Aa Janamni pele paar - 21 books and stories free download online pdf in Gujarati

આ જનમની પેલે પાર - ૨૧

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૧

હેવાલીને ત્રિલોક પહેલાથી જ વિચિત્ર લાગ્યા હતા. એણે અને દિયાને કલ્પના કરી ન હતી કે મેવાન અને શિનામિએ એમના જીવન વિશેની સત્યતા ચકાસવા મોકલ્યા હતા ત્યાં ત્રિલોક તેમને મળશે અને એક અલગ જ વ્યક્તિની સાથે એમણે વાત કરવાની થશે. હેવાલીને એ જગ્યા પર ગયા પછી ડર લાગવા લાગ્યો હતો. અને છેલ્લે સુધી ત્રિલોકનો અનુભવ ડરામણો જ રહ્યો હતો. એ બધું યાદ કરતી હેવાલીને એ જાણવાની ઉત્સુક્તા વધી ગઇ હતી કે ત્રિલોકે મેવાન અને શિનામિના લગ્નની ખોટી વાત કર્યા પછી બીજી કઇ વાત કરી હતી જે સાચી ન હતી.

મેવાનને વાત કરતાં ખચકાતો જોઇ હેવાલીએ ફરી પૂછ્યું:'મેવાન, હવે તું જે કહીશ એ ત્રિલોકની બીજી અને છેલ્લી ખોટી વાત હશે ને? બાકીનું તો એ સાચું બોલ્યા હશે ને? અમને એ બહુ વિચિત્ર માણસ લાગ્યા હતા...'

મેવાન એક મોટા રહસ્યનું ઉદ્ઘાટન કરવા ભૂમિકા બાંધતો હોય એમ બોલ્યો:'હવે આપણે જ્યારે મળી જ ગયા છે અને એકબીજાનો સાથ મળી રહ્યો છે ત્યારે ત્રિલોક વિશે વાત કરવામાં જે ક્ષોભ થાય છે એને દૂર કરીને કહું છું કે એમણે ઘરની આગની જે વાત કરી હતી એ સાચી હતી પણ એ અકારણ લાગી ન હતી. એમણે તમને સાચી વાત કરી ન હતી. એ આગ એમણે જ લગાવી હતી...'

'શું? એ એટલા હેવાન છે?' હેવાલી ચમકી ગઇ. એને દિયાને કહેલી વાત યાદ આવી અને બકરીની હત્યા કરીને એનું રકત પીતા ત્રિલોકના ચહેરાની કલ્પના થઇ ગઇ. તેનું શરીર ડરથી ધ્રૂજવા સાથે શ્વાસ પણ અટકવા લાગ્યા.

મેવાન હેવાલીની સ્થિતિ જોઇ ગભરાઇ ગયો. પોતે બહુ મોટી અને ભયંકર વાત કરી દીધી હતી એનું ભાન થયું. વર્ષો પછી તેને જીવનસાથી મળી છે ત્યારે પ્રેમ અને આનંદની વાતો કરવાને બદલે પોતે આ બધી વાત કેમ કરી દીધી? એવો અફસોસ ચહેરા પર આવી ગયો. તેને હેવાલીની દયા આવી ગઇ. હેવાલીનું સ્ત્રી હ્રદય નબળું છે. તે આવી વાતોથી ગભરાઇ જાય એ સ્વાભાવિક છે. તે માફી માગતો હોય એમ બોલ્યો:'હેવાલી, તને ત્રિલોકની વાત સાંભળીને આંચકો લાગ્યો હશે. હું દિલગીર છું પણ તારી સાથે આત્મીયતાથી વાત કરતાં મારાથી કહેવાઇ ગયું છે. તું એને દિલ પર ના લઇશ. જે બની ગયું છે એના પર હવે મને પણ અફસોસ નથી. ખરેખર તો મારે જ તમને ત્રિલોકને ત્યાં મોકલવા જોઇતા ન હતા. બીજું થાય પણ શું? તમને વિશ્વાસ અપાવવો જરૂરી હતો. તમે અમારી વાતને માનો અને અમારી પાસે પાછા ફરો એ માટે તમને ત્યાં મોકલવા પડ્યા હતા. ત્યાં ત્રિલોક આટલી ભયાનક સ્થિતિમાં તમારી સાથે વાત કરશે એની અમને કલ્પના ન હતી. ત્રિલોક મારા પિતા છે. અલબત્ત મારા માટે હતા. એ મારા જન્મદાતા હતા એની સાથે મૃત્યુદાતા પણ બની ગયા હતા. એમનું આગ લગાવવાનું પગલું ઘાતકી હતું. એમને અમારા મોત પછી એની સજા મળી જ રહી છે. તે હવે માનસિક રીતે વિક્ષિપ્ત બની રહ્યા છે. અમને રાહત એ વાતની છે કે તમારી સાથે ત્યાં કોઇ અનિચ્છનીય બનાવ ના બન્યો. આજે એ આગની ઘટનાનો વિચાર કરું છું ત્યારે મને પણ કમકમાં આવી જાય છે. થાય છે કે કાશ એ ઘટના બની ના હોત તો આજે આપણે આવા સંજોગોમાં આ રૂપમાં મળવાનું ના થયું હોત. આપણે બંને માનવરૂપમાં કેવું સુંદર અને પ્રેમભર્યું જીવન જીવતા હોત!'

