Group Marriage - A Study books and stories free download online pdf in Gujarati

સમૂહલગ્ન - એક અભ્યાસ

*સમૂહલગ્ન- એક અભ્યાસ*
✍️ સી.ડી. કરમશીયાણી

લગ્ન એટલે પુરુષ અને પ્રકૃતિનું મિલન.સાંસારિક ભાષામાં બે યુવાન હૈયાનાં મિલન નો ઉત્સવ એટલે લગ્ન.
આ લગ્ન એક સમય માત્ર વિધિ ની જ પ્રક્રિયા હશે પરંતુ, સમયના ચક્ર સાથે આ પ્રક્રિયા ,આ પરંપરા
ક્યાંક રૂઢિવાદી સ્વરૂપ પકડવામાં સફળ થયું ..અને પવિત્ર બંધન જેવી લગ્નની વિધિ ક્યાંક દેખાડા ની હરીફાઈ માં સિફત પૂર્વક સામેલ થઈ ગઈ ..અને દરેક સમાજ આ દેખાડા ને ગૌરવ સમજવા લાગ્યો...ત્યારે જેમ દરેક સમયે કોઈ ને કોઈ ક્રાંતિકારી વિચારો ધરાવતા જણ દરેક ક્ષેત્ર માં પેદા થાય છે તેમ આ ખર્ચા ની ખાઈ માં સમાજને ધકેલતી લગ્ન પ્રથા ને કાબુ માં લાવવા સમૂહલગ્નનો વિચાર કોઈક ને આવ્યો અને બહુજ હિંમત માગી લે તેવા કાર્યની,અને હવે કહો કે સામૂહિક લગ્નની પરંપરા ચાલુ થઈ .સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ હતો કે સમાજ ના મધ્યમ વર્ગ ને ભારણ નાં રહે.કારણ કે,ખમતીધર લોકો તો ધામધૂમ થી દીકરા દીકરી નાં વિવાહ ગૌરવ સાથે ઉજવતા . પણ મરો તો મધ્યમ વર્ગનો થતો.ત્યારે આવા સમૂહ લગ્નો કે જે દીકરીના કરિયાવરની ચિંતામાં આખી જિંદગી બોજા તળે દટાઈ ને રહેતો તેવા બાપ ને હૈયે ટાઢક આપનારા સાબિત થાય છે.કેટલાય દાતાઓ,રાજકીય નેતાઓ, ,સામાજિક ક્રાંતિકારી સાધુ સંતો પણ નવદંપતીને આશીર્વાદ આપવા સમૂહ લગ્ન મા હાજરી આપી પ્રોત્સાહિત કરે છે.
પણ એક વાતની નોંધ લેવી ઘટે કે ,સમૂહ લગ્નો નો મુખ્ય હેતુ સાદગી થી લગ્નો કરવા અને ખોટા ખર્ચથી સમાજ ને બચવું તે હતો.પણ,અત્યારે જોતા એવું લાગે છે કે હવે સમૂહ લગ્નો માં પણ ખર્ચાની ભરમાર જોવા મળે છે. એ દાતાઓ તરફથી હોય તો પણ.!
તો રિવાજો માં પણ કોઈ કમી નહી .સમૂહ લગ્નો માં પણ ચૂંદડી ઓઢડવાની, છાબ ભરવાની,મામેરું ભરવા જેવી અનેક પ્રથાઓ એમની એમ છે. એટલું જ નહિ પણ હેવી મેકઅપ થી લઇ મોંઘા સુટ નો આગ્રહ સમૂહલગ્ન મા જોવા મળે છે .તો વળી, સમૂહલગ્ન મા ભાગ લેનાર ઘણી વખત ઘરે તો એટલો મોટો તાયફો કરેજ છે,જે આ સમૂહ લગ્નો માટે લાલ બત્તી સમાન છે.એક અભ્યાસ મુજબ એવું પણ જોવા મળ્યું કે માત્ર ભેટ સોગાદ મેળવવા જ કેટલાક સમૂહલગ્નોમાં જોડાય છે.આ બધી મર્યાદા નાં કારણે સમૂહ લગ્નનો મુખ્ય હેતુ માર્યો જાય છે.હવે તો દરેક સમાજ જ્યારે આ સમૂહ લગ્નને સ્વીકારતો થયો છે ત્યારે ધ્યાન એ રાખવું રહ્યું કે દરેક સમાજ- સમાજ વચ્ચે હરીફાઇ ના યોજાય.
જો હરીફાઈ અને દેખાડો પાછો સમૂહ લગ્નોમાં દેખા દે તો નિરર્થક છે.અહી સાદગી નો અર્થ એવો પણ નથી કે ઉત્સાહ વગર ઉદાસીનતા થી લગ્નોત્સવ કરવો અને ઉત્સવ એ તો સમાજનું અભિન્ન અંગ છે.બે યુવાન હૈયાના મિલનની વાત હોય ત્યારે સમગ્ર અસ્તિત્વ ઉત્સાહમય હોય.પણ એ ઉત્સાહ ભિતરી હોવો જોઈએ.સાદગી ની પણ બાદશાહી હોવી જોઈએ.પણ હરીફાઈ કે દેખાડો એ એનો પર્યાય ના જ હોવો જોઈએ. વળી,કોરોના કાળમાં સહુએ મર્યાદિત સંખ્યામાં લગ્ન કરવાની વાત સ્વીકારી હતી.તો કોરોનામાં જેનું મૂલ્ય સમજાયું એવું ઓકસીજન કે જે વૃક્ષોમાંથી મળે છે,તેનું મહત્વ સમજી સમૂહલગ્નમાંઆયોજકો તરફથી બંને પક્ષોને નિયત સંખ્યામાં વૃક્ષોના રોપા આપી, તેને ઉછેરવાની અપીલ કરીને,એક પર્યાવરણીય પ્રથા પણ પ્રારંભ કરવી જોઈએ.
સામાજિક ક્રાંતિ વાળી આ પરંપરાની આડ અસરોને ઓળખી તેને દૂર કરવી એ સામાજિક ઉત્થાન માટે આવકાર્ય ગણાશે.
અંત માં, સમૂહલગ્નમાં સાદગી માટે તો યુવક યુવતીઓ એ જ આગળ આવવું પડશે. હસ્તમેળાપ વખતે કોડીલા કંથનો હાથ ,મ્હેંદી રંગેલ હાથમાં હોય અને તે છતાં નખના પરવાળા જેવી ચૂંદળી માંથી એક ત્રાંસી નજર ભેટ સોગાદ નાં ભરાતાં કોથળા પર જાય તો લખવાનું મન થાય કે,

ભેટ સોગાદો ને મૂકીએ અભેરાઈએ,
દેખાડાને તો દઈએ દીવાસળી.

સાદગી કેરું મહા માંટલું હૈયે જડિયે,
પાનેતરનાં પાલવે પિયુ નો પ્રેમ ભરીએ

✍️ *સી.ડી.કરમશીયાણી*