Saraswati Chandra - Part - 3 - 10 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૦

મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ

રાણી દ્ધારા કરેલો પ્રયત્ન નિષ્ફળ જતાં સામંતે જરાશંકર દ્ધારા પ્રયત્ન કર્યો. એક દિવસ જરાશંકરે મલ્લરાજ પાસે વાત કાઢી. ‘મહારાજ, સામંતને આપના ઉપર બહુ ખોટું લાગ્યું જણાય છે.’

મલ્લરાજ - ‘શી વાતમાં ?’

જરાશંકર - ‘આપને પુનર્લગ્ન કરવા એણે સંદેશો કહાવ્યો હશે તેનો આપે બહુ તિરસ્કાર કર્યો કહેવાય છે.’

મલ્લરાજ - ‘એ જ કે બીજું કાંઇ ? તારી સાથે કોણે કહાવ્યું ?’

જરાશંકર - ‘સામંતે જ વાત કરી.’

મલ્લરાજ - ‘કોની સાથે એણે કહાવ્ચયું હતું તે કહ્યું ?’

જરાશંકર - ‘રાણીજી સાથે.’

મલ્લરાજ - ‘એવી મૂર્ખતા કરે તેને તિરસ્કાર નહીં તો શું ઘટે ?’

જરાશંકર - ‘રાણીજીની સંમતિ દર્શાવવા એમ કર્યું હતું.’

મલ્લરાજ - ‘સામંત મને પરણાવવા ઇચ્છે છે તે રાજ્ય અર્થે કે મારા સંસારને અર્થે ? જો મને ફરી એવા સંસારમાં નાંખવાની ઇચ્છાથી સામંતને આ સૂચના કરી હોય તો એ મારા અતિશય તિરસ્કારને પાત્ર છે. રત્નનગરીના રાજાઓ પોતાના સંસારને અર્થે કાંઇ પણ કરતા નથી, અને મારા રાજ્યનો વારસ અને સંસારની વાસનાઓનો પાત્ર ગણે તેમાં એની બુદ્ધિ, અને મારા વિશે એનો અભિપ્રાય ઉભય મને દુઃખના કારણ થાય છે. જો એની સૂચના હું સ્વીકારું અને એનો તિરસ્કાર ન કરું તો હું અને એ ઉભય રાજપદને અયોગ્ય છીએ, અને એ તિરસ્કાર કરીને જ હું એને યોગ્ય થવાનો માર્ગ દેખાડું છું. વળી રાણીનું ગળું કાપવાની વાત રાણી પાસે જ કરાવવા પ્રયત્ન કર્યો એ મારા તિરસ્કારનું બીજું કારણ.’

જરાશંકર - ‘મહારાજ, એણે રાજ્યઅર્થે આ સૂચના કરેલી છે, અને મને લાગે છે કે ભાયાતોની સહીઓ એને વારસ ગણી એની પાસે મંગાવી તે બનાવથી એના મનમાં આ તરંગ ઊઠ્યો હશે.’

મલ્લરાજ - (વિચાર કરી) ‘હા ! હવે સમજાયું - તારું ધારવું બરોબર છે - આ સૂચના એની રાજભક્તિનું ફળ છે અને એ ભક્તિના બદલામાં મેં એનો બહુ તિરસ્કાર કર્યો. મેં ભૂલ કરી. જરાશંકર, તારે એ ભૂલ સુધારવી અને સામંત પાસે ખુલાસો કરી એનો ઉપકાર માનવો.’

જરાશંકર હસી પડ્યો : ‘હા મહારાજ, રાજાઓ ભૂલો કરે અને પ્રધાનોએ તે સુધારતા ફરવું.’

મલ્લરાજ - ‘બીજા રાજ્યોમાં તો એમ નિત્ય કરવું પડે છે. આપણા રાજ્યમાં આજ વારો આવ્યો.’

જરાશંકર - ‘મહારાજ, પ્રધાનની સાથે મંત્ર થયા વિના જે કાર્ય થાય તેમાં પશ્ચાતાપનો પ્રસંગ આવે તે રાજાને; તેના કરતાં પ્રધાનની સાથે મંત્ર કરી તેની ઇચ્છાથી જે કામ થાય તેમાં પશ્ચાતાપનો વારો આવે તો તેમાં પ્રધાનને ભાગે પણ કાંઇ આવે.’

મલ્લરાજ - ‘તારો અધિકાર વધારવા આ વકીલાત કરતો હોઇશ ?’

જરાશંકર - ‘હા, મહારાજ !’

મલ્લરાજ - ‘કબૂલ ! મારા સ્વતંત્ર અને છાતીવાળા પ્રધાન ! મારી પાસે તું આવે પ્રસંગે મારી ભૂલ ઉઘાડી કરી બુુદ્ધિવળથી જે વાતનો સ્વીકાર કરાવે તેની મલ્લરાજ કેમ ના કહેશે; પણ કહે, એ વાત જ કાંક મનમાં આવ્યાથી પ્રધાન દ્ધારા મને આવી વાત ન કરતાં રાણી દ્ધારા આવી ખટપટ કરે તે સામંતનો તિરસ્કાર કરવામાં મેં શું ખોટું કર્યું ? તું જ કહે છે કે રાજ્યઅર્થે સામંત આ સૂચના કરે છે, ને રાજ્યઅર્થની વાત પ્રધાન દ્ધારા ન કરતાં સ્ત્રીઓ દ્ધારા કરે તેને ધક્કો મારી બહાર ન કાઢું તો બીજું શું કરું ?’

જરાશંકર - ‘મહારાજ, હું હાર્યો. પણ આપણે હવે પ્રસ્તુત વાત કરીએ. સામંતના સંદેશાના ગુણદોષ વિચારીએ. રાજબીજનો નાશ ન થાય એ કારણે અનેક ક્ષેત્રનો સંગ્રહ અંતઃપુરમાં વિહિત ગણ્યો છે. રાણીજીને સામંતને તે વાત ઇષ્ટ હોય તો તે કર્તવ્ય જ.’

મલ્લરાજ - ‘એનો વિચાર કરી મૂક્યો છે - તે ટૂંકમાં સાંભળ. પ્રથમ તો એ કે એ કામમાં જાતે જ અધર્મ હોય તો તો લક્ષમાં રાખજે કે રાણીની અને સામંતની સંમતિથી તે અધર્મ ન થાય. મરનારની સંમતિથી કરેલ તેના ખૂનમાંથી એ સંમતિને લીધે પાપનો અંશ ઓછો થતો નથી. બીજું, એ સંમતિ આપનારની જેટલી મોટાઇ તેટલી જ તે લેનારની હલકાઇ ને દુષ્ટતા. ત્રીજું, એમાં લાભ હોય તો એ એક લાભને એક ત્રાજવામાં મૂક અને તેના સામા ત્રાજવામાં હાનિ મૂક - તો હાનિ વધશે. ક્ષત્રિયોને બેચાર સ્ત્રી વચ્ચે મૂકી તે પુરુષોને સ્ત્રીરૂપ કરવાનું આ કામ મને બહુ હાનિકારક લાગે ચે અને આ નવા યુગમાં તે ન કરવું એ તો મેં જ નક્કી કર્યું છે, ને ભાયાતોને તે ન કરવાનું કામ કરવાનો માર્ગ હું રાજા કદી નહીં બતાવું.’

જરાશંકર - ‘પણ મહારાજ, રાજબીજનો નાશ એ ઓછી હાનિ નથી.’

મલ્લરાજ - ‘સિંહને એક જ શિક્ષણ છે ને એકાદ બાલક હોય છે; એક ભૂંડની આસપાસ અનેક ભૂંડણો અને અનેક ભૂંડકાં એકઠાં કરવાં એ ક્ષુદ્ર માર્ગથી વીર્યતેજ એકત્ર ન રહેતાં કટકા કટકા થઇ જાય છે. એક ભૂંડનાં અનેક ભૂંડકાં કરતાં એક સિંહનો એક સહબાળ પિતૃપક્ષનું તેજ વધારે સાચવે છે. શૃંગારવાસના પણ આમાં જ નિર્મળ રહે છે. જરાશંકરર, રત્નનગરીના રાજાઓ સિંહ જેવા છે.’

જરાશંકર - ‘મહારાજ, આમાં મારા પ્રશ્નનો ઉત્તર ન આવ્યો. કટકા થયેલું પણ રાજબીજ ને રાજાને ઘેર સંસ્કાર પામેલું, તેની ઉત્તમતા સાધારણ ઘરમાંથી ન મળે. વળી હું અનેક પુત્રો ઉત્પન્ન કરવાનું રહેતો નથી, પણ એક પુત્રનો લાભ શોધવા અનેક ક્ષેત્ર રાખવા કહું છું.’

મલ્લરાજ - ‘એક ખાધા નિર્મળ અને પ્રસન્ન કાચમાં જેવું શુદ્ધ પ્રતિબિંબ પડે છે તેવું ઘણાં પાસાંવાળા કાચમાં કદી પડવાનું નથી. એ આખો કાચ તે એક પત્ની, એ પાસાં તે અનેક પત્નીઓ. એક પત્ની પર અભિન્ન પ્રીતિથી જે પ્રજા થાય તે જ ઉત્તમ.’

જરાશંકર - ‘પણ ઉત્તમ ન મળે તો ઊતરતું લેવા પ્રયત્ન કેમ ન કરવો ?’

મલ્લરાજ - ‘જો ઉત્તમ ન મળે તો ઊતરતી પ્રજા તો મારા ભાઇઓમાંથી કેમ નહિ મળે ? તેઓ પણ મિૂળ રાજબીજ છે - તેમાંથી મૂળ રાજા સાથે વધારેમાં વધારે સંબદ્ધ હોય તે જ રાજાનો વારસ.’

જરાશંકર - ‘સત્ય, પણ તેને રાજકુળના સંસ્કાર પ્રાપ્ત નથી હોતા.’

મલ્લરાજ - ‘તે ન્યૂનતાનો ઉપાય મારા ભાઇઓ સાથે કરેલા લેખમાં છે. મારા ભાઇઓને રાજસંસ્કાર અને ક્ષત્રિયસંસ્કાર નિત્ય બને તેટલા આપતા રહેવું એ મારા વારસો અને તેમના પ્રધાનોનું મોટું કર્તવ્ય.’

જરાશંકર - ‘પણ એવો પ્રસંગ આવે કે વારસ કેવળ અયોગ્ય હોય અને સંસ્કારની યોગ્યતા પણ તેમાં ન હોય ?’

મલ્લરાજ - ‘તો જે આઘેનો બાળક યોગ્ય અને ઉત્તમ હોય તેનું દત્તકવિધાન ક્યાં થતું નથી ?’

જરાશંકર - ‘પણ આમ કરતાં વિરોધ અને ખટપટનો સંભવ. એટલું જ નહિ, પણ રાજાની પાછળ દત્તક લેવાનું ઠરે તો સ્ત્રીઓ અને બીજાંના હાથમાં વાત જાય.’

મલ્લરાજ - ‘દત્તક લે તો તો રાજા જ - તેના સ્વતંત્ર અધિકારથી તે કામ કરે. તેણે જીવતા દત્તક ન લીધો હોય તો પાછળ જીવનારે એમ જ જાણવું કે મરનાર રાજાએ વારસને જ યોગ્ય ગણેલો છે. આવા વારસના હાથમાંથી રાજ્ય લઇ લેવું તે કોઇ માનવીના અધિકારની વાત નથી.’

જરાશંકર - ‘મહારાજ, હું હાર્યો.’

મલ્લરાજ - ‘તે સામંતને સમજાવજે. સામંતને સમજાવજે કે જ્યાં સુધી એ પોતે મારા રાજ્યને યોગ્ય છે એવો મારો અભિપ્રાય ચળ્યો નથી ત્યાં સુધી હું મલ્લરાજ કોઇને દત્તક લઉ એમ પણ થનાર નથી, તો પુનર્લગ્ન કરી મારું ક્ષત્રિયપણું, મારું રાજઅભિમાન, અને મારી રાણી પરની પ્રીતિ -એ સર્વને કલંક બેસે એવું કામ મલ્લરાજ દેહમાં પ્રાણ છતાં કદી કરનાર નથી. ઇશ્વર પુત્ર આપનારો હશે તો એક રાણીને ઉત્તમ પુત્ર ગમે ત્યારે આપશે - નહિ આપનારો હોય તો સો રાણીનો સ્વામી અપુત્ર રહેશે. જરાશંકર, સામંતને તેની રાજભક્તિ સારુ ધન્યવાદ આપજે, પણ કહેજે કે પુત્રની અતિશય કામમાં કરવી તે બ્રાહ્મણ-વાણિયાને કપાળે લખી છે - મારે કપાળે નહિ. એક રાણીને પુત્ર થશે તો તેને ભાગ્યે થશે. તેનું તેવું ભાગ્ય નહીં હોય તો મારા ભાઇનું સદ્‌ભાગ્ય કમી કરવા મારું નાક વાઢી તેમનું અપમાન કરવા જેવું કામ હું નહિ કરું, અને સર્વ કારણથી વધારે કારણ એ છે કે મારી મેનારાણીની પ્રીતિના બદલામાં તેને અન્યાય આપવાનું કામ, મારી પ્રીતિ ઉપર ચક્રવર્તી સત્તા વાપરવાનો તેને ઇશ્વરે આપેલો અધિકાર રજ પણ કમી કરવાનું પાપ, - આવા અન્યાયનું કામ અને આ પાપ મારી પ્રજાના ઘરમાં થયેલું જોવાને ન ઇચ્છું તો હું જે તેમનો રાજા તેના ઘરમાં તે રાજાને જ હાથે થાય એવું હું કદી કરનાર જ નથી. આ આજ સુધી મંત્ર થતા સુધી - આ વાત કરવાનો તમને અધિકાર હતો. હવે મારો સિદ્ધાંત જાણ્યા પછી જે કોઇ આ વાતનો એક શબ્દ મારા કાનમાં પાડશે તેણે મારી આજ્ઞાનો ભંગ કર્યો ગણીશ અને તેને શિક્ષા કરીશ. જરાશંકર, સામંતને, તને, રાણીને અને સર્વને આ મારી આજ્ઞા છે તે તેમને સર્વને વિદિત કર અને તું જાતે ભૂલી જશે તો રામે લક્ષ્મણની વલે કરી હતી તેવી તારી પોતાની થઇ સમજ્જે.’

જરાશંકર - ‘મહારાજ !’ મલ્લરાજ - ‘બસ, એક પત્નીવ્રતવાળો પતિ અને તેની ધર્મપત્ની -તેમની બેની વચ્ચે ત્રીજો કોઇ - પવન પણ - અંતરાય નહિ પાડે. પ્રધાનની સાથે મંત્ર કરી સિદ્ધ થયેલી મારી આજ્ઞાને હું રાજા કે તું પ્રધાન કોઇ નહિં તોડે.’

જરાશંકર - ‘મહારાજ !’ મલ્લરાજ - ‘એક શબ્દ નહીં સાંભળું. હું આજ્ઞા કરી ચૂક્યો.’ જરાશંકર - ‘માન્ય કરું છું - મહારાજ ! - એ આજ્ઞાને.’ મલ્લરાજ - ‘ત્યારે પછી શું કહેવા જતો હતો !’ જરાશંકર - ‘આપના જેવા ધર્મરાજની સેવા કરતાં થતો આનંદ જણાવવા જતો હતો.’

મલ્લરાજ - ‘રાજાની સ્તુતિ કરવી એ ભાટચારણોનું કામ છે તે તો હું જાણતો હતો. પ્રધાનનું હશે તે આજ જાણ્યું.’

જરાશંકર - ‘ક્ષમા કરો. મહારાજ, શબ્દફેર થયો. આપની આજ્ઞા જાણી હું અતિ પ્રસન્ન થયો.’

મલ્લરાજ - ‘ઠીક થયું.’

આ વાર્તા થયા પછી કેટલેક વર્ષે મલ્લરાજ અને મેનારાણીની નિર્મલ પ્રીતિનું ફળ આપવાનો સંકેત ઇશ્વરે જણાવ્યો. રાણી સગર્ભા થઇ. એ ગર્ભને ગર્ભદશામાંથીજ રાજપદને ઉચિત સંસ્કાર આપવા મલ્લરાજે ચિંતા કરવા માંડી. એક દિવસ રાજગૃહમાંથી અંતઃપુર જતાં જતાં વિચાર કરવા માંડ્યા :

‘ગર્ભનું હિત વિચારનાર પિતાએ ગર્ભ ધરનારી સ્ત્રીને પોતાની પત્ની ન ગણતાં ગર્ભની માતા ગણવી, અને ગર્ભાધાનથી તે ગર્ભના મોક્ષ સુધી કામવાસના દૂર રાખી સ્ત્રીના શરીરને પવિત્ર ગણી તેને ગર્ભની સેવામાં અર્પણ કરવું, અને આ સેવા કરવાના કામમાં તેને પતિએ બ્રહ્મચર્ય પાળી, દૂર ઊભા કરી આશ્રય આપ્યાં કરવો. ગર્ભમોક્ષ પછી બાળક સ્તનપાન કરે અને માતાનું અંગનું સત્ત્વ ચૂસે ત્યાં સુધી તે બાળકને પોષવાનું સત્ત્વ ઓછું થાય નહિ તેમ વર્તવાનો તથા તેની માતાનું સત્ત્વ બે પાસથી લૂંટાય નહીં એમ વર્તવાનો, બાળકનો પિતા અને તેની માતાનો પતિ - તેની બેવડો ધર્મ છે. બ્રાહ્મણ-વાણિયાઓમાં આ ધર્મ પાળવાનો માર્ગ વૃદ્ધોએ ઘડી કાઢેલી રૂઢિએ રાખ્યો છે. તેમની સ્ત્રીઓ પ્રસવકાળ પહેલાં અને પછી કેટલાક માસ સુધી પિયર રહે છે. આથી ઉભય કાળે તે સ્ત્રીઓ સાસુના કલેશથી અને પતિના કામવિકારથી મુક્ત રહે છે, અને પોતાની પ્રેમાળ માતાને હાથે સીમંતિની અને બાળકની માતા પોતાનું શરીર, પોતાનો આનંદ, અને ગર્ભ તથા બાળકોના પ્રતિ પોતાના ધર્મ સાચવે છે. પણ રત્નનગરીના રાજાઓના મંદિરમાં જુદો માર્ગ છે. તેમનો ગૃહસ્થાશ્રમ કેવળ ભોગશ્રમ નથી - તેમનું બ્રહ્મચર્ય જ્યારે જોઇએ ત્યારે તેમની પાસે તૈયાર છે. તેમની માતાઓ તેમની રાણીઓ ઉપર વત્સલ હોય છે - બીજા લોકની સાસુઓ પેઠે સ્વાર્થી અને દીકરીઓની પક્ષપાતી હોતી નથી. મલ્લરાજ ! હવેથી તું બ્રહ્મચારી થયો અને મેનારાણી તારાં માતાજીને મંદિર રહેશે અને તેમની ચિંતા માતાજી કરશે.’

મલ્લરાજની માતા નાગરાજના મરણ પછાી છસાત માસે ગુજરી ગઇ હતી. બ્રેવસાહેબ સાથેના યુદ્ધમાં પડેલા પાટવીકુમાર હસ્તિદંતની વિધવા સાસુ સાથે રહી હતી; અને યુદ્ધમાં યશસ્વી થયેલો પતિ મૃત નથી પણ યશઃશરીર વડે જીવેે છે ગણી, એક હાથે સૌભાગ્યકંકણ રાખી અને બીજા હાથનું કંકણ ભાંગી, યશસ્વી સ્વામીના યશસ્વી મરણનું અનુશોચન તજી તેમ જ મૃત પતિની પાછળ આનંદભોગનો કેવળ ત્યાગ કરી, પતિવ્રતા સૌભાગ્ય-વૈવધ્ય પાળતી હતી, અને ઇશ્વરની ભક્તિ અને સાસુની સેવામાં કાળપાત્ર ધર્વવ્યવહારમાં અને ઉદાસીન દશામાં ગાળતી હતી. મરણકાળે રાજમાતાએ આ વિધવાને અને મલ્લરાજને પોતાની શય્યા પાસે બોલાવ્યા અને તેમને આજ્ઞા કરી : ‘મલ્લરાજ, આયુષ્ય પહોંચ્યું ત્યાં સુધી મારો ધર્મ પાળી હું હવે તારા પિતા અને ભાઇ જે દેશમાં ગયા છે ત્યાં તેમની પેઠે જાઉ છું. મારી પાછળ શોક કરશો મા. તારા મોટાભાઇનું યશઃશરીર જાળવનારી આ તારી ભાભી તેને હવેથી મારે સ્થાને રાખજે. એ હવેથી તારી અને તારી રાણીની માતા, અને તમે એનાં બાળક. મારામાં હવે ઝાઝું બોલવાની શક્તિ નથી. પણ સંક્ષપમાં આ તમારો પરસ્પર ધર્મ કહ્યો તે પ્રમાણે તમે બે જણ તમારી માતાએ પોતાના મરણકાળે કરેલી આ આજ્ઞા પાળજો. સૂર્યવંશનો અને રત્નનગરીના રાજમંદિરનો આ કુળાચાર છે.’ જુવાન વિધવા ભણી જોઇ બોલી : ‘બેટા તું હવે મારે સ્થાને છો - હોં ! આપણે રાજવંશી ક્ષત્રિયાણીઓને ઉપદેશની જરૂર નથી. બેટા, મારી જીભ બંધ થાય છે મને છેલ્લી કોટી દે - મલ્લ, મારા હાથમાં હાથ મૂક.’ આંખમાં આંસુમાં પૂર સાથે બે જણાંએ વૃદ્ધ માતાની આજ્ઞા પાળી : એક તેને કંઠે ભેટી, બીજાએ તેના હાથમાં વચન આપ્યું. માતાની જીભ બંધ થઇ, બોલાતું બંધ થયું. કંઠે વળગેલી વિધવા-વધૂને મરવા સૂતેલી રાજમાતા છાતી સરસી બળ વિનાને હાથે દાબતી દેખાઇ, પુત્રના મુખ સામી તેની દૃષ્ટિ ઊઘડી વળેલી લાગી, પુત્રના હાથનો સ્પર્શ થતાં માતાનાં આંગળાં તેને ઝાલવા જતાં હોય તેમ વળતાં લાગ્યાં. પ્રાણનું અવસાન આવતાં કાંઇક વિઘ્ન લાગ્યું. મલ્લરાજ બોલ્યો : ‘માતા, તમારો પુત્રને તમારી પાછળ આ તેનાં માતા. મારા જન્મની જનની ! આજ તું આ સંસારમાં કોઇ માનવીનો વિચાર કરીશ નહીં - તારી કૂખમાં પાકેલો રાજપૂત નાગરાજના કુટુંબને અને લોકને તેની જ પેઠે પાળશે. માતા, જેમ વગર ચિન્તાએ મારા શૂરવીર ભાઇ રણજંગમાં રોળાયા, જેમ મારા ભાઇનો શોક કે પાછળ રહેનારાંની ચિંતા રજ પણ કર્યા વગર મારા પિતાએ આ ધરતીમાતાને ખોળે દેહ મૂક્યો તેમ જ આ પણ ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓ આ લોકમાંથી પરલોકમાં વગર ચિંતાાએ અને વગર વાસનાએ જઇએ છીએ. માતા, તમે આ પ્રસંગે માત્ર આપણા કુલગુરુ સૂર્યદેવ અને તે સર્વના દેવ પરમાત્મા જે ભગવાન તેમનું સ્મરણ કરો અને તેમના તેજમાં ભળવાનો આનંદ અનુભવો ! રજપૂતમાતા ! રજપૂતમાતા ! યમરાજનું તેડું આનંદથી સ્વીકારવું એ આપણો કુલધર્મ છે ! રજપૂતમાતા ! મરણ એ આપણું મંગળ છે.’

