Kanudo ke Pari books and stories free download online pdf in Gujarati

કાનુડો કે પરી?

"એક વાત કહું, સાંભળીશ?"

"હા બોલ. તારી તો દરેક વાત તું કે ત્યારે હું સાંભળવા તૈયાર છું."

સારાઘ્યા તૈયાર થતા વખતે અરીસા સામે જોતાં જોતાં કૃતકને કહી રહી હતી. કૃતક એક વિખ્યાત કોલેજમાં પ્રાધ્યાપક છે અને સારાઘ્યા એક મલ્ટીનેશનલ કંપનીમાં ટીમ લીડ કરે છે. બન્ને વચ્ચે સમજણ અને પ્રેમ એમની ડિગ્રી જેટલા જ ઊંચા સ્તર પર છે. ક્યારેક ખાટી મીઠી તકરાર ને ક્યારેક દુનિયાની વિવિધ ચર્ચાઓ ને વળી ક્યારેક એક બીજા ને ટક્કર આપે એવી શીઘ્ર કવિતાઓની જુગલબંધી. ખુદ લૈલા મજનુ કે હીર રાન્જાને ઈર્ષ્યા થઈ જાય તેવો પ્રેમ. ખૂબ ઊંચી પોસ્ટ પર કામ કરતાં હોવા છતાં કોઈ જાત નો ઘમંડ નહીં. આમ તો હજુ નવા નવા જ લગ્ન થયેલા, ચારેક વર્ષ પહેલાં, પણ પ્રેમ તો દસ વર્ષ પહેલા જ પાંગરી ગયેલો. ઘરમાં બધા ને ખબર હતી અને સૌ રાજી પણ હતા. નાત જાતના સમાજનાં બંધનોમાં તેઓ માનતા ન હતાં. તેઓ માટે મુખ્ય પુંજી એ વ્યક્તિની સમજણ અને સંસ્કાર હતા, આ બધું બંને માં હોવાથી કોઈ બાધા આવી નહીં. પરંતુ આ સમય તેમના ભવિષ્ય માટે ખુબ જરૂરી હોવા થી લગ્નની જવાબદારી મોડેથી લેવાનું નક્કી કરાયું.

બંને તેમના માતા પિતાના એક માત્ર સંતાન હતા, તેથી તેઓએ રેહવાની એવી વ્યવસ્થા કરેલી કે બધા સાથે રહી શકે. એક ત્રણ માળની બિલ્ડીંગ બનાવી, જેમાં વધુ પડતી સાજ સજાવટ કે દેખાવ કરતા સગવડતાને પ્રાધાન્ય આપેલું. નીચેનાં બે માળમાં બંનેના માતા પિતા રહેતા અને છેલ્લા માળમાં કૃતક અને સારાઘ્યા. ગ્રાઉંન્ડ ફ્લોર માં એક પરિવાર રહેતો, જેમાં સુર્યેશભાઈ અને નિશાબેન રહેતા. સુર્યેશભાઈ ઘર નું ધ્યાન રાખતા, ઘર માંથી કોઈ ને બહાર જવું હોઈ ત્યારે તેમને બહાર લઇ જતા, તે પછી શાક-બકાલું લેવા જવાનું હોય કે કોઈ પ્રસંગમાં. નિશાબેન આખા બિલ્ડીંગમાં સાફ સફાઈ નું અને બાકી નું જીણું મોટું કામ કરતાં. તેમને ત્રણ દીકરીઓ. મોટી બે ના લગ્ન થઇ ગયેલા, નિશાબેન ના લગ્ન નાની ઉંમરમાં જ થઈ ગયેલા હોવાથી ક્યારેય લાગતું નહીં કે તે ત્રણ સંતાનો ની માતા હશે. ઉપરથી કામઢું શરીર. ફુર્તી જોવો તો ગજબની. સારાઘ્યા ના મમ્મી કે સાસુ કોઈ પણ અવાજ દે એટલે "હા બા, હમણાં કરી આપું હો". કોઈ દિવસ કોઈ કામ ની ના ન પાડે.


