pruthvi ek prem katha bhag - 46 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 46

આપણે આગળ ના ભાગ માં જોયું કે બધા જ લોકો નઝરગઢ પહોચે છે,ત્યાં વિશ્વા અને નંદિની ની વચ્ચે ફરી થી મુલાકાત થાય છે ,જેમાં અંગદ એ બંને વચ્ચે મધ્યસ્થી કરે છે,જ્યારે અંગદ નંદિની ને પૃથ્વી ના માયાપૂર માં હોવા ના સંકેત જણાવે છે ત્યારે નંદિની હોશ માં આવે છે અને વિશ્વા ને માફ કરી દે છે ,ત્યારબાદ સંપૂર્ણ પરિવાર ભેગા થઈ પુનઃ કાયાપૂર પહોચે છે.ત્યાં નીલાંજના ની મદદ થી કાયાપૂર અને માયાપૂર ને જોડતા એકમાત્ર માર્ગ જાદુઇ અરીસા વિષે નીલાંજના બધા ને જણાવે છે,પરંતુ એ પણ જણાવે છે કે તેઓ એ સાત દિવસ ની અંદર જ પૃથ્વી ને પાછો લાવવો પડશે ,અન્યથા આ માર્ગ સદૈવ માટે બંદ થઈ જશે.નીલાંજના અરીસા ની રક્ષા કરતાં કાયાપુર માં જ રોકાય છે.અને બધા જ એ અરીસા માં કૂદી જાય છે.ખાલી અવિનાશ બહાર ઊભો વિચારી રહ્યો હતો.

ક્રમશ ....

બધા એક એક કરી ને અરીસા માં વહેતા ધોધ માં કૂદી ગયા.ખાલી અવિનાશ ઊભો હતો.

નીલાંજના : મને વિશ્વાસ છે તું પૃથ્વી ને અવશ્ય શોધી લઇશ.બસ એક વાત છે જે મારે તને જણાવવી છે.

અવિનાશ : કઈ વાત ?

નીલાંજના : તમે ત્યાં પહોચી તો જશો જ ... અને પૃથ્વી ને શોધી પણ લેશો ..અહી હું માર્ગ ને ખુલ્લો પણ રાખું છું ,પરંતુ જે પ્રમાણે મે કહ્યું એ રીતે ...આ અરીસો માયાપૂર માં એક સાધારણ અરીસો છે,એટ્લે ત્યાં માર્ગ ને સક્રિય કરવા અને અહી પુનઃ કાયપુર આવવા તમારે એક વિશિષ્ટ મંત્ર ની જરૂર પડશે.

અવિનાશ : ઠીક છે ... તો આપ મને એ મંત્ર જણાવો.

નીલાંજના : ક્ષમા કરજે ..પરંતુ મને એ મંત્ર વિષે જાણ નથી.

અવિનાશ થોડો અકળાયો.

અવિનાશ : તમે જ તો કહ્યું કે આ માર્ગ થી બધા સલામત આવી જશે ,જેના કારણે મે આખા પરિવાર ને એ તરફ મોકલી દીધા ....

નીલાંજના : તું સમજ્યો નહીં અવિનાશ ,મારા કહેવાનો અર્થ માત્ર એટલો છે કે હું એ મંત્ર નથી જાણતી પરંતુ ....

અવિનાશ : પરંતુ શું ?

નીલાંજના : તું એ મંત્ર જાણે છે.

અવિનાશ : અર્થાત ?

નીલાંજના : તું માયાપૂર નો રહેવાસી છે ... અને માયાપૂર નો સૌથી શક્તિશાળી warlock પણ તું જ છે,અને એ શક્તિઓ તને પ્રતિબંધિત મંત્રો થી જ પ્રાપ્ત થઈ છે,જે મંત્ર નો ઉપયોગ કરવાની માયાપૂર માં મનાઈ હતી , એ પ્રતિબંધિત અદ્રશ્ય ગુફા જેના વિષે તું જાણે છે.

અવિનાશ વિચાર માં પડી ગયો ....

અવિનાશ : પરંતુ આ વિષય માં તમે કેવી રીતે જાણો છો ?

નીલાંજના : અરે બેટા .... આખું માયાપૂર જાણી ગયું હતું આ વિષય માં.

મહત્વ ની વાત એ નથી કે હું કઈ રીતે જાણું છું ,મહત્વ ની વાત એ છે કે ..એ પ્રતિબંધિત ગુફા હજુ પણ સલામત છે અને એ ગુફા માં એક બાધિત મંત્ર નું એક પ્રાચીન પુસ્તક છે ,જેને અલગ થી રક્ષિત કરેલું છે.

