Dhanyvaad patra books and stories free download online pdf in Gujarati

ધન્યવાદ પત્ર.

પ્રજ્ઞાચક્ષુ એ નેત્રદાન પછી લખેલ ધન્યવાદ પત્ર.

આ પત્ર મને નેત્ર દાન કરેલ દાનવીર માણસ ને હું લખી રહી છુ. પણ ધન્યવાદ પેહલા હું એ જણાવવા માંગીશ કે આ નેત્રદાન પેહલા અને પછી મારા જીવન માં કેટલા બદલાવ આવ્યા છે. મારા જીવન માં અને મારા માં પણ બદલાવ આવ્યા છે. હું જન્મ થી જ અંધ ન હતી. મારુ જીવન તો રંગો થી ભરેલું હતું. કોલેજ, મસ્તી, ધમાલ આ બધા થી મારુ જીવન ભરેલું હતું. મિત્રો સાથે ફોન માં સેલ્ફી, કેન્ટીન માં મસ્તી આ બધું જ મારુ જીવન હતું. મેં ક્યારેય મને મળેલ વસ્તુઓ ની કદર કરી ન હતી. કારણ કે મને જે જોઈએ એ મારી સામે હાજર થઈ જતું હતું. કદાચ હું પૈસાદાર પરિવાર માં જન્મી હતી એટલે મને વસ્તુઓ નું મૂલ્ય સમજાતું ન હતું. મને મારા જીવન થી જ મતલબ હતો. આજુ- બાજુ શું ચાલે છે એના તરફ મેં ધ્યાન આપ્યું પણ ન હતું. પપ્પા ની લાડકી અને એક ની એક છોકરી હતી એટલે મારા બધા શોખ પુરા થતા હતા. મને કોલેજ ના બીજા વર્ષ માં પપ્પા એ એક્ટિવા લઈ આપ્યું, એ દિવસે હું ખુબ હતી. પછી તો જાણે હું અને મારી એક્ટિવા અતૂટ મિત્રો બની ગયા હતા. પણ મને તો સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આ એક્ટિવા જ મારા જીવન માં ભયાનક વળાંક લાવશે. મારે એ દિવસે મોડું થતું હતું એટલે હું ઝડપ થી નીકળી હતી. કહેવાય છે ને કે ઝડપ ની મજા અને મોત ની સજા પણ મારી સજા મોત ન હતી. મારા નેત્ર હતા. અને એ એક્સીડેન્ટ માં મારી આંખ ના દિવા ઓલવાઈ ગયા.

અચાનક જ મારા જીવન માં આ અંધકાર આવાથી હું જાણે તૂટી ગઈ હતી. મારી હિંમત જતી રહી હતી. મારે દરેક કામ માટે મમ્મી નો સહારો લેવો પડતો હતો. હું મમ્મી અને પપ્પા નું રડવાનું સાંભળી શકતી હતી પણ એ આંસુ ને દેખી શકતી ન હતી. મને હોસ્પીટલ માંથી રજા મળ્યા પછી ઘરે ઘણા બધા આવ્યા હતા, ખબર પૂછી ને જતા રહ્યા. મારા મિત્રો પણ મને ધીરે ધીરે ભૂલી ગયા. હું મારા રૂમ માં રડ્યા કરતી હતી. મને થતું હતું કે મારા ભવિષ્ય નું શું? ભગવાને બધું છીનવી લીધું છે!! હું રોજ આ પ્રશ્નો થી ઘેરાયેલી રહેતી હતી. મારા મિત્રો એ પણ સાથ છોડી દીધો હતો મારો, એમને કીધું હતું કે "તું દેખી શકતી નથી તો તું અમારી સાથે આવી ને શું કરીશ? અને તને આખો દિવસ કોણ સહારો આપશે?" આ બધા શબ્દો પછી તો હું જાણે પુરી તૂટી ગઈ હતી. સાચે હું બોજ છું? આવા જ વિચારો હું કરતી હતી. મારી આવી હાલત દેખી ને મને મમ્મી-પપ્પા એ અંધશાળા માં મુકવાનું વિચાર્યું. હું તો એ સમય પર જીવતી લાશ જેવી બની ગઈ હતી. ના કોઈ ઈચ્છા કે ના કોઈ સપના. નસીબ સામે હારી ને બેસી ગઈ હતી. મમ્મી- પપ્પા ના માટે મેં અંધશાળા માં જવા માટે તૈયાર થઈ હતી. આ એ સમય હતો જયારે મારા જીવન માં નવા વળાંક આવના હતા.