સારાઘ્યા અને કૃતકની લગ્ન વખતે ઉમર લગભગ ૩૨-૩૩ની હતી. આમ તો ક્યારેય કોઈ કંઈ બોલતું નહીં, પણ વાતો વાતો માં પરિવારમાં દાદી દાદા ને નાની નાના બનવાના સપનાની વાત છેડાઈ જતી. આમ તો સારાઘ્યા અને કૃતકના વિચારો ઘણાં મળતા, પણ એક વાત હતી, જેમાં ક્યારેક એમની તકરાર થઈ જતી. સારાઘ્યાની ઈચ્છા હતી કે તેઓ કોઈ બાળક દત્તક લે, પણ કૃતક હંમેશા દલીલ કરતો કે લોકો શું કહેશે, તેમના સ્વાસ્થ્ય પર પ્રશ્નો થશે, એ દત્તક લીધેલું બાળક કઈ પરિસ્થિતિ માં જન્મેલું હશે, તેના માતા પિતાની શું મજબૂરી હશે વગેરે વગેરે. અને વાત હંમેશા આ દલીલોથી જ સમાપ્ત થતી. દર વખતે સારાઘ્યા "સારું પછી વાત કરીશું" એમ કહી વાત ટાળી દેતી.

આજે સારાઘ્યા તૈયાર તો થતી હતી પણ એના ચેહરામાં હંમેશ જેવી રોનક દેખાતી ન હતી. કૃતક પાછળ થી તેને ભેટતાં રોમેન્ટિક અંદાજમાં બોલ્યો, "હા બોલ. તારી તો દરેક વાત તું કે ત્યારે હું સાંભળવા તૈયાર છું." સારાઘ્યા પાછળ ફરી, તેને ભેંટીને રડવા લાગી. "અરે સારુ, કેમ રડે છે? કોઈએ કંઈ કીધું? ઓફિસમાં કંઈ થયું? રાતનો જોઉં છું, તારો મૂડ ઠીક નથી. પણ તને હેરાન કરવાનું ના વિચાર્યું અને એટલે જ શાંતિ થી સુઈ ગયો. નિશાબેન પણ કાલે સાંજના રડતાં હતાં. હવે મારી બેચેની વધે છે, મને કહે શું થયું."

ડૂસકાં ભરતાં ભરતાં સારાઘ્યા બોલી, "નિશાબેનને ફરી દીકરી આવવાની છે."

"શું? શું વાત કરે છે? નિશાબેન તો આટલા હિમ્મત વાળા છે, તેઓ એમના સાસુ સસરા ને કેવું સરસ સમજાવી આવ્યા હતાં કે તેમની ત્રણ દીકરીઓ તો તેમની ત્રિમૂર્તિ છે, તેમને હવે કોઈ કાનુડાની જરૂર નથી. પછી શું થયું અચાનક?"

સારાઘ્યા હજુ રડતી હતી. "એમના સાસુ એ ધમકી આપેલી છે, કહ્યું છે તેમણે એક સંતના કહેવાથી માનતા માનેલી છે, જો દીકરો આવ્યો તો તે સંતને મોં માગ્યું દાન આપશે , અને જો દીકરી હશે તો ....." ન ફરી તે રડી પડી.

"દીકરી હશે ત શું સારુ?"


"દીકરી હશે તો તે પેલા સંતને આપી દેશે. કહે છે કે તે સંત ને દીકરી આપવાથી તેમના ગયા જન્મનાં પાપ ધોવાઈ જશે. કહે છે એક જાત નું કન્યાદાન જ થયું ને "


"૨૦૨૧ ના વર્ષ માં પણ લોકો હજું કેમ દીકરાને પ્રાધાન્ય આપ છે. અને આ રીત નું કન્યાદાન હું પેહલી વાર સાંભળું છું. તું રડ નહીં. એ સંતની કુંડળી તો હું નિકાવડાવું છું "

"જે પણ કરવું હોઈ આપણે જલ્દી કરવું પડશે. " સારાઘ્યા આંસુ લૂછતાં બોલી.

