Sorthi Barvatiya - Part 3 (Kadu Makrani) in Gujarati Classic Stories by Zaverchand Meghani books and stories PDF | Sorthi Barvatiya - Part 3 (Kadu Makrani)

Featured Books
Categories
Share

Sorthi Barvatiya - Part 3 (Kadu Makrani)

સોરઠી બહારવટીયા

ભાગ -૩

(કાદુ મકરાણી)


©COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

નિવેદન

(પહેલી આવૃત્તિ)

સોરઠી સાહિત્યનું એક વિશેષ અંગ આજે સમેટાઈ જાય છે. માથા પરથી એક ગાંસડીનો બોજો નીચે ઉતારીને પ્રવાસી રાહતનો એક નિઃશ્વાસ નાખે છે. એક દસકાની અવધ નજીક દેખાય છે.

થોડાએકને અળખામણું, ઘણા મોટા સમુદાયનું આદરપાત્ર અને મને પોતાને તો પ્રિય કર્તવ્ય સમું આ બહારવટિયાનું ઈતિહાસ-સંશોધન બની શક્યું તેટલું સ્વચ્છ અને પ્રામાણિક બનાવવા હું મથ્યો છું. ઘણાઘણાઓએ મારી સહાયે આવીને બીજી રીતે દુષ્પ્રાપ્ય એવી નક્કર હકીકતો મને ભળાવી છે. એમાંના અમુક સહાયકોને તો હું ઇતિહાસના પાકા અભ્યાસીઓ માનું છું. આ બહારવટા-પ્રકરણમાં એક મહત્ત્વની ઐતિહાસિકતા ભરી હોવાથી તેઓની શ્રદ્ધાની હૂંફ કુતર્કોના થોડા સુસવાટોની સામે મને રક્ષણ આપી રહી છે. તેઓનાં કોઈનાં નામ અત્રે લખવાની મને મંજૂરી નથી કેમ કે બહારવટાપ્રકરણનું રાજદ્વારીપણું હજુ સમયદેવે સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાંથી ભૂંસી નથી નાખ્યું.

બે વર્ષો સુધી આ વિષય પર રજૂ થયેલા છૂટાછવાયા વિચારો તપાસીને, તેમ જ આને લગતું યુરોપી સાહિત્ય બન્યું તેટલું પચાવીને, મારી લાંબી મીમાંસા પણ અત્રે રજૂ કરી દઉં છું. એને હું વિચારશીલ આપ્તજનોની નજર તળેથી કઢાવી ગયો છું. તેઓએ મારી વિચારસરણી પર પોતાની વિવેકદૃષ્ટિની મોહર ચાંપી છે.

હું તો માત્ર એટલું જ સૂચવું છું કે કોઈ પણ એક યુગ અન્ય યુગને નરી પોતાની જ વર્તમાન વિચારણાની તુલાએ ન્યાયપૂર્વક ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારોનું મૂલ મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય, ઉદાર અને વિગતોમાંથી સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. તે સિવાય તો યુગ એટલો વેગથી ધસે છે કે ગઈ કાલ અને આજ વચ્ચે પણ દૃષ્ટિભેદનાદરિયા ખોદાય છે; એટલે એ વેગીલી મનોદશાની સામે તો ભૂત-વર્તમાનનો કોઈ કલ્યાણ સંયોગ સંભવતો જ નથી. પણ અતીતનો અનુભવો-સંઘરો જેઓને મન કંઈકેય ઉપકારક હોય, તેઓને આવાં ઇતિહાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે. મારી ફરજ એવી એક દૃષ્ટિ આપીને વેગળા રહેવાની સમજી હું વિરમું છું.

રાણપુર : શ્રાવણ સુદ બીજ, ૧૯૮પ (ઈ. સ. ૧૯ર૯)

ઝવેરચંદ મેઘાણી

(ત્રીજી આવૃત્તિ)

‘બહારવટાંની મીમાંસા’ એ શીર્ષક હેઠળ જે ૮૦ પાનાંનો પ્રવેશક આગલી આવૃત્તિઓમાં મૂકેલ હતો, તેનો મેં ‘ધરતીનું ધાવણ’એ નામના મારા લોકસાહિત્ય પરના વિવેચનાત્મક લેખોના સંગ્રહમાં સમાવેશ કરી નાખીને આ પુસ્તકનો બોજો ઉતાર્યો છે. લોકસાહિત્ય વિશેનાં મારાં બધાં પુસ્તકોની સળંગ સમગ્ર સમજણને સારુ ‘ધરતીનું ધાવણ’ અને ‘લોકસાહિત્ય’ એ બે લેખકસંગ્રહો

• વાચકે જોવા જ જોઈશે.

• ૧૯૯૭ની સંકલિત આવૃત્તિ : ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ.’

કાદુ મકરાણી, ગીગો મહિયો વગેરેના આમાં મુકાયેલા કેટલાક કિસ્સાઓમાં આધારભૂત અને ચોટદાર કેટલીક માહિતી આપનાર જે વ્યક્તિનો નામોલ્લેખ જાણીબૂજીને આગળ કર્યો નહોતો (કેમ કે તે વ્યક્તિને પ્રકટ થવાની અનિચ્છા હતી.) તેનું નામ અત્યારે આપી શકાય છે, કારણ કે એ હવે આ પૃથ્વી પર નથીઃ એનું નામ શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈ.

થોડાએક મહિના પર અમદાવાદ હતો. એલિસબ્રિજ પર પગપાળો ચાલ્યો જતો હતો. એકાએક એક ભાઈએ મારી સાથે થઈ જઈને વાત શરૂ કરીઃ “મારે તમને ઘણા વખતથી કંઈક કહેવું છે. ‘સોરઠી બહારવટિયા’ ભાગ ત્રીજામાં રામા વાળાની વાત આવે છે તેમાં અમારું ગોંડનું... ગામ ભાંગ્યાનો ઉલ્લેખ છે. તે વખતે હું હાજર હતો. હું એ જ પટેલનો દીકરો. રાતે આવ્યા... મને રોક્યો... મારા હાથમાં દીવો લેવરાવી મને આખું ઘર બતાવવા લીધો સાથે. મને કહે કે, ‘બીશ મા; તને કોઈ નહિ મારે.’ મને એક જણ છરી મારવા આવેલો, તેને આગેવાને મનાઈ કરી દીધી, મને ગામમાં બીજે ઘેર લૂંટવા ગયા ત્યાંય સાથે લીધેલો; અને એક ઘરમાંથી ગલાલ હાથ આવ્યો તે લઈને મારે માથે-મોંયે લગાડતો.

બહારવટિયો બોલતો કે ‘છોકરા, તને તારાં માવતર તો કોણ જાણે કયે દી ગલાલે રમતો (લગ્નમાં) કરશે, આજ તો હું રમાડી લઉં !”

આ વાત કરનારનું નામ ભાઈ ઘુસાલાલ.

મોવર સંધવાણી અને વાલા મોવર સાથે પોતાના પિતાને કેવી રીતે ભેટો થયેલો તેની ફક્કડ ઘટના શ્રી ધનસુખલાલ મહેતાએ પોતાની આત્મકથા ‘આથમતે અજવાળે’માં આપી છે.

પિતા વઢવાણમાં એજન્સીના ડેપ્યુટી એજ્યેકેશનલ ઇન્સ્પેક્ટર હતા. બાળકોને પોતે આ પ્રમાણે વાત કરતા : “તે વખતે મોરનો ત્રાસ કાઠિયાવડમાં ઘણો હતો. એક વખત રાતના, બળદના સગરામમાં હું અને તમારી બા એક ગામથી બીજે ગામ જતાં હતાં. સ્ટેટ તરફથી અમારા રક્ષણ માટે એક સવાર મળતો તે સગરામ પાછળ રહેતો. અચાનક, બે ગામની વચ્ચે, ખેતરમાં તાપણાં જણાયાં, અને અમારા સગરામને એક પરિચિત આદમી લાગુ થઈ ગયો. સવારે તેમ જ સગરામવાળાએ મને ધીમે રહીને કહ્યુંઃ ‘સાહેબ, આવી બન્યુંઃ મોરની છાવણી લાગે છે.’ વસ્તુસ્થિતિ જોઈને મેં સગરામ ઊભો રખાવ્યો; કુંજાનું પાણી ઢોળી નાખીને કુંજો લઈને હું તે તાપણા ભણી જવા માંડ્યો. લાગુ પાડેલો આદમી પણ અજબ થઈ ગયો. હું તો સીધો એ તાપણા પાસે જઈને ઊભો રહ્યો. બહારવટિયાઓ વાળુ કરતા હતા. મેં તેમાંના એકને કહ્યું, ‘પાણી થઈ રહ્યું છે, અને મારી બૈરીને તરસ લાગી છે. આટલું ભરી આપશો ?’

ક્ષણભર તેમણે એકેકની સામું જોયું, અને પછી પાણી ભરી આપ્યું. પોતે જમતા હતા એટલે એમના ધર્મ પ્રમાણે એમાંના એકે કહ્યું, “ખાવા બેસશો ? પણ ખાવામાં તો માત્ર રોટલા, મીઠું અને લસણિયો મસાલો છે.’ મેં હા પાડી અને પહેલે જ કોળિયે મીઠાની ચપડી મોંમાં નાખી અને હું હસી પડ્યો. તેમનો સરદાર બોલી ઊઠ્યો, ‘તમે મને ઓળખો છો ?’ મેં જવાબ આપ્યો, ‘મોર અને વાલિયાને કોણ નથી ઓળખતું ? પણ હવે રજા આપો તો પાછો જાઉં, કારણ કે બહુ મોડું થઈ ગયું છે.’

મોર મને ભેટ્યો અને બોલ્યો, ‘કૃષ્ણલાલભાઈ, ભારે કરી હોં !તમે પણ પાકા નીકળ્યા. પણ અમારું મીઠું ખાધું એટલે આજથી આપણે દોસ્ત. હવે મુસાફરીમાં આવા સવાર-બવાર રાખતા નહિ. અમને બધી ખબર પડે છે. રાતના તમે નીકળશો એટલે મારા બે માણસ સગરામ સાથે થઈ જશે. છતાં જરૂર પડે તો આટલો બોલ કોઈને કહેશો તો કાઠિયાવાડમાં કોઈ બીજા બહારવટિયાની તાકાત નથી કે મોરના દોસ્તને લૂંટે.’

જયસુખલાલના જન્મ સમયે વાલિયો જાતે આવીને રૂમાલ અને સવા રૂપિયો આપી ગયો હતો.

શ્રી મૂળચંદભાઈ આશારામ શાહ મળે છે ત્યારે મોવર સાથે એમના પિતાને પડેલો પ્રસંગ સાંભળવા આવવા કહે છે.

જૂના સૌરાષ્ટ્રને ઉછંગે આળોટી ગયેલાં આ ગુજરાતી અમલદારકુટુંબોનાં દિલોમાં આજે પણ પડઘા ઊઠે છે - એ કાઠિયાવાડી અસલવટનાં.

૧૯૪૪ ઝવેરચંદ મેઘાણી

(પાંચમી આવૃત્તિ)

લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલં. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.

‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’

અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.

તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ-પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.

૧૯૮૧ જયંત મેઘાણી

કાદુ મકરાણી

(સંવત ૧૯૩૯-૧૯૪૧ : ઈ.સ. ૧૮૮૩-૧૮૮પ)

ઇતિહાસમાં ઉલ્લેખ

કીનકેઈડ કૃત ‘અઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’માં એક શબ્દ પણ નથી. મરહૂમ જસ્ટિમ બીમન (બૉમ્બે હાઈકોર્ટ) પોતાના ‘રીક્લેકશન્સ ઑફ ઓલ્ડ ડેઝ ઈન કાઠિયાવાડ’ નામના લેખમાં (‘સાંજ વર્તમાન’, ન્યુ ઈયર નંબર : ૧૯૧૦) લખે છે કે : “દ્ભટ્ઠઙ્ઘૈિ મ્ટ્ઠાજર ર્ંર્, ષ્ઠિેીઙ્મ ટ્ઠહઙ્ઘ રઅર્ષ્ઠિૈૈંષ્ઠટ્ઠઙ્મ ટ્ઠજ ઇટ્ઠૈઙ્ઘી, હ્વેં ર્હં ર્જ ર્ષ્ઠુટ્ઠઙ્ઘિઙ્મઅ, ંરી ીંિર્િિ ર્કિ ર્દ્બિી ંરટ્ઠહર્ હી અીટ્ઠિર્ ક ંરી ય્ૈિ ત્નેહખ્તઙ્મી ટ્ઠહઙ્ઘ ંરી ઙ્મટ્ઠૈહજ ંરટ્ઠં કિૈહખ્તીઙ્ઘ ૈં.”

તે ઉપરાંતનું એમનું લખાણ આ વૃત્તાંતમાં છૂટક છૂટક ફૂટનોટો તરીકે મુકાયેલ છે.

કૅપ્ટન બેલ કૃત ‘હિસ્ટરી ઓફ કાઠિયાવાડ’માં ર૪૧-ર૪રમા પાનાં પર ટૂંકો ઉલ્લેખ છે. તેની મતલબ એટલી જ છે કે :

૧. ઇણાજ ગામનો ભોગવટો કરનાર મકરાણીઓએ રાજ્યથી સ્વતંત્ર થવાનો દાવો કર્યો. તેઓએ અમુક ઇણાજવાસીએ કરેલા ગંભીર ગુનાની તપાસ માટે ત્યાં જનાર જૂનાગઢ પોલીસને પ્રવેશ કરવા ન દીધો.

ર. રાજ્યે પોતાના હકના રક્ષણ માટે એજન્સીની મદદ માગી. મકરાણીઓને ચેતવણીનો સંદેશો મોકલ્યો. તેઓએ કાસદનું અપમાન કર્યું.

૩. ઈ.સ. ૧૯૯૪ના ઑગસ્ટ માસની ચોથી તારીખે સાઠ સવાર અને દોઢસો પાયદળની ફોજ ઇણાજ પર મોકલવામાં આવી. કર્નલ સ્કૉટ સાથે ગયો. પચીસ મકરાણી અગ્રેસરોને હથિયાર છોડવા ને જૂનાગઢની હકૂમત સ્વીકારવા કહાવ્યું. મકરાણીઓ હા કહીને પાછા ફરી ગયા. ફોજ પર ગોળીબાર કર્યો. છેવટે ફોજે ગામને ઉડાવ્યું. મકરાણીઓને પક્ષે છ મરાયા. ત્રણ ઘવાયા. ફોજ પૈકી સાત મરાયા ને પંદર ઘવાયા.

૪. છ-સાત મકરાણીઓ ભાગી છૂટ્યા, બહારવટે નીકળ્યા. તેઓએ ૮૧ ગામડાં ભાંગ્યાં, ર૧ ખૂનો કર્યાં, ને ૯૮ નાક કાપ્યાં.

પ. ૧૮૮૭માં તેઓ મકરાણ તરફ ભાગી જતાં પકડાયા. તેઓને ફાંસીની સજા મળી.

૧. ઇણાજનો નાશ

“કાલે અહીંયાં તોપો મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સહુ નીકળી જાઓ, ભાઈઓ !”

જૂનાગઢનું રાજ હતુંઃ વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતોઃ વેરાવળથી પાંચ ગાઉ ઉપર ઇણાજ નામનું ગામડું હતું. એ ગામની અંદર સંવત ૧૯૩૯ના ભાદરવા સુદ ત્રીજને દિવસે સવારે આ શબ્દો પડ્યા. બોલનારનું નામ જમાદાર અમલીમહમદઃ જાતે રિન્દ-બલોચ મકરાણી હતો. ઇણોજનો એ ગામેતી હતો. આધેડ અવસ્થા હતી. પોતાની વસ્તીને ભેળી કરીને આજે ભર્યે ભાદરવે એણે આજ્ઞા દીધી કે “ભાઈ સામત સોલંકી, પૂંજા આયર, ફૂલી ડોશી, તમે સહુ આજ ને આજ તમારાં ઢોરઢાંખર અને ઘરની ઘરવખરી લઈને નીકળી જાઓ. કાલે આંહીં તોપો ચાલશે.”

“ભલે ને તોપું ચાલતી, બાપુ ! અમે તમને મેલીને કેમ જાયેં ?” અલીમહમદ ઉપર હેત રાખનાર વસ્તીએ ભેળા મરવાની હિંમત બતાવી. વસ્તીનાં લોકો કેટલાયે દિવસથી આખો મામલો સમજ્યે જતાં હતાં અને આજે તેઓને અલીમહમદના એક વેણમાં જ પૂરો ઘાટ સમજાઈ ગયો. એ અરસામાં આવી વસ્તી-ગણતરીઃ સને ૧૮૮૧નું વર્ષઃ ગામનાં

“નાભાઈ, ભીંત હેઠળ ભીંસાઈને તમારે મરવાની જરૂર નથી. મારા તો મુકદ્દરમાં હશે તે થાશે. તમે સહુ નીકળી જાઓ. આજ ને આજ ક્યાંઈક પડખેનાં ગામોમાં પહોંચી જાઓ.”

“બાપુ ! અમે નીકળીએ તો ઇણાજ લાજે.”

“ઇણાજ નહિ લાજે. હું ઠીક કહું છું. મારે કાંઈ ધીંગાણે ઊતરવું નથી. સરકાર સામે લડાઈ નથી માંડવી. હું તો મરવા માગું છું ને ઇણાજની લાજ સાચવવા હું એકલો આંહીં બેઠો છું. તમે ફિકર કરો મા. જાઓ જલદી. ગામલોકોને સમજાવીને ઝટ બહાર નિકાલો.”

વાતો કહેતાં કહેતાં અલીમહમદના હાથમાં તસબી ફરી રહી હતી. અવાજમાં ઉશ્કેરાટ નહોતો. આંખોમાં રોષની નહિ, પણ વેદનાની લાલપ ભરી હતી.

ગામની અંદર વાત પ્રસરી ગઈ. ગામેતીની શિખામણને વશ થઈ વસ્તીનાં લોકોએ ભારે હૈયે પોતાની ગાયો-ભેંસો ખીલેથી છોડી, આંસુભરી આંખે ઉચાળા ભર્યા. સહુ અલીમહમદને રામ રામ કરી, રોતાં રોતાં બહાર નીકળ્યાં. અને કાલ સાંજ થાશે ત્યાં તો આ ખોરડાં, આ પાદર, આ વડલા ને આ પંખીડાં, કોઈ નહિ હોય, આપણું ઇણાજ પડીને પાદર થશે, એ વિચાર કરતાં કરતાં, ગામનાં ઝાડવાં ઉપર મીટ માંડતાં માંડતાં, લોકો માર્ગે પડ્યાં. પણ બુઢ્ઢાં હતાં તેટલાં પડ્યાં રહ્યાં. પડ્યાં રહેનારમાં એક સામત સોલંકી, બીજો પૂંજા વાલા આયર, ત્રીજી ફૂલી ડોશી લુવાણી, ચોથો બોદો ઢેઢ, પાંચમો કિસો મેતર વગેરે જણ હતાં. એને પણ ગામેતીએ પૂછ્યું, “તમે શા માટે પડ્ય ંછો ?”

“બાપુ !” પોતાની ડગમગતી ડોકને સ્થિર રાખવા મહેનત કરતી ફૂલી ડોશી બોલી, “અમારે ભાગીને શું કરવું છે ? મડાંને વીજળીનો ભો કેવો? ટાંટિયા ઢસરડીને મરવા કરતાં અમારા બાપુને પડખે રહી તોપે ઊડીએ તો સદ્‌ગતિએ જવાય ને ! અમે તો આંહીં જ પડ્યાં છીએ, ભલે આવતી તોપું.”

“બેટા અબ્દરહેમાન !” અલીમહમદે પોતાના પાંચ દીકરા માંહેલા એકને બોલાવી કહ્યું, “આપણા ભાઈ-ભત્રીજાને આજ ને આજ ભેળા કરો. તરસૂલીએથી ભાણેજોને - એમનાબૂના ત્રણેય દીકરા અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ ને - તેડાવી લ્યો.”

“પણ અબાજાન ! એની સાથે તો અદાવત છે ને ?”

“હવે અદાવત ખતમ થાય છે. ખુદાને ઘેર જાતાં જાતાં દોસ્તી કરી લેવા માગું છું. જલદી સાંઢિયો રવાના કરો.”

“બીજા કોને ?”

“જમાદાર સાહેબદાદને સનવાવ ખબર ભેજો.”

“સનાવાવ તો અઢાર ગાઉ થાય. કોણ મજલ કરી શકશે ?”

“આપણા કરસનજી ગામોટ કરી શકશે. એને દોટાવો. અને અમરાપર ભાઈ કાદરબક્ષ તથા અબાબકરને કહેવરાવો. છેલ્લી વારનો કુટુંબમેળો કરી લઈએ. કાલે તો ખુદાના દરબારમાં હશું.”

નોખનોખી દિશાઓમાં ખેપિયા છૂટી ગયા છે. મોહબતદારો આવી પહોંચવાની વાટ જોવાય છે, અને વેરાવળ પાટણમાં એક મોટી ફોજ ઇણાજ ઉપર ચડતી હોવાના સમાચાર મળે છે. જમાદાર અમલીમહમદની બધી આશા આથમી ગઈ. એ પોતાના ઓઝલને ઓરડે ચાલ્યો. પોતાની બીબી અમનને પૂછ્યું, “બોલો, તમારી શી મરજી છે ? બાલબચ્ચાંને લઈ ચાલ્યાં જાઓ તો હું ખરચી આપું. આપણા વતન મકરાણ ભેગાં થઈ જાઓ.”

“અને તમે ?”

“હું અહીં ઘરઆંગણે મરીશ. કાલે આંહીં કતલ ચાલશે.”

