Sangharsh karo books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ કરો

વિલ્મા રુડોલ્ફનો જન્મ ટેનેસીસના એક ગરીબ પરીવારમા થયો હતો. તેમણે જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમને બમણો ન્યુમોનીયા અને કાળો તાવ થયો હતો. આવા તાવમા આખા શરીરે રાતા ચાઠા ઉપસી આવતા હોય છે અને ગળુ સુજી જતુ હોય છે. આ બન્ને બીમારીઓ એક સાથે થવાને કારણે તેઓ પોલીયોનો પણ શીકાર થઈ ગયા હતા જેથી તેમણે ચાલવા માટે પગમા આધાર પહેરવો પડતો હતો. વિલ્માની આવી હાલત જોઈ ડોક્ટરોએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે વિલ્મા ક્યારેય ચાલી શકશે નહી. પણ વિલ્માની માતા તેને પ્રોત્સહન આપતા અને કહેતા કે ઇશ્વરમા અખુટ શ્રધ્ધા રાખજે, આત્મવિશ્વાસ અને લગનથી મહેનત કરજે, આ રીતે તુ જે ધારે તે પ્રાપ્ત કરી શકે તેમ છે. આ સાંભળી વિલ્મા તરતજ જવાબ આપતા કે મારે વિશ્વની સૌથી જડપી દોડવીર બનવુ છે. બસ આ ઘટના પછી તેમના મનમા દોડવીર બનવાના સપના શરુ થઈ ગયા. પોતાનુ સપનુ પુરુ કરવા તેઓ ચાલવાનો ઘણો પ્રયત્ન કરતા પણ ચાલી ન શકતા. આ રીતે સતત આઠ વર્ષ સુધી તેઓ પ્રયત્ન કરતા રહ્યા અને નવમા વર્ષે ડોક્ટરોની સુચનાઓને અવગણીને તેમણે પગનો આધાર કાઢી નાખ્યો અને કોઇની પણ મદદ લીધા વગર પોતાના પગ પર ઉભા રહી ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પછીતો તેઓ ધીરે ધીરે દોડવાની પણ પ્રેક્ટીસ કરવા લાગ્યા. ૩ થી ૪ વર્ષ સુધી દોડવાની પ્રેક્ટીસ કરી લીધા બાદ તેમણે પ્રથમ વખત દોડવાની સ્પર્ધામા ભાગ લીધો પણ સૌથી છેલ્લા આવ્યા. આ ઘટના પછી પણ તેઓ હિંમત હાર્યા વગર સ્પર્ધાઓમા ભાગ લેવા લાગ્યા અને ત્યાં સુધી ભાગ લેતા રહ્યા કે જ્યાં સુધી તેઓ પ્રથમ નંબરે વિજેતા ન થયા.
પછીતો તેઓ ટેનેસીસ સ્ટેટ યુનીવર્સીટી ગયા અને ત્યાં એક ટેમ્પલ નામના કોચને મળ્યા. વિલ્માએ તેમને પોતાની સમસ્યાઓ અને હેતુઓ વિશે બધી વાત કરી. આટલી બધી સમસ્યાઓનો સામનો કરવા છતા પણ વિલ્માના આટલા ઉંચા સપનાઓ રાખવાની હિમત જોઈ કોચ બોલી ઉઠ્યા કે, “ તારી ઇચ્છાશક્તીને કારણે તને કોઇ રોકી શકે તેમ નથી અને હું પણ તને મદદ કરવા હંમેશા હાજર રહીશ. "
પછીતો તેમણે સખત અભ્યાસ શરુ કર્યો. હવે ઓલમ્પીક્સની રમતો શરુ થવામા થોડોકજ સમય હતો એટલે તેમણે તેમા ભાગ લીધો. ઓલંપીક્સમા દુનિયામા સૌથી જડપી દોડનારાઓ સામે પડકાર જીલવાનો હોય છે. વિલ્માની સ્પર્ધા જુતા હૈન સાથે હતી જેને આજ દિન સુધી કોઇ હરાવી શક્યુ ન હતુ.
પહેલી સ્પર્ધા ૧૦૦ મીટર દોડવાની હતી. આ સ્પર્ધામા વિલ્માએ જુતાને હરાવી દીધી અને પોતાના જીંદગીનો પ્રથમ સુવર્ણચંદ્રક જીતી બતાવ્યો. બીજી સ્પર્ધા હતી ૨૦૦ મીટરની. આ સ્પર્ધામા પણ વિલ્માએ જુતાને હરાવી બીજો સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. હવે ત્રીજી સ્પર્ધા હતી ૪૦૦ મીટર રીલે રેસની જેમા ફરી વિલ્માએ જુતાની સામેજ પડકાર જીલવાનો હતો. આ રીલે રેસમા સ્પર્ધાના આખરી હીસ્સામાતો ટીમનો સૌથી જડપી દોડવીરોજ હોય છે. વિલ્માની ટીમના ત્રણ દોડવીરો સ્પર્ધાના શરુઆતના ત્રણ હીસ્સામા દોડ્યા અને સરળતાથી બેટન બદલી આગળ વધ્યા પણ જ્યારે વિલ્માનો દોડવાનો વારો આવ્યો ત્યારે એના હાથમાથી બેટન છુટી ગઈ. જ્યારે વિલ્માએ જોયુ કે બીજા છેડે જુતા હૈન જડપથી નિર્ણાયક સીમારેખા તરફ વધી રહી છે ત્યારે વિજળી વેગે એણે બેટન ઉપાડી, ગોળી છુટે એટલી જડપથી તે દોડવા લાગી અને ફરી પાછી જુતાને પાછળ રાખી સતત ત્રીજી વાર સુવર્ણચંદ્રક મેળવી વિજેતા બની ગઈ અને એ વાત ઇતિહાસના પાનાઓમા સુવર્ણ અક્ષરે નોંધાઇ ગઇ કે એક લકવાગ્રસ્ત મહીલા ૧૯૬૦ના ઓલમ્પીક્સમા દુનિયાની સૌથી જડપી દોડવીર બની હતી.
આ ઉદાહરણ પરથી આપણે એટલુતો ચોક્કસથી શીખી શકીએ કે જીવનમા ગમે તેટલી મુશ્કેલીઓ આવે, નુક્શાનીઓ થાય તેમ છતા તેની સામે સંઘર્ષ કરવાથીજ તેને પાર પડી શકાતુ હોય છે. સરળ પરીસ્થીતિઓમાતો સૌ કોઇ જીતી બતાવતા હોય છે પરંતુ જે વ્યક્તી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરીને પણ જીતી બતાવતા હોય છે તેઓજ ખરા વિજેતા કહેવાતા હોય છે.
અર્થ
અનેક પ્રકારની તકલીફો, અવરોધો, મુશ્કેલીઓ કે નુક્શાનીઓ સહન કરી પોતાને સફળતા જરુર મળશે તેવી આશા સાથે ફરી પાછા બેઠા થઈ આગળ વધતા રહેવાના પ્રયત્નો કરતા રહેવાના સ્પીરીટને સંઘર્ષ કહી શકાય.
મુશ્કેલીઓ આપણને પાછળ ધકેલવા માટે કે અવરોધવા માટે જેટલુ બળ લગાળે છે તેના કરતા પણ આપણે વધારે બળ લગાળી બધુજ સહન કરીને પણ આગળ વધતા રહેવાનો પ્રયત્ન કરીએ તો તેને સંઘર્ષ કર્યો તેમ કહી શકાય.
જીવનમા મુશ્કેલીઓ, તકલીફો તો આવ્યેજ કરવાની છે, તેમાથી કોઇ વ્યક્તી બચી શકવાના નથી. જો મુશ્કેલીઓથી કોઇજ બચવાનુ ન હોય અને તેને પાર કરવાથીજ સફળતા મેળવી શકાતી હોય તો તેને પાર કરવા માટે જી જાન લગાવી દેવા જોઇએ. જે લોકો મુશ્કેલીઓને પાર કરવાનો ખરા દિલથી પ્રયત્ન કરતા હોય છે તેઓ આખરે તેમ કરીજ બતાવતા હોય છે.
