Bhagirath na varas books and stories free download online pdf in Gujarati

ભગીરથના વારસ - પ્રકરણ - 5

ભગીરથના વારસ

૫. વીર બંધ પર પાણી પરિષદ

વીણા ગવાણકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૫. વીર બંધ પર પાણી પરિષદ

પાણી કૂચ, પાણી પરિષદ, બે દિવસના સત્યાગ્રહ અને ઉપવાસ જેવા ત્રણ કાર્યક્રમ લોકશિક્ષણના ભાગ તરીકે ‘પાણી પંચાયતે’ ૨૯ એપ્રિલથી ૩ મે, ૧૯૮૨ દરમ્યાન કરવા આયોજન કર્યું. સ્થળ નક્કી થયું વીર બંધ. એક મહિના પહેલાથી તેની પૂર્વતૈયારી ચાલુ હતી. ‘પાણી પંચાયત’ સાથે અન્ય પક્ષોના કાર્યકરો પણ ઉત્સાહભેર ગામેગામ આ પરિષદનો ઉદ્દેશ સમજાવતાં ઘૂમી રહ્યા હતા. બજારનો દિવસ, ગામનો મેળો, ઉર્સ જેવા નિમિત્તે વધુમાં વધુ લોોક સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હતા. એ વખતે સ્થાનિક નેતૃત્વ કેટલું સંકુચિત, સ્વાર્થી અને સહુના વિકાસને મારક છે, એનોય અનુભવ કાર્યકરોએ કર્યો. અસહકાર પણ અનુભવ્યો, છતાં નિરાશ થયા વગર સત્યાગ્રહની તૈયારી ચાલુ હતી.

૨૯ એપ્રિલે ‘પાણીની કૂચ‘નો પદયાત્રાનો કાર્યક્રમ સાસવડથી વીર બંધ સુધીનો ત્રીસ કિ.મી. અંતરનો હતો. સવારે ૭-૦૦ વાગે સાસવડથી બસો લોકોની પદયાત્રા શરૂ થઈ. કૂચમાં પ્રત્યેક ગામના પાંચ ખેડૂતોએ ભાગ લીધો. તેમાં દસ બહેનો પણ જોડાઈ. તેમાંની કેટલીક તો અડવાણા પગે ચાલી રહી હતી. ‘પાણી પંચાયતે’ તેમનામાં કેટલી આશા જગાવી હશે ! બાર વર્ષના વિદ્યાર્થીથી બોંતેર વર્ષના વૃદ્ધ સુધીના સહુ કોઈ એ કૂચમાં હતા. રસ્તામાં ઠેરઠેર રોકાતાં, ત્યાંના આદર, આતિથ્યનો સ્વીકાર કરતાં કૂચ વીર બંધની દિશામાં આગળ વધી રહી હતી.

સાંજે છ વાગે કૂચ બંધ પર પહોંચી. બીજા દિવસે પાણી પરિષદ યોજાવાની હતી. ત્યાં જ આંબાના ઝાડ હેઠળ સહુએ પડાવ નાંખ્યો. રાતે લપતળ વાડીના ગ્રામ્યજનોએ યાત્રાળુઓને પીઠલું અને ભાખરી જમાડ્યા.

બીજા દિવસે સવારથી દૂરદૂરથી લોકો વીર બંધ પર એકઠા થવા લાગ્યા. ચાલતા, સાઇકલ પરથી, ટ્રૅક્ટર પરથી, ટ્રક દ્વારા માણસો આવી જ રહ્યા હતા. ‘પાણી પંચાયત’ની જાહેરાતો અને તેને મળેલ ઢોલ, ત્રાંસા, કરતાલ, રણશિંગાના સાથથી આસપાસનું વાતાવરણ ગાજી ઊઠ્યું. ઊભો કરવામાં આવેલો મંડપ તો ક્યારનોય ભરાઈ ગયો. આઠેક હજાર લોકો એકઠા થયા હતા. તેમાં હજારેક બહેનો હતી.