“ખાવંદ ! ચાલીસ વરસથી તમાીર સોડ્ય વેઠનારને આજે તમે એકલી જાન બચાવવાનું કહીને ક્યા વેરનો બદલો લઈ રહ્યા છો ? મને શું મરતાં નથી આવડતું ? હું બલોચની બેટી છું, બલોચની ઓરત છું, બલોચની જનેતા છું.”

“પણ બીબી ! તમારે આંહીં બહુ બૂરી રીતે મરવું પડશે. આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડીએ આખો ઓરડો ફૂંકાવી દઈશ મારાં બાલબચ્ચાંને રાજાના હાથમાં જવા નહિ દઉં. હું રિન્દ-બલોચ છું.”

“આપને ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચાં સહિત મારું છેલ્લું ઠેકાણું તો ઓરડો જ છે.”

ઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો. પોતે ઓસરીમાં બેઠક લીધી. એક બાજુ હથિયાર મૂક્યાં છે. સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે.

સવાર પડતાં જ તેડાવ્યા હતા તે પિતરાઈઓ ને ભાણેજો હાજર થઈ ગયા. હાજર થનારા આટલા જણ હતાઃ અમરાપરથી જમાદાર અલીમહમદના કાકા નૂરમહમદના દીકરા જમાદાર કાદરબક્ષ અને અબાબકર; તરસૂલીએથી પોતાની બહેન એમણાબૂ અને બનેવી લશ્કરાનના ત્રણ દીકરા ફકીરમામદ, દીનમામદ અને અલાદાદ; સનવાવથી જમાદાર સાહેબદાદ તથા તેનો ચૌદ વરસનો દીકરો ગુલમહમદ, પોતાના પાંચ દીકરા વજીરમામદ, અબ્દરહેમાન; મહમ્મદ, અબ્દલા અને ઈસ્માઈલ; પોતાનો સગો ભાઈ વલીમહમદ તથા તેનો દીકરો ઉમર અને હુસેનભાઈ નામનો એક બુઢ્ઢો સાથી. એ આખા દાયરાને અલીમહમદે પ્રથમથી માંડીને વાત કરીઃ

“મારા ભાઈ-બેટાઓ, મકરાણીઓની ઈજ્જત આજ ઊતરી ગઈ છે. ઘણા ઘણા ઊતરતા ખવાસના બલોચોએ આંહીં કાઠિયાવાડમાં આવી પેટને ખાતર ખૂટલાઈનો સિક્કો બેસારેલ છે. પણ આપણે તો રિન્દ-બલોચ. આપણે મૂળથી જ ગરાસદાર. આપણે આજ ‘મકરાણી’ નામનો બટ્ટો ધોવાની વેળા આવી છે.”

“એવડું બધું શું થયું છે ?”

“આપણા માંહેલાની જ ખટપટથી નવાબ સરકારના અમલદારો આપણા પર કોપાણા છે. મને કાલે હરિદાસ દીવાને વેરાવળ મુકામે તેડાવેલો. પૂછ્યું કે હથિયાર કેમ રાખો છો ? સરકારી અમલદારોને ગામમાં કેમ આવવા દેતા નથી ?

“મેં કહ્યું કે ‘સાહેબ, એવું કાંઈ જ નથી.’”

ડાહ્યા, ધીરા અને ગરવા મોંવાળા કાદરબક્ષે અદબથી કહ્યું, “બડાભાઈ! એ વાત તો સાચી છે. તે દિવસે આપણા બનેવી લશ્કરાન સાથે કજિયો થયો. તેની તપાસ કરવા આસિસ્ટંટ પોલીસ ઉપરી હોરમસજી કોઠાવાળા આવ્યા. તેને આપણે ઇણાજમાં ક્યાં આવવા દીધા હતા ? ગામને ઝાંપે આપણે ભરીબંદૂકે વિલાયતીઓનો પહેરો બેસાર્યો હતો.”

અલીમહમદે ખામોશીએ કહ્યું, “તમારી એ વાત સાચી છે, ભાઈ કાદરબક્ષ ! આપણી એ કસૂર થઈ કહેવાય. પણ મારા ગામમાં વળી પોલીસ કેવી, એ જીદ ઉપર હું દોરાઈ ગયો હતો. ખેર ! પણ હવે તો મને દીવાને હુકમ દીધો છે કે ‘કાલ સવાર સુધીમાં હથિયાર છોડી દ્યો, અને ઇણાજ ગામ ખાલી કરો. તમને સરકાર બીજું ગામ ખાવા આપશે.’ હું જવાબ દઈને આવતો રહ્યો છું કે ‘મારા ભાઈઓને પૂછીને કહેવા આવીશ.’૧ મને ચેતવણી આપેલી છે કે ‘કાલ સવાર સુધીમાં હા-નાનો જવાબ લઈ વેરાવળ નહિ આવી પહોંચો તો ઇણાજને ફૂંકી દેવા ફોજ મોકલશું.’ હવે બલો ભાઈ, હથિયાર અને ઇણાજ છોડવાની હા કહેતા હો તો હજી વખત છે. તમે વેરાવળ જઈ પહોંચો.”

૧ કહેવાય છે કે અલીમહમદ વેરાવળ અને પ્રભાસપાટણમાં પોતાનાં સગાંસાંઈ અને દોસ્ત આશનાને છેલ્લી વાર ભેટી લઈને જ ઇણાજ આવેલ હતા ને ત્યાં રાતે દાલ-પુલાવ રાંધી, દીકરા-દીકરીઓનાં લગ્ન કર્યાં હતાં. અને જાફરાન (કેસર) છાંટી લીધું હતું.

“તમારી ખુદની શી મતલબ છે, બડા ભાઈ ?”

“હું તો હથિયાર નહિ છોડી શકું. હથિયાર તો મને મારા જાનથી જ્યાદે પ્યારાં છે. એટલે હું આંહીં ઘરઆંગણે બેઠો બેઠો મારી ઈજ્જત માટે મરીશ.”

“અમે પણ સાથે મરશું,” સહુએ જવાબ દીધો.

“તમને કાંઈ કહેતો નથી, ભાઈ ! મારે આંહીં લડાઈ કરવી નથી. મારે જૂનાગઢ જીતવું નથી. મારે તો ઇજ્જત માટે મરવું છે. તમારાં બાળબચ્ચાં વાસ્તે તમે ખુશીથી જીવો.”

“મોટાભાઈ !” કાદરબક્ષની આંખોમાં પાણી આવી ગયાં, “આજ સુધી હું તમને સહુને વારતો આવ્યો છું. તમારી બધાની ગરમીને ઠંડી પાડવા મહેનત કરતો આવ્યો છું. તમે બધા મને પોચો ને કમજોર કહેતા. ખેર ! મારા એ દિવસો ગયા. હવે તો બાલબચ્ચાંની પરવા નથી. હવે તો હું દુઃખમાં તમારી સાથે શરીક થાઉં છું.”

“તો ભલે. હું આજ રોજું રહ્યો છું તેમ તમે પણ રહો. કુરાનના દોર કરો. હમણે ફોજ આવી સમજ્જો. ભેળા માણેકવાડાથી એજન્સીના પોલિટિકલ એજન્ટ ઇસ્કાટ સાહેબ પણ પાંચસો-સાતસોની પલટન તેમ જ તોપ લઈને આવવાના છે, માટે દિલને તૈયાર કરો.”

નાનકડા ઇણાજ ગામની અંદર તે દિવસ આવો મામલો મચેલો હતો. ગામ જાણે કબ્રસ્તાન હતું ને માણસો જાણે પ્રેતો હતા. વેરાવળમાં વાટ જોઈ જોઈને જ્યારે ઈણાજનો કોઈ આદમી કળાયો નહિ, ત્યારે ઠરાવેલે સમયે નવાબી સૈન્ય કૂચ કરી ચૂક્યું હતું. આંહીં કુરાનના દોર પઢાતા હતા, ને રસ્તા પર ફોજનાં પગલાં પડતાં હતાં. દારૂગોળો ઓરો ને ઓરો આવતો હતો.

ફોજ આવી. વેરાવળ અને ઇણાજ વચ્ચેના ‘ઊંડા કૂવા’ પાસે રોકાણી. ત્યાંથી જૂનાગઢવાળા જમાદાર નજરમહમદ તથા દિલમુરાદને અને સાથે માણેકવાડાના પ્રાંતસાહેબના એક જમાદારને, ત્રણ જણને, છેલ્લી વાર સમજૂતી કરવા ઇણાજ મોકલ્યા. ત્રણેય આવીને જમાદાર અલીમહમદ સન્મુખ ઊભા રહ્યા. ત્રણેયે બધી વાત કહી. સમજાવ્યું કે “નહિ માનો તો થોડી જ વારમાં ઇણાજ ગામ પર ચુડેલો રાસડા લેશે.” એ બધી વાત સાંભળી જમાદાર અલીમહમદ બોલ્યાઃ

“ભાઈઓ, હું માફી માગું છું. મેં જૂનાગઢનું નિમક ખાધું છે. ઇણાજ પર અમારા વડવાને નવાબ સાહેબે ચાકરી બદલ દીધું છે. મારે ઇણાજ છોડવું એ મોટી વાત નથી. પણ મારા ઉપર આવું શીદ કર્યું ? મારી ભૂલ હતી તો મને જૂનાગઢ તેડાવવો હતો. પણ હવે તો મારા ઘર ઉપર તોપ આવીને ઊભી રહી. હવે હું ખસું તો મારી ઇજ્જત જાય. હવે તો મારે મારા માલેકની તોપને વધાવી લેવી જોઈએ. મારે તો મરવું જ માંડ્યું છે. માટે આપ પધારો અને લશ્કરને ખુશીથી આંહીં લઈ આવો. હવે વાર લગાડશો નહિ. સલામ આલેકુમ !”

છેલ્લું કહેણ સાંભળીને ફોજ ફરી વાર આગળ ચાલવા લાગી. માણેકવાડનો પોલિટિકલ એજન્ટ સ્કૉટ અને જૂનાગઢના પોલીસ-ઉપરી નાગર અંબારામ સુંદરજી છાયા ધોળી માટીના ઓરિયામાં બેઠા. ફોજને આજ્ઞા દીધી કે “ઇણાજ ફરતા વીંટી વળો, પણ વગર જરૂરે કોઈ માણસને મારશો નહિ.”

ફોજે આવીને ઇણાજ ઘેર્યું. અલીમહમદ રોજો રહી, ઉપરાઉપરી બે પાયજામા પહેરી, તે ઉપર ભેટ બાંધી, તમંચો, બંદૂક, ઢાલ ને તરવાર બાજુમાં મૂકી લોબાનની ભભકતી સુગંધ વચ્ચે ઓસરીમાં બેઠો કુરાનના દોર કરે છે. પાસે નિમકહલાલ બુઢ્ઢો હુસેનભાઈ અરધી મીંચેલી આંખે કુરાને શરીફ સાંભળે છે, અને એ જ ઓસરીના ઓરડામાં પુરાઈને બીબી અમન પોતાનાં બાલબચ્ચાં સહિત નમાજ પઢે છે. મરવું મીઠું લાગે એવી ચુપકીદી મહેકી રહી છે.

અને એથી ઊલટી ચાલ ચાલતા એના તેર જુવાન સગાઓએ પાદરમાં ઓડા લઈને સામે ઊભેલી ફોજ ઉપર ગોળીઓ ચલાવવાનો આદર કર્યો.

થોડી વાર ફોજે ખામોશી પકડી. અઢીસોની સામે તેર નવજુવાન મકરાણીઓ એવા રૂડા લાગતા હતા કે ફોજ આખી જોઈ રહી. ત્યાર પછી તો તોપ ચાલી. પણ સામા તેર જણાએ પોતાની અચૂક બરકંદાજીથી એ બે પોતોના બળદોનો સોથાર વાળી નાખ્યો. ગોળીઓની ઝડી વરસી રહી છે, ત્યાં તોપ ભરવા તો શું પણ તોપની પાસે જવાયે ફોજનો કોઈ આદમી તૈયાર નહોતો. ફક્ત એક આદમી તોપખાના પાસે ઊભો હતો. એનું નામ નાયબ હાશમભાઈઃ રાજના વંશપરંપરાના તોપચી.

“જુવાનો !” તેર મકરાણી જુવાનોની અંદરનો આગેવાન વજીરમહમદ બોલ્યો, “જોજો હો, હાશમભાઈને જોખમતા નહિ. એ ભલે ઊભો. હજી એની કાચી જુવાની છે. એને નથી મારવો.”

બહાદુર હાશમ ઊભો હતો, પણ દુશ્મનો એને જાણીબૂજીને બચાવી રહ્યા છે તેની એને ખબર નહોતી.

તોપો ભરાતી નથી કે નથી પેદલ ફોજ આગળ પગલું ભરી શકતી. ઇણાજના બરકંદાજો જાણે મંત્રી મંત્રીને બંદૂકો છોડે છે ! અને આઘેરી આંબલીની ઘટામાંથી એ કોની બંદૂક ગોળીઓનો મે’ વરસાવી રહી છે ? કોઈને ખબર પડતી નથી. કોઈ આદમી કળાતો નથી. ફક્ત ધુમાડાના ગોટા ઊઠે છે. થોડી વાર સુધી તો ફોજવાળા મૂંઝાઈને ઊભા થઈ રહ્યા. પછી તેઓએ એ ધુમાડાનું નિશાન નોંધીને એક સામટી બંદૂકોની ધાણી વહેતી કરી.

ઊભો ઊભો ગોરો સ્કૉટ સાહેબ પગ પછાડે, અંબારામભાઈ ધૂંઆપૂંઆ થાય, આગળ વધવાની આજ્ઞાઓ આપે, પણ ફોજ થીજી ગઈ હોય તેવી થઈને ઊભી રહી. આખરે બે ગાડાં ઊભાં કરીને ઠેલતા ઠેલતા તોપની પાસે લાવ્યા. અને ગાડાંની ઓથે તોપો ભરી ભરીને દાગવી શરૂ કરી. પહેલે જ ધુબાકે ગામનાં ખોરડાં ઢગલો થઈ ઢળી પડ્યાં,

બે-ચાર મકરાણી જુવાનોને પણ ઢાળી દીધા. છતાં જુવાન બેય વજીરમહમદનો મોરચો ચાલ્યે જ જાય છે. બાઈઓ બંદૂકો ભરી ભરીને દેતી જાય છે ને દાઢિયાળા તાશીરો દીધ્યે આવે છે. કોઈ પણ ઈલાજે રાત પાડી દેવી એ મકરાણીઓની નેમ હતી. ને જો રાત પડી હોત તો મકરાણીઓને નવી મદદ આવી પહોંચતાં ભયંકર સંગ્રામ મંડાયો હોત એ ચોક્કસ વાત છે.

તોપો જ્યારે ફરી વાર વહેતી થઈ અને ગાડા આડે ગોળીઓની કારી ફાવી નહિ, ત્યારે એ તેર જણાના ડાહ્યા જણ કાદરબક્ષે નવેસર વિચાર કર્યો કે ‘હવે નહિ પહોંચાય, અને કનડે ડુંગરે જેમ મહિયા મૂઆ તેમ જો આંહીં ભીંત હેઠળ ભરાઈને મરશું તો લોકો મકરાણીઓની બદબોઈ કરશે. માટે હવે નીકળી જઈએ.’

કાદરબક્ષ પાછો વળ્યો. જમાદાર અલીમહમદની પાસે આવીને એણે આ વિચાર કહી સંભળાવ્યો. અલીમહમદે જવાબ વાળ્યોઃ

“ભાઈ કાદરબક્ષ ! હું તમને કંઈ જ નથી કહેતો. નિમકહરામ થઈને આપણી સરકાર સામે થવાનું કે વસ્તીને પીડવાનું તમને કહેતો નથી. હું પોતે તો આંહીં કરવા માગું છું. તમે તો તમારા દિલમાં ખુદા જે કહેતો હોય તે જ કરજો !”

કાદરબક્ષ બહારવટાનાં પગલાં ભરી બીજી બાજુથી ગામ છોડવા નીકળ્યો. ભેળા એના બીજા બધા પિત્રાઈઓ પણ નીકળ્યા; માત્ર અલીમહમદના બે દીકરાઓ વજીરમહમદ અને અબ્દરહેમાને કાદરબક્ષની સાથે જવા ના પાડી કહ્યું કે “બાપુને છોડીને અમે નહિ આવીએ. અમે પણ આંહીં જ મરી મટશું.”

કાદરબક્ષ નીકળી ગયો. પાદરને ઝાંપે મકરાણીઓના મોરચા તૂટી પડ્યા. ફોજ અંદર ઘૂસી. અલીમહમદની ડેલી પાસે પહોંચી. બંદૂકોની તાળી પડે છે અને તોપના ગોળા ગાજે છે; તે સાંભળતો સાંભળતો અલીમહમદ કુરાનના દોર કરવામાં તલ્લીન છે.

જ્યારે ફોજ લગોલગ આવવા લાગી ત્યારે એક અકસ્માત બન્યો. વજીરમહમદના મોરચા સામે ઊભા રહીને કોઈ હલકટ ગુલમેંદી સવારે એને ખરાબ ગાળો કાઢી. ગાળો સાંભળતાં જ રિન્દ-બલોચ વજીરમહમદનું લોહી ઊકળી આવ્યું. કોણ જાણે શા કારણથી એણે પોતાની બંદૂક ઓટલા ઉપર પછાડી ભાંગી નાખી અને ‘યા અલી, મદદ !’ કરી, તરવાર ખેંચી, ઓટા ઉપરથી એણે ઠેકડો માર્યો. દોડીને એણે ગાળ કાઢનાર સવારને તો ઠાર કર્યો, પણ ત્યાં તો એના શરીર ઉપર ગોળીઓનો મે’ વરસી ગયો. વજીરમહમદ ઢળી પડ્યો.

મોટાભાઈને પડતો દેખી ચૌદ-પંદર વરસનો નાનો ભાઈ અબ્દરહેમાન તરવાર ખેંચી દોડ્યો. અને પોતાના હાથનું કાંડું ઝાટકા વડે કપાઈને લટકી પડ્યું ત્યાં સુધી એ ઝૂઝ્‌યો. એ પણ પડ્યો. મકરાણીના મોરચા તૂટ્યા. ગામના ખોરડાં સળગ્યાં. લાખેણા જુવાનો ઊભા ઊભા ભાંગી ગયા, પણ તસુયે હટ્યા નહિ.

થોડી વાર થઈ અને એક જખ્મી મકરાણી પેટ પર કપડું વીંટી લથડિયાં લેતો ઓસરીએ આવ્યોઃ અલીમહમદને ખબર દીધાઃ “બાપ, વજીરમહમદ કામ આવી ગયા ને અબ્દરહેમાન જખ્મી થઈને બેહોશ પડ્યા છે.”

અલીમહમદે ખામોશીથી ખબર સાંભળ્યા. એણે પોતાના દિલને જરા પણ ઉશ્કેરાવા ન દીધું. ધીરે હાથે કુરાન બંધ કરી અદબથી એક તરફ મૂક્યું. જખ્મી અબ્દરહેમાનનું શરીર આવી પહોંચ્યું. તેને બીબી અમનવાળા ઓરડામાં ઢોલિયા પર પોઢાડ્યું ને પછી પોતે ઊભા થઈ હમેલ અને તરવાર બાંધી, ભેટ વાળીને જમૈયો નાખ્યો, તમંચો કમર પર બાંધ્યો, હાથમાં મોટી બંદૂક લીધી. લઈને ધીરે પગલે બીબી અમન પાસે આવ્યો. આટલું જ બોલ્યો, “ખુદા હાફેઝ ! હમારા ગુન્હા માફ કરના ! રંજ નહિ કરના ! રોજ હશરકે રોજ ખુદા મિલાએગા જબ મિલેંગે. ખુદાકી યાદ કરના.”

એટલું કહીને બાલબચ્ચાંને ગોદમાં દાબ્યાં. બચ્ચી દીધી. બીબી અમનને છેલ્લી સલામ કહી એ પાછો વળ્યો. બરાબર ફોજની સામે જ ચાલ્યો. પછવાડે બુઢ્ઢા હુસેન બંધાણી પણ તરવાર લઈને અલીમહમદના ઓછાયા રૂપ બની ચાલ્યા.

“હુશિયાર !” એટલો જ શબ્દ એણે ફોજની સામે જઈને કહ્યો. બંદૂક ઉપાડી છાતીએ ચડાવીને છોડી. ગોળી ફોજમાં જઈને ચોંટી. બડામિયાં નામે માણસને પાડ્યો. બસ, અલી મહમદે બંદૂક ફેંકી દીધી.

પછી તમંચો ખેંચ્યો. છોડ્યો. મકરાણી મોલીસ હવાલદાર દોસ્તમહમદને પાડ્યો. બસ, તમંચો પણ ફેંકી દીધો.

છેલ્લી એણે તરવાર ખેંચી. ફોજને પડકારી, સામે દોટ દીધી. સામેથી ચાલીસ-પચાસ બંદૂકોની ગોળીઓ છૂટી. સાવજ પડ્યો. પણ પડતી વેળા એનો હાથ જમૈયા પર હતો અને એના હોઠમાં કંઈક શબ્દો ફફડતા હતા.

એને વેરાવળના કબ્રસ્તાનમાં દફનાવેલ છે.

સાંજ પડવા માંડી હતી ત્યાં જ બધું પૂરું થઈ ગયું. મરેલાંઓની લાશો ગોતાવા લાગી. લાશો ગોતતાં ગોતતાં કોઈનું ધ્યાન આંબલીના ઝાડ માથે ગયું. ત્યાં ઊંચી ઊંચી ડાળ્યે એક લોથ લટકતી હતી. લોથ નીચે ઉતરાવી. ઓળખાયોઃ આ તો ઇણાજનો મકરાણી જુવાન દીનારઃ ઓલ્યો આંબલીની ઘટામાંથી સવારથી સાંજ સુધી ગોળીઓના મે વરસાવનારોઃ આંબલીની ડાળ સાથે ફેંટાથી પોતાનું શરીર બાંધીને એ લડેલો લાગ્યો. એના પેટ, પેડુ અને છાતીમાં એવા જખ્મો હતા. અને દરેક જખ્મના ખાડામાં લૂગડાંના કકડાના ગાભા ખોસેલા નીકળ્યા. એ ચીથરાં એના પોતાના જ કપડામંથી ફાડેલાં હતાં. શું એ શૂરો જુવાન ગોળીઓ ખાતો ખાતો જખ્મોમાં ગાભા ભરી ભરી તે ઉપર ભેટ કસકસાવીને આંબલીને ઝાડેથી દી આથમ્ય સુધી લડતો હતો ! શું છેલ્લી ગોળી અને છેલ્લો દમ ખૂટ્યાં ત્યાં સુધી આ જુવાન ઝૂઝ્‌યો હતો ! દેસાઈ હરભાઈ કહેતા કે “મેં જ્યારે એની કમર છડાવી ત્યારે તૂર્ત જ એના આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં ને અમલદારો ‘આફરીન ! આફરીન !’ કરતા ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા.”

આ દીનાર એકલો આંહીં આંબલી ઉપર ક્યાંથી ? વહેલો ઊઠીને એ તો સીમમાં આંટો દેવા ગયેલો. પણ પાછો વળે તે પહેલાં તો ફોજ આવી પહોંચેલી. દીનાર ગામમાં ન જઈ શક્યો એટલે આંબલી પર ચડીને એકલે હાથે લડ્યો.

ઘાયલ થઈને ઘરમાં પડેલા જુવાન અબ્દરહેમાનની લોંઠકાઈ પણ ક્યાં ઓછી હતી ? એનું કાંડું લબડી પડ્યું હતું. દાક્તર એને તપાસવા આવ્યા. તપાસીને દાક્તરે કહ્યું કે “ધોરી નસો કપાઈને સામસામેની ચામડીનાં પડોમાં પેસી ગઈ છે. તેથી શીશી સુંઘાડવી પડશે.” બાળકે હાથ લાંબો કર્યો અને કહ્યું, “મલમપટ્ટા બાંધના યાદ હૈ, તો બાંધો, ખટખટ મત કરો ! શીશી નહિ મંગતા !” ને જ્યારે દાક્તરે એ તૂટેલી નસોના છેડા ચીપિયાથી ખેંચીને બાંધ્યા ત્યારે આ ચૌદ વરસના બાળકે સિસકારોય નહોતો કર્યો.૧

૧ ઇણાજની લડાઈમાં અવલથી આખર સુધી હાજર રહેનાર દેસાઈી હરભાઈ પોતાનાં છોકરાં ગૂમડાં ફોડાવતાં પણ રુએ ત્યારે આ કથા કહી તેઓને છાનાં રાખતાં.

આજે એ અબ્દરહેમાન અંગ્રેજી ભાષા જાણે છે. ગામડામાં બેસી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનાં ગૂઢ તત્ત્વોનો અભ્યાસ કરે છે. જુઓ તો જણાય જ નહીં કે આ એ જ અબ્દરહેમાન. તેની સાથેનો બીજો વીર બાલક ગુલમહમદ સનવાવવાળો. એણે આ ધીંગાણામાં શો ભાગ ભજવ્યો તે તો ખબર પડતી નથી, પણ એ બન્નેએ જેલમાં બેસી જન્મકેદ રહ્યો રહ્યો અનેક કેદીઓને સુધાર્યા, માર્ગે ચડાવ્યા, ને આખરે જે દિવસ તેઓની પણ બેડીઓ તૂટી, તે દિવસ આખી કાઠિયાવાડ રાજી થયેલ.

રાત પડી, પણ ગામનો કબજો સાચવવા કોઈ કબૂલ થતું નથી. આખરે જગતસિંહ કરીને એક શીખ સિપાઈ અને એની હિંમ્મતે બે બીજા મળીને રાત રહ્યા. ઇણાજ ગામ પર લશ્કરી પહેરો બેઠો. કાદુ, અલાદાદ, દીનમહમદ, ફકીરમહમદ અને કાજી વિલાયતી, એમ પાંચ જણા રાતના અંધારામાં પાછા આવ્યા અને ઓરડામાં પૂરેલાં બીબી અમનને બાળબચ્ચાં સાથે બહાર કાઢી ચાલ્યા ગયા.

સંવત ૧૯૩૯ના ભાદરવા સુદ ચોથના રોજ આ ધિંગાણું ખતમ થયું અને કાદુનું બહારવટું શરૂ થયું.

ર. કાદરબક્ષ બહારવટે

ઇણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે, મર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમ જ બિનજખ્મી, તમામ કેદમાં પુરાયા, પણ કાદરબક્ષ, અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલામહમદ તો હાથમાંથી છટકી ગયા છે. ત્યાં સુધી રાજને જંપ નથી. નાના નોકરો એ પાંચેયનો ઘડો લાડવો કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે.

દીવાન હરિદાસ પ્રભાસપાટણ આવ્યા. પાંચ મકરાણીઓને ઝાલવા વિષે પોલીસ અમલદારનો મત પૂછ્યો. પરદેશી અમલદારે ભૂલ ખાઈને રસ્તો બતાવ્યો કે “એનાં ઓરત-બચ્ચાંને પકડી લઈએ, એટલે એને રોટલા મળતા અટકશે ને આપોઆપ શરણે આવશે.”

આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ. હોંશીલા દીવાને હુકમ છોડ્યો કે “રસાલાના બે સવાર અમરાપર મોકલો. તે એ લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવે.”

સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમ જ કાંટિયા વર્ણના માણસોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દીવાનને પડખે પ્રભાસપાટણવાળા ખાનબહાદુર સૌયદ અલવી અલ એદ્રુસ, જેણે વાઘેરોના બહારવટામાં ભારી ત્રાસ ફેલાવેલો, બેઠેલા. એણે ઉઘાડા ઊઠીને કહ્યું, “રાવસાહેબ, આ આપ વિપરીત વાત કરો છો હો ! આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી. થવાનું હતું તે થઈ ગયું. તેમનું સત્યાનાશ વળ્યું. સિપાહીના દીકરા છે, પણ ચુપ બેઠા છે. અને ઈન્શાલ્લાહ, થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે. માટે, રાવસાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય.”

“ના ના, ખાનબહાદુર !” દીવાને ટાઢોબોળ જવાબ દીધો, “એમ કર્યા વગર છુટકારો નથી.”

આટલી વાત થાય છે ત્યાં રસાલાના બે જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઊભા રહ્યા. એની સામે આંગળી ચીંધીને ખાનબહાદુર અલવીએ દર્દભર્યે અવાજે દીવાનને કહ્યું કે “રાવસાહેબ, તો પછી આ બે છોકરાઓની મૈયતની પણ તૈયારી રાખજો અને ગિસ્તોની ભરતી પણ કરવા માંડજો ! કેમ કે હવે આપ સૂતા સાપ જગાડો છો.”

દીવાન હરિદાસ સહેજ હસ્યા. સવારો સલામ કરી ચાલતા થયા. કચેરી સૂમસામ બેઠી રહી.

અમરાપર ગામની નજીક બીજ અને અજોઠા ગામની પડખે એક કાદાની અંદર કાદરબક્ષ બેઠો છે. બપોરનો સૂરજ સળગે છે. કાદુ પોતાના તકદીર પર વિચાર ચલાવે છે. ગઈકાલનો શાહુકાર આજે ચોર બન્યો હતો. કાદરબક્ષ તો અમરાપરનો ખેડુ હતો, પસાયતો હતો. એ બહાદુરે સાવજનાં બે જીવતાં બચ્ચાં ઝાલીને નવાબને ભેટ કરેલાં, તેના બદલામાં નવાબે એને અમરાપરમાં બે સાંતી (ચાલીસ એકર) જમીન એનાયત કરેલી તે પોતે ખેડાવી ખાતો. એ અભણ જમાનામાં પોતે ભણેલોઃ મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણેઃ એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી. એની અદબમરજાદ એક અમીરજાદાને શોભે તેવીઃ નીતિ અને નિમકહલાલીને રંગે પૂરેપૂરો રંગાયેલોઃ અને ઇણાજવાળા સગાઓને હમેશાં ખામોશના બોલ કહેનારોઃ એવો સુલેહસંપીને ચાલનારો કાદરબક્ષ, વાઘેર દાયરામાં જોધા માણેકની માફક, આ ઈણાજના મકરાણી દાયરામાં અળખામણો થઈ પડેલો. એના ભાઈઓ એને કમજોર કહીતે ટોણાં દેતા. એ જ કાદુએ પોતાની મતલબ નહોતી છતાં આજ ભાઈઓના દુઃખમાં ભાગ લઈ પોતાનું સત્યાનાશ વહોરી લીધું હતું.

એકલો બેસીને શાણો આદમી વિચાર કરતો હતો કે હવે શું કરવું? નિમકહરામ થઈને જૂનાગઢ સામે લડી મરવું કે મકરાણમાં ઊતરી જવું ? મરીને શું કમાવું છે ? નામોશો ! અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે ?

બરાબર તે વખતે અબાબકરની નાની દીકરી ભાત લઈને આવી. ભાત પીરસીને એણે કાદુને કહ્યું, “કાકાબાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો.”

“કેમ, બચ્ચા ?” કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું.

“નવાબ સાહેબની ફોજ આવી છે, અને અમને બધાંને લઈ જાય છે.”

“તમને બધાંને એટલે કોને ?” કાદુ ટાંપી રહ્યો.

“મોટી અમ્માને, મારી માને, મારી કાકીને, ભાઈને, તમામને.”

“ઓરતોને ? બચ્ચાંને ? ગુનો તો અમે કર્યો છે, તો પછી તમને બેગુનાહોને શા માટે લઈ જાય છે ?”

કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે !

છોકરી કાકાબાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી. અમરાપરાની બે સાંતી જમીન ખેડનાર ખેડુ એ સળગતા બપોરની માફક ભીરતમાં સળગી ઊઠી ખૂની બનતો હતો.

“બેટી ! ભાત પાછું લઈ જા !” એમ કહીને કાદુએ એઠો હાથ ધોઈ નાખ્યો, ખાધું નહીં.

પ્રભાસપાટણની આ બાજુ ભાલપરું ગામ છે. એ ભાલપરાની નદીના ભેકડામાં બંદૂક ભરીને બેસી ગયો. બરાબર નમતી સાંજરે એણે અમરાપરને કેડેથી એક ગાડું જતું જોયું. ગાડાના ધોળિયા બળદની જોડ પણ ઓળખી. પાછળ બે રસાલા-સવારો પણ ચોકી કરતા જાય છે. ખાતરી થઈ ચૂકીઃ એ તો એ જ.

નાળ્ય નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો.૧ એક ગોળી ને એક સવાર ઊપડ્યો. બીજી ગોળી ને બીજો પટકાયો.

૧ બીજા પક્ષનું કહેવું એમ છે કે કાદુએ આડા ફરી, સામા જઈ સમજાવી પડકારી, સામી છાતીએ ધિંગાણું કરેલું.

અસવારને પડતા દેખીને કાદુએ હડી કાઢી. બેમાંથી પહેલાના શરીર માથે જઈને જુએ ત્યાં જુવાન ઓળાખયોઃ એ હતો બડામિયાં સૈયદઃ હજુ જીવતો હતો. કાદુ એના શરીર પાસે બેઠો, એના હાથ વાંદ્યા અને આજીજી કરી કહ્યું, “બડામિયાં, તું સૈયદ. મેં તાોર જાન લીધો. પણ હું શું કરું ? મારાં બાલબચ્ચાંને આમ બેગુના કેદી બનતાં મારાથી ન જોઈ શકાણાં. હવે ભાઈ, તું મને માફ કરી શકીશ ?”

છેલ્લા દમ ખેંચતો બડામિયાં બોલ્યો, “ભાઈ કાદરબક્ષ, તમને માફી છે. તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે ? એ તો મુકદ્દર !” એટલું કહીને સૈયદે શ્વાસ છોડ્યા.

પછી કાદુ બીજા સવારના શરીર પાસે ગયો. એને પણ ઓળખ્યો. પોતાના નાતાવાળો જુવાન કબીરખાં ! પણ માફામાફીની ઘડી તો ચાલી ગઈ હતી. કબીરખાંનો જીવ ક્યારનોયે નીકળી ગયો હતો.

રૂપાળી નીલુડી નાઘેરઃ એથીયે રૂપાળો સરસ્વતી નદીનો એ કાંઠોઃ મહારાજ મેર બેસવાની રૂપાળી વેળાઃ સરસ્વતીનાં નીર ઉપર ચંપાવરણી તડકી રમી રહી છેઃ એવે ટાણે,પ દોસ્તોને જ્યાફત દેવા જેવી એ જગ્યાએ, એક સૈયદને અને એક ભાઈબંધને ઢાળી દઈ એની લાશો ઉપર કાદુ ઊભો છે. રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે. આપદા અને શરમને ભારે કાદુનો ચહેરો નીચે ઢળે છે. જાણે કે એની શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે.

બાલબચ્ચાંને તેડી બહારવટિયો અમરાપરમાં આવ્યો. ત્યાંથી બધાંને ઘોડા પર બેસારી બરડામાં ઉતાર્યાં. તે પછી, કહેવાય છે કે કોડીનાર પાસે મૂળદ્વારકાથી મછવામાં બેસારી બચ્ચાંને મકરાણ ભેગાં કરી દીધાં એના દિલનું ઊંડામાં ઊંડું ખુન્નસ ઊછળી આવ્યું હતું. ભેળા પાંચ ભાઈ-ભત્રીજાનો સાથ હતો. વેર લેવા જતાં એણે વિવેકને વિસારી દીધો.

“એક દિવસમાં એક ગામ ભાંગે તો સમજ્જો કે સાધુએ ભાંગ્યું ! અને ત્રણ ગામ ભાંગે તો કાદુએ ભાંગ્યાં સમજ્જો !”

એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રૈયતને રંજાડવા નીકળી પડ્યો. પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર છે; અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ છે; સનવાવવાળા જમાદાર સાહેબદાદનો બારચૌદ વરસનો દીકરો ગુલમામદ છે, બે સીદી છે ને બાકી ખાટસવાદિયા ભળ્યા છે. સાદાં લૂગડાં પહેરે છે, બીજા બહારવટિયાની માફક વરરાજાનો વેશ નથી ધર્યો. ભેળો નેજો પણ નથી રાખ્યો. ખંભે બંદૂક લઈને પગપાળો જ ચાલે છે. ઊંટ, ઘોડું કાંઈ રાખતા નથી. રોજ પાંચ વખત કાદુ નમાઝ પઢે છે. અને સાથોસાથ ગામ ભાંગી જુલમ વર્તાવે છે. રોજ ત્રણ-ત્રણ ગામડાં ઉપર પડતો ત્રીસ-ત્રીસ ગાઉની મજલ ખેંચે છે. આસપાસના ગામેતીઓ, તાલુકાદારો, મકરાણીઓ વગેરે એને ઉતારા આપે છે. એની પાછળ જૂનાગઢે અને એજન્સીએ પોતાની બધી શક્તિ રોકી દીધી છે. બહારવટિયાનાં માથાનાં ઈનામ જાહેર થયાં છેઃ કાદુ અને અબાબકરના એક્કેક હજાર રૂપિયાઃ દીનમામદ અને અલાદાદના પાંચસો-પાંચસોઃ બે સીદીઓના પણ પાંચસો-પાંચસો, એમ પણ કહેવાય છે કે કાદુના માથા માટે વીસ સાંતી જમીનનું ઈનામ નીકળેલું.

રાતના દસ બજ્યાની વેળા થઈ હશે. ગામડિયા લોકોની અંદર સોપો પડી ગયો હતો. ગીરના માતબર મહાલ ઉના મહાલનું તડ નામે અંધારિયું ગામઃ ઝાઝા ચોકિયાત ન મળે કે ન મળે પૂરા હથિયાર. એમાં કાદુ પડ્યો. એ તો હતો નાણાંની ભીડમાં. એટલે પહોંચ્યો વાણિયાના ઘર ઉપર. મૂછાળા તો ક્યારનાયે પાછલી વાડ્ય ઠેકીને ભાગી ગયા હતા. ઘરમાં ફક્ત એક પરણેલી દીકરી હતી, ને દીવાને ઝાંખે અજવાળે એનાં અંગ ઉપર પીળું ધમરખ સોનું ચળકતું હતું.

કાદરબક્ષ ઓસરીમો ઊભો રહ્યો. બીજા અંદર ગયા છે. ઘર લૂંટાય છે. એમાં એકાએક બાઈએ ચીસ પાડી ને કાદુની નજર ખેંચાણી. તુર્ત એણે ભયંકર અવાજ દીધો “હો વલાતી ! ખબરદાર !”

એક સંગાથીએ એ એકલવાયી વણિક-કન્યાનો હાથ ઝાલ્યો હતો. બહારવટિયે એને ‘હો વલાતી !’ એટલે કે ‘ઓ મકરાણી !’ કહી બોલાવ્યો કેમ કે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તેનો ભેદ બહાર ન પડી જવો જોઈએ.

કાદુ ઘરના બારણા પર ધસ્યો ને એણે સોબતીને હુકમ કર્યો કે “બહાર આવ !”

ભોંઠો પડેલો સાથી બહાર નીકળ્યો. બહારવટિયાની સામે ઊભો રહ્યો.

“બેટા, ડરીશ ના ! તારું ઘર નહિ લૂંટીએ. તું તારે ચાલી જા !”

એટલો દિલાસો એ એકલ ઓરતને આપીને કાદુ ગુનેગાર તરફ કરડો થયો. એની નજર અપરાધીના હૈયા સોંસરી જાણે ઊતરતી હતી. “ચાલો ગામ બહાર !” કહીને એણે સાથીને મોઢા આગળ કર્યો, પોતે ફરી વાર ઓરડામાં જોયું. દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઊભી હતી. એ ઘર લૂંટ્યા વિના બહાર નીકળી ગયા. ગામ બહાર જઈને એણે એ અપરાધી ખાટસવાદિયા સામે કરડી આંખો કાઢી કહ્યું, “બહારવટાની અંદર કાદરબક્ષ નાની એટલીને દીકરી, બરોબરની એટલીને બહેન, એન મોટેરી એટલીને મા ગણી ચાલે છે. કાદરબક્ષ એક પાક મુસલમાન છે. એની સાથે તારા જેવા હેવાન ન ચાલી શકે. હું તને ઠાર કરત. એક પલ પણ વાર ન લગાડત. પણ તારી લાશ આંહીં પડી ન રખાય, અમારે ઉપાડવી પડે, માટે જ હું તને નથી મારી શકતો એટલો અફસોસ કરું છું. ચાલ્યો જા ! લે તારી ખરચીના પૈસા !”

પૈસા આપીને તે જ પળે એને રવાના કર્યો.

દિવસ આથમવા ટાણે કાદુ ગીરના માતબર ગામ ગઢવા ઉપર આવ્યો. ચંદ્રનું ગ્રહણ હતું. થાણાનો પુરબિયા જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નાહવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું. દફેદારે બહારવટિયાને પડકાર્યા કે “કોન તુમ ?”

કાદુએ જવાબ આપ્યો, “હમ ગિસ્તવાલા. જલદી બંદોબસ્ત કરો.”

એમ ખોટું બોલી, શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો. સંત્રી વાલમસિંહને પણ ઠાર કર્યો. ત્રણ વાણિયા ને એક ખોજો, ચારેયને લૂંટી ચાલ્યો ગયો.

ઉબા ઉપર પડ્યા. ત્યાંનો પટેલ ગિસ્તની સાથે બહુ હળતોભળતો રહી કાદુની બાતમી દેતો. એનું નાક કાપ્યું.

હસનાપુર ભાંગ્યું. ત્યાંના સંધી તૈયબને પકડીને હાજર કર્યોઃ કહ્યું, “તૈયબડા, તું સીમાડાની તકરારો કરવા બહુ આવતો. તને સીમાડા દોરવા વહાલા હતા. લે, આ સીમાડા દોરવાનો તારો શોખ અમે પૂરો કરીએ.”

એમ કહીને તૈયબના પેટ ઉપર તરવારની પીંછીથી ચરકા કરી, સીમાડાની લીટીઓ દોરી.

સવની, ઈસવરિયું ને મોરાજ, ત્રણ ગામ ભાંગીને લૂંટ કરી.

પસનાવડા ભાંગ્યુ. એક બ્રાહ્મણ ભાગ્યો, તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર. લોઢવાનો આયર પટેલ એવું બોલેલો કે “કાદુ બીજે બોડકિયુંમાં ફરે છે, પણ આંહીં શીંગાળિયુંમાં નથી આવ્યો. આવે તો ભાયડાની ખબરું પડે.”

આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી.

“ઓહો ! પટેલ સામે ચાલીને તેડાં મોકલે છે, ત્યારે તો ચાલો, ભાઈ!”

એટલું કહીને કાદર ચડ્યો. પટેલનું ઘર લૂંટ્યું. પટેલને બાન પકડ્યો. પકડીને કહ્યું કે “ભાગેગા તો હમ ગોલીસે ઠાર કરેગા. રહેગા તો મોજસે રખેગા.” પટેલ શાણો, એટલે સમય વર્તી ગયો. ન ભાગ્યો. એને બહારવટિયો છૂટથી રાખતો અને બરાબર રોટલા ખાવા દેતો.

લોઢવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડિયા રાજપૂતને ખોરડે પેઠો. મરદ લોકો પોબારા ગણી ગયેલ. બહારવટિયાનો ગોકીરો સાંભળીને ઘરની બાઈ ઊંઘમાંથી બેબાકળી ઊઠી. એના અંગ ઉપર લૂગડાંનું ભાન ન રહ્યું. ભાળતાં જ કાદુ પીઠ કરીને ઊભો રહ્યો. ઊભીને પાછળ થરથર ધ્રૂજતી અરધ નગ્ન ઓરતને કહ્યું, “બોન, તારાં લૂગડાંનું સાચવી લે. હું તારી અદબ કરીને ઊભો છું. બ્હીશ મા, બેટી !”

પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી. એ હલી કે ચલી ન જ શકી. અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો. કાદુ બહાર નીકળ્યો; કહેતો ગયો કે “બેટી, તારા ખોરડાનું કમાડ વાસી દે.” સાથીઓને કહ્યું કે “આ ઘર નથી લૂંટવું, ચાલો.”

એક ગામમાં પડીને કોઈ તાલેવર વેપારીનું ઘર ઘેર્યું. અધરાતને પહોર અંદરનાં માણસો ઊંઘતાં હતાં. બારીબારણાં ખેડવી શકાય તેવાં સહેલાં નહોતાં. કાદરબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો. એણે ખપેડાં ફાડીને અંદર નજર કરી. ઘસઘસાટ નીંરદમાં સ્ત્રી-પુરુષને એક સેજની અંદર સૂતેલાં દેખ્યાં. જોતાં જ પાછો ફરી ગયો.

બિયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા.

લુંબા ભાંગ્યું ને આંબલાસનાં બાન પકડ્યાં. દંડ લઈ લઈને છોડ્યાં.

સણોસરી ને નગડિયાની લૂંટ કરી લોકોને દાંડિયારાસ રમાડ્યાં. ખજૂર વહેંચ્યાં.

ગીરાસિયાઓનો પોતે આશરો પામતો હોગાથી ગીરાસિયાના ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બિનવાકેફ કાદુ જેઠસૂર વાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તરવારધારી કાઠી જુવાનને ઊભેલો જોયો. અવાજ દીધો કે

“અય જુવાન ! હથિયાર છોડી દે.”

પણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ ત્રણ વાર કહ્યું કે “જુવાન, હથિયાર છોડી દે.” પણ જુવાન જડ પથ્થર જેવો ભાન ભૂલી ઊભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂંટ. એ ટાણે વસ્તીમાંથી કોઈએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી ?”

“અરર ! આ દરબારનું ગામ ? ભૂલ થઈ,” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.

ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બોલ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન-બહાદુર અલવીના ભાઈની ગિસ્ત પર તાશીરો કરી તેને ભગાડી. ગામલોકોનાં નાકકાન કાપ્યાં.

ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યાડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી ! પોતાની ફતેહમાં મદછક બની, અને કિન્નો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં નાક-કાન કાપવાં શરૂ કર્યાં;૧ એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણાઃ

કરમરનો કાંટો કરી, હેતે માંડેલ હાટ,

એક પૈસાનાં આઠ, કાદુએ નાક જ કર્યાં.

પોતે પોતાના હાથે તો એટલો હેવાન બની શક્યો નહીં, પણ એના ખૂની અને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો.

૧ કાદુએ કરેલી નાકકાનની આ કાપાકાપીને અંગે જ જૂનાગઢના સ્વ. દાક્તર ત્રિભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી.

બાનને બહારવટિયો કેવી રૂડી રીતે રાખતો ! એક દિવસ કાદુ નદીકાંઠે નમાજ પઢે છે. ટૂંકા અને મોરૂકા વચાળે સરસ્વતી નદી ચાલી જાય છે. નમાજ પઢતો પઢતો કાદુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ ફફડાવી બોલે છે કે “હે ખુદા ! અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ. અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોજખમાં જ જવાના. પણ શું કરીએ ? દુનિયા માનતી નથી. અમારી ઇજ્જત જાય છે....”

ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાસણ ગામનો દફતરી લુવાણો પુરુષોત્તમ, કે જેને બાન પકડેલો તેને ઠાર કરેલો દીઠો. સાત દિવસથી પુરુષોત્તમ સાથે જ હોત. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું. આજ એને ઢળેલો દેખીને કાદુની આંખમાંથી દડ દડ પાણી છૂટી ગયાં ! પૂછ્યું, “આ કોણ શયતાને કર્યું ?”

અલાદાદને ચહેરે મશ વળી થઈ. “બલાદાદ, તેં આ કર્યું ? બાનને માર્યો ?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો, માથું ફોડ્યું અને કહ્યું કે “ચાલ્યો જા ! તું ને તારા બે સીદીઓ પણ.”

સાત દિવસ સુધી ત્રણેય સોબતીઓને જુદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.૧

કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવતો.

૧ એક જાણકાર આ વાત બીજી રીતે બની હોવાનું કહે છેઃ

પુરુષોત્તમ દફતરી નહીં, પણ જંગલ વહીવટદાર હેમાભાઈ અમીચંદ મોરૂકાથી સાસણ જતા હતા તેવામાં માર્ગે એને બહારવટિયાએ રોક્યા; પછી પૂછપરછ કરીને અલાદાદે એને ચાલ્યા જવા દીધા. હેમાભાઈ થોડેક ગયા હશે ત્યાં તો જાંબૂરના સીદી બાવન બોથાએ, કે જે બહારવટિયાઓ માટે ભાતું લઈને આવેલ, અલાદાદે કહ્યું કે “તમે તો એને જાવા દીધો. પણ એ તો અમારો વહીવટદાર છે. એ અમને લીલી તાપણીમાં બાળશે.” આ પરથી અલાદાદે પાછળથી બંદૂક કારી હેમાભાઈને ઠાર કર્યા. આ જાણ થતાં કાદુએ અલાદાદને ફિટકારી કાઢી મૂકેલો. કાદુ એમ કહેતો કે આવી અકારણ હિંસા તેમની નેકીને ખાઈ ગઈ.

વૈશાખ મહિનો હતો. વેરાવળના હવામહેલોમાં દરિયાની લહરીઓ હિલોળાઈ હિલોળાઈને હાલી આવતી હતી. ગોરા અમલદારોની છાવણીઓ નખાઈ ગઈ હતી. મહેલો ઉપર અંગ્રેજોના વાવટા ફડાકા મારી રહ્યા હતા. સાહેબ-મેડમોની આંખોમાં સુખનાં ઘેન ઘેરાતાં હતાં. બારીએ બારીએ સુગંધી વાળાની ટટ્ટીઓ, મેજ ઉપર ફૂલોના હારગજરા, મીઠાં શરબત અને મીઠા શરાબ એ સહુ મળીને સાહેબ લોકોને નવાબની મહેમાનદારીની મીઠપમાં ઝબકોળતાં હતાં. અંગ્રેજોની સરભરા માટે જૂનાગઢનું રજવાડું વખણાય છે.

એક દિવસ સાંજ નમતી હતી. બે ઘોડાગાડીઓ ગોધૂલિનાં અંધારાંઅજવાળાં વીંધીને પ્રભાસપાટણથી વેરાવળ પાવી આવતી હતી. ગાડીઓને બન્ને પડખે રાતા દીવા અંગ્રેજોની રાતી આંખો જેવા ઝગતા હતા. બરાબર હાજી માંગરોળીશા પીરની જગ્યા પાસેથી પહેલી ગાડી ચાલી ગઈ. અંદર એક ગોરો ને એક મડમ બેઠાં હોય તેવું દેખાતું હતું. એ ગાડી ગઈ એની પાછળ બીજી ગાડી નીકળી. નીકળતાં જ હાજી માંગરોળીશાની જગ્યાની આથમણી દિશા ભાઠોડમાંથી એક આદમી ઊઠ્યો. “ખડા રખો !” એક કારમી ત્રાડ દીધી તરાપ મારીને એ પડછંદ આદમી, કબરમાંથી ઊઠેલા પ્રેત જેવો, ગાડીની પગથી પર ચડી આવ્યો. બંદૂક તાકી; ઘોડો દબાવે એટલી વાર હતી. ત્રાડ દીધી કે “લેતો જા, શયતાન ઈસ્કાટ સાબ ! ઇણાજ પર તોપ ચલાનેવાલા ! હમ જમાદાર કાદરબક્ષ.”

દરમિયાન ગાડીના ભડકેલા ઘોડાઓથી લગામો પર પાંચ બુકાનીદારો ચોંટી પડ્યા હતા.

“હમ ઇસ્કાટ નહિ, હમ -” ગાડીમાં એક મડમની જોડાજોડ બેઠેલો ગોરો પુકારી ઊઠ્યો.

“તુમ કોન ?” બહારવટિયાએ પૂછ્યું.

“જેક્સન સાબ - ધારી પલ્ટનવાલા.”૧

“ઇસ્કાટ સાબ કિધર ગયા ?”

“પહેલી ગાડીમેં નિકલ ગયા.”

૧ આખી ઘટનાનો એક સબળ પુરાવો છે. સને ૧૯;૦ના ‘સાંજ વર્તમાન’ પત્રના પતેતી અંકમાં સ્વ. જસ્ટિસ એફ.સી.ઓ. બીમન (મુંબઈ હાઈકોર્ટ)નો ‘રીક્લેકશન્સ ઑફ ઓલ્ડ ડેઝ ઈન કાઠિયાવાડ’. નામનો લેખ છે. તેમાં એ ન્યાયમૂર્તિ પૂર્વે પોતે કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટંટ હતા તે વખતના અનુભવો નોંધતાં લખે છે કે -ૈં જર્રેઙ્મઙ્ઘ ઙ્મૈાી ર્ં ીંઙ્મઙ્મ ર્એ ૈહ ઙ્ઘીંટ્ઠૈઙ્મ ર્રુ દ્ભટ્ઠઙ્ઘૈિ મ્ટ્ઠાજર ટ્ઠહઙ્ઘ રૈજ દ્બીહ રીઙ્મઙ્ઘ ે સ્ટ્ઠર્દ્ઘિ ત્નટ્ઠષ્ઠાર્જહ ટ્ઠહઙ્ઘ ર્ઝ્રઙ્મ. ઈઙ્મર્ઙ્મૈંર્ ક મ્ટ્ઠર્િઙ્ઘટ્ઠ હ્વીુંીીહ ઁટ્ઠંંટ્ઠહ ર્જીદ્બહટ્ઠંર ટ્ઠહઙ્ઘ ફીટ્ઠિુટ્ઠઙ્મર્ હી જેદ્બદ્બીિ ીદૃીહૈહખ્ત, ૈહ ંરી હ્વીઙ્મૈીક ંરટ્ઠં ંરીઅ ુીિી દ્ભટ્ઠંરૈટ્ઠુટ્ઠઙ્ઘ ર્ઁઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મજ ટ્ઠહઙ્ઘ કૈહઙ્ઘૈહખ્ત ંરીૈિ દ્બૈજંટ્ઠાીર્ ુેઙ્મઙ્ઘર્ હઙ્મઅ ઙ્મીં ંરીદ્બ ર્ખ્તર્ હ, સ્ટ્ઠર્દ્ઘિ ત્નટ્ઠષ્ઠાર્જહ, ર્ઙ્મૈહૈહી ૈહ ર્કદ્બિ ટ્ઠહઙ્ઘ ૈહ રીટ્ઠિં, ર્િદ્બૈજૈહખ્ત ર્ં ાીી ટ્ઠ િંઅજં ટ્ઠં ટ્ઠ ર્ઙ્મહીઙ્મઅ ઙ્મટ્ઠષ્ઠી ટ્ઠર્ૈહીંઙ્ઘ ૈહ ંરી ય્ૈિ ર્કિીજં હીટં ઙ્ઘટ્ઠઅ હ્વીટ્ઠિૈહખ્ત ર્ઝ્રર્ઙ્મહીઙ્મ મ્ટ્ઠિર્ંહ’જ ેઙ્મૈંદ્બટ્ઠેંદ્બ. દ્ભટ્ઠઙ્ઘૈિ મ્ટ્ઠાજર જૈંેઙ્મટ્ઠીંઙ્ઘ ર્કિ ટ્ઠ ર્ષ્ઠદ્બઙ્મીીં ટ્ઠદ્બહીજંઅ. મ્ેં ંરૈજ ુટ્ઠજર્ ક ર્ષ્ઠેજિીર્ ેંર્ ક ંરી ૂેીજર્ૈંહ, ટ્ઠહઙ્ઘ ૈં ર્ઙ્મરીઙ્ઘ ટ્ઠજ ંર્રેખ્તર ત્નટ્ઠર્ષ્ઠાહજ ુટ્ઠજ ર્ખ્તૈહખ્ત ઙ્ઘીઙ્મૈહ્વીટ્ઠિીંઙ્મઅ ર્ં રૈજ ઙ્ઘીટ્ઠંર ુરીહ રી જંટ્ઠિીંઙ્ઘ ટ્ઠર્ઙ્મહી ટ્ઠહઙ્ઘ ેહટ્ઠદ્બિીઙ્ઘ ર્ં ાીી રૈજ ર્િદ્બૈજી ટ્ઠહઙ્ઘ ૈહર્કદ્બિ, ંરી હ્વર્ઙ્મર્ઙ્ઘંરૈજિંઅ દ્ભટ્ઠઙ્ઘૈિ ંરટ્ઠં ંરીિી ુટ્ઠજ ર્હ ટ્ઠર્ઙ્ઘિહ ટ્ઠહઙ્ઘ ઙ્મૈંંઙ્મી ર્રીર્ ક દ્બીષ્ઠિઅ ર્કિ રૈદ્બ. ત્નટ્ઠષ્ઠાર્જહ ાીં રૈજ િંઅજં; ટ્ઠહઙ્ઘ, જંટ્ઠિહખ્તી ર્ં જટ્ઠઅ,ર્ િ ીરિટ્ઠજ ૈં ુટ્ઠજ ર્દ્બિી જંટ્ઠિહખ્તી ર્કિ ંરીજીર્ ેંઙ્મટ્ઠુજ ુર્ર ુીિી હ્વટ્ઠિદૃી દ્બીહ ંરીદ્બજીઙ્મદૃીજ ટ્ઠહઙ્ઘ ાહીુ ટ્ઠહઙ્ઘ િીજીષ્ઠીંઙ્ઘ હ્વટ્ઠિદૃીિઅ ૈહર્ ંરીજિ, ુટ્ઠજ ુીઙ્મઙ્મ ીહિંીટ્ઠીંઙ્ઘર્ ક ંરીદ્બ ટ્ઠહઙ્ઘ ટ્ઠઙ્મર્ઙ્મુીઙ્ઘ. ૈંં ુટ્ઠજર્ હ ંરૈજર્ ષ્ઠષ્ઠટ્ઠર્જૈહ ંરટ્ઠં દ્ભટ્ઠઙ્ઘૈિ ીટઙ્મટ્ઠૈહીઙ્ઘ ર્ં સ્ટ્ઠર્દ્ઘિ ત્નટ્ઠષ્ઠાર્જહ ંરટ્ઠં રૈજ ીહીદ્બૈીજ હ્વટ્ઠજીઙ્મઅ ટ્ઠજીજિીઙ્ઘ રૈદ્બ ુૈંર ુૈઙ્મકેઙ્મ ટ્ઠહઙ્ઘ ેહહીષ્ઠીજજટ્ઠિઅ ષ્ઠિેીઙ્મંઅ. ્‌િેી, રી જટ્ઠૈઙ્ઘ, ૈં રટ્ઠઙ્ઘ ર્ં ષ્ઠેંર્ કક ીટ્ઠજિ ટ્ઠહઙ્ઘ ર્હજીજ ર્ં દ્બટ્ઠાી દ્બઅજીઙ્મક કીટ્ઠિીઙ્ઘ, હ્વેં, હ્વીઙ્મૈીદૃી દ્બી, જીટ્ઠરૈહ્વ, દ્બઅ રીટ્ઠિં હ્વઙ્મીીઙ્ઘજ ુરીહ ૈં ટ્ઠદ્બ ર્કષ્ઠિીઙ્ઘ ર્ં ર્ઙ્ઘ ૈં, ટ્ઠહઙ્ઘ ૈં ુીી. ઉીઙ્મઙ્મ, ુી દ્બટ્ઠઅ હ્વીઙ્મૈીદૃી ટ્ઠજ દ્બેષ્ઠરર્ િ ટ્ઠજ ઙ્મૈંંઙ્મીર્ ક ંરટ્ઠં ટ્ઠજ ુી ઙ્મૈાી, હ્વેં દ્ભટ્ઠઙ્ઘૈિ ુટ્ઠઙ્ઘ ેહર્ઙ્ઘેહ્વીંઙ્ઘઙ્મઅ ટ્ઠહજુીટ્ઠિહ્વઙ્મી ર્કિ ર્દ્બિી ંરટ્ઠહર્ હી ેખ્તઙ્મઅ ટ્ઠંર્િષ્ઠૈંઅ ુરૈષ્ઠર ર્સ્રુટ્ઠર્ ુેઙ્મઙ્ઘ હીદૃીિ રટ્ઠદૃી જર્ંર્ીઙ્ઘ ર્ં.

“હાય ! યા અલ્લા ! હમ ગાડી ભૂલ ગયા. યે ઓરત કોન ?” હેબતાઈને થંભેલી મડમ તરફ આંગળી કરી પૂછ્યું.

“ઇસ્કાટ સા’બકી જોરુ.”

“ઓરત ! ઓરતકો હમ નહિ મારેગા. જાઓ.”

એટલું કહીને બહારવટિયો નીચે ઊતર્યો. બહાદુર અંગ્રેજ જૅક્સને એને સાદ પાડ્યો, “જમાદાર કાદરબક્ષ ! થોડીક વાત કહેવી છે, સાંભળશો?”

“બોલો સા’બ.”

“શા માટે આ ખૂનામરકી ? કોઈ રીતે સમજો !”

“જૅક્સન સા’બ, કાદરબક્ષ લોહીનો તરસ્યો નથી. મારા ગરાસચાસનું પાર પડે તો હું અત્યારે બંદૂક છોડી દઉં. નહિ તો હું ઇસ્કાટને ગોતી કાઢીને જાનથી મારીશ અને નવાબની સોના જેવી સોરઠને સળગાવી મૂકીશ.”

“બહાદુર આદમી ! તારી ખાનદાની પર હું આફરીન છું. હું પોતે જઈને નવાબ સાથે વિષ્ટિ ચલાવું છું. બોલ, કાલે ક્યાં જવાબ દેવા આવું ? ઠેકાણું આપ.”

“તું - તું ગોરો મને જવાબ દેવા આવશે ?” કાદુએ કરડાઈભર્યો તિરસ્કાર બતાવ્યો.

“હા, હું અંગ્રેજ બચ્ચો છું, માટે જ આવીશ....”

બહારવટિયો જૅક્સનના સાવજ સરખા ચહેરા સામે જોઈ રહ્યો ફરી પૂછ્યું : “એકલો ?”

“એકલો.”

“બિનહથિયારે ?”

“બિનહથિયારે.”

“આંહીંથી દોઢ ગાઉ ઉપરઃ હિરણ્ય નદીમાંઃ ચાંદ ખતાલની જગ્યા પાસે.”

એટલું કહીને બહારવટિયો અંધારી રાતની સોડ્યમાં સમાઈ ગયો. ગેબમાંથી પણ એનાં પગલાં બોલતાં હોય તેમ સ્કૉટની ભયભીત મડમ ચમકતી હતી. થોડી વારે એના જીવમાં જીવ આવ્યો. છાતીવાળો જુવાન જૅક્સન જાણે કે બહારવટિયાના મેળાપથી બેવડો હિમ્મતબાજ બન્યો. એની છાતી પહોળાતી હતી. એણે જઈ સ્કૉટને વાત સંભળાવી. પાંચ જ પગલે સ્કૉટ બચી ગયો.

બીજા દિવસની રાતઃ અંધારું ઘોરઃ અને ગીરની ખપ્પર જોગણી-શી હિરણ્ય નદીનો ભેંકાર કિનારોઃ બરાબર ઠરાવેલ ઘડીએ ધારી પલટનનો ઉપરી અંગ્રેજ જૅક્સન બિનહથિયારે, પોતાના રોજના ભેરુ એક તમંચાને પણ તજીને, એકલો આવ્યો. આવીને ઊભો રહ્યો. અંધારે અંધારે એની પાણીદાર આંખો, હીરા જેવી ચમકતી ચમકતી ઓરી ને આઘી કાદુને ગોતતી હતી - થોડી વાર આમ, તો થોડી વાર તેમ. કોઈ બેઠું બેઠું બીડી પીતું હોય તેમ તિખારા ઝગતા હતા. હવામાં ખૂણે ખૂણેથી ઝીણી સિસોટી વાગતી હતી, પણ કોઈ માનવી નહોતું. થોડી વારે ખંભે ગોબો નાખીને એક આદમી આવ્યો. જૅક્સને પડકાર્યો, “કૌન હૈ ?”

“રબારી છું, બાપા !” સામેથી જવાબ મળ્યો.

“આંહીં કોઈ સિપાઈ દેખ્યો ?”

“હા. હું એને ખબર દઉં છું. તમે આંહીં બેસો.”

રબારી ગયો. થોડી વારે રબારીનો વેશ ઉતારીને કાદરબક્ષ હાજર થયો. અવાજ દીધો કે “સલામ, જૅક્સન સા’બ !”

“સલામ તમને, કાદરબક્ષ ! હું આવ્યો તો છું, પણ માઠા ખબર લઈને. મારી બધી મહેનત ધૂળમાં મળી છે. નવાબને ઘણું સમજાવ્યા, મુંબઈ સરકારની મારફત સમજાવ્યા, પણ નવાબ કહે છે કે મારી રિયાસતમાં પાંચ કોમો પડી છેઃ મકરાણી, મહિયા, લાઠી, આહીર અને હાટી. હું પોચો થાઉં તો મને જૂનાગઢનો ગરાસ અને પાંચેય કોમો ખાવા જ ન આપે. માટે હું તો કાદુને જેર કરવાનો.”

“જૅક્સન સા’બ ! આવો જવાબ આપવા આવવાની તમે હિંમત કરી?”

“કેમ નહિ ! મેં તને કોલ આપ્યો હતો.”

“એકલા આવવાની હિંમત કરી ?”

“એમાં શું ? તું સાચો મર્દ છે તે ઓળખાણ તે દિવસની સાંજે જ થઈ ચૂકી હતી. તારા પર મને ઇતબાર હતો.”

“હજાર આફરીન છે તમને, સાહેબ. પણ બોલો, હવે મારે શું કરવું?”

“તારી ખુશી હોય તે કરજે. મારું દિલ તો એટલું દુભાયું છે કે મારા ધારી પરગણામાં તો તારી પાછળ ફરવા આવનારી નવાબી ગિસ્તને કોઈ શેર આપો પણ વેચાતો નહીં આપે એટલું હું તને કહી દઉં છું. મારા છેલ્લા સલામ, કાદરબક્ષ !”

“સલામ, જૅક્સન સા’બ !”

રામજાનના દિવસો ચાલતા હતા. કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો પાછલી રાતે, શીતળ પવનની લહેરોમાં, તરવારબંદૂકો ખીલીએ ટિંગાડીને બેઠા બેઠા કાવો પીતા હતા. ઓચિંતી એક જણાએ ચીસ પાડી કે “ઓ અબ્દુર કાદર !” સાંભળતાં જ જેવા સહુ પોતપોતાનાં હથિયાર સંભાળવા ઊભા થવા જાય છે ત્યાં ભરી બંદૂકની નાળ્ય નોંધીને વિકરાળ કાદુડાએ હાકલ દીધી, “બસ જમાદારો ! મત ઉઠાના !”

પહેરાવાળા જેમ હતા તેમ ઠરી રહ્યા. કાદુના સોબતીઓ લૂંટ કરવા ગામમાં ચાલ્યા ગયા અને કાદુ એકલો જ એક બંદૂકભર ત્યાં પચીસ માણસના પહેરા ઉપર છાતી કાઢીને ઊભો રહ્યો. કોણ જાણે શાથી પણ ગિસ્તના આરબોનાં હૈયામાંથી અલ્લા ઊઠી ગયો. ધીરે ધીરે તેઓએ કાદુને આજીજી કરવા માંડી, “કાદરબક્ષ ! આજ તું અમારાં હથિયાર લઈ જઈશ તો અમારી ઈજ્જત નથી. ભલો થઈ અમને બંદૂકો પાછી દે. અમે સિપાહી છીએ. જગત જાણશે તો અમને કોઈ સંઘરશે નહિ.”

તમામની બંદૂકો ખાલી કરીને કાદુએ પાછી સોંપી દીધી અને જતાં જતાં કહ્યું, “ફિટકાર છે તમને, સિપાહીઓ ! પચીસ જણા કાદુની સામે કાલાવાલ કરો છો એમાં તમારી સિપાહીગીરી ક્યાં રહી ? પણ તમને સિપાહીગીરીની ઈજ્જત કરતાં જાન અને ઓરત વધુ વહાલાં છે. જાઓ, લઈ જાઓ હથિયારો !”

સોનારિયા ગામમાં ગિસ્ત પર તાશીરો કરી લૂંટફાટ વર્તાવી.

બાદલપર લૂંટ્યું.

મેઘપર લૂંટ્યું.

વાંસાવડ લૂંટ્યું.

સોલાજ લૂંટીને પટેલને શરીરે ડામ દીધા.

ભરોલામાં દિવસ આથમતે પડ્યા. ત્યાં રબારીઓનું થાણું હતું. પહેરાવાળાઓને પકડી, હથિયારો આંચકી લઈ, ઘરમાં પૂર્યા. ગામ લૂંટ્યું. પછી તરવારો પાછી આપી ચાલી નીકળ્યા. ભીમદેવળ, ઝીલાલ ને તરસૂયા લૂંટ્યાં.

ઝૂંથલ ગામમાં હાટી લોકોની વસ્તી હતી. ત્યાં પડીને કાગડા સાખના હાટી રામા પટેલને પકડ્યો. હાટીઓને ખબર પડતાં જ તેઓ ઢાલ-તરવાર લઈને નીકળ્યા. કાદુએ એમને આવતા દેખીને ચેતવ્યા કે “જુવાનો ! શીદ મરો છો ? તમે ભલા થઈને ચાલ્યા જાઓ. અમે તમારી બાથમાં નહિ સામીએ.”

હાટી જુવાનો હેબતાઈ ઊભા રહ્યા. પણ પાછળ હટતા નથી, તેમ આગળ ડગલું દેતા નથી. કાદુએ થોડી વાટ જોઈ આખરે જ્યારે હાટીઓએ ચોખવટ ન જ કરી ત્યારે પછી કાદુએ એમને ગોળીએ દીધા. હાટીઓએ એ ઘા સામી છાતીએ ઝીલ્યા.

માંડણપુરાના મકરાણીની એક દીકરી હતી. ફાતમા એનું નામ હતું. જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા. પાણીદાર મોતી જેવું એનું રૂપ હતું. એણે કાદુને આખી સોરઠ હલમલાવતો જોયો. કાદુની વીરતા ઉપર જીવતર ઓવારી નાખવાનું નીમ લઈને એ બેઠી હતી. બહારવટિયો એના બાપને ઘેર કોઈ કોઈ વાર આશરો લેવા આવતો હતો. ફાતમાએ એને કમાડની તિરાડમાંથી વારે વારે નીરખ્યો હતો. આખરે એક વાર તો એણે હામ ભીડી કાદુની મોઢામોઢ થવાનો મોકો દીધો. બાપ બહાર ગયો હતો. મા આઘીપાછી થઈ હતી. કાદુના સાથીદાર પણ ઓરડામાં ઊંઘતા હતા.

તે વખતે ફાતમા પોતાની ભાતીગળ ઇજારમાંથી જાણે ગળી પડતી હોય તેવી કંકુવરણી પાનીઓ માંડતી, ઘેરદાર કુડતાનાં હૂલણ-ઝૂલણને સંકોડતી, પીળી ઓઢણીના પાલવ લપેટીને હૈયું છુપાવતી આવી ઊભી રહી. બહારવટિયાના સરવા કાને એનો હળવો, હવાની લહેરખી જેવો સંચળ પણ સાંભળ્યો. કાંધરોટો દઈને એણે એ આવનાર તરફ નજર કરી. ઓરત દેખીને પાછો નેણ નીચાં નમાવી ગયો. તરવારની મૂઠ ઉપરની કોંટી થોડી વાર બાંધવા ને થોડી વાર છોડવા લાગ્યો.

જ્યારે કાદુએ બીજી વાર પણ સામેય ન જોયું ત્યારે ફાતમાથી છેવટે ન રહેવાયું. એણે જોર કરીને કમાડ ઝાલ્યું. પછી બોલીઃ “જમાદાર ! એક વાર ઊંચે જોશો ?”

“શું છે ?” કાદુએ ત્રાંસી આંખે નજર ઠેરવી.

“મારે તમારી ચાકરી કરવી છે. મને તેડી નહિ જાઓ ?”

“ક્યાં તેડી જાઉં ? દોજખમાં ? હું તો મોતને માર્ગે છું. તું બેવકૂફ ઓરત, આંહીં કાં આવી ?”

“દોજખમાંય તમારી સાથે આવીશ, કાદરબક્ષ ! હું જાણું છું કે તમે તમારો જાન હાથમાં લઈ ફરો છો. હું પણ મારો જાન તમારા હાથમાં આપીશ.”

“બાઈ, તું આંહીંથી ચાલી જા. મારાં બાલબચ્ચાં મકરાણમાં જીવતાં છે ને હું આજ બહારવટે છું. મારું એ કામ નથી. મારાથી નેકીનો રાહ ન ચુકાય. અમે તારા બાપનો આશરો લઈએ છીએ, એટલે તું તો મારી બેન થા.”

ફાતમાએ પોતાના પાલવમાં એક તરવાર સંતાડી હતી. તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું, “જમાદાર કદરબક્ષ ! આ તરવાર મારા તરફથી સોગાદ સમજીને લેશો ? હું એ રીતે મન વાળીશ. તમારી ગોદમાં આ તરવાર રમશે, તેથી હું દિલાસો લઈશ.”

“ના, ના; અમારે તરવારો ઘણી છે, બાઈ ! તું અહીંથી ચાલી જા!”

એવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો.૧

૧ આવો જ પ્રસંગ બીજા નામઠામ સાથે મળેલ છેઃ

જિલાણા ગામની સીદી નામે મકરાણીને ઘેર કાદુ આશરો લેતો. એ સીદી મકરાણીને જુમ્મન નામની દીકરી હતી. એ જુમ્મન સરસ્વતી નદીને કાંઠે પાંડવની દેરી અને ભીમના દેવળ પાસે કાદુને મળેલી અને એણે બહારવટિયાના પ્યારની માગણી કરેલી બહારવટિયાએ એને બહેન કહી. એના પિતા પાસે પાસે જઈ, આ વાતમાં પિતા કોઈ ખૂટામણની વૃત્તિથી શામિલ હશે તેવો શક લાવીને, કહ્યું કે “તારે મારે આજથી છેલ્લા સલામ આલેકુમ છે.” એટલું કહીને બહારવટિયો ચાલ્યો ગયેલો. હકીકત આમ નથી, પણ આગળ કહી તેમજ છે એવી ખાતરી પ્રત્યક્ષ પુરાવો આપનાર એક વ્યક્તિ તરફથી મળી છે.

ગામ ભાંગવામાં સહુથી પહેલો ઝાંપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાબકરનું મોત થયું. સરસ્વતી નદીને કાંઠે કરમડીના ઢૂવા પાસે બહારવટિયા બેઠા બેઠા લૂંટનું રૂપું દાટતા હતા. તેવામાં ગિસ્ત આવી પહોંચી. ઝપાઝપી બોલી. આખરે બે હાથમાં બે બંદૂક લઈને કાદરબક્ષ ભાગ્યો. પાછળ અબાબકર ભાગ્યો. એની પાછળ ગિસ્તના જોરાવર મકરાણી જુવાન વલીમામદે દોટ દીધી. એ જુવાને પાછળથી બહારવટિયાને પડકારો કર્યો કે “ઓ કાદરબક્ષ, બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગે તો તો એબ છે.”

સાંજનાં અંધારાં ઘેરાતાં હતાં. તેમાં અવાજ પરથી બહારવટિયે પોતાના જાતભાઈને ઓળખ્યો. “કોણ, વલીમામદ વીસાવદરવાળો ? જેની ડોશી અમારી સામે બંદૂક લઈને ઊઠતી’તી એ જ તું ભાઈ ?”

“એ જ હું. એ જ ડોશીનું દૂધ ધોવેલો હુું. હવે હુશિયાર થા, કાદરબક્ષ !”

અબાબકર પાછો ફર્યો. હથિયાર તો નહોતું. પછી પથ્થર ઉપાડ્યો. ત્યાં તો જુવાન વલીમામદે પણ પોતાના ગુરુના કહેવા મુજબ સાત કદમ પાછા જઈ બંદૂક છાતીએ ચડાવી. આંહીંથી ગોળી છૂટી ને ત્યાંથી પથ્થર છૂટ્યો. ગોળી અબાબકરના સાથળમાં વાગી ને બંદૂક પથ્થરના ઘાયે તૂટી. પછી વલીમામદ તરવાર લઈને ઠેક્યો. અબાબકર પડ્યો. તરવારના પણ બે કટકા થઈ ગયા. પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઊભો થઈ રહ્યો. મરતો દુશ્મન બોલ્યોઃ “રંગ છે, વલીમામદ !”

“રંગ છે, તને પણ, ભાઈ ! તું કુરાને શરીફ છો. તને પાણી દઉં?”

“ના, ના, હવે પાણી ન જોઈએ.”

કાદુ તો નાસી ગયો હતો. ગિસ્ત અબાબકરના શબને ઉપાડી જૂનાગઢ લઈ ગઈ. નવાબે પૂછ્યું, “વલીમામદ, ઇસ્કુ કિને મારા ?”

“મૈંને નહિ, આપકા નિમકને.”

“ઇસ્કુ ક્યા કરના ?”

“નામવર, દફન કરના.”

કાદરબક્ષે જ્યારે આ વાત સાંભળી ત્યારે એ બોલ્યો હતો કે “મારું મોત પણ મારા આવા જાતભાઈને હાથે જ થાજો કે જેથી મને મૂઆ પછી મુસલમાનની રીતે અવલમંજલ પહોંચાડે !”

ભેંસાણ ગામને ઝાંપે એક દિવસ એક ચિઠ્ઠી બાંધેલી છે. સવારને પહોર લોકો નીકળે છે અને ચિઠ્ઠી ભાળી એ સાપની ફેણ હોય તેમ બીને ચાલ્ય જાય છે. ગામના મુછાળા મરદ ફોજદાર માણેકલાલને જાણ થઈ કે કોઈક જાસાચિઠ્ઠી બાંધી ગયું છે. પાદર જઈ ફોજદારે જાસાચિઠ્ઠી છોડી. વાંચી. અંદર લખ્યું હતું કે “માણેકલાલ ફોજદાર ! કચેરીમાં બેસી કાદુ સામે ભારે મૂછો આમળો છો, માટે ભેંસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છુંઃ મરદ હો તો બંદૂકો ભરીને બેસજો !”

ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનો મંદવાડ હોય તેવા પીળા પડતા જાય છે. પડખે ઊભેલા નાના અમલદાર સામસામા મિચકારા કરીને મૂછમાં હસી રહ્યા છે.

“ફિકર નહિ. ભલે આવોત કાદુ - આવશે તો ભરી પીશું,” એવાએવા બોલબોલવા છતાં માણેકલાલના પેટમાં શું હતું તે અછતું ન રહ્યું. પણ રુઆબમાં ને રુઆબમાં સાહેબ બેસી રહ્યા. બે-ચાર દિવસ નીકળી ગયા. એમાં એક રાતે ગામમાં હુલકું પડ્યું કે “મકરાણી આવી પહોંચ્યા છે !” ભડાભડ બજારો દેવાઈ ગઈ, વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના ઝૂડા લઈને ઘર ભેગા થઈ ગયા અને ગામની કાઠી લોકોની વસ્તી જાડી હોવાથી કાઠીઓ મોરચા પકડવા માંડ્યા. એક ઉતાવળિયા જણે તો બંદૂકનો અવાજ પણ કરી નાખ્યો એટલે સરકારી લાઈનમાં ઝાલર વાગી અને ગોકીરો વધ્યો.

ફોજદાર સાહેબ માણેકલાલભાઈ દીવાલ ઠેકીને ભાગ્યા. વાંસે એક ભરવાડનું ઘર હતું તેમાં ભરાયા, અને ભરવાડણને કરગર્યા કે “તારે પગે લાગું. મને તારં લૂગડાં દે !”

ભરવાડણે પોતાનું પેરણું અને ધાબળી દીધાં. માણેકલાલભાઈ એ પહેરીને ઘંટીએ બેઠા. આખી રાત ઘૂમટો તાણીને દળ્યા કર્યું. આંહીં ગામમાં તો એની બડાઈ ઉતારવા માટે બધું મશ્કરીનું તોફાન જ હતું, એટલે થોડી વારે તો જળ જંપી ગયાં, પણ માણેકલાલભાઈ ભળકડા સુધી ઘંટીએથી ઊઠ્યા નહિં. ભરવાડણને આઠ દિવસનો પોરો મળી ગયો.

કેશોદ અને વેરાવળ૧ વચ્ચેના માર્ગે સવારના ટાણે એક ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે. અંદર એક હથિયારબંધ અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુંવાળા એક બાળક સહિત બેઠો છે. અંગ્રેજ તે જૂનાગઢ રાજના નવા નિમાયેલા પોલીસ-ઉપરી મેજર હંફ્રી છે. કાદુની ટોળીને જેર કરવાનું બીડું ઝડપીને એ બાહોશ ગોરાએ બંદોબસ્ત માંડ્યો છે. પોતાની ચકોર નજરને ચારેય દિશામાં ફેરતો હંફ્રી સાહેબ બંદૂકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે.

૧ આ ઘટના જસ્ટિસ બીમનની આ નોંધને આધારે લખી છેઃ

ૈં ર્ષ્ઠેઙ્મઙ્ઘ ીંઙ્મઙ્મ ર્એ ર્ંર્, ર્રુ દૃીિઅ હીટ્ઠઙ્મિઅ ર્ઝ્રર્ઙ્મહીઙ્મ ૐેદ્બકિીઅ, ુર્ર ુટ્ઠજ ીહખ્તટ્ઠખ્તીઙ્ઘ ૈહ ીટીંદ્બિૈહટ્ઠર્ૈંહ ંરી ઙ્મટ્ઠજંર્ ક ંરી િીટ્ઠઙ્મર્ ેંઙ્મટ્ઠુજ, ુટ્ઠજ ટ્ઠદ્બહ્વેજરીઙ્ઘ ટ્ઠહઙ્ઘ જઙ્મટ્ઠૈહ ૈહ ટ્ઠ ઙ્ઘૈર્ ક ંરી ર્િટ્ઠઙ્ઘ હ્વીુંીીહ દ્ભીજર્રઙ્ઘ ટ્ઠહઙ્ઘ ફીટ્ઠિુટ્ઠઙ્મ. મ્ેં ર્કિેંહટ્ઠીંઙ્મઅ રી રટ્ઠઙ્ઘ દ્બીં રૈજ ટ્ઠજજૈંટ્ઠહં ુર્ર રટ્ઠઙ્ઘ હીુજર્ કર્ ેંઙ્મટ્ઠુજ ૈહ ટ્ઠર્હંરીિ ઙ્ઘૈિીષ્ઠર્ૈંહ, ર્જ ૐેદ્બકિીઅ ઙ્મીકં રૈજ ર્ંહખ્તટ્ઠ ૈહ ુરૈષ્ઠર ુીિી રૈજ ુૈકી ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈઙ્મઙ્ઘ ટ્ઠહઙ્ઘ જિંેષ્ઠાર્ કક ર્ં ંરી મ્ેઙ્ઘિટ્ઠજ. ઉરીહ ંરી ર્ંહખ્તટ્ઠ ુટ્ઠજ જીીહ ટ્ઠર્િટ્ઠષ્ઠરૈહખ્ત ટ્ઠહઙ્ઘ ંરીર્ ેંઙ્મટ્ઠુજ િીટ્ઠઙ્મૈડીઙ્ઘ ંરટ્ઠં ૐેદ્બકિીઅ રૈદ્બજીઙ્મક ુટ્ઠજ ર્હં ૈહ ૈં, ંરીઅ ઙ્ઘીઙ્મૈહ્વીટ્ઠિીંઙ્ઘ ુરીંરીિ ંરીૈિ ુર્િહખ્તજ ુીિી ર્હં ખ્તિીટ્ઠં ીર્હેખ્તર ર્ં દ્ઘેજૈંકઅ દ્બેઙ્ઘિીિૈહખ્તર્ િ ટ્ઠં ટ્ઠહઅ ટ્ઠિીં ષ્ઠટ્ઠિિઐહખ્તર્ કક રૈજ ુૈકી ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈઙ્મઙ્ઘઃ મ્ેં ંરી ર્ષ્ઠેહજીઙ્મજર્ ક ંરી ીઙ્મઙ્ઘીજિ િીદૃટ્ઠૈઙ્મીઙ્ઘ. ‘ન્ીં ેજ ર્હં ર્ેંષ્ઠરર્ ુદ્બીહ ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈઙ્મઙ્ઘિીહ,’ ંરીઅ જટ્ઠૈઙ્ઘ, ર્‘િર્ ેિર્ ુહર્ ુદ્બીહ ુૈઙ્મઙ્મ ેંહિ ટ્ઠખ્તટ્ઠૈહજં ેજ.’ ર્જી સ્જિ. ૐેદ્બકિીઅ ટ્ઠહઙ્ઘ ંરી ષ્ઠરૈઙ્મઙ્ઘ ુીહં હ્વઅ ેહજષ્ઠટ્ઠંરીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ેહુૈંૈંહખ્તર્ ક ંરીૈિ ઙ્ઘટ્ઠહખ્તીિ.

થોડીક વારે આડેધડ ખેતરો સોંસરવો એક ઘોડેસવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો. આવનાર અસવારના હાથની નિશાની દેખીને હંફ્રીએ ગાડી ઊભી રખાવી.

પરસેવે રેબઝેબ, મોંએ ફસફસતો અને હમણાં છાતી ફાટી પડશે એવો હાંફતો એ ઘોડો આવીને ઊભો રહ્યો કે તુરત તેની પીઠ પરથી ઊતરીને એક પોલીસ અમલદારે સલામ કરી. ઉતાવળે સાદે કહ્યું, “સાહેબ, આપ

ઊતરી પડો. આ લ્યો આ ઘોડો, જલદી પાછા ફરી જાઓ !”

“કેમ ?”

“બહારવટિયાએ નજીકમાં જ આડા બાંધ્યા છે. પલેપલ આપના જાનની વાટ જોવાય છે. જલદી કરો !”

શૂરો હંફ્રી વિચારમાં પડે છે. અમલદાર અધીરો બને છેઃ “વિચાર કરવાનો વખત નથી, સાહેબ બહાદુર ! જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઈફલો ગોઠવી છે એ આજ આપને નહિ છોડે.”

“મારાં બાલબચ્ચાંનું શું થાય ?” સાહેબનાં ભવાં ચડે છે.

“એને ઊની આંચ નહિ આવે. એ તો કાદરબક્ષ છે. નિરપરાધી ઓરત-બચ્ચાંને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છૂટો.”

ભયભીત મડમ બોલી ઊઠી, “વહાલા ! ખુદાને ખાતર, અમારે ખાતર, ભાગી છૂટો.”

હંફ્રી ટાંગામાંથી ઊતરી ઘોડે ચડ્યો. ચાલી નીકળ્યો. છેક જાતો બરડામાં ઊતરી ગયો.

ને આંહીં ટાંગો આગળ વધ્યો. જેમ જેમ ટાંગો ઢૂકડો આવે છે તેમ તેમ બહારવટિયાનાં ડોકાં ઓડાની પાછળથી ઊંચાં થતાં જાય છે. આખર લગોલગ થતાં જ બહારવટિયા આખેઆખા ઊભા થઈ ગયા. બંદૂકો ઊંચી ઉઠાવી. જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદરબક્ષે કહ્યું, “ખામોશ ! હંફ્રી ગાડીમાં નથી. અંદર ઓરત ને બચ્ચું જ છે.”

“ભાઈ કાદરબક્ષ !” ખૂની અલાદાદ બોલી ઊઠ્યો, “એની મડમ ને બચ્ચાને ઠાર કરી નાખીએ. હંફ્રીનું કલેજું ચિરાઈ જશે અને એ આપણો કાળ જલદી વિલાયત ભેગો થશે.”

“નહિ, નહિ, અલાદાદ ! શત્રુની ઓરત તો બહારવટિયાની માબહેન. એને હાથ અડકાડશું તો તો આપણી રિન્દ-બલોચ મા-બહેનો આપણા નામ પર થૂંકશે. ઓરત અને બચ્ચાં તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે.”

બીજા બધા બોલ્યા, “કાદરબક્ષ ! ભૂલી ગયા ? રાજ્યે કેમ આપણાં બાલબચ્ચાંને પકડ્યાં હતાં ?”

“એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહિ કરું.”

“ભાઈ કાદરબક્ષ ! ભૂલો છો. પસ્તાશો. હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું. કાંઈ નહિ તો જીવતાં ઉઠાવી જઈએ.”

“એ પણ નહિ બને. કાદરબક્ષ જલ્લાદ ભલે હોય, શયતાન તો હરગિજ નથી. આપણી રિન્દ-બલોચ ઓરતો આપણા નામ પર જૂતાં મારશે. બસ ! ખામોશ!”

એટલું કહીને કાદુ બીજી દિશામાં ઊતરી ગયો. પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બબડતા ચાલ્યા. તેઓની ખૂની નજર વારેવારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી, જ્યાં એક ટાંગો નિર્દોષ મા-દીકરાને લઈ ચાલ્યો જતો હતો.

બહારવટિયાને ઝાલવાનું ઈનામ જાહેર થયેલું તેનાથી લોભાઈને જોગી બહારવટિયા જોગીદાસનો પૌત્ર જેઠસૂર ખુમાણ આંબરડીથી નીકળ્યો. જૂનાગઢ જઈને બીડું ઝીલ્યું. ભેળી એક ગિસ્ત લીધી.

“કાદુ બચારો કોણ છે ! હમણાં ગરમાંથી સાંસલો ઝાલે એમ ઝાલી લઉં !” આવા બોલ બોલીને જેઠસૂર નીકળી પડ્યો. ભમતાં ભમતાં ગીરમાં એક નદીને કાંઠે પડાવ નાખ્યો. પ્રભાતને પહોર બગલમાં તરવાર લઈ કળશિયે જવા નીકળ્યો. થોડો આઘેરો નીકળી ગયો. પાછો આવીને નદીમાં હાથ ધોવે છે, ત્યાં એક ફકીર પણ પાણીમાં મોં ધોઈને કાંઠે બેઠો છે. ફકીરે પૂછ્યું કે “દરબાર, ક્યાં રે’વું ?”

“રે’વું જોગીદાસની આંબરડી.”

“આવો આવો કસુંબો પીવા.”

“આગ્રહ કરીને ફકીરે જેઠસૂરને બેસાડ્યો. પોતે ખરલમાં કસુંબો ઘોળવા લાગ્યો. ઘોળતાં ઘોળતાં પૂછ્યું કે “શું નીકળ્યા છો ?”

“આ કાદૂડો ફાટ્યો છે, તે એને ઝાલવા. મલકમાં કોઈ માટી નથી રહ્યો ખરો ને, તે કાદુ સહુને ડરાવે છે.”

હસીને ફકીરે પૂછ્યું, “કાદુ મળે તો શું કરો ? છાતી થર રહે કે ?”

“કેમ ન રહે ? હું ખુમાણ છું. પકડી લઉં, ને કાં ઠાર મારું.”

“ત્યારે જોઈ લો, જેઠસૂર ખુમાણ !” એટલું કહીને કાદુએ કફની ઉતારી. અંદર મકરાણીના વેશે, પૂરાં હથિયાર સોતો જુવાન જોયો. દાઢી ઊતરી. કરડું મોં દેખ્યું. જેઠસૂરના મુખ ઉપરથી વિભૂતિ ઊંડી ગઈ.

“જેઠસૂર ખુમાણ ! લે, ઝાલી લે મને. હું જ જમાદાર કાદરબક્ષ.”

જેઠસૂર શું બોલી શકે ? ફાટી આંખે જોઈ રહ્યો. સામે ઘડી-બે ઘડીમાં જ મોત હતું. કાદુએ તમંચો તોળીને કહ્યુંઃ “જેઠસૂર ખુમાણ ! મારું તો આટલી વાર લાગે. પણ તને જોગીદાસના પોતરાને હું કાદુ તો ન મારું; માટે ઝટ આંબારડી ભેળો થઈ જાજે. અને એક વાત વીસરીશ મા કે તારો દાદો જોગીદાસ જે દી ભાવનગર સામે બહારવટે હતા તે દી કાદુનો બાપ આવીને બીડું ઝડપી એને ઝાલવા ચડ્યો હોત તો તને કેવું લાગત ? સહુ પોતપોતાના ગરાસ સાટુ મરવા નીકળે છે એ ન ભૂલતો, કાઠી ! જા, ઝટ ગીરમાંથી નીકળી જા !”

જેઠસૂર ખુમાણ તે દિવસથી ખો ભૂલી ગયો.૧

૧ આ પ્રસંગ ઘણુંખરું ગીરમાં, તેમ જ કાઠિયાવાડમાં ઠેર ઠેર, કહેવાય છે. તેમ છતાં કાદુના બહારવટામાં શામિલ હતા તે માણસે આ વાતનો ઇન્કાર કર્યો છે. એ કહે છે કે જેઠસૂર તો કાદુનો દોસ્ત હતો. જેઠસૂર પોતે મોટો પાપાત્મા હતો. એટલે કાદુનો સાથી હોવાનો સંભવ છે. લોકો (‘ટ્ઠર્ષ્ઠિઅરટ્ઠઙ્મ’, કલ્પિત) વાતો કેવી રીતે રચે છે ને કઈ બાજુ ઢળે છે તેનો આ નમૂમો છે. આ વાતને પણ જાણકારો તરફથી ટેકો નથી મળતો. લોકો પોતાની કલ્પનાથી કેવા પ્રસંગોનું સર્જન કરે છે તે બતાવવા આ વાત અત્રે આપેલી છે.

સવારનું ટાણું હતું. ઉનાળાનો દિવસ હતો. સૂરજનો તાપ વધતો જતો હતો. એવે ચડતા દિવસને વખતે ગામમાં એક ફકીર દાખલ થયો. એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે “શેઠ, એક ચપટી સૂકો આપો ને ! ચલમ ભરવી છે.”

“સૂકો નહિ મળે. પૈસા બેસે છે,” વેપારીએ ચોપડામાંથી ઊંચું માથું કરીને કહ્યું.

“શેઠ, હું દમડી વિનાનો અભ્યાગત છું. ચપટી સૂકાની ખેરાત નહીં કરો ?” ફકીર રગરગવા માંડ્યો.

“નહિ મળે,” શેઠે વેણ ટૂંકાવ્યાં.

“અરે શેઠ, અભ્યાગતને ના પાડો છો, પણ કાદુ આવ્યો હોત તો કેમ આપો ?”

પડખે લોઢાની દસશેરી પડી હતી તે બતાવીને લુહાણો બોલ્યો, “કાદુ આવે અને અડપ ચડે તો એનું માથુંય આ દસશેરીથી ભાંગી નાખીએ, સમજ્યો? રસ્તે પડી જા અટાણમાં.”

ફકીર ચાલ્યો. એક મોચીની દુકાન આવી. તૈયાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું, “ભાઈ, એક જોડ્ય પગરખાંનું શું લઈશ?”

“દોઢ રૂપિયો.” મોચી બેપરવાથી બોલીને પાછો સીવલા લાગ્યો.

“હું અભ્યાગત છું. પગે બળું છું, પાસે વધુ પૈસા નથી, માટે સવા રૂપિયે આપ ને, ભાઈ !”

“બહુ બોલીશ તો પોણા બે બેસશે.” મોચી ઊલટો ભાવ ચડાવવા

માંડ્યો.

“અરે ભાઈ, વધછ ?”

“તો બે પડશે.”

“એમ છે ? કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દ્યો ?”

હાથમાં વીંગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું, “કાદુ આવે ને, તો

કાદુનેય આ વીંગડા ભેળો ટીપી નાખીએ. સમજ્યો ને ? જા, રસ્તે પડ.”

ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો. બજારે બોલતો જાય છે કે “ઓહોહો ખુદા ! આ ગામમાં મને ચપટી સૂકોન મળે, તો રોટલા તો મળે જ શેનો !”

“કેમ, સાંઈ ?” એક કણબણ પાણી ભરીને આવતી હતી તેણે પૂછ્યું, “કેમ, બાપા ? ગામ જેવું ગામ છે ને કોઈને રોટલાની ના હોય ? હાલો મારે ઘેરે.”

કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પીરસ્યો. ફકીરે ખાઈ લીધું. પછી

એણે બાઈ સામે જોઈને મોં મલકાવી કહ્યું કે “બેન ! વાત પેટમાં રે’શે ?”

“હા બાપા, શા સારુ નહિ ?”

“તું બ્હીશ તો નહિ ને ?”

“ના...ના...,” બાઈ જરાક ખચકાણી.

“હું કાદુ છું.”

“તમે કાદુ !!!” બાઈની છાતી બેસી ગઈ.

“પણ તું બ્હી મા ! તું મારી બેન છો. સાંભળ. આજ રાતે અમે આ ગામ માથે પડવાના છીએ. ગામ લૂંટશું, પણ તારું ઘર નહિ લૂંટીએ. હું એકલો નહિ નીકળું. હું ચોકમાં બેસીશ, એટલે મારા જણ તારું ઘર શી રીતે ઓળખશે એનો વિચાર કરું છું.”

થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો, “જો બેન, તું તારાઘરને ટોડલે બે દીવા પ્રગટાવીને મૂકજે. એ દીવાની એંધાણીએ મારા જણ તારું ઘર ઓળખશે. દીવા બરાબર મેલજે, ભૂલતી નહિ. લે હવે હું જાઉં છું. મારા જણ ભૂખ્યા બેઠા છે.”

“એને ખાવાનું કેમ થાશે, બાપુ ?” બાઈએ સમયસૂચક બનીને પૂછ્યું.

“હવે જે થાય તે ખરી.”

“ના, એમ નહિ. તમે ઓતરાદી દૃશ્યને મોટે મારગે ખીજડીવાળી વાવને ઓલે થડ ઊભા રે’જો. હું હમણાં ભાત લઈને આવું છું.”

કાદુ ગયો. બાઈએ દસ જણની રસોઈ કરી. ભાત બાંધ્યું. રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે રીતે દિવસ પણ ચાલી. કોઈને વહેમ પડ્યો નહિ. નક્કી કરેલી જગ્યાએ બહારવટિયાને ભાત પહોંચાડ્યું.

રાત પડી અને બહારવટિયો ગામ પર ચડ્યો. પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરીબંદૂકે બેઠો, અને સાથીઓને કહ્યું કે “ગામના વેપારીઓને લાવો. ભેળા એના ચોપડા પણ ઉપડાવતા આવો. અને એક મીઠા તેલનો ડબો, એક બકડિયું ને એક સાવરણી આણજો.”

વેપારીઓને હારબંધ બેસાર્યા. મંગાળો કરી, તે પર બકડિયું મૂકી અંદર તેલ રેડ્યું અને પછી કહ્યું કે “આ વેપારીઓના ચોપડાનું બળતું કરો, એટલે રાંક ગરીબને સંતાપ મટે.”

ચૂલામાં ચોપડા સળગાવીને બકડિયામાં તેલ કકડાવ્યું. એક પછી એક વેપારીને પૂછ્યું કે “કહો, લાવો, ઘરાણાં ને નાણાં હાજર કરો.”

“ભાઈસા’બ, અમારી પાસે નથી.”

આવો જવાબ મળતાં કાદુ કહેતો કે “શેઠને જરા છાંટણાં નાખો.”

કડકડતા તેલમાં સાવરણી બોળીને બહારવટિયાના માણસો વેપારીના શરીરી પર છાંટતા અને ત્રાસ આપીને મનાવતા.

વેપારી માની જતો કે “બાપા, ચાલો બતાવું.” પોતાને ઘેર લઈ જતો. ઘરની જમીનમાં ધનદોલત દાટ્યાં હોય ત્યાં સંભારી સંભારીને ખોદાવતો. પણ ફડકામાં વેપારી ભાન ભૂલી જઈ પોતાને જે જગ્યા છુપાવવી હતી તે જ ખોદાવી બેસતો ને તેમાંથી બહારવટિયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા ત્યારે બહારવટિયો નિર્દય બનીને કહેતો કે “એ તો મારા તકદીરના નીકળી પડ્યા. હવે તો તેં કહેલા એ કાઢી દે !”

એવો સિતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બહેનને બોલાવતો ને કહેતો કે “બેન, તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે.”

“તારું કોઈ નામ લ્યે તો મને કહેજે. હું પાછો આઠ દિવસે આંહીં નીકળું છું.

એમ ખેરાત અને ચોરાશીઓ જમાડી, બાઈઓ પાસે રાસડા રમાડી, સહુને આપતો આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે.

“ભાઈ અલાદાદ ! હવે આપણા દિવસ પૂરા થયા. આપણાં પાપનો ઘડો ભરાઈ રહ્યો. હવે નહિ ટકાય.”

“કાં ?”

“દેશભરમાં ત્રાસ છૂટી ગયો છે. મુંબઈનાં છાપાંમાં પણ ગોકીરો ઊઠ્યો છે. જૂનાગઢના ગોરા પોલીસ-ઉપરી હંફ્રી સા’બે પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે. ગામે ગામ ચચ્ચાર બંદૂકદારોનાં થાણાં બેસી ગયાં છે. અને રાવસાહેબ પ્રાણશંકર આપણને રોટલા દેવાના શક ઉપરથી વસ્તીનાં નિર્દોષોને એટલા એટલા ફટકાની સજા કરી પીટે છે કે મારાથી હવે આ પાપની ગઠડી સહેવાતી નથી.”

“ત્યારે શું કરશું, ભાઈ કાદરબક્ષ ?”

“મકરાણ તરફ ઊપડી જઈએ.”

“ભલે.”

બહારવટિયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા. થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈથી કળાયો નહિ. પછી તો વહેમ આવ્યો કે બહારવટિયા નાસી છૂટ્યા. ચારેય તરફ તારો છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ. કાદુની બહેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદરેસો માંડી પેટગુજારો કરવા માંડી. દીનમહમદ પણ તેની સાથે જ હતો. કાદુ પોતે અલાદાદની સાથે અમદાવાદ થઈને રેલવે માર્ગે સિંધ તરફ રવાના થઈ ગયો. બધે શાંતિ છવાઈ ગઈ. થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત. પણ ભાવિના લેખ બીજા હતા. કરાંચીની બજારમાં કાદુ ઊંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે એ આ રીતે ઝલાઈ ગયોઃ

“ભાઈ ઊંટવાળા ! સોન મિયાણીનું શું ભાડું લઈશ ?”

“દસ રૂપિયા.”

“દસ નહિ પણ વીસ આપીશ, પણ જલદી ચાલ. મારે હિંગળાજ પરસવા વહેલું પોગવું છે.”

ઊંટવાળો ચલમના ધુમાડા કાઢતો કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. બાવાના વેશમાં તો કચાશ નહોતી, પણ આવું જાજરમાન શરીર ને આવું કરડું મોં બાવાને ન હોય.

કરાંચીના એ દુત્તા ઊંટવાળાએ પોતાનું અંતર કળવા દીધા સિવાય કહ્યું, “હાલો, આમ આગળ; હું મારા ભાઈને મોઢે થઈ દઉં, પછી ઊંટ હાંકી મૂકીએ.”

ઊંટ દોરીને આગ ચાલ્યા. થોડેક આઘે પોલીસચોકી પર જઈને ઊંટવાળાએ પોતાની ઓળખાણવાળા નાયકને છાની વાત કહી, ત્રાંસી આંખે બાવો દેખાડ્યો. કહ્યું, “આ કાદુ જૂનાગઢવાળો. ઈનામ લેવું હોય તો એને ઝાલો ઝટ.” બાવાવેશધારી કાદુ ચેત્યો. ઝપ દઈને છરી ખેંચી દોડીને ઊંટવાળાને હુલાવી ઠાર કર્યો. નાયક સામો થયો એને માર્યો ને પછી મરણિયો થઈ કરાંચીની ભરબજારમાં જે સામો થાય તેને છરી મારી પાડવા લાગ્યો. આખરે સામેથી મજૂરનું એક ટોળું છૂટીને ચાલ્યું આવતું હતું. તેણે પથ્થરો મારીને ગુનેગારનું માથું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો. એને પૂછવા લાગ્યા, “તારા સાથીઓ ક્યાં છે ?”

જવાબ મળ્યો, “મરણિયા ભાગ્યા તે ભેળા રહેતા હશે, ભાઈ ?”

બહુ દબાણ કર્યું પણ કાદુ ન માન્યો. કરાંચીની બજારમાં કરેલાં ત્રણ ખૂનો બદલ એના પર મુકદ્દમો ચાલ્યો. એને ફાંસીની સજા થઈ.

આ વખતે અલાદાદ ક્યાં હતો ? કાદુ ઊંટ કરીને હમણાં તેડવા આવશે એ વાટ જોઈને કરાંચીમાં એક છૂપે સ્થળે એ બેઠો હતો. મોડું થયું એટલે એ ફિકરમાં પડ્યો. બાવાવેશે બજારમાં ગયો ત્યાં આખી વાત સાંભળી.

સાંભળીને મકરાણને માર્ગે ચડ્યો. બાવાનો વેશ, નાઘેરનાં ગામડાંમાં જીવતર ગાળેલું, અને મીઠી હલકઃ એટલે માર્ગી બાવાઓના ભજનિયાં ભારી સરસ આવડે. એની ઓડે ઓડે હિંગળાજના સંઘ ભેળો ભળીને ઠેઠ હિંગળાજને થાનક પહોંચી ગયો. જો એમ ને એમ ચાલ્યો જાત તો કદાપિ હાથ આવત નહિ. પણ મનમાં કાદુની માયા ઘણી, એટલે ખબર જાણવા ત્યાં જ પડ્યો રહ્યો. તેમાં જાણભેદુના મનમાં શક ઊઠ્યો. પોલીસે આવીને એને પકડ્યો ને કરાંચી લઈ ચાલ્યા. આખે માર્ગે અલાદાદ ગુજરાતીમાં જ વાત કરે અને ભજનિયાં બોલે, એટલે પોલીસને શક પણ ટળી ગયો. તેઓ બેદરકાર બની ગયા.

એક દિવસ સાંજે એક ગામને પાદર પોલીસો ને એના અમલદાર ઊંટ ઝોકારી ગામની મસીદમાં નમાજ પઢવા ગયા. અલાદાદને બેડી પહેરાવી ઊંટ સાથે એકલો બાંધી ગયા.

અલાદાદ એકલો પડ્યો. એને સમજ પડી ગઈ હતી કે ફાંસી તૈયાર હશે. એ ભાગ્યો. પોલીસોએ પાછા આવી ઊંટ દોડાવ્યાં, પણ તે વખતે અલાદાદ રણમાં ઝાંખરાં વાંસે છુપાઈ રહ્યો. અંધારું થતાં એ દોડવા માંડ્યો. સીધો ગયો હોત તો પચીસ ગાઉ નીકળી જાત, પણ તકદીર ઊંધાં હતાં એટલે સવારે ચકરાવો ફરી, જ્યાંથી નાઠો હતો તે જ ગામની સામે આવી ઊભો રહ્યો. ત્યાંથી પાછો ચાલી નીકળ્યો. દરમ્યાન જ્યાં જ્યાં પાણીની કૂઈઓ હતી ત્યાં ત્યાં પોલીસે ચોકીઓ મૂકી દીધી હતી એટલે સિંધના ભયંકર રણમાં દોડતો અલાદાદ ત્રાહિ ! ત્રાહિ ! પોકારી રહ્યો હતો. તોપણ ચાલ્યો. આખરે મકરાણનો સીમાડો સાવ પાસે આવી ગયો. પણ તરસ ન ખમાયાથી અલાદાદ એક કૂઈ ઉપર પાણી પીવા ગયો. ત્યાં પહેરો નહોતો. પાપી પીધું બે જ ગાઉ ઉપર મકરાણનો સીમાડો છે, પણ એનાથી ચાલી ન શકાયું. બેહોશ થઈને ઢળી પડ્યો. થોડી વારે એની આંખો ઊઘડી. જોયું તો ઊંટવાળા પોલીસ-સવારો એના શરીરને જકડતા હતા. કપાળ સામે આંગળી ચીંધીને અલાદાદ ચુપચાપ બંધાઈ ગયો.

જૂનાગઢ રાજને જાણ થઈ. એણે પોતાના ગુનેગારો પાછા માગ્યા. સરકારે કહાવ્યું કે આંહીં તો કેદીઓ એકબીજાને ઓળખાવવાનું કોઈ રીતે માનતા નથી. માટે એવો કોઈ આદમી મોકલો કે જેને આ કેદીઓ પોતે જ ઓળખી લ્યે. અને કદાચ ઓળખવા ના પાડે તો એ માણસ કેદીઓને ખાતરીબંધ ઓળખાવે.

