Ae halo mede jaiae - 2 books and stories free download online pdf in Gujarati

એ હાલો મેળે જઈએ - 2

ભાગ ૨

મેળો એ આનંદ ઉલ્લાસનું પર્વ છે. મેળો નાના મોટા અને સર્વ ધર્મ, નાત જાત માટે ઉત્સવ હોય છે. લોકમેળા એ લોકસંસ્કૃફતિનો ધબકાર છે. ગામડાના માટે લોકમેળા વર્ષોથી મનોરંજન નું મજબુત અને લોકપ્રિય માધ્યમ છે.

ભાગ ૧ માં આપણે કવાંટનો મેળો, કાત્યોકનો મેળો, વૌઠાનો મેળો, તરણેતર નો મેળો, ભવનાથ નો મેળો, મેઘ મેળો, ગુમાનદેવ નો મેળો, શુકલતીર્થનો મેળો, દેવજગત નો મેળો, બાવાગોર નો મેળો, ભાડભૂત નો મેળો, ડભોડા નો મેળો જાણ્યો ને માણ્યો. હવે ભાગ ૨ માં આવાજ બીજા આપણા ભાતીગળ ને લોકપ્રિય લોકમેળા ની જાણકારી ટુંકમાં જાણીએ.

લોકમેળા ને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ફિલ્મો માં પણ સમાવેશ કરાયો છે. વણઝારી વાવ ગુજરાતી ફિલ્મનું મહેન્દ્ર કપુર અને દમયંતીબેન બરડાઇના કંઠે ગવાયેલું ગીત પણ લોકમેળામાં યાદગાર છે

મેળે મેળે મોરલડી હેલે ચડી,

હેજી, હેલે ચડી ને રંગ રેલે ચડી.

મેળે મેળે મોરલડી હેલે ચડી,

હે રંગ મોરલડી વાત્યુંમાં વહેતી રહે,

રસઘેલાં ને કાનમાં કહેતી રહે,

હે આજ મેળે મળેલ કાલ મળશે નહીં,

કે વહી જાતાં વેણ કાલ વળશે નહીં,

ઇને ઘડનારે સૂરમાં ઝબોળી ઘડી.

મેળે મેળે મોરલડી હેલે ચડી.

હે કોઇ ભૂલે તો ભૂલવા દ્યો રોકો નહીં,

ચઢે ચકડોળે ચિતડાં તો ટોકો નહીં.

ઇતો જોગીવિજોગીને ભેળા કરે,

ફૂંક મારીને અંતરને ઘેલાં કરે,

એની કાયા તો કામણને કંઠે મઢી.

મેળે મેળે મોરલડી હેલે ચડી.

હે કદી ઘૂંઘટની આડમાં મલકી પડે,

પાંપણોની તિરાડથી છલકી પડે.

મુઇ બાહુના બંધમાં સમાતી નથી,

આજ અધરુંથી અળગી એ થાતી નથી.

ઇને વરણાગી હૈયાની હૂંફે જડી.

મેળે મેળે મોરલડી હેલે ચડી.......

૧૩) માધવપુર નો મેળો

માધવપુર નો લોકમેળો એ ઘેડ ના મેળા તરીકે ઓળખાય છે . પોરબંદર જીલ્લાનાં માધવપુર ગામની આજુબાજુનો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે. માધવપુરમાં ચૈત્ર સુદ નોમ રામનવમી થી ચૈત્ર સુદ તેરસ પાંચ દિવસ મેળો દરવર્ષે ભરાય છે . લોકકથા મુજબ માધવપુર નો મેળો શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી નાં લગ્ન પ્રંસંગની સાથે જોડાયેલ છે. આ લોકમેળા માં સંતવાણી, ભજનો, રાસલીલા,લગ્નગીતો, ફટાણા અને ચોવીસ કલાક અન્નક્ષેત્રની સેવા ચાલુ જ હોય છે. મેળામાં ઘોડા દોડ, ઉંટ દોડ પણ થાય છે. માધવપુર ના મેળા ની શરુઆત ભગવાન શ્રીકૃષ્ણનું ફુલેકું નીકળવાથી થાય છે , ત્રણ દિવસ ફુલેકું નીકળ્યા બાદ ચોથા દિવસે જાનનું આગમન ને સ્વાગત થાય છે. શ્રી કૃષ્ણની જાન પરણવા માટે વરઘોડા સ્વરૂપે મંદીરેથી નીકળઈને રૂક્ષ્મણીમઠ ખાતે વાજતેગાજતે પહોંચે છે.ભગવાનની લગ્નવિધિ થાય છે અને અંતે રૂક્ષ્મણીજી ની વિદાય પણ થાય છે. લોકકવિઓ પણ કવિતા માં કહિ ગયા,

"માધવપુરના માંડવે જાદવકુલ ની જાન

  • જયાં પરણે રાણી રુકમણી જયાં વરદુલ્હા ભગવાન"
  • ૧૪) જખનો મેળો
  • જખનો મેળો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કચ્છમાં કકડભીટની તળેટીમાં ભરાય છે. જખનો મેળો જખબોંતેરાનો મેળો તરીકે પણ ઓળખાય છે.
  • ૧૫) ચિત્રવિચિત્ર નો મેળો
  • સાબરકાંઠામાં ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામે દર વર્ષે આદિવાસીઓ માટે ચિત્રવિચિત્રનો મેળો ભરાય છે. દર વર્ષે ચૈત્ર માસની અમાસે ચિત્રવિચિત્ર નો મેળો સાબરમતીના ત્રિવેણી સંગમ પર શ્રી ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં ભરાય છે. હસ્તીનાપુરના રાજા શાન્તુના બે રાજ કુંવરો ચિત્ર અને વિચિત્ર વિર્ય એ તેમની માતા પર કરેલા અપવિત્ર આચરણ અને કરેલા પ્રાયશ્ચિત ની લોકવાયકા પણ ચિત્રવિચિત્ર ના મેળા સાથે જોડાઇ છે. આ મેળામાં આદિવાસી યુવક યુવતીઓ ના લગ્નમેળા નું આયોજન પણ થાય છે. આ મેળા માં પુર્વજો ના અસ્થિ નું વિસર્જન પણ ત્રિવેણી સંગમ પર કરે છે.
  • ૧૬) ગુપ્ત પ્રયાગ નો મેળો
  • ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકા નાં દેલવાડા ગામે ગુપ્ત પ્રયાગ તીર્થમાં ભાદરવી અમાસનાં રોજ દર વર્ષે ગુપ્ત પ્રયાગ નો મેળો ભરાય છે. ગુપ્તપ્રયાગમાં પુષ્ટિમાર્ગનાં સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ૬૭મી બેઠક આવેલી છે.આ મેળામાં ભકતો ભાદરવી અમાસે પિતૃઓનાં મોક્ષાર્થે ગંગાકુંડમાં સ્નાન કરી આખી પિપળે દીવો પ્રગટાવે છે.
  • ૧૭) ઝુંડ માતાજી નો મેળો
  • સૌરાષ્ટ્ર ના જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે ખારવા સમાજ દર વર્ષે ઝુંડ ભવાની માતાજીના મેળાનુ આયોજન કરવામાં આવે છે. ત્રણ દિવસ સુધી ખારવા સમાજ ના માછીમારો ઝુંડ માતાજીના મંદિર પાસે તંબુ, ઝુંપડા બાંધી ને રહીને મેળાની મોજ કરે છે અને મેળો પતે પછી દરીયાઈ સફરે જોડાઇ જાય છે.
  • ૧૮) ઝાલાજીના મેળો
  • સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ પાસેના અડપોદરા ગામે દરવર્ષે ઝાલાબાવજી ના મંદિરે ભાદરવા મહિનાના દરેક શનિવાર તથા રવિવારના દિવસે મેળો ભરાય છે. વર્ષો અગાઉ ઝાલા બાવજીએ શહાદત વહોરી તે સ્થળે પાળીયો ઉભો કરાયો છે અને તેમની શહાદતની યાદમાં દર વર્ષે અહીં લોકમેળો યોજાય છે.
  • ૧૯) ઉત્કંઠેશ્વર મહાદેવનો મેળો
  • ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામ પાસે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. વાત્રક નદીને કાંઠે ઉત્કંઠેશ્વર મહાદેવના પ્રાંગણમાં શ્રાવણ માસમાં મેળો દરવર્ષે ભરાય છે. ઉત્કંઠેશ્વર મહાદેવે ને ઊંટડિયા મહેદાવ પણ કહેવાય છે.છે.અહીં મહાદેવ ના મંદિરમાં શિવલિંગ સંપૂર્ણ દેખાતુ નથી પરંતુ પાતાળમાં હોય એમ પ્રતીતિ કરાવતું આ શિવલિંગ ભૂર્ગભમાં છે.વાત્રકના વહેતાં પાણી વચ્ચે દેવડુંગરી નામે નદીની વચ્ચે એક ડેરી છે ત્યાં જાબાલિ ઋષિની સમાધિ છે. આ ડેરી પાસે નાનાં બાળકોના લાંબાવાળ(બાબરી/બાધા )ઉતરાવીને દર્શન કરે છે. મારી બાબરી પણ નાનપણમાં અહિં જ ઉતરાવેલ.
  • ૨૦) પાલોદરના ચોસઠ જોગણી માતાનો મેળો
  • મહેસાણા તાલુકાના પાલોદર ગામે જોગણી માતાનો ફાગણ વદ અગિયારસ અને બારસ ના રોજ પ્રાચીન કાળથી દરવર્ષે લોકમેળો ભરાય છે. લોકવાયકા મુજબ ચામુંડાદેવી એ પોતાની બીજી શક્તિઓ થી દૈત્યોનો નાશ કર્યો. આ જે શક્તિઓ, યોગીનીઓ હતી તે ચોસઠ જોગણીઓ કહેવાઈ. લોકવાયકા મુજબ ફાગણ વદ અગિયારસ ના દિવસે ખેડુતો માટે શુકન જોવાય છે અને બારશના દિવસે કાળકા માતાની સઘડીઓ ઉપરથી લોક સુખાકારીના શુકન જોવાય છે. આમ આ મેળાને પાલોદરનો શુકન મેળો પણ કહેવાય છે.
  • ૨૧) ભલગામડા નો મેળો
  • સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ભલગામડા ગામે રામદેવપીરના મંદિરે દર વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે મેળો ભરાય છે.
  • ૨૨) ગોળ ગધેડાનો મેળો
  • દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં જેસાવાડા ગામે ગોળ ગધેડા નો મેળો હોળી પછી છઠ્ઠા દિવસે દરવર્ષે ભરાય છે. આ એક અનોખા પ્રકારનો આદિવાસી મેળો છે. ગામની વચ્ચે એક સીમળાનું લાકડું રોપવામાં આવે છે જેને છાલ કાઢી લીસ્સું કરવામાં આવે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આ મેળામાં યુવતીઓ ઢોલ નગારાના તાલે આદિવાસી નૃત્ય કરતા કરતા યુવકો પર સોટીઓ નો મારો ચલાવી યુવકો થાંભલા કે લાકડા પર ચઢીને ગોળનો કબ્જો કરતા રોકે છે અને યુવકો સોટીઓનો માર સહન કરી થાંભલા કે લાકડા પર ચઢી ગોળ મેળવે છે. જે યુવક ગોળ મેળવવામાં સફળ થાય તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાની તક મળે છે.
  • ૨૩) ભુચર મોરીનો મેળો
  • જામનગર જીલ્લા ના ધ્રોલ પાસેના ભુચર મોરી ગામે શ્રાવણ વદ અમાસે દરવર્ષે મેળો ભરાય છે. ભુચર મોરી માલધારી કોમનો ગોવાળ હતો અને તેમના નામ પરથી જ ગામનું નામ પડ્યુ છે. વિક્રમ સંવત ૧૬૪૮ માં ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું .જેમાં જામનગર સ્ટેટના કુંવર અજાજી શ્રાવણ વદ સાતમના દિવસે શહિદ થયા હતા. લોકવાયકા મુજબ તે પછી લોકોએ સાતમ નો તહેવાર બંધ કરયો હતો. વર્ષો બાદ જામશ્રી રણમલજીના વખતમાં તેમને ત્યાં પાટવી કુમાર બાપુભા સાહેબનો જન્મ શ્રાવણ વદ ૭ ના રોજ થયો અને ત્યારબાદ લોકો મેળા ઉજવવા લાગ્યા.
  • વધુ આવતા અંકે ...મેળાની મજા