અવિનાશ : પરંતુ એ ગુફા માં હું અનેક વાર ગયેલો છે ...ત્યાં કોઈ એવું પુસ્તક નથી.

નીલાંજના : એ ગુફા માં એવું ઘણું બધુ છે જે તું જાણતો નથી.બસ એટલૂ યાદ રાખ ... એ પુસ્તક લાલ રંગ થી રંગાયેલું અને પ્રાચીન મંત્ર થી રક્ષાએલા ધાગા થી બાંધેલું હશે.જેની આત્મા શુધ્ધ છે એ જ વ્યક્તિ એ પુસ્તક નું રક્ષા કવચ તોડી શકશે.

એ પુસ્તક માં જ એ મંત્ર છુપાયેલો છે.એ પુસ્તક અહી અરીસા પાસે લાવી ને એ મંત્ર નો ઉચ્ચાર કરજે.તો આ માર્ગ અવશ્ય ખુલશે.

અવિનાશ : પરંતુ ....

નીલાંજના : સવાલ કરવામાં સમય વ્યર્થ ના કર,અવિનાશ.તુરંત જા.

અવિનાશ મુંજવણ માં હતો પરંતુ ,એની પાસે કોઈ વિકલ્પ શેષ નહતો.

અંતે અવિનાશ પણ એ અરીસા માં પડતાં ધોધ માં કૂદી ગયો.

આ બાજુ પડતાં જ જ્યારે એને અરીસા માં જોયું તો નીલાંજના ના કહ્યા અનુસાર એ માત્ર એક સાધારણ અરીસો જ હતો.

અંગદ : તને અહી પહોચવામાં થોડોક અધિક સમય લાગી ગયો.અમે ચિંતા માં હતા.

અવિનાશ : ચિંતા ની વાત તો છે જ અંગદ ...

અંગદ : શું ?

અવિનાશ એ નીલાંજના એ અંત માં કહેલી આખી વાત પરિવાર ના સદસ્યો ને જણાવી.

સ્વરલેખા : તો આ વાત એમને આપણ ને પહેલા કેમ ના જણાવી ?

નંદિની : કદાચ ....એ વાત એમને જ અંતે સ્મરણ થઈ હશે.

વિશ્વા : એ પણ શક્ય છે.

અવિનાશ :જે પણ હોય આપણે સતર્ક રહેવાની જરૂર છે.

બધા એ મહેલ તરફ જોયું તો .... ચારેય તરફ વિનાશ ના જ નજારા હતા.

અરુણરૂપા : આખું માયાપૂર તબાહ થઈ ચૂક્યું છે.

સ્વરલેખા : હા ... બસ એના અમુક અંશ શેષ વધ્યા છે.

અંગદ : આપની પાસે સમય ખૂબ જ ઓછો છે.જેથી બધા હવે પ્રસ્થાન કરવું જોઈએ.

મનસા : એક ક્ષણ .... બધા એક તરફ જઈશું તો સમય અધિક નષ્ટ થશે.એના કરતાં આપણે લોકો અલગ અલગ દિશા માં વહેચાઈ જઈશું તો વધુ સરળતા રહેશે.

આર્દ્રા : હું મનસા ના વિચાર થી સહમત છું.

અવિનાશ : ઠીક છે ....

અંગદ ,આર્દ્રા અને મનસા ....ઉત્તર માં પર્વત ની દિશા માં જાઓ.

નંદિની ,વિશ્વા અને માતા અરુણરૂપા આપ નઝરગઢ ના ગુપ્ત માર્ગ તરફ પશ્ચિમ દિશા માં જાઓ.જ્યાં આપણે અંતિમ વાર પૃથ્વી ને જોયો હતો.

સ્વરલેખા અને વીરસિંઘ આપ પૂર્વ માં જાઓ.

અને હું દક્ષિણ માં અદ્રશ્ય ગુફા તરફ જઈશ.

અંગદ : પરંતુ અવિનાશ ...તું એકલો ?

અવિનાશ : અંગદ ...ક્યારેક આ મારૂ ઘર હતું ...હું અહી ના દરેક માર્ગ જાણું છું.મારી ચિંતા ના કરીશ.

3 દિવસ બાદ અહિ પુનઃ આ મહેલ માં પાછા આવીશું.સફળતા મળે કે ના મળે ...પરંતુ અહી મહેલ માં બધા એ આવવું જ પડશે ,જેથી આપણે બધા સલામત છીએ એની ખાતરી રહે.