મેવાન ત્રિલોકની ભયાનક વાત કરતાં એક સુખી જીવનના સપનામાં સરી પડ્યો હોય એમ હેવાલીને લાગતું હતું. તેને હજુ પણ ત્રિલોકનો ચહેરો આંખ સામે આવી ડરાવી રહ્યો હતો. તે એક ક્ષણ પણ આંખ બંધ કરી શકતી ન હતી. તેને ડર હતો કે એમ કરવાથી ત્રિલોકનો ચહેરો વધારે ભયાનક રીતે તરવરી ઉઠશે. તે મનને મેવાનની સુખી જીવનની વાત તરફ વાળવાનો પ્રયત્ન કરવા લાગી. તે બોલી:'મેવાન, તારી વાત સાચી છે. ત્રિલોકને કારણે આપણે બધાં અલગ થઇ ગયા અને તારે ભૂત બનીને ભટકવું પડ્યું. પરંતુ નિયતિ સામે કોનું ચાલે છે? જે લખાયું હોય એ થઇને જ રહે છે. જોને, અમે બંને ક્યાં જાણતા હતા કે અમારો અગાઉનો જન્મ કોની સાથે હતો? એવી કલ્પના કરવાનો પણ સવાલ ન હતો કે અમે અગાઉના જન્મમાં બીજા કોઇના જીવનસાથી હોઇશું. સામાન્ય રીતે જે માનવ જન્મ હોય અને એમાં જે જીવનસાથી મળે એ જ સાત જન્મ સુધી હોવાની જે વાયકાઓ છે એને સાચી માનીને જીવતાં હોઇએ છીએ...'

'હેવાલી, તું બહુ સમજુ છે. સુમિતાના રૂપમાં તું આવી જ હતી. એટલે તો મેં તને પસંદ કરી હતી અને તારી સાથે જન્મોજનમ માટે જોડાયો હતો. આપણો પૂર્વ જન્મનો સાથ ભલે આ રીતે પણ પાછો મળી ગયો એ મારા માટે ખુશીની વાત છે. હું એ કારણે હવે બધું ભૂલી જવા માગું છું. એ આગની ઘટના બહુ ખતરનાક હતી. અમને એમ કે ત્રિલોક બહાર ગયા છે. એમનું મગજ શેરબજારમાં નુકસાન થયા પછી થોડું ખસી જ ગયું હતું. એમનું મગજ વધારે ખસી જશે અને આખા ઘરને જ નહીં આસપાસના મકાનોને પણ આગ લગાવી દેશે એ કોઇના માનવામાં ના આવે એવી ઘટના હતી...' મેવાન આગળ વાત કરી શકે એમ ન હોય એમ આંખો બંધ કરીને બેઠો.

હેવાલી બે ક્ષણ શાંત રહી. અચાનક તેને વિચાર આવ્યો અને એ પૂછી બેઠી:'મેવાન, ત્રિલોકે આટલા બધા માણસો રહેતા હોવા છતાં આગ કેમ લગાવી દીધી? એવું કયું કારણ હતું. જેને કારણે એમણે આવું અમાનુષી પગલું ભર્યું?'

હેવાલીના પ્રશ્નથી મેવાને ચમકીને આંખ ખોલી. તેના ચહેરા પર વિચિત્ર ભાવ આવી ગયા. હેવાલીને થયું કે પોતે બહુ મોટો પ્રશ્ન પૂછી નાખ્યો છે. મેવાન છેક અંદરથી ખળભળી ગયો હોય એમ લાગે છે. એ તેની સામે આતુરતાથી તાકી રહી હતી.

મેવાન માત્ર એટલું જ બોલ્યો:'તારા લીધે...'

મેવાનનો જવાબ સાંભળીને હચમચી ગયેલી હેવાલીને એમ લાગ્યું કે બહાર વીજળીનો મોટો કડાકો થયો છે અને એક વૃક્ષ ભડભડ સળગી રહ્યું છે.

ક્રમશ: