Bhagirath na varas books and stories free download online pdf in Gujarati

ભગીરથના વારસ - પ્રકરણ - 7

ભગીરથના વારસ

૭. સત્ય સાથે મેળાપ

વીણા ગવાણકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૭. સત્ય સાથે મેળાપ

ઈ.સ. ૧૯૮૨ના જાન્યુઆરી મહિનામાં ‘રાષ્ટ્રતેજ’ નામના વર્તમાનપત્રમાં વિલાસરાવ સાળુંખે પર ભ્રષ્ટાચારનો આરોપ થયો.

‘પાણી પંચાયત’ને કારણે પુરંદર તાલુકામાં વિલાસરાવનું નામ સહુના મોઢે થયું હતું. નાયગામ યોજનાને કારણે રાજકીય-સામાજિક ક્ષેત્રની અનેક સન્માનનીય વ્યક્તિઓ, આયોજન મંડળ, બૅન્કિગ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓની અવરજવર એ પ્રદેશમાં વધી હતી. શ્રી યશવંતરાય ચૌહાણ, શ્રી શરદ પવાર, શ્રી વસંતદાદા પાટીલ, રાજ્યપાલ શ્રી સાદિક અલી વગેરે મુલાકાત લઈ ગયા હતા. તેને કારણે સમાજમાં વિલાસરાવનું વજન વધતું ચાલ્યું હોવાનો ભય સ્થાનિક રાજકીય નેતાઓને લાગ્યો હોવો જોઈએ. તેમાંથી જ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ના આર્થિક વ્યવહારમાં કાંઈક ગેરરીતિ થાય છે એવો આરોપ થયો.

વિશેષ એટલે પુણે જિલ્લાધિકારી કચેરી દ્વારા ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવી. તેમાં ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ને દોષિત જાહેર કરવામાં આવી.

વિલાસરાવે તુર્ત જ તે આરોપોનું ખંડન કર્યું. અપર્યાપ્ત અને ભૂલભરી માહિતીને આધારે જિલ્લાધિકારીએ આ નિષ્કર્ષ તારવ્યો છે એ સ્પષ્ટ કર્યું. બધા આરોપોનો સવિસ્તર ખુલાસાબંધ જવાબ આપ્યો. આંકડાવારી આપી.

પોતે આપેલી બધી માહિતીની સચ્ચાઈની તપાસ કરી સરકારે પોતાનો નિર્ણય આપવો અને એ નિર્ણય આવતા સુધી પોતે (હડપસરનું) ઘર છોડીને ખેડૂતનગર (ખળદ)ના ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ના જ કાર્યાલયમાં રહેશે એમ વિલાસરાવે જાહેર કર્યું.

તે સમયે વિલાસરાવ રોજ સવારે ત્રણ કલાક ગોટીમાળાના વગડામાં વૃક્ષો વાવવાનું કામ કરતા. આ વ્રત જ તેમણે લીધું હતું. નવી શરૂ કરેલ ‘ઍક્યુરેટ એન્જિનિયરિંગ’ની શાખાની કામગીરી સંભાળવામાં કલ્પનાબહેન ગૂંથાયેલાં. વિલાસરાવ અઠવાડિયામાં એક વખત જ હડપસર આવતાં. કારખાનાના બધા એન્જિનિયર્સ સાથે ચર્ચા કરતાં. બાકીનું તેમનું અઠવાડિયું ગોટીમાળના અને સંત તુકારામના સાન્નિધ્યમાં પસાર થતું. વિખ્યાત અર્થશાસ્ત્રી સુશ્રી કમલા ચૌધરી તેમને મળવા ખળદ આવ્યાં હતાં. વિલાસરાવનો ત્યાંનો દૈનિક ક્રમ જોઈને તેમના મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘પોતા સાથે એકલા રહેવું એ કાંઈ સહેલી વાત નથી... એા એક સાધના જ છે !’

ત્યારબાદ સરકારના આયોજન વિભાગના સચિવ શ્રી ડૅનિયલ ટી. જોસેફે ખળદ મુકામે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ના કાર્યાલયની મુલાકાત લીધી. તે વખતે વિલાસરાવે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ના બધા આર્થિક વ્યવહારના દસ્તાવેજો, ઓડિટરના અહેવાલ ઇત્યાદિ તેમની સમક્ષ સાદર કર્યા. ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ની દરેક સિંચાઈ યોજનાના ખર્ચનું ઓડિટ થયું હતું.

ઘણા દિવસો થયાં છતાં સરકાર તરફથી કાંઈ જાણવા મળ્યું નહિ. એટલે વિલાસરાવે સંબંધિત વ્યક્તિ પાસે ચોકસાઈ કરી, ત્યારે જોસેફની બદલી બીજા ખાતામાં થઈ હોવાની ખબર પડી. આગળ કાંઈ જ થયું નહિ.

વિલાસરાવ ખળદથી ઘરે પાછા આવ્યા. પરંતુ તે પહેલાં આ સમગ્ર પ્રકરણ વિશે સમાજના સન્માનનીય વ્યક્તિઓની તપાસ સમિતિ રચીને, તેની સમક્ષ પણ આપણે બધી માહિતી રજૂ કરીશું એમ તેમણે જાહેર કર્યું. આ અંગેના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તે કહે છે -

‘...રચનાત્મક કાર્યમાં વૃદ્ધિ થાય કે તે વખતે ક્રમવાર સંઘર્ષની ભૂમિકા આવે છે અને એ ભૂમિકા સ્વીકારીએ એટલે પ્રસ્થાપિતોનો વિરોધ અનિવાર્ય બની રહે છે. આનો સામનો કરવો મુશ્કેલ હોય છે, પણ આ કપરી ભૂમિકાને સત્યના આગ્રહ તરીકે અમે સ્વીકારી છે...’

અનેક સારાનરસા અનુભવ

ઈ.સ. ૧૯૭૨-૧૯૮૨ સુધના દસ વર્ષ વિલાસરાવ ‘પાણી’ વિષય પર સતત અભ્યાસ કરતા હતા. પોતાના વિચાર, પોતાનો અભ્યાસ યોજના પ્રયોગ દ્વારા સાકાર કરતા હતા. પાણી અઢળક હોય તો જ લિફ્ટની યોજના સફળ નીવડે છે એવું કેટલાક લોકો ભારપૂર્વક કહે છે. પણ ‘પાણી પંચાયત’ની યોજના દ્વારા લોકો સાથે મળીને એકબીજાના સહકારથી ઉપલબ્ધ હોય એટલું થોડુંક પાણી વહેંચી લે છે. પોતાનો વિકાસ પોતે જ કરે છે એ જોવા મળ્યું.

આ દસ વર્ષના અથાગ પ્રયત્નોમાં વિલાસરાવને અનેક સારા-નરસા અનુભવો થયા. સરકારી સ્તરે વિલંબ, ઢીલાશ, ઉદાસીનતા તેમને વ્યથિત કરતી. આપણે જુસ્સાભેર, હોંશથી કામ હાથ ધરીએ છીએ. તેને સરકારનો, તેની નોકરસાહીનો ઠંડો પ્રતિસાદ મળે છે. વ્યક્તિગત સ્તરે આ બધા જ (આગેવાન નેતા, અધિકારી) પોતાની યોજનાઓ, પ્રયોગોનાં દિલ ખોલીને વખાણ કરે છે, પણ કાર્ય કરવા તે ઉત્સુક નથી હોતા. નાયગામ પેટર્નને આધારે જી. આર. બહાર પાડે છે. પરંતુ તેની અમલબજવણી કરતાં નથી. આ વિરોધાભાસી વર્તન તેમને ખટકતું. આવા કારભારનો તેમને કંટાળો આવ્યો. લોકશાહીના નામે ચાલી રહેલી ભવાઈ તેમનાથી જોવાતી ન હતી. પણ કેવળ નેતાઓને દોષ દઈને કેવી રીતે ચાલે ? સામૂહિક વિકાસનો કાર્યક્રમ સપળ બનાવતાં, તે વિચારોને પ્રાધાન્ય આપનાર નેતૃત્વ નિર્મામ થવું આવશ્યક છે. મહારાષ્ટ્રની ગ્રામ્ય પ્રજાના આર્થિક જીવનમાં બદલાવ લાવવાનું કામ આપણા જેવા સુશિક્ષિતોનું છે. એ વિચાર તેમણે ક્યારેય વિસારે પડવા દીધો ન હતો.

સ્થાનિક સ્તરે, ગ્રામ્ય સ્તરે પાણીનો સંગ્રહ કરવો, તેની સમન્યાયી વહેંચણી કરવી, પાક-પસંદગીનો વિચાર કરીને ઉત્પાદન વધારવું એ પાણી પંચાયતની યોજનાઓ દ્વારા વિલાસરાવે દર્શાવ્યું. સેન્દ્રિય ખેતી ફાયદાકારક નીવડે છે, જળવ્યવસ્થાપન ખડૂતો સ્વીકારે છે, ઉપલબ્ધ થોડુંક પાણી વ્યવસ્થિત વહેંચી લઈ વિચારપૂર્વક વાપરે છે અને પોતાની આર્થિક, સંસારિક સ્થિતિ સુધારે છે. એ નજરે ચડે એમ સિદ્ધ કરી બતાવ્યા પછી વિલાસરાવ આ જ વૈચારિકતા લોકોના મનમાં ઉતારવા તરફ વળ્યા.

ઈ.સ. ૧૯૭૮માં ગાંધી જયંતિના દિવસે ‘પાણી પંચાયત’ની સ્થાપના થઈ. તે વખતે પાણી પંચાયતના સભાસદત્વની શપથ લેવામાં આવી. તેમાં જણાવ્યું હતું, ‘મહારાષ્ટ્રની છેલ્લાં વીસ વર્ષની ખેતીની પ્રગતિ અભિમાન જેવી છે, પરંતુ દુર્ભાગ્યે આ પ્રગતિનો લાભ ખૂબ જ થોડા લોકોને થયો. મહારાષ્ટ્રમાં રહેનારા અસંખ્ય જિરાયત ખેડૂતો, ખેતમજૂર, વસવાયા, નાના ખેડૂત આ વિકસિત સુધારેલ ખેતીનો લાભ લઈ શક્યા નહિ. જે તાંત્રિક પદ્ધતિથી પાણીનો સંગ્રહ અને વહંચણી કરવામાં આવે છે, એ પદ્ધતિ જ વિષમતા માટે કારણભૂત છે. તેને કારણે ૮૦% ગ્રામ્ય પ્રજા પાણીથી વિમુખ રહે છે... સરકારના આયોજનમાં ધરમૂળથી ફેરફાર કર્યા સિવાય અમને માર્ગ દેખાતો નથી. તે માટે ‘પાણી પંચાયત’ એક રાજકીય પ્રણાલી છે. આ પ્રણાલી અમલમાં મૂકવા સંઘર્ષનો માર્ગ સ્વીકારવો પડશે, તો તેમાં હું પાછળ રહીશ નહિ.

