Bhaarelo Agni - 1 books and stories free download online pdf in Gujarati

ભારેલો અગ્નિ.. - 1

ભારેલો અગ્નિ

પુસ્તક રિવ્યુ :- પરમાર રોહિણી " રાહી "

' ભારેલો અગ્નિ' નવલકથા ગાંધીયુગના યુગમુર્તિ તરીકે ઓળખાતા રમણલાલ વસંતલાલ દેસાઈનું સર્જન છે. જેમને 'ભારેલો અગ્નિ'', 'જયંત', ' ગ્રામલક્ષ્મી', 'કોકિલા', ' પૂર્ણિમા', 'દિવ્યચક્ષુ' જેવી ઉત્તમ કોટીની નવલકથાઓ આપી છે. રમણલાલ પ્રધાનત: નવલકથાકાર છે અને સ્વાભાવિક રીતે રમનલાલનું નામ સાંભળતા નવલકથા જ વાચકોની કલ્પનાસૃષ્ટિમાં ખડી થાય છે. 'નિહારિકા'ના કવિ; 'ઝાકળ', 'પંકજ', ' કાંચન અને ગેરું' વગેરેના નવલિકાકાર; 'ભારતીય સંસ્કૃતિ'ના ઇતિહાસકાર કે ' જીવન અને સાહિત્ય' તથા ' સાહિત્ય અને ચિંતન'ના ચિંતક રમણલાલ કરતા નવલકથાકાર રમણલાલ - ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય હતા, છે અને રહેશે - એ નિર્વિવાદ છે. એમને નવલકથાઓ ન લખી હોત તો આજે ગુજરાતી સાહિત્યમાં જે પ્રકારનું સ્થાન તેમનું છે, એ હોત કે કેમ તે શંકાસ્પદ છે.

એક કુશળ નવલકથાકારના તત્વો રમણલાલમાં સ્વયંભૂ હતા. તેઓ એક સંસ્કારિતાના માપદંડ તરીકે સ્થાન પામે છે. સને ૧૮૫૭નો વિપલવ એ હિંદના રાજકીય જીવનનો બહુ મહત્વનો બનાવ છે. હિંદુ-મુસલમાન અને અંગ્રેજ આ ત્રણે કોમની આંખ ઉઘાડનારો મહાપ્રસંગ. આ બળવાના ઘડતર કારણોને લઈને નવલકથાની રચના કરવામાં આવી છે. આ નવલકથાના કુલ ચાર ખંડમાં અને ચારેય ખંડ નાના નાના પ્રકરણોમાં વહેંચાયેલી જોવા મળે છે. આમ કથાનો ફલક વધુ વિસ્તૃત દેખાય આવે છે. આ નવલકથા ઈ. સ. ૧૯૩૫માં લખાયેલ છે.

નવલકથાને સમજવા માટે તેમાં સમાવિષ્ટ થયેલા ગૌણ વિષયને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેથી કથા સારી રીતે સમજી શકાય. કોઈ પણ નવલકથામાં વિચાર ભાવનાને પ્રગટ થવાની અનુકૂળતા હોય છે, છતાં એ સર્વ કલારૂપે- ઘટનારૂપે પ્રગટે એ વધારે ઈચ્છનીય હોય છે. જે બાબતમાં રમણલાલ દેસાઈ સાર્થક થયેલા દેખાય છે.

' ભારેલો અગ્નિ'નું મૂળવસ્તુ ૧૮૫૭ના બળવાનું છે, છતાં અહિંસાની ભાવના જ સમગ્ર નવલકથામાં ઉપસી આવતી દેખાય છે અને નવલકથામાં બનતી ઘટનાઓમાંથી આ બાબત ઉપસ્થિત થતી જોઈ શકાય છે.

આ નવલકથામાં પાત્રો :-

મુખ્ય પાત્ર :-

રુદ્રદત્ત ( મહાત્મા ગાંધીજીની વિચારધારાના હિમાયતી )
ગૌતમ પાંડે ( નાયક )
કલ્યાણી (નાયિકા )

ગૌણ પાત્ર :-

ત્ર્યંબક
મંગળ પાંડે
અઝીઝ ઉલ્લા સૈયદ ખાન
તાત્યા સાહેબ અડનામ ટોપે
ઝાંસીની રાની લક્ષ્મીબાઈ
મહાવીર ( જાગીરદાર )
શંકર ખલાસી
દેશી સૈનિકો

વિદેશી પાત્રો :-

યુરોપિયન અમલદાર કૅપ્ટન પીટર્સ
પાદરી જૉન્સન ( પાદરી યુવાનસેન - હિન્દી નામ )
લ્યુસી ( લક્ષ્મી - હિન્દી નામ )
ફ્લોરેન્સ નાઇટિંગેલ (અંગ્રેજ સ્ત્રી)
જૅક્સન ( અંગ્રેજ સૈનની ટુકડીનો કેપતન)
હેનરી સૈનિક(પાદરી)
સાર્જન્ટ મેજર હ્યુસન
લેફટેનન્ટ બૉગે

ખંડ :-

ખંડ ૧ :- સર્જતો વિપલવ
ખંડ ૨ :- અપક્વ ભડકો
ખંડ ૩ :- સિંહનું ભૂમિશયન
ખંડ ૪ :- જીવનની પાર

'ભારેલો અગ્નિ' એ ગાંધીયુગની ગુજરાતી સાહિત્યની ક્લાસિકલ નવલકથા તરીકે આગવી છાપ ઉપસાવી જાય છે. આ નવલકથા અહિંસાનો નિર્દેશ કરે છે. આ કથાના શીર્ષકમાં 'ભારેલો અગ્નિ' એવા વિશેષણ-વિશેશ્ય સંબંધ ધરાવતા શબ્દો જોવા મળી આવે છે. આ બંને શબ્દોને તેના અર્થોના સંદર્ભે સમજીએ તો તે નવલકથાને નવા ઓપ સાથે પ્રગટાવી જાય છે.

'ભારેલો અગ્નિ' નવલકથા પાત્રપ્રધાન છે એમ કહીએ તો પણ ખોટું નથી; એક પછી એક પાત્રોની ભૂમિકા સાંકળની જેમ સંકળાયેલી જોઈ શકાય છે. દરેક પાત્ર તેની ભૂમિકાને ખૂબ જ બારીકાઈથી અને પુરેપુરા વફાદાર રહીને નિભાવે છે. એક પછી એક પાત્રોની અવરજવર કથાને ભરેલી બનાવી જાય છે. ચાર ખંડમાં વિસ્તરેલી કથામાં અંત સુધી પાત્રો ભાવકના મન પર એક અલગ અસર ઉપજાવી જાય છે.

' ભારેલો અગ્નિ' નવલકથા પાત્રપ્રધાન છે, તેમાં ભાષાશૈલી અને સંવાદ પણ સરળ શૈલીના છે. તેની ગદ્યશૈલી નાટ્યાત્મક છે. નાના નાના પ્રસંગોથી આગળ વધતી આ નવલકથા એક મુક્ત પરિવેશમાં વિકરાળ રૂપ ધારણ કરતી જાય છે. દરેક પ્રસંગોમાં એને અનુરુપ રસની અનુભૂતિ જ વાચકને આગળ ને આગળ વાંચવા પ્રેરે છે. એક તરફ ક્રાંતિકારીઓના હૃદયમાં લાગેલો દેશદાઝનો ભારેલો અગ્નિ અને એક તરફ પ્રણયજીવનનો ભારેલો અગ્નિ વાચકોને જકડી રાખે છે.

આ નવલકથાનો સારાંશ આવતા અંકે...

ક્રમશઃ...