હંફ્રી સાહેબે પેલા જુવાન નાગર વીર હરભાઈ દેસાઈને કેદીઓ ઓળખવા તેમ જ આસિસ્ટન્ટ પોલીસ ઉપરી અંબારામ છાયાને જો કેદીઓ સોંપાય તો લઈ આવવા એક પોલીસની ટુકડી સાથે કરાંચી મોકલ્યા. કાદુ જેને સામેથી ઓળખાવે એવા સરકારી આદમી તો પ્રભાસપાટણના દેસાઈપુત્ર હરભાઈ એક જ હતા.

આટલેથી તો એ બાકીનો ઇતિહાસ આ હરભાઈના મુખમાંથી જ દાયરે દાયરે જે શબ્દોમાં વર્ણવાયેલો, એ શબ્દોમાં જ આપણે સાંભળીએ. અનેક બેઠકોમાં હરભાઈએ કહેલી આ શબ્દેશબ્દ સાચી કથાઓ છેઃ

બીજે જ દિવસે મને અને અંબારામભાઈને કરાંચીની જેલમાં લઈ જવામાં આવ્યા. સાથે આવ્યા હતા કરાંચીના ગોરા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને એક સિંધી મુસલમાન પોલીસ અમલદાર. મને કહેવામાંઆવ્યું કે ‘અંદરના ચોકમાં ખૂનીઓની કોટડીઓ છે ત્યાં એક આંટા મારો !’ મેં બે-ચાર આંટા માર્યા હશે ત્યાં તો કોટડીમાંથી અવાજ આવ્યોઃ

“હરભાઈ !”

હું એ અવાજ તરફ વળ્યો. કોટડીમાં જોયું તો કાદરબક્ષ બેઠેલો. મેં અગાઉ તો એને લીલો, પીળો, તરવાર, બંદૂક ને પૂરા સાજવાળો જોયેલો. પણ આજે જોયો કેદીના વેશમાં. પાંજરે સાવજ પડ્યો હોય તેવો લાગ્યો. મને જોઈને એ ઊભો થયો. મેં કહ્યું, “કાદરબક્ષ, સલામ આલેકુમ !”

એણે કહ્યું, “વાલેકુમ સલામ.”

મારાથી બીજું કાંઈ બોલી શકાયું નહિ. દિલ ભરાઈ આવ્યું. તકદીરે આને ક્યાં જાતો પટક્યો હતો ! વહેલાંનો એક દિવસ મને યાદ આવી ગયો. હું એને ગામ અમરાપર ગયેલો. અમે ચોરે બેઠા હતા. વાતો ચાલતી હતી. ચા મુકાયો હતો ને કાદરબક્ષ મીઠી જબાનમાંથી મોતી પડતાં મૂકતો હોય તેવી વાતો કરતો હતો. તેટલામાં એક બુઢ્ઢો ખખડી ગયેલ કારડિયો કાદુને હલકી ગાળો દેતો દેતો ચાલ્યો આવે છે. કાદુએ ઝટ સામી દોટ મૂકી કારડિયાને ચુપ થવા વિનવણી કરવા માંડી, તેમ તેમ તો કારડિયો છાપરે ચડ્યો. આ ગાળોની ત્રમઝટ ને વિનવણી જ્યારે પા કલાક ચાલ્યાં ત્યારે પછી મારી સાથેના પાટણના પટાવાળા અબ્બાસે દોડીને કારડિયાને દમદાટી દીધી કે ‘એલા આંધળો છો ! આ જમાદાર થપ્પડ મારશે તો મોંમાં દાંત તો નથી પણ માથું જ ફાટી જશે. જેમ જેમ એ નમે છે, તેમ તેમ તું ફાટતો જાછ શેનો ?’ બેવકૂફ કારડિયો કહે કે ‘તઈં એના બળદને કેમ રેઢા મેલે છે ? અમારાં ખેતર શીદ ચારી દ્યે છે? કાદરબક્ષે કહ્યું, ‘પટેલ, કોરે કાગળે આંકડો માંડ. હું તારી નુકસાની ભરી દઉં. પણ આવાં રૂડાં માણસ ગામમાં મહેમાન આવ્યાં હોય ત્યારે આમ ફજેતા ન શોભે.’ માંડ માંડ પટેલ ટાઢો પડ્યો. પછી ચા પિવાતી વખતે પટાવાળા અબ્બાસે પૂછ્યું, ‘કાદરબક્ષ ! તમને તો આખી દુનિયા શું ને શું સમજે છે ! કહે છે કે અમરાપરની હદમાં તો સાવજ પણ ઊતરી શકતો નથી, અને છતાં આ ગંડુની ગાળો સાંખી લીધી ?’ કાદુએ હસીને જવાબ દીધેલો કે ‘ભાઈ ! એમાં જ મર્દાઈ છે. કૂતરા તો માણસને કરડે, પણ માણસો કૂતરાને કરડ્યાં સાંભળ્યાં છે ? એને તો થપ્પડ મારું ત્યાં એ મરી જાય. પણ એવાં નમાલાં કામ માટે શીદ મારો જીવ જોખમમાં નાખું ! વખત આવશે તો કોઈક દિવસ જોવાશે કે કાદુમાં શું ભર્યું છે !’

આવી તો મારી સગી આંખે જોયેલી એની ખામોશી ! તે દિવસ ખબર નહોતી કે આનો આ કાદુ આખી સોરઠને હલાવશે !

એ સમય સાંભરી આવતાં મારું હૈયું ભરાઈ ગયું. કાદુ સમજી ગયો. એ બોલ્યો, “હરભાઈ ! એમાં ગમ ખાવો શું કામ આવે ? એ તો અલ્લાહનો અમલ (હુકમ)! મુકદ્દર તે એનું નામ !”

પછી એણે દેશના બધાના ખબરઅંતર પૂછ્યા. પ્રભાસવાળા અમારા બન્નેના ઉસ્તાદ મૌલાના મહમદ બિન ઇસ્માઇલ ગજનવી તગાવી સાહેબ મોટા પરહેજગાર આલિમ હતા તેને સલામ કહેવરાવી.

એટલામાં તો અંબારામાઈ અને સિંધના બેય અમલાદરો આવી પહોંચ્યા. ગોરા સાહેબે મને કહ્યું કે “તમે તો હરામખોરની સાથે બહુ બહુ વાતો કરવા લાગ્યા !” મેં જવાબ દીધો કે “સાહેબ, અત્યારે તો એ ગુનેગાર છે અને એને એની સજા મળી ગઈ છે; પણ માત્ર બે-અઢી વરસ ઉપર તો એ નવાબનો નિમકહલાલ નોકર હતો ને ગાયકવાડની સરહદ પર નવાબનો મુલક સાચવતો. માટે આજ અમે દિલ દિલની થોડી વાતો કરીએ છીએ.”

પછી અંબારામભાઈએ કહ્યું, “શાબાશ કાદરબક્ષ ! શાબાશ જુવાન! દુનિયામં સિપાહીગીરી દેખાડી. નામ રાખી દીધું.”

કાદુએ જવાબ આપ્યો, “અંબારામભાઈ ! અમે તો આપના અહેસાનમંદ છીએ કે ઇણાજ પર ચડીને આવ્યા છતાં તમે અમારો મલાજો કાયમ રાખ્યો. બાકી આપ તો ચિઠ્ઠીના ચાકર. આપને ક્યાં અમારી જોડે વેર હતું ! પણ, મારું દિલ અત્યારે ચિરાય છે, કેમ કે જે ધણીનું નિમક આ રૂંવે રૂંવે ભર્યું છે તેની સામે અમારે હથિયાર ઉપાડવાં પડ્યાં. એની રૈયતને બેહાલ કરી અમે એનાં ઢગલાબંધ માણસો માર્યાં. અને જે દેશમાં અમે જન્મી મોટા થયા તેને જ અમે ધૂળ મેળવી દીધો. એમાં અમારો વાંક હશે. પણ, સાહેબ! અમને એક પણ તક મળી નહિ. અમને મરાવવા હતા તો નવાબ સાહેબના કોઈ દુશ્મનની સામે લડાવી મરાવવા’તા. અમારું મોત તો સુધરત ! હવે તો ખેર ! હરભાઈ, અંબારામભાઈ, તમે બેય અમારા વતી સહુની પાસે છેલ્લી માફામાફી કરજો, હો !”

એ એટલું બલી ગયો, પણ એના અવાજમાં ફરક નહોતો પડ્યો. અસલ દીઠી હતી તે જ ખામોશી આજે એનું મોત સુધારવા માટે જાણે એના અંતરમાં ખીલી ઊઠી હતી. એના બોલ સાંભળીને અંબારાભાઈની વૃદ્ધ આંખો પલળી ગઈ. એણે તો ફરી ફરી કહ્યા જ કર્યું કે ‘રંગ કાદરબક્ષ ! રંગ છે તારી હિમ્મતને અને રંગ તારી સમજને !’

અંગ્રેજ સુપરિન્ટેન્ડેન્ટ અને સિંધી અમલદાર તો આ દેખાવ જોઈ જ રહ્યા. સોરઠની મર્દાઈની ને માણસાઈની તેઓને ગમ નહોતી. જે લોકો હથિયારો બાંધી કાદુની સામે લડે તે જ લોકો આજ જૂના દિલજાન દોસ્તોની માફક આ ખૂનીની સાથે વાતો કરે એ બીના અજાણ્યા લોકોને ભયંકર લાગી. તેઓની ભ્રૂકુટીઓ ચડી ગઈ હતી. છેવટે સિંધી ફોજદારથી ન રહેવાયું. એણે ટોણો માર્યો કે ‘ઇસ બદમાશકો હમને ઇધર ચપટીમેં પકડ લિયા. આપ લોગ કુચ્છ નહીં કર સકે !’

આ વેણ મારાથી ન સહેવાયું. મારી અડતાલીસ તસુના ઘેરાવાવાળી જુવાન છાતી જાણે ઘવાણી. મારી છ ફૂટ ઊંચી કાયાનાં રૂંવાડાં સળગવા લાગ્યાં. હું ઝપાટામાં ઊભો થઈ ગયો. સિંધી ફોજદાર મારો સીનો દેખી ખચકાણો. પણ ત્યાં તો વચ્ચેથી કાદુ બોલી ઊઠ્યો કે ‘ફોજદાર સાહેબ, ફખર (શેખી) મત ખાઓ ! આપને કરાંચીકે બાઝારમેં જો શખ્સકો પકડા વો કાદુ નહીં થા જિસકે સામને ઇન સાહેબોકો લડના હોતા થા. આપને તો એક બિચારા સાધુ વેરાગીકો પકડા થા. અગર મેરી કમર પર તરવાર ઔર કંધે પર બંદૂક હોતી તો આપ ન તો મુઝે ઝિન્દા હાથ તક લગા સક્તે, ન કરાંચીકે બાઝારમેં બાજરી કે ખેત સિવાય દૂસરા નઝારા હોતા !’ (ફોજદાર સાહેબ, બડાઈ ન મારો ! આપે કરાંચીની બજારમાં જે કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો. આપે તો એક બિચારા વેરાગી સાધુને પકડ્યો છે. બાકી જો મારી કમર પર તરવાર ને ખભા પર બંદૂક હોત, તો ન તો આપ મને જીવતો હાથ પણ અડકાડી શકત કે ન તો કરાંચીની બજારમાં બાજરાનું ખેતર લણવા સિવાયનો બીજો તાશેરો બન્યો હોત.)

પછી કાદુ અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે, “આ બિચારા શું જાણે ! મારા હાથમાંનો એક ચાકુ પણ એટલો ભારી થઈ પડ્યો તો પછી બીજાં હથિયાર હોત તો મને સિપાહીનું મોત તો જરૂર મળત. ખેર, આટલું પણ ગનીમત છે.”

વખત ભરાઈ ગયો હતો. અમે પરસ્પર ‘ખુદા હાફિઝ’ કહી જુદા પડ્યા. કાદરબક્ષે એટલું જ કહ્યું કે “હરભાઈ, બને તો જતાં પહેલાં એક વાર મળજો.”

ત્યાંથી ચાલીને અમે અલાદાદની કોટડી પર ગયા. કાદુથી ઊલટી પ્રકૃતિનો એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો. પણ પછી ઠંડે કલેજે વાતો કરી. એને જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી. કાદરબક્ષને એક વાર છેલ્લી નજરે જોઈ લેવા એનું દિલ પારાવાર તલખતું હતું.

ત્રીજે દિવસે સાંજે ઘણી જ મુસીબતે ફરીથી મુલાકાત કરવાની અરધા કલાક માટે રજા મળી. જેલનો દરોગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા. અસરની (સાંજના ચારથી પાંચ બજ્યા સુધીની) નમાજ થઈ રહી એટલો વખત હતો. કાદુએ ફરીથી આગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી. એક પછી એક નામ યાદ કરી કરીને માફામાફી અને સલામ કહેવરાવ્યા. પાા કલાક તો એમાં જ વીતી ગયો. મેં પૂછ્યું, “ભાઈ ! હવે બીજું કાંઈ કહેવું છે ?”

એણે કહ્યું, “હા, તમે હિન્દુ છો પણ મુસલમાની ઇલમમાં પૂરા છો. એટલે મારે તમારે મોઢેથી યાસીન શરીફ સાંભળવાનો વિચાર થયો છે. હું પોતે તો છેલ્લાં બે વરસના રઝળપાટમાં મારું ઇલમ ભૂલી ગયો છું, હરભાઈ! અને આંહીં સહુને વીનવું છું છતાં આટલા આટલા મુસલમાનોમાંથી મને કોઈ એ સંભળાવતું નથી. તમે જો પઢો તો હું મારું મોટું ભાગ્ય સમજીશ.”

મેં તો મુસલમાની વિદ્યા બરાબર હાથ કરી હતી. કુરાને શરીફના મુખ્ય મુખ્ય સૂરા (અધ્યાય) મને કંઠસ્થ હતા. હું યાસીન શરીફ સંભળાવવા લાવ્યો. મુસલમાન અમલદારો પણ તુર્ત પોતાની ખુરશી પરથી ઊભા થઈ અદબ કરી ગયા અને એ પ્રિય કલામ (જેમાં આત્માને મરતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે) કાદુએ એકધ્યાન દઈને સાંભળી. પાઠ પૂરો થયો, પણ ચુપકીદી છવાઈ ગઈ. કોઈથી કાંઈ ન બોલી શકાય એવી મોતની મીઠી છાંયડી સમી અસર પથરાઈ ગઈ. આખરે મેં કાદુને કહ્યું, “ભાઈ, અલ્લાહુ મુહાફિઝ !” (ઈશ્વર બચાવવાવાળો છે.)

સામે જવાબ મળ્યો, “ખુદા હાફિઝ !”

છેલ્લે છેલ્લે મારું પગલું ઊપડે તે પહેલાં મારા ભરાઈ આવેલા હૈયામાંથી શેખ સાદીની બેત નીકળી પડીઃ

ચુ રદ્દ ન ગર્દદ ખર્દન્ગે કંઝા,

સપહરનીસ્ત મર બન્દા રાજુઝ રઝા !

(જ્યારે કઝાનાં તીર કદી ખાલી જતાં નથી, ત્યારે માણસ માટે રઝા સિવાય બીજી એકેય ઢાલ નથી.)

એટલું બોલી, માથું નીચું ઢાળી, કાદરબક્ષના ચહેરા સામે જોવાની હિંમ્મત વિનાનો હું ચાલી નીકળ્યો હતો. તેને બીજે જ દિવસે કાદુને ફાંસી દેવામાં આવનાર હતી.૧

૧ આખી કથા હરભાઈ દેસાઈ નવાબશ્રી રસૂલખાનજીની કચેરીમાં તેઓશ્રીના પૂછવાથી ઘણી વાર કહી સંભળાવતા.

કાદુને ફાંસી દેવાની સવારે જ અદાદાદને લઈ અમારી જૂનાગઢની પોલીસ ઊપડવાની હતી. કાદુ તો પહેલેથી શાંત અને ધીર હતો. એણે કદી અલાદાદને મળવા માટે માગણી ન કરી કે ન મુખમુદ્રા બદલી. એ જાણે મોતને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો; ત્યારે પહેલેથી જ ક્રોધી, ખૂની અને ઉતાવળિયા સ્વભાવનો અલાદાદ પછાડા મારતો હતો કે ‘મને એક વાર કાદુની મુલાકાત કરી લેવા દ્યો.’ છેવટ સુધી એણે એ માગણી ચાલુ જ રાખી, પણ એ વ્યર્થ હતું.

‘હું દરિયામાં પડીશ ! જીભ કરડી મરીશ !’ એવી એ ધમકી દેતો હોવાથી આગબોટમાં ખૂબ જાપ્તાથી એને પગે ભારી ભારી બેડીઓ પહેરાવી, છેક ઊંચે લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો. આગબોટ ચાલી. અંબારામભાઈ અલાદાદને જોવા ગયા. એનાથી આ ભયંકર બેડીઓનો દેખાવ જોઈ ન શકાયો; બીજી બાજુ, એવા ભયંકર ખૂનીનો જાપ્તો નરમ પણ કેમ રખાય એ મૂંઝવણ હતી. અંબારામભાઈ મારી પાસે આવ્યા. કંઈક તોડ કાઢવા માટે કહ્યું. હું અલાદાદની પાસે ગયો. ધીમે ધીમે ફોસલાવી વાતો કરવા લાગ્યોઃ ‘ભાઈ અલાદાદ ! આપણે તો ગીરમાં ભેળો દીપડાનો શિકાર કરેલો, પ્રાચીના મેળામાં નિશાન પાડવાની હરીફાઈ કરેલી, બ્રહ્મકુંડના હવનમાં પટ્ટણીઓ સાથે કુસ્તી ખેલેલાઃ એ જૂની વાતો યાદ આવે છે તને ?”

સાંભળી સાંભળી અલાદાદ નરમ પડ્યો. એણે મને પૂછ્યું, “હરભાઈ! કાલે તમને કાદરબક્ષે શી શી વાતો કરી હતી ? મને કહો, મને એનાં સખૂનો સંભળાવો.”

મેં કહ્યું, “ભાઈ ! એણે તો બહુ સમજની વાતો કરી હતી. એની વાત ઉપરથી તો અંબારામભાઈ આજ તારા પર નરમ થયા છે. તારા જેવો ખાનદાન સિપાહી માણસ આમ ગાળો કાઢે ને ઉત્પાત કરે તો કાંટિયા વરણનાં તમામ લોકો એમ જ માને કે અલાદાદ મોતથી બીને વલખાં મારે છે. માટે તારે ગંભીર બનવું જોઈએ. થવાનું હશે તે તો થાશે પણ તું હાથે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાઈ ડુબાડવાની વાતો કરે છે એથી અમને સિપાહીગીરીના ખ્યાલવાળાને તો બહુ ખોટું લાગે છે.”

અલાદાદ આવું સાંભળીને પીગળ્યો. એ કહે કે “હરભાઈ ! મારાથી રહેવાતું નથી. મને આમ જકડી લીધો છે તેથી શ્વાસ પણ લેવાતો નથી. બાકી મારે તો ઘણી ઘણી વાતો કરવાની છે હો !”

મેં કહ્યું, “અલાદાદ ! તેં ડરીને આપઘાત કરવાની નમાલી વાતો કાઢી તેનું જ આ પરિણામ છે. હવે જો તું અલ્લાહના કસમ ખા કે મને દગો નહિ આપ, તો હમણાં એ બધું કઢાવી નાખું.”

“હરભાઈ ! આ તો મને કડાયા ગામના પટેલની બદદુવા લાગી છે. તે દી એને આમ બાંધ્યો હતો. તે વખત પીડા ન સહાતાં એણે પણ મને એમ જ કહેલું કે તને પણ તારા દુશ્મન આમ જ બાંધશે. વાહ મુકદ્દર ! આજ એ કદુવા ફળી. ખેર ! હવે તો ફક્ત મારા ઉપલા બંધ કાઢો ને, તો મારાથી હરાયફરાય ! વધુ કાંઈ હું નથી માગતો.”

છેવટે મારી પોતાની જવાબદારી ઉપર અંબારામભાઈએ અલાદાદના શરીર પરથી પગની બેડી સિવાયનાં બંધનો ખસેડી લીધાં અને ફક્ત એક ડાબા હાથમાં હાથકડી નાખી તેની જોડીની બીજી કડી મારા ડાબા હાથમાં જડી. ઉપર બેવડો પહેરો ગોઠવ્યો. હું અને અલાદાદ સાથી બનીને બેઠા. ધીરે ધીરે એણે દિલનો તાપ ઉતારી નાખી, મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું, પાણી પીધું ને પેટમાં ઠારક વળતાંએ વાતોએ ચડ્યો. એણે શરૂ કર્યુંઃ

“હરભાઈ ! આજકાલમાં જ કાદરબક્ષને ફાંસીએ ચડાવશે. મારે તો આ દુનિયામાં એનાથી વધુ વહાલું કોઈ નહોતું. મારાં પાપ એને ખાઈ ગયાં. શું એની માયા ! મને એક વાર ગીરમાં વાંસાઢોળ ડુંગર પાસે બંદૂક વાગેલીઃ મારાથી ચલાય નહિઃ પગમાંથી લોહીનો ધોધ ચાલ્યો. હું બેસી ગયો. મેં કહ્યું, મામુ, ખુદા હાફિઝ ! મામુ કહે કે આમીન ! પણ તને મૂકીને નહિ ભાગું. એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકને ઉપાડી લે તેમ મને ઉપાડી લઈને કારદબક્ષે દોટ મૂકી, આડેઅવળે થઈ વાંસાઢોળ માથે ચડી ગયા, અને ત્રણચાર મહિને મારો જખમ મટ્યો ત્યાં સુધી એમ ને એમ મને તેડીને ફેરવ્યો. હરભાઈ ! આજ દરોગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા ત્યારે એ મારો પ્યારો મામુ બહુ દિલગીર થશે !’

બિચારો અલાદાદ ! એને શી ખબર ! પણ હું જાણતો હતો કે કાદરબક્ષ તો ક્યારનો કબરમાં સૂઈ ગયો હશે. પણ હું શી રીતે ઉચ્ચાર કરું! હું બેઠો રહ્યો. એનું પણ હૈયુ ભરાઈ આવેલું. અમે બન્ને થોડી વાર ચુપ રહ્યા. વળી પાછું અલાદાદે ચલાવ્યુંઃ

“હરભાઈ ! તમે તો સમજતા હશો કે બા’રવટિયા મરદાઈનો આંટો છે, પણ જીવ તો તમામને બહુ વહાલો છે હો ! જ્યાં જરીક બેઠા હોઈએ, ને એક પાંદડું ખડખડે ત્યાં દસ ગાઉ દોડ્યા જઈએ. અમારે તો ટાઢ, તડકો, વરસાદ બધું સરખું હતું. તમે માનશો, ભાઈ ! એક દિવસ વરસાદમાં હું ટોળીથી છૂટો પડી ગયો તે ઝીલાળાના ભોંયરામાં સૂઈ રહ્યો. ઠેઠ બીજે દિવસે બપોરે હું ઊઠ્યો. તો બાજુમાં એક સાવજ ઘોરે અને આમ હું પડેલો ! છતાં સાવજેય મને સૂંઘેલ નહિ. આમ મરણિયાથી તો મરણ પણ આઘું ભાગે છે!”

ફરી વાર બહારવટિયો ચુપ થયો. અમે બેય થોડી વાર બેઠા રહ્યા. કોઈ કાંઈ બોલે નહીં. આગબોટ ચાલી જાય, સંત્રીઓ આંટા મારે, સાંજનું ટાણું, આખો દિવસ તપેલા આભના અંતરમાંથી આપદા જાણે દરિયાનાં પાણીમાં નીતરતી હતી; તેમ ખૂની અલાદાદના અંતરમાંથી પણ આતશ ટપકીને જતી હતી. એની યાદદાસ્ત ઉપરથી જાણે પાપની શિલા ઊપડતી હતી. એેણે ચલાવ્યુંઃ

“હરભાઈ ! એક દી બહારવટામાં હમ્ફ્રી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો. જે ગામ જાઓ તે તે ગામે ચચ્ચાર રાઈફલો તૈયાર. એના માથે કેમ પડાય ? અમે ભૂખ્યા હતા. ખાવાનું મળતું નહોતું. તમે માનશો ? ચાલીસ રૂપિયે એક શેર લોટ લીધો ને પાણીકોઠા ઉપર ગાયકવાડી હદ પાસે વિકમશીની ધાર તમે તો જોઈ છે ને, ત્યાં અમે રાંધવા બેઠા. જ્યાં રોટલા તૈયાર થયા ત્યાં કાઈક ખડખડાટ થયો. ચાડિયો કહે કે ગિસ્તના પગી જેવું કંઈક દેખાણું. અમે ભાગ્યા, સાંઢડીધાર ગામ તો જમણું રહી ગયું ને અમે ઠેઠ જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા. ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સહુને ખાતરી થઈ કે કાંઈ જ ન હતું ! પછી તકદીરને આફરીન કહી, પાણી પી, આખી રાત અમે પડ્યા રહ્યા. અને છતાં તમારા ભાઈબંધો, પોલીસ અમલદારો, રૈયતને કહે છે કે તમે રોટલા ખવરાવી બા’રવટિયા નભાવો છો !”

મધરાત થઈ ગઈ. વાતો સાંભળતા મને ઝોકાં આવવા લાગ્યાં હતાં. એટલે અલાદાદે મને કહ્યું, “હરભાઈ ! મેં તો બા’રવટું કર્યું છે એટલે મને હાથકડી ભલે પડી પણ તમારે આમ બેસવું પડે તો તો મને બહુ શરમ લાગે. તે તમે તમારે સૂઈ જાઓ !”

મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહિ એટલે એકબે કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો. વચ્ચે દ્વારકા, પોરબંદર, માંગરોળ વગેરે બંદરો પર આગબોટ ઊભી રહી ત્યારે ઘણા માણસો અલાદાદને જોવા આવેલા. તેઓએ માનેલું કે કાદુ પણ ભેગો હશે.

વેરાવળ બંદરે કર્નલ હમ્ફ્રી આગબોટ પર આવી દૂરથી બધું જોઈ ગયા. બહુ જ સમદાર અને ખાનદાન આદમી; નૈતિક બળથી કામ થાય તો બીજું બળ ન અજમાવવું એ એનું સૂત્ર હતું. એણે અલાદાદને મારી સાથે જ એક મછવામાં ચાર જણ ભેળા રાખીને તારવાની આજ્ઞા કરી. કાંઠા પર કર્નલે અલાદાદનો કબજો સંભાળ્યો. ‘હરભાઈ ! અલ્લાબેલી !’ કહીને બહારવટિયો છૂટો પડ્યો.૧

૧ આવી અનેક હકીકતો કહેનાર, સાચા સોરઠી રંગમાં રંગાયેલ દેસાઈ હરપ્રસાદ ઉદયશંકર બહુ જ જબરદસ્ત બાંધાના, વજ્રકાય અને રુઆબદાર દેખાવના હતા. તેમનો પડછંદ બાંધો અને દાઢીમૂછ જોનારને ભુલાવો ખવરાવે કે આ કોઈક શીખ હશે. નાગરોમાં પ્રભાસવાળા દેસાઈઓ અસલથી જ લશ્કરી ધંધો કરતા આવ્યા છે, તેમ આ પુરુષ પણ વફાદાર, પ્રામાણિક અને નીડર નર તરીકે પ્રખ્યાત હતા. તેમની દયાળુતા તો એક દુર્ગુણ જેવી હતી. પહેલાં પચીસ વર્ષ જૂનાગઢ રાજની પોલીસમાં બહુ જ જોખમી કામો કરી ક્રમે ક્રમે ઊંચે ચડેલ. પછી સં. ૧૯પ૮-પ૯માં ગીરના જંગલ-અધિકારી નિમાયા. ત્યાં તેમણે અઢી વર્ષમાં પચીસ નવાં ગામો બાંધેલાં. નવાબ રસૂલખાનજીના અવસાન પછી ઍડમિનિસ્ટ્રેશનમાં પણ પાછા તેને ગીરમાં નીમ્યા હતા. પાંત્રીસ વર્ષની સરસ નોકરીથી જ્યારે ફારગત થયા ત્યારે રાજ્યે ખાસ ઠરાવ બહાર પાડી એમની લાંબી ને નેક નોકરીની પ્રશંસા કરેલી. પૂરી સિપાહીગીરી, મુસલમાની વિદ્યામાં પારંગતપણું, રાજ પ્રત્યે વફાદારી અને કાંટિયા વર્ણ પર પ્રેમભરપૂર કાબૂઃ એ એમની ખાસિયતો હતી. એમનો દેહ ૧૯ર૩માં અમદાવાદમાં પડ્યો.

મુંબઈને કિનારેથી બે જણાં વહાણમાં ચડતાં હતાંઃ એક ઓરત ને બીજો જુવાન. ઓરતના માથા પર માટલું હતું. થોડી વારમાં જ વહાણ પર ચડી જાત.

“આ માટલામાં શું છે, બાઈ ?” પોલીસે શકભરી રીતે પૂછ્યું.

“ગોળ છે.”

“ગોળ ? ગોળ ક્યાં લઈ જાઓ છો ?” એમ કહીને પોલીસે માટલા પર લાકડી લગાવી. વહેમ વધ્યો. માટલું ઉતરાવ્યું. ગોળના થરની નીચે તપાસતાં માટલું ઘરાણાંથી ભરેલું નીકળ્યું.

તપાસ થઈઃ બાઈ હતી કાદુની બહેન ઝુલેખાં અને જુવાન હતો દીનમહમદઃ કાદુનો સંગાથી બહારવટિયો. મકરાણમાં ભાગી જવા નીકળેલાં. એ મુંબઈમાં પકડાણાં.

આવી રીતે તમામને પકડ્યા. એને ઓળખવા માટે શકદાર લોકોને તેડાવ્યા. કેટલાક ભરવાડ, રબારી, આહીર, ચારણ, કણબી વગેરે રૈયતના લોકો ઉપર રાજના અમલદારો કાદુના કરતાં બેવડો કેર વર્તાવી રહ્યા હતા. લોકોને પૂછતા હતા કે “આ હરામખોરોને રોટલા તમે દેતા હતા કે ?”

તે વખતે દીનમામદ બોલતો હતો કે “એના ઉપર શા માટે સિતમ ગુજારો છો ? રોટલા અમને એણે નથી દીધા, પણ અમારી આ તરવારોબંદૂકોએ દીધા છે. અને એ રબારી-ચારણોનાં બટકાં ઉપર અમે અક્કેક દિવસમાં ચાલીસ ગાઉ નહોતા ખેંચતા, સાહેબ ! અમે તો માલ માલ ખાતા. માટે એ બાપડા નિર્દોષોને શીદ મારો છો ?”

અલાદાદ, દીનમામદ, ગુલમામદ વગેરે તમામ પકડાઈ જનારાઓને હિંદી પીનલ કોડની કલમ ૧ર૧-અ ને મળતી સૌરાષ્ટ્ર ધારાની કલમ મુજબ ખૂન, હથિયારબંધ ડાકાઈટી વગેરે તહોમત મૂકી ફાંસીની સજા ફરમાવી.

હજુ ફાંસીએ નહોતા લટકાવ્યા. દરમિયાન, નવાબ બહાદુરખાનજી જૂનાગઢની જેલ જોવા આવ્યા. ત્યાં એમણે તમામ ખૂનીઓની વચ્ચે ગુલમામદને દીઠો. ચૌદ વરસનો નાજુક બેટોઃ નમણી મુખમુદ્રાઃ ગુલાબના ગોટા જેવું લાલી નીતરતું બદનઃ નવાબ નીરખી રહ્યા. “આને ફાંસીની સજા ! ના, ના, એને જન્મકેદ રાખો. એનો જાન લેશો મા.”

ગુલમામદ જીવતો રહ્યો. કાદુની સાથે ગામડાં ભાંગવામાં ભેળો રહેનાર અને બહારવટિયાના સિતમોનો સાક્ષી બાલક ગુલમામદ જાગી ગયો. ખુદાના રાહ પર ઊતરી ગયો. જેલમાં કેદીઓ પાસે કુરાને શરીફ પઢે, નમાજ પઢાવે અને અનેક ફાંસીએ ચડનારા ગુનેગારની આખરી ઘડી ઊજળી બનાવે. મરતાંને હિંમત આપે ને જીવતાંને નેકી શીખવે. એમ કરતાં કરતાં તો ખુદ નવાબ પણ પોતાની નમાજ વખતે ગુલમામદને પઢવા તેડાવવા લાગ્યા. આખરે ગુલમામદ માફી પામ્યો. છૂટો થયો. નવાબે એને પોતાની જ પાસે રાખ્યો. નોકરી આપી, પરણાવ્યો. આજ એ નેક પાક આદમી ગુલમામદ જંગલ ખાતાનો આસિસ્ટંટ ઉપરી છે, ખુદાની બંદગી કરે છે, અને પોતાને ઇન્સાનિયતને માર્ગે ચડાવનાર નવાબની દુવા ગુજારે છે.

કાદુનાં પ્રશસ્તિ-કાવ્યો પૈકી રાસડો

ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા,

દારૂગોળાની વાગે ઠારમઠોર રે મકરાણી કાદુ !

જૂની વસતી જમાદાર માર્ય મા,

એવડાં તે દુઃખ ન દઈએ લોકને.

બબ્બે બંધૂકું કાદુડો બાંધતો,

ત્રીજી બાંધ્યાની રે ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

બબ્બે ઘોડાં કાદુડો રાખતો;

ત્રીજા ઘોડાની રે ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

બબ્બે હાથીડા કાદુડો રાખતો;

મકના હાથીની રૈ ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

બબ્બે રાણીઉં કાદુડો રાખતો;

કાઠિયાણીની રૈ ગઈ તારે ખાંત રે મકરાણી કાદુ ! - જૂની.

ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા;

ડુંગરેથી તારો લપટ્યો ડાબો પગ રે મકરાણી કાદુ ! - જૂની.

રાવણહથ્થાવાળા તથા સ્ત્રીઓ ગાય છે. તે સિવાય એના દુહા

પાલીતાણાવાળા ચારણ માણસૂરે કહેલ છે. તેમાંના બે આ રહ્યાઃ

કાદરનું બાદર કને, જાણ જૂનેગઢ જાય,

દી રોંઢે દેવાય, કમાડ હાટે, કાદરા !

કાં માર્યાં કે મારશે, જોદ્ધા ઘરના જે,

બીબડિયું બંગલે, કૂટે છાતી, કાદરા

એક ઘણા જ વિશ્વાસપાત્ર અને તટસ્થ જાણકાર તરફથી મળેલું આ ટિપ્પણ ઇણાજની આખી ઘટના ઉપર સરસ અજવાળું પાડે છેઃ

“આશરે સને ૧૮૪૦-પ૦ના સમયમાં માંગરોળના શેખની ખાસી બેરખના વિલાયતી આરબોએ બંડ કરી માંગરોળ લૂટ્યું અને તેનાં નાણાં લઈ નાઠા. વાંસે ચડવાની કોઈની છાતી નહોતી ચાલતી. એટલે જૂનાગઢ નવાબ સાહેબની દેવડીએ રહેનારા બે વિલાયતી મકરાણીઓએ બીડું ઝડપ્યું, આરબોનો પીછો લીધો. ગીરના નીકળ્યા વાળાકમાં, વાળાકથી ગોહિલવાડ ને ત્યાંના ભાલમાં, અને ત્યાંથી પેટલાદમાં આવ્યા. પેટલાદની બજારમાં ધિંગાણું થયું. આરબોએ મકરાણીઓને લૂંટનો અડધો ભાગ આપવાનું કહ્યું પણ તેઓ ન ખૂટ્યા. એવી તો ખૂનખાર લડાઈ થઈ કે મકરાણી ચાઊસો પોતાના પેટના દીકરાઓની લોથોની આડશ લઈને લડ્યા. આરબોને પકડી, લૂંટના માલ સહિત જૂનાગઢ લાવી નવાબ સન્મુખ હાજર કર્યા. એ વીરત્વ બદલ મકરાણી ચાઊસોને નવાબે ઇણાજ ગામ એનાયત કર્યું.

આમ સુખ સાંપડવાથી આ જમાદારોએ મકરાણમાંથી પોતાનાં સગાં-સાંઈઓને તેડાવીને રાખ્યાં. નવા આવનારમાંથી જમાદાર અલીમહમદ ને વલીમહમદ નામે બે ભાઈઓ બહુ જોરદાર નીકળ્યા. મકરાણમાં એ રાજ કરનારી કોમ - એટલે કે ત્યાંના કાંટિયા વરણ - રિન્દ-બલોચ કહેવાય છે. ખાનદાન, સ્વમાની, સોડસોડાં મરદ અને એકવચની કોમ રિન્દ-બલોચ. એ એના સદ્‌ગુણો. પણ અજડ અવિચારી, ક્રૂર અને કેટલેક અંશે ‘અન્‌સ્કૂપ્યુલસ’ ખરા, એ એમના અવગુણ. ધીમે ધીમેઆ નવા આવનારા સગાઓબહુ બળિયા નીવડ્યા. એવે અસલવાળા પક્ષનો મઝિયાન નામનો મકરાણી બહારવટે નીકળ્યો. તેને તેઓ વશ ન કરી શક્યા, પણ જમાદાર અલીમહમદે કબ્જે કર્યો. તેથી સામાવાળાના ભાગમાંથી નવાબે પચાસ તાંસી જમીન અલીમહમદને અપાવી અને બાકીની ધીરે ધીરે ગરીબીને કારણે તેઓએ આ બળિયા પક્ષને માંડી દીધી. બન્ને પક્ષ વચ્ચે અણબનાવ વધ્યો હતો અને એક વખત તો સામા પક્ષવાળા જમાદાર અબ્દલાએ જૂનાગઢ જઈને ફરિયાદ પણ કરેલી કે અમને ગામમાંથી સતામણી કરીને કાઢીમૂકે છે. એમ નવા આવનારાઓ ગામમાં લગભગ ધરાર ધણી થઈ બેઠા હતા.

જમાદાર અલીમહમદ અને વલીમહમદ વિદ્વાન, વિચારશીલ અને દીર્ઘદૃષ્ટા પુરુષો હતા ખરા, પરંતુ પાંચેય આંગળીઓ સરખી ન હોય એટલે જુવાનિયા વર્ગમાં કોઈ ઉદ્દંડ માણસો પણ હશે અને તેમના તરફથી આળવીતરા વર્તનની સાધારણ ફરિયાદ કોઈ કોઈ વાર બહાર પડતી. બીજી બાજુ, રાજના અમલદારોને પણ ઇણાજ ગામ આંખના કણાની માફક ખટકતું હતું.

એ અરસામાં આવી વસ્તી-ગણતરીઃ સને ૧૮૮૧નું વર્ષઃ ગામનાં માથાં ગણાય, બાઈ-બે’ન, વહુ-દીકરી, બધાનાં માથાં ગણાય ! નક્કી એમાં ફિરંગી સરકારની કાંઈક’ છૂપી કરામત હોવી જોઈએ ! આવી આવી શંકાને વશ થઈ ત્રણ કાળમાંય તેમ ન થવા દેવાનો તેઓએ (ઇણાજવાળાઓએ) પાકો નિશ્ચય કર્યો. મામલો તો આ વખતે જ વીફર્યો હતો. પણ ડાહ્યા માણસોએ વચેથી તોડ કાઢ્યો કે પ્રભાસપાટણના, બાદશાહ અકબરના કરતાં પણ જૂનેરા કાળના જમીનદાર નાગર દેસાઈ કુટુંબના એક ખાનદાન હરપ્રસાદ ઉદયશંકર, જે હરભાઈ નામથી આખી ગીરમાં ને નાઘેરમાં અત્યંત લોકપ્રિય અને શૂરવીર તરીકે પ્રસિદ્ધ છે, તેને ઇણાજની વસ્તી ગણવા માટે મોકલવા. દેસાઈ કુળ પર વિશ્વાસ અને સન્માનની દૃષ્ટિ રાખનાર મકરાણીઓએ આ વાતને વધાવી લીધી. વીસ-એકવીસ વર્ષના હરભાઈએ ઇણાજમાં આવીને ગણતરી કરી.

વળી થોડે દહાડે ઇણાજવાળાઓને માંહોમાંહે મારામારી થઈ. એની રાવ ગઈ, પણ તપાસ કરવા જનાર પોલીસને તેઓએ ગામમાં પેસવા દીધા નહિ. પ્રભાસપાટણના માજિસ્ટ્રેટને પણ ભગાડી મૂક્યા અને મનસ્વી વર્તન ચલાવ્યે રાખ્યું. બીજી તરફથી આવી ખમીરવાળી જાતિઓની વિરોધી નોકરશાહી ‘કાગળો કરવા માંડી.’ આમ વાત મમતે ચડી. તેવામાં લાલ ડગલાનો એક બ્રિટિશ સવાર ઇણાજ ગામે મોકલવામાં આવ્યો. તેનેય ગામેતીઓએ, કોણ જાણે શી કુમતિ સૂઝી તે, બંદૂકો બતાવી નસાડી મૂક્યો.

આ વખતે જૂનાગઢને દીવનપદે નડિયાદવાળા સુપ્રસિદ્ધ દેસાઈ ખાનદાનના દેસાઈ હરિદાસ વિહારીદાસ વિરાજે, સ્વભાવે જેવા ઉદાર ઉચ્ચ આશયોવાળા અને દયાળુ, તેવા જ આગ્રહી એને ઇણાજ ગામ પર ક્રોધ આવ્યો. કોઈ અભાગણી પળે એણે હુકમ છોડ્યો કે “ઇણાજવાળાઓનાં હથિયાર છોડાવી લ્યો.” (મરહૂમ નવાબ રસૂલખાનજીને આવા જ એક કિસ્સામાં જ્યારે

કોઈએ આવી ભલામણ કરેલી ત્યારે નવાબે જવાબ આપેલો કે “વોહ હજામ કહાંસે પેદા હુએ, જો સાવઝડુંકે નખ ઊતારે ?” ઇણાજને દુર્ભાગ્યે આવો વિચાર કોઈને થયો નહિ) નોટિસો પણ નીકળી. તેનો વાજબી જવાબ મળ્યો નહિ. ગામ મૂળ માલિકોને સોંપી બહાર જવા હુકમ થયો. તેનો પણ વાજબી જવાબ મળ્યો નહીં. સિપાહી, અમલદાર જે કોઈ ગયા તેને ઇણાજવાળાઓએ તગડી મૂક્યા. આ બધી વાતોને અત્યંત વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવી. જે લોકોની પાછળ “શિરામણી કરતા જાવ !” એવો આગ્રહ કરવા ઇણાજના ગામેતીઓ પોતાના પાદરમાં દોડેલા તે લોકોએ પણ એવી જુબાની આપેલી કે તેઓ તો અમને મારી નાખવા દોડ્યા હતા.

આ સંજોગો હતા એટલે લશ્કરી બળથી ગામ ખાલી કરાવવા જૂનાગઢ રાજ્યે એજન્સીની રજા માગી. રજા આપવામાં આવી. પરંતુ કનડા ડુંગર પર મહિયાની કતલ જેવો કિસ્સો ન બને તેટલા માટે માણેકવાડાના પોલિટિકલ એજન્ટ મેજર સ્કૉટને જૂનાગઢના લશ્કર પર ધ્યાન રાખવા માટે અને હદ બહાર ન જવા દેવા માટે રહેવાનો હુકમ થયો.