આ વિશ્વમા દરેક વ્યક્તી કંઈકને કંઈક મેળવવાની જંખના કરતો હોય છે પછી તે સુખ, સંપત્તી કે પ્રગતી એમ કંઈ પણ હોઇએ શકે. આ બધુ મેળવવાના માર્ગમા સૌથી મોટો અવરોધ એ મુશ્કેલીઓ નહી પણ તેનો સામનો કરવાની એટલે કે સંઘર્ષ કરવાની હીંમતમા રહેલી ખામી હોય છે. માણસ જેટલો સંઘર્ષ કરવાથી દુર ભાગતો હોય છે તેટલોજ તે નિષ્ફળતાને નજીક પહોચી જતો હોય છે. પણ જો તે સંઘર્ષને પોતાનો કાયમી સાથી બનાવી દે તો મોટામા મોટી સમસ્યાઓને પણ મ્હાત આપી શકાતી હોય છે. આમ વ્યક્તીની નિષ્ફળતાનો સામનો કરવાની સંઘર્ષ શક્તી જેટલી પ્રબળ હોય છે તેટલાજ તેઓ મુશ્કેલીઓને હરાવી આગળ વધી શકતા હોય છે.
એક હર્ડલ રેસમા દરેક દોડવીરને સરખાજ અવરોધો આપવામા આવેલા હોય છે તેમ છતાય બધાજ સ્પર્ધકો હારતા નથી અને બધાજ લોકો જીતતા પણ નથી કારણકે દરેકની અવરોધો પાર કરવાની આવળત કે શક્તી અલગ અલગ હોય છે. કોઇ વ્યક્તીને અવરોધો પાર કરવાની ગજબની શક્તી હોય છે જેથી તેઓ ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ આગળ વધતા રહેતા હોય છે જ્યારે બીજા વ્યક્તીઓ થોડાક અવરોધો આવતાજ થાકી જતા હોય છે. અહી દેખીતુજ છે કે જે લોકો અંત સુધી આગળ વધતા રહેતા હોય છે તેઓને જીત પ્રાપ્ત થતી હોય છે અને જે લોકો અધવચ્ચેથીજ અટવાઇ જતા હોય છે તેઓએ હારનો સામનો કરવો પડતો હોય છે. આમ સંઘર્ષ કરવાથી જીત મળે છે તેનુ સૌથી મોટુ રહસ્ય એજ હોય છે કે વ્યક્તી આ રીતે ગીવઅપ કરવાથી બચી જતા હોય છે અને નવી આશાઓ સાથે સતત પુરી તાકાત લગાવીને આગળ વધતા રહેતા હોય છે. આ રીતે સતત આગળ વધતા રહેવાથીજ છેવટે તેઓ સફળ થતા હોય છે.
જીવનમા આવી સંઘર્ષાત્મક પરીસ્થીતિઓતો સતત આવતીજ રહેવાની છે, એ કોઇ સજા નથી પણ વ્યક્તીના ધૈર્ય અને હીંમતની કસોટી છે, તેમાથી પાર થનાર વ્યક્તી સાચા ખેલાડી તરીકે ઉભરી આવતા હોય છે. જેમ પત્થરને ટાંકણાથી ટાંકવામા આવે ત્યારેજ તે સુંદર મુર્તીનુ સ્વરુપ ધારણ કરતો હોય છે, કાચા ઘડાને ભટ્ઠીમા તપાવ્યા પછીજ તેની પાણી સંગ્રહવાની ક્ષમતામા અને બજાર કીંમતમા વધારો થતો હોય છે તેવીજ રીતે વ્યક્તી કઠીન પરીસ્થીતિઓના તાપમા શેકાય છે ત્યાર બદજ તેનામા બાજી જીતવાની ક્ષમતા અને બજાર કીંમતમા વધારો થતો હોય છે.
