Jantar-Mantar - 36 books and stories free download online pdf in Gujarati

જંતર-મંતર - 36

જંતર-મંતર

( પ્રકરણ : છત્રીસ )

રીમા પાણીમાં સરકતી પૂરપાટ હોડીની જેમ સરકી રહી હતી. એના હાથમાં ભાલો હતો. અને આંખોમાં ખુન્નસ હતું. થોડીકવાર સતત સરકતી રહીને રીમા એક મોટી ગુફામાં ઘૂસી ગઈ. એ મોટી ગુફા બહારથી બંધ હતી. પણ રીમા માટે એવું કોઈ બંધન જાણે બંધન નહોતું. એ સહેજ પણ અટકયા વિના બંધ ગુફાની આરપાર સરકી ગઈ હતી.

એક પછી એક રસ્તાઓ પસાર કરીને એ છેક ભોંયરામાં ઊતરી ગઈ. નીચે વિશાળ ભોંયરું હતું. એ ભોંયરામાં ગુરુ ગોરખનાથ બિલકુલ શાંતિથી બેઠો હતો.

રીમાને ભાલો લઈને ધસી આવેલી જોઈએ એ ખડખડાટ હસ્યો. રીમાએ સહેજ પણ થોભ્યા વિના એ ભાલાની ધાર એની છાતીમાં મારી, પણ પેલાની છાતીમાં ભાલો વાગ્યો નહીં, એક કાળમીંઢ પથ્થર સાથે ટકરાઈને ભાલો પાછો પડે એમ એ પાછો પડયો. ભાલાની ધાર વળી ગઈ. પેલો ગુરુ ગોરખનાથ ખડખડાટ હસી રહ્યો હતો.

પણ રીમાને જાણે કંઈ જ દેખાતું નહોતું. કંઈ જ સંભળાતું નહોતું. એ તો એક પછી એક ઘા ગોરખનાથની છાતી ઉપર કરવા લાગી હતી.

રીમાના હાથનો ભાલો વળી ગયો કે તરત જ સુલતાનબાબા ચોંકી ગયા. એમણે ગભરાટથી લીંબુ હાથમાં લીધું. એમાંની એક સોય ખેંચીને બહાર કાઢી....

એ સોય બહાર ખેંચાતાં જ ગોરખનાથનો એક હાથ છૂટો થઈ ગયો. ગોરખનાથે રીમાના હાથનો ભાલો પોતાના હાથમાં પકડીને રીમાને પોતાની તરફ ખેંચી... રીમા ખેંચાઈને એની મોટી જાંઘ ઉપર પડી. પણ એ ગોરખનાથ કંઈ કરે એ પહેલાં તો સુલતાનબાબાએ પેલી સોય પાછી લીંબુમાં પરોવી દીધી. એટલે ગોરખનાથનો હાથ પાછો જકડાઈ ગયો. એના હાથમાંનો ભાલો નીચે પડી ગયો.

સુલતાનબાબાએ એ લીંબુમાંથી બીજી સોય ખેંચી કાઢી, જોયું તો એ સોયની અણી વળી ગઈ હતી.

સુલતાનબાબાએ લીંબુમાંથી એક સોય ખેંચી કાઢી. એ સોયનો છેડો વળેલો હતો. સુલતાનબાબાની આંખો ઝીણી થઈ ગઈ. એમની ગણતરી મુજબ આ રીતે સોય વળી જવી ન જોઈએ. જરૂર કંઈક ગરબડ છે. એમના ચહેરા ઉપર પરેશાનીથી કરચલીઓ ફરી વળી. એમનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.

જો ભાલો આ રીતે વળી જાય અને ગોરખનાથ ખતમ ન થાય તો તો ભારે મુશ્કેલી થાય. છેક કિનારે આવેલું વહાણ ડૂબી જાય અને સુલતાનબાબા આ રીતે વહાણને ડૂબાડી દેવા માંગતા નહોતા. ગમે તેમ થાય પણ હવે ગોરખનાથ ખતમ થવો જ જોઈએ.

જો ગોરખનાથ ખતમ નહીં થાય તો ગોરખનાથ સુધી પહોંચેલી આ રીમા ખતમ થઈ જશે અને કદી પાછી નહીં આવે. ના, રીમાને હાથમાંથી જવા નહીં દેવાય. ગમે તેમ કરીને પણ ગોરખનાથને ખતમ કરવો જ પડશે. રીમાને બચાવવી જ પડશે. રીમાને બચાવવાનું એમણે બધાને વચન આપ્યું હતું. એમના ઈલમ અને એમના અનુભવની અત્યારે કસોટી હતી.

સુલતાનબાબાએ સોયની અણી સીધી કરવાનો વિચાર કર્યો. પણ એ બેકાર બની ગઈ હતી. જો સોયની અણી સીધી કરે તો સોય તો બટકી જાય અને એની સાથોસાથ રીમાના હાથમાંના ભાલાની અણી પણ બટકી જાય. જલદી કંઈક કરવું પડશે. નહીંતર એ ગોરખનાથ રીમાને ખતમ કરી નાખશે.

સુલતાનબાબાએ તાસકમાં એક નજર નાખી. ગોરખનાથ આંખો મીંચીને ચૂપચાપ બેઠો હતો. મનમાં કોઈક મંત્ર કે જાપ જપી રહ્યો હતો. એ પોતાની વિદ્યા પોતાના ઈલમથી થોડી જ વારમાં સુલતાનબાબાએ બાંધેલા હાથ-પગ છોડી નાખવાનો હતો અને પછી...પછી...

પછી આગળ વિચારવું ભયાનક હતું...એ ગુરુ ગોરખનાથ તો આવી રીમા જેવી કુમળી છોકરીઓની ઈજ્જત લૂંટીને પછી એમનું ખૂન પીવા માટે ખૂબ જાણતો હતો. એ પોતાના મંત્રો, પોતાની વિદ્યા અજમાવે એ પહેલાં જ કંઈક કરવું પડશે.

સુલતાનબાબાના ચહેરા ઉપરનાં ચિંતા અને ગભરાટ હવે મનોરમામાસી, મનોજ અને હંસાથી છૂપા રહ્યાં ન હતાં. એમને પણ મનમાં ગભરામણ થવા લાગી હતી. રીમા જલદી પાછી આવી જાય એવી મનમાં પ્રાર્થના કરવાનું પણ તેમણે શરૂ કરી દીધું હતું. કારણ કે ભાલાની અણી વળી ગયા પછી સુલતાનબાબા કંઈ કરી શકયા નહોતા. હજુ પણ તેઓ ચિંતામાં હતા જ્યારે પેલો ગોરખનાથ તો બિલકુલ શાંત ચિત્તે બેઠો હતો. બધાના જીવ ઊંચા થઈ ગયા.

એકાએક એક ધડાકો થયો અને એની સાથે જ કયારનીય વરસાદ અને પવનના ઝાપટાઓની ઝીંક ઝીલતી બારીની સ્ટોપર ખૂલી ગઈ. બારી જોશથી ખૂલીને દીવાલ સાથે અથડાઈ અને એનો એક કાચ તૂટી ગયો. બહારથી વરસાદથી જોરદાર વાછટ અંદર ઘૂસી આવી.

મનોજ ઝડપથી ઊભો થયો અને બારી બંધ કરવા દોડી ગયો. ઝડપથી દોડવામાં એને ખ્યાલ રહ્યો નહીં અને કાચ એના પગે વાગ્યો. છતાંય હિંમત કરીને મનોજે બારી બંધ કરી દીધી. પણ હવે બારી બંધ કરવાનો કોઈ ખાસ અર્થ નહોતો. બહારથી પાણીની સતત વાછટ અંદર આવતી હતી. ઠંડી હવા સાથેનો વરસાદ ખૂબ તોફાની અને ખૂબ ઠંડો હતો. મનોજનો ચહેરો, છાતી અને પેટ સુધીનો ભાગ વરસાદના પાણીથી ભીંજાઈ ગયો. એ પાછો ફર્યો.

ફરી એક જોરદાર કડાકો થયો. મનોજ લંગડાતા પગે પાછો આવીને મનોરમામાસીની બાજુમાં બેસી ગયો. ધીમેથી પગ ખોળામાં લઈને એણે કાચ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ લોહી ઘણું વધારે છલકાઈ આવ્યું હતું. કાચ દેખાતો ન હતો. એણે લોહી લૂછવા માટે હંસાની સાડીનો છેડો ખેંચ્યો અને લોહી લૂછવા માંડયું. ત્યાં ફરી બહાર એક મોટો કડાકો થયો અને એની સાથોસાથ વાદળનો ગડગડાટ લાંબા સમય સુધી સંભળાયો. વીજળીના તીવ્ર અને તીખા લીસોટા બહાર ચમકવા લાગ્યા.

અચાનક મનોરમામાસીની નજર તાસકમાં પડી. પેલો ગોરખનાથનો એક હાથ છૂટો થઈ ગયો હતો અને ધીમે-ધીમે એનો હાથ રીમા તરફ આગળ વધી રહ્યો હતો.

ગોરખનાથનો હાથ છૂટો થયેલો જોઈને સુલતાનબાબાએ એક અજબ ત્રાડ નાખી અને પાણીમાં ફૂંક મારી. સ્થિર પાણી એકદમ હલબલી ગયું અને એમાંનું દૃશ્ય દેખાતું બંધ થઈ ગયું.

સુલતાનબાબાએ દાંત પીસીને બૂમ મારી, ‘તેં તારો જીવ પોપટમાં મૂકયો છે નાલાયક. તું આમ નહીં મરે નાલાયક...તને મારવા માટે ભાલાની જરૂર નથી.’ કહેતાં એમણે ઝડપથી પઢવાનું ચાલુ કર્યું. પોતાની ઝોળી ઉઠાવીને એમાંથી બેત્રણ કપડાં કાઢયાં. પણ એમને જોઈતી વસ્તુ ન મળી. અચાનક એમને ખ્યાલ આવ્યો. એમણે પોતાના માથેથી લીલા રંગનો રૂમાલ ખેંચી કાઢયો. એમણે એ રૂમાલને વાળીને એમાં ગાંઠો મારીને એને પોપટ જેવો બનાવ્યો. એના ચહેરા પાસેથી અણી ખેંચીને એમણે પોપટની ચાંચ પણ બનાવી.

પડી ગયેલી તલવાર યોદ્ધાના હાથમાં પાછી આવી જાય અને જે ખુશી થાય એટલી જ ખુશી અત્યારે સુલતાનબાબાના ચહેરા ઉપર ફૂંકવા માંડયું અને થોડીક વારમાં જ એમણે એ પોપટની ડોક સહેજ મરડી.

પોપટની ડોક મરડાતાં જ ગોરખનાથના ચહેરા ઉપર એની અસર દેખાવા લાગી. ગોરખનાથની ડોક પણ સહેજ વાંકી થઈ ગઈ. સુલતાનબાબાએ ધૂપદાનીમાં થોડુંક લોબાન નાખીને, જોશથી પંખો હલાવીને એ પોપટ લોબાનના ધુમાડામાં મૂકયો. પેલો ગોરખનાથ ખરેખર ગુંગળાવા લાગ્યો. એણે રીમાના શરીર સુધી લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો. એ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને દોડભાગ કરવા લાગ્યો. પણ સુલતાનબાબા હવે એને છટકવા દેવા માગતા નહોતા. એમણે એ પોપટની ડોક સહેજ વધુ મરડી અને એની સાથે જ ગોરખનાથ નીચે પટકયો, ‘મરી ગયો..મરી ગયો...છોડી દો.... છોડી દો...મને છોડી દો..!’ એવી બૂમો મારવા લાગ્યો.

સુલતાનબાબાએ પેલી તાસક ઉપર ઝૂકીને રીમાને કહેતા હોય એમ કહ્યું, ‘બેટી, એ જાલિમની આંખો ફોડી નાખ.’

ગોરખનાથ જમીન ઉપર પડયો-પડયો આળોટતો હતો. રીમા એની પાસે ભાલો લઈને ઊભી હતી. ભાલાની ધાર વળેલી હતી. છતાંય, એ વળેલી ધારથી આંખો ફોડી નાખવી સહેલી હતી.

રીમાએ તરત જ સુલતાનબાબાના આદેશનો અમલ કર્યો અને ઝનૂનથી એણે ભાલો ગોરખનાથની આંખો ઉપર વીંઝવો શરૂ કર્યો. થોડીકવારમાં તો રીમાએ ગોરખનાથની બન્ને આંખો ફોડી નાખી. હવે ગોરખનાથ અંધ હતો-આંખો વિનાનો હતો. એ ધારે તોય કયાંય જઈ શકે એમ નહોતો. ખરેખર તો નીચે ભોંયરામાં જઈને પેલા પોપટમાંથી પોતાનો જીવ કાઢી લેવા માંગતો હતો. પણ હવે આંધળા બન્યા પછી એ ગુફામાં જઈ શકે એમ નહોતો.

સુલતાનબાબાએ પોપટને લોબાનના ધુમાડામાંથી ખેંચી લીધો અને ધૂપદાનીના બધા જ કોલસા માટલીમાં ઠાલવી દીધા. ઉપરથી બરાબર પંખો હલાવીને એમણે કોલસા બરાબર લાલ કર્યા અને પછી સહેજ લોબાન ભભરાવીને પોપટને એક ફૂંક મારી, એની ગરદન મરડી નાખી અને પછી એ પોપટને માટલીમાં નાખી દીધો.

માટલીમાં પોપટ નાખતાં જ એક જોરદાર ધડાકા સાથે પોપટ બહાર ઊછળી આવ્યો. એ પોપટના છુંદેછુંદા થઈ ગયા હતા અને એમાંથી લોહી ટપકી રહ્યું હતું. સુલતાનબાબાએ હવામાં ઉછળેલા એ પોપટને હાથમાં ઝીલી લીધો અને ફરી પેલી માટલીમાં નાખી દીધો. થોડીકવાર સુધી માટલીમાં ધાણી ફૂટતી હોય એવો અવાજ આવતો રહ્યો અને પેલી તાસકમાં પણ આખીય ગુફામાં ગોરખનાથ આળોટતો-તરફડતો દેખાતો રહ્યો. પછી એકાએક એ તરફડીને શાંત થઈ ગયો અને એક જોરદાર કડાકા સાથે પેલી ગુફા પણ તૂટી પડી.

ગુફા તૂટી એટલે મનોરમામાસીએ એક ચીસ નાખી...‘રીમા...રીમા...!’ પણ એમની ચીસ અધૂરી રહી અને તેઓ ડરીને નીચે ઢળી પડયાં. આમેય મનોજના પગમાં નીકળેલું લોહી જોઈને જ તેઓ ડરી ગયાં હતાં. એમને મનમાં થઈ ગયું હતું કે આજની રાત જરૂર કંઈક અણધાર્યું થવા બેઠું છે. જરૂર ઘરમાં કંઈક અજુગતું બનશે. સિકંદરની સાથોસાથ કોઈક ઘરનો પણ એકાદ માણસ ઓછો થશે. વળી એમણે તો એવું સાંભળ્યું હતું કે આ ભૂત-પ્રેત કદી એમને એમ જતા નથી. તે કોઈકનો ભોગ તો લે છે જ. અને હવે તો એમને ખાતરી થઈ ગઈ હતી કે, જરૂર કોઈક ખતમ થશે જ. હવે જ્યારે એમણે પેલી ગુફા પડતી જોઈ ત્યારે એમને લાગ્યું કે એમાં રહેલી રીમા પણ ગોરખનાથ સાથે દટાઈ જવાની. આ ફફડાટથી તેઓ બેહોશ બની ગયાં.

જોકે, આ બધું સુલતાનબાબાના ધ્યાનમાં હતું પણ તેઓ પોતાનું ધ્યાન બીજે ખસેડી શકે એમ નહોતા. એમણે ખૂબ જ ધ્યાનથી આ કામ પાર પાડવાનું હતું. સિકંદર અને ગુરુ ગોરખનાથને ખતમ કર્યા પછી હવે તેઓ પેલા અઘોરી જાદુગરને ખતમ કરવા માંગતા હતા. પેલો અઘોરી જાદુગર ખતમ થઈ જાય પછી રીમા છૂટી થઈ જવાની હતી અને પોતે પણ આ કામમાંથી મુક્ત થઈ જવાના હતા.

મનોરમામાસી બેભાન થઈ ગયાં એટલે હંસા અને મનોજ એમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં

આ તરફ સુલતાનબાબાએ ફરી ધૂપદાનીમાં કોલસા નાખીને પંખો હલાવવા માંડયો હતો. જોશજોશથી પઢવાનું પણ ચાલુ કરી દીધું હતું અને પેલી વળેલી સોય ઉપર ફૂંકો મારીને એમણે પેલી માટલીમાં નાખી દીધી હતી.

હવે સુલતાનબાબાએ ફરી ધૂપદાનીમાં કોલસા નાખીને પંખો હલાવવા માંડયો હતો. જોશજોશથી પઢવાનું પણ ચાલુ કરી દીધું હતું. અને પેલી વળેલી સોય ઉપર ફૂંકો મારીને એમણે પેલી માટલીમાં નાખી દીધી હતી.

હવે સુલતાનબાબાએ પોતાની ઝોળીમાંથી એક ડાબલી કાઢીને, એમાંથી ચારેક સોયો કાઢી અને બીજા હાથમાં પેલું લીંબુ ઉઠાવ્યું. ફરી પઢી-પઢીને એમણે બે સોયો એ લીંબુમાં ઘોંચી દીધી. અને પેલી તાસકમાં જોવું શરૂ કરી દીધું.

તાસકમાં અત્યાર સુધી કંઈ દેખાતું નહોતું. માત્ર ધુમ્મસ જેવું દેખાતું હતું. અચાનક એ ધુમ્મસમાંથી એમને રીમાનો ચહેરો દેખાયો.

