Nagar - 25 books and stories free download online pdf in Gujarati

નગર - 25

નગર-૨૫

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- માથુર સાહેબ અતી ભયાનક રીતે મોતને ભેટે છે....મોન્ટીની પાછળ ધુમ્મસનો પડછાયો પડે છે... ઇશાન અને શંકર મહારાજ વચ્ચે આ બધી ઘટનાઓ વીશે વાતચીત થાય છે. એ પછી શંકર મહારાજ ઇશાન સમક્ષ નગરનાં ભૂતકાળમાં બનેલી એક કહાની કહેવી શરૂ કરે છે. હવે આગળ...)

ઇશાન અકળાઇ ઉઠયો. મહારાજ જે રીતે તેની વાતોનાં ગોળ-ગોળ જવાબ આપતા હતા એ તેને સહેજે ગમતું નહોતું. આખરે તે બોલી ઉઠયો “તમે સીધે સીધું કેમ નથી કહેતાં કે આખરે થઇ શું રહયું છે આ બધું...? નગરમાં કેમ આટલો ભય ફેલાયેલો છે...? શું રહસ્ય છે તેની પાછળ...?”

જોકે શંકર મહારાજને પણ ઇશાનની વાત સમજાતી હતી કે આખરે કોઇની સમક્ષ તો એ વાત ઉખેળવી પડશેજ ને. તો ઇશાનને જ કહેવામાં શું વાંધો છે...? “ તો સાંભળ ઇશાન...” તેઓ બોલ્યા અને તેમણે પોતાના પિતાજી રમણીક મહારાજે જે કહાની કહી હતી એ કહાની ઇશાનને કહેવી શરૂ કરી. ઇશાન ટટ્ટાર થયો. તેનાં કાન મહારાજનાં શબ્દો સાંભળવા સાબદા બન્યા.

ઓતરદા બાજુ છવાયેલા વાદળોનાં સમુહની પાછળ છૂપાયેલો સૂર્ય અત્યારે તેનાં અસ્તાચળ ભણી પ્રયાણ કરી રહયો હતો. તેનું આછું અંજવાળુ હજુપણ શિવમંદિરની ટેકરી ઉપર પથરાતું હતું. શંકર મહારાજ અને ઇશાન મંદિરનાં ગ્રેનાઇટ મઢયા પરીસરમાં એક તરફ પથ્થરોની બનાવેલી બેઠક ઉપર બેઠા હતાં. દુરથી વહી રહેલો ઠંડો પવન બંનેનાં ચહેરા ઉપર અથડાઇ રહયો હતો. આછા થતા જતાં અજવાળામાં ઇશાન એકીટશે મહારાજની આંખોમાં જોઇ અધીરાઇભેર તેઓ શું કહે છે એ સાંભળવા સાબદો બન્યો...અને...મહારાજે એક કહાની કહેવી શરૂ કરી. એ કહાની હતી વિભૂતી નગરની કંગાળીયતથી ભવ્યતામાં બદલાવાની...! એ કહાની હતી ભૂતકાળમાં આચરાયેલા એક જઘન્ય અપરાધની...! એ કહાની હતી વિભૂતી નગરનાં નામકરણની....! એ કહાની હતી એક એવી બર્બરતાની જે ઇતિહાસનાં કોઇ પન્ને દર્જ નહોતી થઇ....! એ કહાનીમાં લોભ...લાલચ...દયાહિનતા...સ્વાર્થની પરાકાષ્ઠા સમાયેલી હતી. કેવી રીતે એક માછીમારોની બસ્તી ખૂબ ટુંકા ગાળામાં એક સમૃધ્ધ નગરમાં તબદીલ થઇ તેની હૈરતઅંગેજ દાસ્તાન એ કહાનીરૂપે બયાન થઇ રહી હતી. ઇશાન ધડકતાં દિલે સ્તબ્ધ બની મહારાજનાં મુખેથી નીકળતો એક-એક શબ્દ સાંભળી રહયો હતો, અને પોતાની રીતે તેનું અર્થઘટન કરવામાં પરોવાયો હોય એવું જણાતું હતુ. જાણે તે કોઇ હોરર થ્રિલર હોલીવુડ મૂવી ન જોઇ રહયો હોય. નગરનાં ભૂતકાળનું એક વરવું સત્ય તેની સમક્ષ ઉજાગર થઇ રહયું હતું. એક એવું સત્ય, જે તેને ડરાવી પણ રહયું હતું.