કૃતકે હામી ભરી અને વિચારમાં લાગી ગયો કે તે શું કરી શકે એમ છે. પેલા તો તેણે પેલા સંતની તપાસ કરાવી, અને પછી નિશાબેનને સમજાવવા ગયો કે કઈ પણ થાય, એમણે મક્કમ રહેવાનું છે. નિશાબેન કૃતકને પોતાના ભાઈ સમાન ગણતાં. તેમણે હિમ્મત બતાવી. પણ એક વાત તેમને હેરાન કરતી હતી કે તેઓ ત્રણ દીકરીઓ થી ખુશ છે, ચોથી દીકરી નો ઉછેર, લગ્ન હવે તેઓ કરી શકે તેમ નથી. ૨ દીકરીઓના લગ્નમાં ઘણો ખર્ચ થયો છે, નાનકી દીકરીને કૃતકભાઈ ના કહેવાથી મોટી સ્કૂલમાં દાખલ કરી છે , ચોથી દીકરીનું ભરણપોષણ કેમ કરશે. તેમને કૃતક સાથે આ વિષયમાં વાત કરી અને કૃતકે તેમને સમય આવ્યે જોયું જશે અને જે થશે તે સારું જ થશે તેવો દિલાસો આપ્યો.

દિવસો અને મહિનાઓ નીકળવા લાગ્યા, નિશાબેનના સાસુને કહેવામાં આવ્યું કે એમને એમનો પૌત્ર મળવાનો છે. એ ખૂબ ખુશ હતા અને નિશાને મળવા દર અઠવાડીએ આવતા, તેનું ધ્યાન રાખતા. ડિલિવરીનો સમય નજીક આવ્યો, નિશાબેનના સાસુ તેમના વહુ સાથે જ રહેવા આવી ગયા હતા.

એક દિવસ બપોર નો સમય હતો, નિશાબેન અને તેમના સાસુ ટીવી જોતા હતા. સમાચાર હતા, "૨૦ વર્ષ જુના આશ્રમનો પર્દાફાશ". "સંત દીકરીઓના પિતા કહેવાતા. અનાથ દીકરીઓને તેઓ આશરો આપતાં. કોઈને આગળ ભણવા મોકલી છે, કે કોઈ ને સારું પાત્ર મળતા પરણાવી છે એવું કહી છેલ્લા થોડા વર્ષોમાં આશ્રમમાંથી દીકરીઓ ગાયબ થતી રહેતી. પણ તેમની વાકછટા એવી હતી કે કોઈને ક્યારેય શંકા ના જાય. અને જો કોઈને શંકા જાય તો તે વ્યક્તિ નું આવી બનતું. આજે એક ટીમના સફળ પ્રયાસથી સામે આવ્યું છે કે દરેક છોકરીઓને ખૂબ ઊંચી કિંમતે વિદેશમાં વેચવામાં આવતી હતી. આપણે લોકોએ કૃતકભાઈ, તેમના પોલીસમીત્ર નિલેશભાઈ અને એમની ટીમનો આભાર માનવાનો રહ્યો. તેમણે ફક્ત આ હકીકતને સામે લાવવામાં જ નહીં, પણ બીજી છોકરીઓનું જીવન પણ બચાવ્યું છે. આજે સાત છોકરીઓની વિદેશ જવાની તૈયારી થતી હતી અને તે લોકો સમય પર પહોંચી ખુબ ચાલાકીથી હકીકત સામે લાવ્યા છે. સરકારી અધિકારીઓ મદદ કરવા હંમેશા તૈયાર જ છે, જરૂર છે થોડી હિમ્મત અને જાગૃતતાની. કૃતકભાઈની આ બન્ને ખૂબીઓએ આજે ના જાણે કેટલી છોકરીઓનું જીવન બચાવ્યું છે ......" સમાચાર હજુ ચાલતા હતા, પણ નિશાબેનના સાસુ માટે તો જાણે સમય થંભી ગયો. તેઓ આવા સંતના ચક્કર માં પડયા, એવો અફસોસ થતો હતો. એક તરફ શાંતિ હતી કે તેમને ઘરે તો દીકરો આવવાનો છે, એટલે ત્યાં દીકરી મોકલવાનો પ્રશ્ન જ ઊભો થઈ ના શકે. સારું થયું આજે જ આ સમાચાર આવ્યા. નિશાનો સમય પણ નજીક આવે છે. એક નિસાસો નાખ્યો અને ઊભા થયા. તેમને આવા પ્રકારના કિસ્સા સાંભળી પુરુષ જાતિ પર ગુસ્સો આવતો, પણ કૃતક, અને તેના જેવા બીજા લોકોને જોઈ સકારાત્મક ભાવ પણ જાગતા, કે દરેક ખરાબ હોય એવું નથી હોતું. હોય છે તો વ્યક્તિના સંસ્કાર, સમજણ અને ઉછેરનું વાતાવરણ. અત્યારે તેમના મનમાં મિશ્ર ભાવ ઉત્પન્ન થતાં હતા. તેમની આંખમાં આંસુ હતાં, ક્યારેક તેમનો દીકરો ઊંચે સાદે તેમના સામે બોલ્યો હશે, પણ તેમની દીકરીઓ, વહુ ક્યારેય નહીં. છતાં તેઓ દીકરાને પ્રાધાન્ય આપતા હતાં. તેઓને હવે દીકરી દીકરામાં સમાનતા દેખાવા લાગી. તેઓ ઊભા થયા અને જોયું કે પાછળ પલંગ પર બેઠેલી તેમની વહુ બેભાન અવસ્થામાં છે, તેઓ જલ્દીથી હોસ્પિટલ જવાની તૈયારી કરવા લાગ્યા, નિશાને વહાલથી પાણી છાંટી ઊઠાડી. બાજુમાં સુતેલી નાનકીને પણ વ્હાલથી ચુમ્મી ભરી. નિશાબેન માટે આ અજુગતું હતું, પણ પીડામાં કણસતાં તેઓ ઝડપથી ઊભા થયા અને હોસ્પિટલ ગયા.

