ક્યાંય લાગતી હશે ?” દાંત કાઢતા કાઢતા સંધીઓ માંહોંમાંહે વાતો કરવા માંડ્યા.

“હા, હા, એલા તમતમારે ઝટ મોરલાને વનારી નાખો. ઝટ શાક રાંધીને રોજાં છોડીએ, પેટમાં લા લાગી ગઈ છે. ને હજુ તો પંથ બહુ લાંબો પડ્યો છે.”

એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા-તરસ્યા બંદૂકદાર સંધીઓએ પાપની રસોઈ પકાવી. સહુએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા. ફક્ત એક જ સંધીએ મોરલાનું માંસ ન ચાખ્યું.

એ પચાસ ઘોડાંનો પડાવ કોનો હતો ? કોણ હતા આ સંધી સિપાહીઓ ?

એ હતા ભાવનગર રાજના પગારધાર સંધીઓ. એનો આગેવાન હતો ઈસ્માઈલ સંધી. ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાનાં ચોરાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઇસ્માઈલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે ઝૂઝતા હતા. કરડો, કદાવર અને નિમકહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઇસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી પચાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસૂલ લેવા જાય છે, રમજાન મહિનો ચાલે છે, સહુ સંધીઓ રોજા રહ્યા છે. તે દિવસની રાત ફીફાદ ગામમાં ગાળવા તમામ ઊતરી પડે છે. તે વખતે ધનંતરશા પીરની ઝાડીમાં આ બનાવ બને છે, અને ઇસ્માઈલ પોતે પણ પોતાના તકદીરનો ભુલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી.

આખી રાત ફીફાદ ગામમાં રહી પરોઢિયે સરગી કરી જમાદાર ઇસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો. પણ એને તો જરાયે ઓસાણ નથી કે આસપાસ પચીસ ગાઉમાં ક્યાંયે બહારવટિયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો જમાદાર ઘોડો હાંક્યે જાય છે. એમાં બરાબર ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી. અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઊગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવા લાગતાં સોએક ભાલાં ઝળેળાટ કરી ઊઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ જવાબ દીધો કે “ઇસ્માઈલ જમાદાર! કાઠીઓ આવે છે.”

“અરે હોય નહિ.”

“હોય નહિ શું ! લ્યો, ત્યારે એ આ કટક વરતાણું.”

“ફકર નહિ. આપણે ખંભે એકાવન બંદૂક પડિયું છે, ને ઈ બચારાં આડહથિયારા છે. હમણાં વીંધી લઈએ. જામગરિયું ચેતાવો ઝટ !”

પલકમાં તો ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગરીઓ ઝબૂકી ઊઠી. ‘હાં ફૂંકી દ્ય? !’ એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત મુજાઓમાં ઊપડી અને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ, તીણી આંખો પોતપોતાના વડિયાની સામે નિશાન લઈ રહી. સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણછેરણ થઈ ગયાં. કોઈ પોતપોતાની ઘોડીઓના પેટાળે ઊતરી ગયા, કોઈએ ઘોડીઓની ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તરવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગરી દાબે છે, ત્યાં તો સરૂરૂરૂ થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો !

શું કારણ બન્યું હતું ?

પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની સરત નહોતી રહી, કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવા નક્કી થઈ ચૂકેલો હતો. એકાવનેય બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીઓએ ઘોડીઓ ચાંપી. ચકર ! ચકર ! સહુના હાથમાં ભાલાં ફરવા લાગ્યાં. અગ્નિઝરતાં કોઈ કૂંડાળાં સળગતાં હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ, ભાગવા માંડ્યું.

કાઠીઓએ જોયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાને આંબવા નહિ આપે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે “એલા, જોજો હો, સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જશે ને, તો આપણને મારી પાડશે હો ! પછી આપણી કારી નહિ ફાવે.”

ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયુંઃ સાંભળતાંની વારે જ સંધીઓના કાન ચમક્યા. સાચેસાચ જાણે એ પાણી વગરના ભાડિયા કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે, એવી ભ્રમણામાં આંધળાભીંત બનીને એ એકાવનેય જણાએ એ સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરી વાર બંદૂકો તોળી જામગરી ચાંપી, પણ કાન પી ગયેલી બંદૂધો ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઊભા કરીને ભાલાં, બરછી તેમ જ તરવારોના ઘા કરી સંધીઓનો કચ્ચરઘાણ વાળી નાખ્યો.

એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઊંચો થયો. એક સંધી અણિશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઊભો થયો.

“અરે આ શું કૌતુક ! આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો ?”

“જીવતો છું એટલું જ નહિ, જોગા ખુમાણ ! પણ આ ડિલને માથે નજર તો કર ! તારો એક ઘાયે ક્યાંય ફૂટ્યો ભાળછ ?”

બહારવટિયો થંભીને જોઈ રહ્યો.

“જોગીદાસ ખુમાણ ! આ પચાસને માર્યા તેના તને ઝાઝા રંગ ! પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારનાં પેટમાં તારાં ભાલાં પરોવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. ને આંહીં જો ! મેં મોરલો નો’તો ખાધો, મને એક પણ જખમ નથી ફૂટ્યો !”

“ક્યાં છે મુરાદશા ?”

“આ ફીફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુમાં પડી જા - જો બહારવટે જશ લેવો હોય તો !”

જેને મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભૃકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયેલું દીસે છે, એવો સૂરજમુખો બહારવટિયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફીફાદની ઝાડીમાં પીરને ઓટે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બનેલા બુઢ્‌ઢા મુજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા.

એનાં પાળેલાં કબૂતરો, ખિસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતાં હતાં. એક ડાઘો કૂતરો એના પગ ચાટત હતો.

પોતાના બન્ને હાથ બહારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ ! બચ્ચા ! પીર ધનંતરશા તારાં રખવાળાં કરશે.”

૩. મગિયા જાળ

ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે, “ઓહોહો ! ખુમાણોએ મારું ઢીમ ઢાળી દીધું : આણંદજી દીવાનને મારી પાડ્યા : આવો નાગર ફરી નહિ મળે.”

“ફિકર નહિ, બાપુ. આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી’તીને ? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જોવે ને ?”

“શી રીતે વાત બની ?”

“બાપુ, આણંદજીભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મે’માનોનું જૂથ ક્યાંય માતું નો’તું. એમાં વાવડ સાંભળ્યા કે બહારવટિયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઊઠ્યા. ભાણગાળેથી બહારવટિયાને ભગાડીને આણંદજીભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજઈભાઈ ને બીજો સૈયદ બાગો : એક નાગર ને બીજો આરબ : બેય જણા નિમકની રમત રમી જાણ્યા, બાપુ ! આણંદજીભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે, ચાંપે ખુમાણે આણંદજીભાઈને બરછીએ પરોવી દીધા. સૈયદ બાગાને ડિલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.”

“ઠીક. જેવી મા ખોડિયારની મરજી ! રાજ તરફથી આણંદજી દીવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી ‘જાવચ્ચંદર દિવાકરૌ’ માંડી આપું છું : વીસળિયું, વડલી ને લુવારા.”

આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપર ઓળઘોળ થઈ જવાના ઉમળકા આવ્યા.

“અને સૈયદ બાગાનું શું થયું ?” ઠાકોરે સવાલ કર્યો.

“સૈયદ બાગયો તો અટાણે પડદે પડ્યો છે, બાપુ ! સૈયદ બાગાના જખમોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો, બાપુ, હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબૂત ટેભા લિયો. આખું અંગ વેતરાઈ ગયું’તું તોપણ એક ચૂંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દીવાનની લાશ પડી’તી.”

“રંગ છે આરબની જનેતાને. એને ધાવેલા તો જરૂર પડ્યે ઊભા ને ઊભા કરવતે પણ વે’રાઈ જાય ને !”

કચારીમાં આરબ, અમીર, ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા. એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઊપડી આવી. નિમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદર ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડીને ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું.

“બાપુ ! જીભાઈ રાઘવજી દીવાન પધારેલ છે.”

તુરત જ નાગર જોદ્ધો જીભાઈ રાઘવજી દેખાયો. કમ્મર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધ્રબેલા છે; ગળે ઢાલ, કાખમાં શિરોહીની તરવાર ને હાથમાં ભાલો લીધો છે, પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા.

“જીભાઈ ! આવી પોગ્યા ? બંદોબસ્ત બરાબર કર્યો છે ને ?”

“મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગિયા જાળા પાથરીને ચાલ્યો આવું છું. મગ જેવડુંયે માછલું - ખુમાણનું નાનકડું છોકરું - પણ ક્યાંય આઘુંપાછું ન થઈ શકે એવા સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મીતિયાળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે. પાકેપાકી મગિયા જાળ પાથરી દીધી છે, બાપા !”

“રંગ તમને, જીભાઈ ! બાકી તો બહારવટિયાએ આણંદજીને માર્યા ત્યારથી મારું રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ ?”

“જ્યાં હશે ત્યાંથી મારી મગિયા જાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર

નથી. જોગીદાસ બાપડો હવે કેટલા દી ?”

“હા જ તો ? ભાવનગરનો ચોર તો ભાગીને કેટલેક જાશે ?” એક બીજા અમીરે ટાપસી પૂરી.

ત્યાં તો મહારાજને દુઃખ ભૂલવવા, હિંમત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે ક્યાં જઈ રે’શે.”

“ક્યાં જઈને રે’શે ? દેખ બચ્ચા, ઈધર રે’શે.”

કચારીના ખૂણામાંથી એવી એક ત્રાડ સંભળાઈ. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર સામે જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા અને ફરી વાર એ ધોળા, વાંકડિયા, ખંભે ઢળકતા વાળવાળા, સફેદ દાઢીમૂછના ભરાવવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઇસમેં રહેગા ! યે મેરા ખપ્પર કે નીચું મેં રહેગા !”

એટલું કહેતાંની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઊંધું વાળ્યું.

“નખ્ખોદ વળ્યું !” ઠાકોરના મોંમાંથી ઉદ્‌ગાર નીકળ્યા : ‘મુરાદશા ઓલિયાએ ખુમાણોને આશરો દીધો !”

તુરત જ ચતુર રાજાએ બાજી પલટી નાખી. મુજાવર મુરાદશાનો કોપ હેઠો બેસાડવા મીઠાશથી બોલવા માંડ્યું કે “અરે હાં ! હાં ! સાંઈ મૌલા ! ગુસ્સો શમાવી દ્યો, બાવા ! દુઃખ ધોખો ન લગાડો. હોય, એ તો થયા કરે.”

“ઠાકોર !” મુરાદશાએ બોખા મોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યોઃ “મને દુઃખ કેમ ન લાગે ? જોગીદાસ જેવા લાખ રૂપિયાના કાઠીને ચોર-લૂંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજાબહાદુર ! એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોંટતી.”

“સાંઈ મૌલા ! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારું સારું દેખાડવા માટે જોગીદાસને નાનપ દેવામાં ભૂલ કરી છે. મારા દલમાં એવું કાંઈ જ નથી, મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી, સાંઈ ! આપનો ગુસ્સો શમાવો.”

ભાવનગરમાં ગંગાજળિયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખૂણા પર આજ પણ જે જગ્યા પીર મુરાદશાના તકિયા નામે ઓળખાય છે ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટિયો ઊતરતો, દિવસોના દિવસ સુધી રહેતો ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.

૪. સાદ વરત્યો

“બાપુ ! ગજબ થઈ ગયો.”

જોગીદાસ બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.

“શું થયું, આપા ?”

“મહારાજ વજેસંગના કુંવર દાદભા ગુજરી ગયા.”

“અ ર ર ર ર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો ?”

“ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયા પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઈક કામણ કર્યું. કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.”

“કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું, આપા !”

“વીજળી પડવાની તો શું વાત કરું, બાપુ ! શિહોર ને ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે, વસ્તીના ઘરોઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કકળાટ થાય છે.”

“આપા ! બાપ ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણનેય આવ્યું કે’વાય. આપણે નાવું જોવે.”

સહુ બહારવટિયાઓએ ફાળિયાંમાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી : “બાપુ ! એક વાત પૂછું !”

“ભલે બાપ !”

“આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઈ આવવું જોવે ?”

હાદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એકસામટા અનેક વિચારો આવ્યાઃ ઠાકોર વજેસંગ, જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે, એની રૂબરૂ ખરેખર જવું ? જેના માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે ? જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે, એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે ? પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઊપડે છે. એને મનભંગ ન કરાય.

“જાયેં ભલે. પણ છતરાયા નથી જાવું, આપા ! દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી. પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાનો જ મેળ થાય. કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લોકિક કરવા આવ્યા છીએ.”

“ત્યારે, બાપુ !”

“કુંડલાનો સહુ કાઠી-કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફાળિયું ઢાંકીને છાનોમૂનો ગૂડો વાળી આવજે. બીજું તો શું થાય ?”

કુંવર દાદભાને ખરખરે કુંડલાના કાઠી, કણબી ને મુસદ્દી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટિયો જોગીદાસ પણ પેસી ગયો. માથા ઉપર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં પોતે કોણ છે તે ઓળખાવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઈ છાના રાખવા લાગ્યા. ચાલતાં ચાલતાં બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા. માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, “છાનો રે’, જોગીદાસ ખુમાણ, છાનો રો’.”

જોગીદાસ ખુમાણ ! નામ પડતાં તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું. હાંફળાંફાંફળા બનીને તમામ મહેમાનો આમતેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આંહીં બહારવટિયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લું કર્યું. બહારવટિયો એટલું જ બોલ્યો કે “ભલે વરત્યો, રાજ !”

“વરતું કેમ નહિ, જોગીદાસ ખુમાણ ! તારું ગળું ક્યાં અજાણ્યું છે? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વરતાય ?”

‘બહારવટિયો ! બહારવટિયો ! બહારવટિયો !’ એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહરાજને મારી પાડશે. તરવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો. એણે સાદ દીધો કે “રજપૂતો ! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસોસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ દુઃખમાં ભાગ લેવા આવ્યા છે.”

મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તરવારો મ્યાન કરતાં કરતાં અગાઉ કદી ન જોયેલું ને ન સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા, “જોગીદાસ, બીશો મા !”

“બીતો હોત તો આવત શા માટે, રાજ ?”

સહુ દાયરાની સાથે ખાઈ-પી, મહારાજને રામરામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટિયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકથોક માણસ હલક્યું હતું. બહારવટિયાના ચહેરામોરા જેણે કદી દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્યો જ કલ્પેલા હતા ! પણ તે ટાણે લોકે એ જુવાન જોગીદાસનું જતિસ્વરૂપ આંખો ભરીભરીને પી લીધું. આવો તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓનાં માથાં વાઢીને સાંતીડે ટીંગાડતો હશે, ને એના ધડનાં ઘીસરાં કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી.

ઘટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટિયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એકધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો.

અનેક બાઈઓના મોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું. કે “લખમણજતિનો અવતાર !”

પ. બાપુને પરણાવ્યા

મીતિયાળાના કિલ્લામાં ત્રણેય ભાઈઓ મસલતો કરે છેઃ

“ભાઈ ગેલા ખુમાણ !” જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું.

“હાં, આપા !”

“આપણે ત્રણેય જણા બહારવટે ભટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ પડ્યા. પંચાણું વરસની આખી આવરદા ધીંગાણે ગઈઃ એટલે એકલા રે’વું ગોઠે કેમ ? એની ચાકરી કોણ કરે ?”

“ત્યારે શું કરવું, આપા ?”

“બીજું શું ? બાપુને પરણાવીએ.”

“ઠેકાણું તપાસ્યું છે ?”

“હા, ઘૂઘરાળે જેબલિયા કાઠીની એક દીકરી છે.”

“પણ નવી માને દીકરા થાશે તો ?”

“તો તેની ચિંતા શી ? બાપના દીકરાથી વધુ રૂડું શું ?”

“ભાગ નહિ પડે ?”

“પણ ભાઈયું આપણે પડખે મદદમાંયે ઊભા રહેશે ને ? જાડા જણ હશું તો બહારવટું જોરથી ખેડાશે.”

પંચાણું વરસની ઉંમર છતાં હાદા ખુમાણની વજ્ર જેવી કાયા છેઃ બખ્તર, ટોપ, ભાલો, ઢાલ ને તરવાર, તમામ હથિયાર-પડિયારના ભાગ સોતા બાપુ ઠેકડો મારી બાવળા ઘોડા ઉર ચડી બેસે છે. સામું પાગડું ઝાલવાની જરૂર રહેતી નથી, એવા પોતાના બાપનું લગ્ન કરીને, જોગીદાસે પિતાના સુખનો માર્ગ કાઢ્યો.

સાત વર્ષ વીત્યાં. જેબલિયાણી માના ખોળામાં બે સાવજ સરખા દીકરા રમે છેઃ એકનું નામ હીપો ને બીજાનું નામ જસો.

પણ આ ગુલતાનમાં હાદા ખુમાણને હવે ચેન પડતું નથી. રોજરોજ દીકરાઓની તગડાતગડ સાંભળીને બાપનું દિલ ઊકળે છે. અંતર ઘરમાંથી ઊઠી જાય છે.

“દરબાર !” જુવાન જેબલિયાણી પોતાની જાત વિસારી જઈને ખરા ટાણાનાં વેણ બોલી કે “દરબાર ! હવે બસ; હવે આ દુનિયાને કડવી કરી નાખો. ભાણ જોગીદાસ જેવા દીકરા બા’રવટે ભટકી ગીરમાં પા’ણાનાં ઓશીકાં કરે છે, એ વેળાએ આપણને આંહીં હીંડોળાખાટે હીંચકવું ન ઘટે.”

“સાચી વાત, કાઠિયાણી ! રંગ છે તને !” પોતાની જુવાન સ્ત્રીને એવા ધન્યવાદ દઈને આપા હાદાએ હથિયાર લીધાં. ઘરનું સુખ છોડીને દસ વરસ સુધી બહારવટું ખેડ્યું. એ હિસાબે એની અવસ્થા એક સો ને બાર વરસની થઈ. પછી તો એને બુઢાપો વરતાવા લાગ્યો. જોગીદાસે આગ્રહ કરીને વળી પાછા બાપુને ઘૂઘરાળે વિસામો લેવા મોકલી દીધા.

૬. ફૂલધાર ઊતર્યા

પરનારી પેખી નહિ, મીટે માણારા,

શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયા !

(હે જુવાન જોગીદાસ ! શૃંગી ઋષિ જેવા મહાતસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે માણા ! તેં પરાયી સ્ત્રી પર મીટ સુધ્ધાંયે નથી માંડી.)

બે જણા વાતો કરે છેઃ

“ભાઈ, આનું કારણ શું ?”

“શેનું, ભાઈ ?”

“જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે ? અને માથે ફાળિયું કેમ ઓઢી રાખે છે ?”

“ભાઈ, રામને તે દી સીતાજીની ગોત્ય કરતાં કરતાં માર્ગેથી માતાજીનાં ઘરેણાં-લૂગડાં હાથ આવ્યાં, પછી લખમણજીને એ દેખાડીને કોનાં છે એ પૂછેલું, તે ટાણે લખમણજીએ શો જવાબ દીધો’તો, ખબર છે ?”

“હા. હા, કહ્યું’તું કે મહારાજ, આ હાથનાં કંકણ, કાનનાં કુંડળ કે ગળાના હાર તો કોનાં હશે તેની મને કંઈ ગતાગમ નથી. કેમ કે મેં કોઈ દી માતાજીના અંગ ઉપર નજર કરી નથી; પણ આ પગનાં ઝાંઝરને તો હું ઓળખી શકું છું. રોજ સૂરજ ઊગ્યે હું માતાજીના પગુમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે પડતું’તું !”

“ત્યારે આ જ જોગીદાસ પણ એ જ લખમણજતિનો અવતારી પુરુષ જન્મ્યો છે, બાપ ! એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવે. એમાં હમણાં હમણાં બે અનુભવ એવા મળ્યા કે આ દુનિયાની માયાથી એ તપસી ચેતી ગયો છે.”

“શા અનુભવ ?”

