Karan Ghelo books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 1

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

ભાગ - ૧ : પ્રકરણ ૧


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧

એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈસવી સન ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષવિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રગટ કીધું કે ઈસવી સન ૧ર૯૭માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી-પાટણ એ નામથી ઓળખાય છે. પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું. એવી ઘણી જ થોડી નિશાની માલૂમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થર નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કૂવા, તળાવ, દહેરાં વગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈએ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી જે તેઓમાંનાં થોડાંક બચેલાં છે તેઓ ભાંગીતૂટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તોપણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી ૭૦૦ વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેનાં મહત્વ તથા શોભા વિશે ઘણાએક કવિઓ તથા ઈતિહાસકર્તા લખી ગયા છે. કુમારપાળ ચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે.

“અણહિલપુરનો ફરતો ઘેરાવ ૧૧ કોસનો હતો; અને તેમાં ઘણાંએક દેવાલય તથા વિદ્યાશાળા હતી. ચોરાસી ચકલાં, ચોરાસી ચૌટાં અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળા હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદાં જુદાં ઠેકાણાં હતાં. તેમજ હાથીદાંત, રેશમનાં કાપડ, હીરા, મોતી, માણેક વગેરે વ્યાપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગા હતી. નાણાવટીનું એક જુદું ચૌટું હતું. નહાતી વખતે ચોળવાની તથા સુગંધીદાર વસ્તુઓનું એક ચૌટું, વૈદોનું એક, કારીગરોનું એક, સોનીઓનું એક, રૂપના ઘાટ ઘડનારાઓનું એક ખલાસીઓ, ભાટ તથા વહીવંચાઓનું એક, એ પ્રમાણે જુદાં જુદાં ઠેકાણાં હતાં. નગરમાં અઢારે વર્ણનો વાસો હતો, અને સઘળા લોકો ઘણા સુખી હતા. રાજાના મહેલને લગતાં જુદાં જુદાં ઘણાંએક ઘરો હતાં. લડાઈનાં હથિયારોને વાસ્તે, હાથી, ઘોડા, રથને વાસ્તે, તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદાં જુદાં ઘર હતાં. પ્રત્યેક જાતની વ્યાપારની જણસને માટે જુદા જુદા ફુરજા હતા. ત્યાં માલની આવક જાવક તથા વેચાણનું મહેસૂલ વસૂલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના, ફળ, કરિયાણાં, કપૂર, ધાતુઓ તથા તે શહેરની અને બીજા શહેરોની પેદાશની હરેક કીમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાહતો હતો. દરરોજ એક લાખ તનખા મહેસૂલ ઊપજતી હતી. જો કોઈ પાણી માગે તો તેને દૂધ આણી આપવામાં આવતું. ત્યાં ઘણાંએક જૈન ધર્મનાં દહેરાં હતાં; અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નાળિયેર, જાંબુડા, ચંદનવૃક્ષ, આંબા વગેરે ઝાડોની ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ ઝાડોને વીંટળાયેલા જાત જાતના વેલાઓ હતા; અને તેઓની પાસે અમૃત જેવાં મીઠાં પાણીના કુંડ હતા. અહીં વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ધર્મોપદેશકોની તથા એકવચની અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખોટ ન હતી. વ્યાકરણશાળા પણ ઘણી હતી. અણહિલપુર માણસનો સાગર હતું. જો એક મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાં રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું. અને ઘંટવાળા હાથીઓની પણ કાંઈ કસર ન હતી.”

ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તોપણ એટલું તો ખરું કે, અણહિલપુર પાટણ એક વાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈસવી સન ૧ર૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેર ઘેર બારણે તોરણ બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથિયા પૂરેલા હતા. રસ્તામાં લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતિયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલીએક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મની કીધી હોય એવું એવું તઓનાં મોં ઉપરથી જણાતું હતું. ચોમાસું બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાઢી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા; અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો; અને તે ઉપર એક મેડી હતી. તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી. દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખૂબસૂરત સાથિયા પૂરેલા હતા, તે ચોગાનની ચારે બાજુએ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફનીમાં હાથી, ઘોડા, રથ વગેરે વાહનો રાખવામાં આવતાં હતાં; એક તરફ ગામના પટેલ, વાણિયા વગેરે બીજા લોકો, જેઓ રાજા પાસે ઈન્સાફ માગવા આવતા તેઓ પડી રહેતા હતા. એક તરફ કારકુન, દફતર ઈત્યાદિ હતા; અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ, ચોકીદાર વગેરેને બેસવાની જગા હતા. એ દેવડીમાં છ ફીટથી ઊંચા, શરીરે મજબૂત, વિકરાળ મોંના, માંજરી આંખના, અને ભૂરા નિમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા. શરીરે ઠીંગણા પણ બાંધાદાર, અને કમરે તીરકામઠાં બાંધેલા કોળી; કાળા, જુસ્સાવાળા, લૂંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તોપણ શૂરા રજપૂત સિપાઈઓ બેઠા હતા. ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, ફૂલ, જાનવરો, માણસો વગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તોપણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા - એટલે પરસાળ-માં માળ ઉપર જવાની પથ્થરની સીડી હતી, અને તેમાં ઘણાએક ઘરના ચોકરો બેસી ગપાટાસપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે ઓરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો; અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખોસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે આંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસી પાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા. તે દહાડે નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો; બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડાતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલાઈથી બળે નહીં એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરાં જે તેમાંથી જે ધુમાડાના ગોટેગોટા નીકળી સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે જે મોટા તાપના ભડકા થતા હતા. તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડાંવાળા પણ ગૌર વર્ણના અને ખૂબસૂરત નાગર ગૃહસ્થો તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચીતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યાનો કુશળ પુરુષ જરૂર જોઈએ.

જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી; તે સિવાય તે ઘણાંએક પરગણાંઓ ઈજારે રાખી તેઓની આમદાની વસૂલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉંમર આશરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી, તેનું શરીર ખાધેલ પીધેલ હતું; અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું. એટલું જ નહીં પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયા કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડૂતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસૂલ કરવામાં આવતો હતો. એ વગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી. તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઊંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખ્સ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરિયા ઉપર ચલાવતો. તેની પઢીઓ ગામે ગામ હતી. સાખ એટલી તો હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેના વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મોં જોઈને ઘણું ગૂંચવાયા વિના રહે નહીં. પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છોે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી ચો હતી કે તેનું પેટ ઝૂલી ગયું હતું અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષ સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે. તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઊંચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મોં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનુંરૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે હીરામોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તોપણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.

નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો. તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો. તેના શરીર ઉપર ફક્ત ધોતિયું તથા ઘણી ઉમદા કાશ્મીરી શાલ હતી. હાથે હીરાની પહોંચી તથા બાજુબંધ હતા, અને આંગળીએ હીરા, માણેક વગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે કેટલીક વટાણા જેવડાં મોતીઓની માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા. તેના દેખાવ ઉપરથી માલૂમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું. તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તોપણ તેનું વલણ કાંઈ એક જાડાશ ઉપર હતું. તેની ચામડીનો રંગ ઘણો સફેદ હતો; તેનું મોં જરા લંબગોળ હતું અને નાક-કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી. આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું. તે કરણરાજાનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પૂછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પૂતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો. એ કારણથી સઘળા લોકો તેનાથી દબાઈને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.

હવનનું કામ હવે પૂરું થવા આવ્યું. છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગ્રત કીધો. બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા, સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળી ગડબડાટ થઈ રહી. કુંડમાંથી અગ્નિનો ભભૂકો ઊઠ્યો, અને માતાને છેલ્લું બલિદાન આપવામાં આવ્યું. તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગા ઉપરથી ઊઠીને કૂદવા લાગ્યાં. થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજ્યાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઊઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી. તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તોપણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓ તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોઢ્યા, હવનની આશકા આપી, આશીર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સાઘળા મોટી ઉંમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કૂતરાની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો એટલે તેઓ ભોંય ઉપર સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બૂમાબૂમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગ તળે છૂંદાય નહીં તે બાબત તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બિચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમ્મત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ સગયાં, તથા હવન પૂરો થયો એટલે ઘણાખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘરે ગયા. બૈરાં પોતાને ધંધે વળગ્યાં. બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વગેરે જે કાંઈ મળ્યું તે ધોતિયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા. તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ તથા વિજ્યાદત્ત પંડ્યા બેસી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તરત ઊઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહીં તેથી તેઓ પ્રધાનજીના પટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકિયે અઢેલીને બેઠા. થોડી વાર ચૂપ બેઠા પછી માધવ બોલ્યો : “ગોર મહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડગોટાતો વાળ્યા નથી ! કેમ કે આજે ઘણે ઠેકાણે હવન થવાના અને બ્રાહ્મણોને કમાઈનો દહાડો એટલે તેઓને ઉતાવળ તો ખરી જ, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પૂછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”