અહી જીતવુ એટલે કંઈક મેળવવુ કે ક્યાંય પહોચવુ એવો અર્થ નથી થતો પણ જીતવુ એટલે પાર કરી બતાવવુ એવો અર્થ થાય છે. અવરોધો, મુશ્કેલીઓને જ્યારે તમે પાર કરી બતાવો છો ત્યારે તમે જીતી ગયા છો તેમ કહી શકાય. દા.ત. તમારી બાજુમા નાનો એવો પત્થર પડ્યો હોય અને તેને ૧૦ ફુટ સુધી ખસેડવાનુ તમને કહેવામા આવે અને તમે તેમ કરી બતાવો તો તે તમારી જીત થઈ ન ગણાય કારણકે નાનો એવો પત્થરતો સૌ કોઇ ઉપાડી શકે, તેના કરતા જો ૧૦૦ કીલો ગ્રામનો મોટો પત્થર કે વજન ઉપાડીને ૨૦-૩૦ ફુટ દુર મુકવા જવાની તમને ચેલેન્જ આપવામા આવે અને તમે તેમ કરી બતાવો તો તે તમારી જીત થઈ કહેવાય કારણકે તમે ૧૦૦ કીલો ગ્રામના વજન રુપી અવરોધને પાર કરી બતાવ્યો. આમ કુદરત તમને થપાટો મારે, જીવનમા મુશ્કેલીઓ આપે તો તેનો અર્થ એવો ક્યારેય નથી થતો કે ભગવાન તમને સજા કરે છે, પણ તેનો અર્થ એવો થતો હોય છે કે તમને તેઓ કોઇ મોટી ઉપલબ્ધી આપવા માટે હજુ વધારે કઠણ બનાવવા માગે છે, આગળ વધતા સક્ષમ બનાવવા માગે છે, તમારી સહનશક્તીની કસોટી કરી તેમા વધારો કરવા માટેજ તેઓ તમારી સતત પરીક્ષા કરી રહ્યા છે. આમ સમયનુ કામ છે કસોટીઓ લેવાનુ તો આપણુ કામ છે તેમાથી પાર પડવાનુ, માટે સમયને તેનુ કામ કરવા દેવુ જોઈએ અને આપણે આપણા કામમા ધ્યાન પરોવવુ જોઈએ.
સંઘર્ષ કોને કહેવાય અને સંઘર્ષની પરાકાષ્ઠા દર્શાવતા ઉદાહરણો ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી ખાસ શીખવા મળતા હોય છે. મે એવા ઘણા ગરીબ વિદ્યાર્થીઓના ઉદાહરણો સાંભળ્યા છે કે જેઓના મા બાપ કાળી મજુરી કરતા હોય, બે ટંકનુ ભોજન પણ વ્યવસ્થીત મેળવી શકતા ન હોય, રહેવાની સરખી સુવીધા ન હોય, પુસ્તકો ખરીદવાના પણ પૈસા ન હોય તેમ છતા લાઇબ્રેરીના પુસ્તકો લઇને તેઓ પરીક્ષામા પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હોય છે. જો આવા વિદ્યાર્થીઓ ‘હુ ગરીબ છુ‘ મારી પાસે ચોપડા ખરીદવાના પણ પૈસા નથી કે ઘરમા વિજળી નથી તેવા બહાનાઓ કાઢીને બેસી ગયા હોત તો ક્યારેય તેઓ સફળતા મેળવી શક્યા ન હોત. આમ સફળતા એ મુશ્કેલીઓ સામે નમતુ ન જોખનાર અને તેનો પુરી તકાતથી મુકાબલો કરનાર વ્યક્તીઓનેજ પ્રાપ્ત થતી હોય છે. આજ કારણ છે કે અછતનો સામનો કરનાર વ્યક્તી મહાન સફળતા મેળવી જતા હોય છે જ્યારે સંપુર્ણ સાધન સુવિધાઓ ધરાવતા લોકો બહાનાઓ કાઢવામાજ રહી ફેંકાઇ જતા હોય છે.