“એક દિવસ જોગીદાસ જૂનીના વીડમાં આંટો દઈને બાબરિયાધાર આવતા’તા. હું ભેળો હતો. બેય ઘોડેસવાર થઈને આવતા’તા. આવતાં આવતાં જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી, તેમ તો સૂરજનાં પચરંગી તેજે હીરા મોતીએ મઢી દીધેલા હોય એવા ઝગારા મારતા એ પાણીના પ્રવાહમાં પિંડી પિંડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઊભેલી દીઠી. અઢારેક વરસની હશે, પણ શી વાત કરું એના સ્વરૂપની ! હમણાં જાણે રૂપ ઓગળીને પાણીના વહેણમાં વહ્યું જાશે ! સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું એનું રૂપ : પણ આપાને તો એ વાતનું કાંઈ ઓસાણેય ન મળે. નેરાની ભેખડ્યું અને જીવતી અસ્ત્રી, બેય આપાને તો એકસરખાં. આપાએ ઘોડી પાણીમાં નાખી. એમાં પડખે ચડીને એ જુવાનડીએ ઝબ દેતી ઘોડીની વાઘ ઝાલી. ઘોડીએ ઝબકીને મોઢાની ઝોંટ તો ઘણીયે દીધી, જોરાવર આદમીનુંયે કાંડું છૂટી ાજય એવા જોરથી સાંકળ ઉલાળી : પણ એ જુવાનડી તો જળો જેવી ચોંટી જ પડી. આપો જોઈ રહ્યા. આપાને તો અચરજનો પાર જ ન રહ્યો, ‘હાં ! હાં ! હાં ! અરે બાઈ ! બાપ ! મેલ્ય, મેલ્ય, મેલી દે ! નીકર ઘોડી વગાડી દેશે.’ એમ આપો વીનવવા લાગ્યો.

‘નહિ મેલું, આજ તો નહિ મેલું, જોગીદાસ !’

‘અરે પણ શું કામ છે તારે ? કોઈ પાપિયા તારી વાંસે પડ્યા છે? તારો ધણી સંતાપે છે ? શું છે ? છેટે રહીને વાત કર. હું તારું દુઃખ ટાળ્યા પહેલાં અહીંથી ડગલુંયે નહિ ભરું. તું બી મા. ઘોડીને મેલી દે, અને ઝટ તારી વાત કહી દે.’

‘આજ તો તમને નહિ છોડું, જોગીદાસ ! ઘણા દીથી ગોતતી’તી.’

‘પણ તું છો કોણ ?’

‘હું સુતારની દીકરી છું. કુંવારી છું.’

‘કેમ કુંવારી છો, બાપ ! પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી ? તો હું આપું. તુંય મારી કમરીબાઈ -’

‘જોગીદાસ ખુમાણ ! બોલો મા. મારી આશા ભાંગો મા. હું તમારા શૂરાતનને માથે ઓળઘોળ થઈ જાવા મારી જાત્યભાત્ય પણ મેલી દેવા ભટકું છું. આમ જુઓ, જોગીદાસ, આ માથાના મોવાળા કોરા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળ્યે -’

‘અરે મેલ્ય મેલ્ય, મળવાવાળી ! તું તો મારી દીકરી કમરી કે’વા!’

આટલું બોલી, પોતાના ભાલાની બૂડી એ જોબનભરી સુતારણના હાથ ઉપર મારી, ઘોડીની વાઘ ડોંચી, આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વળી ન જોયું ! પછી સાંજરે બેરખાના પારા પડતા મેલતા મેલતા, સૂરજનો જાપ કરતા’તા ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા’તા કે ‘હે બાપ, મારું રૂપ આવડું બધું કૂડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉં છું કે કોઈ પરનારીની સામે અમથી અમથીયે મીટ નહિ માંડું.’

“અને બીજી વાત તો એથીય વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દી ઓચિંતું તૂટી પડ્યું. એક ગામને પાદર નદીકાંઠે એ દી સાંજટાણે પનિયારિયું આછા વીરડા કરતી પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળુ હાંડા ઊટકાઈને ચકચકાટ કરાતા હતા. આછરતા વીરડા, ઊટકેલાં બેડાં, મોતીની ઈંઢોણિયું, નમણાં મોઢાંવાળી ગામની બેન્યું, દીકરિયું, ને એ સહુને માથે જ્યોતો પ્રગટાવતા સૂરજ મહારાજઃ એ રૂડો દેખાવ આપોય જોવા લાગ્યા. ઓલ્ય નીમનું ઓસાણ ચુકાઈ ગયું. પોતાને ઘેરથી આઈ અને દીકરાઓ બધાં આવે, નદીકાંઠે બેસીને કિલ્લોલ કરતાં હોય, એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બચાડાં ચોર બનીને ભટકતાં’તાં.

“ઘેરે આવીને જોગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખમાં મરચાંના ભૂકાનું ભરણ ભર્યું. પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઊઠ્યા ત્યાં તો આંખો ફૂલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે ‘અરે ! અરે ! જોગીદાસ ! આ શો કોપ થયો?’

“‘કાંઈ નહિ, બા ! ઈ આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું’તું તે નિતારી નાખ્યું.”

“આવો નીમધારી પુરુષ. લગરીકે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે, ભાઈ !”

નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસાઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણ : એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતાં ખેડતાં થોડોક વિસામો લેવા માટે ભેળા મળીને નાંદુડી ગાળીએ હુતાશણી રમે છે. કોયલોને ટૌકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે. બરાબર તે સમયે એક અસવારે આવીને નિસ્તેજ મોંએ સમાચાર દીધા કે “બાપુ હાદો ખુમાણ ઘૂઘરાવે દેવ થયા.”

“બાપુ દેવ થયા ? બાપુને તો નખમાંય રોગ નો’તો ને ?”

“બાપુને ભાવનગરની ફોજે માર્યા.”

“દગાથી ? ભાગતાં ભાગતાં કે ધીંગાણે રમતાં ?”

“ધીંગાણે રમતાં.”

“કેવી રીતે ?”

“ફોજે ઘૂઘરાળાની સીમ ઘેરી લીધી. બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું. એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવતો ઝલાઈ જાઉં અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાનો હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યા. વાડીએ બાપુ હથિયાર છોડીને હાથકડી પહેરી લેવા લલચાઈ ગયા તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે

સો ફેરી શિહોરની, લીધેલ ખૂમે લાજ,

(હવે) હાદલ કાં હથિયાર, મેલે આલણરાઉત !

(હે આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ ! સો વાર તો તું શિહોર ઉપર તૂટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો; અને આજ શું તું તારાં હથિયાર મેલીને શત્રુને કબજે જઈશ ?)

“આવાં આવાં બિરદ દઈને બાપુનાં રૂવાંડાં બેઠાં કર્યાં. અને બાપુ એક સો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઊઠ્યા. એણે હાકલ કરી કે ‘એ ભાઈ ફોજવાળાઓ ! આ રહ્યો તમારો બાપ ! આવો, ઝાલી લ્યો.’ ફોજને આંગળી ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પંડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા માંડ્યા. સામી છાતીએ લડીને ફૂલધારે ઊતર્યા.”

“બસ ત્યારે !” જોગીદાસ બોલી ઊઠ્યોઃ “પૂરે ગઢપણે આપણો બાપ ફૂલધારે ઊતરી ગયા, એ વાતના તે કાંઈ સોગ હોતા હશે ! એનાં તો ઉજવણાં કરાય. માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાઈયું જોડ્યેથી વગડાવો !”

“પણ, બાપા !” કાસદિયાએ કહ્યું : “બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ.”

જોગીદસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલાના માથાના બૂરા હાલ સાંભળતાં એનો કોઠો સળગી ઊઠ્યો. પણ નાહિંમતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખૂટવાી ધાસ્તી હતીઃ એ કારણથી પોતે મનની વેદના મનમાં શમાવીને કહ્યું : “હશે, બાપ ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત ! ભલે હવે એ સાવજના મોંને નીરખી નીરખીને જોતાં.”

૭. પહેરામણી બગડી

આજે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણના મોતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાસ ક્યાંયે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટિયો જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઊભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનવા લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સંબંધીઓને પહેરામણી કરવા માટે કચારી ભરાણી છે. સાચાં વસ્ત્રોના સરપાવ, ભેટ દેવા માટેી તરવારો અને સાકરના રૂપેરી ખૂમચા મહારાજાની ગાદી સન્મુખ પ્રભાતને પહોર ઝગારા મારે છે.

તે વખતે કચારીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને રંગરાગમાં ભાગ લેતાં ભોંઠામણનો પાર નથી રહ્યો. એ ક્રાંકચ ગામનો ગલઢેરો મેરામણ ખુમાણ હતો. પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના કુટુંબી હાદા ખુમાણના મોતના ઉત્સવમાં ન છૂટકે સપડાઈ ગયો છે. પણ એને ક્યાંયે સુખચેન નથી. પોતે એકલો છે. તરવારે પહોંચે તેમ નથી, તેથી એણે આખી મિજલસને તર્કથી ધૂળ મેળવવાનું નક્કી કર્યું છે. કટોકટીની ઘડી આવી પહોંચી છે.

“લાવો હવે પહેરામણી !” મહારાજે હાકલ કરી. ખૂમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા. ચારણોએ દુહા લલકાર્યા. ત્યાં તો મર્માળી ઠાવકી વાણીમાં મેરામણ ખુમાણ બોલી ઊઠ્યા, “વાહ ! વાહ ! રે ભણેં કાઠી તારાં ભાગ્ય! ભારી ઊજળાં ભાગ્ય !”

“કેમ, મેરામણ ખુમાણ ? કોનાં ભાગ્ય ?” ઠાકોરે પૂછ્યું.

“બીજા કોનાં, બાપ ! હાદા ખુમાણનાં.”

“કેમ ?”

“કેમ શું ? એકસો ને બાર વરસની અવસ્થા ! હાથે કં-પવાઃ પગે સોજાઃ આંખે ઝાંખપઃ કાયાનો મકોડે મકોડો કથળી ગયેલઃ આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બૂરા હાલ થઈ જાત ? પાંચેય દીકરાને બહારવટાં મેલી દઈ, બાપની સંભાળ લેવા સાટુ થઈને મોંમાં તરણાં લઈ આફરડા મહારાજને શરણે આવવું પડત. તીકર મલક વાતું કરત કે બાપ બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે ! પણ હવે ઈ માયલું કાંઈ રિયું ? હવે તો નિરાંતે પાંચેય જણા ભાવનગરનાં અઢારસેં ઉજ્જડ કરશે, માટે સાકર તો આજ વહેંચે એના દીકરા કે સાવજ પાંજરેથી મોકળા થ્યા !”

આખી કચારી સાંભળે એ રીતે શબ્દો બોલાયા !

“સાકર-પહેરામણીના થાળ પાછા લઈ જાવ !”

એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાંખી અને પોતે તે જ ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે ધોળું ફાળિયું બાંધી લીધું.

૮. દુશ્મનનું કારજ

ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છેઃ

“મેરામણ ખુમાણ, હવે શું કરું ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.”

“સાચું, મા’રાજ. માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો. અને ભાણ જોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો.”

ઠાકોર વજેસંગે કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું. ત્રણેય પરજમાં મેલા લખ્યા. ભાણ જોગીદાસને તેડી લાવવા માટે મેરામણ ખુમાણને મોકલ્યા.

નક્કી કરેલ દિવસે બેય બહારવટિયા ભાઈઓ ડુંગરમાંથી ઊતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ શિખામણ દઈ રહ્યો છે કે “ભાણ ! બાપ, તું આકરો થતો નહિ. તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે, ભાઈ !”

કુંડલાના દરબારગઢમાં આવ્યા ત્યાં દાયરો ઊભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું, “ક્યાં છે મા’રાજ ?”

“મા’રાજ તો નદીએ સરાવે છે.”

“મા’રાજ પોતે સરાવવા ગયા છે ?”

“હા, આપા !”

બંને જણાએ ઘોડીઓ નદીના આરા તરફ લીધી. કાંઠે આવતાં તો આઘેથી ઠાકોર વજેસંગને દેખ્યા : મૂછો પડાવીને મહારાજ રામઘાટ ઉપર સરાવણું કરે છે.

“જો, ભાણ ! જોઈ લે, બાપ ! બાપ તો તારો ને મારો મર્યો, અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે : આપણા દુશ્મને ! આમ જો ખાનદાની ! તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છીએ ?૧”

૧. કાઠીઓ મૂછો પડાવતા નથી, પણ રાજપૂતો પડાવે છે.

ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઊંચું જોયું. બન્ને બહારવટિયા સામે નજર કરીને ઠાકોરે મોં મલકાવ્યું. જાણે મોટેરા ભાઈ હોય એટલું હેત પાથરી દીધું.

“ઊઠો ઊઠો, મહારાજ ! હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તો અવધિ કરી.”

“આપાભાઈ !” મહારાજ બોલ્યાઃ “હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારાયે બાપુ. હું મોટેરો દીકરો, તમે કોઈ ઘેર નહિ, એટલે હું સરાવું એમાં શું ? મોટેરાને એટલો હક્ક તો રે’વા દ્યો, બાપ !”

“ભલે મહારાજ !” જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું.

સરાવણું પૂરું થયે સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા. બરાબર ઝાંપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યુંઃ “રામ રામ મહારાજ !”

“આપાભાઈ ! આ તરફ દરબારગઢમાં.”

“માફ રાખો, બાપા !

હું સાવરમાં ઉતારો કરીશ.”

“અરે પણ -”

મેરામણ ખુમાણ બોલી ઊઠ્યાઃ “કાં મહારાજ ! ન સમજાણું ? જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે, એટલે એણે ઘોડી તારવી.”

“તો આપણાં મુકામ પણ સાવરમાં નાખો.”

ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી.

ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું. તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા, જલેબી ને મોહનથાળ દીધાં.

કેવળ ક્રાંકચનો મેરામણ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું, “વાહ ઠાકોર ! રૂપાની થાળી ને સોનાની પાળી ! કલેજાં ચીરે, તોય મીઠી લાગે !”

“બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવા. આજ બા’રવટું પાર પાડીએ”, વજેસંગજીએ વાત ઉચ્ચારી.

બન્ને ભાઈઓ હાજર થયા. ઠાકોરે વાત ચલાવી :

“જુઓ, આપાભાઈ ! બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો : દરેક ભાઈને ત્રીસ-ત્રીસ હજાર મળતાં. એથી વધુ તો તમે ન માગો ને !”

“ના.”

“ત્યારે છ ગામ ઉપાડી લ્યો, આપા ! તમે જ નામ પાડો.”

“પહેલું કુંડલા.”

કુંડલાનું નામ પડતાં જ મહરાજનું મોં ઊતરી ગયું. મહારાજે માથું ધુણાવ્યુંઃ “આપા ! કુંડલા તો નહિ. કુંડલા લેવા દરબારને ભારી દાખડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનું ઢરડાવ્યું, તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ઢાંઢા તૂટી ગયા, તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલા સિવાય બીજું ઠીક પડે એ ગામ માગી લ્યો.”

“પહેલાં કુંડલા; પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણી ન ખપે, મહારાજ !”

“આપા ! છ નહિ, સાત માગો, આઠ માગો; પણ કુંડલાની વાત પડતી મેલો.”

“મહારાજ છને બદલે પાંચ આપો, પણ કુંડલા તો પે’લાં.”

“એ ન બને, આપા !”

“તો રામરામ, ઠાકોર !”

ભાણ જોગીદાસ ચડી નીકળ્યા, ભાણની રોમરોઈ અવળી થઈ ગઈ હતી; મરું કે મારું ! મરું કે મારું ! - એમ એને થતું હતું. નાવલીની બજારમાં નીકળતાં જ ભાણ ખુમાણે સિબંધી સિપાહીઓ ઉપર ઝાટકા ચોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો, “હાં ! હાં ! ભાણ ! સામી તેગ ખેંચે તેને જ મરાય, બાપડા નિર્દોષને માથે આ તું શું કરી રિયો છે!”

ગોખમાં ઊભેલા ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના સિબંધીઓને ત્યાંથી હાકલ કરી, “ખબરદાર ! બહારવટિયાઓને કોઈ આજ સામો ઘા ન કરજો. ભલે આપણાં સો ખૂન થઈ જાય.”

“જોયું. ભાણ ? આ ઠાકોર વજેસંગ !”

બહારવટિયા ચાલી નીકળ્યા.

કારજના પ્રસંગ વિશે બીજી વાત આમ બોલાય છેઃ

જેતપુરના કાઠી દરબાર મૂળુ વાળાય કડેધડે હતા. ત્રણ પરજની કાઠ્યમાં મૂળુ વાળાનો મોભો ઊંચેરો ગણાતો. એનું વેણ ઝટ દઈને કોઈથી લોપાતું નહિ. એજન્સી સરકારની પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઊભો રહેનાર મૂળુ વાળો હતો. એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યુંઃ “મૂળુભાઈ, હાદા ખુમાણ જેવો કાઠી પડ્યો, એની તો આખા મલકને ખોટ્ય કહેવાય. જીવતે એ મારો દુશ્મન હતો, પણ મૂવા પછી તો મારો ભાઈ લેખું છું. માટે ભાવનગરના ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે. તમારું કામ તો એટલા સારુ પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે. પણ એના બાપને માર્યા પછી હું એને અંજળિ ભરી કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને જંપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે !”

કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો, બહારવટિયાઓને ઝાલી લેવાની પેરવી હતી. પણ કસુંબો લેવાઈ રહ્યો, સહુ સહુને ઉતારે ગયા, રાત પડી એટલે મૂળુ વાળાએ સનસ કરીને બહારવટિયાને ચેતવ્યા, “હં... ભાણ જોગીદાસ ! હવે ચડી નીકળો ઝટપટ.”

“અરે ! પણ મહારાજ વાળુમાં વાટ જોશે.”

“તો પછી ઝાટકાનાં વાળુ સમજવાં, જોગીદાસ !”

રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલિટિકલ એજન્ટને ખબર દીધા કે “બહારવટિયાને પકડી લેવાની મારી પેરવીને જેતપુરના મૂળુ વાળાએ અને જસદણના શેલા ખાચરે ધૂળ મેળવી દીધી છે. બહારવટિયાને નસાડ્યા છે.”

આ ઉપરથી એજન્સી સરકારે જેતપુર અને જસદણ ઉપર સરકારી થાણાં બેસાડી દીધાં હતાં.

૯. ભીમ પાંચાળિયો

બાપુનું ગામતરું થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહુ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એંશી ઘોડે જોગીદાસ ઘૂમી રહેલ છે. મહુવાથી જાફરાબાદ સુધીનો દરિયાકિનારો પણ એ ઘોડાના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે.

મારગ જે મુંબઈ તણે, જળબેડાં ન જાય,

શેલે સમદર માંય, જહાજ જોગીદાસનાં.

(મુંબઈ નગરને જળમાર્ગે જહાજો જઈ શકતાં નથી, કેમ કે જોગીદાસનાં વહાણ એની ચોકી કરતાં સમુદ્રમાં તરી રહ્યાં છે.)

એવે એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા. વરતેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા અને ઠાકોર વજેસંગ નજીકમાં શિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાળ ઊપડી ગઈ.

આજ તો કાં હું નહિ, ને કાં જોગીદાસ નહિઃ એવા સોગંદ લઈને ઠાકોર ઊભા થયા, હાથીએ ચડ્યા. સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા. ચારેય દિશાએથી ઠાકોરની ફોજ બહારવટિયાના કેડા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહિ નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઊઠી. મૂંઝાયેલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઊભેલા હોવાના સમાચાર સાંભળી પાછો વળે છે. ક્યાં જવું તે સૂઝતું નથી. અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે.

એવી હાલતમાં જોગીદાસ ભંડારિયા ગામને પાદર નીકળ્યા. જોગાનજોગે પાદરમાં જ એક પુરુષ ઊભા છે. ઘોડી પાદરમાં ઊતરતાંની વાર જ બેય જણે અન્યોન્યને ઓળખી લીધા.

“ભીમ પાંચાળિયા, રામ રામ !”

“ઓહોહોહો ! મારો બાપ ! જોગીદાસ ખુમાણ !” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળિયા નામના ચારણે બહારવટિયાને બિરદાવ્યો :

ફૂંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ,

નવે કંડિયે નાગ, ઝાંઝડ જોગીદાસિયો !

