Bunglow No. 313 books and stories free download online pdf in Gujarati

બંગલો નં.313

નામ – ગોકાણી ભાવીશાબેન રૂપેશકુમાર

Email id brgokani@gmail.com

બંગલો નં.313

ભાગ : 1

વિષય : નવલકથા

પ્રકરણ : 1 દ્વિઘા

પ્રકરણ : 2 અંતિમ નિર્ણય

પ્રકરણ : 1

દ્રિઘા

ડો.નિસર્ગ મહેતા આજે પોતાની કેબિનમાં ખુબ જ ઉદાસ થઇને બેઠા હતા.પોતાની રિવોલ્વીંગ ચેર પર બેસીને બારીની બહાર નજર કરતા.વળી ઘડીક ઉભા થઇને રૂમમાં ચક્કર મારતા ઉંડા વિચારમાં ડુબેલા હતા.વસંતઋતુની ખુશનુમાં સવાર હતી.પ્રક્રુતિ એ પોતાની સુંદરતા ચારે તરફ ફેલાવેલી હતી.સવારનો સુરજ પૂર્વ દિશામાંથી ડોકિયુ કરી રહ્યો હતો. પ્રક્રુતિપ્રેમી અને નૈસગિક સુંદરતાના ચાહક ડો.મહેતાએ પોતાનુ કિલનિક પણ ખુબ સુંદર રીતે બનાવ્યું હતું.કિલનિકની ડાબી બાજુ સુંદર મજાનો બગીચો હતો.જેમા જાત જાતના ફુલો,ફળોના છોડ તથા વ્રુક્ષો હતા.તો વળી જમણી બાજુ બાળકો માટેનુ ક્રિડાગણ હતું.જેમાં લપસણી, હિંચકો, નાના ચકડોળ જેવા બાળકોના આંનદ માટેના સાધનો રાખેલા હતા.કિલનિકમાં જવા માટેના રસ્તાની બંને બાજુ આકર્ષક વ્રુક્ષો.કિલનિકના મુખ્ય દરવાજાને સુંદર મજાની વેલથી આકર્ષક રીતે સજાવ્યો હતો.બહારથી જોતા કોઇને ખબર પણ ના પડે કે આ કોક ડોકટરનુ કિલનિક હશે. અનાયાસે તમે કિલનિકમાં ખેંચાય જાવ તેવુ સુંદર અને રમણીય સ્થળ.આઁખને ઠંડક મળે તેવુ સરસ સ્થળ.ડો.મહેતાનુ માનવુ હતુ કે દવાખાનાનુ સ્થળ એ ઘોંઘાટ અને પ્રદુષણ વચ્ચે ના હોવુ જોઇએ.પ્રાક્રુતિક સુંદરતા અને નૈસર્ગિક વાતાવરણ વચ્ચે દર્દીની અડધી બિમારી ઓછી થઇ જાય છે.વળી આવા વાતાવરણ વચ્ચે રહેલા દવાખાનામાં સતત હકારાત્મક ઉર્જા વહેતી રહે છે.દર્દી સાથે રહેતા બાળકો માટે ક્રિડાંગણ રાખવા પાછળ પણ ડો.મહેતાનો સુંદર ખ્યાલ હતો.બાળકો એ નાના ફુલ સમાન છે અને તે હમેંશા હસતા ખીલતા રહેવા જોઇએ.દવાખાને આવીને પણ બગીચાની મજા મળે તો બાળકો ખુશ થઇ જાય.તેઓને પોતાના ઘરના સભ્ય જે બિમાર છે.તેની ચિંતા ઓછી થઇ જાય.વળી બાળકોને ક્રિડાગણમાં હસતા રમતા જોઇને દર્દીની બિમારી પણ ઓછી થઇ જાય. બગીચામાં થતા ફળો ગરીબ દર્દીઓને તદન મફત આપવામાં આવતા.જેથી બિચારા ગરીબ દર્દીઓ બજારમાં મળતા મોંઘાદાટ ફળો ન ખરીદી શકે તો તેમને મદદરૂપ બની શકાય.કિલનિકમાં આવતા તમામ દર્દીઓ વિશે વિચારીને ડો.મહેતાએ સુંદર મજાનુ કિલનિક બનાવ્યુ હતુ.

