Chhappar Pagi - 71 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 71

છપ્પર પગી ( પ્રકરણ ૭૧ )
——————————

શેઠાણીની બેચેની અચાનક જ આ બદલાયેલ વાતાવરણ ની સાથે અદ્રશ્ય થઈ જાય છે.. મન એકદમ જ પ્રફૂલ્લિત થઈ ઉઠે છે… જાણે ધ્યાનસ્થ થઈ ગયા હોય તેમ એ બન્ને ને કંઈ જ સમજાતું નથી. એ જ સમયે આશ્રમનો સેવકભાઈ દોડતો દોડતો કાર પાસે આવે છે અને કહે છે, ‘રૂકો સાહેબ … રૂક જાઓ જરાં.’
સેવક એકદમ કાર પાસે આવીને કહે છે, ‘મેં આપ કે રૂમ કે બહાર સ્વામીજી કા ઈન્તજાર કર રહા થા…સ્વામીજીને બહાર નિકલકે મુજે અભી અભી બતાયા…કી બહાર જાકે દેખો જરાં… ડોક્ટર સાહબ અભી નહીં નિકલેં હોંગે… તો ઉનસે કહો થોડી રાહ દેખે..સ્વામીજી આ રહે હે આપ લોગોં કે સાથ…!’
શેઠાણી અને અભિષેકભાઈ ઘડીમાં બદલાયેલ આ વાતાવરણને સમજે કે કંઈ વિચારે એ પહેલાં જ સ્વામીજી પોતાનો એક હાથ શેઠના હાથને પકડી બીજો હાથ એમનાં ખભે મુકી આશ્રમના દરવાજે દ્રષ્ટિવંત થાય છે.
અભિષેકભાઈના નિષ્પ્રાણ ચહેરા પર જાણે એક નવું જ ચૈતન્ય આવી ગયુ હોય તેમ, ઝડપથી કારની બહાર પગ મુકીને સામે લેવા માટે ઝડપભેર પગ ઉપાડે છે.
થોડી ક્ષણોમાં તો એ પરીવાર હવે નવનિર્મિત હોસ્પીટલની સન્મુખ ઉભા હોય છે. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આતુરતાપૂર્વક આ લોકોની રાહ જ જોઈ રહ્યા હતા.
સ્થાનિક પંડિતોની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે વિધીપૂર્વક સ્વામીજીને હસ્તે હોસ્પીટલનું લોકાર્પણ થયુ.
નવનિયુકત ડોક્ટર્સ ટીમ તથા સપોર્ટિંગ સ્ટાફ સહિત બધા જ ઉપસ્થિત લોકો હવે વિધીવત રીતે મુખ્ય હોસ્પીટલ બિલ્ડીંગમાં પ્રવેશવા ઈચ્છતા હતા, તો
નવનિયુકત ડોક્ટર્સ ટીમ પૈકી ડો. યશ શાહ ની નિયુક્તિ ચીફ એડમિનીસ્ટ્રેટિવ મેડીકલ ઓફીસર તરીકે કરવામાં આવી હોવાથી મોટા શેઠે ડો. યશ શાહ ને મુખ્ય બિલ્ડીંગની ચાવી અર્પણ કરી અને ડો. યશે પોતાનાં હસ્તે મુખ્ય દરવાજો ખોલી સૌને વિધીવત પ્રવેશ કરાવ્યો.
હોસ્પીટલનું લોકાર્પણ થતાં જ સ્વામીજી, વિશ્વાસરાવજી, પ્રવિણ, લક્ષ્મી, બન્ને ડોક્ટર્સ કપલ… આ સૌનું સ્વપ્ન સાકાર થયું એટલે એમનાં સૌના ચહેરા પર આનંદ, ગૌરવ અને સંતોષનો ભાવ સ્પષ્ટ રીતે છલકતો જોવા મળી રહ્યો હતો.
હોસ્પીટલનું લોકાર્પણ થતાં જ બહાર મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ તેમજ પ્રવાસીઓ સારવાર માટે, દાખલ થવા માટે રાહ જોઈ જ રહ્યા હતા… એ સૌને ડો. યશ શાહ અને ટીમે સ્વાગત કરી , સારવાર શરૂ પણ કરાવી દીધી.
કોઈપણ જાતનાં ઝાકમઝોળ અને પ્રસિદ્ધિની અપેક્ષા વગર બિલકુલ સાદગીથી અને ઓછા લોકોની હાજરીમાં લોકાર્પણ થયુ હોવાં છતાં પણ બે ત્રણ દિવલમાં તો સમગ્ર પંથકમાં હોસ્પીટલની સેવાઓ અંગે ખ્યાતી વિસ્તરી ગઈ હતી અને મોટી સંખ્યામાં દર્દીનારાયણો આ સેવાઓનો લાભ લઈ રહ્યા હતા.