પુત્રના સામી એકદૃષ્ટિ કરતી માતાની આંખ મીંચાઇ, આંખ મીંચાતાં મીંચાતાં રજપૂતાણીના ઓઠ આનંદથી ઊઘડતાં લાગ્યા, તે ઊઘડતાં ઊઘડતાં તેમાંથી પવન નીકળ્યો, તે પવનમાં ઇશ્વરનું નામ સુણાતું હોય એમ પાસે બેઠેલાંઓને લાગ્યું, અને તે નામ સાથે રાજમાતાના પ્રાણ પ્રાણત્વના ત્યાગી થઇ ગયા.

આ દિવસથી મલ્લરાજ મરનાર જ્‌યેષ્ઢ બાંધવની વિધવાને ‘માતાજી’ કહી બોલાવવા લાગ્યો, અને પોતાની રાણીને તેણે આજ્ઞા કરી કે ‘માતાજી’ની સેવા પ્રીતિ અને માન રાખી કરવી. સગર્ભા રાણીને આજથી ‘માતાજી’ને મંદિર મોકલવાનો ઉત્સાહી મલ્લરાજ મેનારાણીને મંદિર ચાલ્યો. ‘આજથી મેનારાણીના ગર્ભ ઉપર માતાજીની અમીદૃષ્ટિથી મારા શૂર ભાઇ હસ્તિદંતની છાયા પડશે !’ પાટવીકુમારે જે સ્થાન સાચવ્યું હતું તે સ્મરણમાં આવતાં, તેના ગુણ સાંભરતાં, મલ્લરાજની ક્ષત્રિય આંખમાંથી પણ એકાંત અશ્રુધારા ચાલી અને મરેલા ભાઇનું અનુશોચન આટલે વર્ષે જાગ્યું. મુખ દુઃખી થયું, અંતે ભાઇનો શોક તેમ વંશવૃદ્ધિના વિચારોનો આનંદ, ઉભયનો ત્યાગ કરી -ન રોતો, ન હસતો, રાજા રાણીને દ્ધારે આવ્યો.

દ્ધાર વાસેલાં હતાં. અંદરથી ગોષ્ઢીવિનોદનો સ્વર આવતો હતો. હરાજા તે સાંભળતો દ્ધાર બહાર થંભ્યો. અંદર માતાજીની દાસી રાણી સાથે વાત કરતી રાજાએ ઓળખી. એ દાસીના સ્વભાવ ઉપરથી માતાજીએ એનું નામ મધુમક્ષિકા પાડ્યું હતું - તેને કિંકરવર્ગ મધમાખ કહી બોલાવતો.

મધુમક્ષિકા રાણીને કહેતી હતી : ‘રાણીસાહેબ, આપે હવે મહારાજ સાથે દીર્ધકાળનું રૂસણું લેવું.’

રાણી - ‘પણ મને તે આવડતું નથી.’

મધુ૦ - ‘રાધાજી હરિ ઉપર રીસાયાં હતાં; તે એમ કહીને કે’

‘હાવાં નહિ બોલું હરિ સાથે રે

મને ચંદમુખી કહી બોલાવી !’

‘આપે પણ એમ જ કાંઇ કરવું.’

મલ્લરાજ દ્ધાર ઉઘાડી અંદર ગયો. રાણી પલંગ ઉપર અને મધુમક્ષિકા સામી જમીન ઉપર એમ બે બેઠાં હતાં તે ઊઠ્યાં.

મલ્લરાજ - ‘કેમ, મધુમક્ષિકા, મારા ઘરમાં કલલહ ઘાલે છે કે ?’ મધુ૦ - (હસીને) ‘મહારાજ, સ્ત્રીપુરુષના શાસ્ત્રમાં પ્રણયકલહ૧ કહેલો છે તે ઉત્પન્ન કરવો એ મારા જેવી રંક દાસીઓનું કામ છે.’

મલ્લરાજ - ‘ત્યારે તું દંશ દે એવી જ છે.’ મધુ૦ - ‘આવા દંશ દઇ માતાજીએ પાડેલું નામ સાર્થક કરું છું.’

મલ્લરાજ - ‘માતાજીનું નામ દીધું ત્યારે તો તું કહે તે સ્વીકારવું પડશે.’ મલ્લરાજ પલંગ પર બેઠો. રાણી પલંગની બાજુને અઠીંગી ઊભી.

મલ્લરાજ - ‘મધુમક્ષિકા, રાધાજીને ચંદ્રમુખી કહ્યાં તેમાં ખોટું શાનું લાગે ?’

મધુ૦ - ‘મહારાજ, રાણીજીનું શરીર ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલું છે અને રાણીજીનો હાથ ઝાલ્યો ત્યારથી જ એ ચંદ્રવંશના બુદ્ધિ વિલાસમાંથી આનંદ અને ભોગ લેવા આપે સ્વીકાર્યું છે.’

મલ્લરાજ - ‘એમ ? ત્યારે હવે તેમ કરવું પડશે - પણ અને સૂર્યવંશના જડ જેવા રાજાઓને એવી વાતો નહીં આવડે !’

મધુ૦ - ‘મહારાજ, ચંદ્રવંશી રાણીઓમાં ચેતન એવું છે કે તેની દૃષ્ટિથી જ આપ જેવા સૂર્યવંશી ચંદ્રકાંતો સચેત અને રસિક થાય છે.’

મલ્લરાજ - ‘એ વાત તો ખરી. પણ કહે, આજ માતાજીની સેવા

મૂકી તું અહીં ક્યાંથી આવી છે ?’

મધુ૦ - ‘માતાજીએ આપને કહાવેલું વિદિત કરવા આવી છું.’

મલ્લરાજ - ‘માતાજીની શી આજ્ઞા છે ?’

મધુ૦ - ‘કાલ રાણીજી માતાજીને મંદરિ આવ્યાં હતાં તે પ્રસંગે માતાજીએ રૂપચેષ્ટાદિની પરીક્ષા ફરી જાણી લીધું છે કે રાણીજીને હવે સીમંતિની દશા પ્રાપ્ત થઇ છે, અને તેનું પરિણામ પુત્રરત્નની પ્રાપ્તિ થાય. રાજજોશીએ પણ આવી જ ગણના કરી છે. માટે મહારાજ, આજથી તે જ્યાં સુધી ઇશ્વર આપે તે બાળક સ્તન્યપાનનો ત્યાગ કરે ત્યાં સુધી રાણીજીએ આપના મંદિરને માત્ર હ્ય્દયમાં રાખી સર્વદા માતાજીને મંદિર વસવું, અને તેમ કરવા દેવા આપે એમને આજ્ઞા આપવી, એવી માતાજીએ આપને વિજ્ઞાપના કરી છે.’

મલ્લરાજ - ‘મધુમક્ષિકા, માતાજી મારી આટલી ચિંતા કરે છે તે તેમની વત્સલતાતી હું ઓશિંગણ થયો છું. એમની આજ્ઞા એ મારા ઉપર કૃપા જ છે એમ સમજું છું. આજ સાયંકાળ પહેલાં એ આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ અનુવર્તન થઇ જશે.’

મધુ૦ - ‘મહારાજ, મંગળવિયોગનું મુહૂર્ત કાલથી ચે માટે જ આજ રાત્રે રચવાના પ્રણયકલહનો માર્ગ હું દેખાડતી હતી.’

મલ્લરાજ - (હસી પડી) ‘એમ કરો ત્યારે. પણ એક ઘડીમાં તે આટલું શીખવ્યું તો હવે પછીનાં બે વર્ષમાં તો કોણ જાણે તું કેટલું શીખવીશ ?’

મધુ૦ - ‘મહારાજ, અમ દાસીઓની શક્તિ તો આવા માર્ગ પર દીવો ધરીએ એટલી; પણ એ દીવા વડે આઘે સુધી એક કટાક્ષ વડે જોઇ લેવું એ તો ક્ષત્રિયાણીઓની શક્તિની વાત છે. મહારાજ, આપના કિંકર આપના હાથમાં તરવાર આપે પણ વાયરવાની શક્તિ તે તો આપની જ.’

મલ્લરાજ - ‘ઠીક. માતાજીની બીજી શી આજ્ઞા છે ?’

મધુ૦ - ‘માતાજીએ કહાવ્યું છે કે રાણીજી મારે મંદિર આવશે

ત્યારપછી તેમના તથા ગર્ભબાળના સંસ્કાર માટે જે જે સંકલ્પ કુળાચાર પ્રમાણે નિર્ધારેલા છે લક્ષમાં રાખવા આપે પણ વારંવાર એમને મંદિર આવ્યાં જવું કે માતાજીનો દેહ ન હોય ત્યારે ગર્ભવતીની સંભાવવાના આચારવિચારરનું જ્ઞાન રાજકુળમાંથી નષ્ટ ન થાય. મહારાજ, આમાં બીજો હેતુ એવો છે કે આપણી ક્ષત્રિયાણીઓને સ્વામીનું દર્શન ક્યારે દુર્લભ થઇ પડશે તે કહેવાય નહીં, માટે આ દુર્લભ લાભના પ્રસંગ, યુદ્ધકાળ વિના બીજા નિમિત્તે ક્ષત્રિયાણીના ભાગ્યમાંથી ઓછા કરવા ઘટતા નથી; અને વળી પતિવ્રતા ગર્ભવતીને પતિદેવનાં દર્શનનો અને તેના ઉપદેશનો આનંદ પામવાનું દોહદ નિરંતર રહ્યાં કરે છે અને તે દોહદ પૂરવાથી ગર્ભ ઉપર પિતાની છાયા સંપૂર્ણ થાય છે; માટે મહારાજ, બ્રહ્મચારી છતાં આપે આટલી મર્યાદામાં ગૃહસ્થાશ્રમ રાખવો એ આપનો બીજો કુળાચાર માતાજી આપને જણાવે છે.’

મલ્લરાજ - ‘મધુમક્ષિકા, એ કુળાચાર પણ હું પાળીશ.’

મધુ૦ - ‘મહારાજ, તારાઓ વચ્ચે શુક્ર ઊગી રહે તે કાળે ચંદ્ર શુક્રની પાસે આવે તેમ દાસીઓ વચ્ચે ગર્ભવતી હોય તે કાળે જ માત્ર આપે જાતે આવી દર્શન આપવું.’

મલ્લરાજ - ‘એ વિધિ હું સંપૂર્ણ રીતે પાળીશ.’

મધુ૦ - ‘મહારાજ, હલકી વર્ણમાં હલકા દોહદ૧ હલકા સહવાસથી થાય છે; આપના કુળમાં ઊંચા દોહદ ઉત્પન્ન કરવાના માર્ગ લેવાય છે. સુન્દરગિરિ ઉપરના મહાત્માઓનાં દર્શન ગર્ભવતીને વારંવાર કરાવવાથી ગર્ભનો આત્મા શુદ્ધ થાય છે; સુરગ્રામમાં રમણીય દેવસ્થાનોનાં દર્શન ગર્ભવતી કરે તેથી ગર્ભની બુદ્ધિ પવિત્ર સુંદરતાથી સંસ્કારી થાય છે; મહારાજ, ગર્ભવતી સુન્દરગિરિનાં શિખર ભણી દૃષ્ટિ કરે ત્યારે ગર્ભની બુદ્ધિ અભિલાષ ઊંચા કરતાં શીખે છે; ગર્ભવતી શીતળ પવનવાળા રત્નાકર પાસે ઊભી ઊભી આનંદ પામે અને સામેના આકાશ ભણી જુએ તેમ તેમ ગર્ભની બુદ્ધિમાં શાન્તિ અને ગંભીરતા સ્ફુરે છે અને દૂરદૃષ્ટિની સ્થાપના થાય છે; આપના અરણ્યની શોભા ગર્ભવતીના નેત્રમાં જાય ને પુષ્પોનો સુવાસ તેના નાકમાં જાય તેમ તેમ ગર્ભનું પ્રફુલ્લ આનંદશરીર બંધાય છે, ત્યાંના સિંહ અને વાઘની ગર્જનાઓ શૂર હ્ય્દયની ક્ષત્રિયાણી સાંભળે તેમ તેમ ક્ષત્રિય પુરુષોનાં જીવન જેવાં શૌર્ય અને ધૈર્ય ગર્ભની નસોમાં માતાના રુધિર દ્ધારા ચડે છે. મહારાજ, ગર્ભવતીને આ સર્વ સંસ્કારનો સંપૂર્ણ સહવાસ થાય અને તેને અતિશ્રમ ન પડે એવી વ્યવસ્થા આપે જાતે કરવી, અને અવકાશે રાણીજી એ અર્થે યાત્રાઓ કરે ત્યાં આપે એમનું મન પ્રફુલ્લ રાખવા બને તેટલી વાર જવું.’

મલ્લરાજ - ‘મધુમક્ષિકા, માતાજીની આ આજ્ઞાઓ હું શુદ્ધ ભક્તિ અને આનંદથી પાળીશ, અને એ સર્વ કાળે બને તો તને રાણી સાથે રાખે એવી મારી પ્રાર્થના માતાજીને વિદિત કરજે.’

મધુ૦ - ‘માતાજીએ એ સંકલ્પ તો કરેલો જ છે.’

મલ્લરાજ - ‘માતાજીની બીજી કાંઇ આજ્ઞા છે ?’

મધુ૦ - ‘માતાજીની વિજ્ઞાપના આટલાથી જ સપૂર્ણ થાય છે. તે ઉપરાંત એમણે પોતે જે વ્યવસ્થા કરેલી છે તે આપની સંમતિ અર્થે આપને વિદિત કરવા મને કહેલું છે.’

મલ્લરાજ - ‘માતાજીની કરેલી સર્વ ચિંતાઓ કૃપારૂપ જ હશે માટે હું તે જાણ્યા પહેલાં સ્વીકારું છું. એ ચિંતાઓનો સારાંશ સત્વર કહી દે કે તેનો આનંદ મારાથી વધારે વાર દૂર ન રહે.’

મધુ૦ - ‘મારા જેવી બેચાર વાર્તાવિનોદ કરનારી ને બે ગાનારી દાસીઓ, શાસ્ત્રી મહારાજનાં વૃદ્ધ પત્ની, સામંતસિંહનાં અનુભવી ઠકરાળાં, બેચાર ભાયાતોની યુવાન સ્ત્રીઓ, અને તે ઉપરાંત સેવા અર્થે કેટલુંક દાસીમંડળ : એટલી મંડળી રાણીજીના સહવાસ અર્થે સૌને અવકાશે માતાજી ધારે છે.

અને માતાજી પોતે તો છે જ, પણ તે આપના મોટાભાઇ સિવાય બીજા પુરુષની કથા કરતાં નથી. પણ અભિમન્યુ ઉદરમાં હતા ત્યારે સુભદ્રા પાસે શ્રીકૃષ્ણે પ્રસવ પહેલાં વીરકથા કહી હતી તેમ આપના જ્યેષ્ઢબંધુના સર્વ પરાક્રમના કથાકીર્તન માતાજી રાણીજી પાસે વાંરવાર કરવા ધારે છે. મહારાજ, પ્રહ્‌લાદજી ગર્ભમાં હતા ત્યારે તેમની માતા પાસે ઇદ્રને ઘેર નારદમુનિએ પણ આમ જ પ્રભુની વાર્તાઓ કરી હતી. મહારાજ, ગર્ભવતીની પાસે કરેલી વાર્તાઓની ગર્ભનો આત્મા બંધાય છે.’

મલ્લરાજ - ‘મધુમક્ષિકા, માતાજી મારે સારુ આટલી બધી ચિંતા રાખે છે તે ઉપકારનો બદલો હું શી રીતે વાળીશ ? મને જન્મ આપનાર માતાજીને તો મારે સારુ આટલી ચિંતા કોઇ દિવસ કરવી પડેલી મને સાંભરતી નથી. તેમના કરતાં આજ માતાજી જે ચિંતા કરે છે તે તો હજાર ગણી વધે. રાણી ! આ દેહ હોય કે ન હોય પણ તારે આ ઉપકારના બદલામાં આપણે તે શી સેવા કરી શકીશું ? અરેરે ! એમને લાખ વસ્તુઓનો ખપ પડતો હશે, આપણે સોંપેલાં માણસ એમને લાખ વાનાંની ન્યૂનતા રાખતાં હશે, એમને કંઇ કંઇ ગુપ્ત દુઃખ પડતાં હશે, પણ જે ઉદારતાથી અને સહનશક્તિથી મારા છત્રબન્ધુના વિયોગનો અતુલ ભાર એમણે વેઠ્યો છે તે જ ગુણોને બળે આ સૌ ન્યૂનતાઓ પણ વેઠી લેતાં હશે. રાણી ! માતાજીની પ્રીતિએ હદ વાળી નાંખી છે.’

મહારાજનાં નેત્રમાં અશ્રુ ઊભરાયાં અને હાથ વડે તે લોહવા લાગ્યો.

મધુ૦ - ‘મહારાજ ! આપના મહાન હ્ય્દયની કોમળતા આપના જીવને આ દશામાં નાંખે એ રત્નનગરીના રાજકુટુંબના સતપુરુષોની જગત્પ્રસિદ્ધ વત્સલતાને ઉચિત જ છે. મહારાજ, આપ જેવા વિરલ સજ્જનનું જ લક્ષણ કહેતાં કહેલું છે કે,

‘મન, વાણી ને કર્મ ત્રણે સ્થાને પુણ્ય અમૃતથી ભરેલા, ઉપકારમાલાથી ત્રિભુવનને પ્રસન્ન કરતા, પરમાણુ જેટલા પારકા ગુણને પર્વતનું રૂપ આપી નિત્ય પોતાના હ્ય્દયમાં વિકાસ પામનારા સજ્જન કેટલા છે ? તો કહે વિરલા છે.’

‘મહારાજ ! માતાજી આમાં આપના ઉપર કાંઇ ઉપકાર કરતાં નથી - જે ગર્ભરત્નમાં રત્નનગરીના ભાગ્યબીજનો સમાસ રહેલો છે તે રત્નની સંભાળ રાખથી એ તો રાજમાતાનું પ્રથમ કર્તવ્ય છે. મહારાજ ! આ રાજમંદિરમાં પગ મૂક્યા પછી તે આજ સુધી રાણીજી માતાજીની અહોનિશ ચિંતા રાખે છે, અને કલ્પવૃક્ષ તો ચિંતવેલી વસ્તુ આપે છે પણ માતાજી જેની ચિંતા સરખી કરતાં નથી તેની ચિંતાઓ કરી રાણીજી તો માતાજીની પાસે કલ્પવૃક્ષથી પણ અધિક કામ કરે છે તે સર્વ - સેવા કહો કે ઉપકાા કહો - માતાજીના હ્ય્દયને સર્વ કાળે નદી પેઠે દ્રવતું રાખે છે તેની આ આંખો સાક્ષી છે. મહારાજક, રાણીજીને માટે માતાજી આજ જે ચિંતા કરે છે તે આ જ નદીના શીતળ જળના શીકર પાછા નદીમાં પડે છે.’

આવી વાર્તાઓને અંતે રાજાની આજ્ઞા લઇ મધુમક્ષિકા, રાજાને આનંદદંશ દઇ ગઇ. માતાજીની ચિંતાઓ અને આજ્ઞાઓ ઇશ્વરે સફળ કરી. ગર્ભસંસ્કારી પુત્રરત્ન મણિરાજ મલ્લરાજના મંદિરમાં રમવા લાગ્યો અને તેની અમૃતચિંતાઓનું મંગલચક્ર સ્ત્રીવર્ગને માથેથી ઊતરી પુરુષના શિર પર ફરવા લાગ્યું. માતાજી અને રાણીને મુક્ત કરી મલ્લરાજ એ નવા ભારનો૧ ભારવાહી થયો. પોતાના હાથમાંથી રાજાના હાથમાં બાળકને આપવા પ્રસંગે માતાજીએ રાજાને મધુમક્ષિકામુખે સંદેશો કહાવ્યો :

‘મહારાજ, માતાજીએ આ રાજવૃક્ષની સ્તનંધય૨ અવસ્થામાં તેના કોમળ દેહનું પોષણ કેવી રીતે કરેલું છે તે આપને જણાવવા ઇચ્છે છે કે તે જ ન્યાયે હવેની બાલ્યાવસ્થામાં તેનો ૩વૃદ્ધિગ્રાહ કરવામાં આવે. આ ૪સિંહશાવકને સિંહી૫ માતાનું જ ૫સ્તન્ય પાવામાં આવેલું છે અને ઇતર વર્ણના હલકા દેહના ૬ક્ષીરનો સ્વાદ આપી તેના તેજને ભ્રષ્ટ કર્યું નથી. મહારાજ, સિંહનું એક વાર ઉદર તજ્યું તેમ હવે સ્તન્ય તજી આપની પાસે બાળક આવે છે. સિંહના પૌરુષતેજનું બનાવી દેવું એ હવે આપનું કર્તવ્ય છે. તેમાં કોઇ રીતે ન્યૂનતા ન રાખવી એવી માતાજી આપને વિજ્ઞાપના કરે છે.

‘મહારાજ, સંસારમાં પડેલા માનવીને માથે હર્ષ-શોકના અનેક પ્રસંગો લખેલા હોય છે, તેમાં શોકચક્ર અનિવાર્ય છે અને તેની સાથે પ્રબળ યુદ્ધ કરવામાં યુવાવસ્થાનો ઉત્કર્ષ છે. મહારાજ, કાલના દિવસે ઉદ્યોગનો ઉત્કર્ષ અનુભવવાના ઉત્સાહીએ આજની રાત્રિએ અસ્વપ્ન૭ નિદ્રા લેવા પ્રયત્ન કરવો જોઇએ તેમ યૌવનમાં શોકચક્રની સાથે સફલ યુદ્ધ કરવા જેને તત્પર કરવાનું આપ ધારો છો તે બાલરત્નને બાલ્યાવસ્તામાં આનંદ વિના બીજા કોઇ મનોવિકારનું દર્શન કરાવશો મા. મહારાજ, આ બાળકનાં ક્ષત્રિય નેત્રમાં અશ્રુનું બિંદુ સરખું આવે નહીં અને એના મંદિરમાં અમ સ્ત્રીજાતની પેઠે તે રોવાને પરિચિત થાય નહીં તે વિશે માતાજીએ આજ સુધી અહોનિશ ચિંતા રાખી છે અને રાણીજીની તથા ૮ઘાત્રીમંડળની પાસે પણ એ જ ચિંતા રખાવી છે. મહારાજ, એથી અધિક ચિંતા રાખી, રખાવી, એ બાલવૃક્ષના મુખપલ્લવને કરમાવા દેશો નહીં. મહારાજ, ચિંતાના સ્વપ્ન વગરનો આનંદ એ બાળકનું ચક્રવર્તી રાજ્ય છે તે રાજ્યની આણ તોડશો નહીં.

