Chhappar Pagi - 25 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 25

( પ્રકરણ-૨૫ )

લક્ષ્મી અને એનાં સાસુ પલને લઈને ઘરે પરત આવી જાય છે. પ્રવિણપણ હવે તૈયાર થઈ, ચર્ચા નાસ્તો કરી થોડીવાર પલને રમાડે છે.. લક્ષ્મી કિચનમાં જઈ પ્રવિણનું ટિફિન તૈયાર કરી રહી હોય છે એ દરમ્યાન પલનેરમાડતો રમાડતો પ્રવિણ અંદર જઈ લક્ષ્મીના કાનમાં ધીમેથી કહે છે, ‘મારી દીકરીની મા… થેંક્યુ ફોર એક્સેપ્ટિંગ મી..’

લક્ષ્મીએ થોડો છણકો કરીને કહ્યું, ‘ યુ વેલકમ પલના બાપુ… નાઉ.. આઈ કેન ઓલ્સો સ્પીક લીટલ લીટલ ઈંગ્લીશ.. મારે હવે પલ માટે થોડુંશીખવું પડશે ને..! કાર તો થોડી થોડી આવડી ગઈ છે.. મારા કરતાં તો તેજલબેન સરસ ચલાવે છે.

પ્રવિણનું ટિફિન તૈયાર કરી, લક્ષ્મી એની બેગમાં મુકી દે છે. સાસુ સસરાને નાસ્તો કરાવીને પછી શેઠાણીના ઘરે પલને લઈને બેસવા જાય છે.. ત્યાં પલની પહેલી વર્ષગાંઠ આવે છે તો એ અંગે ચર્ચા વિચારણા કરે છે. ઘરે જ બિલકુલ સાદગીથી વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કરે છે.. પછી શેઠાણી કહે છે કે જન્મદિવસના બે ચાર દિવસ પછી પલના કાન વીંધાવવાની વિધિ કરવી જોઈએ.. તો લક્ષ્મી પૂછે છે કે, ‘એની પણ વિધી હોય છે ?’

શેઠાણી એને કહે છે કે હા… એની પણ વિધિ હોય છે. પછી સમજાવે છે કે, ‘આપણે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામ અને અન્ય રાજાઓના ચિત્રો જોઈએ છીએ ત્યારે એમના કાનમાં કુંડળ અવશ્ય જોવા મળે છે. આ રીતે સ્ત્રીઓના કાનમાં પણ સુંદર આભુષણ જોવા મળે છે. વર્તમાનમાં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન કે ગુજરાત જેવા રાજ્યોમાં પુરુષો પણ કાન વીંધાવે છે. જન્મ પછી એક વર્ષ બાદ કાન વીંધવાની પ્રક્રિયાને‘કર્ણવેધ સંસ્કાર’ કહે છે, એ પણ એક સંસ્કાર છે જેને આપણી સંસ્કૃતિ મૂજબ ઉજવીએ તો સારું..

આ બધી વાત કરી રહ્યાં હતાં એ દરમ્યાન પલ શેઠાણીના ખોળામાંસરસ રમતી રહી હતી.. લક્ષ્મી શેઠાણી સાથે અન્ય જરૂરી વાતચીત કરી ઘરે જવા નીકળે છે અને પછી ઘરે જઈને પોતાની સાસુ અને તેજલબેન જોડે ફોનથી વાત કરી નક્કી થયા મુજબની વાત કરે છે.

જેની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવે છે.. બહુ ઓછા લોકો વચ્ચે ઘરે જ પલની વર્ષગાંઠ ઉજવી, નક્કી થયા મુજબ પલને સાથે લઈને વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ જઈ ત્યાં બધાને પ્રવિણ, લક્ષ્મી અને તેજલબેનપોતાના હાથે ભોજન પીરસી બધાને જમાડે છે.. પછી મંદિર દર્શન કરાવી ઘરે પરત ફરે છે…શેઠાણીની સલાહ મુજબ આ બધી જગ્યાએ ગયા પછી, બધાને ત્યાં મળ્યા એ બધુ ઘરે આવીને વિચારે છે…બન્નેને બહુ જ સારું લાગે છે.. એ લોકોની જિંદગી જોઈને બન્નેને દુ:ખ પણ બહુ જ થાય છે..પણ પછી નક્કી કરે છે કે આપણે દર વર્ષે જવું જ અને વચ્ચે વચ્ચેઅવારનવાર મુલાકાત લઈ એ લોકો માટે જેટલું પણ આપણાંથી થઈ શકે તે કરવું..

એ પછીના ગુરુવારે પલનો કર્ણવેધ સંસ્કાર કરાવે છે. પલ જરા રડી પણ શેઠાણી એના માટે ડાન્સિંગ ડોલ લઈ આવ્યાં હતાં.. એમાં પલ થોડી ગુંચવાઈ ગઈ એટલે પછી તરત શાંત થઈ જાય છે.

