સૂબેદાર
- રાકેશ ઠક્કર
અનિલ કપૂર બોલિવૂડનો એવો જાદુગર અભિનેતા છે જેની ઉંમર ભલે વધતી હોય પણ પડદા પરની ઉર્જા હંમેશા યુવાન જેવી જ રહે છે. OTT પર આવેલી ફિલ્મ ‘સૂબેદાર’ (2026) એ 69 વર્ષના અનિલના ચાહકો માટે એક ટ્રીટ છે. તેણે પાત્રમાં જે ગંભીરતા અને ઠરેલપણું બતાવ્યું છે તે જોઈને લાગે કે આ રોલ તેના માટે જ લખાયો હશે.
સામાન્ય રીતે એક્શન ફિલ્મોમાં પાત્રો બૂમો પાડીને કે અતિશય ડાયલોગબાજીથી પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા હોય છે. અહીં અનિલે એક નિવૃત્ત ફૌજીની ગરિમા જાળવી રાખી છે. જો આ ફિલ્મમાં અનિલ ન હોત તો કદાચ વાર્તા આટલી પ્રભાવશાળી લાગી ના હોત. તેનું પર્ફોર્મન્સ જ સરેરાશ સ્ક્રિપ્ટને પણ ઉચ્ચ સ્તરે લઈ જાય છે. ટ્રેલરમાં તોડફોડ એક્શન જોવા મળ્યું હતું. ફિલ્મ તેનાથી પણ દસ ડગલાં આગળ નીકળી ગઈ છે. અનિલે એવું કામ કર્યું છે જે એનાથી અડધી ઉંમરના હીરો પણ કરી શકતા નથી. આજે જ્યારે ૨૫-૩૦ વર્ષના કલાકારો એક્શન સીન માટે બોડી ડબલ કે ભારે CGI નો સહારો લેતા હોય છે, ત્યારે આ ઉંમરે અનિલ કપૂર જે રીતે જાતે સ્ટન્ટ્સ અને દોડધામ કરે છે તે ખરેખર આજના યુવાનો માટે ‘ફિટનેસ ગોલ્સ’ થી ઓછું નથી.
ફિલ્મની વાર્તા એક ડાર્ક મર્ડર મિસ્ટ્રીથી શરૂ થાય છે. જ્યાં નદીની રેતીમાંથી બાળકોના કંકાલ મળી આવે છે. આ શહેર પર 'દીદી' (મોના સિંહ) નું શાસન છે. જે જેલની અંદર બેસીને પણ આખા શહેરને પોતાની આંગળીના ટેરવે નચાવે છે. દીદીનો ભાઈ, જે આદિત્ય રાવલે ભજવ્યો છે તે બહાર રહીને લોકોની આંગળીઓ તોડવામાં અને લોહીની નદીઓ વહાવવામાં માહિર છે. આ ભયાનક વાતાવરણમાં જ્યારે ‘સૂબેદાર’ અર્જુન સિંહની એન્ટ્રી થાય છે ત્યારે સિસ્ટમ અને ગુંડાઓ વચ્ચેનો જંગ વ્યક્તિગત બની જાય છે. સૂબેદારનું પાત્ર એક એવા સૈનિકનું છે જે ગોળી ખાવા તૈયાર છે પણ પોતાની ઈજ્જત સાથે ખીલવાડ કે ગાળ સહન કરવા તૈયાર નથી. જ્યારે એક ફૌજી જાગે છે ત્યારે તે ભૂલી જાય છે કે સામે દુશ્મન કોણ છે.
વાર્તા થોડી જાણીતી અને અનુમાનિત છે. અમુક દ્રશ્યોમાં મેલોડ્રામા થોડો વધારે પડતો લાગે છે. જે કદાચ આજના સિનેમાના ચાહકોને થોડો લાંબો લાગી શકે. વિલનનું પાત્ર થોડું વધારે મજબૂત હોત તો ટક્કર જોવાની મજા કંઈક અલગ જ હોત. છતાં ફિલ્મમાં જે સામાજિક સંદેશ આપવાનો પ્રયત્ન થયો છે તે પ્રશંસનીય છે. જેમને ઈમોશનલ એક્શન ડ્રામા ગમે છે તેમના માટે આ એક સારી પસંદ બની શકે છે. તેમાં પિતા અને પુત્રીના સંબંધોનો એક ઊંડો ઈમોશનલ એન્ગલ પણ છે. સૂબેદારની પોતાની પુત્રી જ તેની સૌથી મોટી દુશ્મન છે. કારણ કે તે માને છે કે તેની માતાના મૃત્યુ માટે તેના પિતા જવાબદાર છે. પિતા અને પુત્રી વચ્ચેના જે સંબંધો આ ફિલ્મમાં વણાયેલા છે તે કથાનો આત્મા છે. આ ભાવનાત્મક પાસું ફિલ્મને માત્ર એક એક્શન મૂવી બનતા અટકાવે છે અને તેને એક અલગ ઊંચાઈ આપે છે.
ફિલ્મનો પ્લોટ કંઈક અંશે જૂની ક્લાસિક એક્શન ફિલ્મોની યાદ અપાવે છે. જ્યાં એક ઈમાનદાર માણસ આખી સિસ્ટમ સામે બાથ ભીડે છે. અહીં નિર્દેશકે તેને આધુનિક સમયના તડકા-છાંયડા સાથે રજૂ કરવાનો સારો પ્રયાસ કર્યો છે. કોઈ અશ્લીલ દ્રશ્ય કે નાચ-ગાન નથી. ફક્ત ડાર્ક સિનેમા અને ઘણી બધી હિંસા છે તેથી પરિવાર સાથે જોઈ શકાય એવી છે.
સૌરભ શુક્લા, મોના સિંહ અને ફૈઝલ મલિકે સહકલાકાર તરીકે પોતપોતાની ભૂમિકાને સારો ન્યાય આપ્યો છે. પરેશ રાવલના પુત્ર આદિત્યએ એક ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવી છે. તે પડદા પર ભયની એક અનોખી ભાવના ઉત્પન્ન કરે છે. પણ જો અનિલ સામે શારીરિક રીતે કોઈ વધુ મજબૂત વિલન હોત તો ફિલ્મની અસર દસ ગણી વધી ગઈ હોત. છતાં ક્લાઈમેક્સમાં આવતો એક કેમિયો આખી ફિલ્મના અંતને સંભાળી લે છે અને દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે. આ ફિલ્મ મગજથી વિચારવા કરતા એક્શન માણવા જેવી છે. જે પૂરેપૂરી ‘વન મેન શો’ અનિલ કપૂર પર ટકેલી છે.