કામનો વિસ્તાર

વિલાસરાવે પાણી યોજનાના કામનો વિસ્તાર સહુ પહેલાં સ્પષ્ટ કર્યો. પુરંદર તાલુકામાં ૫૦૦ યોજનાઓનો વ્યાપ હોવાથી અહીં ફળબાગ, આનુષંગિક ઉદ્યોગોનો વિકાસ થશે એવી અપેક્ષા વ્યક્ત કરી. ‘નાના ખેડૂતોને આર્થિક દૃષ્ટિએ સ્વાવલંબી બનાવવા માટે ઘડવામાં આવેલ સર્વાંગીણ કાર્યક્રમ જેવા નવા સરકારી જી.આર.માં રજૂ કરેલો વિચાર પરિષદ સમક્ષ મૂક્યો.

આ ફતવામાં સરકારે આશ્વાસન આપ્યા હતા, પણ સરકારી આશ્વાસનો નિરર્થક બની રહે છે, એ વિલાસરાવનો અને ‘પાણી પંચાયત’ના કાર્યકરોનો અનુભવ હતો. ભીખ ન જોઈએ પણ કૂતરાને ખાળો. એવી સ્થિતિનો તેમણે અનેક વખત સામનો કર્યો હતો. એટલે આ પરિષદ નિમિત્તે ચોક્કસ સમયમર્યાદામાં એક જ લોકકાર્યક્રમ સરકાર સમક્ષ રજૂ કરીને એને સફળ બનાવવા માટે લડત આપવાનો ઉદ્દેશ વિલાસરાવે જાહેર કર્યો અને પરિષદ વતી ઠરાવ મૂક્યો.

૧. લિફ્ટ માટે ૮૦% સબસિડી અને વીજ પુરવઠો. આ ઠરાવમાં તેમણે પુરંદર તાલુકામાં આગામી દસ વર્ષમાં ૫૦૦ ઉદવહન જળ સિંચાઈ યોજના કાર્યાન્વિત કરી શકાય અને તેને કારણે પચીસ હજાર એકર જિરાયત જમીન આઠ માસી બાગાયત થઈ શકે, એને માટે પાંચ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. એ ધ્યાને લઈને સરકારે ૧૯૮૨-૮૩ના વર્ષ માટે પાણી પંચાયતને ૮૦% અનુદાન (એટલે કે ૫૦ લાખ રૂપિયા) મંજૂર કરવા એમ પણ સ્પષ્ટ કર્યું.

૨. પાણીનો સંગ્રહ : પુરંદર તાલુકામાં વહી જનારા પાંચ કરોડ ઘનમીટર પાણીનો પાણી પંચાયત પદ્ધતિથી સંગ્રહ અને પાંચ કરોડ ઘનમીટર ભૂગર્ભના પાણીનો ઉપયોગ. આ માટે સરકારે આગામી પંદર વર્ષમાં રૂ. ૧૦ કરોડ ખર્ચ કરવાના રહેશે.

૩. નીરા નદીના વહી જનારા એકંદર ૫૦૦ મિલિયન ઘનમીટર પાણીને પુરંદરમાં પાણીના સંગ્રહ સાથે જોડી દેવામાં આવશે. આ માટે સરકારે રૂ. પંદર કરોડ ખર્ચ કરવાના થશે. સમયમર્યાદા ૧૫ વર્ષ.

આ ઠરાવના નિષ્કર્ષ પણ તેમણે રજૂ કર્યા -

૧. પુરંદર તાલુકા માટે આગામી પંદર વર્ષમાં પાણીની ઉપલબ્ધતા ૨૦૦ મિલિયન ઘનમીટર થશે એટલે માણસે એક હજાર ઘનમીટર પાણી મળી રહેશે.

૨. એકંદર મૂડીરોકાણ ખર્ચ અત્યાર સુધીમાં રૂપિયા ત્રીસ કરોડ એટલે માણસદીઠ મૂડીરોકાણ રૂ. ૨,૦૦૦ જેટલું થશે.

૩. આજે પુરંદર તાલુકાની માથાદીઠછ ઊપજ રૂ. ૪૦૦ છે. એ રૂ. ૧૨૦૦ સુધી જશે. સહુને પર્યાપ્ત બની રહે એટલો રોજગાર અને આવક ખેડૂતને ખેતર પર જ મળશે.

૪. દુષ્કાળ નિર્મૂલન અને ‘ભીખ નાંખનારી સરકાર અને બીખમાં જ સબડતી રહેનારી દરિદ્રી જનતા’ નાટકનો અંત આવશે. ગંગા કાવેરીને મળશે ત્યારે મળશે. એ આશ્વાસનમાં આપણો અંત થતા સુધી આપણે નીરા કર્હેને મેળવીશું. આમની દેખાતી અને શરીરની ગરીબી પણ હઠાવીશું.