આવા બોલ સાંભળીને ગોર મહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓને ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરોબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ. પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખત્યાર રાખવાની ટેવ પડી હતી; તેથી ગુસ્સો દબાવી દઈને તથા મોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો ‘‘યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મોંમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે; અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે. જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જિંદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જ ઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઊંધી ગયેલાછે. જાગતીજોત અંબામાતા છે; તેનો પરચો કેટલો છે તે સઘળાને માલૂમ પડે છે. માતાનાં રૂપ જુદે નુદે વખતે જુદાં જુદાં દેખાય છે; એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરું પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ્જ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે, તોપણ માતાના ધામમાં બકરાં, મરઘાં, પાડા વગેરેનું બલિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે; અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈ પણ વખતે માંસભક્ષણ કરતા નથી તેઓ દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે; અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મૂકે છે. અંબાભવાનીની યાત્રા કરવા લોકો જાય ત્યારે તેઓને કેટલી હોશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહીં. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહીં. માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રિના નવ દહાડા સમીસંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી, ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય,અને તેને તે વર્ષમાં કાંઈ રોગ થયા વિના રહે નહીં. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ્ય તથા પરચો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે ? બાપજી ! બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારું હૈયું ઊભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ. શી વાત કહેવડાવો છો ? બાપજી ! બ્રાહ્મણ બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો. રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઊઠી ગઈ. પરમેશ્વર ન કરે, પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર, દિલ્હી તરફ મ્લેચ્છ લોકો હિંદુ રાજાને ધૂળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું; અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ. પણ હજી આગલા રાજાનાં સુકૃત આડાં આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.

જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધી પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થલ વધારે પવિત્ર ગણાય છે. તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જુએ છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે, પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતિ નદી પૂર્વ તરફ વહે છે ત્યાંથી તો તે એક હાથ આઘું છે, એમ લોકો માને છે. એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા. જ્યાં ગંગા યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા; સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસો કાન્યકુબ્જમાંથી; સૂર્યસરખા તેજસ્વી સો કાશીથી; બસો ને બોત્તેર કુરુક્ષેત્રથી; ગંગાદ્વારથી સો; નૈમિષારણ્યથી સો; અને કુરુક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીસ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત્‌ કીધા, અને તેઓએ તેને આશીર્વાદ દીધો. પછી હાથ જોડીને રાજા બોલ્યો : “તમારી કૃપાથી જન્મ લીધાનો લાભ મળ્યો. મારી આશા હવે પૂર્ણ થશે, માટે અરે બ્રાહ્મણો, કૃપા કરીને મારું રાજ, ધન, હાથી, ઘોડા, ઈત્યાદી જે ઈચ્છામાં આવે તે લો. હું તમારે શરણે છું, અને તમારો દાસ છું.” બ્રાહ્મણો બોલ્યા; “રાજાધિરાજ, અમારાથી રાજ ચલાવી શકાય નહીં, ત્યારે તેનો નાશ કરવા શા સારુ અમે તે લઈએ ? જમદગ્નિના પુત્ર પરશુરામે ક્ષત્રિયો પાસે બળાત્કારે પૃથ્વી લઈ બ્રાહ્મણોને એકવીશ વાર આપવા માંડી, પણ બ્રાહ્મણોએ તે લીધી નહીં.” રાજા બોલ્યો. “હું તમારું રક્ષણ કરીશ. તમે તમારું ખટકર્મ કરો, અને કાંઈ ચિંતા ન કરો.” બ્રાહ્મણો બોલ્યા : “પંડિતો કહી ગયા છે કે જેઓ રાજા પાસે રહે છે તેઓના ઉપર વિપત્તિ આવી પડે છે. રાજાઓ અહંકારી, કપટી તથા સ્વાર્થી હોય છે, માટે રાજાધિરાજ ! જો તમારી દાન કરવાની ઈચ્છા હોય તો આ મોટું તથા રમણીય શ્રીસ્થળ અમને આપો એટલે અમે અહી સુખેથી રહેશું. જે સોનું, રૂપું હીરા વગેરે બ્રાહ્મણોને આપવાં હોય તે સઘળું શહેરને શોભાયમાન કરવાને ખરચો.” રાજા આ વાત સાંભળી ઘણો ખુશ થયો અને તેઓને પગે પડીને ગાય, સોના, હીરા વગેરેના હાર ટાંગેલા રથ તથા બીજી દક્ષિણાની સાથે શ્રીસ્થળ આપ્યું. વળી મૂળરાજે દશ બ્રાહ્મણને દક્ષિણા સહિત સુંદર તથા દ્રવ્યમાન સિંહપુર (સિહોર) ગામ આપ્યું. સિદ્ધપુર અને સિહોરની પડોશમાંનાં બીજાં કેટલાંકએક ગામો તેણે બીજા બ્રાહ્મણોને આપ્યાં. વળી તેણે સોમવલ્લીમાં મગ્ન રહેનારા છ બ્રાહ્મણોને સાઠ ઘોડા સહિત સ્તંભતીર્થ (ખંભાત) આપ્યું. સિદ્ધરાજે આ બક્ષિસ મંજૂર કીધી અને બાલક (ભાલ) દશમાં સો ગામ બ્રાહ્મણોને આપ્યાં. તે વખતે સિહોરની આસપાસ વાઘ અને બીજા પ્રાણઘાતક પશુઓનો ભય હતો તેથી બ્રાહ્મણોએ તેને બદલે ગુજરાતમાં રહેવાની રજા માંગી, ત્યારે રાજાએ તેઓને સાબરમતી નદી ઉપરનું આશાબીલી ગામ આપ્યું, અને સિહોરમાંથી જેટલું અનાજ લઈ ગયા તેટલા ઉપરથી દાણ માફ કીધું. ધન્ય છે એ રાજાઓને તથા તેઓનાં માતપિતાને. તેઓએ તો પોતાના દેહનું સાર્થક કીધું. તેઓ તો ચોરાસી લાખના ફેરામાંથી ટળ્યા. હમણાં તેઓ આકાશમાં તારા થઈ પ્રકાશતા હશે.” એટલી વાત કહી વિજ્યાદત્ત મહારાજ મોટો નિસાસો મૂકી ચૂપ રહ્યા.

બ્રાહ્મણનું એટલું દુઃખ સાંભળીને ભાણા પટેલથી પોતાનું તથા બીજા ખેડૂત લોકનું દુઃખ કહ્યા વિના રહેવાયું નહં. તે બોલ્યો, “ભાઈ, એકલા બ્રાહ્મણની જ અવસ્થા આવી થઈ એમ નથી. ખેડૂત લોકોની દશા પણ હાલને સમયે સારી નથી. ઓણ વરસાદ જોઈએ તેટલો આવ્યો નથી, તેથી પાક પણ વર્ષોવર્ષ જેવો થયો નથી, તે છતાં પણ ઉઘરાતદાર મહેતો કહે છે કે દરબારી ભાગ મારી-ઠોકીને લેવામાં આવશે. અમારા ઉપર કાંઈ થોડો જુલમ છે ? ગામની ખળીમાં અમારું અનાજ ભરવાની શરતે અમને કાપણી કરવા દે છે. જુદા જુદા માલિક તેઓના અનાજના જુદા જુદા ઢગલા કરે છે. બળદ વડે અનાજ જુદું પાડે છે, પછી જમીનદાર પટેલ, કારભારી, અનાજ માપનારા વાણિયા, ખેડૂત અને ચોકીદાર, એ સઘળા ખળીમાં એકઠા થાય છે. પહેલાં તો અનાજનો ચાળીશમો ભાગ રાજાનો જુદો કાઢે છે. પછી તેથી કાંઈ થોડું કારભારીને માટે, રાજાના પાટવી કુંવરના ખાનગી ખરચને વાસ્તે, ગામના ચોકીદારને, અનાજ માપનાર વાણિયાને, ગામના પટેલને, દેવી અથવા વિષ્ણુના દેવસ્થળને વાસ્તે, તળાવને સારુ, કૂતરાંને માટે અને એમ બીજા ઘણાએકને આપવામાં આવે છે. જ્યારે માપવાનું કામ પુરું થાય ત્યારે ખેડૂત જોરથી ટોપલા ઉપર હાથ નાંખે છે, અને કહે છે કે હવે બસ થયું. બાકી જેટલું અનાજ રહ્યું તે ખેડૂત તથા જમીનદાર બરાબર હિસ્સે વહેંચી લે છે. એટલું થોડું ખેડૂતને મળે છે, તે છતાં પણ જ્યારે રાજાને કુંવરી પરણાવવી હોય, અથવા એવો બીજો અગત્યનો ખરચ કરવો હોય, ત્યારે ખેડૂત ઉપર ફાળો નાખે છે. વળી રાજકુટુંબના વહીવંચા ભાટને અથવા કોઈ ભિક્ષુકને હરેક હોળ ઉપર જુજવો કર કરી આપે છે. અથવા ખળીમાંના અનાજના ઢગલામાંથીકેટલાંએક માપાં અનાજ લેવાનો હક કરી આપે છે. એ ્‌રમાણેનો કર એક વર્ષમાં લેવામાં આવે છે. અથવા વર્ષોવર્ષ ચાલુ રાખે છે. કોઈ એક ગામની આમદાનીમાંથી કેટલાક રૂપિયા વસૂલ કરી લે છે. ખેડૂત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પૂછવું જ શું ? મંત્રી કહે છેે કે કાંઈ પણ છૂટ મૂકવામાં આવશે નહીં. તમે રાજા આગળ જઈને છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તોપણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવાની નહીં; અને એ વિચારને તે મજબૂતી આપવાને વારેવાર આ કહેવત કહ્યાં કરે છે કે “રૈયત રજા રામચંદ્રની પણ નથી.” પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે; રૈયત વડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી, તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેઓ અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો. તેણે તમામ મિલકતવાળા ખેડૂતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજૂ કીધા. રાજાનો પાટવી કુંવર મુળરાજ સત્યવાદી તથા એકવચની હતો. એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતો હતો તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફત ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એક વાર મુળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવાનું વચન આપ્યું. મુળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું. રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબૂલ કરી તેઓને બંદીખાનામાંથી છોડી મૂક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા. તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી. પણ તે બિચારો મુળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને તે ખેડૂતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડૂતોએ કાલાવાલા કરી માગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને તેની આમદાનીમાંથી મુળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરુષપ્રાસાદનું દહેરું બાંધવું. ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મૂંગો રહ્યો.

