manni vaat - 3 books and stories free download online pdf in Gujarati

મનની વાત ભાગ-૩

આપણે પૈસા કમાવવાની લ્હાયમાં કેટલું બધું ગુમાવી ચૂક્યા અથવા તો કરવા જેવા કેટલાય કામો ન કર્યા તેની જાણ આપણને જ નથી.જેના માટે,જેના આવ્યા પહેલા પૈસા કમાયા તે આવ્યું (સંતાન/બાળક) અને તેની જ સાથે આપણે ગુણવત્તા ભર્યો સમય ન વિતાવી શક્યા અને એ પછી પણ એના ભવિષ્ય માટે પૈસા કમાવવામાં વ્યસ્ત જ રહ્યા.
બીજાની ખુશી માટે આપણે ઘણું બધું કર્યું પણ આપણે આપણા જ માટે ક્યાંક જીવી નથી રહ્યા.

પૈસા કમાતા કમાતા પતિ/પત્ની ગુણવત્તા ભર્યો સમય વિતાવવાનું ચૂકી ગયા.બાળકનુ ભવિષ્ય ઉજળું કરવા માટે મહેનત કરી પણ આપણે તેને વ્હાલ આપવાનું ભૂલી ગયા.ઘણી વખત બાળકને પૈસા અને ભૌતિકતા કરતા તેને માત્ર માતા-પિતા પાસેથી થોડી હૂંફ અને થોડો પ્રેમ જોઈતો હોય છે.ભૌતિક સગવડ મેળવતા આપણે આપણી જ વ્યક્તિઓને સમય આપવાનું ભૂલી ગયા. આપણે ભૌતિક સગવડો પ્રાપ્ત કરતા એ ભૂલી ગયા છીએ કે આપણા માતા-પિતાને જરૂર છે આપણી તો એમની સાથે બેસીને થોડી વાત કરીએ.આપણે નાના હશું ત્યારે એજ માતા-પિતા એ આપણી દરેક વાત ધીરજપૂર્વક સાંભળી હશે, તેમણે ક્યારેય પણ વ્યસ્તતાનુ બહાનું નહિ આપ્યું હોય તો એમની વૃદ્ધાવસ્થામાં આપણે તેમની વાતને કેમ અવગણીએ છીએ?
**********

ચૂપ કે શાંત રહેનાર વ્યક્તિ કમજોર કે તે તેની કમજોરી નથી હોતી.અમુક લોકો એટલા માટે ચૂપ રહે છે કે તેમના ન બોલવાથી ઘણી ખરી સમસ્યાનો અંત આવી જતો હોય છે.જે વ્યક્તિ શાંત રહેતી હોય તેનાં શબ્દોમાં પણ એક અલગ જ તાકાત હોય છે અને એ લોકો ચૂપ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી એમને બોલવાની જરૂર નહીં લાગે.એક વખત જો એ બોલશે તો બની શકે કે ધ્વંસ સર્જાય શકે.
**********

'જૂની પેઢી માટે નવી પેઢી બહુ સ્વચ્છંદી છે'!