ડૉ. દાંડેકરનું સમર્થન

આ પરિષદમાં પ્રા. ગ. પ્ર. પ્રધાન, શ્રી એસ. એમ. જોશીએ ભાષણ કર્યાં. પરિષદના અધ્યક્ષસ્થાને ડૉ. વિ. મં. દાંડેકર હતા. તેમણે અધ્યક્ષીય ભાષણમાં કહ્યું, ‘કેટલાક સામાજિક ધોરણ પ્રસ્થાપિત કરવાનો કાર્યક્રમ ‘પાણી પંચાયત’ કરે છે. વિકાસના લાભની વહેંછણી વિસ્તૃત પ્રમાણમાં, સમાન અને ન્યાયી થવી જોઈએ. જેમને વિકાસનો લાભ મળે છે, તેમણે વિકાસ ખર્ચમાંય હિસ્સો ઉપાડવો જોઈએ. આ ધોરણ રાજકીય અર્થશાસ્ત્રમાં ઊતરવા જોઈએ. તેમનો કસોટીનો સંબંધ પાણીવહેંચણી સાથે હોવો જોઈએ. બંધમાં પાણીના સંગ્રહ સાથે જ પાણીની વહેંચણી પણ મહત્ત્વની છે. મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ રહેલા પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો, એનો પક્ષાતીત ભૂમિકાએ વિચાર કરવો પડશે. એક પ્રમાણમાં, એક ન્યાયે મહારાષ્ટ્રના પાણીનો પ્રશ્ન ઉકેલાવો જોઈએ. એ સમાન વહેંચણીના ધોરણે ઉકેલવા માટે સતત પાછળ રહેવું પડશે.

૧ મેની પાણી પરિષદ પૂર્ણ થયા પછી બે દિવસ પચાસ જણ જાહેર પ્રતીકાત્મક ઉપવાસ અર્થે બેઠા.

પોતાના પ્રશ્ને વિશે ખેડૂતોની જાગૃતિ, સમજણ, તેમણે વ્યક્ત કરેલો આત્મવિશ્વાસનો અનુભવ વીર બંધ પરની પાણી પરિષદ દ્વારા આવ્યો. તેમના વર્તવામાં બોલવામાં દૃઢતા, સ્પષ્ટપણું જોવા મળતું હતું. એક કાર્યક્રમ હાથમાં લઈને એ પાર પાડવાની ઉત્સુકતા અનુભવાતી હતી. ‘પાણી પંચાયત’નો વિચાર કેવળ પાણીનો વૈજ્ઞાનિક સંગ્રહ અને તેની મદદથી ખેતી ખીલવવા પૂરતો જ મર્યાદિત નથી. એ પહેલું પગથિયું હતું. દારિદ્ર્‌ય અને વિષમતા, દુષ્કાળની આફત હઠાવવાનું સામર્થ્ય આ વિચારમાં છે એવી તેમને મનોમન ખાતરી હતી.

એવી ખાતરી થવાનું કારણ પણ હતું. છ કરોડ રૂપિયા ખર્ચ કરીને મહારાષ્ટ્ર સરકારે પવના બંધ બાંધ્યો. લાખો રૂપિયા ખર્ચ કરીને તેની પર ૩૧ લિફ્ટ્‌સ ઊભી કરી. ‘પાણી પંચાયત’ના કાર્યકરો એ લિફ્ટ્‌સ જોવા વિલાસરાવ સાથે ગયા. પ્રત્યેક લિફ્ટનો ખર્ચ ૧૦ થી ૧૨ લાખ રૂપિયા અને પ્રત્યેક યોજનામાં ભીંજાનારો વિસ્તાર બે હજાર એકર, પ્રત્યેક લિફ્ટ માટે ૭૦ થી ૧૦૦ હો. પા.ની ત્રણ મોટરો ગોઠવી હતી. એ ખેડૂતોને મફતમાં મળેલી યોજના. પરંતુ પ્રત્યેક લિફ્ટ હેઠળ ભીંજાતી હતી, માંડમાંડ આઠ-દસ એકર જમીન. ૧૦૦% સરકારી ખર્ચે તૈયાર થયેલી આ યોજના ત્યાંના ખેડૂતોની બિનકાર્યક્ષમતાને કારણે, આળસને કારણે નિષ્ફળ ગઈ. યોજના તૈયાર કરતી વખતે સરકારે ફક્ત ખર્ચ કરવાનું કામ પૂરું પાડ્યું. ખેડૂત તેમાં ભાગીદાર બને છે કે નહિ એનો વિચાર કરવામાં આવ્યો નહિ. પાણી વપરાશનું આયોજન નક્કી કરવામાં આવ્યું એ સરકારી યંત્રણામાં, ખેડૂતના દૃષ્ટિકોણથી નહિ. તેને કારણે તે યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. પાણી માટે ખર્ચ થયેલો પૈસો શબ્દશઃ પાણીમાં જ ગયો.