‘મહારાજ, આ બાળક-ઉદ્યાનના૮ માળાનો સુંદર અધિકાર માતાજીએ પોતાના અને રાણીજીના હાથમાં આજ સુધી રાખ્યો હતો. અનેક માળીઓના હાથમાં રહેલો ઉદ્યાન બગડે છે, અને અનેક મનુષ્યોની આજ્ઞાનું ધારણ કરનાર બાળક કોઇની આજ્ઞા ધારી શકતું નથી અને તેનું હ્ય્દય છિન્નભિન્ન થાય છે. મહારાજ, આપ પિતા છો અને આપની ઇચ્છાને અનુસરનાર કોઇ પ્રવીણ વત્સલ પુરુષ શોધી કાઢશો અને તે ઉભય મળી આ બાળકના માળા થજો. મહારાજ, પારકી મા જ કાન વીંધે માટે એ કામ ઉપર આવા અપર પુરુષને રાખજો અને તેનો અધિકાર પૂર્ણ નથી એવી કલ્પના પણ બાળકને થવા દેશો નહીં. પરંતુ માર્જારવર્ગમાં દેખીએ છીએ કે માતા જ બાળકને દાંત વચ્ચે રાખી શકે છે તેમ અન્યથી થવાનું નથી; માટે ગુરુની મુખવિદ્યામાં મૂકેલા કોમળ બાળક ઉપર ભૂલેચૂકે ગુરુના દાંત બિડાઇ જાય અથવા બેસી જાય નહીં એટલી વાત જાળવજો, ને ઇંડું સેવવા બેઠેલી પક્ષિણી માતાના જેવા જાગ્રત રહી જાળવજો. રાજ-બાલકને ગુરુથી પણ ભય છે.

‘મહારાજ, આજ્ઞા ઉપાડવી એ વયમાં વધેલા અને બુદ્ધિમાં પહોંચેલા પુરુષોથી પણ બરોબર બનતું નથી તો તે ગહન સેવાધર્મ પુષ્પ જેવા બાળકથી બનશે એવી દુષ્ટ આશા આપ તો નહીં જ રાખો પણ બાળકનો ગુરુ કે બીજું કોઇ પણ એ આશા સ્વપ્નમાં પણ રાખે એવી મૂર્ખતાનો પ્રતિકાર સત્વર કરજો. મહારાજ, સાકરમાં સ્વાદ સંતાડી ઔષધ પાવાનો માર્ગ સૌને શીખવજો. બાળકને તો ઉત્સાહમાં રાખી જ કામ કાઢી લેવું.

‘મહારાજ, આપના બાળકને સાધારણ પુરુષો કે કિંકરોનો સહવાસી ન કરશો - અમે કર્યો નથી અને આપ પણ ન કરશો. પતિસુખની લુબ્ધ સ્ત્રીઓ બાળકને વહેલું વિસારે છે અને બાળકને પોતાના હાથમાંથી દાસીઓના હાથમાં ફેંકી દે છે, અને એ દાસીઓની પાસે બાળક અનેક ગુપ્ત કુચેષ્ટાઓ શીખે છે. આ બાળકને માતાજી અથવા રાણીજીને મૂકી ત્રીજા મનુષ્ય પાસે સુવાડેલું નથી, અને આપના વિશ્વાસનું પાત્ર હું વગર બીજા જોડે રાખેલું નથી, કે બહાર મોકલેલું નથી. મહારાજ રાજ્યકાર્યના ગ્રસ્ત રાજાથી આટલું બધું તો બનવાનું નથી, પણ જે ગુરુના હાથમાં આ બાળક મૂકો તે એ બાળકને ત્રીજાના હાથમાં જવા દે એવું કરશો નહીં. મહારાજ, ઇન્દ્રના બાળકને બૃહસ્પતિની સતત છાયામાં રાખજો, અને બીજું તો અમ સ્ત્રીઓ કરતાં આપ વધારે જાતે જ વિચારી જોજો.’

મધુમક્ષિકાના સોંપેલા રાજકુમારને રાજાએ પોતાની આંગળીએ લીધો અને પ્રધાનને તેડવા મોકલી રાજા બાળકની સાથે ગોષ્ટીવિનોદ કરી તેની પરીક્ષા કરવા લાગ્યો :

‘કુમાર, હવે માતાજી વિના તમને ગમશે કે ?’

મણિરાજ - ‘માતાજી વિના તો નહીં ગમે, પણ આપને માતાજી વિના રહેવું પડે છે તેમ અમે પણ રહીશું.’

મધુ૦ - ‘મહારાજ, એ ઉત્તરમાં કાંઇ બાકી રાખ્યું નથી. આપ અને અને માતાજી ઉભય પ્રતિ આ ઉત્તર સધર્મ છે. સર્વ ધર્મ જાળવી બાળકે બાલભાષામાં આપેલો ઉત્તર જ કહી આપે છે કે મોટપણે એ રત્નનગરીના રાજાઓનું ધર્મવૈચિત્ર્ય જાળવશે.’

મલ્લરાજ - (પ્રસન્ન મુખે બાળકને હાથ ઝાલી) ‘અમારે તો રાજ્ય કરવું પડે છે - તમે શું કરશો ?’

મણિરાજ - ‘આપ રાજ્ય કરો ત્યારે દેખાડી દેવાની કૃપા કરજો કે રાજ્ય આમ થાય. આપની સાથે રહીશું, આપ દેખાડશો તો દેખીશું, ને આપ કહેશો તે કરીશું.’

મધુ૦ - ‘મહારાજ, બાળકે તો રાજવિદ્યાનું માગણું માંગી લીધું તે આપવું એ હવે આપના અધિકારની વાત.’

બાળકે હાથ ઊંચો કરી દાસીનું મુખ દાબ્યું. - ‘મધમાખ, અમે રાજાજી જોડે વાત કરીએ તેમાં વચ્ચે ગણગણવાનું તને કોણે કહ્યું છે ? તારે અમારી વાતમાં બોલવું નહીં.’

મધુમક્ષિકા નીચે વળી કુમારને છાતી સરસો દાબવા લાગી અને તેમ કરતાં કરતાં એની આંખમાં આંસુ ભરાયાં. તેને દાબતી દાબતી છોડી દેતી તે બોલી : ‘ઘણું જીવો, કુમાર ! - મહારાજ ! પ્રભાતનો સૂર્ય ઊગતો ઊગતો તિમિરને આઘું ધકેલે તેમ આપની પાસે આવતા ઊગતા રાજકુમાર, રાજવિદ્યાનો આરંભ કરતાં પહેલાં આજથી જ, મજ જેવાંનો અધિકાર બંધ કરે છે ને કહે છે કે મારી પાસે અબલા પ્રબલા નહીં થાય.’

મણિરાજ - ‘મધમાખ, હજી તું ગણગણતી રહેતી નથી ને કહ્યું કરતી નથી.’

મધુ૦ - ‘તે આપ મને શું કરશો ?’

મણિરાજ પિતા ભણી જોઇ બોલ્યો : ‘મહારાજ, માતાજીએ કહ્યું છે કે અવળે રસ્તે ચાલે તેને રાજાજી શિક્ષા કરે, માટે હવે આપ જાણો.’

મધુ૦ - (હસી પડી) ‘ત્યારે આપનું બળ તો થઇ રહ્યું કે ?’

મણિરાજ - ‘હું તારી સાથે બોલીશ નહીં.’

મધુ૦ - ‘મહારાજ, બાળકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞા આભંગની ૧અસહિષ્ણુતા બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાળકે કરવા જેવી શિક્ષા મને કરી - મારી સાથે અબોલા લીધા મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફૂટવા લાગે છે.’

મણિરાજ - ‘મહારાજ, મારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મૂકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.’

મધુ૦ - ‘કુમાર, આપ જાતે જ મને કાઢી મૂકો તો હું તરત જાઉ.’

મણિરાજ - ‘હું કાંઇ તમે કાઢી મૂકતો નથી. તારા મધપૂડામાં

ભરાઇ જા ને ગણગણીશ નહીં એટલે થયું.’

મધુ૦ - ‘લો, ત્યારે હું આ છાની રહી.’

મણિરાજ - ‘હવે ઠીક.’

સૌ બોલતાં બંધ રહ્યાં. કુમાર મધુમક્ષિકા ભણી જોઇ રહ્યો, તોયે

એ બોલી નહિ.

મણિરાજ - ‘મધમાખ, બોલતી કેમ નથી ?’

મધુમક્ષિકા બોલી નહીં. હસતી હસતી જોઇ રહી.

મણિરાજ - ‘કેમ બોલતી નથી ?’

મલ્લરાજ - ‘તમે બોલવાની ના કહી તે શી રીતે બોલે ?’

મણિરાજ - ‘હું બોલાવું ત્યારે તો બોલે.’

મલ્લરાજ - ‘તમારે એની પાસે શું બોલાવવું છે ?’

મણિરાજ - ‘માતાજીએ કહાવેલું બધું એણે આપણે કહ્યું, પણ કાલ રાત્રે રાણીજીએ ને મધમાખે પોતે મને કહેલું હતું તે આજ કહેતી નથી.’

મલ્લરાજ - ‘શું કહ્યું હતું ?’ મણિરાજ - ‘એ વાત મધમાખ કહે.’ મધુ૦ - ‘હું તો ભૂલી ગઇ છું.’

મણિરાજ - ‘ભૂ...લી...જા...ય ! બોલી દે - રાણીજી રોજ તનેજૂઠી કહે છે.’ મધુ૦ - ‘એ તો એમનું જૂઠું ખાઉ માટે જૂઠી કહે છે.’

મણિરાજ - ‘વારુ, બોલ તો ખરી !’

મધુ૦ - ‘શું બોલું ? જરા સંભારી આપો તો બોલું.’

મણિરાજ - ‘પેલું - લાકડાના ઘોડાને ઠેકાણે ખરો ઘોડો ને એવું બધું.’ મધુમક્ષિકા હસવા લાગી - ‘હા, હા, મહારાજ, કુમારને આપની પાસે બોલી કરી આણેલા છે.’

મણિરાજ - ‘તે બોલી શી તે કહે ને.’ જરાશંકર એટલામાં આવ્યો અને પાસે બેઠો. કુમારને ખોળામાં લીધોે.

જરાશંકર - ‘મહારાજ, કુમારશ્રીને શું પૂછવા માંડ્યું છે ?’

મલ્લરાજ - ‘કુમાર આજથી માતાજીનું મંદિર છોડી આપણી પાસે આવ્યા છે તે બોલી કરીને આવ્યા છે.’ જરાશંકર - ‘હેં કુમાર ! શી બોલી કરી છે ?’

મણિરાજ - ‘આજથી મારા લાકડાના ઘોડાને ઠેકાણે હવે મને ખરો ઘોડો આપવાનો.’

જરાશંકર - ‘બીજું કાંઇ ?’

