Jaadui Pustak ane Shivansh - 1 books and stories free download online pdf in Gujarati

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 1

પ્રસ્તાવના

નમસ્કાર વાચકમિત્રો,

આપ સૌના સ્નેહ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. આપના પ્રતિભાવ અને સ્નેહ જ મને વધુને વધુ લખવાની પ્રેરણા આપે છે. આગળ પણ મારી રચનાને આપના મહત્ત્વના પ્રતિભાવ આપતા રહેશો.

તો ફરીથી તમારા માટે લઈને આવી રહી છું નવી નવલકથા:

'જાદુઈ પુસ્તક અને શિવાંશ'

આ વાર્તા જાદુ અને રોમાંચથી ભરેલી છે.

આ એક તાંત્રિકની વાર્તા છે, જે પોતાના અમરત્વ માટે કોઈ પણ હદે જવા તૈયાર છે, એ માટે કોઈ પણના મોતની તેને વિસાત નથી.

આ એક પત્નીની અને તેની વેદનાની વાર્તા છે, જેને પોતાના પતિના ખરાબ કામ પસંદ નથી, પણ તે કંઈ બોલી નથી શકતી. એટલે જ તેને પોતાની મમતાને ગૂંગળાવી દીધી છે.

આ એક પુસ્તકની વાર્તા છે, જે પુસ્તક જ્ઞાન કે વિદ્યાને સાચવે છે અને પ્રસાર કરે છે પણ જયારે કોઈ તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે તો તેનો વિનાશ પણ કરી શકે છે.

આ એક નવ વર્ષના ભાઈની વાર્તા છે, જે પોતાની બહેનને બચાવવા માટે મોટામાં મોટા તાંત્રિક સાથે બાથ ભીડે છે.

આ એક પાંચ વર્ષની બહેનની વાર્તા છે, જેના પર આ તાંત્રિકે એવો જાદુ કર્યો છે કે જાદુની અસરથી તે ક્રૂરતાપૂર્વક ભલભલાને પછાડી દે અને જાદુની અસર વગર કરોળિયા અને કીડીથી પણ ડરે.

આ ભાઈ પોતાની બહેન માટે તાંત્રિક જોડે કેવી રીતે બાથ ભીડશે કે કેવી રીતે જીત મેળવશે, કેવી રીતે બહેનને તે જાદુમાં થી છૂટકારો અપાવશે.

જાણવા માટે જોડાયેલા રહો અને વાંચો મારી આ નવલકથા.

*****

 

જાદુઈ પુસ્તક અને શિવાંશ

1

ગાઢ જંગલમાં એકબીજાને અડોઅડ આવેલા ઝાડ અને એના ઉપર ચામાચિડીયાનો વાસ અને હિંસક પ્રાણીઓના ભયંકર અવાજ. અહીં ગીધોએ તો આકાશમાં ગોળ ગોળ બિલકુલ ફર્યા કરતા. બીજા કોઈ પક્ષીઓનો તો અહીં રહી શકે તેવી કોઈ શકયતા જ નહોતી. જંગલ એટલું ભયાનક હતું કે જેમાં એક સૂરજની કિરણ પણ પ્રવેશી ના શકે.

વળી, એમાં દિવસ હોય તેવો અણસાર જ ના આવી શકે. ઊલ્લુ પણ દેખી શકે એટલું અંધારું, એ જોઈને તો ભલભલાના હાજાં ગગડી જાય.

એમાં એક એવી અંધારી ગુફા જેમાં એક નાનકડી હવાની લહેર પણ પસાર ના થાય કે ના તેનો અવાજ આવે. ચામાચિડીયા આ ગુફામાં આવવાનું સાહસ નહોતા કરી શકતા તો ત્યાં નિર્દોષ પશુ પંખી આ ગુફામાં જવાનું પણ સાહસ કરી શકે. પશુઓ પણ ત્યાં જઈ ના શકે ત્યાં તો માનવીની તો વાત જ કયાંથી આવે.

અહીં તો ફકત તમરાં જ રહેતા એટલા માટે કે તે જલ્દી છુપાઈ શકતા, એ પણ અવાજ કર્યા વગર નહીં તો કયાંક કોઈ તાંત્રિક સાંભળીને તેમને મારી નાખતા વાર નહીં કરે. આવા ડર સાથે તે રાતે તો સૂઈ જ જતાં.

ગુફાની અંદર આગળ વધતા એક મહાકાળી માતાની મોટી મૂર્તિ હતી. ગળામાં ખોપરીની માળા, તેની જીભ બહાર હતી. એક હાથમાં ધડ, બીજા હાથમાં પરશુ, ત્રીજો હાથમાં તલવાર અને ચોથો હાથ આર્શીવાદની મુદ્રામાં. એ મૂર્તિ ડરામણી લાગી રહી હતી.