સરકાર જ આપણી તારણહાર છે, સરકાર જ લોકોનું હિત શેમાં છે તે નક્કી કરશે, એવી માન્યતા ગ્રામ્ય વિસ્તારમાં સર્વત્ર જોવા મળે છે. તેને બાંગીને ભુક્કો કરનારી આ શપથ. લોકોની આ રાજકીય ભાવનામાં, વિચારપ્રણાલીમાં બદલાવ કરાવવો મુશ્કેલ હોવૌ છતાં તે જરૂરી હતું. લોકો સાથે મળીને સહકારથી, સંપથી પોતાની ખરાબ સ્થિતિ દૂર કરી શકે. એ પાણી પંચાયત યોજનાઓ દ્વારા સિદ્ધ થયું હોવા છતાં, આવી વાતો સરળતાપૂર્વક સાકાર કરવા માટે સરકારી ધોરણનો સબળ આધાર આવશ્યક હોય છે એ પણ વિલાસરાવે પરાકાષ્ઠાએ અનુભવ્યું. ગામને માપદંડ માનીને ત્યાંના પાણીનો સંગ્રહ અને તેની વહેંચણી સમાન પદ્ધતિથી કરવા માટે યંત્રણના આવશ્યકતા રહે છે. તે યંત્રણામાં સરકારની સંપત્તિ અને અધિકાર હોય તો દુષ્કાળની આફત આવી પડશે નહિ. એ કહેવા જેટલો આત્મવિશ્વાસ વિલાસરાવને નાયગામ યોજના દ્વારા અને ‘પાણી પંચાયત’ની ઉદવહન સિંચાઈ યોજનાઓમાંથી મળ્યો હતો. આવી યોજનાઓ માટેનું તંત્રજ્ઞાન અને વ્યવસ્થાપન આપણી પાસે છે, પરંતુ આ પ્રયોગ અમલમાં મૂકવા માટે કેવળ લોકસહકાર પર્યાપ્તચ નથી. સરકાર પણ પ્રયોગશીલ, કૃતિશીલ જોઈએ. એ વિશે તે આગ્રહી હતા. એકાદ યોજના ઊભી કરીને તે સફળ કરી બતાવવી સ્વૈચ્છિક સંસ્થા માટે શક્ય હોય છે, પણ સરકાર એ યોજનાની અનેક આવૃત્તિઓ નિર્માણ કરી શકે. માત્ર તે માટે રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી હોય છે. તે માટે લોકોએ જ આગળ આવવું જોઈએ. લોકો રાજકીય દૃષ્ટિ જાગૃત થયા વગર તેમના પ્રશ્ન ઉકેલાશે નહિ, એ વિલાસરાવે અનુભવ્યું હતું જ.

રાજકીય પક્ષ સ્થાપવાનો નિર્ણય

છેલ્લાં દસ વર્ષથી લોકોના પ્રશ્ને વાચા આપવાનો પ્રયાસ તે કરી રહ્યા હતા. પાણી જેવા એક જ પ્રશ્ને ગ્રામ્ય ખેડૂતોને સંગઠિત કરીને અરજી, વિનંતિ, નિવેદન, મોરચા, ધરણા, ઉપવાસ, આંદોલન, સત્યાગ્રહ બધા માર્ગ અનુસર્યા. તે પોતે સૌમ્ય પ્રકૃતિ, મૃદુ, મિતભાષી હતા, પરંતુ ગ્રામ્ય ખેડૂતો માટે લડવાનું તેમણે વ્રત લીધું.

કોઈ પણ નવા વિચાર માટે રાજકીય પીઠબળ વગર અમલમાં મૂકવો મુશ્કેલ, નિરર્થક માથાફોડિયો હોય છે. પોતાના વિચાર પ્રત્યક્ષમાં ઉતારવાના હોય તો રાજકારણમાં નીતિવિષયક બદલાવ થવો જરૂરી છે. એટલે તેમણે ૧ જાન્યુઆરી ૧૯૭૩ના રોજ ‘રાષ્ટ્રીય પાણી પંચાયત પક્ષ’ (આરપીપી)ની સ્થાપના કરી. (પક્ષ શબ્દ આવે કે તેમાં અકારણ જ રાજકારણની ગંધઝ આવે. એટલે વિલરાસરાવના સાથી ચિં. પુ. થિટે એ પક્ષ ન કહેતાં આંદોલન કહેવા સૂચવ્યું, પણ વિલાસરાવને એ વિચાર ગળે ઊતર્યો નહિ) ૨૬ જાન્યુઆરીએ ૫૦૦૦ ખેડૂતોના સંમેલનમાં ખેડૂતનગર, ખળદ મુકામે...

દેશી ચાલ શિકા । રિતે કોણ લેખી રંકા ।।

હાતીં સૂત્રદોરી । તુકા મ્હણે ત્યાચી થોરી ।।

(દેશી રિવાજ શીખો । નકામા કોણ ગણશે ગરીબોને ।।

હાથમાં સૂત્રો, લગામ । તુકા કહે એની મહત્તા ।।)

આ તુકારામના અભંગની સાખે તેમણે પોતાના પક્ષનું જાહેરનામું રજૂ કર્યું.

‘રાષ્ટ્રીય પાણી પંચાયત પક્ષ’ની સ્થાપના થયાના સમાચાર વર્તમાનપત્રો દ્વારા, આકાશવાણી પરથી મહારાષ્ટ્રમાં દૂરદૂર સુધી પહોંચ્યા અને આખાય મહારાષ્ટ્રમાંથી ઠેરઠેરથી સેંકડો પત્રો વિલાસરાવને મળ્યા. વિલાસરાવે પછી સોલાપુર, લાતૂર, બીડ, ઉસ્માનાબાદ, ઇત્યાદિ જિલ્લાઓમાં પ્રવાસ કર્યો. ખેડૂતો, કાર્યકરો, પત્રકારો માટે સભા, બેઠકો આયોજિત કરવામાં આવી.

આમાંથી જ ૨૭ માર્ચના રોજ સોલાપુર જિલ્લાના કરમાળા તાલુકામાં દુષ્કાળ પાણી પરિષદ પાર પડી. ત્યાં ત્રણ હજાર ખેડૂતો હાજર હતા. એ પરિષદમાં રાષ્ટ્રીય પાણી પંચાયત પક્ષની માંગણીઓ સવિસ્તર જૂ કરવામાં આવી.

આ અરસામાં જ નીરા જમણી નહેરનું પાણી લેવા માટે ફલટણ વિસ્તારની બે ઉદવહન સિંચાઈ યોજનાઓની પરવાનગી નકારવામાં આવી. આ યોજનાના સભ્યો વિલાસરાવ પાસે સલાહ લેવા આવ્યા. પછી પાણી પંચાયતના કાર્યકરો એ વિસ્તારમાં ગયા. ત્યાંની એ દસ નંબરની શાખાથી ફલટણ સુધી નીરા નહેરના કાંઠે આવેલાં ખેતરોને કેટલું પાણી મળે છે, ક્યાં સુધી મળે છે, કેવી રીતે મળે છે. એનું સર્વેક્ષણ કરતાં કાર્યકરો નીકળ્યા. ઉપલબ્ધ પાણી કેટલું, કેટલું આપવામાં આવે છે. હજુય કેટલું આપી શકાય એમ છે, એનું આ પંચનામું જ હતું. વિશેષ એટલે કાર્યકરોએ આવી સર્વેક્ષણ યાત્રા શરૂ કર્યા પછી એ પ્રદેશના ખેડૂત પોતપોતાને હાથ આવ્યું એ સાધન લઈને તેમાં જોડાયા. ચારસો-પાંચસો લોકોનું આ જૂથ થયું. કેટલા એકરને પાણી મળે છે અને હજુય કેટલા એકરને મળવું જોઈએ એનું પંચનામું કરીને સર્વ અચૂક તારણો રજૂ કર્યાં બાદ સિંચાઈ વિભાગ દ્વારા તેમને એ બે સુરવડી અને ખરાડેવાડીની ઉદવહન સિંચાઈ યોજનાઓને નહેરનું પાણી મેળવવા પરવાનગી આપી.

સુરવડી ઉદવહન સિંચાઈ યોજનાને ૧૬ એકર જમીન માટે પાણી ખેંચવાની પરવાનગી મળી. એ યોજનામાં ૬૪ સભ્યો જોડાયા. પા, પા એકર માટે તેમણે પાણી વહેંચી લીધું. પા એકરને પાણી મળવાની ખાતરી મળે, તો ખેડૂત સ્વબળે પોતાને જિવાડી શકે છે એ ફરી જોવા મળ્યું.

પોતે આ પંચનામા યાત્રામાં સહભાગી ન બન્યાનો ખેદ અનેકોએ પાછળથી વિલાસરાવને પત્રો મોકલીને વ્યક્ત કર્યો હતો.

પાણીચોરોની ‘મફત લૂંટ’ વિરુદ્ધ

ખૂબ પહેલાંથી ભારતમાં જળસંગ્રહનું મહત્ત્વ વર્ણવવામાં આવે છે. તે માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ એ પાણી કેવી રીતે વહેંચવું, એ વર્ણવીને જમીનની માલિકીથી પાણીનો હક્ક જુદો કરવાનો પ્રયત્ન પહેલી વાર જો કોઈએ કર્યો હોય તો એ વિલાસરાવે. આ નવો વિચાર રજૂ કરીને તે લોકોના ગળે ઉતારવાનો, એ વ્યવહારમાં દૃશ્ય સ્વરૂપે ઉતારવાનો, તે માટે લોકફાળા સાથે જ સરકારી સહાય મેળવવાનો પ્રયત્ન તે ખૂબ જ મહેનતપૂર્વક કરતા હતા... ‘પાણી પંચાયત’ના ધોરણો અમલૂમાં મૂકીને પાણી ચોરોની ‘મફત લૂંટ’ બંધ કરવા મથી રહ્યા હતા.

‘પાણી એ સામુદાયિક, સહિયારી માલમિલકત છે.’ એ વિલાસરાવના વિચારને કાયદાનું પીઠબળ મળવું આવશ્યક હતું. લિફ્ટને કારણે જમીની ઉત્પાદકતા વધે છે. એ જોયાં પછી અનેક ધનવાન ખેડૂતોએ અનુશ્રવણ તળાવ નીચે સ્વતંત્ર રીતે પોતાની સગવડના સ્થળે બૉર કૂવા બનાવ્યા. શેરડી માટે મનમાન્યું પાણી ખેંચ્યું. આવી ઘટનાઓને કારણે ‘પાણી પંચાયત’ના ધોરણોના પ્રસારને નુકસાન થતું હતું.

‘પાણી પંચાયત’ના ધોરણમાં બીજાઓ માટે ત્યાગ કરવાની તૈયારી રાખવી પડે છે. પોતાની બધી જ જમીન સિંચાઈ હેઠળ આવશે નહિ એ સૂત્રનો સ્વીકાર કરવો પડે છે. અછત સમયે તંગી પણ વહેંચી લેવી પડે છે. આ માટે લોકોની માનસિકતા તૈયાર થાય એટલે તે જગાડી રહ્યા હતા.

લોકોને પાણી પોતાને જ અને તેય તરત જ જોઈતું હોય છે, દસ-પંદર લોકો સાથે મળવું, સભા-બેઠકના નિયમ ઘડવા, જમીનની માવજત કરવી, ક્યારા ખોદવાં. આ બધું કોણ કરતું બેસી રહે ?’ આવી લાંબાગાળાની પ્રક્રયા કરતાં ‘બોર બનાવો અને ચટ દઈને પાણી મેળવો’ એ માટે રાહ જોવી પડતી નથી. એ સિવાય રાજકીય આગેવાનો છે જ, ‘ચૂંટી લાવો.’ તમારા આંગણે નહેરનું પાણી મફતમાં લાવી આપું છું કહેવાને. આવા આશ્વાસનો પર વિશ્વાસ રાખીને જીવવાનું લોકોનેય ગમે છે. આમ ને આમ દિવસો પસાર થાય છે. ‘પાણી પંચાયત’ના ધોરણ અનુસાર ૨૦% ખર્ચ ભોગવાવનો, શ્રમદાન કરવાનું ! એ કરતા કોઈક આંગણામાં નહેરનું પાણી લાવી આપતું હોય તો તેની પર વિશ્વાસ રાખવો આસાન છે !

પાણી બાબતે વિલાસરાવે રજૂ કરેલા વૈકલ્પિત વિચારોને સર્વત્ર પ્રસરાવી શકાય એ આમ મુશ્કેલ જ હતું.

લોકોને જળસ્રાવ ક્ષેત્ર વિકાસ જોઈએ. જળ સંચય, જમીન સંરક્ષણ જોઈએ. પણ ‘પાણી પંચાયત’ના પાણીની વહેંચણીના ધોરણો પાળવા નથી. આવા લોકોને પોતાની વાત, પોતાના વિચાર ગળે ઉતારતાં વિલાસરાવ થાકી જતાં. ઉદાસ થતાં અને પછી નાયગામની ઝાડીમાં દૂર એકાંતમાં જઈને વિચાર કરતા. કલાક બે કલાકે પાછા આવીને વળી કામે લાગતા, તેમન આ મનઃસ્થિતિ નજીકથી જોનારા એકનાથ ભિવા કડ કહે છે - ‘એકલો ડોંબારી (રસ્તા પર કસરતના ખેલ કરી બતાવનાર જાતિ) ક્યાં સુધી રમે, તેનેય જોનારા કોઈક’તો જોઈએ કે નહિ. આ સમાજ કેવો છે ? તમારી પાછળ ચાલનારો, પણ તમે ડૂબવા લાગતાં પાછળ ને પાછળ ભાગનારો, તમે સુખરૂપ પેલે પાર પહોંચ્યા પછી અમે પૂછીશું - તમે કયા રસ્તે ગયા, એ રસ્તેથી અમે આવીશું. આવો આ સમાજ. વાઘ મારનારો વાઘ મારે અને જોનારાઓ કહે, ભાઈલા ભારે કામ કર્યું. કરાણ તેમનો દાડો આમ જ પસાર થાય છે.

આદર્શ સમાજરચનાનું અહર્નિશ ચિંતન

નાયગામ પેટન, પાણી પંચાયત યોજના સફળતાપૂર્વક ઊભી કરીને બતાવ્યા પછી વિલાસરાવ સાળુંખે ફરી પોતાના ઉદ્યોગ તરફ વળશે, પહેલાના ઉત્સાહ સાથે હરણફાળ ભરશે એવી તેમના સ્નેહી પરિવારોની ધારણા ભૂલભરી નીવડી. તેમણે ે માર્ગ જ પડતો મૂક્યો. તે વખેત ભાઉસાહેબ નેવાળકરે તેમને કહ્યું ખરું, ‘વિલાસરાવ, સમાજસેવા એ જ્વર છે. આ રીતે બાળકોને અન્યાય થશે !’ પણ વિલાસરાવ પાછા ફર્યા નહિ.

કલ્પનાબહેના મોટા ભાઈ ભાઈસાહેબ જગતાપને તે અરસામાં શરદ પવારે પણ કહ્યું, ‘વિલાસરાવે ઉદ્યોગક્ષેત્ર તરફ ફરીથી આવવું જોઈએ. એ ક્ષેત્રને તેમની જરૂર છે. બે કૃષિ સ્નાતકોને સાથે રાખીને જોઈએ તો તેમણે કૃષિ વિષયક કામો કરાવી લેવા જોઈએ.’

વિલાસરાવ તારણહારની ભૂમિકા દ્વારા સમાજ ઉપર ઉપકાર કરવા માટે સામાજિક કાર્ય તરફ વળ્યા ન હતા. મારે જ આ કરવું જોઈએ. એ જવાબદારીની સમજણ સાથે તે તેમાં ઊતર્યા. એ કામગીરી પાર પાડવા તેમણે પોતાની નૈતિક જવાબદારી માની. ત્યાં તડજોડનો, માર્ગ બદલવાનો પ્રશન ઉદ્‌ભવતો ન હતો.

પછી વિલાસરાવે મલ્હારસાગર (નાઝરે) મુકામે ‘પાણી બાબા મઠ’ની સ્થાપના કરી. (જૂન ૧૯૮૪) તે વિષયે તેઓ લખે છે, (પાણી પંચાયત, ઑગસ્ટ ૧૯૮૪) ‘શાંતિપૂર્વક પણ પ્રજાની પાસે રહીને પોતની રીતે થોડા લોકોનો દારિદ્રયનો રોગ મટાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દારિદ્રય રોગ સારો થાય એટલે કામ પૂરું થયું એમ અમને લાગતૂું નથી. કારણ જેમનું દારિદ્રય પૂરું કરવામાં અમે થોડીઘણી મદદ કરી, તેમના મૂળ રોગ અજ્ઞાન, અહંકાર, સંકુચિત સ્વાર્થ દ્વેષ, મત્સર, કાયરતા, લાચારી જેવા અવગુણ હજુય લોહીમાં જ છે. એની જાતે તપાસ કરી શકાતી નથી, પણ મની પરીક્ષામાં આ સ્પષ્ટ થાય છે. એટલે દારિદ્રય હઠાવવા કરતાં અઘરું કામ રોગીનું મન સુધારવું એ છે. આ સુધારવા માટે એને આવશ્યકતા છે એ ઔષધ વગર સારવાર કરનારા દવાખાના અને ડૉક્ટરોની. આવું નવતર પહેલું દવાખાનું અમે ૧૭ જૂને શરૂ કરી રહ્યા છીએ અને તેનું નામાભિધાન ‘પાણી બાબા મઠ’ રાખવામાં આવ્યું છે...’

નાયગામ યોજના, ખળદમાં ‘ખેડૂત વિકાસ કેન્દ્ર’ અને હવે ‘પાણી બાબા મઠ’ દ્વારા વિલાસરાવ આદર્શ સમાજ રચનાના પોતાના પ્રયાસ આગળ ધપાવી રહ્યા હતા. સમાજને વિજ્ઞાન, સામાજિક ન્યાનયે આધારે આર્થિક વિકાસની દિશા મળ્યા પછી આગળનો તબક્કો આવે છે - સમાજની રાજકીય ઉન્નતિ. આ સર્વ બાબતોમાં ગ્રામ્ય પ્રજાનું પ્રબોધન કરવા માટે, સમજણ જાગૃત કરવા માટે વિલાસરાવે મઠની સ્થાપના કરી.

ત્યાર પછીના નવ-દસ મહિના વિલાસરાવનો વસવાટ મહદ્‌.અંશે મલ્હારસાગર નાઝરે તલાવ પાસેના શિવશંભો ઉદવહન જળ સિંચાઈ યોજના નજીકના આ પાણી બાબા મઠમાં હતો. પાણીના સંગ્રહ પાસે જ મઠ બનાવીને તેમણે પાણી પરના હક્કની ધ્વજા જાણે લહેરાવી. આ મઠ એટલે સાદી એવી ઝૂંપડી હતી. ત્યાં સતત ખેડૂત ભાઈઓનવી અવરજવર હતી. અવારનવાર સભા-બેઠકો યોજાતી. દૂર દૂરથી લોકો વિલાસરાવને મળવા આવતાં.

આ સમયગાળામાં કલ્પનાબહેન પણ કાંઈ સ્વસ્થ બેઠા ન હતા. ઈ.સ. ૧૯૭૮માં હડપસર પાછા ગયા પછી વળી ઈ.સ. ૧૯૭૯-૮૦માં (અનેક પાણી પંચાયત યોજના એકી સાથે તૈયાર થઈ રહી હતી ત્યારે) છ-આઠ મહિનામાં તે પરિવાર સાથે નાયગામ આવ્યા. તે સમયે તેમણે ‘શ્રમ પંચાયત’ની રચના કરી. ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવાનોને અડધો સમય કામ ઉપલબ્ધ કરાવી આપી તેમને ખેતીના ઉત્પાદન સૈાથે આવો વિકેન્દ્રીત રોજગાર નિર્માણ કરાવી આપ્યો. ગાયોની ગમાણ ખાલી જ હતી. ‘ઍક્યુરેટ’ના કેટલાંક યંત્રો ત્યાં ખસેડ્યાં. આઠ-દસ યુવાનોને તાલીમ આપીને કામ ચાલુ કર્યું. આ માટે ‘ઍક્યુરેટ’ના ચંદ્રકાન્ત કડ ત્યાં આવીને રહ્યા હતા. ‘ઍક્યુરેટ’ માટે જરૂરી એવા કેટલાક ઉત્પાદન અહીંથી પૂરા પાડવાનો આ પ્રયાસ હતો. પરંતુ વીજળીનો અનિયમિત પુરવઠો, અવરજવરની સગવડનો અભાવ જેવા કારણોસર આ પ્રયોગ બંધ કરવો પડ્યો. પરંતુ ‘શ્રમ પંચાયત’ દ્વારા તાલીમ પામેલા અનેક યુવાનોને ‘ઍક્યુરેટ’માં અને અન્યત્ર નોકરીઓ મળી.

અવિકસિત વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે અને ‘પાણી પંચાયત’ના ખેડૂત પ્રશિક્ષણ કેન્દ્ર માટે વિલાસરાવે ઈ.સ. ૧૯૮૨માં ખળદમાં ૧૪ એકર જમીન લીધી. સાસવડ-જેજુરી રાજમાર્ગ પર આ ખળદ ગામ આવતું હોવાથી અવરજવરની સરળતા પણ હતી. કલ્પનાબહેને ખળદમાં ભાડેથી જગા લઈને ‘શ્રમ ંપચાયત’ના મશીનો ત્યાં ખસેડ્યાં. શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારની સુશિક્ષિત યુવતીઓને તાલીમ આપીને ‘ઍક્યુરેટ’ના ઉત્પાદન માટે આવશ્યક છૂટા ભાગ બનાવવા માટે ‘અહિલ્યા ઉદ્યોગ’ની સ્થાપના કરી. એ અરસામાં ‘ઍક્યુરેટ’નું નવું કારખાનું પણ ખળદમાં તૈયાર થઈ રહ્યું હતું. ‘ઍક્યુરેટ’ના વધુ શ્રમબળ લાગનારા કેટલાંક ઉત્પાદનો બજારની સ્પર્ધાને કારણે બંધ કરવા પડ્યાં હતાં. નાના ઉદ્યોગમાં આ ઉત્પાદનોનું નિર્માણ કરીને એ ઓછી કિંમતે વેચી શકાય, એથી સાળુંખેએ ‘અહિલ્યા ઉદ્યોગ’નું રૂપાંતર ‘આદિત્ય એન્જિનિયરિંગ’માં કર્યં. તે માટે અપાર શ્રમ કરીને કલ્પનાબહેને કારખાનું ઊભું કર્યું. તે માટેનું મૂડીરોકાણ ઊભું કરવા પોતાના દાગીનાય તેમણે ગીરવે મૂક્યા. એના વ્યાપમાં તે સંપૂર્ણપણે ડૂબી ગયા.

આ ગાળામાં વિલાસરાવ ‘પાણી પંચાયત’, ‘પાણી બાબા મઠ’માં વ્યસ્ત હતા. હડપસરના કારખાના તરફ દુર્લક્ષ્ય થવાથી આર્થિક અને વહીવટી સ્થિતિ કથળી હતી. વિશાળ કરજના ડુંગર ખડકાયા અને તેવામાં વિલાસરાવે ચૂંટણીમાં ઊભા રહેવાનો નિર્ણય લીધો હતો.

