Tari yadna padgha books and stories free download online pdf in Gujarati

તારી યાદના પડઘા

તારી યાદના પડઘા

અનુક્ર્મણીકા

૧.તારી યાદના પડઘા

૨. સંગીત - એક સંજીવની

૩. ઐશ્વર્ય

૪. ભૂલો

તારી યાદના પડઘા

વ્હાલી પ્રિયજન,

આજે આપણે બંને પાસપાસે હોવા છતાં કેટલા દુર છીએ એ તો આજે જ સમજાયું. આજે જયારે તે મને મારા પુછેલા પ્રશ્નનો ઉત્તર ના આપ્યો ત્યારે મને ખુબ દુઃખ થયું.

છેલ્લા થોડા વર્ષોમાં હું જોઈ શકી છું કે, તને મારી રીતભાત, મારું વર્તન, મારી જીવનપદ્ધતિ બિલકુલ પસંદ નથી. તું મને પરાણે સહન કરતી હોય એવું લાગે છે. છેલ્લા થોડા વર્ષોથી તું મારી સતત ઉપેક્ષા કરતી હો એવું મને અત્યારે લાગી રહ્યું છે.

કદાચ તે લીધેલા નિર્ણયો મારા હિતમાં પણ હોય શકે એવું પણ બની શકે. હું નથી જાણતી કે, તું મારી સાથે આ બધું ક્યાં કારણ થી અને શા માટે કરી રહી છો? અને જાણવા પણ નથી માંગતી.. મારી દ્રષ્ટીએ આ કદાચ મારા માટે અન્યાય હોઈ શકે પરંતુ તારી દ્રષ્ટીએ તે અન્યાય ના પણ હોય.

એક વાત હું તને ચોક્કસ જણાવી દઉં કે હું મારી જીવનપધ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા ઇચ્છતી નથી અને એ તું સારી રીતે જાણે છે. કોઈ ઈચ્છે તો પણ નહીં. તું ખુબ સારી રીતે જાણે છે કે મને મારા જીવનમાં કોઈની પણ દખલગીરી પસંદ નથી. અને એમાં તારો પણ સમાવેશ થાય છે.

તારું વર્તન મારા પ્રત્યે ગમે તેટલું કઠોર હોય પરંતુ હું તો તને આજે પણ ચાહું છું. અને હમેશા ચાહતી રહીશ. તું કદાચ મને નફરત કરતી હોય અથવા નાપસંદ કરતી હોય પણ હું તો હમેશા તને પ્રેમ કરતી જ રહીશ.

તું જયારે પ્રેમની તલાશમાં નીકળે ત્યારે મારી પાસે અચૂક આવજે. મારી પાસેથી તને એ જરૂર મળી રહેશે. એવો હું તને આજે વિશ્વાસ આપી રહી છું. અને હા, હું વિશ્વાસ નિભાવવામાં માનું છું. વિશ્વાસઘટ કરવામાં નહીં. આમ તો તું મને જાણે જ છે. મારે વધુ કઈ કહેવાની જરૂર પણ નથી છતાં કહેવાય જાય છે. શું કરું?

તું કદાચ મારી પાસેથી કઈક અપેક્ષા રાખતી હોઈ શકે પરંતુ હું કદી પણ તારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતી. કારણ કે, કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો. આપણી અપેક્ષા જ વધારે હોય છે. આથી જ મેં હવે બધા લોકો પાસેથી અપેક્ષા રાખવાનું જ બંધ કર્યું છે.

આશા છે, આ પત્ર દ્વારા તું મારા હૃદયની વ્યથા સમજી શકીશ. તારા પ્રત્યુતારની બિલકુલ અપેક્ષા નથી રાખતી. કારણ કે, મેં પહેલા જ કહ્યું કે, મેં હવે અપેક્ષા રાખવાનું જ છોડી દીધું છે.

બસ એ જ,

લિ.

તારી યાદના પડઘા

સંગીત-એક સંજીવની

સંગીત વિનાની દુનિયા કેવી હોય? કલ્પના કરો. નિરર્થક! નકામી!! સંગીત વિનાની દુનિયા તો કદી હોય જ ના શકે. સંગીત તો જીવનની ભાષા છે. જીવનનો ગ્રંથ છે. અરે! જીવનની સંજીવની છે સંગીત.

સંગીતમાં એક તાકાત છે. અજબ શક્તિ છે. મનુષ્યને જીવાડવાની. શાસ્ત્રોમાં પણ સંગીતનું મહત્વ અવર્ણનીય છે. બાળકના જન્મ સાથે પણ સંગીત જ સંકળાયેલું છે. બાળકનું જન્મ પછીનું પ્રથમ રુદન એ સંગીત નહીં તો બીજું શું છે?

સંગીત થી તો અનેક રોગીઓની પણ સારવાર કરી શકાઈ છે. સંગીત એટલે જ જીવનની જડીબુટ્ટી.. ઘણી વખત આપણે જે હાવભાવથી વ્યક્ત નથી કરી શકતા એ સંગીત માત્ર વ્યક્ત કરી શકે છે. અને એનો તો આપણને બધાને અનુભવ છે જ. પછી એ ફિલ્મો હોય, ધારાવાહિક હોય કે પછી નાટક. પ્રસંગને અનુરૂપ સંગીત એમાં વહેતું જ રહે છે. સંગીત એટલે જ જીવનનો જાદુ. સંગીત એટલે નવરસનો રસથાળ.