ડો. અભિષેકભાઈ અને એમનાં પત્નિ બન્ને શેઠ અને શેઠાણીને હવે હરિદ્વાર જ શિફ્ટ થઈ જવા આગ્રહ કરે છે. શેઠ અને શેઠાણી માની પણ જાય છે પરંતુ કહે છે કે થોડો સમય મુંબઈ રહી આવે , લક્ષ્મીની સ્કૂલનું પણ લોકાર્પણ થઈ જાય એટલે પછી તરત શિફ્ટ થઈ જશે.
એ બન્ને સ્કૂલનું લોકાર્પણ થઈ જાય પછી તો પ્રવિણ, લક્ષ્મી, તેજલબેન, હિતેનભાઈ આ સૌ કોઈ મોટેભાગે હરિદ્વાર આશ્રમમાં જ મોટાભાગનો સમય વિતાવવાની ઈચ્છા ધરાવતાં હોવાથી બધાનો એક પગ તો હવે આશ્રમમાં જ રહેવાનો હતો.
જે દિવસે હોસ્પીટલનું લોકાર્પણ થયું એ સાંજે હવે બધાં આશ્રમનાં ભોજનાલયમાં એકત્ર થઈ બેઠાં હોય છે… બધા જ લોકો એ દિવસની આખી યાત્રા સંબંધી વાતોમાં મશ્ગુલ હોય છે… પણ ડો. અભિષેકભાઈ બિલકુલ શાંત અને વિચારમગ્ન અવસ્થાએ બેઠા હતા.. શેઠાણી પણ એ જ સ્થિતીમાં હતા. શેઠાણી થાક્યા હોવા છતાં અભિષેકભાઈ પાસે જઈ માથે હાથ ફેરવી હળવેથી પૂછે છે, ‘ તું પણ એ જ વિચારે છે જે સવારથી મારાં મનમાં પણ ભમ્યા કરે છે.? તેં પલ્સ ચેક કર્યા ત્યારે શુ લાગતું. હતું..? હું સ્વામીજીને બોલાવવા ગઈ હતા ત્યારે મને તો કંઈ અઘટિત બની ગયું હોય તેવી જ અનુભૂતિ હતી..!’
‘હા… મા. બિલકુલ મે પલ્સ ચેક કર્યા તો મને પણ…!!
હું ડોક્ટર છું મા … મારી જાત પર વિશ્વાસ કરું કે આ ઘટનાં પર …. મને તો સમજાતું જ નથી હજી… આવી કોઈ શક્તિ હોઈ શકે ? આવું કંઈ બની શકે ખરું..’
‘હશે દિકરા…. હવે કંઈ વિચાર ન કરીશ. આપણે સામાન્ય માણસો છીએ…આપણી ક્ષમતાઓ બહાર , આપણાં વિચારોથી પર અને આપણી જાણકારી થી વિશેષ ઘણું બધુ હોય છે, સંભવે છે અને ઘટે છે બસ આપણે માત્ર સાક્ષીભાવે જોઈ શક્યા એ જ બહુ છે…. પણ આ સ્વામીજી બાબતે તે કંઈ વધારે જાણ્યું ? ‘
અભિષેકભાઈ બોલ્યા, ‘ના મા ખાસ કંઈ જ નહીં પણ એમની પાસે કંઈ દિવ્ય શક્તિઓ હશે એવું સતત મનમાં થયા કરે છે… વિશ્વાસરાવજી પાસે ઘણી વખત બેસી જાણવા પ્રયત્ન કરેલો પણ ખાસ કંઈ જાણવાં ન મળ્યુ. એ પણ મોટેભાગે નિરુત્તર રહે છે અથવા કહે છે સાધુ સંતો ના પૂર્વાશ્રમ બાબતે જાણવા પ્રયત્નો ન કરવો..’
‘હા… સાચી વાત છે.. લક્ષ્મી ને સ્વામીજી બાબતે રજે રજની માહિતી છે…હવે તો આ ઘટના બન્યા પછી મને પણ જાણવાની તાલાવેલી થાય છે..’
આ બન્નેની વાત બાજુમાં બેઠેલી પલ પણ સાંભળતી હતી. અભિષેકભાઈને એમ હતું કે પલ આઈપોડ સાંભળે છે પણ આઈપોડ બંધ હતુ અને પલનું ધ્યાન ત્યાં જ હતું એટલે એણે પણ તરત પુછ્યું, ‘તમે સ્વામીજી વિશે વાત કરો છો ને ? મને પણ કેટલાંયે વખતથી સ્વામીજી વિશે બહુ જ કુતૂહલતા થાય છે… મે મમ્મીને પણ ઘણી વાર પુછ્યુ પણ હંમેશા કહે કે સમય આવ્યે કહીશ … સમય આવ્યે જણાવીશ… પણ ક્યારે એ સમય આવશે ?’

(ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા