Bankma Line to Tabiyat Fine books and stories free download online pdf in Gujarati

બેંકમાં લાઈન તો તબિયત ફાઈન

બેંકમાં લાઈન તો તબિયત ફાઈન

દરેક વ્યક્તિ અત્યારે એકજ વાત કરી રહ્યો છે કે યાર મોદીએ નોટ બંધી કરીને સાચુ કર્યું કે ખોટું. દરેક ગલીએ ગલીએ અર્થશાસ્ત્રીઓ ફૂટી નીકળ્યા છે, જો આ દરેક ચર્ચા કરનારને અર્થશાસ્ત્રી ગણી લેવામાં આવે તો ભારતમાં ૨૦૧૭ ની સાલમાં દર દસમાંથી એક વ્યક્તિ અર્થશાસ્ત્રી હશે. પણ અહી લેખક બહુ મોટો અર્થશાસ્ત્રી નથી એટલે આપણે ડી-મોનેટાઈઝેશન કે નોટબંધીનાં ફાયદા કે ગેરફાયદાની વિસ્તૃત ચર્ચા નહિ કરીએ પણ આપણે નોટબંધી પછી બેંકોની બહાર અને એ.ટી.એમની બહાર લાગેલી લાઈનોની ચર્ચા કરીશું

ડીમોનેટાઈઝેશનની લાઈનથી તમને કેટલા ફાયદા થવાના છે એ અંગે તમે સાવ અજાણ છો પણ અમે તમને જણાવીશુ કે આ લાઈનોમાં ઉભા રહેવાના, લાઈનમાં રહેવાના, લાઈન મારવાનાં કેટલા ફાયદા થવાના છે.

રિલાયન્સ જીઓની લાઈન તો ખાલી આપણને વોર્મઅપ કરવા માટે બનાવવામાં આવી હતી જેથી આગળ જતા બેંકોની લાઈનમાં આપણા પગ નાં દુખે, આપણને આગળ જતા ભવિષ્યમાં તકલીફો ઓછી રહે અને લાઈનમાં ઉભા ઉભા આપણે બોર નાં થઇએ તો જાણીએ બેંક અને એ.ટી.એમની લાઈનમાં ઉભા રહેવાના ફાયદા તો છે અને તમારા પગ એવા મજબુત થઇ જશે કે હવે આવનારી ઉતરાયણમાં પણ પતંગ તમે ઝડપથી લુટી શકશો અને આગળ જતા ઉસેન બોલ્ટ કરતા પણ વધારે ઝડપથી દોડનારા ભારતમાં પાકે એવું પણ બને તો જોઈએ બેંક ની લાઈનમાં ઉભા રહેવાનાં ફાયદા .
૧. આજકાલ સોશિયલ મીડિયા, લેપટોપ-મોબાઈલનાં કારણે માણસોનું જીવન બેઠાડું થઇ ગયું છે. લોકો ઘરની બહાર વોક કરવા પણ નથી નીકળતા. ડી-મોનેટાઈઝેશન એટલે જ શિયાળામાં રાખવામાં આવ્યું જેથી આપણે શિયાળો એ તંદુરસ્તીની ઋતુ તરીકે ઓળખાય છે. શિયાળામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાથી એક સર્વે પ્રમાણે છ મહિના ચાલ્યા હોય એટલી કેલેરી બર્ન થાય છે. સાથે સાથે લાઈનમાં ઉભા ઉભા તમે એક હાથનાં નખ ને બીજા હાથનાં નખ સાથે ઘસો તો ખરતા વાળ પણ અટકે છે એવું બાબા રામદેવ જણાવે છે .
૨. બીજું તમે હરીહરન,અરિજિત સિઘ,સોનું નિગમ વગેરેનાં કોન્સર્ટમાં મોંઘા ભાવની ટીકિટ ખરીદીને રૂપિયા બગાડો છો એમના ગીતો રિલાયન્સ જીઓના ફ્રી ઈંટરનેટ પરથી ડાઉનલોડ કરીને શિયાળાની મસ્ત રાત્રીમાં કોઈ બેંક અને એ.ટી.એમની બહાર ટોકન લેવા કે કેશ વિડ્રો કરવા ઉભા રહો ત્યારે હેડફોનમાં ગીતો સાભળતા ઉભું રહેવાનું, લાઈવ કોન્સર્ટ જેવી ફિલીગ આવશે અને એ પણ રૂપિયો ખર્ચ કર્યા વગર . આવો ફાયદો બેંકની લાઈન સિવાય બીજે ક્યાય મળે એવો નથી.

૩. જો તમારા બેંક એકાઉન્ટમાં એક પણ રૂપિયો નાં હોય અને તમારે ખાલી ચા-નાસ્તો જ કરવો હોય તો પણ કોઈ પણ બેંકની લાઈનમાં જઈ ને ઉભા રહી જાઓ અને મફત નો ચા-નાસ્તો કરીને બહાર નીકળી જાઓ. ઘણા લોકો તો બેંકની લાઈનમાં આઈસ્ક્રીમ પણ આપતા હોય છે આવા ફાયદા બીજી કોઈ લાઈનમાં મળતા નથી તો આવા ફાયદાનાં ફાયદા ઉઠાવવા જેવા ખરા.

૪.લાઈનમાં ઉભા રહેવાથી ભાઈચારો, પ્રેમ-ભાવના વધે છે. હિંદુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ બધા ધર્મનાં લોકો લાઈનમાં ઉભા હોય છે એટલે સમાજમાં ધાર્મિક સોહાર્દનું વાતાવરણ ઉભું થાય છે. ધર્મની ચર્ચા થાય છે ધર્મ ના જ્ઞાનનું આદાનપ્રદાન થાય છે આનાથી વધારે જીવનમાં બીજું શું જોઈએ.
૫. લાઈનમાં ઉભા રહેવાથી આવા તો કોઈ સિનીયર સીટીઝનને મદદ કરવાથી પણ ફાયદો થાય છે જો તમે કુવારા હો અને કોઈ સીનીયર સીટીઝનની લાઈનમાં ઉભા રહેવામાં અથવા તો બેંક સ્લીપ ભરવામાં મદદ કરો તો તે તમને શું નામ છે? ક્યા રહો છો? કઈ જ્ઞાતિનાં છો વગેરે વગેરે પ્રશ્નો પૂછે અને પોતાના મગજમાં તમારું ચોખઠું ગોઠવી જોવે અને નજીકમાં જ જો એમણે ૨,૫૦,૦૦૦ પણ ઉપાડવાના હોય તો તમારું માગું પણ આવી શકે છે.
૬. ચાલો એવું કઈ નથી થતું તો કદાચ તમે જે લાઈનમાં ઉભા હો એજ લાઈનમાં તમારી આગળ કોઈ સારી છોકરો છોકરી ઉભા હોય તમે વાતો કરો, પોલીટીક્સ પર ચર્ચા કરો, તમે ડી-મોનેટાઈઝેશનનાં ફાયદા ગેરફાયદા વગેરે વગેરે ચર્ચો, વધુ ચર્ચા માટે એકબીજાને ફોન નંબર આપો, રાત દિવસ ચર્ચા કરો, દોસ્ત બનો, એ દોસ્તી પ્રેમમાં પરિણમે અને તમારા લગ્ન થઇ જાય અને તમારા બાળકો મોટા થાય ત્યારે તમે એમને કહી શકો કે બેંક લાઈનમાં જો અમે નાં ઉભા હોત તો આજે તમે આ દુનિયામાં નાં હોત .

૭. લાઈનમાં ઉભા રહેવાથી બેંક લાઈનની ચર્ચાઓ, ક્યા એ.ટી.એમમાં રૂપિયા મળે છે?, ક્યા કઈ બેન્કે કેવો નિયમ બનાવ્યો છે વગેરેની રસપ્રદ માહિતી જાણવા મળે છે એક સર્વે એવું કહે છે જે લોકો રેગ્યુલર બેંક લાઈનમાં ઉભા રહે છે તેમને રિઝર્વ બેંક નાં નિયમોની ખબર બેંક મેનેજર કરતા પણ વધારે હોય છે .

૮. બહુ બધા લોકો સમાન વિચારો વાળા એક જગ્યાએ લાઈનમાં ઉભા રહે ત્યારે એમનું વોટ્સએપ ગૃપ બને છે, ત્યાર બાદ એ લોકો વોટ્સએપ પર લાઈનોની બેંકો ની ચર્ચા કરી શકે છે જે પણ એ.ટી.એમ ચાલુ હોય એનો એક મેસેજ એ વોટસએપ ગ્રુપ માં નાખતા બધા ફરી પાછા ગેટ ટુ ગેધરની જેમ ભેગા થઇ લાઈનમાં ઉભા રહી શકે છે, એક બીજા જોડે સુખ દુઃખની વાતો શેર કરી શકે છે, જુના જમાનામાં ઓટલા પરિષદ ભરાતી હતી એનાથી લોકોમાં સામાજિક ભાવના ઉભી થતી હતી એવીજ રીતે લાઈન પરિષદથી લોકોમાં સમાજ ભાવના ઉદભવે છે .

૯. આગળ જતા બેંકની લાઈનો શાસ્ત્રોમાં પણ સ્થાન લેશે. બેન્કિગ શાસ્ત્રમાં કેહવાશે કે ‘’ લોહીના સબંધો કરતા પણ બેંક લાઈનનાં સબંધો વધારે મજબુત હોય છે ‘’ આગળ જતા એવું પણ થાય કે જ્ઞાતિઓ પણ ચેન્જ થઇ જાય અમે દેના બેંક વાળા, અમે એસ.બી.આઈની લાઈનવાળા, ઉચી જ્ઞાતિનાં લોકો પોતાને આઈ.સી.આઈ.સી.આઈ બેંકવાળા-એક્સીસ બેંક વાળા અને એચ.ડી.એફ.સી બેંક વાળા તરીકે પણ ઓળખાવે અને જ્ઞાતિ આધારિત ભેદભાવ દુર પણ થાય.

૧૦. કેટલાય લોકો જેમના મિત્રો ઓછા હોય છે પોતાને એકલા અટુલા મેહસૂસ કરતા હોય છે એમણે તો મારું માનવું છે એકવાર માટે પણ બેંકની લાઈનમાં ઉભા રહેવા જવું જોઈએ તો તમને કેટલાય મિત્રો બનશે, એ લોકો ને તમે ફેસબુક પર એડ કરીને એ મિત્રતાને વર્ષો વરસ સુધી ચલાવી શકો છો અને તમારું એકલું અટુલા પણું પણ દુર થશે.

૧૧. છેલ્લે નાં કરે નારાયણ અને આમાંથી એક પણ ફાયદા તમને નાં થયા અને જો તમારો નંબર આવી ગયો અને બેંક કે એ.ટી.એમમાં તમારા ખાતામાં અને બેંકમાં બન્ને માં રૂપિયા હશે તો તમે ઘરે રૂપિયા લઈને આવી શકશો અને જે ઘરમાં તમે તુચ્છ ગણાતા હતા, લોકો એવું કેહતા હતા કે તમે કશા કામના નથી એજ લોકો તમને માનથી જોશે અને કહેશે કે અમારો ફલાણો તો ચાર કલાક લાઈનમાં ઉભો રહીને રૂપિયા ઉપાડી લાયો તમને થશે કે તમે પણ પોતાના પરિવાર માટે કઈક કર્યું. આ આત્મસંતોષથી વધારે જીવનમાં બીજું શું જોઈએ.

૧૨. બેન્ક ની લાઈન થી સ્ત્રીઓ માં ઘણો ફેરફાર આવી ગયો છે જે સ્ત્રીઓ તૈયાર થવામાં કલાકો લગાવતી હતી તેમને જ્યારે ખબર પડે કે ફલાણા એ.ટી.એમ પર અત્યારે રોકડા અવેલેબલ છે એવી પાંચ મીનીટથી પણ ઓછી વારમાં તૈયાર થઇ જાય છે .


તો હવે રાહ કોની જુવો છો આટ આટલા ફાયદા છે બેંક લાઈનના તો ‘’ ઉઠો જાગો અને બેન્કની લાઈનમાં લાગી જાવ. ‘’