‘સંઘર્ષ કે સંન્યાસ ?’

એનાથી વિપરીત, ૨૦% ખર્ચ પોતે વેઠનારા અને ૮૦% અનુદાન માંગનારી ઉદવહન યોજનાઓને માત્ર સરકાર આર્થિક મદદ આપવાનું ટાળે છે. એ ‘પાણી પંચાયત’ના કાર્યકરોને અન્યાયી જણાતું હતું. સરકારી શરતોની સર્વપૂર્તતા કર્યા પછીય છ છ મહિના સુધી સરકારી કચેરીમાં આંટાફેરા કરવા છતાંય લાલફીતાશાહીમાંથી કાંઈ છૂટતું ન હતું.

નાઝરે બંધ સંદર્ભે પાંડેશ્વરના કેટલાક માલધારી લોકો તો ખૂબ જ અસ્વસ્થ હતા. બંધની નીચે ત્રણ કિ.મી. દૂર આવેલા પાંડેશ્વરમાં આ લોકોએ ‘પાણી પંચાયત’ની યોજના ઊભી કરી. વરસાદને અભાવે તેમના કૂવામાં પીવા જેટલુંય ાપણી નહિ, પરંતુ નાઝરેથી પાંડેશ્વર સુધી શેરડી માત્ર લહેરાતી હતી. પાણીનું એક ટીપુંય નીચે ન જાય. એટલે નદીના ઉપરના ખેડૂતોએ ખાઈ ખોદીને ટીપીને પાળા બનાવ્યાં. હવે ‘હર હર મહાદેવ’ કહીને સંગઠિત અવાજ ઉઠાવીને નાઝરે બંધ ઉપર સત્યાગ્રહ કરીને આવા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવો જોઈએ એમ કાર્યકરોને લાગ્યું. આવું કરીશું નહિ, અન્યાય-નિવારણ થશે નહિ તો દારિદ્રય હઠશે નહિ અને એ હઠાવવાનો પ્રયત્ન કરનારા માત્ર વિફળતાને કારણે નિરાશ બની સંન્યાસ લેશે, એવી ઉદ્વેગની લાગણી પણ વિલાસરાવે ‘સંઘર્ષ કે સંન્યાસ’ લેખમાં (પાણી પંચાયત પત્રિકા : ઑગસ્ટ ૧૯૮૨) વ્યક્ત કરી.

‘સંઘર્ષ માટે તૈયાર થાવ, સમૃદ્ધિ તરફ આગળ વધો અને પછી સમાજ સુધારકોને, સંન્યાસને સંમતિ આપો.’

આપુલિયા બળે નહીં મી બોલત ।

સખા કૃપાવંત વાચા ત્યાચી ।

નવ્હતે માઝે બોલ જાણા હા નિર્ધાર ।

મી આહે મજૂર વિઠોબાચા ।।

(તુકારામ)

(સ્વબળે નથી બોલતો હું ।

સખા, કૃપાવન વાચા એની ।

હતી નહીં આ મારી વાણી, જાણો આ નિર્ધાર ।

દાડીયો હું વિઠોબાનો ।।)

૪૦-૫૦ના જૂથમાં ‘પાણી પંચાયત’ના કાર્યકરો સિંચાઈ ખાતું, વીજળી ખાતું, મહેસૂલ ખાતામાં સતત ૪-૫ મહિનાથી ધક્કા ખાતા હતા. અંતે પાણીની પરવાનગી હાથમાં આવી. પછી વીજળી અંગેની માંગણી અર્થે ૧૪ જુલાઈ ૧૯૮૨ના રોજ લગભગ ૧૯૦ કાર્યકરો વીજમંડળના (સાસવડ) કાર્યાલય સામે ઉપવાસ પર બેઠા. ત્રણ વર્ષથી વીજળી કનેક્શન મેળવવા માટે પૈસા ભરવા છતાંય વીજ પુરવઠો ન મળતાં અંતે ઉપવાસનો માર્ગ તેમણે સ્વીકાર્યો. તાત્કાલિક વીજળી પુરવઠો ચાલુ કરવામાં નહિ આવે તો નહિ, ૨૭ જુલાઈના રોજ સાસવડ વીજ મંડળના કાર્યાલયને બંધ કરવાનો સંકેત પણ એક આવેદનપત્ર દ્વારા આપ્યો. પરિણામે પુરંદર તાલુકામાં ૧૧ ઑગસ્ટ પહેલાં ખેતી પંપના ૫૦ કનેક્શન આપવાનું મંડળે સ્વીકાર્યું. પુરંદરમાં સંગઠિત થઈ રહેલા ખેડૂતોનો આ વિજય હતો. પર્યયે વિલાસરાવે સર્જેલ વાતાવરણનો પણ એ વિજય હતો.

૨૧ જુલાઈએ શરદ પવાર વિલાસરાવનું આમંત્રણ સ્વીકારી ‘પાણી પંચાયત’ની યોજના જોવા આવ્યા.

આ મુલાકાતમાં તેમણે કહ્યું, ‘પાણીના પ્રશ્નોનો ઉકેલ અને તેની સામૂહિક ઉપલબ્ધતા જેવા મૂળભૂત કામો ‘પાણી પંચાયતે’ હાથ ધર્યા છે. તેને કારણે ખેતીની અન્ય જરૂરિયાતો અને વિકાસ સાધી શકાશે. વિધાનસભામાં અને રાષ્ટ્રીય સ્તરે આ કાર્યની જાણકારી પહોંચાડવાનું કામ હું નિયમિત કરીશ. મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં કામ કરનારા લોકોને ઉદ્‌બોધક બની રહે એવી ‘પાણી પંચાયત’ની કામગીરી છે.’

૨ ઑક્ટોબર ૧૯૮૨ ગાંધી જયંતિ. ખેડૂતનગરનો (ખળદ) હૉલ ખેડૂતોથી ખીચોખીચ ભરાયો હતો. ચર્ચાનો મહત્ત્વનો વિષય હતો - વીજળી.

‘તમારામાં રહેલું પાણી બતાવો...’

‘પાણી પંચાયત’ની બાવીસ યોજનાઓને વીજળી મળતી ન હતી. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ‘પાણી પંચાયત’ના દરેક સભ્યે-કાર્યકરે સરકારના દરેક ખાતાનો કારભાર નજીકથી જોયો હતો. કેવી ગૂંગળામણ થાય છે તે અનુભવ્યું હતું. આ અન્યાયને વાચા આપવા માટે કાંઈક કરવું જ જોઈએ એમ સહુને લાગતું હતું. વિલાસરાવે ખેડૂતોને કહ્યું, ‘તમારા પ્રશ્નો માટે હવે તમારે જ લડવું જોઈએ. ઝઘડવું જોઈએ. તમે દૃઢતાપૂર્વક પોતાના પગ ઉપર ઊભા રહો. તમારામાં પાણી છે. એ પાણી સરકારી ભ્રષ્ટ અધિકારીઓને અને ભ્રષ્ટ શાસનકર્તાઓને બતાવો. તમારાં કામો આપોઆપ થશે.’ આટલું કહીને તે સભા સામેથી પોતાની હંમેશની જગા પરથી ઊભા થયા અને સહુથી પાછળ જઈને બેઠા.

પછી શાન્તારામ બાપુ કોલતે, પ્રકાશ ઈંદલકર, બાળાસાહેબ મુળીક, વિઠ્ઠલ હોલે, ગણપત પિલાણે, સુખદેવ કોલતે, તાકવલે, જગન્નાથ સાબળે વગેરે આવેશભેર ઊભા થયા. બોર્ડને કેવી રીતે પાઠ ભણાવવો એ અંગેની ચર્ચા ચાલુ કરી. અંતે સહુએ સર્વાનુમતે નિર્ણય લીધો - ૧૧ ઑક્ટોબર ૧૯૮૨થી વીજળી બૉર્ડના સાસવડમાં આવેલ કાર્યાલય સામે અનિશ્ચિત મુદતનો સત્યાગ્રહ શરૂ કરવો. તે અંગેની નોટિસ વીજળી બૉર્જના સર્વ અધિકારીઓને મોકલી આપવી.

૫ ઑક્ટોબરે આવી નોટિસો સર્વ અધિકારીઓને રૂબરૂ હાથમાં આપવામાં આવી. અખબારોમાં પણ તેવા સમાચાર આવ્યા. વીજળી બૉર્ડના અધિકારીઓની એક જ દોડધામ શરૂ થઈ. એ જોઈને ખેડૂતો અધિક ઉત્સાહિત થયા.

સત્યાગ્રહના પહેલા જ દિવસે બૉર્ડની કચેરી સામે દોઢ-બે હજાર સત્યાગ્રહીઓનું ટોળું જોઈને પોલીસ પણ છક થઈ ગઈ. એમાંય એ દિવસ હતો સોમવાર, એટલે સાસવડનું અઠવાડિક બજાર... જબરદસ્ત ભીડ થઈ. એક પછી એક કાર્યકરો ભાષણો કરી રહ્યા હતા. ૨૨ લિફ્ટ યોજનાઓને વીજળી આપવામાં આવે... રૅવન્યૂ રિટર્નની શરતમાં છૂટછાટ મૂકવામાં આવે... સામૂહિક લિફ્ટ યોજનાઓને અગ્રતાને ધોરણે વીજળી પૂરી પાડવામાં આવે. વીજળી બૉર્ડનો રૂ. ૧૦૦૦ કરોડનો સામાન તેમના ગોદામોમાં ધૂળ ખાતો પડી રહ્યો છે. ૧૦૦૦ કરોડ રૂપિયા એશિયાડ જેવી રમતો પર ખર્ચ થઈ શકે છે. પોલીસ આંદોલનથી ૧૦૦ કરોડ રૂપિયાના થયેલા નુકસાનને સરકાર સહન કરી શકે છે. આવી ઉડાઉગીરી ચાલે છે, પરંતુ અમારો પ્રશ્ન માંડ ૪૦-૫૦ લાખનો. તેનો વિચાર કોઈ જ કેમ કરતું નથી ?

પ્રભાવક વાતાવરણ નિર્માણ

અનિશ્ચિત મુદતના સત્યાગ્રહના પ્રથમ ચાર દિવસ અત્યંત શાંતિપૂર્ણ રીતે વિત્યાં. વીજળી બૉર્ડના અધિકારી અથવા લોકપ્રતિનિધિ ત્યાં ફરક્યા નહિ. સત્યાગ્રહની નોંદ પણ લેવામાં આવી નહિ. એને કારણે કલ્પનાબહેન અને વિલાસરાવ બંનેય ખિજાયાં. ૧૫ ઑક્ટોબરથી બેમુદતી ઉપવાસનો નિર્ધાર તેમણે જાહેર કર્યો. તેને કારણે કાર્યકરો ભડક્યા. જે હોય એ ‘હું ઉપવાસમાં જોડાઈશ.’ કહેતા ચડસાચડસીથી આગળ આવવા લાગ્યા. બહેનો પણ આગળ આવી. જેલમાં જવાની, વખત આવ્યો પોલીસ મારઝૂડ, ગોળીબાર સહન કરવાની તૈયારી વ્યક્ત કરી બતાવવા લાગ્યા. તેમને સમજાવતાં સમજાવતાં સાળુંખે દંપતિ અને ‘પાણી પંચાયત’ના કાર્યકરોને નાકે દમ આવ્યો. અંતે કલ્પનાબહેન સહિત પાંચ બહેનો અને પાંચ પુરુષોએ ઉપવાસ પર બેસવું એમ ઠરાવવામાં આવ્યું. પછી આ સમાચાર ખેડૂતોના ઘરેઘરે તો પહોંચ્યા જ, પણ ગ્રામપંચાયતથી સચિવાલય સુધી સહુની ચર્ચાનો વિષય બની ગયો. બધા અખબારો, આકાશવાણી, પોલીસ તંત્ર દ્વારા દૂર દૂર પહંચ્યા. અંગ્રેજી-મરાઠી વર્તમાનપત્રોએ ‘પાણી પંચાયત’નો પક્ષ સ્પષ્ટપણે રજૂ કર્યો અને પછી ઉપવાસના ચોથા દિવસથી અનેક લોકો આ ઉપવાસમાં જોડાવા આવવા લાગ્યા. ઉપવાસીઓનો જુસ્સો વધ્યો. આમરણાંત ઉપવાસ કરવાનું તે કહેવા લાગ્યા. તેમાં માલધારીઓ પોતાનાં ઘેટાં-બકરાં સાથે ત્યાં આવી ચડ્યા. પછી ત્યાં ગાયન, ભજન, કીર્તન, વ્યાખ્યાનો, સામૂહિક વાંચનની રમઝટ જામી. આંદોલનનો વ્યાપ વધતો જ ચાલ્યો. વિવિધ ક્ષેત્રોના કાર્યકરો, વિચારકો, સરકારી યંત્રણાના કેટલાક શાણા લોકો, વકીલો, પ્રતિષ્ઠિતો, એટલું જ નહિ પણ પુરંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી સેંકડો વિદ્યાર્થીઓ આવ્યા, જોડાયા.