મણિરાજ - ‘હવે મારે રમવાનું મૂકી દઇ ઘોડે ચડવાનું, પાટા રમતાં શીખવાનું, ને બૈરાંને મૂકી મહારાજની અને પ્રધાનજીની સાથે ફરવાનું ને દરબાર ભરાય તેમાં આવવાનું.’

જરાશંકર - ‘કેમ મધુમક્ષિકા, આવી બોલી કરી છે ?’

મધુ૦ - ‘હા જી.’

મણિરાજ - ‘હવે હું મહારાજની સાથે જમવાનો.’

જરાશંકર - ‘એમાં તો મહારાજની આજ્ઞા જોઇએ.’

મણિરાજ - ‘તે તમે અપાવો કે મધમાખ અપાવે. હું નહીં માગું.’

જરાશંકર - ‘પિતાજીની પાસે તો માગવી પડે.’

મણિરાજ - ‘માતાજીએ કહ્યું છે કે ક્ષત્રિયો માગે નહિ.’

જરાશંકર - ‘ત્યારે જોઇતું હોય તે શી રીતે મેળવે ?’

મણિરાજ - ‘જાતે મેળવે, બળે મેળવે, તરવાડ વડે મેળવે.’

જરાશંકર - ‘ત્યારે આપ પણ તેમ મેળવો.’

મણિરાજ - ‘મેં બોલી કરી છે તે મધમાખ નહીં અપાવે તો એના ઉપર રિસાઇશ એટલે એ એની મેળે અપાવશે.’

મધુ૦ - ‘કુમાર, મારે તો આપની પાસેથી હવે જવાનું.’ મણિરાજ - ‘જાય ક્યાં ? બોલી પળ્યા પગર જાય તો બારણા વચ્ચે ઊભો રહી રોકું.’

જરાશંકર - ‘કુમાર, હવે તમારી બોલી મહારાજ પાળશે.’

મણિરાજ - ‘મહારાજ આપને આજ્ઞા કરે તો બોલી પળાઇ સમજું.’

જરાશંકર - ‘તે આજ્ઞા કરી જ સમજો.’

મણિરાજે મલ્લરાજ સામું જોયું. મલ્લરાજને હસવું આવ્યું.

મણિરાજ - ‘રાણીજીએ કહ્યું છે કે આપની આજ્ઞા વગર કોઇથી ચલાય નહીં ને પ્રધાનજી આમ કેમ પોતાની મેળે કહે છે ?’

મલ્લરાજ - ‘એમને જ પૂછો.’

જરાશંકર - ‘કુમાર, મહારાજ પ્રસન્ન થાય ત્યારે એમની આજ્ઞા થઇ સમજવી.’

મણિરાજ - ‘ત્યારે અમે પણ એમને પ્રસન્ન જ કરીશું એટલે અમારી મરજી પ્રમાણે થશે.’

જરાશંકર - ‘એમ જ.’

મધુ૦ - ‘મહારાજ, કુમાર સોંપી હું હવે રજા લઉં છું.’

મણિરાજ - ‘મધમાખ, માતાજીએ કહ્યું છે કે રાજાએ અને કુમારોએ સેવકોની ચાકરી જાણવી, માટે ઊભી રહે.’ સૌ જોઇ રહ્યાં.

મણિરાજ - ‘મહારાજ, આપની આજ્ઞા હોય તો મારાં રમકડાં મધમાખના દીકરાને આપવાનાં છે તે હું માતાજીને મંદિર જઇને એને આપું.’

મલ્લરાજ પુત્રની કૃતજ્ઞતાથી પ્રસન્ન થયો અને તેને ખોળામાં લઇ બોલ્યો : ‘કુમાર, માતાજીએ જે જે કહ્યું છે તે સરત રાખજો ને એમને મંદિરે જઇ મધમાખને ખુશ કરો. મધુમક્ષિકા, કુમારને વાસ્તે યોગ્ય વ્યવસ્થા કરતાં સુધી માતાજીની પાસે જ થોડા દિવસ રાખજે ને હું બોલાવું એટલે લાવજે.’

મણિરાજ - ‘મહારાજ, હું હવે રમકડાં રમવાનો નહીં.’

મલ્લરાજ હસીને બોલ્યો : ‘ના, કુમાર, નહીં, હવે તમારે બેસવાનો ઘોડે ને રમવાને પટા ને બાણ આવશે - પ્રધાનજી સત્વર મોકલાવશે.’

મણિરાજ - ‘તે શીખવશે કોણ ?’

મલ્લરાજ - ‘તે પણ આવશે.’

મણિરાજ - ‘મને આપ ક્યારે બોલાવશો ?’

મલ્લરાજ - ‘સાંજે કિલ્લો જોવા લઇ જઇશું.’

મણિરાજ - ‘હા ! મધમાખ, હવે ચાલ ને ઘેર જઇ તારા દીકરાને લાવ તે હું તેને રમકડાં આપી દઉ.’

મધુ૦ - ‘તે મને આપજો એટલે હું આપીશ.’

મણિરાજ - ‘ના, તું તો ઘરમાં રાખી મૂકે ને તારા દીકરાને આપે

નહી. એ તો હું જ એને આપીશ તે મારી પાસા લાવજે, ને જો પાછાં એની પાસેથી ખૂંચી લીધાં તો જોજે તારી વલે.’

મધુ૦ - ‘એમ કરજો. ચાલો હવે મહારાજની રજા લઇએ.’

મણિરાજે એનું મોં ફરી દાબ્યું. મધુમક્ષિકા કુમારનો હાથ ખસેડતી બોલી : ‘કેમ મોં દાબો છો ? -જવાની ઇચ્છા નથી ?’

મણિરાજ - ‘અહીં ઊભી રહે. મહારાજ જશે ત્યારે જઇશું.’

મધુ૦ - ‘ત્યાં સુધી શું કરીશું ? મહારાજને હવે કામ હશે.’

મણિરાજ - ‘મહારાજ પ્રધાનજી જોડે બોલશે તે સાંભળીશું.’

મધુ૦ - ‘મહારાજની ખાનગી વાતો આપણાથી સંભળાય નહીં.’

મણિરાજ - ‘ત્યારે રજા લે.’

આટલી વાર રાજા પ્રધાન પરસ્પર વાતોમાં ભળ્યા હતા તેને મધુમક્ષિકા કહેવા લાગી :

‘મહારાજ, હું ત્યારે આજ્ઞા માગું છું ને કુમારને સાથે લઇ જાઉં છું -પણ જતાં જતાં માતાજીના સંદેશા ઉપરાંત હું રંક કાંઇ વિજ્ઞપ્તિ મારા ભણીથી કરું તે સાંભળવી જોઇએ.’

મલ્લરાજ - ‘બોલ.’

મધુ૦ - ‘મહારાજ ! સામાન્ય મનુષ્યોને પણ પુત્રરત્ન મૂલ્યવાન હોય છે તો રાજાને હોય તેમાં કાંઇ નવાઇ નથી. શ્રુતિ પુત્રને પિતા પાસે કહેવડાવે છે કે

-હે પુત્ર, મારા પ્રત્યેક અંગમાંથી તું સંભવ પામ્યો છે અને હ્ય્દય પાસેથી ઉત્પન્ન થયેલો છે તે પુત્રનામે મારો આત્મા જ તું છે : તે સો શરદઋતુ વટાવી જીવજે. - મહારાજ, પુત્રમાં પિતાના અંગેનો અવિર્ભાવ તો થતાં થાય, પણ પિતાના હ્ય્દયની આવિર્ભાવ તો અવશ્ય થાય છે. તેનું કારણ એવું છે કે વડમાંથી વડવાઇઓ લટકી નવાં વૃક્ષ થાય છે તેમ માતાપિતામાંથી સંતાન થાય છે, તે જનક-જાતના દેહ એક જ છે; એટલું જ નહીં પણ પિતાના દેહની પેઠે એ દેહમાં રહેનારો આત્મા પણ આ ન્યગ્રોધચેષ્ટા કરે છે અને ઉભયનો આત્મા પણ એક જ છે, અને રાજાના કુમારમાં રાજાનો આત્મા સ્ફુરે છે ને વંશપરંપરાથી ઊતરી આવેલો આત્મા પ્રજાનું પરમ ધન છે, માટે તે સમજનારે સમજવાનું છે કે :

‘મહારાજ, આ શ્લોકમાં બહુ ગંભીર વાત કહી છે. દેહથી આત્મા જુદો છે; છતાં દેહ આત્માને લીધે જ છે. આત્મા દેખાતો નથી, દેહ દેખાય છે. એ દેહ વધે ઘટે છે તે સર્વ આત્માના જ બલથી. જડ બીજને વધવાની શક્તિ નથી, પણ એ બીજ-દેહમાંથી મહાન વૃક્ષ નીકળે છે તેનું કારણ એ બીજમાં અને વૃક્ષમાં રહેલો બેને સાધનાર એક - તેનો આત્મા છે. તેમ જ આ શિશુ કાળે કરીને મહાન અવસ્થાને પ્રાપ્ત થશે. મહારાજ, બીજને વૃક્ષથી જુદું માનશો મા અને શિશુને યુવાનથી જુદો માનશો મા. જે વૃક્ષ બીજમાં અવસ્થિત છે તે જ યોગ્ય કાળે મહાન રૂપ ધારે છે ત્યારે તેના અંતર દેહમાં અંતર્હિત રહેલો, એ દેહથી દહર કહેતાં સૂક્ષ્મ એવો તેનો આત્મા શું કરે છે તે પૂછશો, તો કહે છે કે આકાશ સુધી પહોંચતી શાખાઓ અને એથી આઘેના આકાશ સુધી પહોંચતા તેનાં પુષ્પના સુવાસ અને તેથી આઘે જઇ મનુષ્યના ઉદરમાં જઇ મનુષ્યપણું પામનાર તેનાં ફળ - એ સર્વમાં આ આત્માના બળનું સ્ફુરણ છે તે વિકાસ પામે છે. આવી જ રીતે, હે ભૂપ, આ આપના બાળકની ચેષ્ટા સમજવી. એ બાળકનો આત્મા બાળક નથી - મહારાજ, આપનો અને તેનો આત્મા એક જ છે અને એ આત્માનું ઓજસ્‌ આપની પાસેથી ન્યગ્રોધની શાખાઓ પેઠે આ બાળકદેહમાં આવેલું છે, બીજમાં રહેલા આત્માનું બળ શાખાઓમાં, પુષ્પોમાં, સુગંધમાં અને ફળોમાં સ્ફુરી મનુષ્યમાં આવે છે; તેમ આ બાળકમાં રહેલું ઓજસ્‌ જગતની વૃદ્ધિ કરવાને અને આપની અખિલ પ્રજામાં સ્ફુરવાને યોગ્ય છે અને આપના રાજવંશનું અને એનું પોતાનું સર્વ તત્ત્વ આ ઓજસ્‌માં સમૃદ્ધ થયેલું છે જેવી રીતે વૃક્ષની તેમ પોતાની સત્ત્વસમૃદ્ધિ પુષ્પાદિમાં સ્ફુરે છે. મહારાજ, આ બીજને, આ શિશુને, આ ઓજસ્‌ને, તેમની કાચી અવસ્થામાંથી સિદ્ધ કરવાં - પકવવાં એ આત્મવાનનો ધર્મ છે. બ્રાહ્મણો પોતાના અને શિષ્યમાત્રના દેહમાંથી ઉભયના એક બ્રહ્માત્માને છૂટો કરી વિશ્વરૂપમાં સિદ્ધ કરે છે તેમ રાજપિતા પોતાના અને પોતાના રાજકુમારના દેહમાંથી ઉબયના એક જ રાજાત્માને છૂટો કરી રાજ્યદેહના આત્મા સાથે એકરૂપ કરે તો રાજાત્મા સિદ્ધ થાય. એ સિદ્ધિ આપ જેવા મહાશય આત્મજ્ઞ આત્મવાન્‌ રાજાઓ કરી શકે તેમ છે માટે તે રીતે પ્રયત્ન કરશો એવી હું રંકની આપને વિજ્ઞપ્તિ છે. મહારાજ, આ શિશુબીજમાં રહેલો તરુરાજ હું સ્પષ્ટ જોઇ શકું છું - એ તરુરાજ પ્રકટ સિદ્ધ કરવો એમાં આપના આત્મૌજસની એક સિદ્ધિ છે. મહારાજ, હું બહુ બોલું છું - તે આ મહાન બીજના ઓજસ્‌ ઉપરની મારી પ્રીતિ બોલાવે છે તેથી બોલું છું. બાકી આપની પાસે આટલું બોલવા જેટલી હું રંકમાં ધૃષ્ટતા નથી. મહારાજ, હું બાળકને લઇ માતાજીને મંદિર જવાની આજ્ઞા માગું છું.’

મણિરાજ આ સર્વ વાત સાંભળી રહ્યો હતો, ધાત્રીના મુખ સામું જોઇ રહ્યો હતો અને મધ્યે પિતા અને પ્રધાનનાં મુખ સામું જોયાં કરતો હતો તે પહેલાં, ધાત્રીનો પાલવ ઝાલી બોલી ઉઠ્યો :

‘મધમાખ, ગણગણી રહી ?’

મધુ૦ - ‘હા. આપને કાંઇ કહેવું છે ?’

મણિરાજ - ‘એક બોલી તું કરે તે વગર હું આવવાનો નથી.’

મધુ૦ - ‘શી બોલી ?’

મણિરાજ - ‘ભરતે સિંહના દાંત ગણવા માંડ્યા ને શકુંતલા આવી ત્યારે ભરતને મૂકી રાજા સાથે એ વાતો કરવા મંડી ગઇ ને ભરતને ન બોલાવે શંકુતલા ને ન બોલાવે શકુંતલા ને ન બોલાવે દુખ્યંત !’

મધુ૦ - ‘તેનું આજ શું છે ?’

મણિરાજ - ‘રાણીજીને તારે કહેવું કે મારે આમ ભરતના જેવું ન થાય, મારી સાથે તો આખો દહાડો ને રાત ભરતની ને લવકુશની વાતો કર્યા કરે તો આવું.’ સર્વ હસી પડ્યા.

મધુ૦ - ‘તે રાણીજી કાંઇ મારા હાથમાં ? આપ એમને કહેજો.’

મણિરાજ - ‘હું આવ્યો ત્યારે રાજા તારા રાજા તારા હાથમાં ખરા ને હવે જતી વખત રાણીજી નહીં ? આવ્યો ત્યારે કેમ બોલી કરી હતી ? જા, નહીં આવું તારી સાથે.’

સર્વ ફરી હસી પડ્યાં.

મલ્લરાજ : ‘કુમાર, જાવ. રાણીજીને કહેજો.’

મણિરાજ : ‘હું રાણીજી પાસે માગવાનો નહીં. અમે રાજકુમારો તો બળે કરી લઇએ - તે આવો તાલ નહીં ચૂકું. આપ દુષ્ટાંત રાજા જેવું કરશો તો મને નહીં ગમે. મારી સાથે તો વાતો કર્યા કરશો તો મને ગમશે.’ રાજા, પ્રધાન ફરી હસી પડ્યા. મધુમક્ષિકા મોં મલકાવી શરમાઇ ગઇ.

મધુ૦ - ‘કુમાર બોલી કરી બાંધશે, માગવાના નહીં. ચાલો ત્યારે, એમ કરીશું.’

મણિરાજ - ‘જોજે હોં ? ફરી જઇશ તો પછી જોજે. હું ખુશ નહીં રહું ને તમે કાયર કરીશ.’

એ બે જણ વાતો કરતાં કરતાં ગયાં. તેમની પાછળ રાજાની દૃષ્ટિ ગઇ. કુમાર આગળ ચાલી ધાત્રીને હાથ ઝાલી ખેંચતો હતો અને ઉતાવળી ચલાવતો હતો. એ બે અદૃશ્ય થતાં રાજાની દૃષ્ટિ પાછી વળી. સૂર્યમાંથી કિરણ ફૂટે તેમ રાજાના મુખસૂર્યમાંથી પુત્રાભિમાનનો આનંદ ભભૂકતો હતો.

રાજાને રાજકુમાર પાછળ જોતો જોઇ પ્રધાન આનંદથી મનમાં બોલ્યો :

‘પુત્રદર્શનનો આનંદ એવો જ છે.’

જરાશંકરને પોતાને પુત્ર ન હતો તે સાંભરતાં કાંઇક ખેદ થયો. પુત્રસ્થાને તેનો ભાણેજ વિદ્યાચતુર હતો તે ગુણવાન વિદ્ધાન હતો - તેનો યોગ મણિરાજની સાથે થાય તે વિચાર ઉત્પન્ન થતાં એ શોક ભૂલી ગયો ને આનંદચિંતામા પડ્યો. પણ જાતે પોતાના ભાણેજની વાત શી રીતે કાઢવી ? મધુમક્ષિકાના ઉપદેશનો પ્રસંગ કાઢી આ વાતનો પ્રસંગ કાઢવા તેણે વિચાર કર્યો - પણ વિચાર થતાં માંડી વાળ્યો. મનમાં તે બોલ્યો, ‘ધર્મશાસ્ત્ર પ્રમાણે ધર્મ પાળનાર મહારાજની સેવામાં રહીને સ્વાર્થને વિચારે સૂચના કરું તો હું રાજ્યદ્રોહી થાઉ - હું એ વિચાર નહીં કરું. રહીને સ્વાર્થને વિચારો સૂચના કરું તો હું રાજ્યદ્રોહી થાઉ - હું એ વિચાર નહીં કરું.

‘મહારાજને વિદ્યાચતુરનો અર્થ હશે ત્યારે જ આ યોગ કરીશ એ વિના નહીં.’

મલ્લરાજ - ‘જરાશંકર માતાજીની આજ્ઞા અને મધુમક્ષિકાનો સુબોધ ઉભયનો મર્મ ભૂલવાનો નથી. જે પિતાને પુત્ર તેને શિર નવા ધર્મની ચિંતા છે. કુમારને શી રીતે રાજત્વમાં સિદ્ધ કરવો એ ચિંતા મારા શિરને ભમાવે છે.’

જરાશંકર - ‘મહારાજ, રાજપુત્રોને વિદ્યા આપવાના માર્ગ આપણા શાસ્ત્રમાં અને આપના કુળમાં પરિચિત છે.’

મલ્લરાજ - ‘હા. પણ કાળવિવર્તનો વિચાર ભૂલવો નહીં એ પણ શાસ્ત્રનું વચન છે તે સાધવાનું છે.’

જરાશંકર - ‘મહારાજ, આજ સુધી મુસલમાનો ચક્રવર્તી હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઇ.’

મલ્લરાજ - ‘- ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જૂની ભાષા જ ન સમજવી. વિદુરાજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઢિરના યજ્ઞ પ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ કર્યો હતો. ભીમસેન રાક્ષસીને પરણ્યો હતો અને અર્જુન નાગકન્યાને પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.’

જરાશંકર - ‘આ સર્વનો મર્મ આપના મનમાં શો છે ?’

મલ્લરાજ - ‘અંગ્રેજ સાર્વભૌમ થયા તે કાળે તેમની વિદ્યાને વરવી-એ આપણું કર્તવ્ય. એ આપણી વિદ્યા ભણી પ્રજાને સુખી કરે; અંગ્રેજી વિદ્યા ભણી પરવશ ન રહે - એ હવે રત્નનગરીના રાજાઓના ધર્મ.’

જરાશંકર વિચારમાં પડ્યો.

મલ્લરાજ - ‘કેમ વિચારમાં પડ્યો ?’

જરાશંકર માથું ખંજવાળવા લાગ્યો. ‘મહારાજ,

રાજનીતિ બહુ ગૂંચવાડા ભરેલી છે.’

મલ્લરાજ - ‘શી રીતે ?’

જરાશંકર - ‘અંગ્રેજી ભણશે તે કુલાચારને નહીં ગાંઠે. ઉદ્ધત થશે.’

મલ્લરાજ - ‘રજપૂતોનો સ્વધર્મ એ કે જ્યાચાર સાધવો ને તે અર્થે કુલાચાર કાલોચિત ન હોય તો ફેરવવો. જરાશંકર, રજપૂતો કોઇના નહીં તે કુલાચારના થશે એટલે દાસપણું પામશે. મોગલ બાદશાહોના જનાનામાં રજપૂતોએ કન્યાઓ મોકલી તે બાદશાહોને જીતવા માટે. આપણા રાજાઓ દિલ્હી નગરનાં પરાંઓમાં સેનાઓ લઇ રહેતા હતા અને બાદશાહો ઉપર અમલ ચલાવતા હતા તો રજપૂતો અને હિંદુઓ આજ હયાત છે.’

જરાશંકર - ‘એ તો શિવાજીનો પ્રતાપ - શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી.’

મલ્લરાજ - ‘બેનો પ્રતાપ. સામ, દામ, ભેદ અને દંડ ચાર જૂનાં અને બીજાં નવાં - સર્વ સાધન આ કાળમાં સાધશે તે જીતશે. એક સાધન ઓછું રાખ્યું તો રજપૂતો પાછા હઠ્યા. બીજું સાધન શિવાજીએ ન રાખ્યું તો એની પાછળ બ્રાહ્મણો થયા અને બ્રાહ્મણોની પાછળ અંગ્રેજ થયા. જરાશંકર, રાજવિદ્યાના લોભી પુરુષો સર્વ જાતનાં અસ્ત્રશસ્ત્ર વસાવે છે ને પ્રસંગે કામ લાગે તે વાપરવા સજ્જ રહે છે.’

જરાશંકર - ‘પણ પ્રાચીન માર્ગ ત્યજવાના આ માર્ગની મર્યાદા દેખાતી નથી. મહારાજ ! આ દિશામાં નદીનું પૂર વાળો તો મર્યાદાનો માર્ગ રાખજો. નીકર સૌ ડૂબીશું ને જગતમાં ભસ્માસુર ઊભા થશે.’

મલ્લરાજ - ‘રાક્ષસોના સામાં વાનરો અને રીંછ ઊભા કરીશું તો અમો સૂર્યવંશી ફાવીશું - શિવાજી પણ એમ જ ફાવ્યા હતા.’

જરાશંકર - ‘આપ રીંછ ને વાનર ખોળશો ત્યારે આપના ક્ષત્રિયો શું કરશે ?’

મલ્લરાજ - ‘મારા દેવયોનિ ક્ષત્રિયો વાનરનો વેશ લેશે માટે વાનર નહીં થાય. તેમની વિદ્યાર્થી મારા વંશજો સમુદ્ર પર સેતુ બાંધશે ને પરગૃહમાં પેસશે. બસ, જરાશંકર, એ વિચાર મેં સિદ્ધ કર્યો.’

જરાશંકર - ‘પણ આપે પાણી પહેલાં મર્યાદાની પાળ બાંધવી ઘટે છે.’