એની આગળ એક હવનકુંડ, એની આજુબાજુ પાંચ છ તાંત્રિકો બેસીને મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા હતા.

' ૐ હ્રીં શ્રીઁ મહાકાળી માતાને નમઃ

ૐ હ્રીં શ્રીઁ મહાકાળી માતાને નમઃ

ૐ હ્રીં શ્રીઁ મહાકાળી માતાને નમઃ'

જયારે મુખ્ય તાંત્રિક મોટાને વધુ મોટા અવાજે આ મંત્રનો ઉચ્ચાર કરી રહ્યો હતો.

મુખ્ય તાંત્રિકનો એકદમ ડરામણો ચહેરો, હાથમાં અને કપાળ પર ત્રણ આડા રાખના લીટા અને એના પર કંકુનો ચાંદલો. વાળ એના લાંબા, વિખરાયેલા અને વચ્ચોવચ ચોટી બાંધેલી. હાથમાં પીતળના કડા અને રુદ્રાક્ષની પાંચી જેવું પહેરેલું, બાજુઓ માં પણ રાખની ત્રણ આડી લીટીઓ અને પહેરણમાં ફક્ત વાઘનું ચર્મ પહેરેલું.

ગુફામાં મંત્રનું ઉચ્ચારણ ચાલી રહ્યું હતું અને સૂમસામ રસ્તા પર એક પુરુષ પાછળ જોતો જોતો દોડી રહ્યો હતો. એની પાછળ એક સ્ત્રી શાંતિથી ચાલી રહી હતી.આખરે તે પુરુષ થાકીને નીચે પડી ગયો. તે સ્ત્રી ઊભી રહી ગઈ અને તેની સામે જોઈને અટ્ટહાસ્ય કર્યું. તે જાણે આ દુનિયાની જ ના હોય તેવું લાગી રહ્યું હતું. તેની આંખો ખૂનથી લાલ હતી અને તે પટપટાવ્યા વગર જોઈ જ રહી હતી, તેની ચાલ અલગ જ પ્રકારની હતી અને જાણે તે કેટલા સમયથી તેના હાથ મારી નાખવા તરફડતા હોય તેવું લાગતું હતું.

તે પુરુષ ઊભો થઈને દોડવા જઈ રહ્યો હતો ત્યાં જ તેના ગળામાં લાલ કલરની સાડી આવી ગઈ અને તેનાથી તેને ટૂંપો દેવા લાગી. તરફડીયા મારતો તે પુરુષ છેવટે મરી ગયો. તેની આંખોમાં 'આ સ્ત્રીએ મને કેમ માર્યો?' પ્રશ્ન દેખાઈ રહ્યો હતો. તરત જ તે સ્ત્રી બેભાન થઈને ત્યાં જ પડી ગઈ.

ઉચ્ચારણ પૂરાં થયા બાદ મુખ્ય તાંત્રિક બોલ્યા કે,

"હે મા, મારા તપનો સ્વીકાર કર, મા મારા બલિનો સ્વીકાર કર.

મા મને અમરત્વનું વરદાન દે, મા મને અમર બનાવી દે."

એની જોડે રહેલા બીજા તાંત્રિકો મનમાં ઉચ્ચારણ કરી રહ્યા હતા અને બે તાંત્રિક એક પુરુષની લાશ લઈને ત્યાં આવ્યા અને પુરુષને મહાકાળી માની મૂર્તિ આગળ મૂકી દીધી.

મુખ્ય તાંત્રિકે એ જોઈને પાછા બોલ્યા કે,

"મા સ્વીકાર કર... સ્વીકાર કર... મારી રક્ષા કર અને અમરત્વ દે મા, મને અમરત્વ દે."

વિધિ પૂરી થઈ અને તાંત્રિકે એ પુરુષની લાશ ગીધોને ખાવા ખીણમાં નાખવાનું કહ્યું. મુખ્ય અને બીજા તાંત્રિકોએ આંખો બંધ કરીને મનમાં એક મંત્રનો જાપ કર્યો અને અલોપ થઈ ગયા.

******

હવેલીમાં સફાઈ કરનાર અને રસોઈવાળી બહેનો આવીને પોતપોતાના કામે લાગી ગઈ હતી. ઘડિયાળમાં નવ વાગી ગયા હતા અને થોડું મોડું થયું હતું એટલે બધા ફટાફટ કામ પતાવી રહ્યા હતા. હમણાં જ શેઠ આવીને ગુસ્સે થાય તે પહેલાં કામ પતાવવું જરૂરી હતું.

