Saraswati Chandra - Part 3 - Ch. 8 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 8

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૮

મલ્લરાજ અને તેનાં રત્ન

મલ્લરાજની ચિઠ્ઠી બ્રેવ ઉપર ગઇ તે દિવસ એ રજપૂત રાજાએ અનેક વિચારો અને ચિંતાઓમાં ગાળ્યો. પરદેશીને કાઢી એ મ્લેચ્છોના હાથમાંથી આખો દેશ દેશીઓને હાથે પાછો આવવાનો સમય આવે તેવે કાળે મ્લેચ્છો સાથે સંબંધ બાંધ્યો. પ્રસિદ્ધ થશે તેની સાથે નાતજાતમાં, રજવાડાંઓમાં, અને દેશવિદેશમાં અપકીર્તિ થવાની એ નક્કી, ક્ષત્રિય રાજાને એ અપકીર્તિના વિચારથી ત્રાસ પડ્યો. પણ કાર્યસિદ્ધિનો વિચાર થતાં, ભવિષ્યનો વિચાર પાછો ઉદય પામતાં, આ ત્રાસ શાંત થયો. આ ત્રાસ અને આ શાંતિ મલ્લરાજને વારાફરતી થકવવા લાગ્યાં.

ચિઠ્ઠી બપોરે મોકલી હશે. છેક સંધ્યાકાળ વીતતાં એનો એક દૂત આવ્યો અને દૂતની સાથે રાજાનો પ્રિય ભાયાત સામંત આવ્યો. આ કાળે રાજા પોતાના વિશાળ ખંડમાં ગાદીતકિયે બેઠો હતો અને અકે હુક્કાની મોટી નળીમાંથી ઘડી ન હતું. એક હાથમામં હુક્કાની નળી તો બીજામાં તરવારની મૂઠ, અને એકમાં મૂઠ તો બીજામાં નળી, એમ વાંરવાર હાથની અદલાબદલી થતી હતી. દૂત અને સામંત જોયું નહીં. થોડીક વાર વાટ જોઇ સામંત બોપી ઊછ્યો :

‘મહારાજ, હવે જે વિચાર કરવો હોય તે કરો. કાનપુર આગળ જંગ મચ્યો છે. ફતેહપુરના જડજ સાહેબ ઉપર ફોજગદારી ચલાવી તેના શરીરના કટકે કટકા કરી લોકમાં વેર્યાં. કંપની સરકારનું રાજ્ય ગયું !’

મલ્લરાજે ઓઠ પીસ્યા : ‘જડજ એ લોકના બ્રાહ્મણ તેને બાયલાઓએ માર્યાં ! - જડજ સાહેબ અમથા પકડાયા કે બેચારને મારીને ?’

‘માર્યા વગર કોઇ અંગ્રેજ પકડાય છે ?’

‘જેના બ્રાહ્મણ એવા છે તેના રજપૂત સાથે લડતાં કેવો વખત આવશે ? વારુ, તેના શરીરના કટકા લોકમાં વેરનાર તે રજપૂત હતો કે બીજો કોઇ ?’

‘રજપૂત કોઇ દિવસ મડદાં માથે વેર રાખે છે ?’

મલ્લરાજ જરાક આડો પડ્યો, નળી મોમાંથી છેટે નાંખી, અને બોલ્યો : ‘હં ! ત્યારે રજપૂત થઇને આવા અધર્મીઓના પાસામાં પેસતાં શરમ નથી આવતી ?’

‘મહારજ, મને ખબર નહીં કે તમે એટલામાં અંગ્રેજના થઇ ગયા હશો. જે થવું હોય તે થાવ પણ તાત્યાટોપીનાં માણસો રત્નનગરીથી વીશ ગાઉ ઉપર પડ્યાં છે ને તેમનો ઉપરી સંદેશો કહાવે છે તે આ આપણો દૂત કહેશે.’

દૂત સમાચાર કહેવા લાગ્યો :

‘મહારાજ, રત્નનગરથી વીશ ગાઉને છેટે આજ સાંજે તાત્યાટોપીનાં ત્રણ હજાર માણસનો કાફલો આવી પડ્યો છે. પાછળ બીજાં માણસ આવશે એમ કહેવાય છે. વસ્તી પાસે માણસોને વાસ્તે અન્ન અને ઘોડાઓને વાસ્તે ચંદી માગે છે. લીધેલા માલના પૈસા આપે છે, ને કહે છે કે અમે વસ્તીને હેરાન કરવા નથી આવ્યા પણ અમને ખાવાનું પૈસા આપતાં નહીં મળે તો જોરથી મફત લઇશું. સવારના પહોરમાં આપણા નગરની હદમાં આવી પડશે એમ લાગે છે.’

‘બીજું કઇ ?’ મલ્લરાજે ઉતાવળથી પૂછ્યું.

‘ના, જી. પણ એ લોકો એટલું કહેતા સંભળાય છે કે અમે અમારા દેશી રાજાઓની મિત્રતા ચાહીએ છીએ, અને જે દેશીઓ પરદેશીને આશ્રય આપે છે તે રાજ્ય સર કરીએ છીએ.’

‘બહુ સારું. તું પાછો જા, અને તેમની હિલચાલ જોતો રહેજે. મધ્યરાત્રે તેમ પાછલી રાત્રે એમ બે વખત તો તેમના સમાચાર અવશ્ય મળવા જોઇએ.’

‘જેવી આજ્ઞા’ કહી દૂત ગયો. મલ્લરાજ ઊભો થયો રહેજે. સામંતને કહ્યું : ‘સામંત, અત્યારે ને અત્યારે આ નગરીમાં હોય એટલા સર્વ ભાયાતોને અને સેનાધ્યક્ષને એક ઘડીમાં બોલાવી લાવ.’

સામંત વિચારમાં પડ્યો. મલ્લરાજ અધીરો થઇ બોલ્યો : ‘કેમ વિચારમાં પડ્યો ? આ કાળ વિચારનો નથી. બને તેટલી ત્વરાથી નિર્ણય કરવો જરૂરનો છે.’

‘મહારાજ ! તાત્યાનો સરદાર આપણી સાથે લડવા નથી આવ્યો, આશ્રય માગવા આવ્યો છે.’

‘ને આશ્રય ન મળે તો લડવા આવ્યો છે.’

‘પણ આશ્રય આપવામાં કાંઇ વાંધો છે ?’

‘તે વિચાર પછી થશે. સૌને અભિપ્રાય લઇશું. હાલ તો લડવાને સજ્જ થવામાં આળસ કરવાનું નથી. તરત ! જા !’

સામંતે મલ્લરાજના મુખ સામું જોયું, જોઇ રહ્યો, પ્રથમ પગ ઉપાડતાં વાર લગાડી, પછી પાછો ફરી ત્વરાથી બહાર નીકળી ચાલ્યો.

મલ્લરાજે એકદમ જરાશંકરને તેડવા માણસ મોકલ્યું - માણસને આજ્ઞા થતાં પહેલાં જરાશંકરે બારણેથી અંદર આવવા આજ્ઞા મંગાવી. મલ્લરાજ આજ્ઞા આપતાં આપતાં પ્રસન્ન થયો અને બોલ્યો : ‘શકુન તો સારા થાય છે. વાહ, જરાશંકર, વાહ ! શી ચિંતા કરનારો પ્રધાન ! તું નક્કી આટલા વાસ્તે જ આવે છે ! - પણ મારા ઘરમાં પાટ પડવાની બીક છે. મેં કંપની સરકારનો સાથ ઇષ્ટ ગણ્યો છે - સામંત અને એવા બીજાઓને ઊલટી વાત ઇષ્ટ છે. યુદ્ધ કરવાને પ્રસંગે પાસવાનો વિરોધી થાય તે ખોટું. તેનો ઉપાય કરવો પડશે. રજપૂતના મુખમાંથી શબ્દ નીકળ્યો તે નીકળ્યો. કંપની વાસ્તે લડવું ને કંપનીને વાસ્તે મરવું-કરેલો ઠરાવ ને બોલેલું વચન યોગ્ય હો કે અયોગ્ય હો - એ વિચાર હવે કરવાનો નથી - મલ્લરાજના મુખમાંથી વચન નીકળી ચૂક્યું - મેરું ચળે ને સમુદ્ર માઝા મૂકે પણ મલ્લરાજનું વચન ન ફરે. યુદ્ધ થવાનું નક્કી !’ યુદ્ધનો વિચાર ચમકતાં મલ્લરાજને ક્ષાત્ર ઉત્સાહ ચડ્યો. એના પગ ફાળ મારવા તત્પર થઇ રહ્યા, ઓઠ ઉત્સાહથી સ્ફુરવા લાગ્યા, અને જમણો હાથ તરવાર અને તેની મૂઠ ઉપર નૃત્ય કરી રહ્યો.

જરાશંકર અંદર આવ્યો. તેની સલામ થતાં પહેલાં મલ્લરાજે તેને ખભે હાથ મૂક્યો.

‘કેમ શરાશંકર, યુદ્ધનો પ્રસંગ આવ્યો ?’

‘મહારાજ, તે તો આપના હાથની વાત છે.’

‘પણ આપણે વિચાર કરી નિર્ણય કરી ચૂક્યા છીએ.’

‘હા જી, પણ આપના ભાયાતોનો વિચાર જુદો છે.’

‘તેમને કોણે વિચાર કરાવ્યો ?’

‘જેનો સ્વાર્થ હોય તેણે. આપની અને સામંતની વચ્ચેની કથા પ્રસિદ્ધ થઇ ચૂકી છે. યુદ્ધ કરવું એ તો નક્કી છે. આપનો વિચાર દેશીઓ સાથે યુદ્ધ કરવાનો છે, ભાયાતો ધારે છે કે પરદેશીઓ સાથે કરવું. ભાયાતોના આશ્રય વિના સેના ક્યાં છે ?’

મલ્લરાજ કેડો પર બે હાથ જઇ ખડખડ હસી પડ્યો : ‘તેં મારા ભાયાતોને હજી ઓળખ્યા નથી. પણ મલ્લરાજે કરેલો વિચાર અને બોલેલો બોલ પાછો ફરે એમ નથી - તે વિષે કાંઇ વિચારવાનું જ નથી - હવે શું કરવું તે બોલ.’

‘મહારાજ, સામંતને આજ્ઞા કરી છે તે સૌને બોલાવી લાવે તે સૌ આવે એટલે ભેગા મેળવી અભિપ્રાય પૂછશો તો એક જ અભિપ્રાય આવશે અને તે આપને ભારે પડશે. માટે સૌને જુદા જુદા એકાંતમાં બોલાવી જેનો અભિપ્રાય જુદો પડે તેને -’

‘નજરકેદ રાખી અથવા મહેલમાં કેદ રાખી બીજાઓને સાથે લઇ બંડખોરો ઉપર ચડી જવું ?’

‘ક્ષમા ! મહારાજ ! એ મારો મન્ત્ર - રાજા અને પ્રધાન - સ્વામી અને સેવક - નું હ્ય્દય કેવું એક છે ?’

‘મહારાજ, આ પ્રસંગ સૂક્ષ્મ છે - હાસ્યનો નથી.’

‘નથી તો કરી દઇશું. જરાશંકર, સર્વ વિચારને પ્રસંગે તારું કામ; કાર્યભારના વિચાર૧ તેમ આચાર ૨ ને પ્રસંગે તારું કામ. આજ આપણે કરેલા વિચારનો૧ આચાર૨ યુદ્ધપ્રસંગે કરવો પડે ત્યાં તારું નહીં પણ ક્ષત્રિયનું કામ. હવે જે ચતુરંગ૩ રમવાનો છે તે બાજી આગળથી તું ખસી જા, મને રમવા દે, અને તું માત્ર જોયાં કર. મારા ભાયાતો આવે પ્રસંગે મારી મૂછના ‘બાલ’૪ છે તેમને હું આમળો કેમ દઉં છું અને વળ કેમ ચડાવું છું તે જોયાં કર. મલ્લરાજ પોતાના ભાયાતોને દગો નહીં દે - કેદ નહીં કરે. એ મારા પાણીદાર તેજવાળા ઘોડા છે - તે મારી સવારી કેમ નિભાવે છે - તે જોવાનું જોજે.’

થોડી વારમાં એક પછી એક ભાયાતો અને રજપૂતો આવી ગયા અને મલ્લરાજની ગાદીની આસપાસ આખા ખંડમાં વીરાસન વાળી સર્વ શૂરાઓ બેસી ગયા. મલ્લરાજની ગાદી ઊંચી હતી. તેના તકિયા પાછળ જરાશંકર બેઠો હતો. તેની પાછળ મોટી મશાલો લઇ બે હજામો ઊભા હતા; તે મશાલો આગળ ખંડમાંના બેચાર દીવા ઝાંખા થઇ ગયા. મશાલોનો પ્રકાશ મલ્લરાજની સામે બેઠેલા સર્વ મંડળનાં ઉશ્કેરાયેલાં અને આતુર મુખો ઉપર પડી તે મુખોવાળા રજપૂતોના અંતર્વિકારનું મલ્લરાજના હ્ય્દયમાં ભાન કરાવતો હતો. થોડી વાર સર્વ મંડળ સ્તબ્ધ થઇ ગયું. રાત્રિના શૂન્ય મૌનમાં૧ સર્વ વીરોનું સગર્ભ મૌન ભળ્યું. મલ્લરાજે તે મૌન તોડ્યું.

‘ભાઇઓ !’ રાજાને મુખે માત્ર યુદ્ધપ્રસંગે જ ‘ભાઇ’ સંબોધન નીકળતું અને તે ભાયાતો આગળ જ ઉચ્ચારાતું. આ સંબોધનના સર્વ સંસ્કારો તેમના હ્ય્દયમાં જાગી મલ્લરાજ ઉપર શૂરવીરોની પ્રીતિ, આતુરતા અને યુદ્ધસમયની રાજભક્તિની ધારાઓને તેમનાં ક્ષાત્ર લોચનોમાંથી છોડ્યા લાગ્યા. હ્ય્દયમાં ક્ષાત્ર વિકારોનું બીજ રોપતાં મસ્તિકમાં ઘેરથી ભરી રાખેલો વિચારસંગ્રહ ભુલાઇ જવા લાગ્યો. મલ્લરાજે વાગ્ધારા ચલાવી :

‘ભાઇઓ, યુદ્ધનો પ્રસંગ આવ્યો છે. સામંત સમાચાર લાવ્યો છે કે તાત્યાટોપીનાં માણસ રત્નનગરી પાસે આવી પડ્યાં છે - મલ્લરાજ તેમનાથી ડરી જઇ તેમની સાથે મળી જવા માગતો નથી. એ આજકાલના લૂંટારાઓ સાથે સૂર્યવંશનું તેજ ભળવાનું નથી. ભાઇઓે, રત્નનગરીના સૂર્યવંશી નાગરાજે સૂર્યવંશી શ્રીરામજીના સૂગ્રીવજી સાથે કળજુગમાં સંધિ કરેલો છે, અને રત્નનગરીમાં બાપનો બોલ દીકરો તોડવો નથી અને રાજાનો બોલ ભાયાત તોડતા નથી. નાગરાજનો દીકરો મલ્લરાજ ને મલ્લરાજના ભાયાત તમે. આમાં તમારે મને પૂછવાનું નથી ને મારે તમને પૂછવાનું નથી. નાગરાજનો બોલ હું પાળીશ ને મમારો બોલ તમે મારા ભાઇઓ પાળશો એમાં વિચારવાનું શું ને પૂછવાનું શું ? માટે ઊઠો, ને બાઇડીઓ જેવાનાં ટાયલાં ને વાણિયા જેવાના વિચાર સાંભળવા પડતા મૂકી પોતપોતાના રસાલા લેઇ બે ઘડીમાં પાછા આવો, અને ધન્ય દહાડો ધન્ય ઘડી કે યુદ્ધ પાસે આવે છે ત્યાં ઘોડાઓને મારી મૂકીએ અને તલવારો અને બંધૂકોને શત્રુનાં શરીર પર રમાડીએ. ઊઠો, મલ્લરાજની મૂછના વાળ ! ઘણે વર્ષે આ યુદ્ધનો વારો આવે છે ને રજપૂતની લક્ષ્મી તમને શત્રુના લોહીના ચાંલ્લા કરવા એ લોહીમાં બાળેલા હાથ ઊભા રાખી, ઊભી રહી છે !’

બીજાને ઉશ્કેરવા બોલોત બોલતો મલ્લરાજ જ પોતાના બોલથી ઉશ્કેરાઇ ગયો, ઊભો થયો અને મ્યાનમાંથી તરવાર કાઢી કોઇને મારવા જતો હોય તેમ ઊંચી કરી, બોલ્યો : ‘ચલો, ભા ચલો -’

તે ઊભો થયો તેની સાથે સૌ મંડળ ઊભું થયું અને તેની પેઠે ઉશ્કેરાયું. એક જણે બૂમ પાડી : ‘ખમા મહારાજા મલ્લરાજને !’ સર્વના વિચાર વેરાઇ ગયા અને રાજભક્ત શૂર પૂરુષો રાજાના વચનને પાળવા ઉત્સાહથી રાજમંદિરના દ્ધારની બહાર ચાલવા લાગ્યા.

અંદર માત્ર મલ્લરાજ અને જરાશંકર રહ્યા. દ્ધાર સુધી સૌની પાછળ જઇ સામંત પાછો વળ્યો. તેના મુખ ઉપર પરસેવો વળ્યો હતો, તેની આંખો લાલચોળ થઇ હતી, અને તેને શૌર્ય ચડ્યું કે ક્રોધ ચડ્યો હતો તે કળવું કઠણ થઇ પડ્યું. પણ તે મલ્લરાજ પાસે બોલી શક્યો નહીં.

મલ્લરાજે પૂછ્યું : ‘કેમ સામંત, શા વિચારમાં પાછો પળે છે ?’

શરીરે કોપ પણ શબ્દમાં નરમ પડી સામંત બોલ્યો : ‘મહારાજ, બહુ વસમું કર્યું. સૌના અભિપ્રાય લેવા તેમને તેડવા મને મોકલ્યો હતો મેં એમ જાણ્યું ન હતું કે આપ એકદમ આજ્ઞા આપી બેસશો ! - મહારાજ ! ઘણું સાહસ થયું. લોખંડના ભારે પાંચશેરા ફેંકવામાં આવતા હોય તેમ સામંતના સબ્દ અચકાઇ અચકાઇ ધીમે ધીમે પણ અત્યંત ભાર સાથે એક પછી એક નીકળ્યા.

મલ્લરાજે તને શાંત પાડવા માંડ્યો : ‘સામંત, ધીરો પડ. ચાલ, બેસ, અને જરા શ્વાસ ખા.’

સૌ બેઠા. સામંતે ઉત્તર ન દીદ્યો. આડું જોઇ રહ્યો. મલ્લરાજ તેને મનાવવા લાગ્યો.

‘સામંત ! બહુ વિચાર કરી કામ કર્યું છે. મારી ખાતરી છે કે મારું કારણ જાણીશ ત્યોર તું મને ખરો કહીશ. પણ ધાર કે આપણા મત જુદા પડ્યા તો તું તારા મત પ્રમાણે વર્તશે કે મારા મત પ્રમાણે ? કહે, વારું, ખરો ઉત્તર દે કે તારા ઉપર મારો અધિકાર કેટલો તે જણાય. જો, તારી રાજભક્તિ ઉપર - તારી પ્રીતિ ઉપર - મારો અધિકાર ન હોય તો તો તારા ઉપર આજ્ઞા ન કરતાં મારા મતનું ખરાપણું તને સમજાવું.’

સામંતનું શરીર તેમ મન આ શબ્દોથી કેવળ શિથિલ બની ગયું. મલ્લરાજના મુખ આગળ પળવારમાં તે ગરીબ ગાય જેવો થઇ ગયો અને તેને ખોળે પાઘડી ઉતારી બોલ્યો :

‘મહારાજ, ક્ષમા કરો મારો અપરાધ. આપની આજ્ઞા નહીં પાળું તો કોની પાળીશ ? અરેરે, મારો અભિપ્રાય ગમે તે હોય પણ આપની આજ્ઞા જણાયા પછી જો હું એ અભિપ્રાયને અનુસરું તો આપની આજ્ઞા ભંગ કરનાર આ રાજદ્રોહિ શિરનો છેદ થવો જોઇએ.’

વળી હાથ જોડી બોલ્યો : ‘મહારાજ, હવે તો આજ્ઞા આપો તો સર્વ મંડળ આપની આજ્ઞા પાળવા ગયું છે તેમાં હું પાછળ ન પડું.’

‘વાહ, મારા વહાલા સામંત, વાહ ! તું મારા રાજ્યનો મહાન સ્તંભ છે, મારી સેનાના મુખનો અગ્રણી હાથી છે. હું તને આજ્ઞા આપીશ. જ દશરથનો બોલ રામજીએ પાળ્યો ને રામજીનો બોલ લક્ષ્મણજી ને ભરતજીએ પાળ્યો તેમ નાગરાજનો બોલ હું પાળું ને મારો બોલ તું પાળે એ સૂરજકુળનો અસલ મહિમા છે.’

‘મહારાજ આજ્ઞા આપો - શા વાસ્તે મારી ભક્તિ દેખાડવાના સમયમાં વિલંબ કરો છો ?’

‘સામંત, મારા કરતાં તું ચાર વર્ષ મોટો છે. દુર્યોધનને ત્યાં ભીષ્મપિતામહ હતા તેમ મારે ત્યાં તું છે. તારી ભક્તિ પર જેવો મારો વિશ્વાસ છે તેવો જ તારા અભિપ્રાય ઉપર પણ છે.’

સામંત કંપવા લાગ્યો - તેણે પોતાને કાને હાથ મૂક્યા - પછી મલ્લરાજને પગે મૂક્યા : ‘ખમા ! ખમા ! - મહારાજ ! ક્ષમા કરો ! આપ દુર્યોધનની પેઠે અધર્મની આજ્ઞા આપો એવો લેશમાત્ર પણ મને સંશય હોય તો મને બ્રહ્મહત્યાનું પાપ - આ પ્રધાનજી જેવા શુદ્ધ બ્રાહ્મણના સમક્ષ સોગન ખાઉં છું.’

‘જરાશંકર, દુર્યોધનને કર્ણ પ્રધાનતુલ્ય હતો અને મારો તું તો પ્રધાન જ છે; તારા સોગન સામંત ખાય ત્યારે કેમ ના કહેવાય ?’ મલ્લરાજે હસતાં હસતાં હુક્કો પાસે લીધો.

સામંત વધારે ગભરાયો. ‘હરિ ! હરિ ! મહારાજ ! મને પ્રત્યક્ષ શિક્ષા કરી હોત તો હું પ્રાયશ્ચિત્ત જેવી ગણત, પણ આ બહુ વસમી પડે છે. સત્ય બોલું છું; જરાશંકરે આપને અભિપ્રાય આપ્યો હશે, આપે તે સ્વીકાર્યો હશે, અને મારાથી તે જુદો હશે, તોપણ હે ગૌબ્રાહ્મણપ્રતિપાળ, એ અભિપ્રાય ધર્મને અનુસરીને જ હશે એવો મને વિશ્વાસ છે - દઢ વિશ્વાસ છે. વળી બીજું એ બ્રાહ્મણે મારા શિરચ્છેદનો અભિપ્રાય આપ્યો હોય ને આપે સ્વીકાર્યો હોય તોપણ રાજ્યનો મંત્રી રાજાને માર્ગ બતાવે તેટલા સારુ એ મંત્રીને દૂરથી પણ ભય દર્શાવે તે ગરાસિયો રાજાની થાળીમાંથી રાજાના પ્રસાદરૂપ મળેલો ગ્રાસ નથી ખાતો પણ ધૂળ ફાકે છે. મહારાજ, મેં જરાશંકરના સોગન ફૂડકપટથી નથી ખાધા.’

મલ્લરાજ પ્રસન્ન થયો. ‘સામંત, હું તારા ઉપર પ્રસન્ન છું. પણ મારા વિચારનું કારણ જાણીને જા.’

‘મહારાજ ! મારો અભિપ્રાય વિરુદ્ધ હોવા છતાં, આપની આજ્ઞાનું કારણ રજ ન જાણવા છતાં, મારા રાજા અને તેના મંત્રીના મંત્ર તોડવાની જરી પણ વાસના ન રાખતાં, એ મંત્રના ફળરૂપ આપની આજ્ઞાને અંતઃકરણથી પાળું તો મારી રાજભક્તિ પૂર્ણ ફળવાળી થાય, માટે હવે મને આજ્ઞા જ આપો અને તે દઢ શ્રદ્ધાથી પળાયેલી જ જુઓ. એ મહાકૃપા મારા ઉપર કરો.’

મલ્લરાજ સામંતને ભેટી પડ્યો. ‘જા બાપુ, જા. જ્યાં સુધી તારા જેવાં રત્ન રત્નનગરીમાં પાકે છે ત્યાં સુધી - તું જે મહાકૃપા મારી પાસે માગે છે તેથી અનેકધા અધિક-મહાકૃપા મારા પર ઇશ્વર રાખે છે.’

રાજાની બાથમાંથી છૂટી સામંત પ્રસન્ન ચિત્તે રાજમંદિરના દ્ધારમાંથી નીકળ્યો.

‘જરાશંકર, જોયાં, આ મારી રત્નનગરીનાં રત્ન ? મેં તને પ્રધાનપદ આપ્યું છે તે એટલા માટે કે આવાં આવાં મારાં રત્નોની પરીક્ષા તું કરી રાખે અને જે કાળે હું મારા પૂર્વજોના ભેગો સ્મશાનગામી થઇ ગયો હોઉં તે કાળે મારા પુત્રને આ પુરુષરત્નોની પરીક્ષા કરતાં તું શીખવે. પરદેશમાં પુરુષરત્નો હોય તે આ નગરીમાં વસાવવાં અને નગરીને અધિક રત્નવાળી કરવી આવશ્યક છે, તો પછી આ નગરીમાંનાં રત્નો શોધવાનું ભુલાય તે તો ખમાય જ કેમ ? જે રત્ન ઉપર મેલ હોય તેને શુદ્ધ કરવાં, તેમનું તેજ આગળ આણવું, તેમનું મૂલ્ય વધારવું, એ આ રાજ્યના રાજાઓની કળા છધે તે તું જાતે શીખજે, તે મારા વારસને શીખવજે, અને તેને એવો પ્રધાન આપજે કે જે આ કળા જાણે અને શીખે. બીજું, સાંભળ. પ્રાતઃકાળે યુદ્ધ થાય ને આ દેહ રણમાં પડે તો મારા મનના મનોરથ જાણનાર બ્રાહ્મણ આયુષ્યમાન હશે તો કોઇ દિવસ રત્નનગરીનો ઉદ્ધાર કરશે, માટે બે બોલ સાંભળી લે. આવે કાળે ક્ષત્રિયો અંતરના મર્મ ઉઘાડે છે કે મનની મનમાં રહી જાય નહીં.’

જરાશંકરની આંખમાં આંસુ આવ્યાં. મલ્લરાજે બોલવા માંડ્યું :

‘જો. આ બ્રાહ્મણ-ક્ષત્રિય-વર્ણો પરાપૂર્વથી ચાલે છે તેમાં એક લાભ છે. યુદ્ધનું માહાત્મ ક્ષત્રિયોમાં અને જ્ઞાનનું બ્રાહ્મણોમાં રાખ્યું છે. ક્ષત્રિયોનું કામ મરવાનું ને બ્રાહ્મણોનું જીવવાનું. જેમ કેટલાંક ઝાડને કાપો તેમ વધે છે તેમ ક્ષત્રિયો મરે તેમ તેનાં સંતાન શૂરાં થાય છે - જેમ જયશિખરીની પાછળ વનરાજ થયો. એક શરીરનું બીજ મૂક્યું તો ત્યાંથી બીજું શરીર ઊગે છે, પણ જ્ઞાન અને કળાનાં બીજ રોપાતાં નથી. જ્ઞાન અને કળાઓ તો અગ્નિહોત્રના અગ્નિ પેઠે વંશપરંપરા અખંડ જાળવી રાખવાના છે. રાજાઓ મરે ત્યારે રાજવિદ્યા અને યુદ્ધિવિદ્યા નાશ પામે તો પાછળની પ્રજા શું કરે ? અને રાજાઓ ન મરે તો ક્ષત્રિયોને માથે જીવનપ્રિય રાજાઓ રહે તેને ક્ષત્રિયો માન કેમ આપે ને બાયલા કેમ ન ગણે ? રાજાને યુદ્ધમાં યમ સાથે લડતો જોઇ ક્ષત્રિયોની રાજભક્તિ અને શૂરતા તીક્ષ્ણ થાય છે. માટે રાજાએ યુદ્ધને મંગળરૂપ ગણવું. હવે રાજા મરે તો તેની રાજવિદ્યા અને શાસ્ત્રમાં નિષિદ્ધ ગણ્યો તે આવાં આવાં જ્ઞાનનાં બ્રાહ્મણ મંત્રીઓને કરવા. બ્રાહ્મણોનો વધ શાસ્ત્રમાં નિષિદ્ધ ગણ્યો તે આવાં આવાં જ્ઞાનનાં બ્રાહ્મણરૂપ અક્ષયપાત્ર સાચવવાને માટે અને અખિલ લોકના કલ્યાણને માટે. જો દ્રોણાચાર્યની શસ્ત્રવિદ્યા અને ચાણક્યની રાજવિદ્યા. ચાણક્ય હતો તો ચંદ્રગુપ્ત સર્વ વિદ્યા શીખ્યો અને મ્લેચ્છોને કંપાવી શક્યો. રાજબીજને પણ બ્રાહ્મણમાળી જોઇએ છે અને મહાન અનુભવ વિના વિદ્યા સતેજ થતી નથી. માટે રાજાએ મંત્રીઓને સ્થળે બ્રાહ્મણો રાખવા, તેમને મહાન પ્રસંગોના અનુભવી કરવા, અને તેમનું આયુષ્યરત્ન જાળવવું : એ રાજાઓનું કામ તે મારા પુત્રને શીખવજે.’

‘બીજું, બ્રાહ્મણે ઠેકાણે બ્રાહ્મણ, ક્ષત્રિયને ઠેકાણે ક્ષત્રિય, અને વૈશ્યને ઠેકાણે વૈશ્ય, વગેરે વાતમાં વાંધો ન પડે. વળી જો, હવે કાળ બદલાશે અને વર્ણાશ્રમના ધર્મ નાશ પામશે એ પણ નક્કી છે. પણ આનો અર્થ ઊંધો ન સમજીશ. અસલ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણપણું કરતો હતો તે બંધ થશે અને ક્ષત્રિયોના દીકરા અંગ્રેજી રાજ્યમાં લડવા નહીં પામે એટલે, આશ્રમ તો નાશ પામ્યા છે જ પણ, વર્ણાચાર પણ નષ્ટ થશે. તે કાળે સમય જોઇ વર્તતા શીખજે અને શીખવજે. તું ગમે તે કરશે પણ બ્રાહ્મણમાં શુદ્ધ ક્ષત્રિયપણું આવવાનું નથી અને ક્ષત્રિયોમાં શુદ્ધ બ્રહ્મત્વ આવવાનું નથી; વિશ્વામિત્રે બ્રહ્મર્ષિ થતાં તેનાથી પોતાનો સ્વભાવ તજાયો નહીં તેની વાત જો; અને પરશુરામની ભૂમિમાં જન્મેલા બ્રાહ્મણ પેશવાઓ યુદ્ધમાં લડ્યા, પણ એમનો ક્રમ જો - પ્રથમ સ્વામીદ્રોહ, પછી પરસ્પરદ્રોહ, અને છેલ્લો પ્રલયકાળ રાજદ્રોહી રાઘોબાનો પૌત્ર આ નાનાસાહેબ આજ વર્તાવવા ઊભો થયો છે તે ભસ્માસુરની પેઠે પોતાનો હાથ પોતાને જ માથે ન મૂકે તો મને સંભારજે. એ પોતાના લાભ સારુ લડે છે, ક્રૂરપણે વર્તે છે, પણ ક્ષત્રિયોના ઉદાર અને ઉદાત્ત ધર્મ તેને આવડવાના નથી ને તેના વંશમાં કોઇને આવડ્યા નથી. બ્રહ્મરત્નોને ઠેકાણે બ્રહ્મઅંગારાઓ હાલ દેખાય છે. માટે તારે સર્વ વર્ણોમાં હલકા કાંકરા, કોયલા, અને અંગારા હોય તેને ઉત્તેજન ન આપવું - ત્યાં વર્ણાચાર નાશ પામવા સૃજેલો છે તે અટકાવવા મિથ્યા પ્રયત્ન ન કરવો. પણ બુદ્ધિની અને હ્ય્દયની પરીક્ષા કરી બ્રહ્મરત્ન, ક્ષત્રિયરત્ન, અને વૈશ્યરત્નોને ખૂણેખાંચરેથી, દેશપરદેશથી, શોધી કાઢી મારી નગરીમાં યથાશક્તિ ભરજે અને પેલા કાંકરા, કોયલા જેમ દૂર જાય તેમ કરજે. એ રત્નો એકઠાં કરી તેમાં તેમના વર્ણ પ્રમાણે વિવેક કરજે. જરાશંકર, રાત થોડી ને વેશ ઘણા છે. મારા વારસને આ શીખવજે.’

બારણે એકઠા થતા વીરોના સ્વર સંભળાવા લાગ્યા.

‘જરાશંકર, એક વાત ભૂલી ગયો છું તે સાંભળ. રત્નો આ નગરીમાં ભેગાં કરવાં કહ્યું તેનો અર્થ અવળો કરીશ નહીં. જો, કેટલાંક રત્ન આપણે ઘેર સારાં; ને કેટલાંક આપણે ઘેરથી પરઘેર ગયાં જ શોભે. પુત્રરત્ન ઘેર સારું - તેમ ક્ષત્રિયરત્ન ઘરનું સારું; પરદેશીનો વિશ્વાસ નહીં, હોં ! કદી આ વાત ચૂકીશ નહીં. કન્યારત્ન પરઘેર દીપે - તેમ આ રાજ્યનાં બ્રહ્મરત્નનું તેજ પરરાજ્યમાં તપવા દેવું - ઘેર બેઠે બુદ્ધિ કટાય, અનુભવ ઓછો થાય, આળસ વધે, નિઃસ્પૃહીપણામાં ને નિષ્પશ્રપાતપણામાં ખામી આવે, ઘરકૂકડીપણું થાય, પરસ્પર-વિગ્રહી સ્વભાવ થાય, અને આપણા નાના રાજ્યમાં સારાં રત્નની અછત થઇ જાય ને પરરાજ્યનાં મોટાં રત્ન આણીએ ત્યારે આપણા દેશી કાંકરા અદેખાઇ કરે તે સહેવી પડે, અથવા તે અદેખાઇનો પ્રસંગ ન આણીએ તો મૂલ્યવાન રત્નોને જે દ્રવ્ય આપી મહાન લાભ મળવાના તેટલું જ દ્રવ્ય ઘરનાં કાંકરા પાછળ ખરચી લાભને ઠેકાણે અનેકધા હાનઓ પામવાની થશે. મહાપ્રસંગે બુદ્ધિવાળાં અનુભવી માણસો વગર ચલાવવું પડશે અને રાજ્યને ધક્કાનો અને પ્રજાને જુલમનો વારો આવવાનો - અધિકારીઓને નીમતાં અને ઉત્તેજન આપાતં આ વાત સરત રાખજે. તેઓ નાતે ગમે તે હશે પણ અસલ જે કામ બ્રાહ્મણો કરતા તે કામ તેમને હાલ કરવાનું છે; તે કામ કરવાની તેમની યોગ્યતા વિચારજે, અને વધારજે, અને આપણાં રાજ્યનાં માણસો નીમી તેમને એકલહથ્થા વાણિયા - ઘરમાં સિંહ અને બહાર શિયાળ - થવા દઇશ નહીં. અને એ કામ સારુ જે રત્ન વસાવે તેમાં સતત રાખજે કે એવાં રત્નો તો

‘જ્યું જ્યું પરભૂમિ સંચરે, મૂલ મોઘેરાં થાય.’

મારા પ્રધાનોએ આવું હાટ માંડવું અને તેમાં ચતુર વણિવ્યાપારીની કળા વાપરવી.

‘બસ. હવે અવકાશ નથી. પણ આ સૌ મારા વારસને શીખવજે. મને હવે મારા યુદ્ધાનંદમાં પડતાં પહેલાં અને યુદ્ધને અર્થે રત્નનગરીનો ત્યાગ કરતાં પહેલાં એ મારી વહાલી રત્નનગરીના ઉપર વહાલનો છેલ્લો ઉમળકો આણવા દે અને તેને સારુ રત્નનગરીના નામ શાથી પડ્યું તે મંગળ શ્લોક બોલી બતાવ - ઝટ.’

જરાશંકર શ્લોક બોલવા લાગ્યો :

મલ્લરાજે આકાશ ભણી હાથ જોડી ઉદ્‌ગાર કર્યો : ‘હે માતા રત્નનગરી આ તારા સુંદરગિરિમાં, તારાં અરણ્યોમાં, તારા મહાસાગરમાં, તારાં પેટે ચાલનારાં અને પગે ચાલનારાં પ્રાણીઓમાં, તારાં રાજ્યોની જડચેતન લક્ષ્મીમાં સર્વત્ર તું રત્નની ખાણો ને ખાણો રાખે છે - તેની કીર્તિને મલ્લરાજના વંશજો અને તેમના અધિકારીઓ અને પ્રજાઓ કદી ઝાંખ લગાડે નહીં એવું તારું સદ્‌ભાગ્ય હો અને એ સદ્‌ભાગ્ય સિદ્ધ કરવા આજનાં તારાં નરરત્ન યુદ્ધમાં ચડશે ત્યાં ઇશ્વર સહાર્ય થાઓ !’

આ વચન નીકળે છે તેવામાં સામંતને આગળ કરી યુદ્ધસામગ્રી સજી સર્વ ભાયાતો હારબંધ રાજમંદિરમાં આવ્યા, અને સામંત મલ્લરાજના પગ આગળ તરવાર મૂકી બોલ્યો : ‘ઇશ્વર સહાય થાઓ ધર્મરાજ મલ્લરાજને ! મહારાજની આજ્ઞા ઉપાડવા સર્વ ભાઇઓ શિર સજ્જ કરી ઊભા છે અને રંક સામંતને મુખે આજ્ઞા માગે છે.’

મલ્લરાજ આનંદપ્રફુલ્લ થયો અને બોલ્યો : ‘ધન્ય છે, સામંત, તારી અને સૌ ભાઇની પ્રીતિને અને ભક્તિને ! જ્યાં સુધી તમારા જેવા ભાઇ રત્નો પેઠે પ્રકાશશે ત્યાં સુધી રત્નનગરીને કોઇનો ભય નથી. સામંત, આજ મારો સેનાપતિ તું, અને આજના યુદ્ધનો યશ તને આપું છું. તને મારો આશીર્વાદ છે. કાર્તિકસ્વામી ઇન્દ્રની આજ્ઞાથી અસુરો સામે ચડતા તેમ મારી આજ્ઞાથી આપણા ભાઇઓની ફરી પગ મૂકે નહીં એવું કર. વહાલા અને શૂરા ભાઇઓ, પ્રાતઃકાલ પહેલાં સર્વ કાર્ય આટોપી આવો અને સામંતને પૂરો આશ્રમ આપજો. સામંત, મને ઘડીએ ઘડીએ સમાચાર કહાવજે - આવ, મને ભેટી દેવા દે.’

પોતાને મળેલું માન, પોતાના ઉપર રાજાએ રાખેલો વિશ્વાસ અને અત્યારે રાજાનું પ્રેમાલિંગન : એ સર્વથી સામંતની આંખોમાં ઉપકાર અને આનંદનાં આંસું આવ્યાં. સર્વ ભાઇઓની સાથે રાજાએ હાથ મેળવ્યાં, અને એક એકે સૌ ગયા.

‘જરાશંકર ! જોજે, ભાઇઓ, અધિકારીઓ, સેના અને આખી પ્રજા, તેમનાં અંતઃકરણનો પ્રેમ અને તેમના આશીર્વાદ - એ સિવાય રત્નનગરીના રાજાઓને અધિક બળ અને અધિક યત્ન કશામાં નથી. એ અમારો પરાપૂર્વનો ઇતિહાસ હતો તે વાત તેં આજ દૃષ્ટિએ જોઇ, અને મારે પુત્રપ્રાપ્તિ થાય તો પુત્રને મારો આ સંદેશો પહોંચાડજે, અને મારા તરફથી કહેજે કે હિન્દુસ્તાનનું સામ્રાજ્ય અંગ્રેજ કરો કે બીજા કોઇ કરો પણ જ્યાં સુધી મારો આ પરાપૂર્વનો કુળાચાર જાળવવા જેટલી મારા વારસોમાં શક્તિ હશે ત્યાં સુધી તેમનો વાંકો વાળ નહીં થાય અને હાથ બદલાશે પણ તેમનું રાજ્ય નહીં બદલાય !’

ભાયાતો ઉપર અને તેમાં મુખ્ય કરી સામંત ઉપર રાજાએ દર્શાવેલો વિશ્વાસ અને પ્રેમ અને તેના બદલામાં તેમણે અર્પેલી ભક્તિ જોઇ જરાશંકર સ્તબ્ધ થઇ ગયો હતો તે આ વચન સાંભળી ગળગળો થયો, તેના નેત્રમાં પાણી ભરાયું, અને હાથ જોડી ગદ્‌ગદ કંઠે બોલ્યો :

‘મહારાજ, હું અપરાધી આપની શિક્ષાને પાત્ર થયો છું. આ ભાયાતોનો નિરોધ કરવા મેં આપને સૂચના કરી હતી તે દુષ્ટ હતી એમ હવે મને લાગે છે. અરેરે ! આ રાજભક્ત પુરુષોને વાસ્તે જો આપે જ સદ્‌ભાવ ન બતાવ્યો હોત તો મારા વચનથી દુષ્ટ ફળ થાત. મહારાજ, આપના મહાન અંતઃકરણે સામંતને જે શિક્ષા કરી તેનું દષ્ટાંત આ ક્ષુદ્ર જીવથી ભુલાય એમ નથી. મરાઠાઓને આપ ગર્ભચોર કહો છો તે તો જગત જાણે છે; પણ આપના જેવા ગર્ભમહારાજનું મહારાજત્વ જોઇ મારું હ્ય્દય દ્રવે છે, આનંદ પામે છે, અને તેમની સેવાના પ્રસંગથી અભિમાન ધારે છે. સૂર્યવંશી મહારાજા, આપના શબ્દેશબ્દ હું આ હ્ય્દયમાં કોતરી રાખીશ અને આપના અનુયાયીને પહોંચાડીશ. પણ આપ એ સંદેશો કહાવવાનો પ્રસંગ અત્યારે શાથી કલ્પો છો ?’

મલ્લરાજે હાસ્ય કર્યું : ‘જરાશંકર, રાજા અને પ્રધાનો અન્યોન્યના અંકુશ છે. રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્ધારા એકભાવે રહેનાર રાજા રાખે છે. આ કાર્યમાં પિતા, પુત્ર, પૌત્ર આદિ સર્વ રાજાઓને એક જ પુરુષ રાજા ગણેલો છે. તે કદી મસ્તો નથી અને એક યુગના રાજમંત્ર બીજા યુગને પહોંચાડે છે. તે રાજ્ય ઉપર કુટુંબભાવ રાખે છે. પણ રાજા, આસપાસના દેશોમાં ચારે પાસ વધેલાં અનુભવ અને વિદ્યામાં, પહોંચી વળતો નથી અને તેથી તેને તે સર્વ વિદ્યાનુભવ પામેલા પ્રધાનો સાથે જોડાવાની જરૂર છે - જેમ દીકરો માબાપની સ્વગૃહની કન્યાને અગ્રાહ્ય ગણી પરગૃહની કન્યા સાથે જોડાય તો જ ધર્મ પ્રવર્તે છે. ભાષાતોને દુઃખ દેવું જેમ અનિષ્ટ છે તેમ તેમને પ્રધાનપદ આપવું પણ રાજ્યને અનિષ્ટ છે. પરગૃહની કન્યા સાથે સ્વગૃહનો પુત્ર જે મંત્ર કરે તે કાંઇ ઓર જ થાય છે અને તે જાણવાનો તેમ તેમાં વચ્ચે પડવાનો અધિકાર માતાપિતાને કે બંધુઓને નથી, તેમ જ રાજા અને પ્રધાન વચ્ચના મંત્ર પ્રત્યે મારા ભાયાતોના ધર્મ સમજવા. જરાશંકર, જેમ પુત્ર માવડિયો થાય તો તેને કન્યાના ભણીથી અંકુશ વાગવો ધર્મ સમજવા. જરાશંકર, જેમ પુત્ર માવડિયો થાય તો તેને કન્યાના ભણીથી અંકુશ વાગવો ધર્મ્ય છે તેમ રાજા અયોગ્ય રીતે કુટુંબવત્સલ થાય તો પ્રદાને તેના સામો અંકુશ ધરવો જ જોઇએ. તારી સૂચના કેવળ સધર્મ હતી; માત્ર ફેર એટલો હતો કે મારા ભાઇઓનો સ્વભાવ હું જ જાણતો હતો અને તારું ઇષ્ટ ફળ મારી વત્સલતાથી જળવાય એમ ચલાવવી. આપણે બે પરસ્પરની ભૂલો સુધારવા બસ છીએ. તું જો કે આ ભાઇ હવે અધિક શૌર્યથી, સંભાળથી, અને ચતુરાઇથી યુદ્ધ કરશે - મારે ઠેકાણે તેમને મોકલ્યા તેથી તેમના મનમાં વધારે કાળજી રહેશે. સામંતે ભૂલ કરી તેનું એ ઇષ્ટ ફળ. મને વિશ્વાસ છે કે પ્રાતઃકાળ પહેલાં એ જીતીને પાછા ફરશે, પણ યુદ્ધના પ્રસંગ અનિશ્ચિત્ત છે. મારે પણ જવું પડે તો તને કંઇ કહેવાનો અવકાશ ન મળે. જૂની વાતોમાં એવું આવે છે કે યુદ્ધમાં ચડતા પહેલાં અસલના યોદ્ધાઓ પુત્રહીન ગૃહિણીને ગર્ભાધાન કરાવી ઘોડે ચડતા હતા કે તેમનું મૃત્યુ થાય તો તેમના શૌર્યનું બીજ કાળે ઊગે. જયશિખરીએ સગર્ભા રાણીને વનમાં શત્રુ ન પહોંચે ત્યાં મોકલી દીધી હતી. એ જ પ્રણાલિકાએ હું મારો સંદેશારૂપ ગર્ભ - તું મારો બ્રાહ્મણ પ્રધાન તેના અંતઃકરણમાં - મૂકું છું તે ગર્ભનું પોષણ કરજે. સ્ત્રીબ્રાહ્મણ વધને પાત્ર નથી અને ક્ષત્રિયોના વધપ્રસંગે અવધ્ય સ્ત્રી-બ્રાહ્મણનાં અંતરમાં સંતાડેલ ગર્ભ જીવી શકે છે, વધી શકે છે, અને કાળે કરીને પ્રકટ થાય છે. જો, કોણ આવે છે ?’

પોતાનો દૂત આવ્યો અને બોલ્યો :

‘મહારાજ, તાત્યાટોપીની સેના પડી છે તેના બે સરદાર મારી સાથે નગરને પાદર આવ્યા છે. આપને મળવા ઇચ્છે છે. આજ્ઞા હોય તો પાદરની ધર્મશાળામાંથી તેડી લાવું - અભયવચન આપી લાવ્યો છું.’

‘જાતે કેવા છે તે ?’

‘એક મરાઠો છે. અંગ્રેજી ભણેલો છું એમ કહે છે. બીજો વૃદ્ધ દક્ષિણી બ્રાહ્મણ છે ને કહે છે કે શાસ્ત્ર ભણેલો છું ને ગુજરાતી રજવાડામાં રહેલો છું અને હરદ્ધારથી સેતુબન્ધ રામેશ્વર સુધી ને જગન્નાથપુરીથી દ્ધારકા સુધી યાત્રાઓ કરી આવેલો છું.’

‘એમની સાથે બી માણસ છે ?’

‘હા.’

‘કેટલાં છે ?’

‘બે જ, એક હિન્દુસ્તાની સિપાહી છે ને બીજો મુસલમાન છે.’

‘તું જા. હું જમી રહીને તેડવા મોકલું એટલે લાવજે.’ દૂત ગયો.

‘જરાશંકર, સામંતની સેના કૂચ કરી જાય તે પછી આ લોકને તેડવા મોકલજે. એમને અભયવચન આપ્યું છે, એમની સેનાને નથી આપ્યું.’

‘જરાશંકર ઊભો થયો.’

‘જરાશંકર, કંપની સાથે સંબંધ બાંધવો કે નહિ તેમાં તારી બુદ્ધિ મને કામ લાગી છે. ભાયાતોની વાતમનાં મારી બુદ્ધિ ચાલી છે. આ લોક આવે ત્યારે પહેલાં તું આવજે - આમાં આપનું બેનું કામ પડશે.’

‘જેવી આજ્ઞા.’ જરાશંકર ગયો. ભોજનની આજ્ઞા થઇ. રૂપેરી થાળ અને પ્યાલાઓમાં મલ્લરાજનું સાદું પણ સ્વાદિષ્ટ, તાજું અને બલિષ્ટ ભોજન આવ્યું તે જમવા બેઠો. માણસો ગયાં. સામી માત્ર રાણી બેઠી. નેત્રને પ્રસન્ન કરે એવાં વસ્તોર પહેરી બળવાન ઊંચા બાંધાની યૌવનમદની ભરેલી, શૃંગારમાં લડાક, સ્ત્રીધર્મમાં કુલીન અને પ્રવીણ, આનંદભરી, ઉચ્ચરસથી ઊભરાતી ક્ષત્રિયાભિમાનિની મહારાણી મધુરર અને કોમળ પણ સ્થિર વચન બોલતી બેઠી.

‘કહો, મારાં મેનારાણી, આજ શી નવાજૂની છે ?’ અન્ન મુખમાં મૂકતા પહેલાં મલ્લરાજે પૂછ્યું.

‘મહારાજ પ્રાતઃકાળ પહેલાં યુદ્ધે ચડે છે એવી વાત કાને આવી છે તે વાત ખરી હોય તો એક શયનભાગિનીને તે જાણવાનો અધિકાર હશે ખરો ?’

મલ્લરાજ હસવા લાગ્યો. ‘કોણ જાણે, હોય ખરો ને ન યે હોય. રાજાઓને રાણીઓ. તેમાં રણભૂમિ સૌથી સુહાગણ. તેનું તેડું આવશે ત્યારે બીજી રાણીઓને પડતી મૂકવી પડશે. એ રાણી તમને કહેવા જેટલો અવકાશ આપશે તો કહીશું ને તમારી પાસે આવવા દેશે ત્યારે આવીશું.’

‘સત્ય છે. આપ જેવો રણભૂમિ સાથે શૃંગારવાસના ન રાખો ત્યારે બીજુું કોણ રાખે ? મહારાજ, એ રાણીને મહેલ પધારો ત્યારે તો આપના શસ્ત્રાલંકાર પહેરાવવાનો અમને અધિકાર.’

‘હા-હવે હું હાર્યો. તમે તમારો અધિકાર સિદ્ધ કર્યો ખરો. તો લો, કહું છું - આપણી સેના લઇ સામંત ચડી ગયો છે ને મારે ચડવા વારો આવશે કે નહીં તે નક્કી થશે ત્યારે તમને કહીશ - જવું પડે તો રાત્રિએ ગમે તે કાળે જવું પડે. લો, વધામણીમાં આ દૂધભાતનો સાકરકોળિયો’ રાજાએ રાણીને કોળિયો ભરાવ્યો, રાણીએ લજ્જાવનત મમુખે ભર્યો, કોળિયો ભરાવતાં ભરાવતાં સ્વામીએ અચિંત્યો કપોલદેશે હસ્ત ફેરવ્યો. પતિના દાક્ષિણ્યથી આનંદપ્રફુલ્લ રોમાંચિત રાણીએ સાામો કોળિયો ભરાવ્યો.’ ભોજન કરી શૃંગારવીર રાજાએ હાથ ઝાલી અગાશીમાં લીધી. ત્યાં મધ્યાકાશમાં ચન્દ્રાર્ધબિમ્બ રાજાના હસ્તભાગ પર અઠીંગાયેલા ઢંકાયેલા વાંકા પડેલા મેનારાણીના મુખ પેઠે એકાંતરમ્ય વિહાર વિલસતું હતું. રાણીના નેત્રમાંથી જલપ્રવાહ જતો જતો રાજાના હાથ પર પડતો ગયો તેમ તેમ રાજા તેને છાતીસરસો દાબતો ગયો. વધારે વધારે રોતી રોતી પતિ વિના બીજું કોઇ ન સાંભળે એમ નીચે પ્રમાણે ગાવા લાગી અને પોતાની ધડકતી છાતી દાબી રાખવા રાજાના બલવાન. ભુજમંડળને ભાનશૂન્ય ખેંચવા લાગી :

‘રજપૂતાણી જાતની રે ! થારું૧ કઠણ કાળજું થાય,

રણશૂરો થારો૨ રણ ચડે ત્યારે આંખડી ભીની ન થાય ! - રજપૂતાણી

ભેટી લે નાથને બાથમાં, વીરરત્ન ચડે પરદેશા,

તારે કંઠે છે આજની રાત એ, કાલ રણભૂમનો ભૂંડો વેશ. - રજ૦

ભૂમિ આંસુ પડે આજ, ઘેલડી ! તો તો માનશકુન થઇ જાય,

કહ્યું ન કરે ભૂંડી આંખડી, એનાં આંસુ વહે કંથ ન્હાય - રજ૦

જીતીને આવજો, કંથજી ! વાટ જોતી સમારીશ સેજ,

પાછે પગલે ન આવશો નાથજી, કુળદેવીની આશિષ છે જ. રજ૦

રણે રાાતી કરશો પિયુ આંખડી, ઘેર રાતી આંખે રોશે નાર,

રણજંગ ભણી જોશે વાટડી, ક્યચારે ખોંખારે તારા તોખાર. -રજ૦

પળ મળે આજ જો ભેટવા તો તે આવરજદાનો સાર;

રણશૂરો થારો૨ રણ ચડે ત્યારે કેવી તે પડશે સવાર ? - રજ૦

બ્રાહ્મણી શમતી બ્રહ્મમાં, રુએ વૈશ્યાણી - ‘પિયુ પરદેશ !’

રજપૂતાણી જાણું ન કંથ માહ્યરો રાખે રોતો કે હસતો વેશ. -રજ૦

અંતે રાણી મન બળવાન કરી સામી ઊભી રહી અને હાાથ જોડી બોલી : ‘મહારાજ, મળ્યાં તે ખરું ને મળીશું તે ખોટું. અવકાશ હોય તો દાશી યોગ્ય કાંઇ આજ્ઞા આપો તેનને પુત્ર વિનાની હું પુત્રની પેઠે પાળીશ.’

મલ્લરાજની આંખ આ વચનથી કાંઇક સજળ થઇ. રાણીને માથે હાથ મૂકી માથું છાતી સરસું દાબી બોલ્યો : ‘મારાં ગૃહરત્ન ! ભાવી આગળ કાંઇ કહેવાનું નથી. આપણ રજપૂતો જેવાં પડે તેવાં દઇએ. હું વિદ્યમાન હોઇશ તો તો તારે કંઇ પૂછવાનું નથી. હું ન હોઉ ને કાંઇ પૂછવું હોય અથવા પૂછવું હોય અથવા પૂછ્યા વિના સાંભળવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણ જરાશંકર અને ક્ષત્રિય સામંત મારાં પરખેલાં અને વિશ્વાસુ છોરાં છે અને એ બે ઉપરાંત ત્રીજું તારું શાણપણ છે - રજપૂતના ઘરમાં રજપૂતાણી ડાહી એ જગજાણીતી વાત છે.’

‘મહારાજ ! એ આજ્ઞા હું પુત્ર પેઠે પાળીશ :’ છૂટી પડી મેનારાણી બોલી.

‘મને તે વાતનો પૂર્ણ વિશ્વાસ છે. રાણી ! પુત્ર નથી તેનો અસંતોષ ન રાખશો.’

‘મહારાજ ! તમારો વારસ જેને ઇશ્વરે ઘડ્યો હશે તે જ થશે. આમ છતાં મે અધિકાર ઇચ્છયોે નથી તો આપની પાછળ ઇચ્છું એ અશક્ય છે. ધિક્કાર છે તે ક્ષત્રિયાણીઓને કે જે અધિકારને લોભે અથવા કોઇ પણ કારણથી પોતાના સ્વામીના રાજ્યાસન પર પરાયાં બાલકોને બેસાડે છે ! એ રંડાઓ વ્યભિચારિણી સ્ત્રીઓ કરતાં વધારે દુષ્ટ છે. મહારાજ, જે સ્ત્રીના માથાનું છત્ર ગયું છે તેને સંસારની વાસના રહે છે તે તેના સ્વામી સાથના સંસારમાં કાંઇ ન્યૂનતાને લીધે અને તેથી વિશેષ પોતાના નીચ કુળના સંસ્કારને લીધે. મહારાજ, મારા સંસારમાં આપે ન્યૂનતા રાખી નથી. મારું કુળના સંસ્કારને લીધે. મહારાજ, માથાનું છત્ર છતાં સંસારમાં શું બાકી રહે છે ? એવી સ્ત્રીને પુત્રનુંયે પ્રયોજન શું છે અને રાજ્યનુંયે શું છે ? મહારાજ, વધારે બોલવું તે ખુશામત જેવું દેખાય છે ને મારરા કુળને છાજતું નથી. હું આપને પગે પડીને, આ મારા પતિકુળ ચંદ્રના સમક્ષ જાળવીશ - મારું કુળ જાળવીશ - મહારાજ, આપ રણમાં મારી વાતે સ્વસ્થ રહેજો - ક્ષત્રિયનું રણ તે જ ક્ષત્રિયાણીનું આભરણ.

રાણી રાજને પગે પડી, પગ ચુંબ્યા, અને રાજાએ ઉઠાડી ઊઠી.

‘પ્રિય રાણી, તારાં વચન પર મને શ્રદ્ધા છે. મને ખબર છે કે

સ્ત્રીઓ પવિત્ર રહે છે તે પોતાની ઇચ્છાથી અને પારકા દબાણથી નહિ. રાણી ! તારી પવિત્ર ઇચ્છાઓ, કુલીન સંસ્કાર, અને હ્ય્દયના શબ્દ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. શુદ્ધ ક્ષત્રિયાણી ! જો, કોઇ દ્ધાર ઠોકે છે.’

જરાશંકર આવ્યો. ‘સામંતની સેના વિદાય થઇ ચૂકી. આવેલા મહાપુરુષોમાંથી ગમે તે બે જણે જ આપની પાસે આવવું એમ કહી બોલાવ્યા છે તે સત્વર આવશે.’ આ વાક્ય બોલાતું હતું એટલામાં એક પાસ થઇને રાણી ગઇ.

‘કેમ બેને જ બોલાવ્યા ?’ મલ્લરાજે પૂછ્યું.

‘એકાંતમાં એથી વધારે શસ્ત્રબંધી સંખ્યાનો ખપ નહિ, ને કામ કરવાનું તે તો એકથીયે થાય. છતાં વળી બેને આવવા રજા આપી છે.’

દૂત બે જણને લઇ અંદર આવ્યો. મલ્લરાજ ગાદી ઉપર બેઠો. પાછળ જરાશંકર બેઠો. સામે દૂત અને બે નવા પુરુષો ઊભા. મલ્લરાજે શિર કંપની તેમની સલામી ઝીલી અને હાથ લાંબો કરી સામે સ્થાન દેખાડ્યું ત્યાં બેઠા.

એકને માથે મરાઠા પાઘડી અને બીજાને માથે દક્ષિણી બ્રાહ્મણશાહી પાઘડી હતી. દુતે ગોષ્ટી આરંભી.

‘મહારાજ, આ સુભાજીરાવ નામના સરદાર છે અને આ કેશવપંત શાસ્ત્રી છે તે આપને પોતાની ઇચ્છા નિવેદિત કરશે. સુભાજીરાવ, આ અમારા મહારાજની પાછળ અમારા પ્રધાનજી છે - કોઇ પરભાર્યું નથી.’

કેશવશાસ્ત્રીએ વાત આરંભી :

‘મહારાજના સ્વદેશાભિમાનની કીર્તિ અમારા શ્રીમંત સરકાર નાનાસાહેબ પેશવાને કાને આવી છે અને તેથી અત્યંત ઉત્સાહથી આપની પાસે અમને મોકલેલા છે.’

‘તમે બે જણ નાનાસાહેબ પાસેથી આવો છો ? તમને એકલા નાનાસાહેબે મોકલ્યા છે કે બીજા કોઇનો પણ નિરોપ પાસે છે ? તમને તેમણે જ મોકલ્યા છે તેનો પુરાવો શો ?’ મલ્લરાજે પૂછ્યું :

‘ધન્ય છે મહારાજની બુદ્ધિને !’ કેશવશાસ્ત્રીએ સુભાજીરાવ ભણી જોઇ કહ્યું : ‘સુભાજીવરાવ, મહારાજની બુદ્ધિની કીર્તિ જેવી સાંભળેલી હતી તેવી જ છે. મહારાજ, આપને ખબર હશે કે આલમગી૪ર બાદશાહના કાળમાં મ્લેચ્છોનો પરાભવ કરવા શિવાજી મહારાજે રણયજ્ઞ આરંભેલો હતો તેવો જ આજે આરંભાયેલો છે.’

‘આજે તો મુસલમાનો પણ યજ્ઞમાં અધ્વર્યુ થયા છે.’ - જરાશંકર પાછળથી બોલ્યો. શાસ્ત્રી વાંકી દૃષ્ટિ અને કડવું મોં કરી જરાશંકરને ઉત્તર દેવાનો તિરસ્કાર કરતો હયો તેેમ કરી બોલ્યો, પણ યજ્ઞની ઉપમા પડતી મૂકી બીજી ઉપમાં આપી :

‘મહારાજ, સમુદ્રમંથન જેવા કાર્યમાં આજ દેવો અને દાનવો એકઠા મળી કાર્ય કરે છે.’

મલ્લરાજે હસીને કહ્યું : ‘જરાશંકર, આ ઉપમામાં તું દોષ કાઢે એમ નથી. શાસ્ત્રી મહારાજની બુદ્ધિ આગળ પહોંચી વળવાનો તેં વૃથા

પ્રયત્ન કર્યો.’

‘મહારાજ, મજ જેવા શિષ્યોના પ્રશ્નોથી આવા સમર્થ ગુરુજનોની બુદ્ધિ સતેજ થઇ જાય છે. જરાશંકર બોલ્યો.’

શાસ્ત્ર પ્રસન્ન થયા.

‘મને લાગે છે કે તમારી ઉપમામાં બીજો પણ ગૂઢાર્થ છે તે એ કે સમુદ્રમન્થનમાંથી રત્નો નીકળવા લાગ્યાં એટલે દેવો દૈત્યોને દૂર કર્યા હતા તેમ હાલ પણ ગરજ સર્યે કરવું.’ મલ્લરાજે પૂછ્યું.

‘ધન્ય છે રાજનીતિજ્ઞ મહારાજને ! યુક્તરૂપ જ બોલો છો.’ શાસ્ત્રીમહારાજ ખીલ્યા. મલ્લરાજે પાછળથી જરાશંકરને કોણી મારી કાનમાં કહ્યું : ‘પેશવાઇને યોગ્ય એ જ કૃતઘ્નતા.’ મોટેથી મલ્લરાજે કહ્યું : ‘શાસ્ત્રીબુવા, રાજકાર્યમાં એ જ કૃતઘ્નતા છે કે ધડમૂળથી જ આ વિચાર રાખવો.’

સુભાજીરાવ આ જોઇ રહ્યો.

‘ભાઉસાહેબ, તેલંગીઓ જ્ઞ ઉચ્ચારે છે અને તમે દ્દન ઉચ્ચારો છો ત્યાં અમારા લોક ગ્ન ઉચ્ચારે છે.’ જરાશંકર નીચલો ઓઠ કરડી બોલ્યો.

શાસ્ત્રીબાવા કહે : ‘હારે સુભાજીરાવ, હું ગુજરાતનો અનુભવી છું. અહીંયાનું દેશિક એવું જ છે.’

શાસ્ત્રીય આમ બોલ્યા, પણ મરાઠાને આ વાગ્વિનોદ અસ્થાને લાગ્યો, અને તેને ખોટું ન લાગે એમ પોતે વાત ઉપાડી લીધી.

‘રાજાસાહેબ, અમારું કાંઇ કહેવાનું છે તેનો શાસ્ત્રાર્થ શાસ્ત્રીબુવા પાસે માગાહુન કરાવીશું, પણ હાલ કહેવાનું અમારા ટૂંકા બોલમાં બોલી દઉં છું - જેવા આપે ટૂંકા દીધા તેવા હવે હું કહી દઉં છું.’

મલ્લરાજને કંઇક આ ગમ્યું : ‘બેલાશક બોલો.’

‘જુઓ સાહેબ,’ સુભાજી બોલ્યો : ‘આજ સુધી આ દેશમાં જેટલાં પરદેશી રાજ્ય આવ્યાં તેમાં અંગ્રેજનું રાજ્ય તેમની ચતુરતાને લીધે આ દેશને વધારે ભયંકર છે.’

મલ્લરાજના હ્ય્દયમાં ઊંડો વિચાર પેઠો, અને મરાઠો પોતે કરેલા ઘાની સફળતા સમજ્યો ને ખુશ થઇ આગલ વધ્યો, તેણે જાણ્યું કે આ કાંઇ હલકાપોચા મૂર્ખ સાથે પેચ રમવાનું નથી, અને વિચારશીલને ભેદવાને વિચારશાસ્ત્ર કાઢ્યાં.