(હે જોગીદાસ, વજેસંગ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા ઘણા રાજારૂપી સર્પોને પોતાના કરંડિયામાં પકડી પાડે છે, પરંતુ એક તું ફણીધર જ એની મોરલીના નાદમાં ન મોહાયો. તેં તો ફૂંફાડા મારીને એ વાદીની ટોપી જ ઉડાડી નાખી.)

“ભીમ પાંચાળિયા ! આજ એ દુહો ખોટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝડ જોગીદાસિયો કરંડિયે પકડાઈ જાય તેમ છે. માટે રામ રામ ! આજ રોકાઈએ એવું રહ્યું નથી.”

દોટ કાઢીને ભીમ પાંચાળિયે જોગીદાસની ઘોડીની વાઘ ઝાલી લીધી અને કહ્યું, “એમ તે ક્યાં જઈશ, બાપ ? તો પછેં ભંડારિયાને પાદર નીકળવું નો’તું. રોટલા ખાધા વિના તો જવાશે નહિ !”

“હાં હાં, ભીમ પાંચાળિયા, મેલી દ્યો. આજ તો નહિ જ.”

“પણ શું છે એવડું બધું ?”

“વાંસે ઠાકોર વજેસંગજી છે ને ચોગરદમ અમારી દૃશ્યું રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો.”

“હવે ભેટ્યા ભેટ્યા વેરી ! જોગીદાસ શિરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠારોક વજેસંગે ભંડારિયાને સીમાડે ઊભા થઈ રે’વું પડે, મારા બાપ ! મૂંઝાવ છો શીદ ? ઊતરો ઘોડીએથી. ખાધા વિના હાલવા નહિ દઉં.”

જોગીદાસ અચકાય છે.

“અરે બાપ ! કહું છું કે તારું રૂંવાડુંય ખાંડું ન થવા દઉં ! એલા ઝટ આપણે ઓરડે ખબર દ્યો કે ઊભાં ઊભાં રોટલા-શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય. ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું.”

જમવાની વરદી આપીને ચારણ ભંડારિયાને સીમાડે ઠાકોર વજેસંગજીની સામે હાલ્યો. હાથીની રૂપેરી અંબાડી ઉપર રુદ્રસ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણાં લઈને બિરદાવ્યા કે

કડકે જમીંનું પીઠ, વ્રહમંડ પડ ધડકે વજા,

નાળ્યું છલક નત્રીઠ, ધૂબાકે પેરંભના ધણી !

(હે વજેસંગજી ! હે પેરંભ બેટના ધણી ! તારે ઘેર તો એટલી બધી તોપો છલકે છે, કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે અને વ્યોમનાં (આકાશનાં) પડ ધડકી જાય છે.)

“ખમા ગંગાજળિયા ગોહિલને ! બાપ, અટાણે શીદ ભણી ?”

“ભીમ પાંચાળિયા, જોગીદાસની વાંસે નીકળ્યા છીએ.”

“જોગીદાસ તો મારા ખોળામાં છે, બાપ ! તમે શીદ ધોડ કરો છો?”

“ભીમ પાંચાળિયા, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છેઃ કાં તો હું નહિ ને કાં જોગીદાસ નહિ.”

“પણ બાપા, ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટંક મારે આંગણે બટકું શિરામણ સારુ ઊતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમેયે શિરામણ કરવા હાલો, ને કાં જોગીદાસ શિરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીએથી હેઠા ઊતરીને જરાક આંટા મારો.”

“ભીમ પાંચાળિયા ! તમે મારા શત્રુને આશરો દીધો ?”

“એમ ગણો તો એમ. પણ ઈ તો ગાએ રતન ગળ્યું કહેવાય ને, બાપ ! હું તો ગા છું. મારું પેટ ચીરવા કાંઈ હિંદુનો દીકરો હાલશે ? અને આ તો જોગીદાસ જેવો પરોણો. પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય ? ને પછી ક્યાં પકડાતો નથી ? ભાવેણાના મહારાજને તો હજારું હાથ છે, બાપા !”

ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઊતરી ગયો. ‘પરોણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય ?’ એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું.

“ઊતરો, હેઠા ઊતરો, બાપા !” ચારણે ફરી વાર આજીજી કરી.

“ભીમ પાંચાળિયા !” મહારાજનો બોઘો કામદાર સાથે હતો, તેણે તપી જઈને વચન કાઢ્યુંઃ “જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઊતરે તો તો મહારાજની માએ ધૂળ ખાધી કહેવાય, ખબર છે ?”

“બોઘા કામદાર !” કોચવાયેલા ચારણના મોંમાંથી વેણ વછૂટી ગયુંઃ “મહારાજની માએ તો એને દૂધ પીને જણ્યા છે; બાકી તો વાણિયાભામણની માને અનાજ વીણતાં વીણતાં ધૂડ્યની ઢેફલી હાથમાં આવે તો મોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી !”

ચારણનું મર્મવચન સાંભળીને ઠાકોરનું મોં મલકી ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહિ; અને મહારાજે હસીને કહ્યું કે “ભીમ પાંચાળિયા ! જાવ, આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે, એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાવ, હું આજ જોગીદાસને જાવા દઉં છું.”

ઠાકોર હાથી વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા.

૧૦. શત્રુની સ્ત્રી

“કાં ? કાંઈ શિકાર ?”

“શિકાર તો શિકાર ! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભુક્કો કરી નાખે એવો ! આકડે મધ અને માખિયું વિનાનું.”

“કોણ ?”

“ભાવનગરનાં રાણી નાનીબા.”

“ક્યાં ?”

“દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંગને ઘેરે; ભેળા કુંવરડા છે; ભેળી ઘરેણાંની પેટી છે. અને સાથે અસવાર છે થોડા.”

“ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.”

આકડિયા ગામનો ઠૂંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગના રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબા ગામની સીમમાં દડવાને માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યો છે. રણવગડામાં નાચ કરતી કોઈ અપ્સરા સરીખું હિંગળોકિયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝ્‌યો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચિંતો છાપો મારીને રાઘા ચાવડાના અસવારોએ નાનીબાના કંઈક અસવારોને બરછીથી પરોવી લીધા, કંઈક ભાગ્યા. થોડાકને બાંધી લીધા અને રાઘડે હાકલ કરી કે “બાઈ, ઘરેણાંની પેટી બહાર ફગાવી દેજો.”

થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “તમે કોણ છો, બાપ ?”

“જોગીદાસ ખુમાણના માણસો.”

“અરરર ! જોગીદાસભાઈ અસ્ત્રીયુંને લૂંટે ખરા ? જોગીદાસ અખાજ

ખાય ?”

“હા, હા, ભૂખ્યે પેટે અખાજેય ભાવે. દાગીના લાવો.”

“અખાજ ભાવે ? ભૂખ્યો તોય સાવજ ! ઈ તરણાં જમે ?”

“કાઢી નાખો ઝટ ઘરેણાં. વાદ પછી કરજો.”

આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દૈવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેડેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ ?”

“કોણ, જોગીદાસ ખુમાણ ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાઘે ચાવડે અવાજ પારખ્યો.

“તું કોણ ?”

“હું રાઘો ચાવડો.”

“રાઘડા ! અટાણે અંધારે શું છે ? કોની હારે વડચડ કરી રિયો છો?”

“આપા જોગીદાસ ખુમાણ ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટ ભરીને ઘરેણાં.”

“પણ કોણ છે ?”

“તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે. કરી નાખ ટૂંકું.”

“રાઘા !” હસતાં હસતાં જોગીદાસ બોલ્યાઃ “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી ! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બો’ન નાનીબા હારે નહિ. ઈ તો મારી માબો’ન ગણાય. અને વળી અબળા, અંતરિયાળ આધાર વગર ઊભેલી ! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિંદવાને ગા અને મુસલાને સૂવર બરોબર સમજવો જોવે, રાઘા ! હવે સમજતો જા.”

“ઠીક તયીં, જોગીદાસ ! તારા ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ. અમે એકલા પતાવશું.”

રાઘો હજુયે સમજતો નથી.

“રાઘા ! હવે તો તને રસ્તે પાડીને પછે જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરિયાળ રઝળવા દેવાય ?”

“એટલે ?”

“એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાઘો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠૂંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા!”

“એમ છે ? તયીં તો થાજે માટી, જોગા !”

“માટી તો કાંઈ થયું થવાય છે, બા ! માએ જણ્યા ત્યારથી જેવા હોયીં એવા જ છીએ, રાઘડા ! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલો થઈને રે’વા દે.”

રાઘા અને જોગીદાસે પોતાની ફોજો ભેડવી. ખિસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાઘો ભાગી નીકળ્યો.

કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુયે ભરોસો નથી કે બહારવટિયાના પેટમાં કૂડકપટ છે કે નહિ. ઊલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે.

જોગીદાસે હાકલ કરી : “એલા ગાડાખેડુ ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર ? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.”

નાનીબાએ બહારવટિયાના મોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ! વીરા ! બો’ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે ? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કે દી ભૂલીશ ?”

“વેલડાને વીંટી વળો, ભાઈ !” જોગીદાસે હુકમ કર્યો.

ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો.

અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબૂકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટિયાએ રજા લીધી કે “બો’ન ! મા ! હવે તમારી હદ આવી ગઈ છે. હવે તમે ઘરને ઉંબરે ઊતરી ગયાં, બાપા ! હવે મને રજા છે ?”

“જોગીદાસભાઈ !” નાનીબાની છાતી છલકી, “તમેય મારી ભેળા હાલો. હું મહારાજને કહી તમારું બા’રવટું પાર પડાવું. તમારો વાળ વાંકો ન થાય.”

“માડી ! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બા’રવટું પાર પડે એમાં જોગીદાસની વશેકાઈ શી ? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે મેળવીશ - કાં મહારાજની સાથે સામી છાતીના ઝાટકા લઈ-દઈને, ને કાં પ્રીતિની બથું ભરીને. આજ તો રામ રામ! મહારાજને મારા રામ રામ કહેજો.”

એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને ‘જોગીદાસભાઈ ! જોગીદાસભાઈ !’ એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા.

૧૧. મહાપાપ

એક દિવસ જોગી લપસ્યો હતો :

આજે બહારવટિયો ખરચીખૂટ થઈ ગયો છે. સાથીઓને ખાવા દેવા માટે દાણા નથી. અર્ધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાળીના કાઠી રાઠોડ ધાધલને સાથે લઈને સીમમાં ભટકે છે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાંતી જોડી શકતો નથી. સીમ ઉજ્જડ પડી છે. ઉનાળો ધખે છે. ત્યાં વીજપડી નામના ગામની સીમમાં ચાલતાં ચાલતાં એના ચકોર ભેરુબંધે નજર નોંધીને જોયું.

“શું જોછ, રાઠોડ ધાધલ ?”

“પણે એક કણબી સાંઠીયું સૂડે છે, જોગીદાસ, એને જીવતો જાવા ન દેવાય, હો !”

ઘડીક જોગીદાસનું દિલ પાછું હઠ્યું. “રાઠોડ ધાધલ, ઘણીયું હત્યાયું કરી, હવે તો કાયર થઈ ગયો છું. એને ખેડવા દે હવે.”

“અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે. લઈ લઈએ !”

“હા, ઈ ઠીક સંભાર્યું, હાલો.”

બન્ને અસવારોએ મારગને કાંઠે ઘોડીઓ ચડાવી અને પાધરી ખેતરમાં હાંકી. ઘોડીઓ ઢૂકડી આવી ને જેવા એ ખેડૂતે આઠ ડાબલાની પડઘી સાંભળી, તેવો એ કોદાળી ખભે નાખીને ભાગ્યો. ભાગતાંની વાર તો રાઠોડ ધાધલે બરછી ઉગામી, ઘોડી દોટાવીને પડકારો કર્યો કે “યાં ને યાં ઊભો રહી જાજે, જુવાન ! નીકર હમણાં પરોવી લીધો જાણજે !”

ભયભીત કણબીએ પાછું વળીને જોયું. બરછી ચમકતી દીઠી. બહારવટિયાઓની નિશાનબાજીને એ જાણતો હતો. ભાગે તો જીવનો ઉગારો નથી એમ સમજી થંભી ગયો. હાથમાંથી કોદાળી પડી ગઈ. એણે હાથ જોડ્યા, બૂમ પાડી કે “એ બાપા ! તમારી ગૌ ! મને મારશો મા !”

“એલા કેમ અમારાં ખેતર ખેડછ ? અમારા રોટલા આંચકીને શું

તારો ઠાકોર પોતાની કોઠીયું ભરશે ? બોલ, નીકર વીંધી નાખું છું,” જોગીદાસે ધમકી દીધી.

“ભૂલ થઈ, બાપા ! અટાણ લગી મને કોઈએ કનડ્યો નો’તો તે ભૂલ થઈ. હવે મને મેલી દ્યો. ફરી વાર તમારું બા’રવટું પાર પડ્યા મોર્ય હું આ દૃશ્યમાં ડગલું જ નહિ દઉં.”

“ખા ઠાકરના સમ !”

“ઠાકરના સમ !”

“ઠીક, અને આ કાનમાં કોકરવાં ને ફૂલિયાં ક્યાંથી પે’ર્યાં છે ? અમે રોટલા વિના રઝળીએ ને તમે સંધા અમારી જમીનુંના કસ કાઢીને સોને મઢ્યા ફરશો ? કાઢી દે ઝટ, અમારે બે-ત્રણ દીની રાબ થાશે, કાઢ્ય.”

“કાઢ્ય સટ, નીકર હમણાં આ કાકી છૂટી જાણજે,” એવો રાઠોડ ધાધલનો અવાજ આવ્યો. કણબી જુવાન એ અવાજ દેનારની સામે જુએ તો રાઠોડ ધાધલના હાથની આંગળીઓ પર ચકર ચકર ફરતી બરછી ભાળી. ફડકીને બીજી બાજુ જુએ તો જોગીદાસને ડોળા તાણતો ઊભેલ દીઠો. જાણે કાળનાં બે જડબાં ફાટેલાં હતાં, વચ્ચોવચ પોતે ઊભો હતો. જરાયે આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી.

“એ બાપા !” આડા હાથ દઈને એ બોલ્યો : “મને મારશો મા ! હું કાઢી દઉં.”

અઢાર વર્ષનો દૂધમલિયો કણબીઃ મહેનતુ, ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડૂત : જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોખ્ખું લાલ ચણોઠી જેવું લોહી ઉછાળા મારી રહ્યું છે. જેને અર્ધ માથે કપાળ ઝગારા મારે છે : એવો આભકપાળો જુવાન : કડિયા ને ચોરણીની કોરી નકૌર જોડી : કડિયાને છાતીએ કરચલિયાળી ઝાલર અને કસોનાં ઝૂમખાં : પકતી ચોરણીની નાડીએ એક દોથો પચરંગી ઊનનાં ઝૂમખાં ઝૂલે છે : પગમાં નવી મોજડીઓ પહેરી છે : માથાની લાંબી ચોટલીમાંથી બે ઘાટી લટો બેય ખભા ઉપર ઢળી છે : એવો, કાળી ભમ્મર ને સાફ બે આંખોવાળો રૂપાળો કણબી જુવાન ‘એ બાપા મારશો મા !’ કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના સાચા સોળવલા સોનાની ચાર ચીજો કાઢવા લાગ્યો; ફક્ત ચાર જ ચીજો : બે કોકરવાં ને બે ફૂલિયાં કાઢતો જાય છે, કાઠોડ ધાધલની બરછી માથા ઉપર તોળાઈ રહી હોવાથી હાંફળોફાંફળો થાય છે. કોકરવાં ઝટ ઝટ નીકળી શકતાં નથી. કાઢી કાઢીને જોગીદાસે પાથરેલી પછેડીની ખોઈમાં નાખતો જાય છે. બહારવટિયા કોઈ આવી જવાની બીકમાં ‘કાઢ્ય ઝટ !’ એવો ડારો દે છે, જવાબમાં ‘મારશો મા, બાપા કાઢું છું !’ કહી કણબી કોકરવાં કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે, છૂટા પડવાની હવે વાર નથી.

તે વખતે “મારશો મા ! એને મારશો મા ! એ બાપા, મારશો મા!” એવી આઘેરી રાડ સંભળાણી. બહારવટિયાના કાન ચમક્યા, આંખો એ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે. માથા પર કાંસાની તાંસળી, રોટલાની પોટકી ને છાસની નાની દેણી માંડી છે. તાંસળી અને દોણી ચમકતાં આવે છે.

પાસે આવી. પંદર વર્ષની જુવાનડી પૂરેપૂરી વરતાણી. માથે ભાતિયાળ ચૂંદડી : ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડનાં અને પે’રણનાં આભલાં ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે : ડોકમાં દાણિયું ને ઝરમર : હાથમાં ચાર ચાર તસુની હેમની ચીપો મઢેલ બલોયાં, ગુજરી ને ઠૈયાં : પગમાં કડલાં ને કાંબીઃ આંગળીએ અણવટ ને વીંછિયા : કપાળે દામણી : આંખડીમાં કાજળ : સેંથે હીંગળો પૂરેલો : એવી ફૂલગુલાબી મોંવાળી, ચાર ભેંસોની છાસ ફેરવનાર, ધીંગા હાથવાળી રૂપાળી કણબણ આવી. આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી.

“એ બાપુ ! મારશો મા ! એને મારશો મા.”

“કોણ છે ઈ !” બહારવટિયાએ હાકલ દીધી.

“બાપા ! આ મારો વર થાય છે. હજી હમણાં જ હું આણું વાળીને

આવું છું. એને મારશો મા ! અમારી જોડલી ખંડશો મા ! કહો તો આ મારો

એકોએક દાગીનો ઉતારી દઉં.”

“કાઢ્ય, સટ કાઢ્ય !” કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખોઈ ધરી. બહારવટિયો પોતાનું બિરદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સૂંડલો-એક દાગીના દેખીને જોગીદાસને ન રહ્યું. એનું દિલ ચળી ગયું. એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે.

કણબણ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. ને છતાંય રાઠોડ ધાધલની ચકર ચકર ફરતી બરછી જુવાનની છાતી સામે તોળાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે ને ઘડીક પેલી બરછી તરફ જોતી જાય છે. ઘરેણાં કાઢતી કાઢતી કણબણ ફોસલાવી રહી છે કે “બાપુ એને હવે મારશો મા, હો ! હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ. અને, બાપુ! તમારે વધુ જોતા હશે તો ઘરે જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પિયરમાં બહુ સારું છે, ને મને ઘણોય મોટો કરિયાવર કર્યો છે, અને ઈ બધાને મારે શું કરવું છે, બાપુ ! મારો...”

એટલું વેણ અધૂરું રહ્યું, અને રાઠોડ ધાધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતાં છૂટી ? રાઠોડ ધાધલને પણ એ વાતની સરત ન રહી. બરછી છૂટી જુવાનની પહોળી, લોહીછલકતી છાતીમાં પડી. આરપાર નીકળી. જુવાન ધરતી પર પટકાઈ ગયો, બેય બાજુએ લોહીની ધારો મંડાણી. તરફડ ! તરફડ! કણબી તરફડવા લાગ્યો.

“અરરર !” જોગીદાસના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એની ખોઈ હાથમાંથી વછૂટી પડી. જમીન પર દાગીનાનો ઢગલો થયો.

ફાટી આંખે બેય જણા જોઈ રહ્યા.

કણબણની બે કાળી કાળી આંખો તાકી રહી. જાણે હમણાં ડોળા નીકળી પડશે ! એનું આખું અંગ કંપી ઊઠ્યું, મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે.

બાઈએ ધણીની કોદાળી ઉપાડી ધડૂસ ધડૂસ પોતાના માથા પર ઝીંકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાળાની લટો ભીંજાણી. મોઢું રંગાઈ ગયું.

“કેર કર્યો ! કાળો ગજબ કર્યો ! રાઠોડ ! કમતિયા ! કાળમુખા ! કેર કર્યો !” જોગીદાસ પોકારી ઊઠ્યો.

“કેર કર્યો ! અરરર !” રાઠોડના મોંમાંથી પડઘો નીકળ્યો.

“રાઠોડ ! તારું આવું જ મોત થાજો ! તુંને ટીપું પાણી ન મળજો!” જોગીદાસે શાપ ઉચ્ચાર્યો.

ને આંહીં ધડૂસકારા વધ્યા. ન જોઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બન્ને બહારવટિયા ભાગી છૂટ્યા. નોખા પડીને નાસી ગયા. ઊભા ન રહેવાયું.

રાઠોડ ધાધલનું ભારી બૂરું મોત થયું. અને જોગીદાસના વંશનું સત્યાનાશ નીકળી ગયું.

૧ર. ચારણે છેતર્યો

સિહોરને પાદર ગરીબશાહ પીરની જગ્યા પાસે પકતી ચોરાણી, કણબી જેવું કેડિયું ને માથે બોથાલું બાંધીને એક આદમી ઊભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાય છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલદી પોતાને ગામ જવા માટે કોઈ ગાડુંગડેરું નીકળવાની વાટ જોતો કેડાને કાંઠે ઊભો હોય તેવું લાગે છે.

બરાબર અંધારા ઊતરવાં શરૂ થયાં ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ, તરવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો. જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટિયો જોગીદાસ જ આજ એકલ ઘોડે દિવસ આથમ્યે નીકળેલો. એકલા આંટા દેવાની એને આદત હતી.

કેડાને કાંઠે ઊજળાં લૂગડાં અને પછેડીને ભેટ બાંધેલ આદમીને ઊભેલો ભાળી બહારવટિયાએ ઘોડી થોભાવી. એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યોઃ “કેવા છો, એલા ?”

“ક... કણબી છું, બાપુ !” આદમીએ થોથવાતી જીભે ઉત્તર દીધો.

“કણબી કે ? ઠીક ત્યારે, ડગલુંય દેશ મા ! નીકર બરછીએ વીંધીશ.”

એટલું બોલીને જોગીદાસે ઘોડીને એ આદમીની થડોથડ લીધી.

“છાનોમાનો આવી જા મારી ઘોડી માથે, બેસી જા બેલાડ્યે. નીકર જીવતો નહિ મેલું.”

એટલું કહીને બહારવટિયાએ પોતાનો પહોળો પંજો લંબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું અને ઊંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસાડી અંધારે અલોપ થયો.

માર્ગે જોગીદાસના મનમાં મનોરથ રમે છે કે આદમી સિહોરના કોઈ માલદાર મુખી પટેલિયાનો દીકરો દેખાય છે. એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાંટ ભરીને આપણને ડુંગરામાં દેવા આવશે !

બાન પકડેલ આદમી પણ જરાયે આકળો-બેબાકળો થતો નથી. એને કશો ભય નથી. એના દિલમાં તો આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે.

સિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની મજલ થઈ. માંડવા ગામનું પાદર આવ્યું. આવતાની વાર જ એ પાછળ બેઠેલ આદમી બુલંદ અવાજે દુહો લલકારી ઊઠ્યો :

ઠણકો નાર થિયે, ચત ખૂમા, ચળિયું નહિ,

ભાખર ભીલડીએ, જડધર મોહ્યો, જોગડા !

(હે જોગી જેવા જોગા ખુમાણ ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારું ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકાથી કદાપિ નથી ચળતું.)

દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ નજર કરી. તારોડિયાને અજવાળે પોતે બાન પકડેલ આદમીનું મોઢું જોયું. એ મોં મલકી રહ્યું છે અને બન્ને હાથ લંબાવીને એ આદમી બહારવટિયાનાં ઓવારણાં લઈ રહ્યો છે કે “ખમ્મા મોળા જોગીને ! આઈ તોળાં ઝાઝાં રખવાળાં કરે. મોળા તપશી !”

“કોણ છો, એલા ?”

“ચારણ સાં, મોળા બાપ ! તોળો ભાણેજ સાં !”

“નામ ?”

“નામ લખુભાઈ ! આશે માંડવાનો રેવાશી સાં !”

“ત્યારે પહેલેથી સાચું કેમ ન કહ્યું ?”

“મોળા બાપ ! આજ સિહોરથી માંડવે પગપાળા તો પુગાઈ ઈમ નૂતું. અને કણબી થયા વન્યા તોળી ઘોડીને માથે તું બેસાર એમ નૂતો. એટલે ખોટું ભણવું પીઉં, બાપ !”

“અરે પણ અભાગિયા ! આટલા સાટુ તેં મારી ઘોડીને મારી નાખી!”

એટલું બોલીને ગંભીર મુખમુદ્રાવાળો બહારવટિયો હસી પડ્યો. હાથ ઝાલીને લખુભાઈ ચારણને હેઠે ઉતાર્યા. ચારણ નીચે ઊભો ઊભો ખમકારા દેવા લાગ્યો ને બહારવટિયાની ઘોડી અંધારે ચૂપચાપ ચાલી ગઈ.

૧૩. રખાતની દીકરી

“આ ગામનું નામ ?” બરછીની ચકચકતી અણી નોંધીને સામેનું ગામડું બતાવવા બહારવટિયાએ પોતાના સાથીઓને ચાલતે ઘોડે પ્રશ્ન પૂછ્યો.

“ઈ ગામ બોડકી, આપા ! અને બોડકી એટલે તો બેય વાતે ઘીકેળાં! સમજ્યા કે ?”

“ઘીકેળાં વળી કેમ ?” બહારવટિયાએ ગામના ઘટાદાર આંબા, લીંબડા અને લીલુડી વાડીઓ ઉપર બરાબર વૈશાખના તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભાતે દિલે પૂછ્યું.

“આપા જોગીદાસ ! એક તો આવું હાંડા જેવું રધિભર્યું ગામડું ને તેમાંય વળી આપણા દુશ્મનના કુટુંબનું ગામ.”

“કોનું ?”

“મહારાજ વજેસંગની દીકરીનું. આંહીંના ગઢમાં કાંઈ ભાવનગરના સોનારૂપાનો પાર નહિ હોય. મહારાજ પણ જાણશે કે દાયજો ભલો દીધો’તો!”

“બોલો મા, આપા ! ઈ વાત ન બને !” બહારવટિયાએ ગામ અને સીમ ઉપરથી પોતાની નજર સંકેલીને બરછી પાછી પગ ઉપર ઠેરવી લીધી. મોંમાંથી ‘રામ’ શબ્દ પડતો સંભળાયો.

“કાં, આપા ! ઘડીકમાં વળી શું સાંભળ્યું ? આમાં ક્યું નીમ આડે આવ્યું ?”

“કાંઈ નહિ; વજેસંગની કુંવરીનાં પોટલાં આપણથી કેમ ચૂંથી શકાય? આપણે વેર તો છે વજેસંગજીની સાથે, દીકરી સાથે નહિ. ઈ તો આપણીયે દીકરી કહેવાય.”

“અરે જોગીદાસ, પણ પૂરી વાત તો સાંભળો !”

“શું છે ?”

“આ વજેસંગની રાણીનાં કુંવરી નથી, પણ આ તો એની એક રખાતની દીકરી : કોઈ રાખતું નહોતું, તે મહારાજે ધ્રાંગધ્રાના એક ભૂખલ્યા ભાયાતને આંહીં તેડાવી, પરણાવી, આ ગામ દઈને આંહીં જ રાખેલ છે.”

“તોય ઈ તો મહારાજની દીકરી ઠરી, પેટ ભલે રખાતનું રહ્યું, પણ લોહી મહારાજનું. હવે મને વધુ લોભમાં નાખો મા, ભાઈ ! અને બોડકીને ભાંગવાની વાત મેલી દ્યો.”

એટલું બોલીને એ લોભામણા રૂપાળા ગામની સીમને જલદી વટાવી જવા માટે જોગીદાસે ઘોડીનો વેગ વધાર્યો. પણ ઓચિંતું જાણે કાંઈક યાદ આવ્યું હોય તેમ એણે પોતાની બંકી ગરદન ફેરવી, પાછળના અસવારને પ્રશ્ન કર્યો, “ભા ઈ! કોઈના ખડિયામાં કાંઈ સોનું-રૂપું થોડુંઘણુંયે નીકળે એમ છે ?”

“કેમ, આપા ! અંતરિયાળ કેમ જરૂર પડી ?”

“મહારાજનાં કુંવરીને કાંઈક કાપડું દઈ મેલીએં. દીકરી જો જાણશે કે જોગીદાસકાકો પાદર થઈને પરબારા ગયા તો બહુ ધોખો કરશે !”

લોકવાયકા બોલે છે કે બહારવટિયાએ સીમના કોઈ ખેડૂતની સાથે મહારાજ વજેસંગની રખાતની પુત્રી માટે પહેરામણીનું થોડું સોનું મોકલ્યું હતું.

૧૪. ગરીબી

સંધ્યાની રૂંઝ્‌યો રહડી ગઈ છે. માણસ હાથતાળી દઈને જાય એવી ઘટાટોપ ઝાડી વચ્ચે ગીરની રાવલ નામની ઊંડી નદીનાં આછાં છીછરાં પાણી ચૂપચાપ ચાલ્યાં જાય છે. નદીની બન્ને બાજુ ઝાડીની ઉપર આભે ટેકો દેતી હોય તેવી ઊંચી ભેખડો; એ ભેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઊભા થયેલા : નદીના વેકરામાં સાવજ-દીપડાનાં પગલાં પડેલાં : બેય બાજુની બોડ્યોમાંથી નીકળીને જનાવર (સિંહ) જાણે હમણાં જ તાજાં પાણી પીને ચારો કરવા ચાલી નીકળ્યાં હોવાં જોઈએ, એવું દેખાતું હતું.

રાવલ નદીને એવે ભયંકર સ્થાને, રોળ્યકોળ્ય દિવસ રહ્યાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડેસવારો સાથે તુલસીશ્યામ જાતાં જાતાં રસ્તે બે ઘડી વિસામો લેવા ઊતરેલ છે. ચાલીસેય ઘોડીઓ રાવલ નદીનાં લીલાં મીઠાં ઘાસ મોકળી ઊભીને ચરે છે, અસવારોમાંથી કોઈ ચકમક જગવી ચલમો પીએ છે ને કોઈ વળી કરગઠિયાં વીણીને હોકો ભરવા માટે દેવતા પાડે છે. જોગીદાસ પોતે તો પોતાની ભુજા ઉપર ચડાવેલો બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે. સૂરજનાં અજવાળાં સંકેલાય છે, તેમ આંહીં બહારવટિયાની આંખો પણ ઈશ્વરભક્તિમાં બિડાય છે.

“જોગીદાસ ખુમાણ ! એક ચણોઠી ભાર અફીણ હશે તમારા ખડિયામાં?” એક કાઠીએ પ્રશ્ન કર્યો.

“ના, બાપ ! મારા ખડિયામાં તો તલ જેટુંયે નથી.”

“કાંઈ ડાબલીમાં વળગ્યું હશે ?”

“હજી કાલ્ય જ ડાબલી લૂઈ લીધી’તી ને ! કાં ? એવડી બધી શી જરૂર પડી છે ?”

“ભાઈ ભાણ ખુમાણની આંખ્યું ઊઠી છે. માંહીથી ડોળા જાણે નીકળી પડે છે. તે પોપચાં માથે ચોપડવું’તું. અફીણ ચોપડત તો આંખનું લોહી તોડી નાખત, ને વ્યાધિ કંઈક ઓછી થાત.”

“બીજા કોઈની પાસે નથી ?”

“બાપ ! તારા ખડિયામાં ન હોય તો પછી બીજાના ખડિયામાં તે ક્યાંથી હોય ?”

“આંખે ચોપડવા જેટલુંયે નહિ ?”

“ક્યાંથી હોય ! એક કોરી પણ કોઈની પાસે ન મળે. શેનું લેવું ?”

“ઠીક, જીતવા ! જેવી સૂરજની મરજી !”

ચાલીસ ખડિયામાંથી - ચોરાસી પાદરના માલિકોના ચાલીસ ખડિયામાંથી -દુખતી આંખ ઉપર ચોપડવા જેટલુંય અફીણ ન નીકળ્યું, એવી તાણ્યનું ટાણું ભાળીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો. પણ તરત એને અંતરમાં ભોંઠામણ ઊપડ્યું. જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખોંખારો ખાધો. ફરી વાર બધું વીસરી જઈ આથમતા સૂરજ સામે બેરખાના પોરા ફેરવવા લાગ્યો.

માળા પૂરી થઈ એ વખતે એક કાઠી ખોઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો. મૂઠી ભરીને એણે કહ્યું, “આ લ્યો, આપા !”

“શું છે, ભાઈ !”

“આ બે મૂઠી ટેઠવા ખાવ : એટલે કોઠામાં બે-ચાર ખોબા પાણીનો સમાવો થાય.”

“ટેઠવા વળી શેના બાફ્યા ?”

“બાજરાના.”

“બાજરાના ! બાજરો ક્યાંથી ?”

“ઈ યે વળી સાંભળવું છે, આપા ! સુગાશો નહિ ને ?”

“ના રે, ભાઈ ! સુગાવા જેવી શાહુકારી બા’રવટિયાને વળી કેવી! કહો જોઈએ !”

“આપા ! આ ચાલીસેય ઘોડીને કોક દી જોગાણ ચડાવ્યું હશે તેનો

ચાટેલો બાજરો ચપટી ચપટી ચાળીસેય પાવરામાં ચોંટી રહ્યો હશે એમ ઓસાણ આવ્યાથી ચાલીસેય પાવરા ખંખેરીને ઈ બાજરીની ઘૂઘરી બાફી નાખી છે !”

“અરરર ! ઘોડિયુંનો એઠો બાજરો ?”

“એમાં શું, આપા ! પાણીમાં ધોઈને ઓર્યો’તો. બાકી તો શું થાય? આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે અને સૌને ચપટી ચપટી ખાધ્યે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તુલસીશ્યામ ભેળા થઈ જાશું. આપા, ખાઈ લ્યો. કાંઈ ફકર નહિ.”

“સૌને વેં’ચ્યો કે ?”

“હાં, સૌને. તમ તમારે ખાઓ.”

ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ એ બાજરાની મૂઠી મૂઠી ઘૂઘરી ખાઈ, બાકીનો ખાડો રાવલનાં પાણીથી પૂર્યો. અને અંધારું થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલસીશ્યામને માર્ગે પડી.

૧પ. તુલસીશ્યામમાં

“ઉઘાડો !”

બરાબર મધરાતે, ઊંચા ઊંચા ડુંગરાની ચોપાટ વચ્ચે ઊભેલા એ ઘોર વનરાઈવીંટ્યા તુલસીશ્યામ નામના જાત્રાધામના તોતિંગ કમાડ પર ભાલાંની બૂડી ભટકાવીને બહારવટિયાઓએ સાદ ર્યો કે “ઉઘાડો !”

“કોણ છે અટાણે !”

“મે’માન છીએ, મે’માન ! ઉઘાડ ઝટ ! વધુ વાત સવારે પૂછજે.”

તોછડો જવાબ મળવાથી દરવાન વહેમાયો. કમાડની તરાડ પર કાન માંડ્યા. તો ચાલીસ ઘોડાંઓની ધકમક સાંભળી દરવાન થરથર્યો.

“ઉઘાડ ઝટ ! ઉઘાડ, ભાઈ ! બરછી જેવી ટાઢ અમારાં કાળજાં વીંધી રહી છે ! ઉઘાડ !”

“અટાણે કમાડ નહિ ઊઘડે.”

“કાં ? શું છે તે નહિ ઊઘડે ?”

“નહિ ઊઘડે. તમે બા’રવટિયા લાગો છો.”

“અરે બાપ ! બા’રવટિયા તો ખરા, પણ કાંઈ શામજી મહારાજના બા’રવટિયા નથી. એનાં તો છોરુંડાં છીએ. ઉઘાડ ઝટ.”

“નહિ ઊઘડે. બહાર સૂઈ રો’.”

“એમ ?” જોગીદાસે મોખરે આવીને ત્રાડ દીધી. “નથી ઉઘાડતો? કહીએ છીએ કે અમે શામજીના બા’રવટિયા નથી. પણ જો હવે નહિ ઉઘાડને, તો હમણાં કમાડ ખેડવીને માલીપા આવશું, અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળીયે નહિ રે’વા દઈએ. અબઘડી લૂંટીને હાલી નીકળશું તો તારું મોઢું ખાઈ જેવું થઈ રહેશે. ઉઘાડ, ગોલા ! શામજીના આશરા તો ચોરશાહુકાર સહુને માટે સરખા કે’વાય.”

એ ન ભુલાય તેવો નાદ સાંભળતાં જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો. અને ‘કિ...ચૂ...ડ’ અવાજે બેય કમાડ ઉઘાડાં ફટાક મેલાયાં. ચાલીસેય ઘોડીઓ અંદર દાખલ થઈ.

“શામજી દાદા !”

પ્રભાતે જોગીદાસ પાઘડી ઉતારી ઉતારીને ઝૂલતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકો સંભળાવી રહ્યો છેઃ “શામજી દાદા ! મારો ગરાસ લૂંટાય ને મારાં બાયડી-છોકરાં શત્રુને ઉંબરે બેસીને બટકું રોટલો ખાય ઈ તો ઠીક; ભુજામાં બળ હશે તો મારીઝૂડીને ગરાસ પાછો મેળવશું, પણ દાદા ! તારા કોઠારમાંયે શું કણ કણ ખૂટી ગયું કે મારા ચાળીસ અસવારોને આઠ દીની લાંઘણોનું પારણું ઘોડીયુંના એઠા બાજરીના ટેઠવા ખાઈને કરવું પડે ! આવડો બધો અન્નનો દુકાળ તારા દેશમાં ! એવો મારો શો અપરાધ થઈ ગયો, દાદા! હું શું પાણી માયલોયે પાપિયો લેખાણો ?”

જોરાવર છાતીના બહારવટિયાને પણ તે વખતે નેત્રમાં ઝળઝળિયાં આવી ગયાં, પણ એક જ ઘડીમાં એ ચમકી ઊઠ્યો. એના કાનમાં જાણે કોઈ પડઘા બોલ્યા કે ‘ધડૂસ ! ધડૂસ ! ધડૂસ !’

“સાચું ! સાચું ! દાદા ! સાચું ! મારું પાપ મને સાંભરી ગયું, હવે તારો વાંક નહિ કાઢું.”

તાતા પાણીના દેવતાઈ કુંડમાં જઈ જોગીદાસે સ્નાન કર્યું. માથાનો લાંબો ચોટલો કોઈની નજરે ન પડી જાય તે માટે અંધારામાં સહુથી પહેલાં પોતે નહી આવ્યો, અને ડુંગરાના હૈયામાં ‘જય શ્યામ ! જય શ્યામ ! જય શ્યામ!’ એવી ધૂનના પડછંદા ગુંજવા લાગ્યા.

જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી. પણ ચાલીસેય કાઠીઓ ભૂખ્યા ડાંસ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા. પેટમાં આગ થઈ હતી. રોટલા થાય છે ત્યાં તો વારે વારે દોડી દોડી ‘ભણેં આપા! ઝટ હાલો ! ઝટ હાલો !’ એવી ઉતાવળ કરાવતા હતા. ઉપવાસી જોગીદાસ પણ કાંઈ જેવો તેવો ભૂખ્યો નહોતો. પરંતુ અન્નમાં ચિત્ત ન જાય અને કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવવા બેસી ગયો. કાઠીઓ બોલાવવા આવે તો શાંતિથી એમ જ જવાબ આપતો ગયો કે “હજી બે માળા બાકી છે, ભા ! હજી એક જાપ અધૂરો છે ! હમણે પૂરો કરી લઉં છું !”

૧૬. ગાંગો બારોટ

ભાવેણાનો નાથ કાયર થઈ ગયા છે. વજેસંગનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે.

“કોઈ જો જોગીદાસને પકડી સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસીનું મોં-માગયું ચોસલ્યું કાઢી આપું.”

“છે કોઈ મરદ મુછાળો !” એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા મંડ્યો.

જસદણ દરબાર જેલા ખાચર ભાવનગરને ઘેર પરોણો છે. એનો હાથ મૂછોના કાતરા પર ગયો. ચોવીસીનું ચોસલ્યું આપવાની વાત સાંભળીને એની દાઢ ડળકી. થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું.

“તમે પોતે જ, આપા શેલા ?” વજેસંગજીએ પૂછ્યું.

“હા ઠાકોર ! છ મહિને ગળામાં ગાળિયો નાખીને બહારવટિયો હાજર કરું.”

“અરે રંગ શેલા ખાચર !” એવો રંગ લઈને શેલો ખાચર જસદણ સિધાવ્યા. થોડા દિવસ થયા તો એના કાઠીઓ અધીરા થઈ ગયા, ચોવીસીના ચોસલ્યામાંથી પોતપોતાને બટકું બટકું મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા : “ભણેં આપા શેલા ! હવે તો બાંધી બાંધી ઘોડીયું પાછલા પગની પાટું મારીને ઘોડાહારનાં પાછલાં પડાળ તોડી નાખે છે. માટે હવે ઝટ કરો !”