આ વિશ્વમા ટકી રહેવાનો એકજ નિયમ છે જે છે સંઘર્ષ. જો કોઇ સજીવ સંઘર્ષ કરવાનુ છોળી દે તો તેનો વિનાશ નિશ્ચિતજ હોય છે. જેમકે કોઇ હરણ શીકારી જાનવર સામે ગીવઅપ કરી દે તો તરતજ તે કોઇનુ ભોજન બની જતુ હોય છે પણ જો તે શીકારીઓ સામે સંઘર્ષ કરે, પોતાની પુરી તાકાત લગાવીને તેનો સામનો કરે કે તેનાથી બચતા શીખી લે તો લાંબા સમય સુધી તેઓ ટકી શકતા હોય છે. આમ પોતાની પુરે પુરી તાકાતને મુશ્કેલી રુપી શીકારીઓ સામે લગાવનાર વ્યક્તીજ આખરે તેનાથી મુક્તી પામી તેને મ્હાત આપી શકતો હોય છે.
જરા વિચારો જોઇએ કે તમને બધુજ બેઠે બેઠુ મળી જતુ હોત, તેને મેળવવાનો એક ચપટી ભરનોય પ્રયત્ન ન કરવો પડતો હોત તો તમારામા તેને મેળવવાની આવળત કેવી રીતે વિકસી શકેત? જો દરેકને ઘરે બેઠાજ મફતમા લાખો રુપીયા મળી જતા હોત તો પછી તેઓમા લોકોનુ દિલ જીતવાની વિવિધ કળા કૌશલ્યો વિકસાવવાની જરુરજ શું રહેત ? આ રીતે તો આખી દુનિયા ઠપ પડી જાય અને જીંદગી આખી નિરસ બની જતી હોય છે. પછી આવી જીંદગીનુ કોઇજ મુલ્ય રહેતુ હોતુ નથી. આ કારણથીજ આપણે ભગવાનનો આભાર માનવો જોઇએ કે તેમણે આપણા જીવનમા જરુરીયાતો અને મુશ્કેલીઓ રુપી બળ મુક્યા છે. આવી મુશ્કેલીઓને પાર કરવા માટેજ આપણુ મગજ સતેજ થતુ હોય છે અને એવા ઉપાયો, પદ્ધતીઓ કે સંશોધનો કરવા પ્રેરાતુ હોય છે કે જે સમગ્ર જીવન બદલી નાખવા સક્ષમ હોય. માટે હવેથી જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે તેનો રંજ કરવાને બદલે તેને સંઘર્ષની એવી આગમા રુપાંતરીત કરી દેવો જોઇએ કે જેમા કઠીનમા કઠીન મુશ્કેલીઓ પણ પીગળી જાય અને સમગ્ર વિશ્વને તેમાથી જ્ઞાનનો પકાશ પ્રાપ્ત થાય.
છેવટેતો એટલુજ કહીશ કે દરેક વ્યક્તીને વિકાસ કરવાની અને આગળ વધવાની તક મળતી હોય છે, તેના માટે સમય શક્તી પણ મળી રહેતા હોય છે તો પાછી શા માટે મળેલી તકને માત્ર મુશ્કેલીઓ કે અવરોધોના ડરથી ગુમાવવી પડે ? શા માટે મળેલી તકનો લાભ ન ઉઠાવી શકીએ ? સંઘર્ષ કરવાથી બધુ મળી રહેતુ હોય તો પછી શા માટે તેમ ન કરી બતાવીએ ? શા માટે સંઘર્ષ કરવાના આદી ન થઈ જઈએ ? જે લોકો આટલી વાત સમજી લેતા હોય છે તેઓનો બેડો પાર થઈજ જતો હોય છે.