આ પરિવારો આ રીતે આનંદથી સંસ્કારો સાચવતા, વડીલોની રોજિંદા જીવનમાં દરરોજ આમાન્યા જાળવતાં જાય છે અને પોતાની વ્યક્તિગત અને કૌટુંબિક આર્થિક અને સામાજિક પ્રગતિ કરતાં જાય છે.. એ રીતે ત્રણ વર્ષ પસાર થઈ જાય છે.

આ ત્રણ વર્ષોમાં શેઠ શેઠાણી ઘણું ફર્યા. અનેક સંસ્થાઓ અને આશ્રમોની મુલાકાતો લીધી.. ખાસ કોઈ બીમારીઓએ પરેશાન પણ ન કર્યા… તેજલબેન અને હિતેનભાઈએ એક્સ્ટ્રા વર્ક અને કરકસરથી બચત કરી હોમલોન લગભગ ચુકવી દીધી હતી તો પણ સારી એવી બચત કરી હતી.. એટલે એ લોકો પણ પ્રવિણના મા બાપુ ને જોડે લઈ પંદર દિવસની જાત્રાએ જવાનો હવે પ્લાન કરે છે..

લક્ષ્મીને સરસ અંગ્રેજી બોલતાં આવડી ગયું છે.. કાર પણ જાતે ચલાવીને ઘરનાં અન્ય કામ એકલી આટોપી લે અને જરૂર પડે, પ્રવિણબહારગામ હોય તો ઓફિસ પર પણ જઈ જરુરી કામ પતાવી આપે એટલી અપડેટ થઈ ગઈ હોય છે.. પ્રવિણે તો આ બે વર્ષોમાં સરસ કમાલ કરી બતાવી.. શેઠની કલ્પના બહાર વ્યવસાયનો વિકાસ કરી બતાવ્યો અને ડો.અભિષેક અમેરિકામાં જેટલું કમાય એના કરતાં તો વધારે અહીંની ઈન્કમ કરી શેઠના ચરણે ધરી બતાવે છે…

પૂનાની જે પાર્ટી ઊઠી ગઈ હતી તે પાર્ટીએ ઉઘરાણીના બદલે મિલકત આપી હતી. તે જ બિઝનેશ મિલકતનો ઉપયોગ કરી ત્યાં ધંધાનું એક્સટેન્શન કર્યુ અને એ જ પાર્ટીને વર્કિંગ પાર્ટનર બનાવી એની જ ગુડવિલનો લાભ લઈ.. પૂના શહેરમાં પણ પોતાની પેઢીનું નામ કરી બતાવેછે.. શેઠની ના હતી એટલે જે તે વખતે શેઠ થોડા નારાજ જરૂર થયા હતા, પણ પછી પ્રવિણે જે રીતે કુનેહથી કામ લીધું અને પૂનામાં ધાક જમાવી એ જોઈને તો શેઠ પણ બોલી જ ગયા હતા.., ‘ વાહ… પ્રવિણ શેઠ વાહ..!’

આ બધુ બને છે.. અને પલ હવે ત્રણ વર્ષ પુરાં કરવાની હોય છે એટલે તેજલબેને ઘરે આવીને કહ્યું કે, ‘આપણે હવે પલની ચૌલક્રિયાકરાવવી જોઈએ… પછી પલ થોડી મોટી થશે અને નર્સરીમાં જશે એ વખતે વાળ ઉતરાવીશુ તો એને નહીં ગમે..

પ્રવિણ આ વિધિથી થોડો અજાણ હતો એટલે પુછે છે એમાં શું કરવાનુ હોય..? એટલે તેજલબેન એને સમજાવે છે કે, ‘ચૌલ સંસ્કારનેચૂડાકરમ સંસ્કાર પણ કહે છે. ચૂડા એટલે માથાના વાળનો સમૂહ. બાળકના જન્મ પછી માથાના બધા વાળ પ્રથમ વખત દૂર કરવામાં આવે છે. આ રીતે મુંડન કરવાની પ્રક્રિયાને ચૌલ સંસ્કાર કહે છે. આયુર્વેદ મતાનુસાર આ સંસ્કાર ત્રીજા વર્ષે કરવામાં આવે છે. વર્તમાનમાં પણ આ સંસ્કાર પ્રચલિત છે. એ માટે મુંડન કરાવવું કે વાળ ઉતારવા જેવા શબ્દો પ્રચલિત છે. આ વિધિ કરીએ તેનાં કારણો પણ છે જ.. આપણી બધી વિધિઓ બિલકુલ તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમ વાળી જ છે..’

આ બધુ સમજાવે છે.. એ દરમ્યાન પલ રમતાં રમતાં થોડું પડી જાય છે.. એટલે બધાનું ધ્યાન હવે તેના તરફ જતું રહે છે.. પણ થોડા દિવસ પછી.. એ ચૌલક્રિયા સંસ્કાર પણ હોંશે હોંશે સંપન્ન કરાવે છે..

એ પછી પ્રવિણે પોતાની ઓફિસ સ્ટાફની મદદથી એના મા બાપુ અને તેજલબેન તથા હિતેનભાઈની પંદર દિવસોની જાત્રાનું સરસ આયોજન કરી, એમને જાત્રા માટે વિદાય આપવા બધા જોડે જાય છે અને સુખરૂપ રવાના કરે છે.