Asatyana Prayogo - 9 books and stories free download online pdf in Gujarati

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 9

પ્રકૃતિ સાથેનું અનુસંધાન : કુદરતના સંકેત

હા, પણ એ પછી એવુંતો ચોક્કસ થયું કે, કુદરતી જ મને ધાર્મિક સંસ્થાઓ અથવા ધર્મ –આધ્યાત્મને લગતાં કામો જ વધુ મળવા લાગ્યાં. પહેલાં પણ મેં સ્વામિનારાયણના કામો તો કરેલાંજ. હવે દાદાભગવાન, સોહમ ચેનલ, પ્રણામી ચેનલ, અન્ય જ્યોતિષ, વાસ્તુ વગેરેપ્રકારના કામો વધતાં રહ્યા અને એમાંથી જ સારું મળતર મળી રહેતું. અને પાછાં આ કામો સામે ચાલીને આવતાં.

સ્વાભાવિક છે, કે કોઇપણ વિષયને લખવા, કન્સેપ્ટ ડેવલોપ કરવા જે તે વિષયને ઊંડાણથી સમજવો પડે. અને એમ આપોઆપ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન વધતું રહ્યું. ખાસ કરીંને દાદાભગવાન અને યુ.એસ. ડીફેન્સમાં વૈજ્ઞાનિક એવાં શ્રી ધીરજ પારેખ તેમજ જ્યોતિષના સંશોધક અને અભ્યાસુ એવાં શ્રી તેજસ મહેતા સાથેના વિસ્તૃત અને અંગત સંસર્ગ થકી ઘણી સ્પષ્ટતાઓ મળી.

બાળકોને વાંચવાનો શોખ. પણ અંગ્રેજી ભાષાના પુસ્તકો. પાઉલો-કો એલ્હોનું “અલ્કેમીસ્ટ” નામનું પુસ્તક લાવ્યા. મેં વળી પહેલીવાર રસ લઈને પુસ્તક વાંચવાનું શરુ કર્યું અને વાંચતો ગયો એમ રસ પડતો ગયો અને પૂરું કર્યું. એમાં એક વાત મને સ્પર્શી ગઈ કે પ્રકૃતિ / કુદરત / નેચર તમને કોઈ ને કોઈ રીતે સંકેત કરી માર્ગદર્શન આપતી હોય છે. જો તમે એને ઓળખી શકો તો.

અને તમે પણ પ્રકૃતિને સહાયરૂપ થવા પ્રાર્થના કરીને એ મુજબ કરાવી શકો.

આ વાતની પૂર્તિ કરતાં કેટલાક જણાવવા જેવાં પ્રસંગો ::

શું મૃત્યુ ટાળી શકાયું હોત ?

આ પુસ્તક વાંચતાં મને મારા મોટાભાઈ કહો કેપાર્ટનર એવાં મિત્ર કિશોરસિંહ જાડેજાનું યુવાન વયે અકસ્માતે મૃત્યુ થયું, એ તરત યાદ આવ્યું.

૨૦૦૬ જાન્યુઆરી – વાયબ્રન્ટ ગુજરાતની ઇવેન્ટનું કામ મળ્યું હતું અમને. એ દરમ્યાન “સરદાર પટેલ” નાટકનો શો જૂનાગઢમાં ગોઠવાય એમ હતો એટલે આયોજકને મળવા અને સ્ટેજ વગેરેની વ્યવસ્થા જોવા મારે જુનાગઢ જવાનું હતું. પણ કિશોરસિંહે કહ્યું કે, ‘તમારી હાજરીની આ વાયબ્રન્ટ ઇવેન્ટના કામમાં વધુ જરૂર છે. તમે અહી રહો. હું જુનાગઢ જાઉં છું.”

કાયમ વોલ્વો બસમાં જતા, પણ એ દિવસે એમને એવો વિચાર આવ્યો કે કેમેરામેન ગીરીશભાઈને સાથે લેતો જાઉં, તો એમને રસ્તામાં એક-બે લોકેશન બતાવવાં છે, એ પણ બતાવી દઉં અને રાજકોટ એક બેસણામાં પણ બેસતો આવું. એટલે એમણે ગીરીશભાઈને ફોન કર્યો.

“તમારી કારમાં જવાય ? મારી કારમાં અંધારામાં સામા વાહનોની લાઈટમાં કાચના સ્ક્રેચીસ ગ્લેર મારે છે.”

રાત્રે પાછા ફરતાં રસ્તામાંથી નવેક વાગે મને એમનો મારા ઘરની લેન્ડલાઇન પર ફોન આવે છે. ડ્રાઈવ ગીરીશભાઈ કરતાં હતા, એટલે એમણે બાજુમાં બેઠાબેઠા નિરાંતે મારી સાથે ઘણી વાતોકરી. દસેક મિનીટ વાતો ચાલી એટલે મારી પત્ની બોલી “બાકીની વાતો કાલે કરજો. કાલે નથી મળવાના ? મરી જવાના છે ? તમેતો કાલે મળવાના જ ના હોવ એટલી વાતો કરી.”

અને હું ૧૫-૨૦ મીનીટમાં એક રેકોર્ડીંગમાં પહોંચું ત્યાંતો કારને અકસ્માત નડ્યાનો ગીરીશભાઈનો ફોન આવે છે. કિશોરસિંહનું સ્થળ પર જ અવસાન થયું. મને તો ત્યારે ખબર પડી કે, કાર્યક્રમ બદલીને બસને બદલે કારમાં અને ગીરીશભાઈની સાથે એ જુનાગઢ ગયા હતા... હું રેકોર્ડીંગમાં હાજર કલેકટર શ્રી રાજુભાઈ ગઢવીની જીપ લઇ ઘટના સ્થળે પહોંચવા નીકળ્યો. ઘરે ફોન કર્યો “ઘરમાં જેટલી કેશ પડી હોય એ લઈને નીચે ઉતર. આવી ઘટના બની ગઈ છે એટલે ત્યાં જવા નીકળું છું. પૈસાની જરૂર પડશે.”

-ફ્લેશ બેક –

એ જ દિવસે સવારે ડર મહિનાની જેમ એક લોનનો હપ્તો ભરવા હું દીપ્તી પાસેથી પૈસા માંગું છું. એ હપ્તાની રકમ કરતાં થોડાક જ ઓછા પૈસા આપે છે. હું પૂરા માંગું છું. એ ના પાડે છે. કે એટલા તમે તમારામાંથી ઉમેરી દેજો, છુટા નથી. હું એમ કરવા ના પાડી હપ્તો ભર્યા વગરજ એ પૈસા એને પાછા આપી દઉં છું.

– ફ્લેશ બેક પૂરો –

આ હપ્તો ન ભરેલા પૈસા જ મને આ રીતે રાત્રે ઈમર્જન્સીમાં કામમાં આવ્યા.

- ફ્લેશ બેક બીજો –

ગીરીશભાઈ અને કિશોરસિંહ અકસ્માતના સમયના એકાદ કલાક પહેલાં રસ્તામાં ચાય પીવા ઉભા રહે છે.

કિશોરસિંહ : “લાવો ... તમેં થાકી ગયા હોવ તો ગાડી હું ચલાવી લઉં ?”

ગીરીશભાઈ : “નાના .. મારી મટીઝ અને તમારી ઝેનના હેન્ડ કન્ટ્રોલ ઉંધા છે. તમને એકદમ નહી ફાવે. તકલીફ પડશે. હું જ લઇ લઉં છું.”

અને કલાકેકમાં જ એવીરીતે અકસ્માત થાય છે કે, ડ્રાઈવ કરનાર ગીરીશભાઈની બાજુમાં બેઠેલા કિશોરસિંહ સ્થળ પર જ અવસાન પામે છે. ..

– ફ્લેશ બેકપૂરો –

હવે આ આખી ઘટનામાં – મારા બદલે કિશોરસિંહનું જુનાગઢ જવું – બસને બદલે કારમાં જવું – ચાય પીતી વખતે “હું ચલાવી લઉં ?” એમ બોલાવીને બચવાની એક તક કે સંકેત આપવો. – દીપ્તીનું “કાલે નથી મળવાના?” એમ બોલવું. – સવારે પૈસાની નાની માથાકુટમાં હપ્તો ના ભરવો. .....

બધું કેવું સાંકેતિક લાગે છે? કુદરત કેટલા સ્પષ્ટ સંકેત આપતી હતી ? .... પણ એ વખતે આવી સમજણ નહોતી. એવી સમજણ હોત અને ગીરીશભાઈએ કિશોરસિંહને ગાડી ચલાવવા આપી દીધી હોત તો શું કદાચ અકસ્માત કે એમનું મૃત્યુ ટાળી શકાયું હોત ?

રાત્રે થયેલાં આ અકસ્માતની પોલીસ, હોસ્પિટલ વગેરે કાર્યવાહી પતાવી અમદાવાદ ઘરે પહોંચતા વહેલી સવાર થઈ. હવે મિત્ર વર્તુળમાં જાણ કરવા વહેલી સવારે જેના મોબાઈલ કરું એ બધાના ફોન સ્વીચ ઓફ આવે...! મારે સમાચાર આપવા કેવીરીતે ? વળી, મારીપાસે એ વખતે કાર નહોતી. કોઈક ફોન ઉપાડે તો એની કારમાં જઈને પોસ્ટમોર્ટમ વિધિ વગેરે પતેને ? ....

એ દિવસથી નક્કી કર્યું કે, ગમે તે હોય મોબાઈલ ચોવીસ કલાક ચાલુ જ રાખવાનો.

***