Draupadi - 2 in Gujarati Women Focused by Pooja Bhindi books and stories PDF | દ્રૌપદી - 2

Featured Books
Categories
Share

દ્રૌપદી - 2

દ્રૌપદી

સખી,તે તારા વસ્ત્રથી મારો ઘાવ પૂર્યો છે,હું પણ એક વાર તને વસ્ત્ર પૂરાં પાડીશ.

ગોવિંદ,મારે વસ્ત્રની ક્યાં જરૂર પડશે.

જવાબમાં ગોવિંદ માત્ર રહસ્યમયી પરંતુ દર્દભરું હસ્યાં.
ખબર નહીં સખાએ એમ કેમ કહ્યું હશે.મને એક સામ્રાગીને વસ્ત્રોની ક્યાં કમી હોય છે.
કદાચિત ગોવિંદ સમાજમાં વધી રહેલ દુરાચાર જોઇને જાણી ગયા હશે કે દુષ્ટોના અધર્મી નેત્રોથી રક્ષણ માટે એક સ્ત્રીને જરૂર વસ્ત્રોની જરૂર પડશે.

અંતે રાજસુઇ યજ્ઞ પૂર્ણ થયો.આર્ય યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ ઘોષિત કરવામાં આવ્યા.પરંતુ દુર્યોધને શિશુપાલના વધ સામે પ્રશ્ન ઉઠાવ્યો અથવા હું એમ સમજુ કે તેનાં હોવાં છતાં આર્યને શા માટે સમ્રાટ ઘોષિત કરવામાં આવ્યાં એમાટે પ્રશ્ન ઉઠાવ્યો.

તેણે ઇન્દ્રપ્રસ્થમાં અસભ્ય વર્તન કર્યું તેથી તેને દંડિત કરવાનો આદેશ આપવામાં આવ્યો.

જો યોદ્ધાદ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોય અને તેની સજારૂપે તેનાં શસ્ત્રો છીનવી લઇએ તો કદાચિત ભવિષ્યમાં એ ભુલ બીજી વાર ન કરે.મેં મારા આ વિચારને સુજાવ તરીકે પ્રસ્તુત કર્યો.મારા સુજાવનો સ્વીકાર થયો.

આ નિર્ણયથી ક્રોધિત થયેલ દુર્યોધન પોતાના મિત્ર કર્ણ,મામા શકુની અને અનુજ દુશાશન સાથે સભાખંડમાંથી બહાર નીકળ્યો.ત્યાં તેનું ધ્યાન ન રહેતાં તે પાણીમાં પડ્યો.

"શું આંધળાનો પુત્ર પણ આંધળો જ હોય છે."મારી બાજુમાં ઉભેલ દાસી બોલી ઉઠી.

દુર્યોધને અંગારા વરસતી આંખોથી મારી સામે જોયું અને અત્યંત ક્રોધવસ્થામાં ચાલ્યો ગયો.

થોડાં સમય બાદ હસ્તિનાપુર તરફથી દ્યુત રમવા માટે આમંત્રણ આવ્યું.અમે આમંત્રણનો સ્વીકાર કરી જ્યારે હસ્તીનાપુર પહોંચ્યા ત્યારે અમારું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજસુઇ યજ્ઞ વખતે દુર્યોધન જે રીતે ક્રોધિત થઇને ગયો હતો તે જોઈને મને કે આર્યોની આ સ્વાગતની અપેક્ષા નહતી.છતાં પણ અમે મહેલમાં પ્રવેશ્યા. દ્યુતનો ખેલ ચાલું હોય તે દરમિયાન સ્ત્રીઓને ત્યાં ઉપસ્થિત રહેવાની પરવાનગી નહતી સિવાય કે દાસીઓને.તેથી હું,માતા ગાંધારી અને માતા કુંતી અમારાં કક્ષમાં આવી ગયાં.

દ્યુતનો ખેલ આરંભ થયો.પાસા ફેખાતાં ગયાં,ધીરેધીરે સંપત્તિ દાવમાં લગાવાતી ગયી.આર્ય યુધિષ્ઠિર એક પછી એક સંપત્તિ હારતા ગયાં. અરે હદ તો ત્યારે થઇ જયારે તેઓએ પોતાના અનુજોને દાવ પર લગાવ્યા.

તેઓ કંઇ રીતે મારા આર્યોને દાવમાં લગાવી શકે.શું મારા આર્યો માત્ર સમ્રાટ યુધિષ્ઠિરનાં અનુજ છે.શું તેઓ માતા કુંતીના પુત્રો નથી.શું મારા કેશમાં તેઓના નામનું ચુડામણી નથી.તો તેઓ પર માત્ર આર્ય યુધિષ્ઠિરનો હક કંઈ રીતે થાય?

આર્ય યુધિષ્ઠિર પોતાના અનુજોને એક બાદ એક એમ હારતાં ગયા. આ બધું સાંભળી માતા કુંતી અને માતા ગાંધારી પ્રાર્થના કરવા મંદિરઘરમાં ગયાં.

મારા ચારેય આર્યોને દ્યુતમાં હાર્યા બાદ આર્ય યુધિષ્ઠિર મને,પોતાની ભાર્યાને પણ દાવમાં લગાડી.અરે,કોઇ પતિ પોતાની પત્નીને દાવમાં કેમ લગાડી શકે?શું સપ્તપદીમાં આપેલ મારી રક્ષા કરવાનું વચન તેઓ ભૂલી ગયાં?

મને હારી ગયાં બાદ દુર્યોધને મને દ્યુતસભામાં આવવાનો આદેશ મોકલાવ્યો.

"હું તેની દાસી નથી,હું એક સામ્રાગી છું.હું તેનો આદેશ માનવા બંધાયેલ નથી.મને તેનો આદેશ માન્ય નથી."આટલું કહી મેં તેનો આદેશ ઠુકરાવ્યો.

આ સાંભળી અહંકારી દુર્યોધને દુષશાનને મને મારા કેશ પકડીને આ સભામાં લઇ આવવાનો આદેશ આપ્યો.આ સાંભળી ક્રોધે ભરાયેલા મારા આર્યો બોલી ઉઠ્યાં, મારી અર્ધાગીનીને સ્પર્શ કરવાની દુસાહસ કરનારને મારો સામનો કરવો પડશે.

ફરીથી અધર્મીઓએ ધર્મના નામે લાચાર ધર્મજ્ઞાનીઓનો અવાજ દબાવી દીધો.દુશાસન મને દ્યુતસભામાં લઇ જવા માટે મારી પરવાનગી વગર જ મારા કક્ષમાં આવી ગયો.મેં ન જવાનાં પુરા પ્રયત્નો કર્યા પરંતુ એ દુષ્ટ મારા કેશ પકડીને મને એક સામ્રાગીને એ અધર્મીઓથી ભરેલ દ્યુતસભામાં ઢસડી ગયો.

અરે,આવો વ્યવહાર તો કોઈ જાનવરો સાથે પણ ન કરે.તો હું તો તેની ભાભી હતીને.તો પછી મારી સાથે આવો વ્યભિચાર કેમ?



ક્રમશઃ