‘ત્યારે, સાહેબ, આ અવસરે સૌનું ઐક્ય કરવાના કોઇ મહાપુરુષે માર્ગ શોધી કાઢ્યા છે. આ બંધૂકની કારતૂસમાં ગાય-ડુક્કરની ચરબીની કથા ચલાવી છે તે તો એક ગાંડો ગોળો છે, પણ સામાના લશ્કરમાં આપણાં અજ્ઞાન માણસ રહ્યાં તે ગાંડાઘેલા હિન્દુ અને મુસલમાનો બે ગાંડાઓને ગાંડાઘેલા બોલથી મહારાજના સમયમાં ‘ડોગંરાસ લાવલે દેવ’ એવો સંકેત હતો તે હાલ આ ગોળો સિદ્ધ કરે છે ને એવા બીજા અનેક ગોળા છે, પણ આપના જેવા ચતુર રાજપુરુષને તો તત્ત્વ કહેવાનું છે તે જુદું છે.

‘સાહેબ, એ તત્ત્વ એવું છે કે અંગ્રેજની હવે બુદ્ધિ ફરી છે તે તેમના અસ્તકાળનું ચિહ્‌ન છે - શત્રુનો અસ્તકાળ આવ્યે આપણે નહીં જાગીએ તો બીજો કોઇ જાગશે તે સિદ્ધ. તો આપના જેવા સિંહો કેમ નહીં જાગે ? સાહેબ, અંગ્રેજોની મતિ દુષ્ટ થઇ છે, વિશ્વાસઘાત કરતાં હવે તેમને ડર નથી; આજ સુધી તેમને પૈસાની ભૂખ લાગે તે પૂરી થતી પણ હવે તેમને જમીનની ભૂખ લાગી છે. સાહેબ, બધી ભૂખ લાગે તે આદમી પૂરી કરે પણ જમીન અને સ્ત્રી એ બેની ભૂખ કોઇને લાગે તે આદમીથી તો પૂરી નહિ પડે - એ જમીનની ભૂખ અંગ્રેજ બચ્ચાને હવે લાગી. તે હવે કોઇને દત્તક લેવા દેતો નથી. સાહેબ, પેશવાઇ તો આજકાલની; પણ હમારા શિવાજી મહારાજના પુત્રના સાતારામાં તેમણે શું કર્યું ? અમને તે કેમ ન લાગે ? આપને કેટલાં દૃષ્ટાંત બોલી દઉ ? જુઓ, ઝાંસી, જેતપુર, બઘાટ, ઉદેપુર, બુદાવલ, તાંજોર, કચાર, ઓરિસા, નાગપુર કર્ણાવટ, બિહાર, આઉધ અને એવાં સાહેબને કેટલાં કેટલાં નામ ગણાવું ? કોઇ ઠેકાણે કહે છે કે દત્તક નહીં લેવા દઇએ, કોઇક ઠેકાણે કહે છે કે તમારી પ્રજા ઉપર જુલમ કરો છો - કહો ભાઇ, અમારી પ્રજા ઉપર અમે જુલમ કીધો તો પ્રજા વળગતી આવશે - તેમાં તમારા બાપનો શો અન્યાય કીધો ? પણ આ તો બહાનાં છે. ઘેટા ને વરુની વાત - તેં ગાળો દીધી નહીં હશે તો તારા બાપે પણ દીધી હશે - પણ મને તો ભૂખ લાગી છે - તે આ કારણ કહીને તને તો સ્વાહા કરવાનો ! કરારના કાગળ કાગળમાં રાખી લીધા ! લખ્યું ત્યારે લખ્યું ! હાલ શું ? સાહેબ ! આવી બુદ્ધિ થઇ છે તેની પાસે તો તમારું રાજ્ય પણ કુશળ નહીં સમજો, હોં ! તમારે તેના પક્ષમાં જવું હોય તો જાવ ! પણ સરત રાખજો કે આવો લાગ ફરી નહીં આવે ! આજ સાતારાનો વારો તેવો કાલ તમારો હવે તો એક સંપ ને દેશી જંપ ! તે લોકની દેશી પ્રજા સમજી છે, તેમનું દેશી લશ્કર સમજ્યું છે, અને દેશી રાજાઓ સમજ્યા છે ! શું સાહેબ, જુઓ આપણા લોકનું સદ્‌ભાગ્ય ! આજ હિંદુ અને મુસલમાન અંગ્રેજને કાઢવાને એક થયા. દિલ્હીમાં બાદશાહી જાગી અને મહાજી સિંધિયાના હાથમાં બાદશાહીની લગામ હતી તેમ આજે પણ આપણા હિંદુઓના હાથમાં છે. અંગ્રેજ કહાં કહાંથી કાઢ્યા ? મીરત, સહારણપુર, મુઝાફરનગર, ફરૂખાબાદ, કાનપુર અને બીજાં કેટલાંક ઠેકાણાનું નામ દઉ ? બધેથી કાઢ્યા, શીખ, મરાઠા, બંગાળીઓ, પઠાણો, પુરભૈયા, મુસલમાનો, મોઘલો , સૌ લોક એક થઇ ગયા છે. આ આગ આખા દેશમાં લગાડી છે. જો તમે અમારા સરદારોને મદદ દેશો તો દિલ્હીના બાદશાહની સનદ પામશો ને તમારા રાજ્યને અચલ કરશો - આણીપાસનો મુલખ તમને અપાવીશું. જો મદદ નહીં કરો - તો હાલ તો લડનાર છીે અને અમે જીત્યા એટલે તમારું સત્યાનાશ સમજજો ! આપણો દેશ, આપણો ધર્મ, આપણા લોક - સૌ એક થશે ને આ મર્કટનાં નાનાં ટોળાંને દરિયાપાર કરીશું. વખત ફરી ફરાી નહીં આવે.’

‘તમે અમારા સરદારોનાં નામ પૂછો છો તો સાંભળો મુસલમાનમાં દિલ્હીના તખ્તનો માલિખ પાદશાહ, અને હિન્દુમાં પેશવાઇનો માલિખ શ્રીમંત નાનાસાહેબ. સાહેબ, હું મરાઠો છું પણ દેશ અને ધર્મને કાજે મુસલમીન અને બ્રાહ્મણનો ઝંડો ઉપાડું છું. તાત્યાટોપીનું નામ સુણી અંગ્રેજ બચ્ચા કાંપે છે; અને અનેક તારાઓ આ સૂર્યચંદ્રની આજુબાજુ એકઠા થાય છે. હું તેમના તરફથી આવું છું તેની ખાતરી જોઇએ ? લો, આ શહેનશાહી જાહેરનામું અને વધારે જોઇએ તો અમારી પાછળ સેના સજ્જ છે.’ જાહેરનામું આપ્યું અને સુભાજીરાવ બંધ પડ્યો.

મલ્લરાજે શાંત મુખથી પૂછ્યું : ‘હું ધારું છું કે હવે તમારે માત્ર હા કે નાનો ઉત્તર જોઇએ છે.’

‘એ જ. હા કે ના કહો, તે સત્વર કહો, અને યાદ રાખજો કે હા નું ફળ લક્ષ્મી છે ને ના નું ફળ પ્રાતઃકાળમાં અમારી સેના રત્નનગરીને દ્ધારે સમજજો.’

‘ઠીક છે, એ અમારે જોવાનું છે. દૂત, આ બે મહાપુરુષોને જોડેના ખંડમાં અધઘડી બેસાડ અને તું તેમનો સત્કાર કરજે. અમે બે જણ આ વાતનો વિચાર કરી અધઘડીમાં ઉત્તર કહેવાને તમને પાછા બોલાવીશું.’

મલ્લરાજે આમ કહ્યું કે ત્રણ જણ ગયા ને બે જણ રહ્યા. જરાશંકર પાછળ દ્ધાર વાસી આવ્યો અને મલ્લરાજની સન્મુખ બેઠો. મલ્લરાજ મૂછે તાવ દેવા લાગ્યો.

‘કેમ, મહારાજ, શો વિચાર કર્યો ?’ જરાશંકરે પૂછ્યું.

મલ્લ૦ - ‘તું શું ધારે છે ?’

જરા૦ - ‘આશ અને ત્રાસ, ભય અને પ્રીતિ, આદિ સર્વ સુભાજીરાવે બતાવી દીધાં છે.’

મલ્લ૦ - ‘આ ટોળામાં અંતે પરસ્પર યુદ્ધનાં બીજ દીઠાં ?’

જરા૦ - ‘તેમના સિવાય સર્વને પ્રત્યક્ષ છે.’

મલ્લ૦ - ‘એમના સંગમાં આપણે દીપીએ ખરા ?’

જરા૦ - ‘આપમતલબી કાગડાાાોમાં પોપટ દીપે તેટલી વાર.’

મલ્લ૦ - ‘મૂર્ખ પંડિતોએ મરેલા સિંહને સજીવન કર્યાની વાત તેં જ કહી હતી ?’

જરા૦ - ‘હા જી.’

મલ્લ૦ - ‘આમને હા કહીએ તો આપણી પણ બીજી જાતની પંડિતાત ન સમજવી.’

જરા૦ - ‘પણ આ સિંહને સજીવન કરનાર બીજા પંડિતો ઘણા હશે.’

મલ્લરાજ હસી પડ્યો.

‘ના. જો, હવે હું એ વાત સમજાવું. આણે મોટા મોટાં નામ દીધાં તે સાંભળી ભડકીશ નહિ. મેં પાંચ પળમાં વિચાર કરી લીધો છે.’

જરા૦ - ‘શો ?’

મલ્લ૦ - ‘આ પક્ષ પડ્યા છે તે જો. જે રજવાડા અંગ્રેજના પક્ષમાં રહેલા છે તે ગણાવું. કપુરથલા, જીંદ, પતિયાળા, નાભા, આપણાં બધાં રાજસ્થાન, પંજાબ અને ટૂંકમાં જેટલા જેટલા અસલના વંશના રજવાડા શુદ્ધ રજપૂતો છે તે જો. સૌ અંગ્રેજોના પક્ષમાં છે. બીજા ધીમે ધીમે હલમલતા હશે તે અંગ્રેજનો દિવસ વળશે તેમ પાછા વળશે. હું છેક હિમાચલ સુધીની ખબર રાખું છું.’

જરા૦ - ‘ગાયકવાડ, ગ્વાલિયર, ઇન્દોર, નિઝામ, એ ન ગણાવ્યા.’

મલ્લ૦ - ‘મેં ન ગણાવ્યાં. તો તેં ગણ્યાં. મને તો જૂનાં ક્ષત્રિય રાજ્ય સાંબરે.’

જરા૦ - ‘પણ અંગ્રેજનો દિવસ પળશે ખરો ? આગ બહુ લાગી છે.’

મલ્લ૦ - ‘બ્રાહ્મણભાઇને ઝાઝું સાંભરે નહીં તો. મેં કહ્યું જ છેસ્તો કે અંગ્રેજ જીતશે. એ લોકમાં એ કટેવ છે - પ્રથમ મૂર્ખ થઇ ઊંઘે અને પછી જાગે એટલે જોરાવર.’

જરા૦ - ‘શી રીત ?’

મલ્લ૦ - ‘આ દત્તકનું વાદળ નકામું ઉરાડ્યું છે. જમીનની ભૂખ બધાને હોય તે એમને પણ હોય. પણ મૂર્ખ કેવા કે પ્રથમ દયા આણે, પછી પસ્તાય, પછી ક્રૂર થાય, પછી ખત્તા ખાય, અને પછી થોડીઘણી લાતો ખાઇ સમા થાય, જાગે જીતે ને ડાહ્યા દયાળું પછીથી થાય.’