મલ્લરાજ - ‘હા, પ્રજાનું હિત જાળવવાની બુદ્ધિ રહેશે એ પાળ ને એ મર્યાદા. પ્રજામાં યુગવિવર્ત થાય ને રાજાનામાં ન થાય તો એ કજોડાનો કલેશ ભારે થાય. માટે મારા ઘરમાં ને રાજ્યમાં સૌ અંગ્રેજી ભણે ને અંગ્રજનાં મર્મદ્ધાર પકડવાના હેતુથી આ વિદ્યા ભણવાનું અભિમાન રખાવીશું તો કોઇ અંગ્રેજ નહીં થાય. આ આપણી એક પાસની પાળ. અને આપણા જૂના આચારમાંના જે પદાર્થ વડે ઉત્તમ જય થાય એવા પદાર્થ પર દૃષ્ટિ નંખાવી તેનો લભ રખાવવો એ બીજી પાસની પાળ. એ બે પાળો સિવાય ત્રીજી મર્યાદા નહીં. જરાશંકર બસ ! હવે મારો વિચાર પૂરો થયો. મણિરાજને આ વિદ્યા આપવાના માર્ગ હવે બતાવ-એમાં તારું કામ. ચાર પાસની વિદ્યાઓ ભણ્યા વિના રત્નનગરીના રાજાઓ અંધારે ડૂબી મરે એ નહીં થાય.’

જરાશંકર - ‘મહારાજ ! આપણું બાળક પારકા માણસ પાસે રહે તો આપણા હાથમાંથી જાય અને પારકું થાય. પારકી મ્લેચ્છ ભાષાને ખોળે થયેલું બાળક આપની અને આપના આચારવિચારની મર્યાદા નહીં પાળે.

મલ્લરાજ - ‘ક્ષત્રિયોનાં બાળક શત્રુઓની ભૂમિનાં, શત્રુઓની ઢાલોનાં, તેમજ તેમની તરવારોનાં ભોમિયાં થાય તો શત્રુઓની ભાષા અને તેમના આચારવિચારનાં ભોેમિયાં થાય તો શત્રુઓની ભાષા અને તેમના આચારવિચારનાં ભોમિયાં થાય તો તે યોગ્ય જ છે. બૈરાં અને બ્રાહ્મણોને સોંપ્યાં ઘર અને ક્ષત્રિયોને સોંપ્યાં ઘરનાં બારણાં.’

જરાશંકર - ‘તે યોગ્ય છે. પણ શત્રુઓના આચારનું દાસપણું ક્ષત્રિયોને વિહિત નથી.’

મલ્લરાજ - ‘ના, નથી. પણ સામાના ભેદ જાણતાં તેમના બંધનમાં આવવું પડે, તેમ સામાની રાજનીતિ સમજવાનું સાધણ તેમની ભાષા તે જાણતાં જાણ્યે અજાણ્યે તેનો ચેપ વળગે તો તેટલું જોખમ વહોરવું એ નયયુદ્ધને અંગે લાગેંલું છે. યુદ્ધમાં જાય તે જીતે કે હારે કે મરે કે ઘવાય. જરાશંકર, વિચાર સંપૂર્ણ થયો ને હવે આજ્ઞા થઇ સમજ. કુમારને પરભાષાનાં શસ્ત્રાસ્ત્ર સજાવવાં છે. મારા અર્જુનનો દ્રોણાચાર્ય શોધી કાઢ.’

જરાશંકર - ‘મહારાજની આજ્ઞા થઇ તો તે પાર ઉતારવી એ મારું કામ છે. પણ અંગ્રેજી વિદ્યા શિખવવા દ્રોણાચાર્ય બ્રાહ્મણને શોધવા જવામાં વાંઝણીનો પુત્ર શોધવા જેવું છે.’

મલ્લરાજ હસ્યો - ‘જરાશંકર, રોતો જાય તે મૂઆના સમાચાર લાવે. તારા અભિપ્રાય વિરુદ્ધ આજ્ઞા થાય એટલે તે કેમ પાળવી તે તને સૂઝવાનું નહિ.’

જરાશંકર - ‘મહારાજ, એ આરોપથી મને ખેદ થાય છે. પણ મ્લેચ્છવિદ્યાનો ગુરુ આપણાં શાસ્ત્રનો સંસ્કારી હોય એમ ધારી તેને શોધવાની આજ્ઞા આપો છો પણ તે અસાધ્ય છે તે આપ સ્વીકારશો.’

મલ્લરાજ - ‘કૌરવના ગુરુ દ્રોણાચાર્ય; તેની પાસેથી પાણ્ડુપુત્ર શસ્ત્રવિદ્યા ભણ્યો. એ જ રીતનો શોધ કરતાં મારા પ્રધાનને આવડવું જોઇએ.’

જરાશંકર - ‘સત્ય છે, મહારાજ, આપનું હાર્દ ઉત્તમ છે; પણ શસ્ત્રુની વિદ્યાનો રસિકજન આ રાજ્યમાં અસ્થાને પદ પામશે; રાજકુમારની કોમળ અવસ્થામાં - તેના ઊગતા પ્રભાતકાળે - દૂર દેશની પરવિદ્યાનો આભાસ આ બાળ-કમળને પોતાના રંગથી રંગે એ આપને ઇષ્ટ હોય તો ઇચ્છા. દ્રોણાચાર્યની વિદ્યા ચોરી લેવા અર્જુનનું વય હતું. દ્રોણાચાર્યને અર્જુનના મનનો પરાભવ કરવાનો અવકાશ ન હતો. મહારાજ, મણિરાજ કેવળ બાળક છે અને સીતાજીને સોનાના મૃગની રઢ લાગી હતી તેમ આપ રાજા છો અને રાજરઢ પણ દુસ્તર છે.’

મલ્લરાજ - ‘જરાશંકર, જે સ્વતંત્રતાથી તું તારા રાજાને અટકાવે છે તેથી, અને જે વચન બોલી મારા ઉપર આક્ષેપ કરે છે તે વચન સાંભળીને, મને આજ આનંદ થાય છે. હું તારા ઉપર પ્રસન્ન છું - મરજી પડે તે માગ.’

જરાશંકર - ‘મહારાજ, સિંહ પોતાના દાંતનો ભંગ થવા દેતા નથી, અને ક્ષાત્રઉદ્રેકના ભરેલા રાજા આજ્ઞાનો ભંગ વેઠતા નથી એવું અનુભવી પુરુષનું વચન છે :

‘મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દો છો - તે આપની મારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.’

મલ્લરાજ - ‘એ શ્લોક મને ઘણી વાર કહેલો છે. એ આજ્ઞાભંગ થવા ન દેવો આ સાર્વભૌમ રાજાનું કામ. આપણે માથે સાર્વભૌમ બીજો થયો તેની આજ્ઞા ઉપાડવાનો પ્રસંગ તારા અભિપ્રાયથી મેં સ્વીકાર્યો છે તો આજ્ઞાભંગનું અસહન પણ સાર્વભૌમપદને મેં સોંપ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ તારા વિના બીજું કોણ કરાવે ?’

જરાશંકર - ‘ક્ષમા કરો, મહારાજ, ક્ષમા કરો. આપનો સેવક આપની આજ્ઞાનો ભંગ કરી આપને ઓછું આણવા જેવું સ્મરણ નહીં કરાવે.’

મલ્લરાજ - ‘ત્યારે મારી આજ્ઞા સ્વીકાર. જરાશંકર, મારા કુમારને ઘરકૂકડી વિદ્યાનો ભોગી જોઇ સંતોષ નહિ પામું. જે અંગ્રેજનો આસંગ તે આ રાજ્યને પ્રાપ્ત કરાવ્યો છે તે અંગ્રેજની વિદ્યા તેમને દેશ જવાનાં કાળાં પાણી જેવી હોય તોપણ તે પાણી વર આ કુમારને મોકલ. એ પાણીને પેલે પાર ઊતરી મારો કુમાર આ અંગ્રેજોની લંકાના મર્મભાગમાં પેસશે અને તેમ કરતાં - ત્યાં જતાં - એ કુમાર ડૂબવાનો હો તો ડૂબો ને તરવાનો હો તો તરો. ન ડૂબે તેની સાવચેતી રાખીશું. એમ કરતાં તો ડૂબે તો તેનો ભય રત્નનગરીના રાજાઓના કુળધર્મમાં નથી. શત્રુઓના ગુરુ પાસેથી મારો મણિરાજ તેમની વિદ્યા શીખશે.’

જરાશંકર - ‘મહારાજ, હું હાર્યો. આપની આજ્ઞા સિદ્ધ કરવી અને આપની ઇચ્છેલી સાવચેતી રાખવી એ ઉભય કામ સિદ્ધ કરવાનું સાધન શોધવા હું પ્રયત્ન કરીશ.’

મલ્લરાજ - ‘તને તો સૂઝે કે નયે સૂઝે. પણ જો તારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.’

જરાશંકર - ‘આપને કોઇ સાધ્ય વસ્તુ સૂઝે તો તો ઉત્તમ જ વાત.’

મલ્લરાજ - ‘તારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. અંગ્રેજી ભણેલો છે, ને તારાં અંકુશમાં રહેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.’

જરાશંકરને બે રીતનો સંતોષ થયો. વિદ્યાચતુરનું અને મણિરાજનું કલ્યાણ થાય ને મલ્લરાજની આજ્ઞા સિદ્ધ થાય - એ સર્વ સાધવાનું ્‌ એક જ સાધન.

જરાશંકર - ‘જેવી મહારાજની કૃપા. મહારાજ, આનું નામ તે આપની આજ્ઞા માનવી કહેવાય કે આપની કૃપા સ્વીકારવી કહેવાય તે મને સૂઝતું નથી. પણ આપની આજ્ઞાના પાલનમાં હું શિથિલ ન રહું એટલા માટે આ કૃપા કરી હોય તો આપની કૃપા પાછી ખેંચી લો અને કૃપા વિનાની આજ્ઞા હું કેમ પાળું છું તે વિશે સેવકની પરીક્ષા કરો.’

મલ્લરાજ - ‘રાજાની અને શાસ્ત્રની આજ્ઞા થઇ એટલે તર્કવિતર્ક ન કરવા એવું શાસ્ત્રવચન તું પાળતો નથી.’

‘બહુ સારું, મહારાજ,’ જરાશંકર ગયો.

‘માણસની પાછળ માણસ તૈયાર રાખવું એ રાજાનો એક આવશ્યક ધર્મ છે. જરાશંકર પાછળ બીજો પ્રધાન તૈયાર જોઇએ. જે કારણથી મણિરાજને અંગ્રેજી ભણાવું છું તે જ કારણથી હવે પછીના પ્રધાનો પણ અંગ્રેજી ભણેલા જોઇએ. જરાશંકરની વિદ્યા, એના અનુભવ, અને એનની બુદ્ધિ-દૂધમાં સાકર ભેળીએ તેમ - એના ભાણેજમાં ભેળીશું તો ભળશે - પરભારામાં નહીં ભળે. વિદ્યાચતુર અંગ્રેજી ને સંસ્કૃત ભણેલો છે તે જરાશંકર જેવો ગણેલો થતાં વાર નહીં લાગે. જૂના દિવસ, જાય છે ને નવા આવે છે, તેના આ સંધિમાં એવો માણસ જોઇએ કે જતા દિવસની નોંધ રાખે ને આવતાને ઝીલી લે. હું, જરાશંકર અને વિદ્યાચતુર - ત્રણ જણ મળી એ કામ કરીશું. અમે ત્રણ જણ મળી જે સડક પાડીએ એ સડક ઉપર મણિરાજ ધોડાની સ્વાલથી ચાલ્યો જાય ને અમારા કરતાં સવાઇ બુદ્ધિ ચલાવે એટલું હવે આમાં કરવાનું છે.’ આવા વિચારો કરતાં કરતાં મલ્લરાજ પોતાના નિત્યકાર્યમાં ભળ્યો.