“હા, બા, હવે ચડીએં.”

એ અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો. આવીને કહ્યું કે “દરબાર, તમારો ચોર દેખાડું.”

“તું કોણ છો ?”

“હું જોગીદાસનો જોશ જોવાવાળો.”

“આંહીં ક્યાંથી ?”

“તકરાર થઈ. મને કાઢી મેલ્યો. હાલો દેખાડું.”

“ક્યાં પડ્યા છે ?”

“નાંદીવેલે : ભાણગાળામાં.”

“કેટલા જણ છે ?”

“દસ જ જણા.”

“વાહ વા ! કાઠીયું ! ઝટ ઘોડાં પલાણો. અને ગાંગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે.”

“બાપુ ! મને તેડી જવો રહેવા દ્યો,” ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો.

“ના, તમારે તો આવવું જ પડશે. અને જેવું જુઓ એવું અમારું પરાક્રમ ગાવું પડશે.”

એકસો ને વીસ અસવારે શેલો ખાચર ચડ્યા. લીલા પીળા નેજા ફરકતા આવે છે. આભ ધૂંધળો થાય છે. જોગીદાસને દસ માણસે ઝાલી લેવો એ આપા શેલાને મન આજ રમત વાત છે. સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે. પોતાના જશ ગરરાવવાના એને કોડ છે.

ભાણગાળાની ભેખડો ઉપર એકસો વીસ માણસોની ધકમક ભાળતાં જ જોગીદાસ ઘોડો પલાણી દસેય માણસો સાથે ચડી નીકળ્યો. નાનેરા ભાઈ ભાણે હાક કરી : “આપા ! આમ ભુંડાઈએ ભાગશું ? મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે ?”

“બાપ ભાણ ! બા’રવટિયા તો બચાય ત્યાં સુધી બચે. બા’રવટામાં ભાગ્યાની ખોટ્ય નહિ.”

“પણ આપા ! આમ તો જુઓ આ શેલો : કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે. અને એના મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે ? એથી તો કટકા થઈ જવું ભલું, આપા ! દેવળવાળાનું દેવસું ! પાછા ફરો.”

દસ અસવારે જોગીદાસ પાછો ફર્યો. ક્યારે ફર્યો એ ખબર ન પડી. ઓચિંતો પવન જેમ દિશા પલટાવે એમ બહારવટિયે વાટ પલટાવી. સુસવાટા મારતો જાણે વંટોળ આવ્યો. એને આવતો ભાળતાં જ શેલાના કટકમાંથી રામ ગયા. કટક ભાગ્યું.

શેલાએ સાદ દીધો : “અરે ભણેં કાઠીઓ ! ભાગો મા ! ભાગો મા!”

ભાગતા કાઠીએ જવાબ દીધો, “ભણેં આપા શેલા ! કાઠીનો દીકરો એમ સાંકડ્યમાં આવુંને નૈ મરે. દશમનને પડ તો દીમો જોસે, બા !” (દુશ્મનને મેદાન તો દેવું જોઈએ.)

જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ! ત્યાં તો “માટી થાજો, જસદણિયાવ !” એવી રણહાક કરતા ભાણ જોગીદાસે દસેય ઘોડાં ભેળાં કર્યાં.

“ભાગો ! ભણેં ભાગો ! પડ દ્યો ! ભણેં પડ દ્યો !” એવી કિકિયારી કરતા એકસો વીસ કાઠીઓ ઊપડ્યા.

શેલો સાદ કરે છે, “એલા કાઠીઓ ! આ તો કાંકરા કરાવ્યા !”

ભાગતા કાઠીઓ કહે છે, “આપા શેલા ! કાંકરા ભલા ! બાકી આંહીં ગરમાં જો પાળિયા થાશે ને, તો કોઈ સિંદોર ચડાવવાય નહિ આવે !”

“સાચું ભણ્યું, બા !” કહીને શેલો પણ ભાગ્યો.

ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે “એ આપા શેલા ! ગજબ થાય છે. ભાગ્ય મા, ભાગ્ય મા !”

“ગાંગા ! હું હવે હળવો હળવો આવી પોગજે !”

એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો. અને આંહીં જોગીદાસને જોતાં જ ગાંગાની છાતી ફાટવા લાગી.

“વઘન્યાં ! મારા વિસામાનાં વઘન્યાં, બાપ !”

એમ બબ્બે હાથે વારણાં લઈને ગાંગાએ બહારવટિયાને બુલંદ અવાજે બિરદાવ્યા.

શરમિંદો બનીને બહારવટિયો બોલ્યો કે “ગાંગા બારોટ ! આ બિરદાવળીનાં મૂલ મૂલવવાની વેળા આજ મારે નથી રહી, શું કરું ?”

“બાપ જોગીદાસ ! હું આજ મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું. તું તો અમારું તીરથ ઠર્યો.”

બહારવટિયાએ ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કર્યો.

આંહીં શેલા ખાચરે થોડાંક હથિયાર-પડિયાર અને થોડાંક ઘોડાં ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેવરાવ્યુંઃ “બહારવટિયા તો વાંદર્યાં જીમાં! દી-રાત ગરમી ઝાડીયુંમાં રે’વાવાળા ! સરસામાન મેલું, ઝાડવાંના વેલા પકડું પકડું ને ઝાડવાં માથે ચડું ગા. ચડુને ડુંગરામાં તડહકાવું ગા ! અને યાનો આ અસબાબ આંચકી લીધો ને દઉ મેલીએ છીએ.”

ઠાકોર સમજી ગયા. આ ટારડાં ઘોડાં ને આ સરસામાન જોગીદાસનાં ન હોય ! ખાચર છોકરાં ફોસલાવે છે !

ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે. શેલા ખાચરનો દાયરો ભરાયો છે. એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યો, “ગાંગા બારોટ ! ભણેં હવે બાપુનો ગીત તો ભણ્ય ! ભાણગાણ્તા ધીંગાણાંમાં બાપુ શેલો ખાચર કેવા રૂડા દેખાણા, ઈ વાતનો ગીત ભણ્ય !”

ગાંગા રાવળે મોં મલકાવ્યું. “ગીત તે કેમ કરીને ભણું, બા ! ત્યાં તો તમને વાંસામાં બા’રવટિયાનાં ભાલાં વાગતાં’તાં !”

“પણ તાળી જીભે કાંઈ ભાલાં વાગતાં સૅ ? ગીત ભણવામાં તારા બાપનો કાણું જાતો સે ? ચાર વીઘા પળત ખાછ, હોળી દિવાળીએ દાત્ય લેછ, બાપુની મોજું લેછ, ઈ કાંઈ મફતિયો માલ છે ?”

“એટલે ! ખોટેખોટાં વખાણ ગાવા સાટુ મને બાપુ પળત ખવરાવે છે ?”

“હા ! હા ! વખાણ તો કરવાં જોશે. કવિ કે’વાનો થિયો છે ?”

“ઠીક ત્યારે, સાંભળી લ્યો. પણ એક કરાર : શીંગાથી પીંછા સુધી એક વાર સાંભળી લેવું : વચ્ચે મને રોકવો કે ટોકવો નહિ. આ ગીતમાં તો વડછડ છે; એટલે ઘડીક આપણું સારું આવશે, ઘડીક ભાણ જોગીદાસનું સારું આવશે. અને છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજના સમ !”

“ભલે !”

ગાંગાએ ગીચ રચી રાખેલું તે ઉપાડ્યું :

(ગીત સાવજડું)

બળ કરી અતગ હાલિયો બોંશે,

લાવું પવંગ જાણે, ખુમાણુંનાં લોંચે,

ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે,

ભોંયરા લગ આવિયો ભુંશે.

(અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યોઃ મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝૂંટવી લાવીએ, ત્યાં તો ઊલટાં, પોતાનાં ઘોડાનાં તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.)

જેસી તે હૈયે નો જાણ્યો,

અંગ એંકાર અધિકો આણ્યો,

આગળ ખુમા તણો હતો અલેણો,

(ત્યાં) માથે આવિયો દૂસરો મેણો.

(હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આવ્યો.

અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મહેણું માથા પર આવ્યું.)

ખાચર ખોટ દૂસરી ખાયો,

ઝાળે ખુમો ભાણ જગાયો,

કૂડું શેલા કામ કમાયો,

ગરમાં જઈને લાજ ગમાયો.

(હે શેલા ખાચર ! તેં બીજી વાર ખોટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યા. તેં બહુ બૂરું કામ કર્યું. ગીરમાં જઈને તેં લાજ ગુમાવી.)

ધરપત થિયે સબે ધુડધાણી,

રાખી મેલ્યા ડોડ રામાણી,

માર્યા ફરતા ડોડ મોકાણી

ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી.

(હે ધરપતિ ! તારું સર્વસ્વ ધૂળધાણી થઈ ગયું. તારા રામાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટિયાઓએ બહુ માર્યા.)

આલણહારો કહું અલબેલો,

ખેલ જઈને બીજે ખેલો,

ઝાટકિયો દસ ઘોડે ઝીલો,

છો વીસુંથી ભાગ્યો શેલો !

(આખા ખુમાણનો પૌત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે. માટે હે ખાચરો ! તમે બીજે ક્યાંય જઈને રમત રમો ! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો ત્યાં તો છ વીસું (એકસો વીસ) ઘોડાં સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.)

“લ્યો બાપ ! આ ગીત !”

ગીત પૂરું થયું. શેલા ખાચરે આંખો લાલ કરી. ગાંગાને કહ્યું, “બારોટ! હવે જસદણમાં રે’ તો ગા’ ખા !”

“થૂ તારા જસદણમાં !” કહીને ગાંગો ચાલી નીકળ્યો.

૧૭. બાનને માર્યો

તરવારનો ફટકો બોલ્યો, કે તુરત જોગીદાસે ઘોડી થંભાવી. પાછળ જોયું, પૂછ્યું : “શું થયું ? ફટકો શેનો સંભળાણો ?”

માણસોનાં મોઢાં ઝાંખા ઝબ પડી ગયાં હતાં, કોઈએ જવાબ ન દીધો.

“નક્કી કાંઈક કાળો કામો કર્યા લાગે છે.”

જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું. એક કણબીને તરવારને ઝાટકે મારતો, તરફડતો દીઠો.

“આ કોણ, ભાઈ ?”

“આપા ! આ મૂળા પટેલનો દીકરો : જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી’તી. અરે, જેના ચાળીસ ઢાંઢા ઈ તોપખાનું તાણતાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું ઈ કમતિયાનો છોકરો.”

“બાન પકડ્યો’તો ને ?”

“હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી : આખે માર્ગે ગાળ્યું કાઢી, આપા ! એની જીભમાંથી લુવારની કોડ્યનાં ફૂલ ઝરતાં’તાં ઈ ખમી ન શકાણાં તે માર્યો.”

“બાનને માર્યો ! બૂરું કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રિયા. બાનને માર્યો ! શું કહેવું, ભાઈ ! આ પાપનો તો સાત જન્મેય આરોવારો નહિ આવે. ઠાકર ક્યાંય નહિ સંઘરે.”

ડુંગરાના ગાળામાં મુકામ થયો. ત્યાં ભીમ પટેલના નરસી અને નાથો નામના બે દીકરાને બાન પકડીને સાથે આણ્યા છે. બહારવટિયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે તેટલા માટે તેના પગને તળિયે અંગારા ચાંપી દેવા. તે સિવાય તો બાનને સારામાં સારું ખાવાપીવાનું ને સૂવા-બેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા.

અંગારા તૈયાર થયા, લાલચોળ ધગધગતા અંગારા દેખીને કણબીના બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો. એને રોતો દેખીને નાનો નરસી બોલ્યો, “હેઠ્ય કાયર ! રોવા બેઠો છો ! આપણે તો ખુમાણ ખોરડું ! સાવરિયાઓને ખોટ્ય બેસે. બચાડા બા’રવટિયા વળી અંગારા શું ચાંપશે ? આમ જો - આમ આપણી જાતે ચાંપી લેવાય !”

એટલું કહેતો નરસી ઊભો થયો, ઝગમગતા અંગારા ઉપર સબ ! સબ ! સબ ! પગ માંડીને ચાલ્યો ગયો, પગતળિયાનાં ખોભળાં ફાટી ગયાં અને અંગારા ઓલવાઈ ગયા.

બહારવટિયો જોગીદાસ મીટ માંડીને આ કણબીની હિંમત સામે જોઈ રહ્યો, એની આંખો ફાટી રહી. પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે “એણે પોતાને ‘ખુમાણ ખોરડું’ કેમ કહ્યો ?”

“આપા ! એનો કાકો ધરમશી પટેલ પાંચસે ઘોડે આપણી વાંસે ભમે છે એટલે ઈ અરધા ખુમાણ જ કહેવાય ને ? કુંડલા પંથકના કણબી તો કરાત છે, આપા !”

૧૮. કાઠિયાણીનો સંદેશો

માવતર મદઈપણું કરે, જાય બા’રવટે જે,

એના છોરુને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળ દે !

(હે વજેસંગ ઠાકોર ! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્યા છે, તેનાં જ નાનાં બચ્ચાંને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે.)

જોગીદાસનાં રાણી, બે દીકરા ને એક દીકરી, એમ ચારેય જણાંને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધાં હતાં. રાજરખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યાં હતાં. દરબારગઢની અંદર જ એ કુટુંબના આવાસ હતા. આજે બહારવટિયાનો આદમી ત્યાં છૂપી રીતે ‘આઈ’ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે :

“બાળબચ્ચાંના કાંઈ સમાચાર લાવ્યો છે, ભાઈ ?”

“આપા ! આજ તો આઈએ મોટે ટીપે આંસુડાં પાડતાં પાડતાં સમાચાર કહેવરાવ્યા છે.”

“આંસુડાં પાડ્યાં ? કેમ ? થાકી ગઈ કાઠિયાણી ? ભાવનગરના રાજદરબારમાં કાંઈ રખાવટ મોળી પડી ? ઠાકોરે કાંઈ કહ્યું ?”

“આપા ! કોઈએ કાંઈ કહ્યું નથી કે કરાવ્યું નથી. આઈ થાક્યાંયે નથી. પણ આ આંસુડાં તો ઘણમૂલાં કે’વાય.”

“શું કે’વરાવ્યું છે ?”

“કે’વરાવ્યું છે કે કાઠી ! હવે બા’રવટું કોના સામું કરો છો ? મહારાજ તો દેવનો અવતાર છે. મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેર પરણાવી. એને એક લાખનો દાયજો દીધો. દુશ્મન ઊઠીને બાપ થયો !”

“હા ! ઈ વાત હું જાણું છું. મહારાજ આપણાં ગામ ખાય છે તે દાયજો ન કરે ! બીજું કાંઈ ?”

“બીજું તો કાઠીને કે’જો કે થોડા દી પહેલાં આપણા લાખો ને હરસૂર બેય જણા કુંવર નારુભા ને અખુભાની સાથે રમતા’તા, એમાં લાખે કુંવર નારુભાને લપાટ મારી. કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા. જઈહ્યું કે ‘મને લાખે ખુમાણે માર્યું.’ તે ટાણે મહારાજના મોંમાંથી શબ્દ નીકળ્યા, કાઠી ! મહારાજે કહ્યું કે ‘બેટા ! એનો વાંધો નહિ. એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ શી ? અમેય વાંસો ચંચવાળી રહીએ છીએ !’

“કાઠી ! આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાત કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડખડ હસી પડ્યા. પછી પોતે નારુભાને હેતભર્યે હૈયે કહ્યું કે ‘ભાઈ ! ઈ કેમ ન મારે ? એને શું ખીજ ન આવે ? એનો બાપા આજ પંદર વરસથી ગામગરાસ ખોઈને ડુંગરામાં ભાટકે છે. પા’ણાનાં ઓશીકાં કરે છે. ઈ દાઝનો માર્યો દીકરો આપણને ઠોંઠઠપલી કરે તો ખમી ખાઈએ, ભાઈ! એને માથે દુઃખનાં ઝાડ ઊગ્યાં છે.”

“કાઠી ! આખો દાયરો થંભી ગયો; અને મહારાજે લાખાને ખોળામાં બેસાડીને ઊલટું એના હાથની હથેળી પંપાળી એને પૂછ્યું કે ‘બાપ, તુંને વાગ્યું તો નથી ને ?’”

“કાઠી ! આવી રખાવટ રાખનારની સાથે હવે ક્યાં સુધી જુધ કરવાં છે ? આવાં દેવશત્રુને ખોળે તરવાર મેલી દેતાં ન લાજીએ. અને હવે હાલ્યા આવો, મહારાજના ભેરુ બનો.”

સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટિયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખૂણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારેય કોર અંધારાં છવાઈ ગયાં.

૧૯. ગાયોના નિસાપા

“આમાં વંશ ક્યાંથી રે’?”

બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો-ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટિયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. ત્યાં ગાયોને ચરતી મેલીને ભાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું. ભાગતાં ભાગતાં ગીર વીંધીને બહાર નીકળ્યા. બીજા મુલકમાં ઊતરી ગયા. નાંદીવેલામાં ગાયો ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન રહ્યું.

એક વરસ વીત્યે બહારવટિયા પાછા ભાણગાળે આવ્યા. જોગીદાસને ત્રણસો ધેનુઓ સાંભરી આવી. ઠાંસામાં આવીને જુએ ત્યાં ત્રણસો ગાયોનાં ખોખાં (હાડપિંજર) પડેલાં. ઠાંસેલી ગાયો ખડ પાણી વિના રિબાઈને મરી ગઈ હતી.

“બાપ ભાણ !”

“હાં, આપા !”

“અકેકાર થયો.”

“હોય, આપા ! બા’રવટાં છે.”

“બહુ દી બા’રવટાં ખેડ્યાં. બાપ ભાઈ બહુ મરાવ્યા. કણબીઓનાં ઘીંસરાં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અઢાર સો હત્યાયું લીધી. અને આ ગાય માતાજીયુંને તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો. વાછરુંને માતાઉંથી વછોડાવીને અનોધા નિસાપા લીધા. આમાં વંશ ક્યાંથી રે’શે ?”

“આપા, ઈ બધું સંભારો છો શીદ ?”

“સમસમ્યું રે’તું નથી એટલે સંભારું છું. ઠીક સંભારું છું. આટલાં પાપનો પોટલો બાંધવા છતાંય ખુમાણોમાંથી કોઈ પડખામાં ન આવ્યો. સાવરિયા ગરાસ માંડી માંડીને ભાડાની ગાડીયું હાંકવા લાગ્યા. કાકાઓને પોતપોતાનાં છ-છ ગામનું ગળપણ વા’લું થયું. હવે આપણે ક્યાં સુધી રઝળશું ? શો ફાયદો કાઢશું ? ઝલાશું તો કૂતરાને મોતે મરશું.”

“તયીં, આપા ! કેમ કરશું ? તરવાર છોડશું ?”

“હા.”

“તો હાલો, ભાવનગર.”

“ના, હેમાળે.”

“કાં ?”

“જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે. કૈલાસના ધણીને પગે છૂટશે.”

“હેમાળો ગાળવું ઠર્યું ?”

“હા. તે વગર આ પાપનો પાર નહિ આવે.”

ભાણ - વજ્ર છાતીવાળો ભાઈ - રોઈ પડ્યો. “આપા ! આપા !”

કહી ખોળે ઢળી પડ્યો.

“રો મા, બાપ ! મને રોક્ય મા. તું છોકરાંને ઓથ દેજે. ને હું મારા એકલાના નહિ, પણ આપણા સહુના મેલ ધોવા જાઉં છું. અને, ભાણ ! જોજે હો, જેબલિયાણી માની ને ભાઈ હીપા-જસાની સાર-સંભાળમાં મોળું કે’વરાવતો નહિ હોં ! બાપુનું ગામતરું છે.”

જોગીદાસ હિમાલયે ગળવા ચાલ્યા : જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો.

જોગીદાસ હેમાળે ગળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ. મહારાજની સન્મુખ જ બહારવટિયાના દીકરા રમે છે. રાણીવાસમાં બહારવટિયાની રાણી બેઠી છે કે જેણે પંદર-પંદર વરસો થયાં, ધણીનું મોં જોયું

નથી. અને જોગીદાસ હેમાળામાં ગળ્યે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર નહિ રહે !

મહારાજે બહારવટિયાને પાછો વાળવા માટે માણસો દોડાવ્યાં. ખુમાણ દાયરાને સંદેશો કહેવરાવ્યો કે “ઝટ આડા ફરીને આપાને પાછા વાળો, એને બોલે બહારવટું પાર પાડું.”

ખુમાણોને સાન આવી. આપાની પાછળ ઘોડાં દોટાવી મૂક્યાં. ગુજરાતની પેલી બાજુના સીમાડા પરથી આપાને પાછા વાળ્યા. જોગીદાસ બોલ્યા : “ભાઈયું ! હવે મડાને શા સારુ ઘરમાં લઈ જાવ છો ?”

માર્ગે જસદણમાં મુકામ કરેલ છે. ખુમાણ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે તે વખતે અંદરથી કહેણ આવ્યું કે “ગઢમાંથી આઈ સહુ ખુમાણભાઈઓનાં દુખણાં લેવા આવે છે.”

“ભલે, પધારો ! ખુમાણોનાં મોટાં ભાગ્ય !”

ધરતી ન દુભાય તેવાં ધીરાં ડગલાં દેતં વૃદ્ધ કાઠિયાણી ચોપાટમાં આવ્યાં. મોઢે એંશી-નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છેઃ અંગ પર કાળું ઓઢણું છેઃ જોતાં જ જોગમાયા લાગે છેઃ મોંમાંથી ફૂલડાં ઝરે છે.

એક પછી એક સહુની ઓળખાણ ચાલી. આઈ પૂછતાં જાય કે “આ કોણ ?”

‘આ ફલાણા ! ફલાણા !’ એમ જવાબ મળે છે અને આઈ દુખણાં લ્યે છે. એમ કરતાં કરતં આઈ બીજે છેડે પહોંચ્યાં, આઘેથી પૂછ્યું, “આ કોણ?”

‘ઈ જોગીદાસ ખુમાણ ?’

“આ પંડ્યે જ જોગીદાસ ખુમાણ !”

આઈ એકીટશે જોઈ રહ્યાં. ઉગમણી દિશાએ બેસીને બહારવટિયો બેરખો ફેરવે છે. માથું નીચું ઢળ્યું છે. અંતરના ઊંડાણમાંથી ‘સૂરજ ! સૂરજ!’

એવા ધ્વનિ ઊઠે છે, ધ્વનિ સંભળાતા નથી, માત્ર હોઠ જ જરી જરી ફફડે છે. કાઠિયાણીએ જાણે કે આબુથી ઊતરી આવેલા કોઈ જોગંદરને જોયો.

“આપા !” દાયરામાંથી કોઈ બોલ્યું, “આપા ! આઈ તમારાં દુખણાં લેવા આવ્યાં છે.”

“ના, બાપ !” આઈ બોલી ઊઠ્યાં, “એનાં દુખણાં ન હોય, એ માનવી નથી, દેવ છે. લખમણજતિનો અવતાર છે. એને માથે હું હાથ ન અડાડું. એને તો પગે જ લાગીશ.”

છેટે બેસીને ત્રણ વાર આઈએ બહારવટિયાની સામે પોતાના મલીરનો પાલવ ઢાળી માથું નમાવ્યું.

જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મોં આડે ફળિયું નાખ્યું હતું. પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણ વાર નમતો દેખાયો. અને ત્રણેય વાર જોગીદાસે સામું શિર નમાવ્યું.

છાતી પિગાળી નાખે એવો આ દેખાવ હતો. દાયરો આખો મૂંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો. સહુને જાણે સમાધિ ચડી હતી.

એમાં આઈએ ચૂપકીદી તોડી. આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ. સહુનાં મોં નીરખી નીરખીને એણે વેણ કાઢ્યાંઃ “ખુમાણ ખોરડાના ભાઈયું ! હું શું બોલું ? તમે ખોરડું સળગાવી દીધું. તમે કટંબ-કુવાડા થયા, તમે જૂથ બાંધીને આ જતિપુરુષને પડખે ઝૂઝી ન શક્યા, માડી ! તમને ઘરનો છાંયો વા’લો થઈ પડ્યો ! ચીભડાંની ગાંસડી છૂટી પડે તેમ આખુંય આલાનું પેટ નોખું નોખું થઈ ગયું ! અરે, તમે પોતપોતાની પાંચ-પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા ? આ દેવ-અવતારીને એકલો બહારવટે રઝળવા દીધો? તમે કાંડે ઝાલીને જોગીદાસને શત્રુને હાથે દોરી દીધો ? પારકાએ આવીને ઠેઠ પેટમાં નો’ર પરોવી દીધા ત્યાં સુધીયે તમને કાળ ન ચડ્યો ?”

દડ ! દડ ! દડ ! આઈની આંખોએ આંસુ વહેતાં મેલ્યાં. છેલ્લું વેણ કહ્યુંઃ “બીજું તો શું બોલું ? પણ કાઠીને વળી ગરાસ હોતો હશે ? કાઠીના

હાથમાં તો રામપાતર જ રહેશે. અને ભાઈ ભોજ ખુમાણ ! કાઠી વંશના જે કટંબ-કુવાડા બન્યા હશે, તેનાં પાપ સૂરજ શૅ સાંખશે ? નહિ સાંખે.” એટલું કહીને આઈ ખોરડે ચાલ્યાં ગયાં. આંહીં દાયરો થંભી જ રહ્યો. જોગીદાસ કાકા ભમોદરાવાળા ભોજ ખુમાણના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા. દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે અંગરેજે મલક ઊંટાકીયો, મયણ કેતોક માણ, ત્રણે પરજું તોળિયું, (એમાં) ભારે જોગો ને ભાણ !

(અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો, આ ધરતી કેટલીક વજનદાર છે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જણ વજનદાર નીકળ્યા.)

ર૦. પતાવટ

સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે; પચીસ વરસનાં વેર એ બેય શત્રુઓની આંખમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાન કરવા ભેળા થયા છે.

“લ્યો, આપા ! માગી લ્યો !” અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો.

“માંગી લેવાનું ટાણું તો ગિયું, મહારાજ ! આજ તો તમે આપો તે લઈ લેવું છે, માટે બોલી નાખો.” એમ કહીને બહારવટિયાએ ઠાકોરની અંજલિ પોતાના હાથે પકડી પોતાનું મોં નમાવ્યું.

“ત્યારે આપા ! એક તો કુંડલા.”

“કુંડલા ન ખપે, મહરાજ !” બહારવટિયાએ હાથ ઊંચો કર્યો.

ઠાકોર ચમક્યા. “આ શું બોલો છો, આપા ? કુંડલા સાટુ તો આ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે ?”

“ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉં છું કે કુંડલા મને પોગ્યું. પણ હવે મારું અંતર કુંડલા માથેથી ઊતરી ગયું છે. મારો બા મૂવો તે દી મહારાજે મોટેરો દીકરો બનીને મૂંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રિયો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે

કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય,

આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉ !

“આ દુહે મને વહેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે ‘હે હાદાના પુત્ર ! તારું કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે ? હે આલણકા! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય !’ પણ એથી ઊલટો અરથ પણ નીકળે છે. મારે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ. કુંડલા તો ભલે મહારાજને રિયું.”

“ત્યારે એક આંબરડી, કબૂલ છે ?”

“હા, બાપા ! આભરેભર્યું ગામ.”

“બીજું બગોયું.”

“એ પ કબૂલ : સોના સરખું.”

“એ બે તમને : વીરડી ને રબારીકું આપા ગેલાનાં છોરુંને.”

“બરાબર.”

“આગરિયા ને ભોકરવું આપા ભાણને.”

“વાજબી.”

“ઠવી ને જેજાદ ભાઈ હીપા-જસાનાં મજમું. થયા રાજી ?”

“રાજી.”

“કાંઈ કોચવણ તો નથી રહી જાતી ને, આપાભાઈ ? જોજો હો !જગત અમારી સો પેઢીને પણ ભાવનગરને અધરમી ન ભાખે.”

“ન ભાખે, બાપા. ભાખે એની જીભમાં કાંટા પરોવાય.”

“ત્યારે આપાભાઈ ! મને લાગે છે કે તમારા દીકરા તમારું ગઢપણ નહિ પાળે તો ?” ઠાકોર હસ્યા.

“તો આંહીં આવીને રહીશ, બાપા !”

“ના, ના આંહીંયે કદીક આ મારાં પેટ - અભુભા, નારુભા - પલટી જાય. આજે કોઈનો ભરોસો નહિ, કોઈની ઓશિયાળ નહિ. રાજ તમને જીરા૧ ખડિયાખરચી દાખલ આપે છે. જીવો ત્યાં સુધી ખાવ-પીઓ.”

૧ આ જીરા વિષે એમ પણ બોલાય છે કે એ ખડિયાખરચી તરીકે નહિ પણ જોગીદાસના દીકરા લાખા હરસૂરની ધોતલીમાં અપાયેલું. કહેવાય છે કે આ જીરા ગામ જોગીદાસના વિદેહ પછી પણ એના વંશમાં ચાલુ રહેલું. ત્રીજી પેઢીએ એભલ ખુમાણના વખતમાં એ વંશનાં એક વિધવા બાઈએ પોતાને પિત્રાઈઓ ગરાસ ખાવા દેતા ન હોવાથી જીરા વિષેનો દસ્તાવેજ દરબારી અધિકારીને આપ્યો. અધિકારીએ જોયું કે જીરા તો ફક્ત જોગીદાસની હયાતી પૂરતું જ બક્ષાયેલું. એણે રાજ્યમાં જાહેર કરીને જીરા ખાલસા કરાવી દીધું. પૂછવા જતાં ગગા ઓઝાના રાજપુરુષે કહ્યું કે ‘જીરુ (જીરા)તો શાકમાં પડી ગયું !’

બહારવટિયો આભો બન્યો. જીરા ! ત્રીસ હજારની ઊપજ આપનારું જીરા ગામ ઠાકોરે ખડિયાખરચીમાં નવાજ્યું !

જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પિવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.

બહારવટિયાને શરણાગત નહિ પણ સમોવડિયો કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યો અને બંદીજનોએ બેયને ત્રોવડ (સરખી તાકાવાળા) તરીકે બિરદાવ્યાં :

વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ;

તણહાદલ અને વખતાતણ, આખડિયા ઓનાડ.

(બેમાંથી કોને વત્તો-ઓછો કહું ! વજો મહારાજ ઔરંગઝેબ જેવો વીર ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખત સિંહનો તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદુરોએ સામસામાં યુદ્ધ ખેલી જાણ્યાં.)

એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી ‘વાહ કવિરાજ !’ કહી મલકાય છે. જોગીદાસની સમોવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે, ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :

તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે,

(તે દિ) બીબડિયું બંગલે, (તુંને) જોવે જોગીદાસિયા !

(હે જોગીદાસ ! તું જે દિવસે જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસે તને બીબીઓ મોટા બંગલાની બારીઓના ચકમાં નયનો ભરી ભરી નીરખતી હતી.)

“સાંભળો, આપાભાઈ ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં !” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટિયાને હસે છે. પણ બહારવટિયાના કાન જાણે ફૂટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાંયે બેરખો જ ફેરવે છે. એટલીું જ બોલે છે કે “સાચું, બાપા ! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.”

પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટિયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલાવા લાગ્યા :

દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ !

ખળભળતી ખુમાણ, જમીં જોગીદાસિયા !

(હે પરજોના રાજા ! કાઠીઓની પૃથ્વી ખળીભળીને નીચે પટકાઈ જવાની હતી, તેને દાન તથા શૌર્યનો ટેકો દઈને તું જ રાખતલ બન્યો.)

જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી,

ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.

(જોટાદાર કમાડ જેવો જોગીદાસ ! મીતિયાળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાય ન થડક્યો !)

કરડ્યો કાંઉ થિયે, પરડોતરાં પ્રજરાણ !

ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસિયા !

(બીજાં નાનાં સાપોલિયાં ડસે તેનાથી શું થવાનું હતું ? પણ ભાવેણાના નાથને તારા જેવો મોટો ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.)

જોગા ! જલમ ન થાત, ઘણમૂલા હાદલ ધરે,

(તો તો) કાઠી કીં કે’વાત, સામી વડ્ય સૂબા તણી.

(હે જોગીદાસ ! મહામૂલા હાદા ખુમાને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડિયો ક્યાંથી લખાયો હોત ?)

અને ચારણોએ છેલ્લી શગ ચડાવી :

ધ્રુવ ચળે, મેરુ ડગે, મહદધ મેલે માણ,

(પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ !

(ધ્રુવ તારો ચલાયમાન થાય, મેરુનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે તોપણ જોગો ખુમા પોતાની ક્ષત્રીવટ કેમ જાતી કરે ?)

બહારવટિયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટિયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતો નથી. બહારવટિયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલનો રાજવિસ્તાર નાનકડો લાગ્યો.

જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહારવટિયાના સૂના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને પાંદડેથી પાણી દડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત કરે છે.

મહારાજે ઈશારત કરી એટલે સભામાં રંગરાગ મંડાયા. સારંગીને માથે સુંવાળી કામઠીઓ અડીને અંદરથી કૂણા કૂણા સૂર ઊઠ્યા. સાથે સ્ત્રીઓનાં ગળાં ગળવા લાગ્યાં. નરઘાં ઉપર ઉસ્તાદની થાપી પડતાં તો રણણ ઝણણ ઘૂઘરા બોલ્યા અને કિન્નરકંઠી રાજરમણીઓનો મુજરો મંડાણો.

વજો મહારાજઃ કનૈયોલાલઃ રાસરાજનો જાણે અવતારઃ અને મારકુ વંશનો મોજીલો બેટડોઃ જેવો સંગ્રામમાં તેવો જ રસભોગમાંઃ વીણી વીણીને અમૂલખ વારાંગના તેડાવી હતીઃ કેમ કે આજ તો અનુપમ ઊજવણું હતુંઃ જોગીદાસનું બહારવટું પાર પડ્યું હતું. વારાંગનાનાં ગળાં ગહેકવા લાગ્યાં.

અને જોગીદાસે પીઠ દીધી. આંખો અધમીંચી હતી, તે પૂરેપૂરી બીડી દીધી. બેરખો તો હાથમાં ચાલી જ રહ્યો છે.

વજો મહારાજ કાંઈ સમજ્યા નહિ. એણે જાણ્યું કે બહારવટિયો દિશા બદલવાની કાંઈક વિધિ કરતો હશે. નાચ-સંગીત ખીલવા લાગ્યાં. કચારી જાણે ગણિકાઓના સૂરસરોવરમાં તરવા ને પીગળવા લાગી.

ઓચિંતા જોગીદાસે ઊઠીને ચાલવા માંડ્યુ. વજેસંગજીએ વિસ્મય પામીને પૂછ્યું : “આપાભાઈ ! આ શું ?”

“કાંઈ નહિ, બાપા ! રજા લઉં છું.”

“કાં ?”

“એટલે તમે સહુ નાચમુજરા નિરાંતે ચલાવો.”

“કાંઈ સમજાતું નથી, આપાભાઈ !”

“મારુવા રાવ ! તમે મારવાડ થકી આવો છો, તમારે પરવડે, પણ હું કાઠી છું. મારી મા-બોન્યું નાચે, ને ઈ હું બેઠો બેઠો જોઉં, એમ ન બને.”

“અરે, આપા ! આ મા-બેન્યું ન કે’વાય. આ તો નાયકાઉં. એનો ધંધો જ આ. ગણિકાઉં ગાય-નાચે એનો વાંધો ?”

“ગણિકાઉં તોયે અસ્ત્રીનાં ખોળિયાંઃ જનેતાના અવતારઃ જેના ઓદરમાં આપણે સહુ નવ મહિના ઊઝરીએ એ જ માતાજીનાં કુળઃ બધું એકનું એક, બાપા ! તમે રાજપૂત ઝટ નહિ સમજી શકો. પણ મને કાઠીને તો દીવા જેવું કળાય છે.”

નાચમુજરા બંધ કરવામાં આવ્યા.૧

૧. જોગીદાસે આ પ્રસંગે પોતાની આંખો ફોડવા માંડેલી તેવી હકીકત અનુચિત લાગતાં આ આવૃત્તિમાંથી કાઢી નાખી છે.

મહારાજાએ બહારવટિયાના જોગ પૂરેપૂરા નીરખ્યા. અંતર ઓળઘોળ થઈ જવા લાગ્યું. જોગીદાસ જીવ્યા ત્યાં સુધી એને ઠાકોરે પોતાના ભાઈ કરી પાળ્યા.

અન્ય સંભળાતા પ્રસંગો :

કવિશ્રી ન્હાનાલાલ એક પ્રસંગ એમ સંભળાવે છે કે ગાયકવાડ તથા ભાવનગર રાજી વચ્ચે સીમાડાની મોટી તકરાર હતી. કેમેય ગૂંચ નીકળે નહિ. બન્ને રાજ્યોને એમ સૂઝ્‌યું કે જોગીદાસ બહારવટિયો સતવાદી છે, સીમાડાનો અજોડ માહેતગાર છે. એ ખરો ન્યાય તોળશે. માટે એને જ આ તકરારનો ફડચો સોંપાયો હતો. સતવાદી બહારવટિયાએ ભાવનગરની સામે કારમું વેર ચાલતું હતું છતાં સત્ય ભાખ્યુંઃ ફડચો ભાવનગરનાં લાભમાં ગયો. એ પ્રસંગના ગુલતાનમાં બહારવટિયાને તેડાવવામાં આવ્યો હતો, અને તે વખતે આ ઘટના બની હતી. કવિશ્રી એમ કહે છે કે જોગીદાસે તે વખતે જમૈયો ખેંચી પોતાની આંખો ફોડી નાખવા તૈયારી કરી હતી. આગલી આવૃત્તિઓમાં એ વર્ણવ્યું હતું, પણ વધુ વિચાર કરતાં એવું વર્તન અત્યુક્તિભર્યું લાગતાં કાઢી નાખ્યું છે.

શ્રી ધીરસિંહજી ગોહિલ લખી જણાવે છેઃ

જ્યારે ઠાકોર અને જોગીદાસ કસુંબો લેવા ભેળા થઈને તંબૂ બહાર બેઠા હતા, ત્યારે ઓચિંતો એક સાપ નીકળ્યો. બધા એ સાપને દેખી ભાગ્યા. ફક્ત જોગીદાસ બેઠા રહ્યા. સાપ જોગીદાસ તરફ ચાલ્યો.

ઠાકોર કહે, “જોગીદાસ ભાગો !”

બહારવટિયો કહે, “ના, મહારાજ ! આપ દેખો તેમ મારે સાપોલિયાથી ડરીને તગ ! તગ ! ભાગવું ન પરવડે !”

પલોંઠી ઠાંસીને બહારવટિયો બેસી રહ્યો. સાપ એના શરીર પર ચડ્યો. માથા ઉપર ફેણ લઈ ગયો. પછી ઊતરીને ચાલ્યો ગયો. જોગીદાસ જેમ-ના તેમ બેઠા રહ્યા.

ઐતિહાસિક કથાગીત : બૅલડ

આ ગીત રચનાર ચારણ કોણ, તે નથી જાણી શકાયું. ભાવનગર

રાજના આશ્રિત હશે એમ લાગે છે. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશીભાઈના જૂના ચોપડામાંથી એમના સૌજન્યથી આ પ્રાપ્ત થયું છે.

પર ચડિયો જે દી જોગડો પીઠો,

આકડિયા પાગે અરડીંગ;

જરદ કસી મરદે અંગ જડિયા,

ન્ક।સમવડિયા

અડિયા તરસીંગ. (૧)

(જોગીદાસ ને પીઠો ખુમાણ યુદ્ધમાં ચઢ્યા. શૂરવીરો ખડ્‌ગ લઈ આફળ્યા. મરદોએ અંગ પર બખ્તર કસ્યાં. બરોબરિયા સિંહોએ જાણે જંગ માંડ્યો. (સિંહોને ‘તરસીંગ’ ત્રણ શીંગડાંવાળા કહેવામાં આવે છે.)

જુધ કરવા કારણ રણ ઝૂટા,

સાંકળ તોડ્ય બછુટા સિંહ,

માંડે ખેધ બેધ ખુમાણો,

લોહ તણો સર જાણે લીંહ. (ર)

(યુદ્ધના કારણે બહારવટિયા રણમાં ધસ્યા. જાણે સિંહ સાંકળ તોડીને વછૂટ્યા. ખુમાણોએ મરણિયા થઈ વેર માંડ્યું. જાણે એ તો લોઢા ઉપર આંકેલી લીંટી ! ભૂંસાય જ નહિ.)

કસંપે ખોયા મલક કાઠીએ

કરિયો ઘરમાં કટંબ-કળો,

સાવર ને કુંડલપર સારુ,

વધતે વધતે વધ્યો વળો. (૩)

(પરંતુ કાઠીઓએ કુસંપને કારણે મુલક ખોયો. ઘરની અંદર જ કુટુંબકલહ કર્યો. સાવર ને કુંડલા માટે વેર વધવા જ લાગ્યાં.)

મત્ય મૂંઝાણી દશા માઠીએ,

કાંઠી બધા ચડ્યા કડે,

ચેલો ભાણ આવિયા ચાલી,

જોગો આવધ અંગ જડે. (૪)

(પણ માઠી દશાને લીધે તેઓની મતિ મૂંઝાણી. કાઠીઓ બધા હઠે ચડ્યા. જસદણનો ચેલો ખાચર અને ભડલીનો ભાણ ખાચર આવ્યા. તે વખતે જોગીદાસ અંગ પર આયુધ કસતો હતો.)

વેળા સમો ન શકિયા વરતી,

ફરતી ફોજ જેતપુર ફરંગાણ,

ભાયું થિયા જેતપુર ભેળા,

ખાચર ને વાળા ખુમાણ. (પ)

(કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોમેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપુરમાં ભેળા થયા. ખાચર, ખુમાણ ને વાળા ત્રણેય.)

વહરા તસર સિંધુ વાજિયા,

સજિયા રણ વઢવા ભડ સોડ,

પાવરધણી બધા પરિયાણે,

મૂળુને સર બાંધો મોડ. (૬)

(ઘોર સિંધુડાના રાગ વાગ્યા, સુભટો રણમાં વઢવા માટે સજ્જ થયા. પાવરના સ્વામીઓ (એટલે કે પાવર પ્રદેશમાંથી આવેલા કાઠીઓ) બધાએ પ્રયાણ કર્યું કે કાકા મૂળુ વાળાના શિર પર સરદારીની પાઘ બંધાવીએ.)

મૂળુ સાચો અખિયો માણે,

જાણે કોય ન ખાવે ઝેર,

ફરતો ફરે મેરગર ફરવો,

વજમલસું આદરવો વેર. (૭)

(મૂળુ વાળાએ સાચી સલાહ આપી કે ભાઈ, મેરુની પ્રદક્ષિણા કરવી જેટલી મુશ્કેલ છે, તેટલું જ વિકટ વજેસંગ સાથે વેર આદરવાનું છે.)

હેક વચન સાંભળ તણ-હાદા !

નર માદા થઈ દીઓ નમી,

પડખા માંય કુંપની પેઠી,

જાવા બેઠી હવે જમીં. (૮)

(હે હાદાના તનય ! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમ કે હવે ભાવનગરના પડખામાં અંગ્રેજોની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.)

બરબે હાદા-સતણ બોલિયો,

કાકા, ભીંતર રાખ કરાર,

જોગો કહે કરું ધર જાતી,

(તો) વંશ વાળા લાજે અણવાર. (૯)

(હાદા-સુતન જોગીદાસ ઉશ્કેરાઈને બોલ્યો કે હે કાકા, તું હૃદયમાં ખાતરી રાખજે. હું જોગીદાસ જો ધરતી જવા દઉં તો તો અત્યારે આપણો અસલ વાળા ક્ષત્રિયોનો વંશ લાજે.)

મૂળુ કને આવિયા માણા,

કો’ મુંઝાણા કરવું કેમ,

વાળો કહે મલકને વળગો,

જેસા વેજા વળગ્યા જેમ. (૧૦)

(જેતપુર મૂળુ વાળાની પાસે માણા (કાઠીઓ) આવ્યા. પૂછ્યું કે કહો, હવે શું કરીએ ? વાળાએ કહ્યું કે જેસા-વેજા જેમ બહારવટે નીકળી દેશને ધબેડતા તેમ તમે પણ ધબેડો.)

મરદાં સાજો થાવ હવ્ય મોટી !

આંટી પડી નકે ઉગાર,

અધિપતિઓના મલક ઉજાડો,

ઘાડાં કરીને લૂંટો ધરાર. (૧૧)

(હે મરદો, હો બહાદુર થઈને સાજ સજો. હવે એવી આંટી પડી છે કે ઉગાર નથી; હવે તો રાજાઓના મુલકને ઉજ્જડ કરો. ધાડ પાડીને ધરાર લૂંટો.)

એ કથ સુણી ભરિયા ઉચાળા,

ગરના ગાળામાંય ગિયા.

વાંસેથી ખાચર ને વાળા,

રાળા ટાળા કરી રિયા. (૧ર)

(જેતુર મૂળુ વાળાનું આવું કથન સાંભળીને ખુમાણોએ ઉચાળા ભર્યા. ભરીને ગીરની ખીણોમાં ગયા. પણ પાછળથી ખાચરો અને વાળાઓ ખટપટ કરવા લાગ્યા.)

પરથમ એ ખૂટામણ પેઠું,

બેઠું સહુ ગ્રહી ઘરબાર,

જોગો કરે ખત્રવટ જાતી,

(તો) ભૂવણ શેષ ન ઝીલે ભાર. (૧૩)

(પ્રથમ જ ખુટામણ પેઠું. બધા પોતાનાં ઘરબાર ઝાલીને બેસી ગયા. ફક્ત એક જોગીદાસે કહ્યું કે જો હું ક્ષત્રીવટ જાતી કરું, તો તો શેષનાગ પૃથ્વીનો ભાર ન ઝીલે.)

જૂસણ કસીઆ જોધ જુાવણે,

ખૂમાણે સજિયા ખંધાર,

પૃથ્વી કીધી ધડે પાગડે,

બાધે દેશ પડે બુંબાડ. (૧૪)

(જુવાન જોદ્ધાઓએ બખ્તરો કસ્યાં. ખુમાણોએ અશ્વો સજ્યા. પૃથ્વીમાં નાસભાગ કરાવી મૂકી. આખા મલકમાં બૂમ પડી.)

દીવ અને રાજુલા ડરપે,

શેષ ન ધરપે હેઠે રાસ,

આવી રહે અચાનક ઊભો,

દી ઊગે ત્યાં જોગીદાસ. (૧પ)

(દીવ અને રાજુલા શહેરો ડરે છે. શેષનાગ જાણે કે નીચો શ્વાસ નથી મેલી શકતો દિવસ ઊગે છે ત્યાં ઓચિંતા આવીને જોગીદાસ ઊભો રહે છે.)

આઠે પહોર ઉદ્રકે ઊના,

ઘર જૂના સુધી ઘમસાણ,

પાટણરી દશ ધાહ પડાવે,

ખાગાં બળ ખાવે ખુમાણ. (૧૬)

(ઊના શહેર આઠે પહોર ઉચાટમાં રહે છે. જૂનાગઢ સુધી ઘમસાણ બોલ છે. પાટણની દિશામાં પણ બહારવટિયા પોકાર પડાવે છે. તરવારના જોરે ખુમાણો ખાય પીએ છે.)

એ ફરિયાદ વજા કને આવી,

અછબી ફોજ મગાવી એક,

લૂંટી નેસ નીંગરુ લીધા,

ત્રણ પરજાંરી છૂટી ટેક. (૧૭)

(આવી ફરિયાદ વજેસંગની પાસે આવી. એણે એક મોટી ફોજ મગાવી. કાઠીઓનાં નેસડાં ઉચાળા લૂંટી લીધા. કાઠીઓની ત્રણેય શાખાઓની ટેક છૂટી ગઈ.)

ભૂખ્યા ગિરે ડુંગરે ભમિયા,

સોહડ જોખમિયા ભાઈયાં શાથ.

ગેલો હાદલ ચાંપો, ગમિયા,

નમિયા નહિ ખુમાણા નાથ. (૧૮)

(બહારવટિયા ભૂખ્યા ભૂખ્યા ગીરનાં ડુંગરામાં ભમ્યા. બહુ જોખમો ખમ્યાં. ગેલો ખુમાણ, હાદો ખુમાણ ચાપો ખુમાણ વગેરેના જાન ગુમાવ્યાં છતાં પણ ખુમાણોનો નાથ જોગીદાસ ન નમ્યો.)

ઠેરોઠેર ભેજીઆં થાણાં,

કાઠી ગળે ઝલાણા કોય,

જસદણ અને જેતપર જબદી,

ડરિયા મૂળુ ચેલો દોય. (૧૯)

(વજેસંગે ઠેર ઠેર થાણાં મોકલ્યાં. કાઠીઓની ગરદન ઝલાઈ ગઈ. જેતપુર અને જસદણ પર પણ જપ્તી આવી એટલે મૂળુ વાળો અને ચેલો ખાચર બન્ને ડરી ગયા.)

મૂળુ ચેલો બેય મળીને,

અરજ કરી અંગ્રેજ અગાં,

વજો લે આવ્યો સેન વલાતી,

જાતી કણ વધ રહે જગ્યા. (ર૦)

(મૂળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસંગ ઠાકોરે વિલાયતી સેના, એટલે કે આરબોની સેના, ઉતારી. તો હવે અમારો ગરાસ શી રીતે રહેશે ?)

અંગરેજે દીધો એમ ઉત્તર,

સૂતર ચાલો છોડ સ્વભાવ,

આશા કરો જો ગરાસ ઉગરે,

(તો) જોગીદાસ લે આવો જાવ. (ર૧)

(અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લૂંટારુ સ્વભાવ છોડીને સીધા ચાલો. ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો !)

જોગા કને ગિયા કર જોડી,

ચેલો મૂળુ એમ ચવે,

ચરણે મનો વજાને ચાલો,

(નીકર) હાલો પાવર દેશ હવે. (રર)

(ચેલો ને મૂળુ જોગીદાસ પાસે જઈ, હાથ જોડી કહે છે કે કાં તો તમે વજેસંગને ચરણે નમો. નીકર ચાલો પાછા આપણા પૂર્વજોના વતન પાવર દેશમાં. કેમ કે આંહીં આપણને રહેવા નહિ આપે.)

જોગીદાસે મનમાં જાણ્યું,

તાણ્યું વેર ન આવે તાલ,

આવ્યો શરણે વજો ઉગારે,

મારે તોય ધણી વજમાલ. (ર૩)

(જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ, ઉગારશે ને કદાચ મારશે તો પણ માલિક છે.)

ખાળા ચાળા મેલ્ય ખુમાણે,

વાળાનો લીધો વિશવાસ,

કૂડે દગો કાઠીએ કીધો

દોરી દીધો જોગીદાસ. (ર૪)

(ખુમાણોએ તોફાન મૂકીને વાળા (મૂળુ)નો વિશ્વાસ કર્યો. કાઠીએ (મૂળુએ ને ચેલાએ) જૂઠું બોલીને દગો દીધો. જોગીદાસને દોરી જઈ શત્રુના હાથમાં સોંપી દીધો.)

જોગો ભાણ કહે કર જોડી,

કરડી દેખી પરજ કજા,

ગજરી વાર કરી ગોવિંદે,

વાર અમારી કર્યે વજા. (રપ)

(ભાણ જોગીદાસે હાથ જોડીને કહ્યું કે, હે વજેસંગજી ! અમારી પરજની (જ્ઞાતિની) કુટિલતા અમે જોઈ લીધી. હવે તો ગજની વહાર જેમ ગોવિંદે કરી હતી, તેમ તું અમારી વહાર કર.)

મોટા થકી કદી ન મરીએ,

અવગણ મત કરીએ અતપાત,

માવતર કેમ છોરવાં મારે,

છોરુ થાય કછોરુ છાત. (ર૬)

(હે મહરાજા ! ભલે અમે અવગુણો કર્યા છે, છતાં મોટા દિલના પુરુષને હાથે અમને મરવાની બીક નથી. છોરુ કછોરુ થાય પણ માવતર છોરુને કેમ મારે ?)

અવગણ તજી લિયા ગુણ અધપત,

મહેપત બાધા અમે મણે,

જોગીદાસ વલ્યાતે જાતો,

તે દી રાખ્યો વખત તણે. (ર૭)

(અધિપતિએ - રાજાએ - અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે, જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહના પુત્ર વજેસંગ જ હતા.)

પીડ ખુમાણાં તણી પિછાણી,

ધણીઅત જાણી વડા ધણી,

મારૂ રાવ ! વજો મહારાજ !

તું માજા હિન્દવાણ તણી. (ર૮)

(તેં ખુમાણોની પીડા પિછાની; અને હે સમર્થ માલિક ! તેં તારો સ્વામી ધર્મ સમજી લીધો. હે મારુ (મારવાડથી આવેલા સેજકજીના વંશજ) રાવ ! હે વજેસંગ મહારાજ ! તું હિન્દુઓની શોભારૂપ છે.)

ઇતિહાસમાં સ્થાન

સૌરાષ્ટ્ર વિષેનાં ઐતિહાસિક પુસ્તકો પૈકી ફક્ત નીચેનાં બેમાં આટલો

જ ઉલ્લેખ છે. અને તેટલાની પણ પ્રમાણિકતા અચોક્કસ છે, કેમ કે એણે ભાવનગર રાજ્યના જ એક અહેવાલનો આધાર લીધો છે.

કૅપ્ટન બેલનું કથન

(‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાંથી)

પાનું ૧૬૮ઃ હવે વખતસિંહજીનું ધ્યાન કુંડલાના મામલા તરફ ખેંચાયું. એ મહાલ આલા ખુમા નામના કાઠીના હાથમાં હતો. આલાને છ દીકરા હતા; ભોજ, મૂળુ, હાદો, લૂણો, સૂરો ને વીરો : ઈ.સ. ૧૭૮૪માં આલો ખુમાણ મરી ગયો ત્યારે ગરાસની વહેંચણીમાં છયે ભાઈઓને ટંટો થયો. એમાંના ભોજ ખુમાણને એમ લાગ્યું કે ખાસ કરીને વહેંચણીમાં એને જ નુકસાની ગઈ. તેથી તેણે વખતસંગજીની પાસે જઈને અમુક હક્કો રાખીને પોતાના ભાગનો બધો ગરાસ સોંપી દીધો. સોંપીને એ કુંડલે પાછો આવ્યો. ત્યારે આવું આચરણ કર્યાને કારણે પોતાના બધા ભાઈઓ પોતાને મારી નાખવા તૈયાર દીઠા. ભોજ ખુમાણે મદદ માટે ભાવનગરની પાસે માગણી કરી. અને વખતસિંહજીએ કુંડલા શહેરનો કબજો લેવા અને ભોજ ખુમાણના હિતના રક્ષણ સારુ ફોજ મોકલી. પણ બાકીના પાંચ ભાઈઓ જૂનાગઢ ગયા અને ભોજ ખુમાણે જે લાલચો વખતસિંહ ગોહિલને આપેલી તે જ લાલચો નવાબ હામદખાનને આપી, તેના ભાઈ મૂળુ ખુમાણ સામે સહાય માગી. નવાબે પણ કુંડલા ફોજ મોકલી એને પણ મૂળુ ખુમાણે હાંકી મૂકી.

હવે, જૂનાગઢ તો અમરજીના મૃત્યુ પછી અંધાધૂંધીમાં પડ્યું હતું. તેથી નવાબને ફરી વાર હલ્લો કરવાના સંજોગો નહોતા. તેથી ઈ.સ. ૧૭૯૦માં વખતસિંહજીને લાગ્યું કે કુંડલા માથે ફોન લઈ જઈ ત્યાં પોતાની આણ સ્થાપવાની તક છે. ભોજ સિવાયના બીજા તમામ ભાઈઓએ એનો સામનો કરવાનું નક્કી કર્યું અને બે દિવસની ઉગ્ર લડાઈ પછી કાઠીઓએ રાતને વખતે સામે હલ્લો કર્યો; પરંતુ વખતસિંહજીને આ વાતની જાણ થઈ ગઈ હતી, તેથી તેણે કાઠીઓને પાછા હાંક્યા. ને બીજી બાજુ તેઓને પાછા કુંડલે પહોંચતા અટકાવવા માટે એક સૈન્ય મોકલ્યું, આ યુદ્ધકૌશલના પરિણામે કાઠીઓ નોખનોખી દિશામાં નાસી છૂટ્યા. અને વખતસિંહજી કુંડલામાં દાખલ થયા.

થોડા દિવસમાં જ કાઠીઓ મીતિયાળે ભેળા થયા ત્યાં જૂનાગઢની નાની ફોજ પણ તેઓની મદદે પહોંચી. પરંતુ કુંડલા હાથ કરવા માટે આ એકત્રિત સેના પણ પૂરતી નહોતી અને બીજી બાજુ વખતસિંહજીએ કાઠીઓની આનાકાની પારખીને પોતે જ સામાં પગલાં ભર્યાં. મીતિયાળા પર કૂચ કરી, અને ત્યાં પણ કુંડલાની માફક જ ફતેહ મેળવી કુંડલા અને લીલિયા બન્ને બકજે કર્યાં.

પાનું ૧૯૯ઃ ઈ.સ. ૧૮૧૬માં વખતસિંહજીનું મૃત્યુ થતાં કાઠીઓએ પોતાનો મોટો કાળ ગયો માન્યો. અને ૧૮ર૦માં કુંડલાના ખુમાણ કાઠીઓએ હાદા ખુમાણની સરદારી નીચે બાબરિયાધાર અને બારબટાણા ગામ બાળ્યાં, અને મીતિયાળા તથા નેસડી લૂંટ્યાં. આ સાંભળીને કુંડલા મુકામના ભાવનગરી ફોજના સરદારે અમરેલી તથા લાઠીની ફોજની મદદથી કાઠી પર ચડાઈ કરી. પરંતુ કાઠીઓ છટકીને ગીરનાં આશ્રયસ્થાનોમાં ચાલ્યા ગયા. એમાંથી હાદા ખુમાનો દીકરો ગેલો ખુમાણ પાછળ રહી ગયો, એણે આંબા ગામમાં આશ્રય લીધો. અને ત્યાં લાઠીની ફોજ સાથે યુદ્ધ થતાં એ ગોળીથી ઠાર થયો.

પાનું ૧૯૯ઃ દીકરા ગેલાના મોતની વાત સાંભળી હાદા ખુમાણે કુંડલ તાબાના વંડા ગામ પર હુમલાની ગોઠવણ કરી. ૧૯ર૧માં વંડા ભાંગ્યું, પણ લૂંટનો માલ લઈને ગીર તરફ નાસતાં ડેડાણ પાસે તેઓને કુંડલાવાળી કાળા ભાટની ફોજ આંબી ગઈ. કાઠીઓ હાર્યા. લૂંટનો માલ મૂકીને નાઠા. નાસતાં નાસતાં જોગીદાસ ખુમાણનો દીકરો માણસૂર ખુમાણ ગોળી ખાઈને પડ્યો અને એનો ભાઈ લાખો ઘવાયો. આવી જાતના પરાજયો અને નુકસાનોથી રોષે ભરાયેલા બહારવટિયા ફરી પાછા વધુ ને વધુ હઠીલાઈથી તેમ જ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લૂંટફાટ કરવા લાગ્યા. એથી દેશમાં એટલી બધી મુસીબતો વધી કે ઈ.સ. ૧૮રરમાં કેપ્ટન બાર્નવેલ નામનો પોલિટિકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો. અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોશી રાજાઓને મળવા તેડાવ્યા, બહારવટિયાનો નાશ કરવા માટે તેમનો સહકાર માગ્યો અને સુલેહ જાળવવામાં તથા ગુનેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું.

આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા. ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળાકાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે. એણે આ વાત કૅ. બાર્નવેલને લખી. એણે વાળા સરદારોને બોલાવ્યા. તેઓએ આ વાતનો ઈન્કાર કર્યો. છતાં તેઓના જામીન લેવાયા.

આટલું થયું ત્યાં તો ખુમાણોએ ભાવનગરનું જૂનવદર ગામ ભાંગ્યું, અને ઢોર ઉપાડી ગયા. તેઓનો પીછો લેવાયો. જેતપુર કાઠીનાં ઘુઘરાળા અને વાલરડી ગામમાં તેઓ સંતાયા હોવાનું માલૂમ પડ્યું. વજેસંગજીને ખબર પહોંચ્યા, અને એણે કુંડલાથી મોટી ફોજ મોકલી, રાતોરાત ૩૬ માઈલ ચાલીને ફોજ પ્રભાતે ઓચિંતી વાલરડી આવી, અને જોગીદાસના બે દીકરા હરસૂર તથા ગોલણને તેમ જ દીકરી કમરીબાઈને કબજે કર્યાં.

