Jaadui Pustak ane Shivansh - 4 books and stories free download online pdf in Gujarati

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 4

4

બાળક અને બાળપણ જેમ એકબીજાના પૂરક છે એમ જ નિર્દોષતાના પણ બાળપણની જ નિશાની છે. જુઓને કૃષ્ણે લીલા કરીને ગોપીઓ નું માખણ ચોરીને ખાઈ જતાં અને પકડાઈ જાય ત્યારે મા આગળ તેમની ફરિયાદ પહોંચતી અને તે નિર્દોષ બનીને કહેતાં કે, "મા મેને માખણ નહીં ખાયો... મા મેને માખણ નહીં ખાયો."

આવા નટખટ બાળપણને અમુક લોકો પોતાના સ્વાર્થ માટે જયારે એ બાળક અને તેના બાળપણનો ભોગ લે છે. તેમનાથી આ દુનિયામાં મોટું કોઈ દુષ્ટ કે પાપી નથી. આપણે કેટલા બાળકોને ભીખ માંગતા કે નાની નાની વસ્તુઓ વહેંચતા ટ્રાફિક સિગ્નલ પર જોઈએ છીએ.

બાળપણની બલિ લેવાની સદીઓથી ચાલતી આવી છે, જેમ કૃષ્ણના બાળપણની કંસે લીધી. પરીના બાળપણનો ભોગ આ તાંત્રિક ગોરખનાથ લઈ રહ્યા છે.

પરીને એ પછી તો તાવ ચડી ગયો. આખી રાત પરેશ અને સારિકાએ તેના માથા પર મીઠાના પાણીના પોતા મૂકયા. બીજા દિવસે પરીનો ધીમે ધીમે તાવ ઉતરી ગયો, પણ પરીનું રાતવાળું રૂપ સારિકા અને પરેશની આંખોમાં થી ખસી જ નહોતું રહ્યું. તેમને ગુસપુસ કરતાં જોઈને શિવાંશ તેમની જોડે ગયો. પરીના વર્તનની વાતો સાંભળીને તે બોલ્યો કે,

"મમ્મી પરીએ ગઈકાલે બગીચાની બાજુની વાડીવાળા એક ભાઈએ અમને ચીકી ખાવા આપી હતી. તે ખાવાની મેં ના પાડી હોવા છતાંય તેને ખાધી હતી."

"શું... મેં તમને કેટલી વાર કહ્યું છે કે 'અજાણ્યા એ આપેલી વસ્તુ નહીં ખાવાની,' પણ તમે મારું તો સાંભળતા જ નથી."

"સારિકા ચીકી જ હતી." પરેશે શિવાંશ સામે.જોઈને કહ્યું,

"પણ બેટા, આગળથી ધ્યાન રાખજે, હો... ચાલ રમવા જા, જોઉં તારા મિત્રો બોલવવા આવશે તને."

શિવાંશ રમવા જતો રહ્યો.

"પરેશ, એ ચીકીના લીધે તો પરી કદાચ.... અને આપણા ગામમાં અચાનક મોત થવું, માણસનું ગુમ થઈ જવું. એ બધું કયાં નવું છે!"

"સારિકા વધુ વિચાર ના કર, ચાલ આપણે પરીને ડૉક્ટર જોડે લઈ જઈએ."

બંને જણા ડૉક્ટર જોડે ગયા. ડૉકટરે પરીને તપાસી દવા આપી. દવાની અસરથી પરીએ આંખો તો ખોલી, પણ તેની બાજુમાં કરોળિયો ઉપરથી પડયો તો તે એકદમ જ ડરી ગઈ અને તેની મમ્મીને લપાઈ ગઈ.

આ જોઈને તો સારિકા અને પરેશ રાતવાળી પરી અને અત્યારની ડરેલી પરી, બંનેમાંથી કંઈ પરી પોતાની સમજવી એ જ વિચારી ના શકયા. પરીની આવી માનસિકતા બદલવા માટે સાઈક્રાટીસ્ટ અને ડૉકટરો બદલ્યા અને ઘણી દવા પણ કરી, છેલ્લે ભૂવા જોડે પણ ગયા. પણ પરીમાં એક તસુભાર સુધાર નહોતો. રાતે પરી ભયાનક અને દિવસે પરી ડરપોક બનીને જીવી રહી હતી. તે હસવાનું, રમવાનું બધું જ ભૂલી ગઈ હતી અને એને જોઈને સારિકા અને પરેશની આંખના આસું સૂકાઈ નહોતા રહ્યા.

એક વખત પાડોશી નીતાબેન તેને જોવા આવ્યા અને કહે કે,

"સારિકા તારો શિવાંશ કાલે કહેતો હતો કે પરીએ ચીકી ખાધી પછી જ બીમાર પડી ગઈ. તો કયાંક કોઈ ઊલટું સુલટું તો ખવડાવીને કંઈ કરી તો નથી દીધું ને. આમ પણ તારી પરી રૂપાળી અને નજર લાગે તેવી જ છે."

"ના... ના... નીતાબેન એવું કંઈ નથી."

"હોય કે ના હોય, પણ શિવજીના મંદિરમાં એક સાધુ આવ્યા છે, તેમનું નામ શિવદાસ મહારાજ છે. ઉચ્ચ કોટીના સાધુ છો. તું એમને પરી વિશે વાત કર. કદાચ કોઈ ઉપાય બતાવે."

આ સાંભળીને પરેશે કહ્યું કે,

"એકવાર કહ્યું ને કે આવું કંઈ ના હોય... અમે નથી માનતા."

"પરેશભાઈ બતાવવામાં શું જાય છે, પછી તમારી મરજી. હું તો કહી શકું. સારિકા આવજે..."

નીતાબેનના ગયા પછી સારિકા પરેશને સમજાવતા બોલી કે,

"પરેશ, આપણે ડૉક્ટર કેટલા બદલ્યા. એકવાર સાધુ મહાત્માને બતાવવામાં શું જાય?"

"પણ તેઓ ધૂતારા હોય... કાંઈ થોડા..."

સારિકા કરગરતા બોલી કે,

"બધા ધૂતારા ના પણ હોય, આપણે ભૂવાઓ ને પણ બતાવ્યું જ છે છતાંય કોઈ પરિણામ મળ્યું?ના તો અને વળી, આ તો સાધુ છે, એકવાર મળીએ પ્લીઝ..."

"સારું ચાલ, પરીને હું તેડી લઉં છું."

બંને જણા મંદિરે પહોંચીને પહેલાં શિવજીના દર્શન કર્યા અને પછી સાધુ જોડે ગયા. સાધુને પરી વિશેની બધી વાતો કરી, તેનું બંને સમયનું અલગ અલગ વર્તન પણ કહ્યું.

શિવદાસ મહારાજે તેના કપાળ પર હાથ મૂકીને આંખો બંધ કરી કંઈક મંત્રજાપ કરવા લાગ્યા. થોડી વાર રહીને એમને આંખો ખોલી અને કહ્યું કે,

"તેને જે ચીકી ખાધી હતી, તેના પર કાળી વિધિ કરવામાં આવી છે...."

પરેશ આકળો થઈને બોલી પડયો,

"આમાં નવું શું છે! આ તો અમને ખબર જ છે... ચાલ સારિકા આ પણ ધૂતારા જ છે."

"એના પર એવી વિધિ થઈ છે કે, તે તેનો જીવ લઈને જ છોડશે. આ દિકરીને મોત વગર આ જાદુની અસર તેને નહીં છોડે. અને આ ભયાનક મોત દરરોજ તે મરશે, તમને મારશે અને બીજાની હત્યા કર્યા કરશે."

પરેશ તેમની સામે જોઈ જ રહ્યો. સારિકા બોલી કે,

"તો પછી શું મારી દીકરી મારે ખોવાની....."

"ના બેટા, મને તેના પર જે વિધિ કરવામાં આવી છે એ ખબર પડી ગઈ છે. દરેક જાદુ કે વિધિનો તોડ હોય તેમ આનો છે. કોણે જાદુ કર્યો, કેમ કર્યો અને કેવી રીતે તૂટશે તે ખબર નથી પડી રહી. કદાચ આ દિકરીએ ચીકી ખાધી એ વખતના કપડાં મળી જાય તો તેના પરથી મને ખબર પડી શકે."

"ભલે મહારાજ, હું લઈને આવું છું."

"ના બેટા, તું આ દીકરીને લઈ દોડમદોડી કરીને તેને હેરાન ના કર, પણ તે કપડાં તારા પતિ જોડે મોકલાવી દે."

"ભલે મહારાજ...."

આટલું સાંભળીને સાધુ મહારાજ ધ્યાનમાં બેસી ગયા.

સારિકાએ પરેશને પરીએ પહેરેલું ફ્રોક આપીને મહારાજ જોડે જવા કહ્યું. શિવાંશ પણ પરેશ સાથે થયો અને તેઓ સાધુ મહારાજ પાસે ગયા.

શિવદાસ મહારાજે ફ્રોક પર હાથ મૂકીને આંખો બંધ કરીને મંત્રનો જાપ કરવા લાગ્યા. તેમની બંધ આંખો આગળ એક પછી એક દ્રશ્ય પસાર થવા લાગ્યા. આંખો બંધ કરીને કયાંય સુધી તે બેસી રહ્યા અને આ બાજુ પરેશ ઊંચો નીચો થયા કર્યું, પણ તે ધ્યાન ભંગ ના કરી શકયો.

જયારે શિવદાસ મહારાજે આંખો ખોલીને તેની સામે જોયું તો પરેશ અધીરાઈથી પૂછવા લાગ્યો,

"બાપજી આ કાળો જાદુ તોડવાનો ઉપાય બતાવો. મારી દિકરીને બચાવવાનો ઉપાય કયો?"

"કહું છું પણ તે તારાથી શકય નથી. તું એ કામ નહીં કરી શકે. એ માટે તો કોઈ ઉચ્ચ કોટીનો આત્મા જેનામાં કોઈ સ્વાર્થ ના હોય, એના મનમાં કોઈપણ માટે કોઈપણ જાતના પ્રેમની ઓટ ના હોય એટલે કે દરેક માટે તેનો પ્રેમ નિ:સ્વાર્થ હોય, એવો વ્યક્તિ જ જોઈએ."

"તો હું છું ને , હું મારી દિકરીને બચાવવા કંઈ પણ કરી શકું છું. મને બતાવો હું કરીશ."

"મેં કહ્યું તો ખરા કે તારા માટે શકય નથી. એ માટે કોઈ જ માટે ભાવ કે લાગણી અલગ અલગના હોવા જોઈએ."

"તો પછી, એવું કોણ..."

શિવદાસ મહારાજ આમતેમ જોયું પછી શિવાંશને જોઈ જ રહ્યા. પછી કહ્યું કે,

"આ છોકરો કરશે... તે દિકરીનો ભાઈ..."

"પણ મહારાજ, આ તો નવ વર્ષનો જ છે."

"પણ તે ઉચ્ચ કોટીનો આત્મા છે. એનાથી જ શક્ય બનશે."

શિવાંશ તેમની વાતો સાંભળી રહ્યો હતો. તે બોલ્યો કે,

"હું જઈશ મારી બહેનને બચાવવા, તમે ઉપાય કહો.