માધવે વિજ્યાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ લઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પૂછ્યું, “કેમ શાહ ! તમારે કાંઈ દુઃખ રડવું છે ?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તના મનમાં એવં હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તોપણ કાંઈ બોલવું તો જોઈએ, માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો. “મેં ઓણ સ્થંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણું એક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવપટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફ લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કૂટી કાઢીશું. ઓણ મળત તો વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચિયા લોકો લૂંટી ગયા. તોપણ એટલું ભાગ્ય કે સોનાની મહોર સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહીં તો ઓણ દેવાળું કાઢવાનો વખત આવત. બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ અ ચાંચિયા લોકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારું, નહીં તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે. વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારું. તમે શાણા છો એટલે વધારે બોલવાની જરૂર નથી. તોપણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે માગ્યા વિના મા પણ ન પીરસે.”

માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખય મતલબ હતી. માઘવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાનથી ઊતરલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો. તેની ઉંમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહલાં તો લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. પહેલાં ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી. ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશિયારી તથા કાવતરાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદીએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકીવખતે ખુશ કરવાનું કામ હંમેશા મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ, લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંશ હતી; તોપણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો, તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણિયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમના હક્ક ખોટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેમની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી. એ બધું કરવાની સાથે પોતાને વાસ્તેા દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પક્કો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી, પશ્ચિમ તરફ મોઢેરા તથા ઝીંઝીુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી. પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ હતી. અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડિયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મૂકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. તેમ થવાને ઘણો સંભવ ન હતો. કરણ જય કરી આવે, જો કેટલાક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અન તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો બ્રાહ્મણોને રાજી કરાય,તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડૂતોને છૂટ આપવામાં આવ, તથા જેઠાશાનો માગેલો દાણનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહીં થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશક્ય; માટે રાજને રીઝવીજેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરુની શય્યા ઉપર સૂવું એ બે બરોબર હતું. જ્યારે સઘળાં નાખુશ રહે, અને રજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરીને મોત કે કમોતે મરવું અ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં, અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શક ઉત્પન્ન થતો હતો. કાળુંધોળું કરી પૈસા મેળવવા તે કોન વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે. પિત્રાઈઓની તેની દોલતને માટ લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહીં, એટલું જ નહીં પણ ઊલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતો હોય તેવું દુઃખ થતું વળી હિંદુ શાસ્ત્ર પ્રમાણે જેને પુત્રપરિવાર નહીં તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મૂકનાર, તથા મૃત્યુસંસ્કાર કરનાર કોઈ નહીં તેથી તેની મૂઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો. પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે. માધવને પોતાના વંશ તરફથી કાંઈ આશા ન હતી, તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ મળ્યો ન હતો; તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પૂછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધૂણવાથી હજારોનાં નસીબ ખૂલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તોપણ તે જ્યારે ભવિષ્ય ઉપર વિચાર કરતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.