પછી તુરત ફોજ ઘુઘરાળે ગઈ, પણ મોડું થઈ ગયું હતું. હાદા ખુમાણ સિવાયના બીજા તમામ ભાગી ગયા. હાદા ખુમાણે તાબે થવા ના પાડી, એથી એને મારી નાખી એનું માથું વજેસંગજીને મોકલી દેવામાં આવ્યું.

એે કૅ. બાર્નવેલને ખબર આપ્યા. જેતપુર કાઠીઓની આ બહારવટામાં સામેલગીરી હોવાની સાબિતીઓનો હવે કાંઈ અભાવ નહોતો. તેઓને તેડાવીને કે. બાર્નવેલે કેદમાં નાખ્યા. પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી કરેલા ખુમાણ બહારવટિયાને પકડીને વજેસંગજીને સોંપવા ૧૮ર૪માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી, પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતાને ગામ ગયા.

પાનું ર૦૧ઃ વજેસંગજીના મનની આવી ડામાડોળને પરિણામે ફરી વાર વર્ષને અંતે ખુમાણો બહારવટે નીકળ્યા, અને ભાવનગરનું ગામ જેસર ભાંગ્યું. મહુવા ને કુંડલાની સિબંધી આ ખૂનીઓની પાછળ છેક મીતિયાળા સુધી પહોંચી ને ત્યાં ચાંપો ખુમાણ કામ આવ્યો. બાકીના બધા ગીરમાં નાસી ગયા અને ભાવનગરની ફોજને પાછા વળવું પડ્યું.

પાનું ર૦પઃ જોગીદાસ ખુમાણે હવે ભાવગર શહેરને જ લૂંટવાનો નિરધાર કર્યો. પાલિતાણા જઈને એણે જૂનાગઢ તથા ભાવનગર રાજના બહારવટિયાઓની ફોજ તૈયાર કરી. તેમાં હાલારિયાના ઓઘડ માત્રો પણ હતા. પાલિતાણા દરબાર કાંધાજીએ માણસો તેમજ સાધનોની મોટી મદદ કરી. પૂરતી ફોજ લઈને જોગીદાસે નાગધણીંબા ગામ પર પડી ગામ બાળ્યું. પણ પછી ભાવનગર લૂંટવાનો ઈરાદો છોડી દઈને પાછો વળ્યો ને માર્ગે આવ્યાં તે બધાં ગામને લૂંટતો તથા મોલાતનો નાશ કરતો ગયો.

વજેસંગજીએ કાઠીઓનો રસ્તો રૂંધવા એક ફોજ પાલિતાણે મોકલી. પોતે ચારસો માણસોની ફોજ લઈ લૂંટારાઓની પાછળ ચડ્યા, અને શેત્રુંજી કાંઠે ટીમાણિયા ગામ પાસે આવ્યા. આંહીં એક સામસામું યુદ્ધ મંડાયું, જેમાં કાઠીઓ હાર્યા, પણ પોતાની નિત્સની યુક્તિ મુજબ તેઓ વીખરાઈને બીજી લૂંટની તૈયારીઓ કરવા ગીરમાં ચાલ્યા ગયા.

ગીરમાં જોગીદાસ આળસુ બનીને પડ્યો ન રહ્યો. થોડા જ મહિના પછી એ ફોજ લઈને નીકળ્યો અને હળિયાદ ઉપર ચડ્યો. ફરી પાછી સિહોરની ફોજ મોકલવામાં આવી પણ એ જોગીદાસને ન પકડી શકી. સમઢિયાળા પાસે તો ભાવનગરની ફોજ આંબી ગઈ. છતાં લૂંટનો માલ રોકવા જેટલી પણ એ ફોજ ફાવી નહિ.

૧૮ર૭ઃ ખુમાણોએ ફરી વાર ભાવનગરના પ્રદેશ પર હુમલો કર્યા. સિહોર લૂંટ્યું. ત્યાં રહેતા થાણાને હરાવ્યું. પણ તે પછી ટાણાથી મોકલાયેલી ફોજને હાથે તેઓએ હાર ખાધી. ટાણાની ફોજે તેઓને પાલિતાણા સુધી તગડ્યા.

ઉપરાઉપરી થતા આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જિગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહે મોકલાવ્યું કે “જો તમે ભાવનગર આવો તો ફરી વાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.”

કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૯ર૯માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, જીરા, વીજપડી, ભીમોદરા, મીતિયાળાનો અમુક હિસ્સો, પોતે રાજ્યને નુકસાન કરેલું તેના બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબઈ સરકારના પોલિ. એજન્ટ મિ. બ્લેર્નેને મોકલ્યા અને તે મંજૂર થયા.

કિનકેઈડનું કથન

(‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકાંથી)

પ્રકરણ ર : પાનું ૧પ : કાઠિયાવાડના બહારવટિયાના મેં ત્રણ વિભાગ પાડ્યા છે : એ ગીરાસિયા બહારવટિયા, બીજા વાઘેરો અને ત્રીજા મિયાણા. પહેલા વિભાગમાં ઘણાં જાણીતાં નામો ગણાય છે, કે જેમાં એક નાજા વાળો. (એ નાજા વાળાને એક દુહામાં, વરસાદની ગર્જના સાંભળી પોતાનો કોઈ હરીફ ગર્જતો માની માથાં પછાડી મરનાર સાદુળા સિંહની સાથે સરખાવવામાં આવ્યો છે.) અને બીજો આંબરડીનો જોગો ખુમાણ પણ બોાલય છે. આ જોગો ખુમાણ ખરી રીતે બહારવટિયો નહિ પણ બળવાખોર કાઠીઓની ટોળીનો સરદાર હતો, પરંતુ જોગો ખુમાણ તો મને મારા સંશોધનની અંદર મળેલા એક ઉત્કૃષ્ટ દુહા માંયલો વીર હતો :

ધ્રુવ ચળે મેરુ ડગે, મહીપત મેલે માન,૧

જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણ.

૧. ‘મહદધ મેલે માન’ જોઈએ. મહમધ = સમુદ્ર.

્‌રી જીંટ્ઠજિ દ્બટ્ઠઅ કટ્ઠઙ્મઙ્મ કર્િદ્બ રીટ્ઠદૃીહ’જ ર્ઙ્ઘદ્બી,

+્‌રી િૈઙ્ઘીર્ ક ંરર્િહીજ ઙ્ઘીટ્ઠિંઃ

રૂીં દૃટ્ઠર્ઙ્મેિ જૈંઙ્મઙ્મ ુૈઙ્મઙ્મ દ્બટ્ઠાી ર્રદ્બી,

ૈહ ર્ત્નખ્તટ્ઠ દ્ભરેદ્બટ્ઠહ’જ રીટ્ઠિં.

અસ્થિઓ વીણ્યાં : ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો

(લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી)

મારા ટાંચણમાં માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલા મળે છેઃ

વિક્ટર : તા. ૧૯-૧૧-ર૭ : પસાયતો સંધી.

યાદ આવે છે : વિક્ટર મહાલના વહીવટદાર ભાઈ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજકાળના એ સાધ્યાયી. ક્રિકેટ-ટૅનિસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિનખેલાડીના સન્માનિત ’ર૭માં એ વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર-રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટિયા જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટિયાની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અકેક ઘટનાને ચકાસતો ચકાસતો હું નવા નવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં, અને એ પડખે પડખે પગપાળો હીંડતો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણા ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ અહીંથી નીકળ્યા હતાઃ એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતાઃ મારે ને બહારવટિયાને જાણે કે ઘડી-બઘડીનું જ છેટું પડ્યું હતું.

સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો, ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે ! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટિયાનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, એ તો છે સર્વકોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટકેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા-તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બુજરગ નાગર સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સૂરા બારોટે, જેઠસૂર બારોટે, ગડવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ - નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિત આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો.

ખેર ! અત્યારે તો એક આ સંધી પસાયતાનું જ સ્મરણ કરું છું. એ એક મુસલમાન હતો પણ એના સાહિત્યરસમાં કોમી ભેદભાવ નહોતો. જોગીદાસ બહારવટિયો એની નજરમાં નહોતો હિંદુ કે નહોતો મુસ્લિમ. એના ચિત્તતંત્રમાં રમતી હતી બહાદુરી, માણસની માણસાઈ. એ હતો તો દરબારી દાણાનો જમનારો, પણ એનું મગજ કોઈ રાજ્યના દફતર જેવું, સત્યને દબાવી રાખી પક્ષહિતોને જ મજબૂત બનાવે તેવા દસ્તાવેજથી ભરેલું નહોતું. ફિફાદની ઝાડીમાં પીર ધનંતરશાના મોરલાને મારી ખાઈ જનાર સંધી સિબંદીઓના કુકર્મનો કિસ્સો એ સંધી સાયતાનો જ કહેલો છે. નવલખાના નરેડામાં જોગીદાસને ભેટેલી જુવાન સુતાર-કન્યાની પ્રેમ-યાચનાની અને એવી પ્રેમ-યાચનાનો ‘તું તો મારી દીકરી !’ એવા બહારવટિયે દીધેલા જવાબની ઘટના પણ એ કંગાલ સંધી પસાયતાએ કહી. તે દિવસથી પરનારીઓનાં લુબ્ધકર નેન-કટાક્ષોથી આત્મરક્ષા કરવા માટે જોગીદાસે જનપદના રસ્તા તરફ પીઠ ફેરવીને ચોરા પર બેસવાનું નીમ લીધાની વાત પણ એણે જ કહી. બહારવટિયાની સામે રાજ્યનાં લૂણ-હક્ક કરવા હથિયાર બાંધી, પીરસાયલ ભાણેથી ઊભા થઈ ઘોડે ચડેલા અને ધિંગાણે ખપી ગયેલા નાગર આણંદજીભાઈની વાત પણ એણે કહી; અને નીચલો એક જે કિસ્સો શરતચૂકથી અણવપરાયો ટાંચણમાં જ પડ્યો રહ્યો છે તે પણ એણે કહેલો :

ડુંગર ગામમાં ભાવનગર રાજના આરબ જમાદારનું થાણું. જોગીદાસનો પડાવ મીતિયાળા ડુંગરમાં. એક વાર આરબ જમાદારને બહારવટિયાએ મીતિયાળે મહેમાન રોકી ખૂબ ખાતર બરદાસ કરી. પછી કહ્યું કે નાગેશરી માથે ચડવું છે, અમારા ભાઈ હરસૂર ખુમાણને મારનાર ઓઘડ વરૂને માથે વેર વાળવા. કે’, ‘ભલે, હાલો.’

વાત એમ હતી કે હરસૂર ખુમાણ વિશે ચારણે નીચે મુજબ હડૂલો કહ્યો હતોઃ

વરૂ, કોટીલા, ને ધાંખડા, સાંભળજો સઉ,

મેથાળે હરસો હુઓ, લૈ ગ્યો વરુઓની વઉ.

(હે વરૂ, કોટીલા ને ધાખડા નામે ત્રણેય શાખાના બાબરીઆઓ ! મેઘાળ ગામનો હરસૂર ખુમાણ તમારી વરૂઓની વહુને લઈ ગયો છે.)

કોઈની સવેલી ઉપાડી લાવ્યો હશે. એ મશ્કરીના ડંખથી આ નાગેશરી ગામના ઓઘડ વરુએ હરસૂર ખુમાણને માર્યો હશે.

બહારવટિયાઓ આમ આરબ જમાદારની મદદ લઈને વેર વાળવા ચડ્યા. ઝાંપોદર ગામ આવ્યું ત્યાં આડો નાર ઓળાંડ્યો.

રાવ નામે પંજાબ તરફનો કોઈ મુસલમાન નજૂમી (જોશ જોવાવાળો) સાથે હતો તેણે તુરત ઘોડો થોભાવ્યો.

કહે, ‘કાં ?’

કે’, ‘જે મોઢા આગળ હાલે ઈ લોહીઆળો થાશે.’

આરબ બોલ્યા : ‘અમે ક્યાં ખીચડું ખાવા આવ્યા છીએ ? અમે મોઢા આગળ હાલીએ.’

પહેલી ઘોડી આરબે હાંકી.

ધાંતરવડી નદીને કાંઠે જ્યારે સૌ ચડ્યા ત્યારે જોગીદાસ અને ભાણ ખુમાણે નાગેશરીનો કેડો હાલતો તે પડતો મેલીને રાજુલાને માથે ઘોડી ઠરડી કરી.

આરબે પૂછ્યું, ‘કાં ?’

કે’, ‘રાજુલા માથે પડવું છે.’

‘અરે ન્હોય એવી વાત.’ આરબ જમાદાર, પોતાના જ ધણી

ભાવનગર દરબારનું ગામ રાજુલા ભાંગવાની વાતથી ચોંકી ઊઠ્યા. ત્યારે ભાણ જોગીદાસે પેટમાં રાખેલી વાત પ્રકટ કરી : ‘અમે તમારી

ખાતર-બરદાસ્ત કરીએ છીએ તે તો રાજુલા માટે.’

આરબે કહ્યુંઃ ‘ભાગ્યની વાત ! હવે કાંઈ સરાય નહિ.’

રાજુલે ચાગલ જમાદારનું થાણું. પણ ચાગલો બહાર નીકળી ગયો

હતો.

મશાલ વખતે જોગીદાસે રાજુલું ઘેર્યું. પણ ગામમાં ગરાય નહિ. ચારેય દરવાજા ઉપર માણસ. બંદૂકોની નાળ્યું છૂટે છે.

કૂબલીઆ પામાં ભેરાઈ દરવાડે ઉમર સામેડો સપાઈ ૩પ માણસે : ડુંગરના રસ્તા માથે મામદ જમાદારનું થાણું : વડલીને ઝાંપે પણ પાકો બંદોબસ્ત.

એટલે આરબ જમાદારે કહ્યુંઃ ‘તો રાજલિયાના ગાળામાંથી ગરીએ.’

પોતે છ જણા ચાલ્યા. એમાં એ ઠેકાણે ચોકીદાર મસૂત સીદી હોકો પીતો બેઠો છે, પગરખાંના ખડખડાટ સાંભળીને મસૂત ઊભો થયો.

મસૂતે જવાબ વાળ્યોઃ ‘ખસ્યાં ખસ્યાં ! એમ શું ભાવનગરનાં નગારાં ઊધાં વળી ગયાં છે !’

‘ના, ભાવનગરનાં આબાદ, પણ તારાં અવળાં !’

તો પણ મસૂત ન ભાગ્યો, એને બંદૂક લાગી. પડતે પડતે એણે હાકલો કર્યો : ‘રાજુલા ! હુશિયાર !’

આરબો ગામમાં પેઠા. બજારે ચાલ્યા. ચોરા માથે ભાયોથી ધાંખડો આઠ માણસે ઊઠ્યો. પણ આરબોએ બે ચંભા કર્યા, આઠેયને ઉપાડી લીધા. ગામમાં ચાહકા થવા લાગ્યા.

એ જ ટાણે એક લગન હતાં. મામદ જમાદારને, ભાઈ પિયારો જમાદાર માંડવામાં વરરાજા વેશે તૈયાર બેઠો હતો ત્યાંથી દોડ્યો.

ચોકમાં આવ્યો ત્યાં આરબોએ દીઠો : ‘અરેરે ! આ તો પિયારો આવે છે ! માથે મોડ છે. એને પકડી લ્યો.’

ચારેય આરબોએ ઢાલો આડી રાખીને દોટ દીધી. પિયારાને બાથમાં લઈને ઉપાડ્યો. હાદા સોનીના હાટમાં પૂરી દીધો.

ત્યાં પિયારાથી નાનેરો ફકીરમામદ દોડ્યો આવે. એણે ભાઈને ભાળ્યો નહિ. એટલે ઘા કર્યો. આરબ જમાદારને માથે. બરાબર હાથના કળાઈને માથે તરવાર પડી. કોણીનું હાડકું ખાઈ ગઈ. આરબે ફકીરાનું માથું ઉડાવી દીધું.

ત્યાં સામેથી એક બંદૂકની ગોળી આવી ઠરતી. ચોંટી બરાબર આરબ જમાદારના પાટમાં. પળ ડોળી નાખ્યો.

સવારનો પહોર થઈ ગયો. જોગીદાસ ને ભાણ બેઉ રાજુલા માથે પડ્યા. આવીને બેય જણા કહે, ‘આરબ જમાદાર, આવી જા અમારા ઘોડા માથે. મીતિયાળા ભેળો કરું.’

કે’, ‘ના,’ ડોળીએ નાખીે પાવા પોપટને ઘેર પહોંચાડ્યો. પણ રાજે ઘરેઘરની જડતી લીધી. આરબનો ખાટલો ઉપાડીને ભૂંકણધારની ઝાડીમાં લઈ ગયા. ડોળા તળાવને માથે.

આરબ કહે, ‘હવે હું દરબારને મોઢું ન દેખાડું.’ (નિમકહરામી કરી ખરીને !)

પછી નાંદોદ દરબારને લખ્યું. નાંદોદને ને ભાવનગરને વેર. નાંદોદે કહેવરાવ્યું : ‘જમાદાર, ખુશીથી આવો.’

નાંદોદ જવા ઊપડ્યો. વળાને પાદર આવ્યા. ત્યાં ભાવનગરના ફટાયા હરભમજીના મહેમાન બન્યા. એની પાસેથી જાણ્યું કે ધરમપુરની ચઢાઈ લઈ છોટો કુમાર ભાવનગરના વળાને માથે માર માર કરતો આવતો હતો. વળાની રક્ષા કરવા પછેગામના ત્રણસેં દેવાણી આવી બેઠા હતા.

આરબ જમાદારે પોતાના સિબંદીઓને કહ્યું, ‘આપણાથી ઝાંપેથી જવા? ભાવનગરનું તો નિમક ખાધું છે.’

હરભમજી કહેઃ ‘તમે તો મહેમાન છો.’

‘મહેમાન તો તમારા ને ! ખબર સાંભળ્યેથી ન જવાય. અટાણથી જ મોરચો કરી લઈએ.’ ઘેલો નદીને કાંઠે આરબોએ મોરચો બાંધી લીધો.

પ્રાગડે દોરા દીધા. (પ્રભાત પડ્યું.) નગારું થયું. સામે કાંઠે શત્રુઓની સેના તોપ માંડીને તૈયાર હતી. આરબોની બંદૂકે ગોલંદાજને ઉડાડી મૂક્યો. ને પછી જમાદારે હાક દીધી : ‘ભેળી દિયો.’

હાથોહાથની લડાઈ ચાલી. દેવાણીઓ ભાગ્યા. પણ આરબો ન ખસ્યા. શત્રુને તગડી મૂક્યો.

મહારાજને શિહોર ખબર પડી, કે મારા દેવાણીને ભાગવું પડ્યું ને આ મને છોડી જનાર આરબે રંગ રાખ્યો. રાજુલાની વાતને વિસારી દઈ મહારાજે આરબ જમાદારને લઈ આવવા મીરાં-દાદાને મોકલ્યા.

મધ્યયુગી માનવ-સિદ્ધાંતો કેવી વિચિત્રતા બતાવે છે ! આરબ જમાદાર એક રાજ્યનો પગાર ખાય છે, પણ બીજાનો રોટલો ખાધો, ભાઈબંધી કરી, તેનું નૈતિક બંધન એને એ જ રાજ્યના અન્ય ગામની લૂંટમાં બહારવટિયાનો સંગાથ કરવા ખેંચી જાય છે, પછી પાછો એ જ માનવી એક ગામને ઝાંપે સ્વાગત પામે છે, તેટલા જ કારણે ત્યાં તે ગામને ખાતર ખપી જવા તત્પર બને છે, એની ખાનદાની નિહાળીને એ જ રાજા એ આરબની આગલી ખૂટલાઈને ભૂલી જાય છે અને આરબને પાછો તેડાવે છે. મૈત્રી, આદવત, આશરાધર્મ, ખૂટલાઈ અને ખાનદાની, બધાં અરસપરસ અટવાઈ જઈને માનવીની આંખો સામે અંધકારભરી રાત્રિ ઉતારે છે. ભૂલું પડેલું માનવ-હૃદય એ અટવીની અંદર જ્યાંથી શક્ય હોય ત્યાંથી ઝડપે મારગ કરતું આગળ ચાલે છે. સર્વકાલીન અને સનાતન માનવ-ધર્મની એને ગતાગમ નથી. એ વિચારવા-તોળવાની એને વેળા નથી.