પેહલા પેહલા મને ખુબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. પણ ધીરે ધીરે હું મારી જાત ને સંભાળતા શીખી રહી હતી. ત્યાં બધા મારા જેવા હતા, એટલે એમને મને ત્યાં તરત જ સ્વીકારી લીધી હતી. ધીરે ધીરે મેં બધા ની વાત સાંભળી ત્યારે મને ખ્યાલ આવ્યો એ બધા કેટલા હિંમત વાળા છે અહીંયા તો! દરેક ના જીવન માં અંધકાર હોવા છતાં બધા મસ્તી કરે છે, ખુલા દિલ થી જીવન જીવે છે. આંખો નથી તો શું થયું જીવન ત્યાં અટકી જતું તો નથી ને. આ વાત મને ત્યાં શીખવા મળી. મિત્રો નો સાચો અર્થ સમજાયો મને. મિત્રો એ નથી કે જેના જોડે તમારી હજારો સેલ્ફી હોય કે જેના સાથે તમે ફેસબુક થી જોડાયેલા હોય. મિત્રો તો એ છે કે જેના સાથે દિલ થી જોડાયેલા હોય. પેહલા મારા હજારો મિત્રો હોવા છતાં હું એકલી હતી. પણ આજે હું એકલી નથી. અહીંયા જે શિક્ષક છે તેમણે મને સાચા અર્થ માં ગુરુ નું શું મહત્વ હોય એ શીખવ્યું છે. આંખો ના હોવા છતાં કેવી રીતે જીવવું એ શીખવાડ્યું છે. એ શીખવ્યું છે કે હું કોઈ થી અલગ નથી. હું પણ બધું કરી શકું છું. જો લખ્ય હોય તો તમને કોઈ રોકી શકતું નથી. હું ધીરે ફરી જીવતા શીખી રહી હતી. મારા કામ જાતે શીખી રહી હતી. અને ત્યારે જ ડોક્ટરોએ કીધું કે ડોનર મળી ગયા છે. ઓપરેશન કરી શકાશે.

ધન્યવાદ તમારા લીધે મને નવું જીવન મળ્યું છે. તમારો એક નિર્ણય ના લીધે મારા જીવન માં ફરી અજવાળું આવ્યું છે. હું હવે મારી કોલેજ પુરી કરી શકીશ. અને મેં નિર્ણંય કરી લીધો છે કે હું હવે અંધશાળા માં જ શિક્ષક તરીકે નોકરી લઈશ. મારા મિત્રો પણ ત્યાં જ છે. મને તો આંખો મળી ગઈ પણ મારા જેવા કેટલા બાળકો હતા જે ફરી અજવાળું જોવા તરસી રહ્યા હતા. અમુક તો એવા હતા કે જેમને કદી પ્રકાશ કે રંગ જોયા જ ન હતા માત્ર અનુભવ જ કર્યા છે. ચક્ષુદાન થી મોટું દાન બીજું હોઈ શકે? તમારા એક નિર્ણંય થી તમારા જીવન ના અંત પછી બીજા કોઈ ના જીવન ની શરૂઆત થઈ શકે છે. હું અત્યારે સામાજિક સંસ્થા સાથે જોડાયેલી છું જે લોકો ને ચક્ષુદાન કરવા માટે પ્રેરણા આપે છે. તમારા આ નિર્ણ્ય થી મારી જિંદગી ને નવી રાહ મળી છે. તમારો ધન્યવાદ તો શબ્દો માં કરી શકાય એમ છે જ નહિ. આશા રાખીશ કે તમારા જેવા વિચાર વાળા લોકો બને અને જાગૃત થાય.

પોતાના માટે બધા જીવે છે. જયારે તમે બીજા ના જીવન માં પ્રેરણાસ્ત્રોત બનો ત્યારે જીવન સાર્થક થાય છે.

***