ચૂંટણી માટે ઉમેદવારી

ઈ.સ. ૧૯૮૫નું વર્ષ આવ્યું. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી હતી. ‘ગામમાં ન્યાય મેળવવા માટે વગડામાં, નહિ તો ચાવડી પર બરાડા પાડવા પડે છે.’ એટલે વિલાસરાવે નક્કી કર્યું, મહત્ત્વના પાણી પ્રશ્ન તરફ સહુનું ધ્યાન ખેંચાય એ માટે રાજકારણમાં પ્રવેશ કરવા વિધાનસભાની ચૂંઠણી લડવાનો. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારની પ્રજાને રોજગાર બાહેંધરી આપીને તેને ખેતીમાંથી બહાર કાઢવાને બદલે પાણીની બાંયધરી આપીને સ્વરોજગાર નિર્માન તરફ ધ્યાન આપવામાં આવે એ માટેના પ્રયત્ન કરવાનો.

સ્વૈચ્છીક સંસ્થાનાં સાધનો મર્યાદિત હોય છે. સામાજિક કાર્યકર ચોક્કસ મર્યાદા સુધી જ પોતાના કામ પાર પાડી શકે છે. કેટલાક પ્રશ્નો સરકાર હસ્તક હોય છે. તેનો નિર્ણય કેવળ વિધાનસભા જ લઈ શકે છે, કારણ તે પ્રશ્ન નીતિવિષયક હોય છે. દુકાળિયા ખેડૂતોને પાણીનો લાભ મળે એ માટે નીતિવિષયક બલદાવ જ્યાં કરવામાં આવે છે, ત્યાં આપણે જવું જોઈએ એવો તેનો દાવો હતો. ખેડૂતોના પ્રશ્ને અભ્યાસપૂર્ણ બોલનારો પ્રતિનિધિ ત્યાં જોઈએ. ‘કામદારોનો પ્રશ્ન જેમ દબાણથી ઉકલી શકે તેમ ખેડૂતોનોય ઉકેલાવો જોએ. પણ એ ઉકેલાતો નથી. કારણ ખેડૂતો સંગઠિત નથી. ઉપરાંત તેો નસીબમાં માનનારા છે. વર્ષો સુધી તે દુષ્કાળ સહન કરતા આવ્યા છે, પણ પ્રયત્ન દ્વારા નસીબ બદલી શકાય છે એ હવે તેમને અનુભવથી ગળે ઊતર્યું છે...’ સામાજિક કાર્યકરોને જ સામાન્ય લોકોની જાણ હોઈ શકે. તે પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય એ તેમને અનુભવ દ્વારા સમજાયું હોય છે. એટલે સામાજિક કાર્યકરો રાજકારણમાં જોઈએ જ. નહિ તો ‘તપોવન’ સંસ્થાના શ્રી શિવાજીરાવ પટવર્ધના કાર્યની રતીભાર જેટલીય જાણ ન ધરાવનારા રાજકીય વ્યક્તિએ એકી ધડાકે પ્રશ્ન ફગાવી દીધો, તેમ ન થયું હોત. જીવનભર ખપી જઈને ઊભા કરેલા કાર્યની આવી રસીદ ! એટલે જ સામાજિક કાર્યકરે રાજકારણમાં આવવું જોઈએ. સામાજિક કાર્યકર સામાજિક પરિવર્તન માટે જેમ કાર્યરત હોય છે, તેમ તેણે રાજકીય ફેરફાર માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ, નહિ તો સામાજિક પ્રક્રિયા અને વિકાસ યોજના વચ્ચ સંબંધ જ રહેતો નથી.’ એમ પણ તેમનું કહેવું હતું.

પુરંદર તાલુકાના પાણી પ્રશ્ન માટે ત્યાંના ખેડૂતોના વિકાસ માટે પાછલાં બાર વર્ષ સુધી મથામણ કરી. તનતોડ મહેનત કરી. ત્યાંના લોકો આપણને ચૂંટી લાવશે એવો વિલાસરાવને વિશ્વાસ હતો.

વિલાસરાવ રાજકારણમાં આવે નહિ, ચૂંટણીના ફંદામાં પડે નહિ એટલે કલ્પનાબહેન વિનવતાં હતાં. વિલાસરાવના મિત્ર પરિવારોએ, સગાવહાલાંઓએ, હિતચિંતકોએ એવું ભારપૂર્વક કહ્યું. પુણેના ‘મરાઠા ચેમ્બર ઑફ કોમર્સ’માં તો તેમના હિતચિંતકોની એક ખાસ સભા પણ થઈ. તે સહુએ જ વિલાસરાવને ચૂંટણીમાં ઊભા ન રહેવું એવી ઇચ્છા વ્યક્ત કરી. કેટલાકે એમ પણ સૂચવ્યું, ‘તમે વિધાન પરિષદમાં જવાનો પ્રયત્ન કરો, અમેય મદદ કરીશું.’

વિલાસરાવે પોતાનો વિચાર શ્રી યશવંતરાવ સમક્ષ વ્યક્ત કર્યો. ત્યારે તેમણેય કહ્યું, ‘વિલાસરાવ, તમારો પિંડ સામાજિક કાર્યકરનો, સમાજકારણનો. તમારે રાજકારણમાં પડવું ન જોઈએ. એ પિંડ અને પેટર્ન તમને ગોઠશે નહિ.’

કલ્પનાબહેનની તે સમયની એક નોંધ કહે છે (૧૫ ફેબ્રુઆરી ૧૯૮૫). પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું એમના સ્વભાવમાં નથી. હાલની પરિસ્થિતિ જોતાં એમની વ્યાવસાયિક જવાબદારીઓ અને કટોકટીમાંતી બહાર આવવા માટે એમણે કેટલોક સમય તો ઉદ્યોગ પાછળ પૂરો કસમય આપવો જરૂરી છે. ઔદ્યોગિક, સામાજિક અને રાજકીય કાર્યક્‌ઍષેત્રમાં એકી સાથે કામ કરવાની એમની રીત અત્યંત તણાવ સર્જનારી છે...’ હવે અમારી વચ્ચે આ બધી બાબતે મુક્ત મને ક્યારેય વાત જ થતી નથી. આ ચૂંટણીમાં સફળ થશે તો અમારો એકબીજા સાથે પસાર થનારો સમય ખૂબ જ થોડો હશે.’

વિલાસરાવે લીધેલા નિર્ણય સામે સહુનો જ વિરોધ હતો, પરંતુ તે પોતાના નિર્ણયમાં અડગ હતા. પાણી પ્રશ્ને લોકો સંગઠિત થઈને પ્રશ્નનો ઉકેલ આવે છે કે નહિ, તે પણ તે જોવા ઇચ્છતા હતા.

વિલાસરાવ ચૂંટણીમાં ઊભા રહ્યા. બીજાઓની જેમ પૈસા તો વહેંચ્યા નહિ જ, પણ અયોગ્ય પ્રચાર પણ કર્યો નહિ. અસ્તિત્વ ધરાવનાર કોઈ પણ પક્ષે તેમને ઉમેદવારી આપી હોત. બધાં રાજકીય પક્ષ તેમના મિત્ર હતા. કેટલાક આપ્ત રાજકીય નેતા હતા પણ પાણી પ્રશ્ને કોઈ ચોક્સ એવી ભૂમિકા લેતું નથી, એનો તેમને ખેદ હતો. એ જ વિષય લઈને તેમણે ચૂંટણીમાં ઊભા રહેવાનું નક્કી કર્યું. પોતે જેમના માટે સતત દસ વર્ષ કામ કર્યું, તેમના ભરોસે તે ઊભા રહ્યા અને ચૂંટણી હાર્યા. તેમની અનામતની રકમ પણ જપ્ત થઈ. ‘અમે પહેલા જ પૂરમાં તણાઈ ગયા.’ એમ વિલાસરાવે ખેદ વ્યક્ત કર્યો.

લોકોએ મશ્કરી કરી ‘પાણી પંચાયત’નું પાણીપત થયું !

ચૂંટણીનાં પરિણામો જાહેર થવાને સમયે ‘પાણી પંચાયત’ના બધા કાર્યકરો ખેડૂતનગર (ખળદ)માં એકઠા થયા હતા. કાર્યકરો નિરાશ થયા, છતાં તે નિશ્ચિત જ પડી ભાંગ્યા ન હતા. જ્યાં કોઈ પણ પ્રચાર વ્યવસ્થા પહોંચી શકી ન હતી, એ થાપેવાડી ગામમાં પાણી પંચાયત માટે ૧૦૦% શુદ્ધ મતદાન થયું હતું.

વૈચારિક પરાભવ

વિલાસરાવને ચૂંટણી હાર્યાનો, પોતાના પરાભવનો ખેદ ચોક્કસ થયો, પણ એ ખેદ પોતાના વૈયક્તિક પરાભવ થવાનો ન હતો. ‘વિલાસરાવનો વિચાર પરાભૂત થયો.’ એમ લોકો કહેવા લાગ્યા એનો હતો. વિલાસરાવને ખુરશીનો, સત્તાનો લોભ ન હતો. એવું જ હોત તો મહારાષ્ટ્રના બધા કૉંગ્રેસ અગ્રણીઓ સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ હતો. તનો લાભ તે લઈ શક્યા પણ હોત. છેક યશવંતરાવ ચૌહાણ સુધી તેમનો સુંદર પરિચય, પણ વિલાસરાવે કોઈનીય આગળ અપેક્ષા વ્યક્ત કરી નહિ. કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી મેળવી નહિ કે કોઈ પણ માનભર્યું પદ મેળવ્યું નહિ (આમ સરકારની ખેતી, પાણી, સિંચાઈ વગેરે સાથે સંકળાયેલી અનેક સરકારી સમિતિઓમાં તેમની નિમણૂક થઈ હતી.) કોઈ પણ પક્ષના લોકો પાણી પ્રશ્નને ચૂંટણીના ઢંઢેરામાં મહત્ત્વ આપતા ન હતા. તેને કારમે જ વિલાસરાવ સ્વતંત્રપણે ઊભા રહ્યા. પાણી પ્રશ્ન વિશે વિધાનસભામાં ચર્ચા થાય, ઓછામાં ઓછા મહારાષ્ટ્રના ૮૭ દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ધારાસભ્યોને પાણી, દુષ્કાળ જેવા વિષયની જાણ થાય એમ તેમને લાગતું હતું.

ચૂંટણી હારી ગયાનો દોષ વિલાસરાવને કઈ રીતે આપી શકાય ! તેમના પરાભવનું મૂળ લોકમાનસમાં છે. આજેય જાતિ અને પૈસા એ જ રાજકારણમાં પ્રભાવટ ઘટક છે. ‘સરકાર બંધનું પાણી નહેર દ્વારા, કાંસ દ્વારા તમારા ખેતર સુધી પહોંચાડશે, એ માટે તમારે કેડૂતોએ હેરાનગતી વેઠવાની જરૂર નથી.’ એવું જ જો સ્થાનકિ રાજકીય નેતા કહેતા હોય અને તેમની છેતરામણીનો સામાન્ય પ્રજા ભોગ બનતી હોય તો દોષ કોનો ? ‘ખેડૂત સંગઠન’ (શેતકરી સંઘટના)ના શ્રી શરદ જોશી કામ કરવા છતાંય તે જ ચૂંટણીમાં હાર્યા. લોકો પહેલાં જ જુદા જુદા પક્ષ સાથે જોડાયેલા હોય છે, સામાજિક કાર્યકરોએ સામાજિક કાર્ય જ કરવું. તેમણે રાજકારણની ભાંજગડમાં પડવું નહિ. એ તેમનું કામ નથી, એવી જ લોકોની ધારણા હોય છે.

એટલે જ નાયગામ યોજનાના ફાળ આવેલ ગૌરવ ‘પાણી પંચાયત’ આંદોલનને પ્રાપ્ત થયું નહિ. આદર્શ યોજના નિહાળવા, તેનું અભિવાદન કરવા સમાજના બધા થરનાં સન્માનનીય વ્યક્તિઓ હાજરી નોંધાવી ગયા, પણ તે યોજનામાંથી એક ચળવળ ઊભી થાય છે. કહેતાં તેને ટાઢો પ્રસિદા મળ્યો. વધુમાં આવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થવા દેવાનું કઈ પ્રસ્થાપિત રાજ્યસત્તાને ગમે ?

‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ પુરંદર તાલુકામાં લગભગ ધસો ઉદવહન સિંચાઈ યોજનાઓ ઈ.સ. ૧૯૮૧થી ૧૯૮૫નાં પાંચ વર્ષના સમયગાળામાં ઊભી કરવાની આકાંકષા જાહેર કરી. આ યોજનાઓને પરિણામે ૧૦૦ ગામડાંઓનો મળીને એકંદર ૨૫ હજાર એક વિસ્તાર સિંચાઈ હેઠળ આવ્યો હોત. ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોત.

‘પાણી પંચાયત’ના ધોરણ અનુસરીને તયાર થનારી આ ઉદવદન સિંચાઈ યોજનાઓને મદદ કરવાનું ધોરણ સ્વીકારવામાં આવે. આવી યોજનાઓ માટે ૮૦% અનુદાન આપવામાં આવે. તાત્કાલિક વીજળી જોડાણ થાય. આવી સગવડો આપવી, એવી માંગણીઓ પ્રતિષઅઠઆનએ શરખઆર સમક્ષ રજૂ કરી. મહારાષ્ટ્ર સરકારને એ યોજનાનું આયોજન ગળે ઊતર્યું હતું, પણ ?

જાગૃતિની વધતી આવશ્યકતા

પણ આ આટલી યોજનાઓ ઊભી કરવા માટે સરકાર પાસેથી અનુદાન મળવું શક્ય જ ન હતું. સરકારે માત્ર ડોકું ધણાવીને માન્યતા આપીને એ માંગણીઓની હવા કાઢી નાંખી. વાસ્તવમાં માન્યતા આપ્યા પછી તેની કાર્યવાહી માટે કોને જવાબદાર ગણવા ? માંગણીઓ અગ્રક્રમે પૂરી થાય એ માટે કોની પાસે આગ્રહ સેવવો ? ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ એક સમાજસેવી સંસ્થા. તેના હાથમાં છસો યોજનાઓ ઊભી કરવા માટે ખાસ્સું મોટું ભંડોળ સુપ્રત કરવું એ એક નવું જ ધોરણ બની રહ્યું હોત. આ પહેલાં ક્યારેય આવું બન્યું ન હતું. આ નવો ધારો કોણ પાડે ? એકાદ ટ્રસ્ટના હાથમાં આટલું મોટું ભંડોળ આપવું એટલે ટ્રસ્ટીઓના હાથમાં મોટી સત્તા જ આપવા બરાબર હતું. એકાદ-બીજા પ્રયોગ યોજનાઓ માટે ભંડોળ આપવું ઠીક, પરંતુ છસો યોજનાઓ ! મહત્ત્વનું એટલે જે સરકારી વિભાગો ગ્રામ્ય વિકાસ સાથે સંકળાયેલા છે, તેમના હાથમાં પછી કયા અધિકાર બાકી રહે ! પાણી જેવી નિર્ણાયક મહત્ત્વની બાબતનું ભાવી કોઈક ટ્રસ્ટના હાથમાં જવાનું હોય તો સરકારને પૂછે કોણ ? અને ખાસ તો ‘પાણી પંચાયત’ના આદર્શ ધોરણો અનુસાર તે પાણીની પહેંચણી જમીનના પ્રમાણમાં રાખવાને બદલે વ્યક્તિના પ્રમાણમાં થવાની હોય તો સત્તા ચલાવવાનું એક મહત્ત્વનું હથિયાર નેતાઓનાં પર્યાયે સરકારના હાથમાંથી જશે અને ગ્રામ્ય પ્રજા જ સરકાર પર નિરંતર દબાણ કરવા લાગશે. આ શાસકોને કેવી રીતે પરવડે ? નોકરશાહીને કેવી રીતે અનુકૂળ આવે ? આવી વૈકલ્પિક સરકાર કોણ ઇચ્છે ? પ્રતિષ્ઠાન વ્યવસ્થાપકીય ભૂમિકા દ્વારા કામો પાર પાડી શકે, એ વિલાસરાવે ગમે એટલું સિદ્ધ કરી બતાવ્યું હોય, ગમે તેમ પ્રતિપાદન કર્યું હોય છતાં તેનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેને કારણે વ્યક્તિગત સ્તરે સન્માનનીય વ્યક્તિઓએ, અધિકારીઓએ, નિષ્ણાતોએ વિલાસરાવનાં વખાણ કર્યાં છતાં ધોરણ તરીકે એકંદરે રાજકીય વ્યક્તિઓએ અને વ્યવસ્થાએ જ તેમની ઉપેક્ષા કરી.

આ બધું વિલાસરાવ જાણતા હતાં જ. તેમણે હવે જાગૃતિ ઉપર ભાર આપવાનું નક્કી કર્યું. પોતાનો વિચાર તેમણે કાર્ય દ્વારા સિદ્ધ કરી બતાવ્યો હતો. એ વિચાર જ દૂર દૂર પહોંચાડવો, ગ્રામ્ય ખેડૂતમાં જ નહિ, પણ જનમાનસમાં પાણી પ્રશ્ને જાગૃતિ નિર્માણ કરવી એની પર તે મક્કમ હતા. ચૂંટણીની નિષ્ફળતા સાથે તેનો સંબંધ ન હતો, પંરતુ તે પહેલાં તેમને પોતાના વ્યવસાયની વિખરાયેલી વ્યવસ્થા પહેલાંની જેમ બરાબર સરખી કરવાની હતી.

હડતાળ, તાળાબંધી વગેરે

ઈ.સ. ૧૯૭૨થી ત્યાર પછીનાં દસ વર્ષ વિલાસરાવ ‘પાણી પંચાયત’ના કાર્ય તરફ અધિક વ્યક્ત હોવાને કારણે ના કહીએ છતાં ‘ઍક્યુરેટ’ કંપની તરફ તેઓ બેધ્યાન રહ્યા. સુમંત, નવરે, ઘાટે, વાકચૌરે જેવા તેમના સાથીઓએ કંપની સરસ રીતે ચલાવી હોવા છતાં મૂળ માલિક બેધ્યાન થવાને કારણે કેટલીક માઠી અસરો થઈ. કેટલાક સારા માણસો કંપની છોડીને જતા રહ્યા. આ એક અને બીજી માઠી અસર એટલે કરજ, લોક આઉટ, હડતાળનોય વિલાસરાવને સામનો કરવો પ્યો.

‘ઍક્યુરેટ’માં તે વખતે બસોએક કામદારો કામ ઉપર હતા. વિલાસરાવે ગમે એટલું ટાળવા છતાં તેમનું છેવટે યુનિયન થયું જ.

વિલાસરાવ વર્નિયર કૅલિપર્સ પોતાના કારખાનામાં બનાવી રહ્યા હતા. આ ઉત્પાદની વિકાસ પ્રક્રિયામાં ખૂબ ખર્ચ થતો હતો. જે સ્ટીલ પરદેશમાંથી આયાત થતું હતું તેની ઉપર ૨૩૦% કર ભરવો પડતો અને જે ઉત્પાદન આયાત થતું તેની ઉપરનો કર હતો માત્ર ૩૦%. આ સરકારી ધોરણને કારણે વર્નિયર કૅલિપર્સ તૈયાર કરવાનું વિલાસરાવને આર્થિક રીતે પરવડતું ન હતું. વિલાસરાવનો ભાર ઉત્પાદન આયાત કરવા કરતાં પોતાના જ કારખાનામાં એને વિકસિત કરવા પર હતો. પહેલાં જ પ્રિસિજન ઇન્ડસ્ટ્રીમાં નફાનું પ્રમાણ ઓછું, તેમાં વિલાસરાવ પોતાનાં ઉત્પાદનોની કિંમત દલાલોનાં અંદરોઅંદર કમિશન વધારવાને કારણે અધિક વધે નહિ એટલે દલાલોને બાજુએ રાખી વ્યવહાર કરતાં. ઓછામાં ઓછા નફા અનુસાર કિંમતો રાખતા. તેને કારણે નફાનું પ્રમાણ પહેલાં જ ઓછું હતું. તેમાં વર્નિઅર કૅલિપર્સ વિકસિત કરીને તેનું ઉત્પાદન કરતાં ખર્ચ વધ્યો. કરજ વધ્યું. ‘ઍક્યુરેટ’ને ભરપૂર ખોટ ગઈ. અંતે વર્નિયર કૅલિપર્સનું ઉત્પાદન બંધ કર્યું. તેને કારણે કેટલાક કામદારને છૂટા કરવાનો વખત આવ્યો... યુનિયનની હડતાળ વગેરે થઈ કંપનીમાં તાળાબંધી થઈ. એ બધાંનો વિલાસરાવે દૃઢતાપૂર્વક સામનો કર્યો... વિલાસરાવ પાસે બે મોટરો હતી તે તેમણે વેચી દીધી. છ મહિના કારખાનું બંધ જ હતું... કરજ મુક્ત થઈને ધંધાની ગાડી પહેલાની જેમ પાટા ઉપર લાવવી અત્યંત આવશ્યક હતી. વિલાસરાવ એ કામમાં ફરી ગૂંથાયા.

વિલાસરાવે ત્યાર પછીના ચારપાંચ વર્ષ અપાર મહેનત કરીને, કરજમુક્ત થઈને વ્યવસાયને ફરીથી નામના અપાતી. તુર્ત જ ઈ.સ. ૧૯૮૭માં તે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પડ્યા. આ આયાત પર્યાય ઇલેક્ટ્રોનિક મૂલ્યાંકન ઉત્પાદન ભારમતાં પહેલી વાર જ થતું હતું.

ઈ.સ. ૧૯૮૫માં સેન્ટ પૅટ્રિક ટાઉનમાં આવેલો એક પ્લૉટ તેમના નામે ઍલોટ થયો. એકંદર આર્થિક પરિસ્થિતિ ધ્યાને લઈને એ પ્લૉટ ૭૦ હજાર રૂપિયા ભરીને કબજે લેવા અને તેની પર બંગલો બાંધવા તે તૈયાર ન હતા. પછી કલ્પનાબહેન જ આગળ આવ્યાં, પણ પૈસા ઓછા પડ્યા. ત્યાર બાદ માધવરાવ પવાર અને પર્કાશ જગતાપે મદદ કરી, પ્લૉટનો કબજો મેળવ્યો... વિલાસરાવે આ કામમાં ધ્યાન આપ્યું નહિ. તમને સમય જ ન હતો. એ બધી કામગીરી કલ્પનાબહેન પાર પાડતાં હતાં.

હળવે હળવે બધું થાળે પડીને ગાડી માર્ગે આવી ન આવી, ત્યાં જ એક નવું સંકટ ઊભું થયું. ઈ.સ. ૧૯૮૬માં પુણેમાં ચાળીશ ઉદ્યોગસમૂહો પર ઉત્પાદન શુલ્ક વિભાગની ધાડ પડી. ‘ઍક્યુરેટ’ ઉદ્યોગ જૂથની તપાસ થઈ. એ તપાસમાં ‘ઍક્યુરેટ’ પર કરવામાં આવેલી દંડની આકારણી વિલાસરાવને અન્યાયી, અયોગ્ય જણાઈ. કોઈ પણ તડજોડ કર્યા વગર તે કેસ ત્યાર પછી પંદર વર્ષ સુધી લડ્યા. આકારવામાં આવેલ દંડની રકમ કરતાં અનેકગણો વધારે ખર્ચ થયો (વિલાસરાવના મૃત્યુ પછી એ કેસનો ચુકાદો ‘ઍક્યુરેટ’ની તરફેણમાં આવ્યો.)

વાંચન-મનન-ચિંતન ચાલુ જ !

પોતાના વ્યવસાયની ગાડી પાટે ચડાવવા માટે વિલાસરાવે ભરપૂર સમય આપવો પડતો હોવા છતાં, એ કામમાંથીય સમય કાઢીને તેમનું પાણી અંગેનું, પાણી પ્રશ્ન વિષયે વાંચન-મનન-ચિંતન ચાલુ જ હતું. દરમ્યાન ઈ.સ. ૧૯૮૪-૮૫માં આંધ્ર પ્રદેશ, કર્ણાટક રાજ્યમાં પણ ‘પાણી પંચાયત’ના ધોરણે ઉદવહન સિંચાઈ યોજનાઓ ઊભી થી. મહારાષ્ટ્રમાં ફલટણ, મુળશી, બારામતી, માવળમાં પણ આવી યોજનાઓ ઊભી થઈ. પુરંદર તાલુકામાં વધુ પાંચ યોજનાઓ ચાલુ થઈ. દેશોદેશનાં પાણી વિષયક ધોરણો, કાયદાનો તો તે અભ્યાસ કરતા હતા પણ ભારતમાંય પ્રાચીન કાળમાં પાણી વિષયક કેવી વ્યવસ્થા હતી, એની શોધ કરવા માટે તેમણે સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યે. એ માટે તે સંસ્કૃત ભાષા શીખ્યા. પુણેના ‘ભાંડારકર પ્રાચ્ય સંશોધન કેન્દ્ર’માં જઈને તે ગ્રંથાલયીન સંશોધન કરતા. આ ચાર-પાંચ વર્ષના સમયમાં તેમણે પાણી વિષયે તાત્ત્વિક સ્વરૂપે પોતાના વિચાર રજૂ કરી શકાય એટલો અભ્યાસ કર્યો.

પાણી વહેંચણી પદ્ધતિનો અભ્યાસ કરવા માટે વિલાસરાવ ઈ.સ. ૧૯૭૮-૭૮માં જળગાંવમાં એન્જિનિયર શ્રી ના. લેલેની યોજના ઉપર જતા હતા. લેલે ઈ.સ. ૧૯૮૪માં કેન્દ્રસરકાર વતી અહમદનગરમાં નહેરના પાણીની વહેંછણી પદ્ધતિ નક્કી કરવાનું કામ કરતા હતા. વિલાસરાવ તેમને અહમદનગરમાં જઈને મળ્યા. એ ધનમાપન પદ્ધતિનો તેમણે અભ્યાસ કર્યો. નહેરનું પાણી જેમને મળે છે તેમને કાંઈ મુશ્કેલી નથી હોતી, પણ જેમને મળતું નથી તેમનો પાલક કોણ ? લોકોએ જ તેમાં ધ્યાન આપવું જોઈએ. સરકારે દાખલ કરેલ પદ્ધતિની કાર્યવાહી બરાબર વ્યવસ્થિત ચાલુ રહે એ માટે એકાદ સ્વૈચ્છિક સંસ્થાએ જ સજાગ રહેવું જોઈએ એ વિલાસરાવના ધ્યાને આવ્યું અને પછી પોતાના સરખા વિચાર ધરાવતા મિત્રો શ્રી આર. કે. પાટીલ, શ્રી કે. આર. દાતે, શ્રી ના. લેલે, શ્રી ચિં. મો. પંડિત, શ્રી એ. વૈદનાથન, બાપુ ઉપાધ્યે સાથે ‘સોપેકૉમ‘ (ર્જીષ્ઠૈીંઅ ર્કિ ઁર્િર્દ્બૈંહખ્ત ઁટ્ઠિૈંષ્ઠૈટ્ઠૈંદૃી ઈર્ષ્ઠ જીઅજીંદ્બ સ્ટ્ઠહટ્ઠખ્તીદ્બીહં) સંસ્થાની સ્થાપના કરી. વિલાસરાવ તેના સંસ્થાપક અધ્યક્ષ થયા.

નાના-મોટા બંધોમાંથી, નહેરોમાંથી મળનારું પાણી વધુમાં વધુ લોકોને કેવી રીતે મળે એ જોવું વિલાસરાવને જરૂરી જણાયું. બે-ત્રણ વર્ષ ‘સોપકૉમ‘નું કામ કર્યા પછી તેમણે, ‘સંસ્થા ચાલુ રહેવા દો, હું બીજા કામ તરફ વળું છું.’ કહીને સંસ્થાનું અધ્યક્ષપદ છોડ્યું.

હવે તેમણે જમીનના માપથી પાણી માપવાને બદલે ઘનમીટરમાં પાણીનું ગણિત માંડ્યું. મહારાષ્ટ્રમાં માથાદીઠ દર વર્ષે સામાન્યતઃ ૧૦૦૦ ઘ.મી. પાણી મળવું આવશ્યક છે. એવું સૂત્ર માંડીને એ સૂત્રને આધારે મહારાષ્ટ્રના પાણી આયોજનનો સ્કેચ પણ ત્યાર પછી તેમણે તૈયાર કર્યો.

‘મહારાષ્ટ્ર સરકારે જળનીતિ તરીકે દરેક ખેડૂતને ઓછામાં ઓછું પાણી મળી રહે અને એ પાણીનો યોગ્ય વપરાશ થાય એ જોવું.’ એમ તે વખતોવખત (તેમની હયાતીમાં થઈ ગયેલા મહારાષ્ટ્રના પ્રત્યેક) મુખ્યમંત્રીને પત્ર મોકલીને સૂચવતાં, આગ્રહ સેવતાં, ખેડે તેને પાણી મળવું જોઈએ એ મુદ્દો દૃઢતાપૂર્વક રજૂ કરતા.

સફળતાનો ચઢતો આલેખ

આમ જોઈએ તો વ્યક્તિગત સ્તરે સુખ પામીને તૃપ્ત થાય, એવી સફળતા વિલાસરાવે પોતાના વ્યવસાયમાં અને સામાજિક કાર્યમાં મેળવી પણ હતી.

• નાયગામ પેટર્ની સફળતા પછી ઈ.સ. ૧૯૮૦થી ૧૯૮૪ના ગાળામાં બૅ. શ્રી અ. ર. અંતુલે, શ્રી વસંતદાદા પાટીલે તેમના કાર્યકાળ દરમ્યાન વિવિધ સરકારી ઠરાવ (જી. આર.) બહાર પાડીને આ ‘પાણી પંચાયત’ના ધોરણોની પૂરક માંગણીઓને સ્વીકૃતિ આપી.

• વિલાસરાવના કાર્યનો અભ્યાસ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ અને અભ્યાસ જૂથોએ કર્યો. ‘ફોર્ડ ફાઉન્ડેશને’ પણ પાણી પંચાયતની યોજનાઓનો અભ્યાસ કરીને અહેવાલ (૧૯૮૦) તૈયાર કર્યો. એઅહેવાલ પછી ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ને ૧,૪૫,૦૦૦ ડૉલર્સનું ભંડોળ ચોક્કસ શરતો પર આપવાની ઇચ્છા વ્યક્ત કરી, પણ એ શરતો વિલાસરાવને સ્વીકાર્ય ન હોવાથી તેમણે એ નકાર્યું. તે સિવાય વિકાસનાં કામો કરવા હોય તો તે આ દેશના જ પૈસા ઉપર વિદેશી નહિ, એ નિર્ધારણ પણ એની પાછળ હતો.

• વિલાસરાવના કાર્યો પર માહિતી ફિલ્મ (ડૉક્યુમેંટ્રીજ) બની.

• અનેક સરકારી સમિતિઓમાં, અભ્યાસ જૂથોમાં સરકારે તેમની નિમણૂક કરી. સિંચાઈ ખાતાના વરિષ્ઠ અધિકારીઓ તેમની સાથે સંપર્ક રાખતા (તેને કારણે તેમને વિવિધ યોજનાઓની માહિતી મળતી.)

• મહારાષ્ટ્ર સરકારે સર્વાંગીણ જળસ્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ (૧૯૯૮૩)નો સ્વીકાર કર્યો. આ વિલાસરાવના કાર્યનો જ પ્રભાવ હતો. શ્રીમતી ઇન્દિરા ગાંધીના વીસ મુદ્દાના કાર્યક્રમાં પાણી પંચાયતને અગ્રસ્થાન મળ્યું.

• વિકાસશીલ રાષ્ટ્રોમાં ઊર્જા, પાણી વિષયે તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને કાયમી ઉકેલ શોધનાર વ્યક્તિને સ્વીડનના રાજા તરફથી ‘ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ ઍવોર્ડ’ આપવામાં આવે છે. આ પુરસ્કારને આ ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની સમકક્ષ ગણવામાં આવે છે. ઈ.સ. ૧૯૮૬ના જૂનમાં એ વિલાસરાવને આપવામાં આવ્યો.

• ઑગસ્ટ ૧૯૮૬માં તેમને ‘જમનાલાલ બજાજ પુરસ્કાર’ પણ મળ્યો.

• આઈ.એ.એસ. અકાદમીના પ્રશિક્ષણાર્થીઓ દર વર્ષે નાયગામની મુલાકાતે આવતાં. તેમના અભ્યાસક્રમાં નાયગામ પેટર્નનો સમાવેશ હતો. આ અકાદમીમાં અને અન્યત્ર પણ વિલાસરાવને વ્યાખ્યાન માટે બોલાવવામાં આવતા.

• સંતોષ મૅથ્યુ નામના આઈ.એ.એસ. અધિકારીએ બિહારમાં પાલામ્યૂ જિલ્લામાં પાણી પંચાયતના ધોરણે તે જ નામે કામ ઊભું કર્યું.

વ્યક્તિગત સફળતા પર સંતુષ્ટ થનાર લોકોમાંના વિલાસરાવ નહોતા જ. ઔદ્યોગિક ક્ષેત્રની જેમ સામાજિક ક્ષેત્રમાં પણ તેમનો દૃષ્ટિકોણ વિકાસનો હતો. પોતાના ક્ષેત્રમાં પણ વધુ લોકોને સમજણપૂર્વક, તેમનામાં જાગૃતિ નિર્મણ કરીને જોડવા એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. ‘ગરીબ માણસોની સહનશીલતાની મર્યાદા નથી, એટલે જ આપણે લહેર કરીએ છીએ. આ સહનશીલતાને અંકુશમાં નહિ રાખવામાં આવે તો આપણી લહેરનીય મર્યાદા રહેશે નહિ. એટલે તે જનજાગૃતિના, લોકશિક્ષણના માર્ગને પણ અનુસર્યા. ‘પાણી પંચાયત’નો વિચાર અધિક વ્યાપકપણે ઉતારી શકાય. તેને વિજ્ઞાનનો, વ્યવસ્થાપનનો આધાર મળે એ માટે ખેડૂતનગર (ખળદ)માં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી.

પ્રશિક્ષણની યોજના

‘પાણી પંચાયત’ના કાર્યકરોના પ્રશિક્ષણ અર્થે ‘બેરફૂટ મૅનેજર’, ‘બેરફૂટ એન્જિનિયર’ અભ્યાસક્રમ તૈયાર કરીને તેમાંથી કાર્યકરોના વર્ગ લીધા. આવા અનેક પ્રશિક્ષિત કાર્યકરો ગામેગામ ગયા. તેમણે ત્યાં કામો કર્યાં. તેમની આ યોજના સાતત્યે અને વધુ સમય ચાલી નહિ. તેમાંથી નેત્રદીપક કહી શકાય એવું કાંઈ થયું નહિ. છતાં દર વર્ષે થોડા થોડા કાર્યકરો તૈયાર થતાં જ રહ્યા. વિચારો ઉતારવાનું થતું રહ્યું. કામો ઊભાં થયાં.

ખળદમાં તેમણે ‘ખેડૂત વિકાસ કેન્દ્ર’ પણ ચાલુ કર્યું. ત્યાં નિષ્ણાતોના ખેતીવિષયક નવી માહિતી આપનારાં વ્યાખ્યાનો થતાં. ચર્ચાસત્ર યોજાતાં, આવા અનેક કાર્યક્રમોમાં ‘ઍક્યુરેટ’ના કામદારોનો, કાર્યાલયના કર્મચારીનો ફાળો રહેતો. ખેતી અને કારખાનેદારીના સંબંધમાં કેવું સામીપ્ય હોઈ શકે એ વિષયે ચર્ચા થતી.

ભૂખ લાગલી અનંત ।

માઝા વાટ દેઈ મલા ।।

(ભૂખ લાગી છે અપાર ।

ભાગ આપ મારો મને ।।)

આ સંત તુકારામની વાણી અનુસાર આજનું જે સામાજિક ચિત્ર દેખાય છે. તે બદલવામાં સહાયક થવું, એવું આહ્‌વાન વિલાસરાવ ‘પાણી પંચાયત’ની પત્રિકા દ્વારા કરતાં. સરકાર હજારો કરોડ રૂપિયા ખર્ચીને બંધ બાંધે છે, તેની નીચે જેમની જમીન ડૂબી જાય છે એવા હજારો ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવે છે અને જેમની જમીન સિંચાઈ હેઠળ આવે છે તેમને પાણી આપવામાં આવે છે, અને તે પણ જમીનના પ્રમાણમાં. આને કારણે ખેડૂત અધિક ધનવાન થાય છે. ધનવાન અને ગરીબ ખેડૂતો વચ્ચેનું આર્થિક અને સામાજિક અંતર વધતું જ જાય છે, એવો વિલાસરાવનો આક્ષેપ હતો. ‘પાણી પંચાયત’ દ્વારા વિલાસરાવ સમતાનો વિચાર રજૂ કરી રહ્યા હતા. છેવાડાના ખેડૂતને ઉપર લાવવાના પ્રયત્ન કરતા હતા.

વિલાસરાવની વખતોવખતની માંગણીનો પડઘો રાજકીય નેતાઓના ભાષણોમાં પડતો હતો. રાહુરીના ‘મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટી’ના અગિયારમાં પદવીદાન સમારંભના (૧૯૮૪) અધ્યક્ષ હતા શ્રી યશવંતરાય ચૌહાણ. એ સમારંભમાં શ્રી વસંતદાદા પાટીલને ‘ડૉક્ટર ઑફ સાયન્સ’ પદવી આપીને યુનિવર્સિટીએ ગૌરવ કર્યું. યશવંતરાવ અને વસંતદાદા બંનેએ પોતાના વક્તવ્યમાં ‘મહારાષ્ટ્રમાં નહેરનું પાણી ખેતીને પૂરું પાડવામાં પ્રાકૃતિક મર્યાદા છે. નહેરના પાણી હેઠળનો વિસ્તાર વધુમાં વધુ ૩૦% છે. એટલે ૭૦% ખેટી જિરાયત રહેવાની છે... ઓછું, ચોક્કસ અને યોજનાબદ્ધ રીતે પાણી વાપરીને જિરાયત ખેતી સરસ કઈ રીતે કરી શકાય, એ અંગે સંશોધન થઈને ખેડૂતોને તે મુજબ શિક્ષણ આપવું જોઈએ... પાણીની વહેંચણી સમાન થાય એવી પણ માંગણી મહારાષ્ટ્રમાં થઈ રહી છે, જેવા વિચાર વ્યક્ત કર્યા. આ અંગે પોતાની પ્રતિક્રિયા નોંધતા વિલાસરાવ પોતાની પત્રિકામાં કડવાશ સાથે કહે છે : ‘સહુની ખેતીને સમાન વહેંચણીના ધોરણે પાણી આપવાનું આયોજન થવું જોઈએ. આવો જાગૃત મંત્ર આપવાનું કામ ‘પાણી પંચાયત’ હાલ કરી રહી છે, પણ પ્રસ્થાપિત સત્તા પરના અને સત્તા ભોગવી ચુકેલા રાજ્યકર્તા આ વિષય તરફ ‘અન્યાય કરીને કહે છે અન્યાય નથી.’ એવા સંત રામદાસના કથન મુજબ વર્તે છે એવું અમને લાગે છે. મહારાષ્ટ્રમાંથી ૨૦૦૧ની સાલમાં ૩૦% જમીન પાણી હેઠળ આવશે અને તેનો લાભ ગ્રામ્ય જનસંખ્યાના કેવળ ૨૦% પ્રજાને જ મળશે. આનો અર્થ મહારાષ્ટ્રની ૮૦% પ્રજા અને ૭૦% જમીન નિસર્ગની મહેરબાની પર અવલંબીને રહેવાની છે. આ કાળનો ઘંટ અમે અમારા રાજકારણી લોકો સામે વગાડાવનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કાંઈ કામ આવ્યું નહિ.’ તે આગળ લખે છે, ‘મહારાષ્ટ્રની જળસંપત્તિનું સામાજિકીકરણ કરવું એ મહારાષ્ટ્ર સમક્ષ મોટો પડકાર છે. આજે આપણે ફક્ત તેનું સરકારીકરણ કરી રહ્યા છીએ. નહેરનું પાણી આપવાનો વિચાર જ્યાં સુધી આપણે આપણા મગજમાંથી કાઢી નાંખતા નથી, ત્યાં સુધી દુષ્કાળગ્રસ્ત પ્રજાને કદાપી ન્યાય મળનાર નથી. વિજ્ઞાનની મદદથી સહુને પાણી પહોંચાડવાનો અને તેમાં લોકોને સહભાગી બનાવવાનું મુશ્કેલ કરી બતાવવાના પ્રયોગ અમે બાર વર્ષથી કરતા આવ્યા છીએ...’ ‘આ લોકશાહીમાં રાજ્યકર્તાઓ જ અસામાન્ય હોઈ શકે અને અન્ય પરંપરાગત સામાન્ય નીવડે છે, એવો વિચાર દિવસો દિવસ સમાજમાં પ્રસરી રહ્યો છે. આવા આ અસામાન્ય લોકોના વિચાર પર ભાષ્ય કરવાનું કામ મારા જેવા એક સામાન્ય માણસે સ્વીકાર્યું છે.’ ‘ઉઘાડી આંખે જોતા રહીને, સાંભળીને અને અનુભવમાંથી શીખી શકાય છે. મળેલું જ્ઞાન તમે ખેડૂતો સુધી પહોંચાડ્યા સિવાય ખેતી અને ખેડૂતોના પ્રશ્ન ઉકેલાશે નહિ. આ મુખ્યમંત્રીના વિધાન સાથે અમે સહમત છીએ, પણ આ ૫ાનામૃત બહુજન સમાજના હિત માટે ઉપયોગમાં લાવવાનો આપણે પ્રયતઅન કરીએ છીએ. તે વખતે માત્ર જ્યાં ત્યાં સંઘર્ષનો પ્રશ્ન જાગે છે. આવા સમયે સત્તા હોવા છતાં જે લોકો આ પ્રયત્નો ખાળી શકતાં નથી, તેમના આ પ્રકારના બોલવાનો અમારા શો એર્થ કરવો ?

આક્ષેપ કરવા યોગ્ય સરકારી ધોરણો

સરકારનું ખાદ્યતેલ આયાત કરવાનું ધોરણ, ખાંડ ઉત્પાદન વૃદ્ધિ માટેની મથામણ અંગેય વિલાસરાવનો આક્ષેપ હતો.

દર વર્ષે કેટલાક કરોડ રૂપિયાનું ખાદ્યતેલ આયાત કરવાથી ગામડામાં કેટલો રોજગાર ઓછો થાય છે, કોઈ પણ ખોટો ઉદ્યોગ ધંધો બંધ પડે છતાં આટલી બેકારી સર્જાતી નથી. ગરીબ ખેડૂતોની આ કરુણ વાસ્તવિકતા સરકાર સમક્ષ રજૂ કરવાનો તેમનો પ્રયત્ન રહેતો.

મહારાષ્ટ્રમાં મોટી યોજનાઓ હેઠળ અનેક જળસંગ્રહ નિર્માણ થયા. પણ ૬૦% જેટલો જ પાણીનો ઉપયોગ થતો હતો, એવો સરકારી અહેવાલ જ હતો. આ મૂડીરોકાણ પર સરકારને પર્યાપ્ત વ્યાજ પણ મળતું ન હતું. એટલે આ પાણીનો ઉપયોગ વ્યવસ્થિત રીતે વધારી શકાય એ માટે ‘પાણી પંચાયત’ના ધોરણે ચાલનારી ઉદવહન સિંચાઈ યોજનાઓ જેવી થોડી વધારે કિંમતના મૂડી ખર્ચ માટે સરકારે તત્પરતા દાખવવી જોઈએ એમ તેમનું કહેવું હતું. આમ થાય તો ચારસો-પાંચટસો કરોડ રૂપિયાનું ખાદ્યતેલ આયાત કરવું પડશે નહિ એવોય તેમનો દાવો હતો. સંકલિત આયોજન દ્વારા ખાદ્યતેલના કારખાના જિલ્લા સ્તરે ઉદ્યોગ-વિકાસ સાથે જોડી શકાશે એવો વિચાર પણ તે ‘પાણી પંચાયત’ પત્રિકા દ્વારા રજૂ કરતા.

પોતાના આ વિચાર તેમણે ભારતીય આયોજન મંડળના માજી ઉપાધ્યક્ષ શ્રી લાકડાવાળા સમક્ષ રજૂ ય કર્યા. ત્યાર બાદ આયોજન મંડળના સદસ્ય શ્રી બી. શિવરામન જાતે નાયગામ આવીને ‘પાણી પંચાયત’ યોજના નિહાળીને વિલાસરાવ સાથે ચર્ચા કરી ગયા.

વિલાસરાવે પાણીની વિવિધ યોજનાઓનો સર્વાંગી અભ્યાસ કર્યો હતો. મોટી મોટી યોજનાઓ એક પ્રદેશમાં શરૂ થાય એટલે તે પ્રદેશનો વિકાસ કરી શકાય, એવી ભ્રામક કલ્પનામાં રાજ્યકર્તા અને સ્થાનિક નેતૃત્વ રાચે છે. મોટા મૂડીરોકાણને કારણે કેટલીક વિશિષ્ટ બાબતોના ઉત્પાદનની વૃદ્ધિ થાય છે, કેટલાક સ્થાનિક ઉદ્યોગધંધાને વેગ મળે છે, પણ તેને કારણે વિકાસ ઝડપી બનશે એ ભ્રમ નીવડે છે. આ અત્યાર સુધીની બધી યોજનાઓએ સિદ્ધ કર્યું છે એવોય તેમનો નિષ્કર્ષ હતો. જે ઠેકાણે પાણીનાં સાધનો સરકારની તિજોરીમાંથી નિર્માણ થાય છે અને જેમને પાણી મળે છે, તે લોકો અવિચારીપણે પાણી વાપરીને જમીનની ધૂળધાણી કરે છે. જેમને પાણી મળતું નથી, તે બહુસંખ્ય હોવા છતાં નસીબને દોષ આપતાં ચૂપ બેસે છે. જમીન, પાણી અને માનવશક્તિનો વધુમાં વધુ યોગ્ય ઉપયોગ થાય તો જ રાષ્ટ્રીય સંપત્તિ વધશે એમ તે વારંવાર કહેતાં.

એકતરફી વિચારસરણી જોખમકારક

મહારાષ્ટ્રમાં સિંચાઈ માટે પાણી ઘણુંખરું અસમાન વહેંચવામાં આવે છે. વધારે પાણીની જરૂરિયાતવાળી શેરડી માટે જ તે મોટેભાગે આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સિંચાઈ હેઠળની ૧૬% જમીનો પૈકીની ૩% જમીન પર શેરડીનું વાવેતર થાય છે. તે માટે ઉપલબ્ધ પાણીસંગ્રહનું ૭૦% પાણી વાપરવામાં આવે છે. શેરડી હેઠળની ઘણીખરી બધી જમીન અને ખાંડના કારખાના રાજકીય વ્યક્તિઓનાં તાબામાં. શેરડી માટે સિંચાઈ અર્થે પાણી મેળવનારો આ એક અત્યંત શક્તિશાળી વર્ગ. તેને કારણે પાણી અસમાન વહેંચાય છે. શેરડી ન પકવનારા ખેડૂતોને માત્ર માંડમાંડ મળનારા પાણી પર પૂરું કરવું પડે છે. ખાંડના કારખાનામાં માત્ર ખાંડ જ તૈયાર છે એવું નથી, પણ સંપૂરણ શાસનવ્યવસ્થા અને રાજ્યસત્તા પોતાની હસ્તક રાખી શકાય છે. શેરડી માટે આવશ્યક પાણી સરકારના કરોડો રૂપિયાના ખર્ચે મળેલું હોય છે. તેની પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. આ વધુ પડતા પાણીને કારણે હજારો એકર જમીન ક્ષારયુક્ત થાય છે. ઊખર થાય છે, પરંતુ તેનો વિચાર કરવા આજે કોઈનેય નવરાશ નથી... એટલે ‘પાણી પંચાયત’ પાણીની વહેંચણી જે પદ્ધતિએ શરૂ કરી છે, તેનો અભ્યાસ કરવાની આજે વેળા આવી છે એમ વિલાસરાવ ભારપૂર્વક જણાવતાં.

ગ્રામવિકાસ, જળ આયોજન, કાંડ ઉત્પાદન વિશેની પોતાની વાત તે હંમેશા આંકડાવારી સાથે રજૂ કરતાં. કાંડ ઉત્પાદની ઘેલછા મહારાષ્ટ્રના વિકાસ માટે ઘાતક છે એનો વિચાર સુજાણોએ કરવો, મહારાષ્ટ્રમાં વધતો ખાંડ ઉદ્યોગ એ એકતરફી વિચારસરણી દ્વારા સંકટને આમંત્રણ આપી રહ્યું છે. જ્યાં સુધી આપણે શેરડી હેઠળનો વિસ્તાર આ પરિસ્થિતિમાં નિયંત્રીત કરીશું નહિ અને તે માટે વાપરવામાં આવનારું પાણી નિશ્ચિત કરીશું નહિ, ત્યાં સુધી મહારાષ્ટ્રના દુષ્કાળ પર અસરકારક ઉપાય હાથ લાગવાનો નથી.

• શેરડી માટે પાણી વેડફવામાં આવે છે.

• હજારો એકર જમીન ખારી-નકામી થાય છે.

• શેરડીને લિફ્ટ દ્વારા અથવા કૂવામાંથી પંપ દ્વારા પાણી આપવામાં આવે છે. તે માટે સરકારી અનુદાન મળે છે.

• શેરડી ઉત્પાદકોને રાસાયણિક ખાતર માટે અનુદાન મળે છે, સરકારી અનુદાનો, પાણીના બગાડમાંથી આ ખાંડ ઉત્પન્ન થાય ચે.

‘જુવાર-બાજરીને બે વખત પાણી આપવું પડે છે. ઘઉંને છ વખત અને શેરડીને આખી સિંચાઈ નહેર ! અહીંનું મુખ્ય અનાજ જુવાર, બાજરી. આ ધાન્યની પોષક ગુણવત્તા ખાંડથીય વધારે. પણ આપણી દોડ માથાદીઠ ખાંડની ઉપલબ્ધતા વધારવાની, ૧૯૪૭માં એ માથાદીઠ પાંચ કિલો હતી. ૨૦૦૦ની સાલમાં એ ૨૦ કિલો થાય એવું સરકારી ધોરણ છે. તેલની અને અન્નધાન્યની ઉપલબ્ધતા માત્ર ઘટતી ગઈ છે.’ આવી વિલાસરાવની ફરિયાદ ૨ જુલાઈ ૧૯૮૯ના રોજ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રસિદ્ધ થઈ હતી. ‘મહારાષ્ટ્રમાં સહકારી ખાંડનાં કારખનાંઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મોટો બદલાવ આવ્યો છે, એ કોઈ પણ નકારતું નથી. પરંતુ આ બદલાવ મર્યાદિત ક્ષેત્રમાં અને મુઠ્ઠીભર લોકો પૂરતો જ આવ્યો છે.’ એવો તેમનો આક્ષેપ હતો.

ઑક્ટોબર ૧૯૮૯ની ‘પાણી પંચાયત પત્રિકા’માં તે સ્પષ્ટ શબ્દોમાં લખે છે, ‘ખેતીના પાણીનો પ્રશ્ન એક જ મુદ્દાનો કાર્યક્રમ મહારાષ્ટ્ર સરકારનો હોવો જોઈએ. એમ શ્રી શરદ પવાર મુખ્યમંત્રી થતાં પહેલાં કહેતા હતા. પણ મુખ્યમંત્રી થયા પછી ‘વિશિષ્ટ પાક લેવા અંકુશ મૂકવાનો વિચાર ભૂલભર્યો છે.’ એવો મત રજૂ કરે છે. શરદ પવારના વાક્ય પર વિલાસરાવ મર્મભેદી વચન લખે છે : ‘મહારાષ્ટ્રના ખાંડના કારખાના એ ગ્રામ્ય વિકાસનાં આભૂષણ છે કે ગ્રામ્ય વિકાસમાં મોટો આગળો છે એની પર ભાષ્ય કરવાનો અધિકાર સંપૂર્ણપણે સત્તાધારીઓ જ હસ્તક છે.’ તે આગળ કહે છે, ‘કાંડનાં કારખાનાંઓની વૃદ્ધિ એટલું એકમાત્ર લક્ષ્ય નજર સામે રાખીને આજના રાજ્યકર્તાઓની ગ્રામ્ય વિકાસની માન્યતા બંધાઈ છે. ખાંડના કારખાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાંય ઊભા કરી શકાય. ડુંગરાળ પ્રદેશમાંય ઊભા કરી શકાય. જે સ્થળે કારખાનું ઊભું કરવું હોય, તેની આસપાસ સિંચાઈની ઉપલબ્ધતા ન હોય, શેરડીની ખેતી ન હોય, છતાં કારખાનું શરૂ કરી શકાય, એવું અજબ ધોરણ મહારાષ્ટ્રના રાજકારણીઓએ ખોળી કાઢ્યું છે... આજે છ લાખ લોકો પોતાનાં ઘરબાર છોડીને દર વર્ષે શેરડી વાઢવા જાય છે. પોતાની ખેતીને પાણી નહિ, એટલે તે તરફ દુર્લક્ષ્ય સેવે છે. ઊભા થનાર ખાંડનાં કારખાનાંઓની પ્રગતિ ધ્યાને લઈએ તો આ મજૂરોનો આંકડો છ લાખ પરથી દસ લાખ સુધી જશે... આ (વિકાસની) ગંગા માત્ર ૨૦% પ્રજાને અનુભવવા મળશે અને ૮૦% ગ્રામ્ય પ્રજા આનાથી વંચિત રહેશે. આ વિ,મતાની ખીણ સર્જાશે, તે વખતે પાણીના પ્રશ્ને મહારાષ્ટ્રમાં મહાભારત સર્જાશે !’

વિલાસરાવના વિચાર ભવિષ્યનો તાક લેનારા હતા. હજુ કેટલાંક વર્ષ પછી મહારાષ્ટ્રમાં પાણીની શું દશા થવાની છે એ ખરાબ હાલત નિવારવી હોય તો કઈ તકેદારી લેવી જોઈએ એનું માર્ગદર્શન કરનારા હતા.

આપણી જળસંપત્તિ એ જ સમાજની સહુથી મોટી એકમાત્ર સંપત્તિ છે. તેની ઉપલબ્ધતા નિશ્ચિત કરીને તેનો લાભ આયોજન દ્વારા સહુને થાય, તો તેનો ઉપયોગ વધુ સારી રીતે થઈને, સમગ્ર સમાજની સર્વાંગ ીપર્ગતિ સ્વાવલંબનથી થઈ શકે એવો તેમને વિશ્વાસ હતો. એટલે જ તે કહેતાં, ‘રોજગાર બાંયધરી કરતા પાણીની બાંયધરી એ સૂત્ર જો જળસંપત્તિના આયોજનનો સારાંશ થશે તો જ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારની કાયાપલટ થઈ શકે અને એ સામાજિક સાંસ્કૃતિક હશે. પારંપરિક પદ્ધતિથી ચાલી રહેલ જળસંપતિનો દૂરઉપયોગ (પ્રવાહ હેઠળ જેટલી જમીન આવે તેને જ પાણી) બદલવાની આએજે આવશ્યકતા છે. મહારાષ્ટ્રમાં વરસનારું પ્રત્યેક ટીપું નાના મોટા જળાશયમાં સંગ્રહવું જોઈએ. આ બાબતે કોઈનો જ વિરોધ નહિ. પણ તેની વહેંચણી ન્યાયી પદ્ધતિથી કરવાનું સૂત્ર આંકીને કરવું જોઈએ.’ તેના ત્રિસૂત્ર વિલાસરાવ માંડે છે.

વિલાસરાવના ‘ત્રિસૂત્ર’

૧. ગ્રામ્યસ્તરે પાણીનો સંગ્રહ અને સમાન વહેંચણીની પદ્ધતિ લોકોના જ સહભાગથી કાર્યાન્વિત થવી જોઈએ.

૨. ઉપરના આયોજનબાદ તાલુકા સ્તરે, નાની નદીઓ પર જળાશય બાંધીને તે ગ્રામ્યસ્તરના આયોજનને પૂરક કરવા.

૩. જિલ્લા સ્તરે મોટી નદીઓના જળાશય તાલુકા સ્તરની જરૂરિયાતને અને આયોજનને કઈ રીતે પૂરક થાય, એ દૃષ્ટિએ મોટા જળાશયોના સંચય કરીને...

આ બધાની સાંકળ નિર્માણ કરીને પાણીની બાંયધરી મળવી જોઈએ. ગ્રામ્યસ્તર પર પાણીનું આયોજન કઈ રીતે કરવું શક્ય છે, એ પાણી પંચાયતના પ્રયોગોએ નિશ્ચિત કર્યું છે.

‘પાણી પંચાયત’નો આ અનેરો પ્રયોગ ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વેગ આપનારો છે.

આ પ્રયોગ મહારાષ્ટ્રના અન્ય ભાગમાં પ્રસારિત થવા માટે સરકારે, સંબંધિત સંસ્થાઓએ કેટલાક ધરમૂળથી બદલાવ આયોજનમાં કરવા આવશ્યક છે. તેની રજૂઆત વખતોવખત પંચાયતે સરકાર સમક્ષ કરી છે. તે બાબતે જનમત જાગૃત કરવાનીય આવશ્યકતા છે. (પાણી પંચાયત, એપ્રિલ ૮૯)