“ ઇશાન....આ સમગ્ર વાતો મને મારા પિતા રમણીક મહારાજે તેમનાં મૃત્યુનાં થોડા સમય પહેલા જણાવી હતી. તેમને આભાસ થઇ ગયો હતો કે હવે તેમનું મૃત્યુ તેમની સમીપ આવી પહોંચ્યું છે. ત્યારેજ તેમણે મને પાસે બોલાવી નગરનાં ભૂતકાળથી વાકેફ કર્યો હતો.” શંકર મહારાજે કહાની પુરી કરી અને ઇશાન સામું જોયું. “ આમાં કેટલું તથ્ય છે એ હું નથી જાણતો...! કે નહોતાં મારા બાપા જાણતા . તેમને પણ તેમનાં પિતાજીએ, એટલે કે મારા દાદાએ આ વાત કહી હતી. માનવામાં ન આવે એવી કહાની છે...પરંતુ તેમાં થોડુંઘણુ સત્ય તો જરૂર હશે...” કહીને તેઓ ખામોશ થયાં. ઇશાન તરત કંઇ બોલ્યો નહીં. તેના મનમાં ધમાસાણ મચ્યું હતું. મહારાજની કથની સાંભળીને તેને સંતોષ થવો જોઇતો હતો કે તેણે આ નગર ઉપર મંડરાતી આફતોનું પગેરું મેળવી લીધું છે...પરંતુ તેને એવો કોઇ ઉમળકો થયો નહી. ઉલટાનાં ઘણાબધા પ્રશ્નો તેનાં જહેનમાં ઉદ્દભવતાં હતા જેને તે વાચા આપવા મથી રહયો.

“ મહારાજ...તમે જે કહયું, માન્યું કે હકીકતમાં એવું બન્યું હશે. પરંતુ તમને બીજા કોઇ પ્રશ્નો નથી ઉદ્દભવતા...?” તે બોલ્યો.

“ કેવા પ્રશ્નો ઇશાન...?”

“ સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે શું તમે આવી બે-તૂકી વાતોમાં માનો છો...? વૈજ્ઞાનિકોએ હવે મંગળગ્રહ તરફ હરણફાળ ભરી છે અને આપણે હજુય આ “ ભૂતો કા બદલા...” કે પછી “કુદરત કા ઇન્સાફ...” અને “ જૈસી કરની વેસી ભરની...” જેવી હિન્દી ફિલ્મો ટાઇપ વાહિયાત વાતોમાં વિશ્વાસ કરી રહયા છીએ. તમને નથી લાગતું કે આ વધું પડતું છે...?”

“ હોઇ શકે....અથવા હશે. પણ તો પછી તું જે જોઇ રહયો છે એને કઇ રીતે વર્ણવીશ...? નગરમાં ઘટતી અનહોની ઘટનાઓ વિશે તું શું ખાલાસો આપીશ...?” મહારાજ પુંછયુ.

ઇશાન પાસે એ સવાલોનાં કોઇ જવાબ નહોતાં. તે ખુદ જાતે એક પેરા-નોર્મલ અનુભવ કરી ચુકયો હતો. તેનું દિલ મહારાજની વાતો સ્વીકારતું તો હતું પરંતુ તેના દિમાગમાં હજારો સવાલો ઉદ્દભવી રહયાં હતા. નગરનાં ટાઉનહોલમાં જોયેલા પેલા “ સાયા “ વિશે તે કોઇને કહી શકે તેમ નહોતો.

“ અચ્છા...છોડો એ વાત. હવે બીજા એક સવાલનો જવાબ આપો કે તમે બપોરે ગાંડા કેમ કાઢતાં હતા...?” કંઇજ ન સમજાતાં ઇશાને ટોપીક બદલ્યો.

“ ખરેખર મને ખ્યાલ નથી કે ત્યારે હું શું કરતો હતો, અને કેવી રીતે ત્યાં આવ્યો હતો...? આપણે મુંબઇમાં છુટાં પડયાં તેના બે દિવસ પછી હું અહીં, વિભૂતી નગરમાં આવ્યો, અને નગરમાં પગ મુકતાં જ મારું મગજ ભમવા માંડયું હતું. અચાનક મને કોઇકે જકડી ન લીધો હોય...! એવું લાગતું હતું. ત્યારેપણ એવુંજ કશુંક થયું હશે. મને ખરેખર ખબર નથી કે મેં શું કર્યું હતું....!”

“ તમે કોઇ પાગલ વ્યક્તિની જેમ “ ખૂન કા બદલા ખૂન...” એવી ચીસો પાડતા નગરનાં રસ્તા ઉપર દોડયા હતાં. ”ઇશાન બોલ્યો.

“ હે ભગવાન...!! મને એમાંનું કશું જ યાદ નથી ઇશાન...” મહારાહ વ્યથિત સ્વરમાં બોલ્યા. “ પરંતુ એક વાત સત્ય છે....કે હવે આ નગરને કોઇ જ બચાવી નહી શકે...!! અને જો કોઇનામાં એવી શક્તિ હોય તો એ ફક્ત મારો ભોળોનાથ છે. હું કયારનો ભગવાન સમક્ષ એ જ પ્રાર્થના કરી રહયો હતો.”

“ અચ્છા...ઓ.કે...! તમારી કીધેલી કહાનીને જો હું સાચી માની પણ લઉં....તો પણ હજું એક પ્રશ્ન છે કે તમે મારી મિત્ર એલીઝાબેથને પેલા જહાજ “એલીઝાબેથ ડેન” સાથે કેવી રીતે સાંકળી શકો....? માન્યુ કે બંનેના નામ એક જેવા જ છે, પરંતુ એવા અકસ્માતો તો આ દુનિયામાં બનતાં જ રહેતા હોય. કયાં એ દોઢસો વર્ષ પહેલાની કહાની અને કયાં ઓસ્ટ્રેલીયા જેવા ફોરવર્ડ કંન્ટ્રીમાંથી આવેલી એક આધુનીક યુવતી...? એ બંને વચ્ચે સામ્ય કેવી રીતે હોઇ શકે...?”

“ મારું મન કહે છે કે કંઇક તો જરૂર છે જે તે બંનેને આપસમાં સાંકળી રહયું છે. એ શું છે એ તું પત્તો લગાવ..”

“ હું....?” ભારે આશ્ચ્રર્યથી ઇશાન બોલ્યો.

“ હાં તું....! કોણ જાણે કેમ, પણ મને એવું લાગે છે કે તુંજ કંઇક કરી શકીશ, મેં પહેલી વખત જ્યારે તને જોયો હતો ત્યારે એક સંતોષની લાગણી મને ઘેરી વળી હતી. અને એટલેજ આ તમામ વાતો મેં તને કહી સંભળાવી...” મહારાજ ફરી ખામોશ થયાં.

“ પણ...”ઇશાન કંઇ બોલવા જાય એ પહેલા તેનો ફોન રણકયો હતો. વાત પડતી મુકીને તેણે ફોન હાથમાં લીધો. હમણાં જેની વાતો થઇ રહી હતી એ એલીઝાબેથ ઇશાનને કોલ કરી રહી હતી. ઇશાને કોલ લઇ કાને મુકયો.

“ હલ્લો...!” તે બોલ્યો.

“ ઇશાન....! કયાં છે તું....?”

“ અહી નગરમાં જ છું. તું કયાં છે...?”

“ નગરમાં કંઇ જગ્યાએ ઇશાન...?”

“ અરે પણ, વાત શું છે એ તો કહે...? કેમ આટલી અધીરી જણાય છે...? હું અત્યારે અહીનાં શિવ મંદિરમાં પુજારી મહારાજ પાસે બેઠો છું....” આખરે ઇશાન બોલ્યો.

“ શિવમંદિરના પુજોરી...? યુ મીન શંકર મહારાજ....?

“ હાં, શંકર મહારાજ....”

“ ઓ.કે....તું ત્યાંજ રહેજે. હું આવું છું તારી પાસે...”

“ અરે પણ હવે હું અહીથી નીકળતો જ હતો. આપણે ઘરેજ મળીએ. તું ઘરે છો ને....?”

“ નાં....હું અને નિર્મળાફઇ અત્યારે અહીની લાઇબ્રેરીમાંથી જસ્ટ બહાર નીકળ્યા છીએ. મારે શંકર મહારાજને મળવું હતું એટલે અમે ત્યાંજ આવવા નીખળ્યા છીએ. તું ત્યાં હોય તો થોડું થોભી જા. અમે હમણાં ત્યાં પહોંચીએ....” એલીઝાબેથ એક શ્વાસમાં બોલી ગઇ. ઇશાનને તેની વાત સાંભળીને આશ્ચર્ય થયું . એલીઝાબેથને વળી શંકર મહારાજનું શું કામ પડયું...? તેનું મન ગડમથલમાં પરોવાયું. અચાનક તેના મનમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી. આ સમયે એલીઝાબેથ અને મહારાજ વચ્વે મુલાકાત ન થવી જોઇએ એવો એક વિચાર તેનાં મનમાં આવ્યો. જયાં સુધી તમામ વિગતોનો ખૂલાસાવાર જવાબ તેની પાસે ન હોય ત્યાં સુધી એલીઝાબેથ આ મામલાથી દુર રહે એ જ યોગ્ય લાગતું હતું તેને. એલીઝાબેથને અહી આવતા કોઇપણ ભોગે રોકવી જ જોઇએ.

“ શંકર મહારાજ તો ધ્યાનમાં બેસવા મંદિરની અંદર જતાં રહયા એલી. હવે તેઓ કદાચ સવારે જ બહાર આવશે. તારે તેમને મળવું હશે તો હવે સવારે જ મળી શકાશે. હું પણ બસ હવે અહીથી નીકળું છું. તું ફઇ સાથે ઘરે પહોંચ હું તને ઘરે જ મળું છું.” ઇશાન જુઠ્ઠુ બોલ્યો. બાજુમાં બેઠેલા શંકર મહારાજ તેને તાકી રહયા.

“ ઓહ....ઓ.કે. ઇશાન...” નિરાશાભર્યો અવાજ આવ્યો ફોનમાં. “ઠીક છે. હું ઘરે જાઉં છું. પણ તારે મને કાલે સવારે મહારાજ પાસે લઇ જવી પડશે....!” તે બોલી.

“ ઓ.કે...” વધુ કંઇ બોલ્યા વગર ઝડપથી ઇશાને ફોન કાપ્યો. વળી કયાંક તેનો ઇરાદો ફરી ન જાય એવી એક દહેશત તેને હતી. એલીઝાબેથને એકાએક શંકર મહારાજનું સ્મરણ કેમ થયુ હશે...? તેઓ તો એકબીજાને ઓળખતા પણ નહોતાં તો પછી એલીઝાબેથ મહારાજને કેમ મળવા માંગતી હશે...? સવાલોનાં ઢગલામાં ઇશાન આમથી તેમ ફંગોળાતો હતો. એક તો મહારાજે તેને ઉલઝાવી દિધો હતો તેમાં એલીઝાબેથે તેને ઔર ગૂંચવણમાં મુકયો હતો.

“ તું જુઠ્ઠુ શું કામ બોલ્યો ઇશાન...? મહારાજ બાલ્યા. તેમના નંખાઇ ગયેલા વૃધ્ધ ચહેરા ઉપર અત્યારે મૃદુ હાસ્ય ફેલાયેલું હતું.

“ હું નથી ઇચ્છતો કે એ તમને મળે...! આ મામલાથી હું તેને દુર રાખવા માંગુ છુ. તેને અને આ નગરમાં ઘટતી ઘટનાઓ વચ્ચે કોઇ સંબંધ નથી...”

“ એ તારુ કહેવું છે ઇશાન, પરંતુ હકીકત કદાચ કંઇક બીજી પણ હોય. તું લાખ કોશીષ કરીશ....તો પણ જે થવાનું હશે એ થઇને જ રહેશે. કુદરતનાં ખેલ કોઇના રોકાવાથી રોકાશે નહી. તારાથી પણ નહી....” જાણે કોઇ ભવિપ્યવાણી કરતા હોય એવા મોઘમ સ્વરમાં શંકર મહારાજ બોલ્યા અને ત્યાંથી ઉભા થઇ તેઓ ધીમા પગલે મંદિરનાં ગર્ભગૃહ તરફ ચાલ્યા. મંદિરમાં આરતીનો સમય થયો હતો એની તૈયારી પણ તેમણે કરવાની હતી.

***

થોડીવાર રહીને ઇશાન પણ ઉભો થયો. સાંજનો અંધકાર ધીમી ગતીએ સમગ્ર પહાડી ઉપર ઢળી રહયો હતો. પગથીયા ઉતરીને તે ડુંગરની તળેટીમાં આવ્યો ત્યારે નગર તરફથી બીજી બે-ત્રણ ગાડીઓ ત્યાં આવી હતી. કદાચ તેઓ મંદિરમાં થતી આરતીનો લહાવો લેવા આવ્યા હશે. ઇશાન તેની કારમાં ગોઠવાયો અને તેજ ગતીએ કારને નગર ભણી મારી મુકી. તેની મંઝીલ તપસ્વી મેન્શન હતી. તેને જાણવુ હતું કે એવું તે શું થયું જેના લીધે એલીઝાબેથ શંકર મહારાજને મળવા આવતી હતી....? અને બીજી એક વાત પણ તેને યાદ આવતી હતી. તેણે આજે સાંજે આંચલને મળવા જવાનું હતું. આંચલ તેને નગરમાં હમણા નવા બનેલા રેસ્ટોરામાં જમવા નિમંત્ર્યો હતો.

ઇશાને એક્સિલેટર પર પગ દાબ્યો એટલે તેની કારે તેજ ગતી પકડી...

***

મોન્ટુને હાંફ ચડી ગયો. તેનું નાનકડું અમથુ હ્રદય જોર-જોરથી ધદકતું હતું. લગાતાર એકધારા સાયકલના પેડલ મારવાથી તેના પગ ભરાઇ ગયા હતા. તેમ છતા હવે તે અટકવા માંગતો નહોતો. તે જલ્દીથી પોતાના ઘરે પહોંચી જવા માંગતો હતો. તેણે જે દ્રશ્ય જોયું હતું એ ભયાનકતાની પરાકાષ્ઠા સમાન હતું. માથુર અંકલને તેણે પોતાની નજરોની સામેજ મૃત્યુ પામતા અને પછી દરિયામાં ગરક થતા જોયા હતા. જહાજ ઉપર ઉભેલા પેલા ડરામણા વ્યક્તિએ તેમની છાતીને તલવારથી વિંધી નાંખી હતી. માથુર અંકલ કમોતે મર્યા હતા એ દ્રશ્ય હજુપણ તેનું નાનકડું અમથુ મગજ પચાવી શકયું નહોતું...અને જ્યારે એ વ્યક્તિએ સળગતી આંખોએ તેની તરફ જોયું ત્યારે તો રીતસરનો તે થથરી ઉઠયો હતો. ગનીમત હતું કે તે એ કોહરાની જાળમાં ફસાતા-ફસાતા માંડ બચ્યો. હવે કોઇ કાળે તે રસ્તામાં કયાંય ઉભો રહેવા માંગતો નહોતો, અને પાછળ ફરીને જોવાની પણ તેની હામ થતી નહોતી.

નગરનાં આલ્ફાસ્ટનાં સરપટ લીસા રોડ ઉપર તેની સાયકલને ભયાનક વેગે તે રમરમાવી રહયો હતો. ચંદ મિનિટોમાં જ તે પોતાના બંગલાના ગેટ નજીક પહોંચી ગયો. ભયાનક વેગે ભાગતી સાયકલને તેણે બ્રેક મારીને રોકવી પડી કારણકે તેના બંગલાનો કંમ્પાઉન્ડનો મુખ્ય દરવાજો અત્યારે બંધ હતો. તે જ્યારે માથુર અંકલની પાછળ નીકળ્યો ત્યારે તેણે જ સાયકલ બહાર કાઢીને એ ગેટ બંધ કર્યો હતો.

થોડીવાર મુંઝવણમાં તે ત્યાં ઉભો રહયો. નીચે ઉતરીને ગેટ ખોલતા સમય લાગે તેમ હતો. અત્યારે એવી હિંમત તેનામાં નહોતી કે તે ગેટ ખોલવામાં સમય બગાડે....તેણે આજુ-બાજુ નજર ફેરવી. બાજુમાં રહેતાં માથુર અંકલના બંગલાનો ગેટ અત્યારે ખુલ્લો હતો એ તેણે જોયુ...માથુર સાહેબ કાર લઇને બહાર નીકળ્યા ત્યારે કંમ્પાઉન્ડનો દરવાજો બંધ કરવાનું ભુલી ગયા હતા. મોન્ટુએ એ તરફ સાયકલ વાળી. નીલીમા આન્ટી જરૂર ઘરમાં હશે એવું વિચારતો તે માથુર સાહેબનાં કંમ્પાઉન્ડમાં દાખલ થયો. નીલીમા આન્ટીને માથુર અંકલ વિશે જણાવવું જોઇએ એવો ખ્યાલ તેના દિલમાં આવતો હતો. ઝડપથી સાયકલ હંકારી તે બંગલાનાં પોર્ચમાં આવ્યો, અને સાયકલને ત્યાંજ પડતી મુકી તે દોડતો બંગલાનાં ડ્રોઇંગરૂમમાં દાખલ થયો. ડ્રોઇંગરૂમમાં કોઇ નહોતું.

“ આન્ટી....નીલીમા આન્ટી....”તેણે બુમો પાડી. તેનો અવાજ ડ્રોઇંગરૂમની દિવાલોને અફળાઇને તેના જ કાનમાં પડઘાઇ રહયો. તેની બુમો સાંભળીને ઉપરનાં મજલે આવેલા એક કમરાનું બારણું ખુલ્યુ અને નીલીમાદેવી ધીમી ચાલે ચાલતા બહાર આવ્યા.

“ મોન્ટુ...શું છે....? કેમ બુમો પાડે છે...?” તેમણે ઉપરથી જ હાંક મારતા પુછયું. નીલીમા આન્ટીને બહાર નીકળતા જોઇને મોન્ટુ ડ્રોઇંગરૂમમાંથી ઉપર તરફ જતા દાદર તરફ લપકયો. બબ્બે દાદર એકસાથે ફલાંગતો મોન્ટુ નીલીમા આન્ટી સમક્ષ જઇને ઉભો રહયો. તેને હાંફ ચડયો હતો. પોતાના બંને ગોઠણે નાનકડા હાથ ટેકવીને તે હાંફતો ઉભો રહયો. નીલીમાદેવી આશ્ચર્યથી માન્ટુના ચહેરા ઉપર છવાયેલા ડરના ભાવને જોઇ રહયા.

“ શું થયું મોન્ટુ...?” તેમણે પુછયું.

(ક્રમશઃ)

પ્રવિણ પીઠડીયા

વોટ્સ એપ- ૯૦૯૯૨૭૮૨૭૮