એટલામાં જ હવેલીના શેઠ ગોરખનાથ બહાર આવ્યા તેમણે એક જાજરમાન વ્યક્તિને શોભે તેવા કપડાં- કૂર્તો, પાયજામો અને ખભા પર એક કાશ્મીરી શોલ, માથામાં પાઘડી, ગળામાં રુદ્રાક્ષની માળા, હાથમાં સોના લકી અને માથા પર કંકુનો ચાંદલો, શરીર પર ફાંદ અને ચહેરા પર શીળીના ડાઘા, એ પણ એકદમ ચીતરી ચડે એવા. તે નીચે આવ્યા અને સિંહાસન પર બેસીને બૂમ પાડી કે,

" ચા નાસ્તો લાવો, આજે મારે ઉપવાસ છે તો ફરાળી બનાવ્યો છે કે બીજો."

ધાકભર્યો અવાજ સાંભળીને જ બધાના ચહેરા પર બાર વાગી ગયા. જંયતી શેઠાણી ડરતાં ડરતાં તેમને નાસ્તો થાળીમાં પરોસ્યો. ગોરખનાથ શેઠે જેવો ચાખ્યો તો તેમાં મીઠું ઓછું હતું એટલે તેમના મ્હોં પર છૂટો ફેંકીને કહ્યું કે,

" નાસ્તો પણ બનાવતા નથી આવડતો. હરામખોર થઈ ગયા છો અને તમને કેટલીવાર કહ્યું કે, ખાઈ ખાઈને શરીર ના વધારો, થોડું કામ કરતા શીખો. કામચોર કયાંની!"

આટલું ગુસ્સામાં બોલીને તે જતા રહ્યા અને જયંતી રોતા રોતા એ નાસ્તો થાળીમાં ભેગો કરવા લાગ્યા.

ત્યાં જ લીલા આવીને બોલી કે, "બા રહેવા દો અને તમે સાડી સાફ કરી લો. હું આ સાફ કરી દઉં છું."

લીલા સામે ભીની આંખે જોઈને તે ઓરડામાં જતા રહ્યા. લીલા તેમને જોતી જ રહી તો રામલાલ બોલ્યા કે,

"એ લીલાડી શું જોવે છે? શેઠનો ગુસ્સો કયાં નવો છે, શેઠાણી માટે."

"નવો ભલે નથી પણ મને બા પર દયા આવે છે. કયાં બા જેવા જાજરમાન વ્યક્તિ અને શેઠ જેવા ચીતરી ચડે તેવા- તેમના દેખાવ કરતાં તેમના સ્વભાવથી, કયાં બા જેવું સાલસ વ્યક્તિ અને શેઠનો ગુસ્સો કેવો!"

"આ બધામાં તું ના પડ, આપણે તો નોકરી કરી જાણીએ સમજી. ચાલ હાથ હલાવવા માંડ."

કહીને રામલાલે વાત પર પાણી નાખ્યું, પણ લીલાના મનમાં તો શેઠ શેઠાણી વચ્ચેની સરખામણી ચાલુ હતી.

'શેઠાણીના શરીર પર અત્યારે ભલે ચરબીના થર થઈ ગયા છે, પણ એક સમયમાં તે રૂપસુંદરી હશે તેનો પુરાવો તો તેમનો ચહેરો જ હતો. નાક નકશે એકદમ યોગ્ય, વાતચીતમાં સાલસ અને નમ્રપણું, સેવાભાવી અરે બા અને દાદાની સેવા પણ કેવી સરસ કરે, તેમને માન આપે. નોકરો પ્રત્યે પણ નોકરો જેવો નહીં પણ માણસ છે તેવો વ્યવહાર કરે અને મને તો. તે પુત્રીની જેમ જ રાખે.

જયારે શેઠ તો ઘમંડી, જીદ્દી, અડીયલ અને ગુસ્સાવાળા, વળી તે તો પોતાના મા બાપને જ સરખી રીતે ના બોલાવે અને તેમને કેવા ધધડાવી નાખે છે. તો પછી અમારા જેવા નોકરોની તો શું વિસાત.'

લીલાની આ વિચારધારા રામલાલની બૂમ થી રોકાઈ ગયા.

" એ લીલાડી વિચારોને હેઠા મૂક અને બા દાદા માટે દૂધ લઈને જા."

લીલા પણ વિચારો રોકીને દોડી દોડી બધા કામ કરવા લાગી ગઈ.