Darek khetrama safdata - 12 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 12

એક જવાબદાર વ્યક્તી એજ છે કે જે પોતાના લીધે કોઇ પણ બાબત બગળવા ન દે અને જો તે બગળી જાય તો તેના માટે તે પોતાનેજ જવાબદાર માની જાતેજ તેને સુધારવાનો પ્રયત્ન કરે. એટલે કે જ્યારે વ્યક્તી કોઇને પણ નુક્શાન પહોચાળ્યા વગર ઉચ્ચ કક્ષાના મુલ્યોને સાથે રાખીને નિર્ણયો લેય અને તેની અસરો પ્રત્યે સભાનતા દર્શાવી પોતાનુ કાર્ય કરે કે ફરજો નીભાવે તો તે વ્યક્તી જવાબદારી પુર્વકનુ વર્તન કરી રહ્યો છે તેમ કહી શકાય.

વ્યક્તી કોઇ પણ કાર્ય કરે ત્યારે તેને લીધે ઉદ્ભવતા પરીણામ માટે તે પોતેજ જવાબદાર બનતો હોય છે, તેવીજ રીતે જો તે વ્યક્તી પોતાની ફરજો ન નિભાવે તો ત્યારે ઉદ્ભવતી પરીસ્થીતિ માટે પણ તે પોતેજ જવાબદાર બનતો હોય છે. આવી જવાબદારીઓમાથી તે ક્યારેય ભાગી ના શકે અને જો તે ભાગવાનો પ્રયત્ન કરે તો તે વ્યક્તીનુ અવમુલ્યાન થયા વગર રહે નહી. આમ જવાબદારીઓમાથી ભાગવાને બદલે તેનો સ્વીકાર કરી તેનુ વહન કરતા શીખવુ જોઇએ કારણ કે એ જવાબદારીઓજ છે કે જે વ્યક્તીનુ સાચુ ઘડતર કરી તેના સમ્માનમા વધારો કરતુ હોય છે.

આ સંસારની દરેક વ્યક્તી પર કોઇને કોઇ જવાબદારીઓ હોય જ છે પછી તે જ્ઞાન પ્રાપ્ત કરવાની હોય, કમાવાની હોય, ઘર-પરીવાર ચલાવાની હોય, માતા-પીતા, પુત્ર-પુત્રી, તરીકેની તેમજ માલીક–મજૂર કર્મચારી, પ્રજા અને સત્તાધારી વ્યક્તીઓ તરીકેની એમ દરેકની અમુક ચોક્કસ જવાબદારીઓ હોયજ છે. તો આવી વ્યક્તીઓ પોત-પોતાના કાર્ય કે સબંધોમા સફળ ત્યારેજ થઇ શકતા હોય છે કે જ્યારે તેઓને પોતાની જવાબદારીઓ વિશેની સમજ હોય અને તેઓ તેમાથી છટકવાને બદલે તેનો નિભાવ કરી જાણતા હોય. જેમ એક પીતા પોતાના પરીવાર વિશેની જવાબદારી પ્રત્યે ગંભીર હોય તો તે આકાશ-પાતાળ એક કરીને પણ પોતાના પરીવારનુ ગુજરાન ચલાવી બતાવતા હોય છે તેવીજ રીતે સફળતા મેળવવા ઇચ્છુક વ્યક્તી પોતાના દ્વારા લેવાયેલા કે લેવાના એક્શન પ્રત્યે જવાબદાર બને અને તમામ બાબતોની કાળજી રખવાનો પ્રયત્ન કરે તો પર્ફેક્શનની ઉંચામા ઉંચી હદ પ્રાપ્ત કરી તમામ પ્રશ્નોનુ સમાધાન લાવી નિર્વિઘ્ન પણે સફળતા મેળવી શકતા હોય છે. એક વેપારીની જવાબદારી છે કે સમાજને વ્યાજબી કિંમતે ગુણવત્તાયુક્ત ઉતપાદન આપવુ, એક નેતાની જવાબદારી છે કે સમાજના લોકોની સેવા વગર ભ્રષ્ટાચાર કે ભેદભાવ વગર કરી આપવી, એક વિદ્યાર્થીની જવાબદારી છે કે તે પોતાના કિંમતી સમયનો સદઉપયોગ કરી સંપુર્ણ શીક્ષણ પ્રાપ્ત કરી મા-બાપના પૈસાનુ યોગ્ય વળતર મેળવી બતાવે. જો આ દરેક વ્યક્તી પોત પોતાની જવાબદારીઓને ગંભીરતાથી નિભાવી બતાવે તો તેઓ પોતાના કામમા ૧૦૦% સફળ થતાજ હોય છે કારણ કે જવાબદારીઓના વહાનમાજ સાચી સફળતા છુપાયેલી હોય છે.

મોટા ભાગના લોકોની સૌથી મોટી સમસ્યા એજ હોય છે કે જ્યારે તેઓને સફળતા મળે છે ત્યારે બધીજ વાહવાહી તેઓ પોતાના નામે કરી લેવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ જ્યારે તેઓને નિષ્ફળતા મળતી હોય છે ત્યારે તેઓ પોતાની ભુલ સ્વીકારવાને બદલે દોષનો ટોપલો અન્યો પર ઢોળી દેતા હોય છે. બસ વ્યક્તી ખરેખર ભુલ અહિજ કરી દેતો હોય છે કારણકે વ્યક્તી જ્યારે પોતાની ભુલોનો સંપુર્ણ અસ્વીકાર કરી દેતો હોય છે ત્યારે તેનામા એક પ્રકારની જે જાગૃતી કે ગંભીરતા આવવી જોઇએ, જે બોધપાઠ ગળે ઉતરવો જોઇએ કે એક પ્રકારની સેંસનુ નિર્માણ થવુ જોઇએ તે થતુ હોતુ નથી જેથી ફરી પાછી આવીજ ભુલો નહી થાય તેની કોઇ ગેરેન્ટી આપી શકાતી નથી એટલેકે એવી પુરેપુરી સંભાવના રહે છે કે આવી ભુલો ફરી પાછી થાય. આમ વ્યક્તી પોતાની ભુલો સુધારીતો શું તેની સમજ પણ પ્રાપ્ત કરી શકતા હોતા નથી જેથી તેઓ વારંવાર આવી ભુલો કરી નિષ્ફળ જતા હોય છે જ્યારે પોતાની ભુલોનો એકરાર કરનાર, તેનુ સંશોધન કરનાર વ્યક્તી તેને સંપુર્ણ પણે દુર કરવાના ઉપાયો સમજી પોતાના કાર્યોને ક્ષતી રહીત બનાવી સફળ થઇ જતા હોય છે.

એક જવાબદાર વ્યક્તી કોઇને પણ નુક્શાન પહોચાળવા માગતો ન હોવાથી તે બીલ્કુલ શીષ્ટાચારથી વાતો કરશે, કોઇને પણ દુ:ખ, ઇર્ષા, અપમાન કે અહમ ન ઘવાય તે રીતનુ વર્તન કરશે, વ્યસનો, અશ્લીલતા અને બદ્દીઓથી દુર રહેશે અને પોતાનાથી જેમ બને તેમ સમાજને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરતો હોય છે જ્યારે બેજવાબદાર વ્યક્તીનીતો વાતેય અલગ હશે અને કામ પણ અલગ હશે. આવી વ્યક્તીઓ સમાજમા કોઇની પણ પરવા કર્યા વગર એકદમ બેફિકરાઇથી વર્તન કરતા અને જાહેરમા ઘાટા પાળીને નિમ્ન કક્ષાની વાતો કરતા, લોકોની ઠેકડીઓ ઉડાળતા જોવા મળશે. આવી વ્યક્તીઓને અભ્યાસ કરવાની, પરીવાર કે સમાજનીતો શું પોતાની જિંદગી વિશે પણ કશી પડી ન હોવાથી તે નકારાત્મક વિચારસરણી ધરાવતો થઇ જતો હોય છે જેથી તે નજર સામે પડેલી તકને પણ પારખી શકતો હોતો નથી જ્યારે જવાબદારી અને અદબથી વર્તન કરનાર વ્યક્તીની સમાજમા એક આગવી છાપ પડી જતી હોય છે અને છેવટે આ છાપજ તેના નશીબના દ્વાર ખોલી આપતી હોય છે. આમ જવાબદાર બનવુ એ સફળતા મેળવવા માટેનુ એક અગત્યનુ સ્ટેપ કે પરીબળ હોવાથી જયાં સુધી આ સ્ટેપ બરોબર નિભાવવામા નથી આવતુ હોતુ ત્યાં સુધીતો સંપુર્ણ સફળતા મેળવવી અઘરીજ બની રહેતી હોય છે.
ઘણી વખતતો વ્યક્તી પોતાની જવાબદારીઓ કે ભુલોથી એટલા માટેજ દુર ભાગતા હોય છે કે જ્યારે તે ખુબજ અસુરક્ષા અનુભવી રહ્યા હોય, તેને એવો ડર હોય કે આ જવાબદારી હું નહિ નિભાવી શકુ કે કોઇ ભુલ સ્વીકારતા લોકોની નજરોમા હું મારુ સ્થાન ગુમાવી બેસીશ તો ? આ રીતે તે પોતાની જવાબદારીઓથી ભાગવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ વ્યક્તી જ્યારે પોતાની આવી ભુલો કે જવાબદારીઓને સ્વીકારતા શીખી લેતો હોય છે ત્યારે તે સફળતા મેળવવા કે ભુલો સુધારવા સજ્જ બની જતો હોય છે. સમાજના અમુક લોકો આ વાત ક્યારેય સમજી નહી શકે પરંતુ જે વ્યક્તીઓ હકારાત્માક વિચારસરણી ધરાવે છે તેઓ તરતજ સમજી જતા હોય છે કે પોતાની ભુલો કે જવાબદારીઓ સ્વીકારવી એ ખુબ હીંમત ભરેલુ કામ હોય છે. આવી હિંમત દર્શાવનાર વ્યક્તી કે પોતાની ભુલોનો સ્વીકાર કરી તેને સુધારવાની તરવરાટ અનુભવનાર વ્યક્તી ખુબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે કારણ કે હવે તેની હિંમતમા અનેક ગણો વધારો થઇ ગયો હશે. આવી વ્યક્તીઓને હવે અન્યો પર આધાર રાખવાની જરુરીયાત રહેતી હોતી નથી કારણ કે તેઓ હવે પોતાના માટેજ જવાબદાર બની પોતાના જીવનમા સુધારા લાવવા જાગૃત બની ગયા હોય છે.

પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરનાર વ્યક્તી પોતાના પ્રત્યે સમ્માન અનુભવી શકે છે, લોકોના દિલમા આદર સમ્માન જન્માવી શકે છે, પોતાના મુલ્ય, હિમ્મત અને આંતરીક શક્તીમા વધારો તેમજ અસુરક્ષામ ઘટળો કરીને અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી શકે છે, જ્યારે જવાબદારીથી ભાગી જનાર વ્યક્તી દુ:ખ, નિરાશા, ચિંતા, અસુરક્ષા, ગુસ્સો, અપમાન, અહંકાર, જેવા સફળતાને ઘટાળનારા વિષચક્રોમા ફસાઇને રહી જતા હોય છે. માટે તમે એક વખત તમારી જવાબદારીઓ સ્વીકારી જુઓ અને પછી જો–જો તમે કેટલા જગૃત અને સ્વતંત્ર થઇ ગયા હશો. એટલા પરીપક્વ થઇ ગયા હશો કે તમારે પછી કોઇના પર આધારીત રહેવુ નહી પડે. એક વખત તમે તમારા જીવનની દોર તમારા હાથમા લઇ લેશો કે પોતાના જીવન, પરીવાર કે સમાજને સુખી કરવાની જવાબદારી ઉપાળી લેશો તો પછી તમને કોઇ પરીબળ લાંબા સમય સુધી આગળ વધતા રોકી શકશે નહિ કારણકે પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરવાથી પોતાનુ એક સ્થાન નક્કી થઈ જતુ હોય છે, આપણે કઇ ભુમીકા નીભાવવાની છે તે નક્કી થતી હોય છે અને આ રીતે એવો આધાર કે તકની પ્રાપ્તી થતી હોય છે કે જે વ્યક્તીને સમગ્ર લક્ષી વિકાસ તરફ દોરી જાય.

ઘણા વ્યક્તીઓ બાળપણમાજ માતા-પીતાની છત્ર છાયા ગુમાવી બેઠા હોય છે, ખુબ નાની ઉમરમાજ મોટી જવાબદારીઓ તેમના ઉપર આવી પડી હોય છે તો આવા સમયે વ્યક્તી પોતાના પર આવેલી કોઇ જવાબદારીઓનો સ્વીકાર કરી તેને પુરા લગનથી નિભાવવાનો પ્રયત્ન કરે તો પોતાના જીવન અને પરીવારને વધુ તુટતા બચાવી શકતા હોય છે. જ્યારે આવી જવાબદારીઓ કે પરીસ્થીતિઓથી ડરી જનાર કે ભાગી જનાર વ્યક્તી દારૂ, જુગાર, કે ગુનાહીત પ્રવૃતીઓ તરફ ધકેલાઇ જતા હોય છે અને આમ તે પોતાનેજ વધુ નુક્શાન કરી બેસતા હોય છે. તો આ રીતે વધારે નુક્શાન ન થાય તે માટે પોતાની જવાબદારીઓ સમજતા અને નિભાવતા શીખવુ જોઇએ.

છેલ્લેતો એટલુજ કહીશ કે સફળતા મેળવવા માટે અનેક પ્રકારની કામગીરીઓ કરવી પડતી હોય છે, અનેક કાર્યો નિભાવવા પડતા હોય છે તો અહી આવા કાર્યો કર્યે જવા એજ વ્યક્તીની જવાબદારી બને છે. જવાબદારી એટલે ફરજમા આવતા કાર્યો કે વર્તન. તો હવે આવા કાર્ય પુર્ણ કરવા માટે આવી જવાબદારીઓ તો નિભાવવીજ પડેને ! જો આવી જવાબદારીઓથીજ ભાગવામા આવે તો તેનો અર્થ એ થાય છે કે સફળતા મેળવી આપતા કાર્યોથીજ આપણે દુર ભાગી રહ્યા છીએ. જો આવા સફળતા મેળવી આપતા કાર્યોથીજ દુર ભાગવામા આવે તો પછી સફળતા ક્યાંથી મળે ? તો આ દ્રશ્ટીએ જવાબદારીઓ ઉઠાવનાર વ્યક્તીઓ ગમ્મે તેમ કરીને પણ એવા તમામ કાર્યો પુરા કરી શકતા હોય છે કે જે તેની ફરજમા આવતા હોય.