થોડી વારમાં સારાઘ્યા અને કૃતક પણ હોસ્પિટલ પહોંચી ગયા. નાની એવી પરીનો જન્મ થયો. નિશાબેનના સાસુ આ જોઈને પણ ખૂબ ખુશ થયા. હવે તેમને વ્યથા એક જ હતી, કે તેનું ઉચ્ચ રીતે ભરણ પોષણ કઈ રીતે કરશે. પહેલાં તો વિચાર્યું હતું કે નાનકીની ભણાવશે નહીં અને વહેલી તકે લગ્ન કરી દેશે. પારકાં કામ કરાવવા સુદ્ધાની તેમની મનોમન તૈયારી હતી. પણ હવે? કઈ દીકરી ભણશે ને કઈ નહીં. કૃતક જાણે આ ભાવ વાંચી ગયો. તે સંપૂર્ણ તૈયારી સાથે આવેલો હતો. તેણે સારાઘ્યા ને કહ્યું, "સારુ, ૨ દિવસ વહેલી બર્થડે ગિફ્ટ લઈશ?" "કૃતક, સમય તો જો અત્યારે, આપણે હોસ્પિટલમાં છીએ, તને આ વાત સુજે છે અત્યારે!" હજુ વધુ કઈ બોલે એ પેલા જ એડૉપશન પેપર તેના હાથમાં મૂકે છે. નિશાબેન, સુર્યેશભાઈ અને તેમના માતાને બધી વાત કરી. તેઓ ખુશી ખુશી તૈયાર થયા. નવી આવનાર પરીને એક નહીં બે-બે માતાઓનો પ્રેમ મળશે. "આમ તો માતા સારાઘ્યા, પણ માસી નિશાબેન પણ પરીના પ્રેમના પુરા હકદાર રહેશે." નાનકડી પરીનો એક હાથ નિશાબેનને પકડાવતાં સારાઘ્યા બોલી. અને નાનકડી પરીના સ્મિત સાથે બધાંની એક નવી જિંદગી શરૂ થઇ.


અસ્તુ