Tahuko - 8 books and stories free download online pdf in Gujarati

ટહુકો - 8

ટહુકો

કામસૂત્ર પ્રેમસૂત્ર અને બ્રહ્મસૂત્ર

(૩૧/૭/૨૦૧૧)

અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછૂટકે કલમને શરણે જવું પડે છે. આપણા ઋષિએ વરસાદને પર્જન્ય કહ્યો છે અને વળી એને પિતાના સ્થાને બેસાડ્યો છે. વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે. જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક આવી ઘટના બને છે. જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રમસૂત્ર જેવા ત્રણ ખાનાં ખરી પડે છે અને રહી જાય છે કેવળ મૌન! એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે. સાંભળો ત્યારે:

પ્રત્યેક માણસના હદયમાં

એક તણખો હોય છે,

જે જ્યોત બનવાની શક્યતા

જાળવીને જીવતો રહે છે.

એકાદ નાની ઘટના,

એક મજાની પંક્તિ

કે પછી

સાવ અજાણ્યું નિર્મળ સ્મિત

એ તણખાને

પ્રેમળ જ્યોતિમાં ફેરવી નાખે ત્યારે

સમય અને અવકાશ

એકબીજામાં ઓતપ્રોત થઈને

પરમ શાંતિના ખોળામાં

પોઢી જાય છે.

ક્યારેક એક ક્ષણ

એવી આવી મળે છે,

જ્યારે આપણા માહ્યલાને

કૂંપળ ફૂટતી હોય છે.

પતંગિયાની પાંખ પર

મેઘધનુષ્યની શોભા!

આવી કોઈ મત્સ્યવેધી ક્ષણે

માણસ સાવ એકલો હોય

તોય ખરેખર એકલો નથી હોતો.

એની લગોલગ કોઈ બેઠેલું હોય છે,

જે ત્યાં હોય છે, છતાં નથી હોતું.

આવું હોવું છતાં ન હોવું

અને ન હોવું છતાં હોવું

માણસને સમય એને અવકાશની

પેલે પાર લઈ જાય છે.

ત્યાં કેવળ સ્મરણ સુગંધ હોય છે,

પણ પુષ્પ નથી હોતું

જંગલ હોય ત્યાં

એક એવી કેડી હોય છે,

જેના પર માત્ર

ચાર પગલાંની ધૂંધળી નિશાનીઓ

લુપ્ત થવાની અણી પર હોય છે.

આસપાસની થંભી ગયેલી હવામાં

બે હૈયાના ખોરવાયેલા ધબકારા

પતંગિયાની પાંખ પરથી

પવનમાં વહેતા રહે છે.

સદીઓથી સમય

વૃંદાવનની કેડી પર

ક્યાંક લુપ્ત થયેલાં

રાધાના પગલાં શોધતો રહે છે.

આપણું ઘર એટલે શું?

ઘરની કોઈ માલિક નથી હોતો.

ઘરનું કોઈ સરનામું નથી હોતું.

સરનામું તો મકાનનું હોય છે.

ઘર કોઈ સમયદ્વીપ નથી,

ઘર કોઈ આકાશદ્વીપ નથી.

પંખીના માળાનું સરનામું?

૦- આકાશ એસ્ટેટ,

અનંત સ્ટેડિયમની બાજુમાં,

પો - કલરવનગર, જિલ્લો - અનાદિ

પિનકોડ: ૐ

ઘર એક ઘટના છે,

જ્યાં સમય અને અવકાશને

સોડ તાણીને પોઢી જવાનું મન થાય છે.

ક્યારેક ઘરમાં

એકતારાનો મંગલ ધ્વનિ ફરી વળે છે.

લોકો એને માતા કહે છે.

***

સ્વસ્થ સમાજમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્મસૂત્ર વચ્ચે એક એવો સમનવય હશે, જેમાં વિશ્વશાંતિ કોઈ સમણું નહીં હોય, પરંતુ સહજ વાસ્તવિકતા હશે. સાસરે વિદાય થતી દીકરીની બેગમાં કોઈ ન જાણે તેમ, સમજુ પિતાએ વાત્સ્યાયનું કામસૂત્ર અને ભગવદ્દગીતા સાથોસાથ મૂકી દેવા જોઈએ. આવું એક પિતાએ કર્યું હતું. જે સમાજમાં પ્રેમ ગુનો ગણાય, તેવો સમાજ ગુનાને પ્રેમ કરતો હોય છે.

પાઘડીનો વળ છેડે

કુદરતની કિતાબમાં

સાવ સ્પસ્ટપણે અને ભૂલ વગર

પરમેશ્વરે પોતાની આંગળીઓ વડે

એક વાત લખેલી છે:

જગતમાં ક્યાંય પાપ નથી,

માત્ર નબળાઈ છે

અને તે અજ્ઞાનીમાંથી જન્મેલી છે.

- સ્વામી રામતીર્થ

***

Share

NEW REALESED