ભગવાનની પ્રાર્થના, ભજન, આરતી એ બધામાં પણ સંગીત જ છે ને!!! ઈશ્વરને પણ આપણે સંગીત દ્વારા જ ભજીએ છીએને!!

નૃત્યમાં સંગીત છે, આપણા હર એક સ્પંદનમાં પણ સંગીત છે. પનીહારીની પાયલમાં પણ સંગીત છે. હાથોમાં ખનકતી બંગડીઓમાં પણ સંગીત જ છે ને! મંદિરના ઘંટમાં પણ સંગીત છે, કોયલના ટહુકામાં પણ સંગીત છે. અરે! આપણા રોમ રોમમાં સંગીત છે.

સંગીતથી જ આપણું રોમરોમ પુલકિત થઇ ઉઠે છે. સંગીત એટલે જ સંજીવની. સંગીત એટલે જ જીવનની અનમોલ જડીબુટ્ટી.

ઐશ્વર્ય

હેલ્લો સખા,

આ બધી કવિતાઓ હું કોના માટે લખું છું? તમારા માટે જ તો. તમને હું જે કહેવા ઈચ્છું છું એ કહી નથી શક્તી એટલે તો કવિ છું. કવિતા લખું છું જેથી તમે એ વાંચી શકો. અને મારા હૃદયની વ્યથાને સમજી શકો. અને જલ્દીથી અહીં પધારો.

ભલે મેં તમને જોયા હોય કે ના જોયા હોય પણ હું તમને ઝાંખું છું. એમાય જો મોસમનો પહેલો વરસાદ પડ્યો હોય અને એવા વાતાવરણમાં તમે અહીં આવો તો તો ધનભાગ્ય અમારા. એ દિવસની હું અત્યંત આતુરતાપૂર્વક રાહ જોઇશ.

હું તો ઈચ્છું છું કે આપણી પહેલી મુલાકાત મોસમના પહેલા વરસાદમાં જ થાય. ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય અને આપણે અચાનક ક્યાંક ભેટી જઈએ તો?? આહ !!! શું કહેવું? સમજાતું નથી. કઈ ખબર પડતી નથી. શબ્દો નથી મળતા કહેવા માટે. એ દિવસ માટે જ તો હું આટલા અઢાર અઢાર વર્ષથી તડપું છું. કાશ! હવે એ દિવસ જલ્દી આવી જાય.

મોસમનો પહેલો વરસાદ આવે અને આપણું પણ પહેલું મિલન થાય. વાહ!! કુદરતનું એ ઐશ્વર્ય પણ કેવું સુંદર હશે? કુદરતની એ કળા કહું કે કરામત? કેવો સુંદર દિવસ હશે એ? જયારે તમે આવશો ને હું તમારી રાહ જોતી બેઠી હોઈશ. અને પછી પળ બે પળ ... અને તમે આવશો. હું એકદમ પ્રફુલ્લિત થઇ જઈશ. મારું મન આનંદમય થઇ જશે.

ભૂલો

યૌવનના ઉન્માદમાં અમે પણ ક્યારેક ભૂલો કરી હતી. કેટલીક ભૂલો એવી હોય છે કે , એ કરી નખાય પછી એને કોઈ સુધારી નથી શકતું. અમે પણ આવી જ કેટલીક ભૂલો કરી હતી પણ અબ પછતાયે હોત ક્યાં? એટલે એને ભૂલી જવામાં જ અપની ભલાઈ છે એમ માનીને વર્તન કરવું.

ભૂલો દરેક મનુષ્યથી થાય જ છે. પરંતુ અમુક ભૂલો એવી હોય છે કે, જે મનુંષ્યનો જીવનભર પીછો છોડતી જ નથી. એ વ્યક્તિ જીવે ત્યાં સુધી એને સતાવ્યા કરે છે. આવી જ કેટલીક ભૂલો અમે પણ જીવનમાં કરી હતી. પણ ખરું જ કહેવાયું છે ને કે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર.

હું તો કહું છું જયારે આવી ભૂલો સતાવે ત્યારે કવિતા લખવી જોઈએ એ સૌથી ઉત્તમ રસ્તો છે દર્દ પર માલમ લગાડવાનો. તમે કવિતા થાકી તમારી ભૂલો જગતના લોકો સુધી પહોંચાડી શકો છો અને કદાચ એનાથી તમને ફાયદો પણ થાય અને ઘા પર લગાવવાનું યોગ્ય માલમ મળી પણ જાય.

કવિતા દરેક દર્દની દવા છે એમ માનીને જ કવિતા લખવી, વાંચવી અને માણવી. ખરી જરૂર હોય છે કવિતાને વાંચવાની નહીં પરંતુ માણવાની. કવિતા એ તો માણવાની વસ્તુ છે. વાંચવાની નહીં. અને જેને કવિતાને માનતા આવડ્યું એને જીવનને નાણતા આવડ્યું.

યૌવનના ઉન્માદમાં

અમે પણ કેટલીક ભૂલો કરી હતી

અમે પણ કદીક કોઈને ચાહ્યા હતા

આખા જગતને કહી શક્ય આ વાત

માત્ર એમણે જ ન કહી શક્યા

જેમના પ્રત્યે અનુરાગ હતો.!!