આ આંદોલનનો વ્યાપ વધતો સફળ થતો નજરે ચડતાં જ એને તોડી પાડી નિષ્ફળ બનાવવા પ્રસ્થાપિત પ્રતિષ્ઠિતો, શાસનકર્તા અધિકારીઓના પ્રયાસ શરૂ થયા. ૧૮-૧૯ ઑક્ટોબરના દિવસે ૧૪૪ની કલમ લાગુ પાડીને ચારસો-પાંચસો વિદ્યાર્થીઓ, બસો-ત્રણસો ખેડૂત સ્ત્રી-પુરુષોની ધરપકડ કરી. આ પૈકીના ૧૮૮ જણને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા. પરંતુ વિદ્યાર્થીઓને અંતે નિરુપાય છોડી મૂક્યા.

૧૯૮૨ના વર્ષને સરકાર દ્વારા ઉત્પાદક વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ વિરોધાભાસ એટલે પોતાને કૃષિ-ઉત્પાદન પર જિવાડવા ઇચ્છનાર ગરીબ ખેડૂતોની માંગણીઓ માત્ર બાજુએ હડસેલી દેવામાં આવી રહી હતી.

આવા સમયે તો સરકારે ઉત્પાદનવૃદ્ધિ માટે આવશ્યક સહકાર ખેડૂતોને આપવો જોઈએ. એવો આગ્રહ વિધાનપરિષદના વિરોધપક્ષના નેતા પ્રા. શ્રી ગ. પ્ર. પ્રધાને સેવ્યો. દુષ્કાળ સાથે ઝઝૂમનારા નાના ખેડૂતોને અગ્રતાને ધોરણે વીજળી મળે, જેવી ‘પાણી પંચાયત’ સમિતિની ન્યાયી માંગણીનો સરકારે તાત્કાલિક સ્વીકાર કરવો જોઈએ એમ પણ વિધાનપરિષદમાં તેમણે કહ્યું.

અંતે ૨૯ ઑક્ટોબરના રોજ વિલાસરાવ, પ્રકાશ ઈંદલકર, સુખદેવ કોલતે, શાંતારામ બાપૂ કોલતેની, ઊર્જામંત્રી ડૉ. સુબ્રમણ્યમ, આયોજનમંત્રી શ્રી કેવલચંદ જૈન અને વીજળી બૉર્ડના ચેરમેન શ્રી વ્હી. એસ. શેવડે સાથે સંયુક્ત ચર્ચા થઈ. એ બેઠકમાં ‘પાણી પંચાયત’ની માગણીઓ સ્વીકારવાનું આશ્વાસન ઊર્જામંત્રીએ આપ્યું અને આ આંદોલન પાછું લેવા જણાવ્યું.

નક્કર કાર્ય સિવાય કેવળ વચન શા કામના ?

‘પાણી પંચાયત’ની લિફ્ટ યોજનાઓને અગ્રતાના ધોરણે વીજળી પુરવઠો આપવામાં આવે અને રોકાણ ખર્ચની ખાસ જોગવાઈ કરવામાં આવે એ માંગણીઓ માટેના ૧૧ ઑક્ટોબરથી ચાલી રહેલ ઉપવાસ ‘પાણી પંચાયતે’ પાછા ખેંચ્યા.