જરા૦ - ‘એ કાંઇ સમજાયું નહીં.’

મલ્લ૦ - ‘મેં વિચાર જોયું તો દત્તક ન લેવા દેવાને નામે કે બીજી રીતે જે જે રાજ્યો એ લોક કરાર તોડી સ્વાહા કરી ગયા તે રાજ્યો અસલ ભાઇસાહેબ અંગ્રેજ જ દયાથી કે દાનતાથી કે બીકથી પોતે આપેલાં. પછી પસ્તાયા કે હાય આપ્યાં શું કરવા ? પસ્તાયા એટલે ખાવાને વખતે પડતા મૂકેલા ઉચ્છિષ્ટ કોળિયા ફરી સ્વાહા કરવા માંડ્યા ! પણ અસલનાં રાજ્યોમાં એમણે કદી હાથ ઘાલેલો નથી. ફળ જો કે અસલનાં રાજ્ય આજ અંગ્રેજ પક્ષમાં છે ને એમનાં ફરજદદારી રાજ્યને એમણે ખાવાનું કર્યું તે એમના સામા ડોળા કાઢે છે.’

જરા૦ - ‘પોતાનાં છોકરાંને ખાય તે બીજાને કેમ ન ખાય ?’

મલ્લ૦ - ‘ભૂખ લાગે ખાય પણ ખરા. પોતે ઊભાં કરેલાં રાજ્યને પાડતાં કે ખાતાં કહે છે કે અમે આપ્યું તે જરૂર પડ્યે પાછું લઇએ. એ નિમિત્ત જૂનાં રાજ્વવાળાને લાગુ નથી. બાકી નિમિત્તે આપીએ તો મોટાં પ્રાણી નાનાંને ખાય એનાં આ આપણાં અરણ્ય અને સમુદ્રમાંથી દૃષ્ટાંતો રોજ જોયાં કર ને બધાં જૂનાં રાજ્યનાં પાનાં ઉથલાવી જો. પણ હજી સુધી અંગ્રેજે કોઇ પારકાને વગર નિમિત્તે ખાધું. નથી. કારણ એ લોકોનું, ઇશ્વરના રાાજ્ય પેઠે, નિમિત્તકારણનું રાજ્ય છે. નિમિત્તની વાટ જુએ એટલે એમાં દૈવી અંશ. આપણા રાજ્યમાંથી જ તેમને નિમિત્ત આપીશું ત્યારે એમની ભૂખ ઊઘડશે તો નિમિત્ત આપનાર આપણે જ મૂર્ખ સમજવા. આપણા રાજ્યશરીરમાં છિદ્ર હશે તો એ મર્કટો એ છિદ્રમાં આંગળીઓ ઘાલીઘાલી પહોળાં કરશે ને અંદરથી જે હાથ આવશે ત્યાં બચકું ભરશે. પણ એ મર્કટસ્વભાવ નહીં જગાડીએ ત્યાં સુધી એમના દૈવી અંશ ઉપર વિશ્વાસ રાખજે. નિમિત્ત વગર એ બીજાને નહીં ખાય - કારણ કાંઇક ઇશ્વરથી ડરે છે અને છેક લાંબાં પગલાં ભરતાં વિચાર કરે છે. મને એ ડર નથી પણ જે ડરકણોને ડર લાગ્યો છે તે શું કરે છે તે તું જુએ છે ?’

જરા૦ - ‘ના.’

મલ્લ૦ - ‘આ અંગ્રેજ દત્તક કરવા નહીં દે અને રાજ્ય ખાઇ જશે એ બહાને આપણા રજવાડાઓમાં લુચ્ચા કારભારી, રજપૂતાણીઓને ડરાવી, કોળીઘાંચીના છોકરાઓનો ગાદી પર લાવે છે - આ ચાલ આમાંથી આરંભાયો છે - પણ રાંડો વિચારતી નથી કે ધણીના વારસ કોળીઘાંચી કરતાં વધારે સગા છે, ને એ કોળીઘાંચી ગાદી પર બેઠા પછી તમારું સગપણ જાણશે એટલે નહીં જાળવે, અથવા નહીં જાણે તો પોતાના કુળ ઉપર જઇ નહીં જાાળવે બાકી રજપૂત ગાદી પર બેસતો તો તમારી ગેરઆબરૂ નહીં થવા દે.’

જરા૦ - ‘ત્યારે આપણે શું કરવું ? પેલા વાટ જુએ છે.’

મલ્લ૦ - ‘છોને જોતા. સામંતને એટલો સમય મળશે. બાકી આપણે તો વિચાર કર્યો છે જ. આ કાંઇ અંગ્રેજ એકલા નથી અને જે લોકના પક્ષમાં આપણે ભળવું જોઇએ તે પણ અંગ્રેજના જ પક્ષમાં છે એટલે આપણે બોલ્યો બોલ પાળવાનો છે.’

જરા૦ - ‘બોલાવું ત્યારે ?’

મલ્લ૦ - ‘જા, બોલાવ.’

ત્રણ જણને જરાશંકર અંદરથી બોલાવી લાવ્યો. સૌએ ઊભાં ઊભાં વાત કરી. મલ્લરાજ તલવાર જમીન પર મૂકી તે પર બે હાથ ટેકવી ઊભો અને બોલ્યો :

‘અમે તમારી કહેલી વાતનો વિચાર કર્યો છે. તમારા આવતા પહેલાં કંપની સરકારને અમે બંધાઇ ચૂક્યા છીએ અને બે બોલી થવાનો અમારો રિવાજ નથી. છતાં તમારો કહેવાનો વિચાર કરી જોતાં પણ તમારો બતાવેલો ડર અમારા કાળજમાં અડકતો નથી અને બીજી વાતો તો ધૂળ ઉપર લીંપણ જેવી છે. માટે રામ રામ.’

સુભાજીરાવને કપાળે ભ્રૂકુટિ ચડી અને શાસ્ત્રી ગભરાયા. બે જણ કંઇખ બોલવા જતા હતા એટલામાં મલ્લરાજ બોલ્યો :

‘દૂત ! આ લોકોને તેં અભયવચન આપેલું હતું તે અમે કબૂલી એમને આવવા દીધા અને આપણા રાજ્યની બહાર જવા ટૂંકામાં ટૂંકો માર્ગ હોય તે માર્ગે થઇ આ રાજ્ય છોડવા એમને બીજી બે ઘડીની જરૂર છે તેને સાટ તેમને ચાર ઘડીનું અભયવચન આપું છું એટલા કાળમાં આપણાં માણસોને સોંપી એમને આપણા રાજ્યની હદબહાર છૂટા મૂકી આવ. પછી પાછા આવશે તો આ રાજ્ય છે ને રાજ્યનો ન્યાય છે. અને જરાશંકર, એવું જણાય છે કે આપણી રજા વગર, આપણને પૂછ્યાગાછ્યા સિવાય કેવળ આપણને ડરાવવા અને હેરાન કરવાના હેતુથી આ લોકનું લશ્કર આપણી હદમાં આવેલું દેખાય છે. તે સર્વ લશ્કર આપણી સેના રાજ્ય બહાર કરશે જ. તેમાંથી જે પકડાય તેને અંગ્રેજને હવાલે કરે કે આપણે તેમને ખવરાવવું ન પડે. તેમની મિલકત હાથ લાગે તે જપ્ત કર. રત્નનગરીના રાજ્યમાં હરામખોર લોક આમ આવી શકતા નથી. રત્નનગરરીનો રાજા જાગતો ચે તે હવે જગત ચોખ્ખી રીતે જાણશે.’ બૂમ પાડી : ‘રજપૂતો !’

પાંચસાત રજપૂતો બહારથી આ બોલ બોલાતામાં આવ્યા અને રાજની આજ્ઞા સૌએ શિર પર ધારી. રાજા-પ્રધાન સિવાય સૌ ગયા.

‘જરાશંકર, સાંભળ્યું છે તે થાય તેની શરત રાખજે. જરૂર પડે તો જગાડજે. હવે ઘેર જા.’

જરાશંકર ગયો.

શય્યાગૃહમાં જતાં જતાં રાજા મનમાં વિચાર કરવા લાગ્યો :

‘ડાહ્યા ડાહ્યા તે વધારે ખરડાય. દત્તકના લત્તકમાં અંગ્રેજોને આ સમય આવ્યો. પ્યાદળ મરાવા દઇ વજીર લેવો એ ચતુરંગનો દાવ અંગ્રેજો જાણે છે છતાં આમાં ભૂલ્યા. ગમે એટલું પણ સુગ્રીવજીની સેના કની ?’ રાજા એકલો ખડખડાટ હસ્યો.

‘પણ, ભા, યાદ રાખજો કે સારા થશો તો સારાઓ આશ્રય આપશે. ખોટું કરશો તો ખોટું શીખવશો ને ખત્તા ખાશો ને ખવડાવશો. અમારા શુદ્ધ ક્ષત્રિય રાજાઓ ! અમારા શુદ્ધ રજપૂતો ! સૌ ભ્રષ્ટ થશે તોયે આખરે આ નસોમાંનું લોહ ! તે ખૂટશે તોયે ખરચાશે - પણ એક શરતે - એ લોહી તમારે સારું ખરચાય એવો તમે અધિકાર રાખ્યો હશે તો ! અંગ્રેજો ! સારા રહેજો અને સારા રાખજો ! તમારા ગુણ મલ્લરાજ પિછાને છે - તમે દેશી રજવાડાના ગુણ પિછાનજો - તમે અમારું રત્ન છો : અમે તમારું રત્ન છીએ

-ક્ષત્રિયરત્નો ઉપર કચરો હોય તે સાફ કરશો તો માંહ્યથી પ્રકાશ નીકળશે. અને એ રત્ન તમને મૂલ્યવાન થઇ પડશે ! દેશી રાજ્યો તમારા હાથમાં આ સમે થયાં છે તેવાં મૂલ્યવાન રત્નો છે - તેની સાથે તમારી મર્કટવિદ્યા ન વાપરશો.

‘પછી સુગ્રીવજીની જાત ઉપર જઇ રત્નો ઉપરનો કચરો ચાટી જઇ માંહ્યનું રત્ન પગ તળે નાંખો તો જાત ઉપર જવાનો તમને અધિકાર છે જાત ઉપર જશો તો કોણ ના કહેશે ? તર્મ મર્કટની જાત ઉપર જશો - અમે માણસની જાત ઉપર જશું.

મલ્લરાજ ફરી ખડખડ હસી પડ્યો. તે આ પળે શયનગૃહ આગળ આવ્યો હતો. તેમાંથી એનું હાસ્ય સાંભળી હસતી હસતી મેનારાણી દ્ધારા ઉઘાડી બહાર આવી. ‘તમારા હાસ્યનું કારણ જાણવાનો અધિકાર પણ અમને ખરો કે નહીં ?’ એમ કહી રાણીએ એક હાથ રાજાની કેડે વીંટ્યો અને બીજે હાથે એના માથા ઉપરથી મંડીલ ઉતાર્યું.

‘હા, મારા રત્ન !’ કહી રાજાએ રાણીને અંદર ખેંચી. તેમની પાછળ દ્ધારા બંધ થયાં, અને તેની જોડે આ પ્રકરણ પણ બંધ કરીએ તો મર્યાદા જળવાય.