રીમા ફરી આગળ સરકવા લાગી. એના હાથમાં હવે અણીદાર ભાલો દેખાતો હતો. સુલતાનબાબા જુસ્સામાં આવી ગયા હતા. એમનો ચહેરો લાલચોળ થઈ ગયો. આંખો ચમકતી હતી અને મોઢા ઉપર વિજયનો આનંદ દેખાતો હતો.

સુલતાનબાબા હવે જોશથી પઢી રહ્યા હતા. એમના હાથમાંનું લીંબુ હવે ખૂબ ગરમ થઈ ગયું હતું. એટલે સુલતાનબાબાએ એ લીંબુ જમીન ઉપર મૂકી દીધું હતું. રીમા ઝડપથી સરકતી હતી. સુલતાનબાબાએ આંખો મીંચી લીધી હતી. થોડીકવાર સુધી સુલતાનબાબા પઢતા રહ્યા પછી એમણે એક જોરદાર ત્રાડ નાખીને તાસકમાં ફૂંક મારી. તાસકનું પાણી ખળભળી ઊઠયું અને પછી ધીમે-ધીમે પાછું સ્થિર થયું ત્યારે રીમા એક બંગલાની બહાર ઊભી હતી. બંગલાની એક પછી એક દીવાલો વટાવતી રીમા પેલા અઘોરી પાસે પહોંચી ગઈ. અઘોરીની સામે જઈને એ ભાલો ઊંચો કરીને ઊભી રહી.

પોતાની સામે રીમાને એ રીતે ઊભેલી જોઈને એ જોશથી ખડખડાટ હસ્યો અને પછી એણે જોશથી ફૂંક મારી. રીમાના હાથમાંનો ભાલો દીવાસળીની જેમ સળગી ઊઠયો.

રીમા એ ભાલો છોડી દે એ પહેલાં જ સુલતાનબાબાએ જમીન ઉપરથી લીંબુ ઉઠાવીને પાણીની તાસકમાં નાખી દીધું. તરત જ ભાલો સળગતો બંધ થઈ ગયો. એ ભાલાની અણી કાળી થઈ ગઈ હતી. સુલતાનબાબાએ તાસકમાં ફૂંક મારતા ત્રાડ નાખી, ‘માર એની છાતીમાં અને ખતમ કરી નાખ એ હરામખોરને...!’

રીમાએ તરત જ પોતાનો ભાલો ઊંચકીને એ જાદુગર અઘોરીની છાતીમાં મારવા માંડયો. પણ એની છાતી ઉપર લોખંડી ચામડી જડેલી હોય એમ ભાલો પાછો પડતો હતો.

સુલતાનબાબા ફરી એકવાર ચિંતામાં પડી ગયા. એમના ચહેરા ઉપર પરેશાની છલકાઈ ઊઠી.

બહાર વરસાદ અને પવનનું તોફાન ઘટવાને બદલે વધી રહ્યું હતું. અધૂરામાં પૂરું અંધકાર છવાયેલો હતો. મનોજ પણ પગે પાટો બાંધીને બેઠો હતો. મનોરમામાસી પણ બેભાન થઈ ગયાં હતાં. હંસા પણ મૂંઝાઈ ગઈ હતી. એ ઘડીકમાં મનોજ સામે, ઘડીકમાં મનોરમામાસી સામે, ઘડીકમાં તાસક સામે અને ઘડીકમાં સુલતાનબાબા સામે જોતી હતી.

સુલતાનબાબાના ચહેરા ઉપર પરેશાની જોઈને ગભરાયેલી મૂંઝાયેલી હંસા વધારે ગભરાઈ ઊઠી. એના હાથ-પગ પાણી પાણી થઈ ગયા. એનો ચહેરો પણ પરસેવે રેબઝેબ થઈ ગયો. એ તાસકમાં જોઈ રહી.

રીમા હાથમાં ભાલો વીંઝતી ઊભી હતી. એના ભાલાની કોઈ અસર પેલા અઘોરી ઉપર થતી નહોતી. અઘોરી વારેઘડીએ મોઢેથી ફૂંકો મારીને આગ ઓકતો હતો. પણ એ આગની રીમા ઉપર કોઈ અસર થતી નહોતી. જોકે, એ અઘોરીના હાથ-પગ બંધાઈ ગયા હતા. સુલતાનબાબાના ઈલમ પાસે કદાચ એનો જાદુ ચાલતો નહોતો. અચાનક સુલતાનબાબાને કંઈક યાદ આવ્યું હોય એમ એકાએક હંસાને કહ્યું, ‘બેટી, જરા છરી લઈ આવ તો.’

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું ? સુલતાનબાબા અઘોરીને ખતમ કરવામાં સફળ થયા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***