વડોદરા જેવા આધુનિક શહેરમાં આવુ સુંદર મજાનું કિલનિક બનાવનાર ડો.નિસર્ગ મહેતા ખુબ જ સંવેદનશીલ,પરગજુ તેમજ સેવાભાવી વ્યકિત હતા.વ્યવસાયે ડોકટર પરંતુ સ્વભાવે સમાજસેવી અને ઋજુ વ્યકિત નિસર્ગ મહેતા પોતાનો વ્યવસાય ખુબ જ ઇમાનદારીપુર્વક નિભાવતા હતા. આજે પ્રક્રુતિની સુંદરતા પર ડો.મહેતાનુ ધ્યાન ન હતુ.તેની નજર તો બારીની બહાર હતી.પરંતુ ચિત્ત કયાંક બીજે હતુ.છેલ્લા બે દિવસથી બગીચા તરફ કે પ્રક્રુતિ તરફ જોવાનો સમય જ ન હતો.મનમાં ઉઠેલુ વિચારનુ વમળ શાંત થવાનુ નામ જ ન લેતુ હતુ. આગલી આખી રાત તેમને ઉંઘ આવી ન હતી.ચિત્તની અશાંતિ તેમનો પીછો છોડતી ન હતી.વહેલી સવારે 4:00 વાગ્યે નર્સના આવેલા ફોનથી વહેલા તૈયાર થઇ કિલનિક પર આવી ગયા હતા.તેઓ કંઇ પણ નિર્ણય લઇ શકતા ન હતા.દ્રિઘા તેમનો પીછો છોડતી જ ન હતી.અનિર્ણાયક સ્થિતિમાં મન વધારે ને વધારે ઉદાસ બનતુ જતુ હતુ. તેની પત્ની વિશ્વા ખુબ જ ભણેલી,સમજુ અને પ્રેમાળ હતી.પોતાના પરિવાર માટે વિશ્વાએ ચમકતી કારર્કિદી છોડી દીધી હતી.કોલેજના પ્રોફેસર તરીકેનો વ્યવસાય છોડીને એક સાધારણ ગ્રુહિણી બની ગઇ હતી.બંન્ને બાળકો વૈદિક અને ઋતુ હજી નાનકડા છે.ત્યારે એક નવી જવાબદારી કેમ તેના પર મુકવી? નિસર્ગને કંઇ સમજાતુ જ ન હતુ.બીજો કોઇ ઉપાય પણ કયાં હતો? હજુ દ્રિઘા તેમનો પીછો છોડતી ન હતી.ત્યાં વળી પાછી નર્સ આવીને બોલાવી ગઇ.ડો.મહેતાને ચિંતા વધવા લાગી.હવે શું કરવુ? કંઇ સમજાતુ ન હતુ.ભગવાનનુ નામ લીધુ અને પોતાની કેબિનમાં રહેલા નાનકડા ભગવાનની મુર્તિને નમન કરીને તે ઝડપથી દર્દી પાસે ગયા.તેમને વિચારી લીધુ હવે તો જે થવુ હોઇ તે થાય.આના સિવાય કોઇ ઉપાય જ નથી.તેમ મનોમન વિચારતા વિચારતા આ.સી.યુ.પાસે પહોચ્યા.