સિંચાઈ યોજનાઓને વીજળી કનેક્શન મેળવી આપવાના એક જ કામ માટે આટલી શક્તિ અને એટલે સમય ખર્ચવો પડતો હતો કે મનમાં રહેલી બીજી અનેક મહત્ત્વની બાબતો તરફ ધ્યાન કેવી રીતે આપવું. એ પ્રશ્ન વિલાસરાવને કનડવા લાગ્યો. બધી શરતોની પૂર્તતા કરવા છતાંય ત્રણ ત્રણ વર્ષ વીજળી મળતી ન હોય, પાકની મોસમ નિરર્થક જ જવાની હોય, તો આવી યોજનાઓ માટે ગરીબ ખેડૂતોને તૈયાર પણ કેવી રીતે કરવા ? તેમને ધીરજ રાખવા કેવી રીતે જણાવવું ?

આ બધા પ્રયત્નોમાં વિલાસરાવને અનેક સારાં સરકારી અધિકારીઓ મળ્યા. તેણે વિલાસરાવની આ યોજનાઓની ભલામણ સરકારને કરી પણ ખરી, પરંતુ આ ભલામણોની પાછળ કોણ પડે ?

સાતમી પંચવર્ષિય યોજનામાં પાણી પંચાયતના આયોજનનો સ્વીકાર કરવામાં આવ્યો. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં શેરડી જેવા વધારે પાણીની જરૂરિયાતવાળા પાકો લેવાને નિયંત્રિત કરીને ઓછામાં ઓછું પાણી વાપરીને અધિકાધિક ઉપજ અને રોજગાર નિર્માણ કરવાનો વિચાર કરવો જોઈએ. તે જ રીતે પાણીની વહેંચણી ભાગધારકની જમીનના પ્રમાણમાં ન કરતાં એ સપ્રમાણમાં કરવી જઈએ. એવી ભૂમિકા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ રજૂ કરી.

પરંતુ વાસ્તવમાં કંઈ જ થયું નહિ. વિલાસરાવ મુખ્યમંત્રી શ્રી વસંતદાદા પાટીને રૂબરૂ મળ્યા. પુરંદર તાલુકામાં ૧૫ લિફ્ટ્‌સ વીજળીને અભાવે છેલ્લાં બે વર્ષથી રઝળી પડી છે, તેમને અગ્રતાને ધોરણે વીજળી જોડાણ આપવામાં આવે તો ૧૦૦૦ એકર જમીન તત્કાળ પાણી હેઠળ આવશે, સરકારને ત્યાં દુષ્કાળનાં કામો ચાલુ કરવાની આવસ્યકતા રહેશે નહિ, એવું આવેદનપત્ર પણ વિલાસરાવે આપ્યું.

‘પાણી પંચાયત’ની યોજનાઓને ‘કૃષિ કન્યા’ તરીકે સ્વીકારનારા વસંતદાદા આ પ્રશ્ને ધ્યાન આપશે એવી અપેક્ષા હતી, પણ વિલાસરાવને માત્ર આશ્વાસન મળ્યું. વાસ્તવમાં કંઈ જ થયું નહિ. પછી ‘નાબાર્ડ’ બૅન્કના અધ્યક્ષ શ્રી રામચંદ્રન વિલાસરાવના આમંત્રણથી પિલાનવાડી આવ્યા. આખોય દિવસ તેમણે ત્યાં પસાર કર્યો. આ કામમાં જાતે ધ્યાન આપ્યું. પુરંદર તાલુકા માટે ૬૦ લાખ રૂપિયાની ખાસ યોજના (જીીષ્ઠૈટ્ઠઙ્મ ઁર્િખ્તટ્ઠિદ્બદ્બી ર્હ્લિ છખ્તિૈષ્ઠેઙ્મેંિી - જીઁછ) મંજૂર કરી. વર્ષભરમાં વ્યક્તિગત અને સામૂહિક મળીને ચારસો કનેકશન્સ મળવાનાં હતાં. મજાની વાત એ કે સ્થાનિક ધારાસભ્યે જાહેર પત્રિકા બહાર પાડીને આનું બધું શ્રેય પહેલાં જ પોતે લઈ લીધું.