Avaavaru Railway Station - 4 - last part books and stories free download online pdf in Gujarati

અવાવરું રેલ્વે સ્ટેશન - 4 - છેલ્લો ભાગ

ભાગ - ૪

“મારી વાત ધ્યાનથી સંભાળ, હું કહું તેમ કરજે..મારા ઉપર ભરોસો રાખજે, તારે ભંવરસિંહ  જોડે નીકળી જવાનું.. હું પણ સ્ટેશન આવીશ તારે ટ્રેન માં બેસી પણ જવાનું, જેવી ટ્રેન ની ઝડપ વધે, ટ્રેન સ્પીડ પકડે કે તરત જ ટ્રેન માંથી કૂદી પડજે, હું ત્યાંજ હોઈશ અને આપણે બન્ને ભાગી જઈશું”. એટલા દિવસો ભૂમલા સાથે રહ્યા પછી ગૌરીને એટલી ખબર હતી કે ભૂમલો બહુ જ સારો અને સાચો માણસ છે એટલે અવિશ્વાસ કરવાનું કારણ નહોતું. પ્લાન મુજબ ગૌરી ભંવરસિંહ જોડે રેલ્વે સ્ટેશન પહોંચી. રેલ્વે સ્ટેશન ઉપર જ ભંવરસિંહ બબડ્યો તું એક વાર ઘેર પહોંચ પછી જો હુ  મારી મારી ને તારી ચામડી ઉતારી નાખીશ. ભૂમલો પણ સ્ટેશન ના રેલ્વે પાટા ની સમાંતર આવેલા બાવળિયામાં ઝાડની ઓથે છૂપાયો હતો. સવારનો ૫:30 નો સમય થયો હતો, ટ્રેનની ઉપડવાની વ્હિસલ સંભળાઇ... ટ્રેન ઉપડી... ગૌરી અને  ભંવરસિંહ પણ ટ્રેન માં બેઠા, પરંતુ ગૌરી દરવાજા આગળ જ ઊભી રહી. જેવી ધીમે ધીમે ટ્રેન આગળ વધવા માંડી અને ટ્રેન ની ઝડપ વધવા લાગી એ સાથે જ ટ્રેન માંથી  ગૌરી કૂદી પડી, બે ત્રણ ગડ થોલા ખાઈ ગઈ,બાળકને  પીઠ પાછળ  બાંધ્યું હતું, તેનું બધું ધ્યાન બાળકને ઇજા ના પહોંચે તે તરફ હતું.  ભંવરસિંહ  ઉભો થઈને દરવાજા આગળ આવ્યો ત્યાં સુધી તો ટ્રેન ફૂલ સ્પીડમાં દોડતી હોઈ ભંવરસિંહ  ની કૂદી પડવાની હિમંત થઈ નહિ. જવા આવવા માટે એક જ ટ્રેન હોઈ આગળ સ્ટેશન ઉતરીને પણ પાછું અવાય તેમ નહોતું... છેક સાંજે ટ્રેન પાછી આવતી હતી, સાંજે આજ ટ્રેન માં પાછા આવવાનું વિચારી સમસમીને બેસી રહ્યો. અહીં ભૂમલો બાવળિયાની ઝાડી માંથી બહાર આવી ગૌરી ને લઈને ગામ તરફ ભાગ્યો, ગામમાં પહોંચી જરૂરી સમાન ના પોટલાં બાંધી ઝૂંપડી ને તાળું મારી બન્ને જણા ચાલતા જ બીજા ગામ તરફ પગરણ માંડ્યા.

હવે પાછું વાળીને આ ગામમાં આવવાનું હતું નહિ...બે હૈયા હતા.. જે સામાજિક બંધનોથી ક્યાંય દૂર હતા, બન્ને વચ્ચે કોઈ જ બળજબરી હતી નહિ, બન્ને એક બીજા માટે જ બન્યા  હોય તેવું લાગતું હતું, ક્યાં જઈશું... ક્યાં રોકાઈશું.. કશું જ નક્કી નહોતું એક જ વસ્તુ હતી કે બન્ને એક બીજાની સાથે હતા.. બન્ને એક બીજા ના સથવારે હતા.

બન્ને જણા ચાલ્યા જ કરતા હતા,કહેવાય છે કે ભગવાનના મંદિરો દિન દુઃખિયા ના આશ્રય  સ્થાન જેવા હોય છે, તેમ ભગવાન ભોળાનાથ ના મંદિરમાં પહોંચ્યા, જે પણ એક જંગલ ની વચ્ચે આવેલું દેવસ્થાન હતું... દૂર જંગલમાં હોવાથી એકાંત હતું. ફકત એક પૂજારી સેવા પૂજા કરતા હતા, ભૂખ અને થાક ને કારણે મંદિરના દ્વારે જ બન્ને ફસડાઈ પડ્યા. પૂજારીએ ખાવાનું આપ્યું અને કહ્યું ભોળાનાથે જ તમને બન્ને ને મોકલ્યા હોય તેમ લાગે છે, ભગવાનના ધામમાં રહો અને સેવા પૂજા કરો, હું તમને આશરો આપુ છું. ભાવતા ને ભોજન મળે અને જોઈતું હોય એને ઢાળ મળે તેમ બન્ને ને શાતા મળી હાશકારો થયો.  પૂજારી ખૂબ વિદ્વાન હતા, રામાયણ-મહાભારત અને ભાગવત ના પ્રખર પંડિત હતા. ભૂમલો અને ગૌરી આખા મંદિર ની સફાઈ કરતાં, સેવા કરતા, ફૂલોના હાર બનાવી મહાદેવ ને ચડાવતા, ગર્ભ ગૃહ સાફ કરતી વખતે ભૂમલો તો સ્વયં ભોળાનાથ જોડે વાત કરતો. પૂજારી ના વ્યાખ્યાનો સાંભળી ને ભૂમલો સ્વયં બ્રહ્મ ની અનુભૂતિ કરતો, સાક્ષાત ભગવાન તેના હૃદય સ્થાન માં બિરાજ્યા છે તેવી અનુભૂતિ પણ કરતો. ધીરે ધીરે બેસતા ઉઠતા ભૂમલો પરમાત્મા ના સાનિધ્ય ની અનુભૂતિ કરતો,વર્ષો પર વર્ષો વિતી ગયા ભુમલો પણ પ્રખર પંડિત બની ગયો હતો, હવે તે પણ પ્રવચન આપતો હતો. લાંબી દાઢી અને કપાળ ઉપર ભસ્મ નું તિલક સાથે લાંબા વાળ; તે એક મહાત્મા સાધુ જેવો જ લાગતો હતો, આજુબાજુ ના ગામમાંથી ભૂમલાને સાંભળવા લોકો આવવા લાગ્યા, સાધુ જીવન જીવતો ભૂમલો પરમાત્મામય બની ગયો હતો, તેની જીવન જીવવાની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી,મંદિર માં ભોળાનાથ સામે બેસીને સુધ-બુધ ગુમાવી બેસતો હતો, કહેવાય છે કે સમય દરેક ને તેના કર્મ નું ફળ અચૂક આપે છે, ભૂમલો અને ગૌરી પણ સમય ની થપાટો ખાતા ખાતા વાન પ્રસ્થાને પહોંચી ગયા હતા, ઉંમર ઉંમર નું કામ કરે તેમ તેમનું શરીર પણ ક્ષીણ થતું જતું હતું, બંને ઉંમર ના એક પડાવે પહોંચી ગયા હતા, સમયની થપાટો એ બન્ને ને ભયંકર માંદગી આપી છે, બન્ને શરીર થી અલગ હતા પરંતુ બન્ને નો આત્મા એક હતો, બન્ને નો જીવ એક જ  હતો.. આ સાચું ઠરતું હોય તેમ બન્ને એ એક સાથે જ મૃત્યુ ની ચાદર ઓઢી લીધી, જે નાનો બાળક હતો તે પણ જુવાન થઈ ગયો હતો અને પોતાના ધર્મના પિતા ની જેમ મહાદેવ ની પૂજા અર્ચના કરતો હતો. પુન:જન્મ ની વાત સાચી હોય તો ભૂમલો અને ગૌરી નક્કી બીજા જન્મમાં પણ ફરીથી સાથે જીવવા માટે  પુનઃજીવિત થશે તે નિર્વિવાદ છે.

-- રસિક પટેલ

(M) 9825014063