પ્રકરણ : 2

અંતિમ નિર્ણય

આઇ.સી.યુ.માં રહેલી આદીવાસી સ્ત્રી લક્ષ્મીની હાલત ખુબ જ ગંભીર બની ગઇ હતી.ધીમા ધીમા શ્વાસ માંડ ચાલુ હતા.છેલ્લા પાંચ દિવસથી ખોરાક વિના બાટલા ઉપર હતી.મજુરીકાર્ય કરનાર આદિવાસી સ્ત્રીના શરીરમાં માત્ર હાડકા જ દેખાતા હતા.તેમાય પાંચ દિવસથી ખોરાક વગર ખાટલામાં સાવ નિર્બળ દેખાતી હતી.ક્યારેક મોંમાં ફીણ પણ આવી જતા હતા.મોંતના મુખમાં પહોંચી જતી હતી.પરંતુ જીવ જતો ન હતો.છેલ્લા પાંચ દિવસ થયા યમરાજ જાણે રાહ જોતા હતા.પરંતુ લક્ષ્મીનો જીવ જતો ન હતો.તરફરડીયા મારતી તે હોસ્પિટલના બિછાને પડેલી હતી.આજે પણ પરિસ્થિતિ એવી જ હતી. પાંચ દિવસ પહેલા લક્ષ્મી મજુરીકામ માટે સવારે ગઇ હતી.બપોરે મજુરીકામમાંથી છુટ્ટીને તેની બંન્ને દીકરીઓને શાળાએથી લેવા જવાની હતી.બપોરે કામમાંથી નીકળવાનુ મોડુ થઇ ગયુ હતુ.દીકરીઓ શાળાએથી છુટી ગઇ હશે એવી ચિંતા સાથે તે દોડીને શાળા તરફ ઝડપથી જવા લાગી. તેની બંન્ને દીકરીઓ સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી અને પોતે મજુરીકામ કરીને ઘરનું પુરુ કરતી હતી.પરિવારમાં બીજુ કોઇ પણ હતુ નહી.તેનો પતિ તો બે વર્ષ પહેલા શ્વાસની બિમારીમાં ગુજરી ગયો હતો.સાસુ-સસરા તો પહેલેથી હતા જ નહી.તેઓ તો તેના લગ્ન પહેલા જ ગુજરી ગયા હતા.સાસરિયામાં નજીકનુ કોઇ સગુ ન હતુ.પોતે પણ અનાથ હતી.અનાથાશ્રમમાં ઉછરીને મોટી થયેલી.પોતાની બંન્ને દીકરીનો આશરો માત્ર પોતે જ હતી.તેની આઁખમાં હવે દિવસ રાત એક જ સપનુ દેખાતુ હતુ.બંન્ને દીકરીઓને ભણાવી ગણાવીને ઉચ્ચ કારર્કીદી બનાવવી.દીકરીઓનુ ઉજ્જવળ ભવિષ્ય બનાવવુ એ જ લક્ષ્મીના જીવનનો સાર હતો.આ મજુરની જીદગીંમાંથી બંન્ને દીકરીઓને ત્યારે જ મુક્તિ મળી શકે જયારે તેમને સારુ શિક્ષણ પ્રાપ્ત થાય. બંન્ને દીકરીઓ સારી રીતે ભણી શકે તે માટે તેના માટે શાળા ઉપરાંત ટયુશન પણ રખાવ્યા હતા.બંને દીકરીઓના શિક્ષણ ખર્ચ અને સારા ખોરાક માટે પોતે આખો દિવસ મજુરીકાર્ય કરતી રહેતી રહેતી.દિવસ દરમિયાન કાળી મજુરી કરીને પૈસા કમાતી અને રાત્રે મોડે સુધી શિવણકામ,ભરતકામ કરીને પૈસા ભેગા કરતી જેથી બંને દીકરીઓએ પારકા કામ ન કરવા પડે ભણવા ઉપર પુરુ ધ્યાન આપી શકે.બંને દીકરીઓ તેના આઁખનુ રતન હતી.વહાલસોયી દીકરીઓ માટે પોતાનુ આખુ જીવન કુરબાન કરી દીધુ હતુ.

તે દિવસે મોડુ થવાથી લગભગ દોડતા દોડતા લક્ષ્મી શાળા તરફ જવા લાગી.બપોરનો સમય હતો આથી રસ્તા પર ટ્રાફિક પણ ખુબ જ વધારે હતો.ચિંત્તામાંને ચિંત્તામાં લક્ષ્મીનુ ધ્યાન ટ્રાફિક તરફ જતુ જ ન હતુ.શાળાની સામે બાજુ પહોંચીને જોયુ તો બંને દીકરીઓ શાળા પાસે જ ઉભેલી હતી.બધા વિધ્યાર્થીઓ છુટ્ટીને ઘરે જતા રહ્યા હતા.બંને દીકરીઓ એકલી દરવાજા પાસે ઉભેલી હતી.હવે માત્ર રોડ જ ક્રોસ કરવાનો બાકી હતો. ઝડપથી રસ્તો પસાર કરવા જતી જ હતી ત્યાં જ પૂરઝડપે દોડતા ટ્રકે લક્ષ્મીને હડફેટમાં લઇ લીધી.ટ્રક સાથે અથડાતા જ લક્ષ્મીનો એકબાજુ ઘા થયો.ફંગોળાઇને રોડની સાઇડમાં પડી લોહીની ધાર વહેવા લાગી.લક્ષ્મી તો બેભાન જ બની ગઇ.બંને દીકરીઓ આ દ્રશ્ય જોઇ બેબાકળી બનીને માતા તરફ દોડી ટ્રાફિક ઠપ્પ થઇ ગયોને લોકોની ભીડ એકઠી થવા લાગી.આસપાસથી બધા લોકો દોડીને ભેગા થઇ ગયા.ભીડમાંથી થોડાક લોકોએ રિક્ષાની વ્યવસ્થા કરીને લક્ષ્મીને તથા તેની બંને દીકરીઓને બેસાડીને નજીકમાં રહેલા ડો.મહેતાના કિલનિક પર લઇ ગયા. બપોરનો સમય હતો લંચટાઇમ થઇ ચુકયો હતો.ડો.મહેતા અને ડો.પારેખ લંચ માટે નીકળતા જ હતા.ત્યાં બધા લક્ષ્મીને લઇને કિલનિક પર આવી પહોચ્યાં.લોહીથી લથબથ ગંભીર રીતે ઘવાયેલ લક્ષ્મીને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી લીધી અને સાંજ સુધી ડો.મહેતાની ટીમે પ્રયાસ કર્યો.લક્ષ્મીના જીવને બચાવી લેવા.સર્જનને પણ બોલાવી લીધા હોવા છતાંય પણ લોહીની બોટલો, બાટલાઓ, સિંરિજો, મોંઘીદાટ દવાઓ જેવા અનેક ખર્ચાઓ હોસ્પિટલે ભોગવીને લક્ષ્મીને બચાવવા માટે જીવ લગાવી દીધો.રાત પડતા સુધી ડો.મહેતાને ખ્યાલ આવી ગયો કે લક્ષ્મીને બચાવવી શક્ય નથી. સર્જન ડો.વિશ્વાસે મત આપ્યો કે લક્ષ્મી સવાર દેખશે નહી.હાલત ખુબ જ નાજુક છે.ત્યારે ડો.મહેતાને ઉદાસી સાથે તેની માસુમ બાળકીની ચિંતા થઇ આવી.આમ તો દાકતર જીવનમાં અનેક કેસ આવા આવતા હોઇ છે.અનેક લોકોના મ્રુત્યુ વિશે તેના પરિવારને કહેવાનુ હોઇ છે.પરંતુ માસુમ ફુલ જેવી બાળકીઓને પોતાના જીવનનો એકમાત્ર આધાર એવી તેની માતાના મ્રુત્યુ વિશે કંઇ રીતે કહેવુ તે સુઝયુ નહી. સવાર સુધી કંઇ કહેવુ નહી એમ મનોમન નક્કી કરીને દુ:ખી તથા ભારે હૈયે નર્સને તથા રાત્રિના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપીને તેમજ બંને દીકરીઓ માટે પણ હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા કરીને તે ઘર તરફ જવા નીકળ્યા. આમ તો ડોકટર મહેતાનુ એક પ્રાઇવેટ કિલનિક હતું.વડોદરા જેવા શહેરમાં રહેલા અનેક કિલનિકો પૈકીનુ એક હતુ.પરંતુ પરગજુ અને ઋજુ સ્વભાવના ડો.મહેતાએ રાત્રિ સ્ટાફની પણ વ્યવસ્થા રાખી હતી.દિવસે પોતે અને પોતાના અંગત મિત્ર એવા ડો.દિવ્યેશ પારેખ જ કિલનિક ચલાવતા હતા.પરંતુ રાત્રિ માટે યુવાન સ્ટાફ રાખ્યો હતો. જેઓ જરૂરિયાત મુજબ દિવસે પણ સેવા આપતા હતા.બંને મિત્રો સવારે 8:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી રહેતા અને પછી રાત્રિનો સ્ટાફ આવતો.આમ આયોજનપૂર્વક બધુ ચાલતુ.આજે પોતે સવારમાં વહેલા આવી ગયા હોવાથી તેમણે રાત્રિના સ્ટાફને વહેલી રજા આપી દીધી. લક્ષ્મીને ચેક કર્યા બાદ તેઓ કેબિનમાં ગયા.પોતાના મિત્રની રાહ જોવા લાગ્યા.હજુ ઓ.પી.ડી.ને ઘણીવાર હતી અને ખાસ કોઇ કાર્ય હતુ નહી.આથી તેઓએ કેબિનમાં જઇ ચા મંગાવીને વિચાર કરવા લાગ્યા.વિચારમાંને વિચારમાં ક્યારે પટ્ટાવાળો આવીને ચા આપીને જતો રહ્યો કંઇ ખબર જ ન પડી.ક્યારે આઠ વાગી ગયા તે પણ ભાન ન રહ્યુ.ડો.પારેખે દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી કે પોતે સવારના ચાર વાગ્યાના આવી ગયા હતા અને અત્યારે આઠ વાગી ગયા હતા. વર્ષોથી સાથે રહેતા ડો.પારેખ તરત જ પરિસ્થિતિ પામી ગયા.આવીને ડો.મહેતાના ખભે હાથ મૂકીને પુછયુ, “નિસર્ગ આજે કેમ ઉદાસ છો?” “આ આદીવાસી સ્ત્રી લક્ષ્મીના કેસે મને ચિંતામાં મુકી દીધો છે.આજના ભુણહત્યાના યુગમાં એક બાજુ લોકો દીકરીઓને ઇચ્છતા નથી ત્યારે આ સ્ત્રી મજુરીકામ કરીને પોતાની બંને દીકરીઓને ભણાવવા માંગે છે.દિવસ-રાત એક કરીને પોતાના બંને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરે છે.આંખોમાં અનેક સપનાઓ લઇને જીવતી લક્ષ્મીના જીવનમાં કુદરતે કેવી મોટી થપાટ લગાવી.આર્થિક તંગી,કુટુબીજનો નો અભાવ જેવી અનેકવિધ મુશ્કેલીઓ ઓછી હતી કે તેને આજે જીંદગીથી પણ હાથ ધોવા પડી રહ્યા છે.વાહ રે! કુદરત તારી અજબ લીલા” એક નિ:સાસો નાખીને ડો.મહેતા બોલી ગયા. “તારી વાત સાચી છે નિસર્ગ પરંતુ આ દુનિયામાં જે કોઇ ઘટના ઘટે છે.તેની પાછળ ચોક્કસ કારણ રહેલુ હોય છે.તમે કે હું કે કોઇપણ તે સમજી શકતા નથી” ડો.પારેખે ખુરશીમાં બેસતા બેસતા બોલી ગયા. “ હા,મિત્ર કારણ વગર કંઇ પણ બનતુ નથી પરંતુ મને તો બિચારી પેલી દીકરીઓની ચિંતા થાય છે.આ ક્રુર, ઘાતકી, સ્વાર્થી, લાલચુ દુનિયામાં બે ફુલ મુરઝાય જશે.લક્ષ્મી તો જીવ કોચવીને આજ નહી તો કાલે મ્રુત્યુ પામશે પરંતુ બે ફુલ જેવી દીકરીઓની જીંદગી દુષ્કર બની જશે” ડો.મહેતા આવેશમાં આવીને લાગણીભર્યા સ્વરે બોલી ગયા. “દીકરીની જાતને આ યુગમાં એકલુ જીવવુ ખુબ જ મુશ્કેલ જ છે.વળી આપણે ત્યાં અનાથાઆશ્રમની પરિસ્થિત પણ ક્યાં સારી છે.ઇશ્વરે તેના નસીબમાં આવુ જ લખ્યુ હશે.” ડો.પારેખ વાત કરતા જ હતા ત્યાં ફોનની રીંગ વાગી.નર્સે ફોનમાં કહ્યુ કે ઓ.પી.ડી.નો સમય થઇ ચુક્યો છે અને પેશન્ટ રાહ જોઇ રહ્યા છે.આથી ડો.પારેખ ઉભા થઇને બોલ્યા

“નિસર્ગ જીવન અને મ્રુત્યુ એ કુદરતનો ક્રમ છે.વળી સૌ કોઇ પોતાના નસીબ લખાવીને જ આવે છે.હુ ગંભીરતા સમજુ છુ.પરંતુ તેની અસર આપણા કાર્ય પર ન પડવી જોઇએ.ચાલ હવે ઓ.પી.ડી.નો સમય થઇ ગયો છે.લે પાણી પી લે અને સ્વસ્થ થા” પાણીનો ગ્લાસ આપતા ડો.પારેખે કહ્યુ “ઓ.કે.દિવ્યેશ તુ જા હુ હવે સ્વસ્થ છુ.” ડો.મહેતાએ કહ્યુ ડો.પારેખ પોતાની કેબિનમાં જતા રહ્યા.ડો.મહેતા પણ પાણી પી ને નર્સને બોલાવી ઓ.પી.ડી.માટે પેશન્ટ મોકલવા જરૂરી સુચનાઓ આપી. સવારના 8:00 થી બપોરના 3:00 કયારે વાગી ગયા.કંઇ જ ખબર ન પડી.વચ્ચે ડો.મહેતા લ્ક્ષ્મીને ચેક કરવા જતા હતા.પરંતુ હાલતમાં કોઇ ફેર પડતો જ ન હતો.એ જ બબડાટ ચાલુ જ હતો.વારંવાર મોંમા ફીણ અને બેહોસી.હાલત બદતર બનતી જતી હતી. બપોરે 3:00 વાગ્યે થોડીક ફુરસદ મળતા ડો.મહેતા હજુ ઘરે જમવા જવાની તૈયારી કરતા જ હતા.ત્યાં નર્સ દોડતી આવીને ડો.મહેતાને બોલાવીને આઇ.સી.યુ.માં લઇ ગઇ.લક્ષ્મી હાલત અત્યંત નાજુક બનતી જતી હતી.ડો.પારેખ પણ ત્યાં હાજર હતા.ડો.મહેતાએ જોયુ કે હાલત ખુબ જ કફોડી હતી.લક્ષ્મીનો જીવ દેહ છોડીને જવા માટે તૈયાર જ હતો.પરંતુ એક તાંતણો તેને રોકી રહ્યો હતો.ખાટલા પર ખુબ જ તરફડિયા માર્યા.ઘણીવાર સુધી શ્વાસે બંધ થવા પ્રયત્ન કર્યો.પરંતુ કંઇ જ થયુ નહી.આખરે ડો.મહેતાએ ઘેનનુ ઇજેકશન આપ્યુ જેથી કરીને થોડો આરામ મળી શકે.બંને દીકરીઓ બહાર કાચમાંથી બધુ જોતી હતી.તેની આઁખમાંથી પણ આંસુ વહ્યા જતા હતા.ડો.મહેતાએ બહાર નીકળી બંને દીકરીઓને ખુબ વહાલ કરીને પોતાના ઘરે આવવા સમજાવ્યુ.દીકરીઓને તેમની વહાલસોયી માતાને છોડીને જવાનો જીવ ચાલ્યો નહી.આથી ડો.મહેતાએ નર્સને સુચના આપીને બંને દીકરીઓ માટે જમવાનું મંગાવ્યુ અને પોતે દીકરીઓને પાસે બેસાડીને દીકરીઓને જમાડવા પ્રયાસ કર્યો.પરંતુ દીકરીઓને ગળેથી કોળિયો ઉતારતો જ ન હતો.ઘણા પ્રયત્નો કર્યા બાદ ખુબ જ સમજાવટ બાદ દીકરીઓએ માંડ થોડુક ખાધુ.ત્યારબાદ ભારે હૈયે ડો.મહેતા અને ડો.પારેખ ઘરે ગયા. ઘરે પહોચ્યાં બાદ પણ ડો.મહેતા ખુબ જ ઉદાસ હતા.જમવામાં તો જરાય રુચિ ન હતી.મને કમને થોડુક જમીને ઉભા થઇ ગયા.અને ઓશરીમાં હિંડોળા પર બેસી ગયા અને વિચાર કરવા લાગ્યા.દરરોજ તો જમીને થોડીવાર બાળકો સાથે વાતો કરે.થોડુ ટી.વી.જોવે ત્યારબાદ બેડરૂમમાં થોડો આરામ કરે.પરંતુ આજે તો હિંડોળા પર બેસીને વિચારમગ્ન બની ગયા હતા.ડોકટરના ઘરના આવી ઘટનાઓથી પરિચિત જ હોય જ છે.તેમની પત્ની વિશ્વા પતિનો મુડ સમજી ગયા.આથી તેમને એંકાતબક્ષી પોતાના કાર્ય કરવા લાગ્યા.અત્યારે તેમને વિક્ષેપ પાડવો યોગ્ય લાગ્યો નહી. ફરી પાછા 4:00 વાગ્યે ઓ.પી.ડી.માટે કિલનિક પર ગયા.સાંજના ઓ.પી.ડી.માં પણ ડો.મહેતાનો જીવ ચોંટતો ન હતો.થોડી થોડી વખતે લક્ષ્મી પાસે જવુ પડતુ હતુ.હાલત ખરાબથી અતિ ખરાબ બનતી જતી હતી. આમને આમ સતત આજે પાંચમો દિવસ થયો હતો.આજે ડો.મહેતા સવારના 4:00 વાગ્યાના વિચાર કરતા હતા.હવે અંતિમ નિર્ણય લઇને હિંમત સાથે આઇ.સી.યુ.તરફ ગયા.

લક્ષ્મીની થોડી થોડી આઁખો ખુલતી હતી તેના સામે તેની બંન્ને દીકરીઓ ઉભી હતી.હવે તેમની આઁખોમાં આંસુ પણ ખુટી ગયા હતા.ડો.મહેતાએ દીકરીઓના માથે હાથ મુકીને લક્ષ્મી પાસે ગયા.લક્ષ્મીના કપાળ પર હાથ ફેરવીને બધા સમક્ષ ડો.મહેતાએ પોતાનો નિર્ણય જણાવ્યો, “લક્ષ્મીબહેન,હુ તમારી પીડા સમજી શકુ છુ.મુત્યુના દ્રારે ઉભેલા તમારા જીવને દીકરીના પ્રેમ તથા ચિંતાનુ બંધન રોકી રહ્યુ છે.હુ તમારા પ્રેમ અને ચિંતાને સારી રીતે સમજી શકુ છુ.આ ક્રુર,ઘાતકી અને સ્વાર્થી દુનિયામાં આ બે ફુલને એકલા છોડવાનો મારો જીવ પણ ચાલતો નથી,તમે તો છેવટે તેના માં છો.આથી હુ આજ તમને વચન આપુ છુ કે તમારી બંને દીકરીઓ આજથી મારી દીકરીઓ છે.મારા ઘરમાં તેને સ્થાન આપીશ અને તેના ઉછેર તથા રક્ષણની તમામ જવાબદારીઓ સ્વીકારુ છુ.મારા બંને દીકરાઓ માટે ઇશ્વરે બહેનો મોકલી છે.તેને સ્નેહથી ઉછેરશું.લક્ષ્મીબહેન વિના ચિંતાએ સદગતિ પામો.તમને બચાવી શકવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ઇશ્વરે તમારું આયુષ્ય આટલુ જ નિર્ધારિત કર્યુ હશે.મનમાંથી ભાર છોડીને કષ્ટમાંથી મુક્તિ પામો.તમારી દીકરીઓ આજથી ડો.મહેતાની દીકરીઓ ગણાશે. આટલુ સાંભળીને જાણે લક્ષ્મીના દેહમાં નવુ ચેતન આવી ગયુ.તેને પોતાના બે હાથ જોડી દીધા અને આઁખમાં આંસુની ધાર સાથે જીવ ઉડી ગયો.બંને દીકરીઓ પોક મુકીને રડવા લાગી ત્યારે ડો.મહેતા અને ડો.પારેખ તથા નર્સો પણ પોતાના આંસુ રોકી શક્યા નહિ.ઇશ્વરના નિર્ણયને કોઇ ટાળી શકતુ નથી.જીવનની સાચી સત્યતા તેને અપનાવવામાં જ રહેલી છે.