અંગદ : ઠીક છે.

બધા એક બીજા સાથે મુલાકાત કરી ,અવિનાશ ના નિર્દેશ પ્રમાણે પોતપોતાને સૂચવેલી દિશાઓ તરફ ચાલ્યા ગયા.

અવિનાશ પણ અદ્રશ્ય ગુફા તરફ ચાલ્યો ગયો.

અંગદ ,આર્દ્રા અને મનસા ઉત્તર ની દિશા તરફ આગળ વધ્યા.

મનસા : અહી થી સાચે જ સર્વ જાદુ સમાપ્ત થઈ ચૂક્યો છે.

આર્દ્રા : અહી ના દ્રશ્ય જોઈ ને લાગે છે ,જાણે અહી ભયંકર પ્રલય આવ્યો હશે ,જેથી સ્વર્ગ થી પણ સુંદર માયાપૂર ના ફક્ત અવશેષ માત્ર શેષ છે.

અંગદ : અહી જે કઈ પણ થયું એના પાછળ ફક્ત હું જ જવાબદાર છું ,મારા ભાઈઓના કારણ એ આ મહાવિનાશ થયો. મારી ભૂલ ના કારણ એ પૃથ્વી – નંદિની અલગ થઈ ગયા.

મનસા : અમે તને અનેક વાર કહી ચૂક્યા છીએ ,કે આમાં તારો કોઈ જ વાંક નથી.તે તો આખા પરિવાર ને બચાવવા માટે જ બધુ કર્યું.બસ સમય આપની સાથે નહતો.

આર્દ્રા : પરંતુ હવે બધુ જ ઠીક થઈ જશે,મને વિશ્વાસ છે કે પૃથ્વી અહી જ હશે.

અવિનાશ : બસ એ જ આશા છે.

આ બાજુ

અહી સ્વરલેખા ,વીરસિંઘ પણ પૂર્વ દિશા માં દરેક જગ્યાએ તલાશ કરી રહ્યા હતા.

અવિનાશ પણ એ અદ્રશ્ય ગુફા તરફ પહોચ્યો.

પરંતુ પ્રલય ના કારણે એ જગ્યા તહસ નહસ થઈ ગઈ હતી.

અવિનાશ એક સુકાઈ ગયેલી નદી પાસે પહોચ્યો.

અવિનાશ : એવું પ્રતીત થાય છે કે અહી જ છે એ અદ્રશ્ય ગુફા.

અવિનાશ એ પૃથ્વી ના પેટાળ માં ગુફા હતી એ બાજુ ગયો

અવિનાશ એક હાથ આગળ રાખી ને ધીમે ધીમે પગલાં ભરી રહ્યો હતો.કારણ કે એને જાણ હતી કે એ જાદુઇ ગુફા ની બહાર એક અદ્રશ્ય કાચ ની અત્યંત મજબૂત દીવાલ છે જે ફક્ત એક મંત્ર થી જ ખૂલે છે.

પરંતુ ધીમે ધીમે કરતાં અવિનાશ ગુફા ના મુખ સુધી પહોચી ગયો.પરંતુ વચ્ચે કોઈ દીવાલ નો અનુભવ જ ના થયો.

અવિનાશ અસમંજસ માં પડી ગયો.

અવિનાશ : આ ગુફા ની બહાર ની કાચ ની દીવાલ અસ્તિત્વ માં જ નથી ? એવું કેવી રીતે બની શકે ?

શું સાચે માયાપૂર માં મંત્ર થી રચિત કોઈ વસ્તુ શેષ વધી નથી ? તો પછી એ ગુફા માના પુસ્તકો પણ હશે કે કેમ ?

એક વાર જવું તો પડશે જ.અવિનાશ ગુફા ના અંદર પ્રવેશ કરી ગયો.

આ બાજુ નંદિની ,વિશ્વા અને અરુણરૂપા ..પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યા હતા.

માર્ગ માં એક તૂટેલી ઇમારત નીચે નંદિની ને કઈક દેખાયું .... નંદિની એ તરફ ચાલી ગઈ.

વિશ્વા એ પાછળ થી અવાજ નાખ્યો.

અરુણરૂપા એ એને રોકી .

વિશ્વા : નંદિની ક્યાં જાય છે ?

અરુણરૂપા : તું એ જગ્યા ને ભૂલી શકે વિશ્વા ,પરંતુ નંદિની નહીં.

વિશ્વા : અર્થાત ?

અરુણરૂપા : આ એ જ જગ્યા છે ...જ્યાં પૃથ્વી અને નંદિની ના વિવાહ થઈ રહયા હતા.આ એમના લગ્ન મંડપ ના અવશેષ છે.

એ સાંભળી વિશ્વા ના આંખ માથી આંસુ સરી પડ્યા.

નંદિની એ મંડપ પાસે ગઈ.ત્યાં એક જગ્યા એ પથ્થર માં કઈક શોધી રહી હતી.

નંદિની એ જમીન પર પથ્થરો નીચે દબાયેલા અમુક ધાગા ઉઠાવ્યા અને એને સાફ કરવા લાગી.

વિશ્વા અને અરુણરૂપા એની પાસે ગયા.

નંદિની એ અશ્રુભરેલી આંખે એ ધાગા બંને ને બતાવ્યા.

નંદિની : તમે જાણો છો આ શું છે ?

વિશ્વા એ માથું ના માં હલાવ્યું.

નંદિની : આ મારા અને પૃથ્વી ના વિવાહ ના પવિત્ર બંધન ના ધાગા છે.જે હું પૃથ્વી ને હાથ પર બાંધવાની હતી,

નંદિની એ એનો જમણો હાથ આગળ કરી ને એના હાથ પર બાંધેલા ધાગા બતાવ્યા .

નંદિની : પરંતુ એ પહેલા જ .....

નંદિની બોલતા બોલતા અટકી ગઈ.

વિશ્વા : આ ધાગા સાચવી ને મૂકી રાખ ... તને ટૂંક સમય માં એની જરૂર પડશે.

વિશ્વા ની સાંત્વના થી નંદની એ થોડા ઊંડા શ્વાસ ભર્યા.

તેઓ પુનઃ એ દિશા માં ચાલવા લાગ્યા.

અહી દિવસ આથમી રહ્યો હતો અને પ્રકાશ મંદ થઈ રહ્યો હતો.

અવિનાશ એક મશાલ સળગાવી ગુફા માં પ્રવેશ કરી રહ્યો હતો,ગુફા માં ઘોર અંધકાર હતો.

અવિનાશ ધીમે ધીમે આગળ વધ્યો.

ગુફા ના અંદર ની સુંદરતા જાણે વિખરાઈ ગઈ હતી.

જે ગુફા માં અનેક પુસ્તકો ના ઝરણા વહેતા ,જાદુઇ વસ્તુ થી ભરેલી વસ્તુઓ જાણે અદ્રશ્ય થઈ ગઈ છે.

હતું તો ફક્ત આમ તેમ પડેલા પુસ્તકો ,જેમાં થી અમુક લાવા ની આગ માં સળગી ને રાખ થઈ ચૂક્યા હતા અને અમુક પુસ્તકો વિકૃત અવસ્થા માં હતા.

અવિનાશ ની આ જોઈ ને ખૂબ જ આઘાત લાગ્યો.

એ ધીમે ધીમે ગુફા ના ગર્ભ માં રહેલી પ્રતિબંધિત ભાગ તરફ આગળ વધ્યો .

એને નજર નાખી ...

સદનસીબે એ ભાગ એ વિનાશ થી વંચિત રહી ગઈ ગયો હતો.

અવિનાશ ને હાશકારો થયો.

નીલાંજના ના કહ્યા અનુસાર એને એ જગ્યા પર બધી પુસ્તકો ની તપાસ કરવા લાગ્યો.

કલાકો સુધી શોધખોળ કર્યા બાદ પણ અવિનાશ ને એ પુસ્તક પ્રાપ્ત ના થયું.

અહી આ બાજુ ..રાત્રિ એ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું ....ચારે કોર ઘોર અંધકાર માં માયાપૂર લપેટાઇ ગયું.

સ્વરલેખા અને વીરસિંઘ એ અંધકાર માં પણ પોતાની શોધખોળ ચાલુ રાખી.

અહી ઉત્તર માં આર્દ્રા અને મનસા ઘડીક વિશ્રામ કરી રહ્યા હતા.અંગદ ઊંચાઈ પર ચડી ને ચોતરફ નું પરીક્ષણ કરી રહ્યો હતો.

સમગ્ર માયાપૂર માં જીવ માત્ર નો અંશ દેખાતો નહતો અને કોઈ નાના જીવ નો પણ લેશ માત્ર અવાજ સંભળાતો ન હતો.

મનસા : આટલી દિવસ ભર ની યાત્રા માં ક્યાય કોઈ જીવ દેખાયો નથી .

આર્દ્રા : કદાચ પૃથ્વી હોય તો પણ આટલા વર્ષ સુધી એ જીવન કઈ રીતે વ્યતીત કરી શકે.

મનસા : હું પણ થોડાક સમય પહેલા એ જ વિચાર કરી રહી હતી.

એટલામાં અંગદ ટેકરી પર થી નીચે આવ્યો.

અંગદ : મે દૂર સુધી દ્રષ્ટિ નાખી છે.મને લાગે છે આપણે એક પ્રહર સુધી અહી વિશ્રામ કરી લેવો જોઈએ ,તદ્પશ્ચાત આગળ ની યાત્રા આરંભ કરીશું.

આર્દ્રા : ઠીક છે.

આ બાજુ નંદિની ,સ્વરલેખા અને અરુણરૂપા ઘટના સ્થળ પર પહોચ્યા.

અંધકાર હોવા છ્તા નંદની આમ તેમ બેબાકળી થઈ ને ફરી રહી હતી.પરંતુ એ જગ્યા પહેલા ના જેમ લગતી ના હતી .... વર્ષો પહેલા નીકળેલો લાવા બરફ જેવા ઠંડા પહાડો માં પરિવર્તિત થઈ ગયો હતો.

નંદિની : વિશ્વા .... ક્યાં છે પૃથ્વી ? ક્યાં છે મારો પૃથ્વી ?

વિશ્વા પણ આમ તેમ જોઈ રહી હતી.

નંદિની : વિશ્વા .... તું કેમ કઈ બોલતી નથી ?

જોર જોર થી પવન ફૂંકાઈ રહ્યો હતો.અરુણરૂપા એ ગમે એમ કરી ને આગ સળગાવી ને મશાલ જલાવી.અને એક તૂટેલી ઇમારત નીચે તાપણા કર્યા.

અરુણરૂપા નંદની પાસે ગયા.

અરુણરૂપા : નંદિની બેટા ...અત્યારે ખૂબ અંધકાર છે ,થોડી વાર માટે આરામ કરી લે.પ્રભાત થતાં જ આપણે પૃથ્વી ની શોધ ચાલુ કરી દઇશું.

નંદની વાત માનવા તૈયાર નહોતી.વિશ્વા અને અરુણરૂપા એ માંડ એને શાંત કરી ને એ બાજુ લઈ જતાં હતા.

ત્યાં નંદિની એ જોર થી અવાજ લગાવ્યો ... “ પૃથ્વી .................”

પૃથ્વી..................

આ અવાજ સૂમસામ માયાપૂર માં ગુંજી રહ્યો હતો.

એ ત્રણેય જણા ઇમારત પાસે બેઠા. અને આરામ કરી રહ્યા હતા.

વિશ્વા અને અરુણરૂપા ની આંખો થોડી વાર બંદ થઈ ગઈ.નંદિની ઊભી થઈ ફરી થી પથ્થરો તરફ ગઈ.

અને જ્યાં પૃથ્વી ને છેલ્લે જોયો હતો એ જ્ગ્યા એક મોટી શીલા માં પરિવર્તિત થઈ ગઈ હતી.

નંદની એના પાસે જઈ ને બેઠી.

નંદની : મને ખબર છે પૃથ્વી , તું મારી આસ પાસ છે ....તારી નંદની ના પ્રેમ ની પરીક્ષા લઈ રહ્યો છે ને ? પણ હવે સહન નહીં થાય પૃથ્વી .... તારી નંદિની હવે હારી ચૂકી છે.એ હવે પરીક્ષા નહીં આપી શકે.

જો હવે તું મારી પાસે નહીં આવે તો ......

તારી નંદની તારી યાદ માં પ્રાણ ત્યાગ કરી દેશે.

ધીમો ધીમો પવન ફૂંકાઈ રહ્યો હતો.

ત્યાં નંદિની ની પાછળ કોઈ પડછાયો હાથ માં મશાલ લઈ નંદિની ની તરફ આવી રહ્યો હતો.

એ વ્યક્તિ એકદમ નંદિની ની પાછળ આવી ગયો,નંદિની નું ધ્યાન એ તરફ નહોતું.એને નંદિની ના મોઢા પર હાથ મૂકી એનો અવાજ દબાવી દીધો.

ક્રમશ: ....

નમસ્કાર વાચક મિત્રો .

આગળ ના ભાગ માં આપના અભૂતપૂર્વ પ્રતિસાદ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ,આ નવા ભાગ માં પણ આપના અમૂલ્ય સૂચનો અને પ્રતીભાવ આપશો એવી અપેક્ષા સહ.

આભાર.