GEBI GIRNAR RAHASYAMAY STORY - 4 books and stories free download online pdf in Gujarati

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ - ૪)

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૪)

      નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૩ ને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે સારો પ્રતિભાવ મળશે એવી આશા છે.

     અમે લોકો જ્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા ત્યારે માલ - સામાન મૂકતી વખતે ખ્યાલ આવ્યો કે ભાવેશનો થેલો રીક્ષામાં જ રહી ગયો હોય છે. આજના દિવસની હેરાનગતિને લીધે હું માથે હાથ દઈને ત્યાં જ બેસી ગયો.

     મનોજભાઈ અને ભાવેશ દોડીને રીક્ષા જે તરફ ગઈ હતી તે બાજુ દોડીને ગયા, બાકીના અમે ત્યાં જ એમની વાટ જોઈને ઊભા રહ્યા.

     હજુ તેઓ થોડે આગળ જ ગયા ત્યાં જ અમે જે રીક્ષામાં બેસીને આવ્યા હતા એ રીક્ષાવાળો સામેથી એમને આવતો દેખાયો. કદાચ એણે પણ અમારો થેલો જોઈ લીધો હતો અને અમને આપવા માટે એ આવતો હતો.

    એમને જોઇને રીક્ષાવાળાએ તરત જ રીક્ષા ઊભી રાખીને થેલો લઈને એમની પાસે આવ્યો.

મનોજભાઈ એ કહ્યું, "અમે લોકો થેલો લેવા માટે જ આવતા હતા, સારૂં થયું તમે આવ્યા."

રીક્ષાવાળાએ હસીને હ્યું, 'હા, એ તો સારું થયું મારી ટેવ પ્રમાણે મેં રીક્ષા ચેક કરી અને તમારો થેલો મને દેખાયો નહીંતર તો હું નીકળી ગયો હોત અને તમે લોકો હેરાન થાત.'

  એ ભાઈનો આભાર માનીને ભાવેશ અને મનોજ બંને પાછા મંદિરે આવ્યા અને થેલો મળી ગયો એટલે બધાને શાંતિ થઈ કારણ કે, મોટા ભાગનો બધો નાસ્તો એ થેલામાં જ હતો.

   અમે લોકોએ ભવનાથ મહાદેવના દર્શન કર્યાં, સૌના કુશળ મંગળ માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અમે પોત પોતાનો સામાન લઈ ગીરનાર પર્વતના પગથિયાં તરફ ચાલતા થયા.

    રસ્તામાં મેં આશીષભાઈને કહ્યું, 'આ ભાવેશ પાસેથી થેલો તમે લઈ લો, આ ભાઈનું કંઈ નક્કી ના હોય એ ગમે ત્યાં થેલો ભૂલી જશે ને આપણે ભૂખ્યા રહેવું પડશે.

    આશિષે પોતાનો થેલો ભાવેશને આપીને એની પાસેથી નાસ્તા ભરેલો થેલો લઈ લીધો. ભાવેશ અને મનોજભાઈ ફોટા પાડવામાં મશગૂલ હતા. અમે લોકોએ ગીરનારના પગથિયાં પાસે પહોંચી ને ત્યાં બેસીને બધાની એક સમૂહ સેલ્ફી લીધી, પછી ઉપર ચડવા માટે આગળ વધ્યા.

     ગીરનાર ઉપર થોડે આગળ જતાં જ એક હનુમાન મઢી આવે છે, ત્યાં હનુમાન દાદાની ખૂબ સુંદર જગ્યા છે તેમ જ આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર અને આરામદાયક છે. અમે ત્યાં અંદર જઈને બજરંગબલીના દર્શન કર્યાં અને ત્યાં થોડીવાર એ મઢીના પુજારીબાપુ પાસે બેઠા.
     
       મહારાજે ઘણી બધી વાતો કરી. મેં કહ્યું, 'મહારાજ થોડા વર્ષો પહેલાં આ મઢીએ ઘણાં બધા વાંદરાંઓ જોવા મળતા જે હવે ક્યારેક જ જોવા મળે છે એવું કેમ?

     મહારાજે કહ્યું કે અહીં જે લોકો આવતા કે નીકળતા એ લોકો કંઈ ને કંઈ ખાવાનું આપવાના બહાને વાંદરાંઓને ખૂબજ ચીડવતા તેમજ અહીં પ્લાસ્ટિકની થેલીઓ તેમજ બીજો ઘણો બધો કચરો કરતા જેથી હવે અહીં વાંદરાંઓ એ આવવાનું ઓછું કરી નાખ્યું છે.

       મહારાજની વાત સાંભળીને લાગ્યું કે ખરેખર માણસજાત જ પ્રાણીઓની પ્રજાતિઓ માટે ખતરારૂપ છે. ખાસ કરીને પ્રાકૃતિક સ્થળોએ આપણે કચરો ન નાખવો જોઈએ. વાંદરાંઓ માટે થોડી ખાવાની ચીજો મહારાજ ને આપીને અમે ત્યાંથી વિદાય લીધી.

     અમે લોકો મસ્તી મજાક કરતા - કરતા પગથિયાં ચડી રહ્યા હતા. કોઈ સારૂં લોકેશન આવે તો ત્યાં ફોટાઓ પણ પાડતા હતા. અમારી આગળ એક છોકરીઓનું ગૃપ પણ હતું, જેને જોઈને ભાવેશે કહ્યું, 'ચાલો આપણે તેમની સાથે થઈ જઈએ. તે બધા અમારી આગળ જતા રહ્યા, હું અને આશિષ બંને વાતો કરતા - કરતા એમની પાછળ ચાલી રહ્યા હતા.

     અમે થોડે આગળ ગયા ત્યાં એક જગ્યા હતી, જ્યાં એક મોટો ધૂણો હતો અને એ ધૂણા પાસે એક મોટું ત્રિશુલ ઊભું રાખેલું હતું અને એ ધૂણા પાસે એક જટાધારી નાગા સાધુ ઊભીને પોતાના શરીર પર ધૂણાની ભસ્મ લગાવી રહ્યા હતા.

     અમે લોકો ઉત્સુકતાવશ ત્યાં ઊભા રહીને તેમની આ ક્રિયા જોઈ રહ્યા હતા. એમના શરીર પર એક પણ વસ્ર નહોતું. તેમના શરીરને જોઈને જ ખ્યાલ આવી જાય કે તેમનું શરીર કસરત અને યોગથી કસાયેલું છે. તેઓએ પોતાના આખા શરીર પર ભસ્મ લગાવી અને ત્યાર બાદ અમારી નજર સામે યોગના એવા આસનો કર્યા કે અમે તો આંખો ફાડીને એમને જોતા જ રહ્યા કારણ કે સામાન્ય માણસ માટે એવું કરવું ખરેખર અશક્ય હતું.

       અમને તે સાધુ મહારાજે પોતાની પાસે બોલાવ્યા અને બેસવા કહ્યું. અમે ખચકાટ અનુભવતા તેમની પાસે જઈને બેઠા. ત્યારબાદ તેમણે એક ચલમ કાઢી અને તેમાં બે-ત્રણ વસ્તુઓનો ભૂકો ભરીને ચલમ સળગાવી. ચલમનો કશ લઈને સાધુ મહારાજે અમને પૂછ્યું, " ક્યું બચ્ચા ઈધર ઘુમને આયે હો યા ઉપર આગે જાના હૈ.?

    મનોજભાઈએ કહ્યું જી મહારાજ! હમ ગીરનાર ચડને કે લીયે આયે હૈ. ઔર અબ હમ ઉપર કી ઔર જાયેંગે.

  મહારાજે કહ્યું, " બચ્ચા લેકીન સંભાલના ગીરનાર એક ગેબી પર્વત હે, જૈસા હમકો દીખતા હે વૈસા નહી બહુત ખતરનાક ઔર કાફી રહસ્યો સે ભરા હુઆ હૈ.. કભી ભી યહાં ઐસી જગહ પે મત જાના જો તુમકો આકર્ષિત કરે. યાદ રખના જો દિખતા હે વો વૈસા હે નહીં.. ' જય ગીરનારી , અલખ નિરંજન. '

     મહારાજના આ શબ્દો સાંભળીને મને પેલા જટાધારી મહારાજની યાદ અપાવી ગઈ.

    એ નાગા સાધુ મહારાજે બીજી ઘણી વાતો કરી પછી અમે એમની સાથે ફોટા પડાવીને ત્યાંથી આગળ નીકળી ગયા, પરંતુ એમણે કહેલી વાતો ખરેખર યાદ રાખવા જેવી હતી.

     છોકરીઓનું ગૃપ આગળ નીકળી ગયું હોવાથી હવે અમે સૌ સાથે ચાલતા હતા, અમે લગભગ ઘણાં પગથિયાં ઉપર આવી ગયા હતા. ત્યાં જ એક જગ્યાએ બોર્ડ મારેલું જોયું, ' વેલનાથ બાવાની જગ્યા. '

     ભાવેશ અને મનોજે ઉત્સાહમાં આવીને કહ્યું , ' ચાલો વેલનાથ બાવાના દર્શન કરીએ.'

સંત વેલનાથ એ નવ નાથ માંથી એક હતા, અને તેમનો ગીરનાર સાથેનો ઈતિહાસ પણ ખૂબ રોચક છે. તેમણે ગીરનાર માં રહીને ઘણાં વર્ષો તપસ્યા કરી હતી. સંત વેલનાથની જગ્યા ત્યાંથી થોડે અંદરની તરફ છે અને ત્યાં જવા માટે એક સાંકડી કેડી જેવો રસ્તો છે. હું ત્યાં આ પહેલાં પણ જઈ આવ્યો હતો.

    મેં કહ્યું, ' આપણે ઘણું મોડું થઈ ગયું છે તેથી હવે આપણે સીધા આગળ જઈએ નહીંતર પછી બહુ મોડું થઈ જશે.'

  મનોજભાઈ એ કહ્યું કે, ' અરે યાર આપણે અહીં ફરવા આવ્યા છીએ એટલે નીરાંતે બધે ફરતાં - ફરતાં ઉપર જવું છે.'

   એમની વાત સાંભળીને બધા તૈયાર થઈ ગયા, મારી વાત ત્યાં જ બધાની સહમતીમા જ દબાઈ ગઈ. પરંતુ એ વખતે ત્યાં જવું એ ખરેખર અમારી સૌથી મોટી ભૂલ હતી અને ત્યાં ન જવાનું અચાનક મને કેમ સુજ્યુ એ વાતે મને પણ ખૂબ નવાઈ લાગી.

    સંત વેલનાથના બોર્ડ પાસે ફોટા પડાવી અમે એમના સ્થાનકે જતી કેડી ઉપર ડગ માંડ્યા. પરંતુ આ પગલાં હવે અમને ક્યાં લઈ જશે કોને ખબર !
(વધુ આવતા અંકે)

   ગીરનારમા અમારી સાથે શું બનવાનું હતું? નાગા સાધુએ કહેલી વાતોનું રહસ્ય ખરેખર શું છે? જાણવા માટે વાંચતા રહો 'ગેબી ગીરનાર - એક રહસ્ય' ના આવનાર ભાગ.

  મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુ મૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 91060 18219 પર પણ આપનો મત જણાવી શકો છો.