કિલનિક દ્રારા જ લક્ષ્મીના મ્રુત્દેહની અંતિમ વિધિઓ પૂરી કરવામાં આવી.ઘરનાં કોઇ સગા તો હતા નહિ.લ્ક્ષ્મીની અંતિમ વિધિમાં હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો.અંતિમવિધિ બાદ ડો.મહેતા બપોરે બંને દીકરીઓને ઘરે લાવ્યા.દીકરીઓ માતાના મ્રુત્યુ બાદ હતપ્રભ બની ગઇ હતી.તેમને સોફા પર બેસાડીને ડો.મહેતા તેમની સાથે બેઠા અને તેની પત્ની વિશ્વા,તેના બંને દીકરા વૈદિક અને ઋતુ તથા વર્ષોથી ઘરમાં કામ કરતા હર્ષલકાકાને બોલાવ્યા.બધાને બોલાવીને ડો.મહેતાએ સઘળી હકીકત વિગતવાર જણાવીને પોતાની પત્ની વિશ્વાને પૂછયુ કે તને મારા આ નિર્ણય પર કોઇ વાંધો તો નથી ને? ત્યારે પ્રેમાળ અને સમજુ એવી વિશ્વાની આઁખમાં આંસુ આવી ગયાને બંને દીકરીઓને પોતાની પાસે બોલાવીને ભેટી પડ્યા અને બોલ્યા, “મને તમારા નિર્ણય પર ગર્વ છે.આજથી આ મારી જ દીકરીઓ છે.વિશ્વાએ બંને દીકરીઓને તેના નામ પુછ્યા? તેઓ એ બંને પોતાના નામ કહ્યા,પાર્થવી અને હેતલ.........

To be continued…………………