નવી પેઢીને પોતાની જિંદગી વિશે ઘણું બધું સ્પષ્ટપણે ખબર હોય છે, તે જાણતા હોય છે.તેમને ગમા-અણગમા, એમના ભવિષ્ય વિશે ઘણી જાણ હોય છે.તેઓ સવાલો પણ ખુદ ઉભા કરશે અને તેના જવાબો પણ જાતે જ શોધશે.એ લોકો સ્વચ્છંદી હોવા છતાં તેમને તેમની મર્યાદા ખબર છે,તેમની લક્ષ્મણ રેખા વિશે ખબર છે જે એ ક્યારેય નહીં ઓળંગે એને.જૂની પેઢીને નવી પેઢી પાસેથી અનેકો ફરિયાદ રહી છે.તેઓ‌ માને છે કે અત્યારની પેઢીને કોઈ સંઘર્ષ નથી, તેમનું જીવન ખૂબ સરળ છે પણ ફરક એટલો જ છે કે તેમના સંઘર્ષો શારિરીક હતા જ્યારે અમારા સંઘર્ષ માનસિક રીતે છે અને માનસિક સંઘર્ષ શારિરીક સંઘર્ષ કરતા વધુ પીડાદાયી હોય છે અને અમે; નવી પેઢી માનસિક સંઘર્ષો સામે કેવી રીતે ઝઝૂમવું તે બખૂબી જાણીએ છીએ.અમને જરૂર પડે ત્યારે મનોચિકિત્સકની સલાહ લેવામાં કોઈ નાનપ નથી લાગતી.
નવી પેઢી પરિસ્થિતિને જલ્દી સ્વીકારી લે છે અને તેની સામે લડી પણ લે છે.ભલે અત્યારની પેઢી બહુ એકલી હોય પણ અમને મન સાથે સંવાદ સાધતા આવડે છે.અમને કોઈની સલાહ લેવામાં સંકોચ એટલા માટે થાય છે કારણ કે અમારે બધું ખુદના અનુભવ દ્વારા શીખવું હોય છે.અમારા માટે જે ખોટું છે એ તે જ રહેવાનું છે અને એથી જ અમે ઘણી વખત બળવો કરી બેસીએ છીએ પણ અમે અમારા માટે લડવાનું પણ જાણીએ છીએ.
અત્યારની પેઢી ને માતા-પિતા સાથે શાબ્દિક ઘર્ષણ એટલા માટે થાય છે કારણ કે તેઓ અમારા વિચારો સાથે તાલ મિલાવી નથી શકતા.જે વાત અમે સહજતાથી સ્વીકારી શકીએ છીએ એટલી સહજતાથી જૂની પેઢી તે વાતને સ્વીકારી નથી શકતા.અમને નવી પેઢી ને ભલે અમારી પોતાની સ્વતંત્રતા જોઈતી હોય પણ અમે તેનો ફાયદો ઉઠાવવાનું નહિ પણ તેનો સદુપયોગ કરતા જાણીએ છીએ.
બે પેઢી વચ્ચેના મતભેદ કાયમ રહેવાના છે કારણ કે સમય સાથે માણસની માનસિકતા પણ બદલાતી હોય છે અને જે તેને બદલી શકે છે તે નવી પેઢી સાથે પણ અનુકૂળતા સાધી શકે છે.અમને હંમેશા સ્વમાનભેર જ જીવવું ગમે છે અને જો અમારો અહં ઘવાય અને ઉશ્કેરાઈ જ‌ઈએ તો એ પણ થોડી ક્ષણો માટે.બાકી એવું નથી કે નવી પેઢી અહંકારી છે અને તે છતાં જો કોઈને એવું લાગતું હોય તો કદાચ તે અમારા અહં/રુતબાથી વાકેફ નથી.
અમે તોછડા એટલા માટે છીએ જૂની પેઢીની નજરમાં કારણ કે અમે અમારી વાત મુક્તપણે રજૂ કરી શકીએ છીએ.અમે જૂની પેઢી માટે ઉડાઉ, જિદ્દી એટલા માટે હશું કેમ કે તેઓને કદાચ અમારી જેમ વર્તવા નહીં મળ્યું હોય.અમે ઉડાઉ નથી બસ ફક્ત અમારી બચતની પરિભાષા થોડી અલગ છે બાકી બચત તો અમે પણ કરી જાણીએ છીએ.
જૂની પેઢી માટે અમે આવા એટલા માટે છીએ કેમ કે અમે તેમની માન્યતા મુજબ નથી ચાલી શકતા કારણ કે ક્યારેક અમને તેમના વિચારો, તેમની માનસિકતા, માન્યતા તાર્કિક નથી જણાતા જ્યારે અમારી પાસે પોતાના વિચારો માટે તાર્કિક કારણો હોય છે.
અમે ભગવાનમાં ઓછું અને વિજ્ઞાનમાં વધારે માનનાર પેઢી!આવી દરેક વાતનું પુનરાવર્તન થશે જ્યારે અમારા સંતાન થશે પણ ત્યારે સીન થોડો અલગ હોય એવું બને.ત્યારે અમે ઘણું બધું શીખી ગયા હશું બાળક પાસે કામ લેતા.નવી પેઢી એટલે એમને જે ગમે તે જ કામ કરનાર.અમને બીજાની ખુશી કરતા પોતાની ખુશીની વધારે ચિંતા છે અને અમે જો અમારી ખુશી માટે કોઈ કામ કે પ્રવૃત્તિ કરીએ છીએ તો આમ કરવાથી અમે સ્વાર્થી પણ નથી બની જતા.બસ અમને ખાલી તમારી જેમ પોતાની ખુશી ગિરવે મૂકીને બીજાને ખુશ કરતા નથી આવડતું.