manni vaat - 5 books and stories free download online pdf in Gujarati

મનની વાત - ૫

પ્રેમ!
છે આ શબ્દ કેટલો સોહામણો,
સાંભળી થઈ ઊઠે સૌના મનમાં સળવળાટ!

'જ્યા પ્રેમ છે ત્યાં બધુુંં જ છે'!
આ જગતનું શ્રેષ્ઠ વશીકરણ એટલે પ્રેમ. પ્રેમથી પણ માણસને વશીભૂત કરી શકાય છે.વ્યક્તિને તાબે કરવા કોઈ કામણકૂટળાની જરૂર નથી પણ આપણી કમ્બખ્તી એ છે કે આપણને વશીકરણ જ આવડે છેે. પ્રેમથી વ્યક્તિ ને વશમાં કરવાની કળા હજુ હસ્તગત નથી થ‌ઈ આપણને.

જિંદગી સાથે પ્રેમ ત્યારે જ થાય છે જ્યારે આપણને પ્રેમ કોઈ સાચી વ્યક્તિથી થાય.જીવન જીવવાનો નશો ચઢે છે જ્યારે આપણે જેને ભરપૂૂર પ્રેમ કરી શકીએ એવું પાત્ર મળે. એવું પાત્ર મળી ગયા પછી આપણને ન કેેેવળ જીવન સાથે, પણ જિંદગીથી પ્રેમ થઈ જાય છે. એવા પાત્રની આપણી જિંદગીમાં એન્ટ્રી થયા બાદ જિંદગીનો પણ એક નશો ચઢતો જાય છે આપણને. જ્યારે એવું પાત્ર મળે છે ત્યારે એક વાતનો વસવસો કાયમ રહી જાય છે કે આ વ્યક્તિ આપણને થોડા સમય પહેલા કેમ ન મળી? જો તેની સાથે મુલાકાત થોડી વહેલી થ‌ઈ હોત તો હજુ થોડા વર્ષ વધુ એની સાથે રહેવા મળત, એની સાથે જિંદગી જીવવાનો અવસર મળત. આપણે કુદરત આગળ એટલા લાચાર હોઈએ છીએ કે જે વસ્તુ જ્યારે મળે એને એ ઘડીએ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. એક વખત જે વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય ત્યારે એવી અનુભૂતિ થાય છે કે ઈશ્વરે વગર માંગ્યે ઘણું બધું આપી દીધું છે અને તે જ આપણા જીવનની સફળતા લાગે છે. જે વ્યક્તિને મળ્યા પછી ભગવાન પાસે કશું જ માંગવાની ઈચ્છા ન થાય ત્યારે ઉમાશંકર જોશીની પંક્તિઓ યાદ આવે છે:

ત્રણ વાનાં મુજને દ‌ઈ દીધાં: હાથ, હૈયું અને મસ્તક,
જા હવે ચોથું કંઈ નથી માંગવું!

પ્રેમમાં ગુલાબનું ફૂલ આપવાનો રીવાજ કોણે બનાવ્યો હશે? ફક્ત ગુલાબ જ કેમ પ્રેમનું પ્રતિક? શું બીજા કોઈ ફૂલો પ્રેમનાં પ્રતિક ન બની શકે? ગુલાબનું ફૂલ ન ગમતુંં હોવા છતાં કોઈને ગુલાબ આપીને પ્રેમનો એકરાર કેમ? બીજા કોઈ પુષ્પો પ્રેમનું પ્રતિક ન બની શકે? આપણા ગમતા ફૂલથી પ્રેમનો એકરાર ન કરી શકાય? જો આવા બધા સવાલોના જવાબ આપણી સમજ બહાર હોય તો આપણને છૂટ છે આપણા ગમતા ફૂલને પ્રેમનું પ્રતિક બનાવવાની!

પ્રેમમાં ચાંદ-તારા તોડી લાવવાની વાત શું કામ? પ્રેમમાં આપણે પડ્યા હોઈએ તો એમાં ચાંદ-તારાનો શું વાંક? પ્રેમ થયા પછી માત્ર એટલું જ પૂરતું હોય છે કે તે વ્યક્તિ સાથે આજીવન સાથે રહેવાનો અવસર મળે અને જો આમ બને છે તો એ ઈશ્વર તરફથી મળેલી આપણને બક્ષિસ છે. કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થયા પછી જિંદગી માટે કોઈ જ ફરિયાદ નથી રહેતી. પ્રેમ થયા પછી અનાયાસે એ જ ઈચ્છા થઈ જાય છે કે કાશ બંને પાત્રોને અમર રહેવાનું વરદાન મળે તો?

પ્રેમમાં ભેટ-સોગાદ શું હોય શકે?
આ સવાલના જવાબો નીચે મુજબના હોય શકે!
•આપણી ગમતી વ્યક્તિ સાથે રહેવાથી મળતી ખુશી.
•તેમના જીવનમાં આપણું એટલું જ મહત્વ હોવું જેટલું મહત્વ તે વ્યક્તિનું આપણા માટે છે એ વાતનો આનંદ.
•પ્રેમ કરતી વ્યક્તિ પાસેથી આપણને મળતી પરવા.
•સૌથી મોટી સોગાદ તો એ છે કે આપણે તેને મનભરીને જોઈ શકીએ.
•પરસ્પર એકબીજા માટે રહેલો વિશ્વાસ.
•કોઈ વાત પર મળેલા વખાણ.
•કાયમ એકબીજાને સાથ આપવો.
•એકબીજાની વાત કે મતને સન્માન આપવું કે સ્વીકારવું.
•એકબીજાને ગુણવત્તાસભર નો સમય આપવો.

છે પ્રેમમાં તાકાત એટલી કે અણનમ ને પણ એ ઝૂકાવી જાય,
છે પ્રેમમાં તાકાત એટલી કે સમજી જાય આંખોથી કરેલા ઈશારા પણ,
ન જાણે શું જાદુ છે આ પ્રેમમાં,
કે ડાહ્યા અને સમજુ ને પણ પાગલ બનાવી જાય છે આ પ્રેમ!